Opinion Magazine
Number of visits: 9689067
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાજપ-સંઘનું કાશ્મીર ચિંતન

હરિ દેસાઈ|Opinion - Opinion|17 May 2017

જમ્મુ-કાશ્મીર મુદ્દે સૌ કોઈ પોતાની ડફલી વગાડીને પોતાને અનુકૂળ ઇતિહાસ રજૂ કરવાનો પ્રયાસ કરે છે.

જમ્મુ–કાશ્મીરમાં અજંપાભરી સ્થિતિને ઠારવામાં નિષ્ફળ નીવડેલી પીડીપી-ભાજપની યુતિ સરકારની વહારે ધાવા માટે ભા.જ.પ.ની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હવે કમર કસવી પડી છે. આગામી ૧૮ થી ૨૦ જુલાઈ દરમિયાન સંઘના દેશભરના પ્રચારકોની બેઠક જમ્મુમાં યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. સંઘના સરસંઘચાલક મોહન ભાગવત સહિતના ટોચના નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે.

૨૮ જૂનથી અમરનાથ યાત્રા આરંભાશે. કાશ્મીરમાં સ્થિતિ અંકુશ બહાર હોવાથી તો મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના લોકસભા મતવિસ્તાર અનંતનાગમાં તેમના સગ્ગા ભાઈ જ સત્તામોરચાના ઉમેદવાર હોવા છતાં પેટા ચૂંટણી મોકૂફ રાખવાની ફરજ પડી છે. પાકિસ્તાન પર દોષારોપણ કરવાથી દેશના શાસકો જવાબદારી મુક્ત થઇ જતાં નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષ અધ્યક્ષ અમિત શાહના પ્રતિનિધિ અને ભારતના મસ્તક રાજ્યના પ્રભારી એવા વરિષ્ઠ પ્રચારક રામ માધવ પણ ખાસ્સી દોડાદોડી કરી રહ્યા છે, પણ મામલો શાંત પડતો નથી.

મહેબૂબા રાજ્યનું સુકાન સંભાળવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે, ત્યારે બંધારણની ૩૭૦મી કલમને દૂર કરવાની વાત કરનારાઓને એટલે કે મિત્રપક્ષ ભા.જ.પ.વાળાઓ સહિતનાને એ “રાષ્ટ્રદ્રોહી” ગણાવવા સુધી જાય છે. સત્તામાં રહીને પ્રભાવક્ષેત્રને વધારવામાં રમમાણ ભા.જ.પ.વાળા મહેબૂબાની વાત ભણી આંખ આડા કાન કરે છે. એની પાછળ એમની લાંબી ગણતરી છે.

ભાજપી નેતૃત્વ સુપેરે જાણે છે કે રાજ્યમાં સત્તા એના હાથની કઠપૂતળી છે. દિલ્હીમાં ભા.જ.પ.નું શાસન છે. રાજ્યપાલે દિલ્હીના કેન્દ્રીય ગૃહ પ્રધાનના કહ્યાગરા થઈને રહેવું પડે. રાજ્યપાલનું શાસન (અહીં રાષ્ટ્રપતિ શાસન નહીં) લાદવાનો વખત આવે તો ય ભા.જ.પ.ના બેઉ હાથમાં લાડુ છે. વળી રાજ્યની વિધાનસભામાં અગમચેતીનાં પગલાંરૂપે જ અધ્યક્ષપદ ભા.જ.પે. રાખ્યું છે એટલે કાલ ઊઠીને કાંઇક નવાજૂની થાય તો ય બાજી તો ભા.જ.પ.ના હાથમાં જ રહેવાની. રાજ્ય વિધાનસભાની ચૂંટણી હજુ નવેમ્બર ૨૦૧૪માં જ થઇ છે એટલે છ વર્ષ પછી ૨૦૨૦માં જ ચૂંટણી આવવાની છે.

પી.ડી.પી. વંકાય તો ભા.જ.પ.ના બારણે ટકોરા મારવાવાળા પક્ષ અને ભા.જ.પ.માં સામેલ થઇ “ભારતમાતા કી જય” બોલવા સાટે પ્રધાનપદ મળતાં હોય તો એ કોરસગાન કરવામાં પણ કોઈને ભાગ્યે જ વાંધો છે. હજુ થોડાં વરસ પહેલાં અટલ બિહારી વાજપેયીના યુગમાં, “શેર હમારા મારા હૈ, અબદુલ્લાને મારા હૈ”ના નારાને વીસારે પાડીને, શ્યામા પ્રસાદ મુકરજીના હત્યારા માનતા શેખ અબદુલ્લાના પુત્ર ફારુક અબદુલ્લા અને પૌત્ર ઓમર અબદુલ્લા એન.ડી.એ.માં હતા. અબદુલ્લા જમ્મુ- કાશ્મીરના મુખ્ય મંત્રી હતા એટલું જ નહીં, ઓમર પણ કેન્દ્રમાં વિદેશ રાજ્ય મંત્રી હતા.

મોદીયુગીન ભા.જ.પ.નો સંકલ્પ દેશને કૉંગ્રેસમુક્ત બનાવવાનો છે, પછી છોને ભા.જ.પ. કૉંગ્રેસયુક્ત થઇ જાય, અંતે ચોટલી તો સંઘનિષ્ઠ ભાજપીઓના હાથમાં જ છે ને! જમ્મુ-કાશ્મીર મુદ્દે સૌ કોઈ પોતાની ડફલી વગાડીને પોતાને અનુકૂળ ઇતિહાસ રજૂ કરવાનો પ્રયાસ કરે છે. સંઘ-ભા.જ.પ. તરફથી કાશ્મીરનું કોકડું ગૂંચવવાનો સઘળો દોષ દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને અપાય છે, પણ હવે તો મહારાજા હરિસિંહના નવા દસ્તાવેજો પોકારીને કહી  રહ્યા છે કે કૉંગ્રેસના બંને દિગ્ગજ, નેહરુ અને સરદાર પટેલ, મહારાજાને સત્તા શેખ અબદુલ્લાને સુપરત કરવા સક્રિય હતા અને આખરે સરદારે જ મહારાજાને રાજ્યવટો આપવાની સઘળી જવાબદારી નિભાવી હતી!

મહારાજાએ સરદારમાં મૂકેલા વિશ્વાસ બદલ એમણે આઘાત જ અનુભવવાનો (“વિશ્વાસઘાતી ઘટનાક્રમ”) પ્રસંગ આવ્યો હતો. હરબંસ સિંહના મહારાજા હરિ સિંહ પરના તાજા પુસ્તકે મહારાજાની વેદનાને વાચા આપી છે. ક્યારેક જમ્મુ-કાશ્મીરમાં સંઘના પ્રાંત પ્રચારક રહેલા વર્તમાન અખિલ ભારતીય સહસંપર્કપ્રમુખ અરુણ કુમાર અને રાજ્યમાં સંઘ-ભા.જ.પ.ના પ્રભાવને વિસ્તારવામાં પાયાનું કામ કરનાર હરિ ઓમ મહાજને પાઠવેલા ઈ-મેઈલ ઉત્તરમાં મહારાજા ભારતમાં પોતાના રાજ્યનો વિલય કરવા પહેલાંથી તૈયાર જ હોવાનું જણાવીને સ્વતંત્ર દેશની તેમની કલ્પનાને નકારે છે.

આનાથી વિપરીત સરદારના સાથી વી.પી. મેનન અને હરબંસ સિંહ પણ નોંધે છે કે મહારાજા ત્રીજા વિકલ્પની તલાશમાં હતા. સંઘ સાહિત્યમાં મહારાજાને સમજાવીને ભારત સાથે જોડાવા પ્રેરવાનો યશ દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકરને આપવાનો પ્રયાસ થતો હોવા છતાં સંઘનિષ્ઠ ઇતિહાસવિદ હરિ ઓમ લખે છે: “આવું ક્યાં ય રૅકર્ડ પર નથી”, પણ કેટલાક આર.એસ.એસ.ના આગેવાનો એવો દાવો જરૂર કરે છે.

“અહીં મારે નોંધવું જોઈએ કે સરદારની ભૂમિકા પણ કાંઈ બહુ પ્રેરક રહી નહોતી.” હરિ ઓમે પી.ડી.પી. સાથે ભા.જ.પ.ના જોડાણનો વિરોધ કર્યો હતો. કુરુક્ષેત્ર ખાતે જૂન ૨૦૦૨માં મળેલી સંઘની પ્રતિનિધિસભાએ જમ્મુ – કાશ્મીરના ત્રિભાજન અંગે કરેલા ઠરાવના અમલનો તેમણે આગ્રહ સેવ્યો હતો. એટલે તેમને પક્ષ શિસ્તનો ભંગ કરવા બદલ છ વર્ષ માટે ભા.જ.પ.માંથી તગેડી મૂકાયા હતા. હવે જયારે સંઘની બેઠક જમ્મુમાં મળવાની છે ત્યારે ત્રિભાજન અંગેના ઠરાવનો પુનર્વિચાર કરશે કે એના અમલનો આગ્રહ થશે? એ રસપ્રદ ઘટનાક્રમ બની રહેશે.

ગઠબંધનથી સત્તા મેળવ્યા પછી શ્રીનગરમાં એકલે હાથે સત્તા હાંસલ કરવાની કવાયત આદરી બેઠેલો ભા.જ.પ. હવે કાશ્મીર ખીણ પ્રદેશમાં પગદંડો જમાવવા ઈચ્છુક છે. આવા સંજોગોમાં હવે તે ત્રિભાજન કે ચતુર્ભાજનની ફૉર્મ્યુલાને અભેરાઈએ ચડાવી દેવા ઈચ્છુક હોય  એ સ્વાભાવિક છે. એવું જ કાંઇક ભારતીય બંધારણની કલમ ૩૭૦નું થવાનું, એમ લાગ્યા વિના રહેતું નથી. ભા.જ.પ. રાજ્ય વિધાનસભામાં બે-તૃતીયાંશ બહુમતી ધરાવે નહીં, ત્યાં લગી એ આ કલમને સમાપ્ત કરવાની ભલામણ કેન્દ્રને કરી શકે નહીં.

રાષ્ટ્રપતિ સંસદની મંજૂરીથી એને રદ કરવાનો બંધારણીય અધિકાર ધરાવે છે, પણ સંસદના એ નિર્ણયને અદાલતમાં “જ્યુડિશિયલ રિવ્યૂ” માટેની અરજીથી  પડકારી શકાય. જો કે મુફ્તી મહંમદ સઈદ અને મહેબૂબાના મુખ્યમંત્રીપદના ગાળા દરમિયાન તેમના સલાહકાર રહેલા અમિતાભ માટૂ ૩૭૦ વિશે કહે છે કે આ કલમ વિશે હકીકતો કરતાં ભ્રમ વધુ પ્રવર્તે છે. નેહરુ અમેરિકા ગયેલા હતા ત્યારે ૧૭ ઑક્ટોબર ૧૯૪૯ના રોજ બંધારણ સભામાં એને દાખલ કરાવવામાં ગોપાલસ્વામી આયંગરને મદદ કરવામાં રિયાસતી ખાતાના પ્રધાન અને નાયબ વડા પ્રધાન સરદાર પટેલે સક્રિય ભૂમિકા ભજવી હતી.

એમનો હેતુ એટલો જ હતો કે એ રજવાડું ભારતનો હિસ્સો બની રહે. વળી, ભારતીય બંધારણ વાંચનારાઓને સહેજે ખ્યાલ આવી જશે કે ૩૭૦ જેવી જ કલમો બીજાં રાજ્યો માટે પણ છે. રાજ્ય બહાર પરણનાર મહિલાઓને ૩૭૦ની કલમની આડશે સંપત્તિમાંથી બેદખલ કરવાના પ્રસંગો પણ બને છે. મહારાજા હરિ સિંહે છેક એપ્રિલ ૧૯૨૭ અને જૂન ૧૯૩૨માં બહાર પાડેલાં  જાહેરનામાંના ખોટા અર્થઘટનથી  આવું બનતું હોય છે.

સંયોગ તો જુઓ, જમ્મૂ-કાશ્મીરમાં “કશ્મીર ફૉર કશ્મીરીઝ” ચળવળને પગલે આ શક્ય બન્યું હતું. આ ચળવળના નેતા કોઈ મુસ્લિમ નહીં, કાશ્મીરી પંડિત શંકરલાલ કૌલ હતા ! ઐતિહાસિક તથ્યોને જાણ્યા વિના જ ઘણીવાર કેટલાક નેહરુ અને શેખ અબદુલ્લાની આડેધડ ટીકા કરતા હોય છે. રંગીન સત્યો આપણને ગેરમાર્ગે દોરે છે.

સૌજન્ય : ‘મનગમતો રાગ’, “દિવ્ય ભાસ્કર”, 17 મે 2017

Loading

ઍર-કન્ડિશન્ડ હિન્દુત્વ અને ઉછીના આઇકન

રમેશ ઓઝા|Opinion - Opinion|17 May 2017

દેવરિયા નજીક અમર શહીદ પ્રેમસાગરના ગામે જઈને મેક શિફ્ટ ઍર-કન્ડિશન્ડ રૂમમાં ખરખરો કરી લીધા પછી મુખ્ય પ્રધાને અહીં બીજો ખરખરો કર્યો હતો કે સેક્યુલર ઇતિહાસકારો જાણીબૂજીને હિન્દુ હીરોને અન્યાય કરી રહ્યા છે અને તેમને ઉઘાડા પાડવા જરૂરી છે. યોગી આદિત્યનાથે આવા ઇતિહાસલેખનને કાવતરા તરીકે ઓળખાવ્યું હતું. બહુ મહત્વનો મુદ્દો તેમણે ઉપસ્થિત કર્યો છે. થોડા દિવસ પહેલાં વડા પ્રધાને પણ થોડા અલગ સંદર્ભમાં ઇતિહાસલેખનનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ સિવાય બીજા ઘણા હિન્દુત્વવાદીઓને લાગે છે કે ભારતીય ઇતિહાસલેખનમાં તેમને અન્યાય થઈ રહ્યો છે

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના દેશપ્રેમ વિશે શંકા જ ન કરાય. તેઓ જે વિચારક પરિવારમાંથી આવે છે એની રગરગમાં દેશપ્રેમ છલકાય છે. ક્યારે ઉત્તર પ્રદેશની ગાદી ત્યજીને તેઓ સરહદે જતા રહેશે એની તેઓ પોતે પણ ખાતરી આપી શકે એમ નથી. દેશના અને ધર્મના દુશ્મનોની રણભેરી સાંભળીને યુયુત્સ્વોના પગમાં સંચાર થવા લાગે છે અને હાથ ગાંડિવને શોધવા લાગે છે.

રવિવારે એવું બન્યું કે કાશ્મીરની સરહદે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના શહીદ થયેલા જવાન પ્રેમસાગરના ઘરે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન ખરખરો કરવા ગયા હતા. પ્રેમસાગરનું ગામ ઉત્તર પ્રદેશના દેવરિયા શહેરની નજીક છે. શહીદ જવાનના પરિવારને દિલસોજી આપવા જવું એ મુખ્ય પ્રધાનની ફરજ છે અને એમાં આ તો પાછા દેશપ્રેમી મુખ્ય પ્રધાન. લખનઉથી આદેશો છૂટ્યા કે મુખ્ય પ્રધાન અમર જવાનના ગામે તેના ઘરે જવાના છે. જોતજોતાંમાં પ્રેમસાગરના ઘરે સોફાસેટ આવી ગયા,  ઍર-કન્ડિશનર ઇન્સ્ટૉલ થઈ ગયું, એક ખૂણામાં ફ્રિજ મૂકી દેવામાં આવ્યું, આખા રૂમમાં કાર્પેટ પાથરી દેવામાં આવી અને વિદ્યુતખાતાને તાકીદ કરવામાં આવી કે કોઈ પણ સંજોગોમાં શહીદ પ્રેમસાગરના ગામમાં વીજપુરવઠો ન ખોરવાવો જોઈએ. પુત્ર અને પતિ ગુમાવનાર ગમગીન પરિવારને પણ લાગ્યું કે રાષ્ટ્રવાદીઓની સરકારે અમારા પનોતા પુત્રની આટલી તો કદર કરી! નફ્ફટ સેક્યુલરિયા તો આટલું પણ નહોતા કરતા.

થોડી વારે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આવે છે. પ્રેમસાગરનો પરિવાર દીકરો ગુમાવવાની ગમગીની વચ્ચે મુખ્ય પ્રધાનની મમતા અને તેમના ઋણ તળે ગદ્ગદ હતો. તેમણે ઋણના ભાવ સાથે જ મુખ્ય પ્રધાનનું સ્વાગત કર્યું હતું અને અનેક રીતે મુખ્ય પ્રધાને બતાવેલી સંવેદના માટે આભાર માન્યો હતો. ખાસ લાવવામાં આવેલા ફ્રિજમાંથી મુખ્ય પ્રધાનને ઠંડું પાણી આપવામાં આવે છે. ફળ કે નાસ્તો તો અપાય નહીં અને મુખ્ય પ્રધાન લે નહીં, કારણ કે મુખ્ય પ્રધાન દુખ પ્રગટ કરવા આવ્યા હતા. અડધો કલાકના રોકાણ દરમ્યાન મુખ્ય પ્રધાને પાકિસ્તાનને ખોખરું કરી નાખવાના અને શહીદ જવાનનાં બાળકોનું અને વિધવાનું સરકાર ધ્યાન રાખશે એવાં અનેક વચનો આપ્યાં હતાં. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, શાસન તમારી સાથે છે એમ કહીને મુખ્ય પ્રધાન પરિવારની રજા લઈને રવાના થયા હતા. 

મોટરકારોની કતાર ચાલી ગઈ. પ્રેમસાગરનો પરિવાર હજી પણ મુખ્ય પ્રધાનની લાગણી જોઈને ગદ્ગદ હતો ત્યાં ઘરના આંગણામાં એક ટ્રક આવે છે. પરિવારને પૂછ્યા પણ વિના તેઓ ઍર-કન્ડિશનર, ફ્રિજ, સોફાસેટ, કાર્પેટ બધું લઈ જાય છે. વિદ્યુત પુરવઠા અધિકારીને પણ કદાચ કહેવામાં આવ્યું હશે કે હવે પ્રેમસાગરના ગામમાં વીજળી પુરવઠો કાપવો હોય તો કાપી શકો છો. ધગધગતો દેશપ્રેમ અને શહીદ જવાન માટેની લાગણીનું નાટક પૂરું થયું.

આ દેશમાં યોગી (નામ કે વિશેષણના અર્થમાં યોગી નહીં, યોગી એટલે કે તપસ્વી) સુધ્ધાં કોઈના ખરખરે જતી વખતે થોડો વખત ગરમી સહન નથી કરી શકતા. આખો દિવસ ગુટકા ખાનારાઓ પણ કોઈને ત્યાં ખરખરે જતી વખતે સંયમ પાળે છે અને ચોખ્ખા મોઢે જાય છે. બાબા રામદેવે પતંજલિ બ્રેન્ડની કોઈ દવા શોધી કાઢવી જોઈએ કે જેથી યોગી (યોગી-તપસ્વી)ઓ ટાઢ-તડકો વેઠી શકે. જમાનો બદલાયો છે એટલે આકરા તપની જગ્યા ઔષધે લઈ લીધી છે. આવતી કાલે બાબા રામદેવ સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ïત કરવાની દવા બજારમાં મૂકે તો પણ આર્ય નહીં. યોગી એને કહેવાય જે ટાઢ-તડાકા અને સુખ-દુખથી પર હોય એ ઋષિ પતંજલિનો ભ્રમ હતો.

આ દેશમાં ધર્મસંસ્થા અને સંન્યાસસંસ્થા ભ્રક્ટ અને ખોખલી થઈ ગઈ છે. આ બન્ને સંસ્થાઓ સત્તાની અને લક્ષ્મીની ગુલામ છે.

હવે યોગી આદિત્યનાથ દેવરિયાથી નીકળીને સીધા લખનઉ જાય છે. લખનઉમાં વિશ્વ હિન્દુ પરિષદે હિન્દુ વિજયોત્સવનું આયોજન કર્યું હતું. અહેવાલ વાંચીને પ્રશ્ન થયો કે શેનો વિજયોત્સવ હશે? ૧૮૫૭થી આજ સુધીમાં હિન્દુત્વવાદીઓએ કોઈ જગ્યાએ લડત લડીને વિજય મેળવ્યો હોય એ જાણમાં નથી. લડત જ નથી આપી ત્યાં વિજય તો બહુ દૂરની વાત છે. મનમાં પ્રશ્ન થવો સ્વાભાવિક હતો કે વિશ્વ હિન્દુ પરિષદ કોના વિજયનો ઉત્સવ મનાવી રહી છે? જરૂર કોઈ પૌરાણિક વિજય હોવો જોઈએ અને અહેવાલ આગળ વાંચતાં એ જ વાત સિદ્ધ થઈ. અગિાયરમી સદીમાં શ્રાવાસ્તી રાજ્યના મહારાજા સુહેલદેવે મહમ્મદ ગઝનીના જનરલ ગાઝી સૈયદ સલાર મસૂદનો વધ કર્યો હતો. મહારાજા સુહેલદેવ વિશે અનેક કથાનકો ફરે છે. તેમના નામ અને તેમની જ્ઞાતિ વિશે પણ મતભેદ છે. કોઈ કહે છે કે તેઓ પાસી દલિત હતા. કોઈ કહે છે તેઓ રાજભર હતા. રાજભર અધર બૅકવર્ડ ક્લાસ છે અને પાસીની માફક દલિત બનવા માગે છે. રાજભર સમાજ મહારાજા સુહેલદેવને સમાજરત્ન તરીકે રજૂ કરી રહ્યો છે અને જ્ઞાતિની અસ્મિતાનું રાજકારણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ૧૯૪૦ના દાયકામાં આર્ય સમાજે, રામરાજ્ય પરિષદે, હિન્દુ મહાસભાએ અને ગોરખપીઠે મહારાજા સુહેલદેવના પરાક્રમનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. અત્યારે હવે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા છે એટલે મહારાજા સુહેલદેવને પાછા યાદ કરવામાં આવી રહ્યા છે.

દેવરિયા નજીક અમર શહીદ પ્રેમસાગરના ગામે જઈને ઍર-કન્ડિશન્ડ રૂમમાં ખરખરો કરી લીધા પછી મુખ્ય પ્રધાને અહીં બીજો ખરખરો કર્યો હતો કે સેક્યુલર ઇતિહાસકારો જાણીબૂજીને હિન્દુ હીરોને અન્યાય કરી રહ્યા છે અને તેમને ઉઘાડા પાડવા જરૂરી છે. યોગી આદિત્યનાથે આવા ઇતિહાસલેખનને કાવતરા તરીકે ઓળખાવ્યું હતું. બહુ મહત્વનો મુદ્દો તેમણે ઉપસ્થિત કર્યો છે. થોડા દિવસ પહેલાં વડા પ્રધાને પણ થોડા અલગ સંદર્ભમાં ઇતિહાસલેખનનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ સિવાય બીજા ઘણા હિન્દુત્વવાદીઓને લાગે છે કે ભારતીય ઇતિહાસલેખનમાં તેમને અન્યાય થઈ રહ્યો છે.

જ્યારે આવી લાગણી વ્યાપક છે એટલે એની વિગતે વાત થવી જરૂરી છે.

– 2 –

ઇતિહાસલેખન માટે સત્તાની જરૂર પડે છે કે સ્કૉલરશિપની?

લાખ રૂપિયાનો સવાલ એ છે કે વિત્ત ક્યાંથી લાવવું? એટલે સેક્યુલર ઇતિહાસકારો પાસેથી તેઓ હિન્દુ રાષ્ટ્રવાદી ઇતિહાસ લખી આપે એવી બેહૂદી અપેક્ષા રાખે છે. તેઓ પક્ષપાતી છે એવી કાગારોળ કરે છે. આવી બેહૂદી દલીલ કોઈ નવી વાત પણ નથી. અખંડ હિન્દુસ્તાન ગાંધીજીએ અમને આપવું જોઈતું હતું; પરંતુ ગાંધીજી આપી ન શક્યા એટલે તેઓ પક્ષપાતી હતા, મુસ્લિમતરફી હતા અને વધને લાયક હતા એમ તેઓ કહે છે. એલા ભાઈ, તમે ક્યાં સંતાઈ ગયા હતા એ સમયે! અખંડ હિન્દુસ્તાન ગાંધીજી આપે. હિન્દુઓનો, તેમને ગમે એવો ભવ્ય ઇતિહાસ સેક્યુલર ઇતિહાસકારો લખી આપે. વાહ રે વાહ!

ઇતિહાસલેખન વિશે જે વાત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કરી હતી એ જ વાત જરા સભ્ય ભાષામાં મહિના પહેલાં વડા પ્રધાને કરી હતી. ઓડિશાના રાજભવનમાં ૧૮૧૭ના અંગ્રેજો સામેના પૈકા વિદ્રોહના શહીદોના પરિવારજનોનું અભિવાદન કરતાં કહ્યું હતું કે દેશના સ્વતંત્રસંગ્રામમાં પૈકા જેવા અનેક પરિવારોએ અને સમાજે ભાગ લીધો હતો, પરંતુ આપણા ઇતિહાસમાં ગણતરીના પરિવારોના યોગદાનની જ નોંધ લેવામાં આવી છે. તેઓ જ્યારે પરિવાર કહે છે ત્યારે એક નામ તેમના મનમાં નેહરુપરિવારનું હશે અને બીજું નામ કદાચ બીજુ પટનાઈકના પરિવારનું હશે. ઓડિશાની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એટલે તેમણે નેહરુ-પટનાઈક પરિવારને ટોણો માર્યો હતો અને પૈકાઓને યાદ કર્યા હતા.

અહીં નરેન્દ્ર મોદીની અને યોગી આદિત્યનાથની રાજકીય ગણતરીઓને જવા દઈએ, તેમણે ઇતિહાસલેખન વિશે જે મુદ્દો ઉઠાવ્યો છે એ મહત્ત્વનો છે. વડા પ્રધાને કહ્યું હતું કે આદિવાસીઓએ મોટા પ્રમાણમાં અંગ્રેજો સામે વિદ્રોહ કર્યા હતા જેની વાત ઇતિહાસમાં કોઈ જગ્યાએ આવતી જ નથી. એ પછી તેમણે વાતવાતમાં કહ્યું હતું કે છેલ્લાં ૮૦૦ વર્ષ દરમ્યાન કેટલા બધા લોકોએ આઝાદી માટે સંઘર્ષ કર્યો છે. આમ કહીને તેઓ એમ કહેવા માગે છે કે ભારતમાં ગુલામીની શરૂઆત અંગ્રેજ શાસનથી નહીં, મુસ્લિમ શાસનથી થઈ હતી. આ હિન્દુત્વવાદીઓની જૂની થિયરી છે અને તેમનો એ અધિકાર છે. અહીં એની વાત પણ જવા દઈએ. સવાલ આવે છે ઇતિહાસલેખનનો. ઇતિહાસલેખનમાં પક્ષપાત કેમ ચલાવી લેવાય? બાય ધ વે, ૧૯૯૭માં સુભાષચંદ્ર બોઝની જન્મશતાબ્દી વખતે અટલ બિહારી વાજપેયીએ પણ ઇતિહાસમાં દરેકને ન્યાય મળવો જોઈએ એમ સુભાષબાબુની ઓથે રહીને કહ્યું હતું.

પહેલો સવાલ. ઇતિહાસલેખન માટે સત્તાની જરૂર પડે છે કે સ્કૉલરશિપની? હવે તો સત્તા પણ તેમની પાસે છે એટલે મનગમતો ઇતિહાસ સ્કૂલોમાં વિદ્યાર્થીઓના માથે તેઓ મારી શકે છે, પરંતુ મૂળભૂત સવાલ એ છે કે ઇતિહાસલેખન માટે સત્તા અનિવાર્ય છે કે સ્કૉલરશિપ? ભારતને આઝાદી પણ નહોતી મળી એ પહેલાં મહારાષ્ટ્રમાં ઇતિહાસાચાર્ય વી. કા. રજવાડેએ, અંગ્રેજીમાં જદુનાથ સરકારે, હિન્દીમાં પંડિત સુંદરલાલે અને બીજા પ્રાંતોમાં બીજા અનેક લોકોએ આધુનિક ભારતના ઇતિહાસનો અભ્યાસ કરીને ઇતિહાસલેખન કર્યું હતું એ શું વિદેશી સરકારના આશ્રયે કર્યું હતું? તેમને એમ લાગ્યું હતું કે અંગ્રેજો દ્વારા લખવામાં આવેલો ઇતિહાસ તટસ્થ નથી એટલે આપણે આપણો ઇતિહાસ લખવો જોઈએ. તેમણે લખેલો ઇતિહાસ અંગ્રેજોની ટીકા કરનારો હતો એટલે અંગ્રેજોએ તેમને ફાંસીએ નહોતા ચડાવ્યા. તો સવાલ છે અભ્યાસ કરવાની આવડત. સંશોધન કરવાની આવડત. રાતે દીવા બાળવાની અને કલાકોના કલાકો આંખો ફોડવાની તૈયારી. આ આવડત અને ખંત સંઘની શાખાઓમાં જવાથી અને અડધી (હવે આખી) ચડ્ડી પહેરી લેવાથી નથી આવતાં. આ અંદરનું વિત્ત છે અને જેમની પાસે અંદરનું વિત્ત હોય એ શાખામાં નથી જતા.

કૉન્ગ્રેસીઓ, ડાબેરીઓ, સેક્યુલરિસ્ટો કે જે કોઈ સ્કૂલના ઇતિહાસકારોના ઇતિહાસલેખન સામે તેમને વાંધો હોય તો તેમને તેમની રીતે ઇતિહાસ લખતાં કોણે રોક્યા છે? આ દેશમાં હિન્દુ કોમવાદી પ્રવૃત્તિની શરૂઆત થઈ એને સવાસો વરસ વીતી ચૂક્યાં છે અને એમાં ૯૨ વરસ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને થયાં છે. ૯૦ વરસમાં એક ચોપાનિયું સંઘે પ્રકાશિત નથી કર્યું કે જે વાંચીને સહમત ભલે ન થઈએ, પણ સ્કૉલરશિપ માટે આદર થાય. નવ દાયકા એ કોઈ ટૂંકો સમયગાળો નથી. તો પહેલી વાત એ કે ઇતિહાસલેખન માટે સત્તાની જરૂર નથી, સ્કૉલરશિપની છે.

બીજો સવાલ. કોણે કહ્યું કે આદિવાસીઓના અને બીજા દૂરદરાજ પ્રદેશોમાં વસતા લોકોના સંઘર્ષની નોંધ નથી લેવાઈ? વડા પ્રધાનને જાણ નથી લાગતી કે ૧૯૮૦ના દાયકામાં જાણીતા ઇતિહાસકાર રણજિત ગુહાના નેતૃત્વમાં ભારતના ઇતિહાસકારોએ એક જૂથ રચીને હાંસિયામાં રહેલી પ્રજાના આઝાદી પહેલાંના સંઘર્ષનો ઇતિહાસ લખવાનું શરૂ કર્યું હતું. હાંસિયામાં રહેલી પ્રજા અને તેમના વિદ્રોહમાં સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે, પછી ભલે એ સવર્ણ હોય. જે સંઘર્ષ સ્થાપિત હિતોની સામે હોય, જે સંઘર્ષનો સ્થાપિત હિતોએ વિરોધ કર્યો હોય કે જે સંઘર્ષ ન થાય એ માટે સ્થાપિત હિતોએ પોતાની વગ વાપરી હોય એ તમામ સંઘર્ષની નોંધ લેવામાં આવી છે. સ્થાપિત હિતોમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમાવેશ થાય છે, એમાં અંગ્રેજોનો સમાવેશ થાય છે, સવર્ણોનો સમાવેશ થાય છે, ધર્માધિકારીઓનો સમાવેશ થાય છે, શાહુકારોનો સમાવેશ થાય છે અને ભલે સ્થાપિત હિત તરીકે નહીં; પરંતુ સંઘર્ષને રોકનાર તરીકે મહાત્મા ગાંધીનો પણ એકાદબે જગ્યાએ સમાવેશ થાય છે.

કોઈક જગ્યાએ એ સંઘર્ષ રાજકીય આઝાદી માટેનો હતો, કોઈક સ્થળે સાંસ્કૃિતક આઝાદી માટેનો હતો તો કોઈક જગ્યાએ શોષણમુક્તિ સામેનો હતો. એ તમામ સંઘર્ષોનો ઇતિહાસ સબાલટર્ન સ્ટડીઝ ના નામે ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ પ્રકાશિત કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં ૧૨ ખંડ પ્રકાશિત થઈ ચૂક્યા છે. કેવા-કેવા મેધાવી ઇતિહાસકારો સબાલટર્ન સ્ટડીઝ પ્રોજેક્ટમાં જોડાયેલા છે એના પર એક નજર કરવી જોઈએ. રણજિત ગુહા, જ્ઞાનેન્દ્ર પાંડે, પાર્થ ચૅટરજી, સુદીપ્ત કવિરાજ, એરિક સ્ટોક્સ, ડેવિડ આર્નોલ્ડ, ડેવિડ હાર્ડીમૅન જેવા ૧૫ કરતાં વધુ ઇતિહાસકારો હાંસિયામાં રહેલી પ્રજાના સંઘર્ષની દાસ્તાન રજૂ કરવાનું કામ કરી રહ્યા છે. આમાં ડેવિડ હાર્ડીમૅન ગુજરાત અને પશ્ચિમ ભારત પર કામ કરી રહ્યા છે એટલે જે કોઈને ગુજરાતના શોષિતોના સંઘર્ષની દાસ્તાનમાં રસ હોય તેમણે હાર્ડીમૅનને વાંચવા જોઈએ.

એની ના નહીં કે સબાલટર્ન સ્ટડીઝ જૂથના બધા જ ઇતિહાસકારો સેક્યુલરિસ્ટો છે. એનો અર્થ એવો નથી કે તેમણે ધાર્મિક વિદ્રોહની નોંધ નથી લીધી, પરંતુ મોટા ભાગે હાંસિયામાં રહેલી પ્રજાના સાંસ્કૃિતક આઝાદીના ભાગરૂપે ધાર્મિક વિદ્રોહની નોંધ લીધી છે. કેટલીક વાર ધર્મના નામે કરવામાં આવતા શોષણ સામે થયેલા વિદ્રોહની પણ વાત નોંધવામાં આવી છે, જે હિન્દુત્વવાદીઓને માફક ન આવે. તેમનો એ અધિકાર છે. આપણને પણ ક્યાં બધાની બધી જ વાત માફક આવે છે? સવાલ એ છે કે આપણને બીજાની કહેલી વાત માફક ન આવતી હોય, અધૂરી લાગતી હોય, એમાં અસત્ય કે પક્ષપાત નજરે પડતો હોય તો આપણે આપણી વાત કહેવી જોઈએ. જેમ કે મુખ્ય ધારાના ઇતિહાસકારોના ઇતિહાસમાં શોષિતોના સંઘર્ષની વાત જેવી રીતે આવવી જોઈતી હતી એમ નહોતી આવતી તો તેમણે અલગ જૂથ રચીને અલગ ઇતિહાસગ્રંથ લખ્યા છે અને હજી લખી રહ્યા છે.

હિન્દુત્વવાદી કે હિન્દુ રાષ્ટ્રવાદી ઇતિહાસકારોને ભારતનો ઇતિહાસ તેમને માફક આવે એમ લખવો હોય તો કોણ રોકે છે? હવે તો સત્તા પણ તેમની પાસે છે એટલે જે સવલત જોઈએ એ મળી શકે એમ છે. લાખ રૂપિયાનો સવાલ એ છે કે વિત્ત ક્યાંથી લાવવું? એટલે સેક્યુલર ઇતિહાસકારો પાસેથી તેઓ હિન્દુ રાષ્ટ્રવાદી ઇતિહાસ લખી આપે એવી બેહૂદી અપેક્ષા રાખે છે. તેઓ પક્ષપાતી છે એવી કાગારોળ કરે છે. આવી બેહૂદી દલીલ કોઈ નવી વાત પણ નથી. અખંડ હિન્દુસ્તાન ગાંધીજીએ અમને આપવું જોઈતું હતું; પરંતુ ગાંધીજી આપી ન શક્યા એટલે તેઓ પક્ષપાતી હતા, મુસ્લિમતરફી હતા અને વધને લાયક હતા એમ તેઓ કહે છે. એલા ભાઈ, તમે ક્યાં સંતાઈ ગયા હતા એ સમયે! તમારે ભારતના વિભાજનની વચ્ચે હિમાલયની માફક ઊભા રહી જવું હતું. તમે તો બહુમતીમાં હતા અને શૌર્ય તો તમારી નસનસમાં વહે છે.

હા. એ જ વાત. વિત્ત નહોતું. ત્યારે પણ નહોતું અને આજે પણ નથી. અખંડ હિન્દુસ્તાન ગાંધીજી આપે. હિન્દુઓનો, તેમને ગમે એવો ભવ્ય ઇતિહાસ સેક્યુલર ઇતિહાસકારો લખી આપે. વાહ રે વાહ!

સૌજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 16 – 17 મે 2017

Loading

ते हि नो दिवसा गता:॥

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|17 May 2017

આદરણીય ગણેશ દેવી, મહેન્દ્રભાઈ, વિમલભાઈ, કુન્તેશભાઈ, અશોકભાઈ, ઉત્તમભાઈ, મૈત્રીબહેન તેમ જ ઉપસ્થિત સૌ મિત્રો,

મનસુખભાઈ શાહ તથા બળવંતભાઈ પટેલની અનુપસ્થિતિ આજે સવિશેષ સાલે છે.

કપૂરચંદભાઈ ચંદરયાના નિધનના સમાચાર આઘાતકારી છે. એમનું અવસાન એટલે ગુજરાતી ડાયસ્પોરે ભાષાસંવર્ધનનાં કામને ફટકો. અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ તેમ જ વિચારપત્ર “ઓપિનિયન” પણ આ અવસાનથી ખેદ અનુભવે છે.

થોડીક ક્ષણો પહેલાં જાણ્યું કે ગુજરાતના એક બહુ મોટા માણસ, હમીદભાઈ કુરેશીનું આજે દુ:ખદ અવસાન થયું છે. મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાના સમયગાળાથી, ઈમામ સાહેબ અબ્દેલ કાદર બાવઝીર અત્યંત નજીકના સાથીદાર. એમનાં દીકરી અમીનાબહેન ગુલામ રસૂલકુરેશીને પરણેલાં. એમનું સંતાન તે આપણા આ હમીદભાઈ. આ ત્રણ ત્રણ પેઢીની પોરસાવતી દાસ્તાઁ છે. ગુજરાતે એક બહુ મોટા ખાનદાન શહેરીને આજે ખોયા છે. આ દુ:ખમાં હું અને અમારો પરિવાર પણ સામેલ.  

વારુ, આ અવસરનું નામ પડ્યું છે તે દહાડાથી ચકરાવે ચડેલો છું. મહિનાઓ ઠેલાતા ગયા, અઠવાડિયા આવ્યા ને ગયા, દિવસો ય વહ્યા કર્યા. પરંતુ ટાંચણ કરવાની આજ દિવસ લગી ફાવટ ન જ આવી તે ન જ આવી. રતિલાલ ચંદરયાએ અને ગુજરાતીલેક્સિકોને મારાપણાંને ઘેરો ઘાલી લીધેલો; અને આમને આમ તે દુનિયામાં સતત પરિભ્રમણ કરતો રહ્યો.

ते हि नो दिवसा गता:॥ ભવભૂતિના રામને મોઢે આ શબ્દો છે ને ? એ તે કેવા કેવા દિવસો હતા ? ચંદરયા પરિવાર સાથેના સંબંધને હવે ચાર દાયકા થયા. ભાષા-સાહિત્ય તથા વિલાયતની અકાદમીના કામને સારુ ચાર દાયકાઓ પૂર્વે દેવચંદભાઈથી તેનો સંબંધ બંધાયેલો. કપૂરચંદભાઈએ તેને મજબૂત કર્યો; અને પછી રતિલાલભાઈએ આ ડિજિટલ કોશ શાં આદરેલાં કામને સારુ હળવા મળવાનું થયાં કર્યું, અને પરિણામે અમારી મૈત્રી ફાલતી ચાલી, ફૂલતી ચાલી. સાથે રહી આ ગુજરાતીલેક્સિકન આંદોલનને મૂર્ત સ્વરૂપ દીધાંનું સાંભરે છે. મુંબઈ માંહેના લોકાર્પણના એ દિવસો; પ્રસંગો; ધીરુબહેન પટેલ સાથેની મુલાકાત ગોઠવણ; ગુજરાતી સાહિત્ય પરિષદ જોડેની એ સોહરાબી-રુસ્તમી; લંડન મધ્યે વિસ્તરતું લોકાર્પણ; ગૂજરાત વિદ્યાપીઠ જોડેની લાંબી પેરેની વાટાઘાટ અને સાર્થ ગૂજરાતી જોડણીકોશને ડિજિટલ વિશ્વમાં સામેલ કરવાની પહેલ; યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ જોડેના અમદાવાદ ને બ્રિટન ખાતેના જોડિયા પ્રકલ્પો; યુનિકોડ ગુજરાતી ફૉન્ટનો સુપેરે આદર; સમસામયિકો તથા પ્રકાશકો યુનિકોડ ગુજરાતી ફૉન્ટમાં પ્રવેશ મેળવે તેવો પ્રયાસ; ભગવદ્ગોમંડળ કોશની સામેલગીરી; “નિરીક્ષક”, “ઓપિનિયન”, “મિલાપ” તથા “વિશ્વમાનવ”ને ‘ડિજિટલ વરસેટાઇલ ડિસ્ક’નું સ્વરૂપ મળવું; અને હવે, ઑક્સફર્ડ ડિક્શનેરી જૂથ સાથેનો આ પ્રકલ્પ. બહુ મોટી હરણફાળ આ માણસે લીધી; અને તેનાથી, ગુજરાતી સતત ન્યાલ થતી રહી.

ટાંકણે મહેન્દ્રભાઈ મેઘાણી સંપાદિત "મિલાપ"ની ડિવીડી લોકાર્પિત થઈ તે ઘટનાની આ બે છબિ. અહીં (ડાબેથી) મહેન્દ્રભાઈ મેઘાણી, વિપુલ કલ્યાણી, ગણેશભાઈ દેવી તથા વિમલભાઈ ચંદરયા દૃશ્યમાન છે.

રતિકાકાના આ કામને કારણે અંગત અંગત હું ય ખૂબ લાભ્યો છું. અશોક કરણિયા જેવા બડભાગી, દૂરંદેશ અને કાર્યનિપુણ યુવાન મિત્રનો સંગ મળ્યો છે. એમના સંગમાં સતત રાજી રાજી રહ્યો છું. “ઓપિનિયન”ની કૂચ હળવાશે આગળ વધી શકી છે. મુદ્રિત યુગ, ડિજિટલ અવતાર અને હવે વેબસાઇટનું ય ફલક. આ બધામાં રતિલાલ ચંદરયા મૂળગત મશાલચી પૂરવાર થયા છે.

રતિકાકા તરીકે પંકાયેલા આ નબીરાનું શિક્ષણ તો માંડ બેચાર ચોપડીનું, પણ એમની સમજણ, એમની કામગીરીનો વ્યાપ ઝાઝેરો, જાણે કે ખુદ જંગમ વિદ્યાપીઠ. સન 1922માં 23 ઑક્ટોબરે પૂંજીબાઈ ને પ્રેમચંદભાઈને ત્યાં જન્મેલા રતિભાઈને બહોળો અનુભવ. ચંદરયા પરિવારના વેપારવણજમાં અગ્રેસર. બીજી-ત્રીજી હરોળ તૈયાર થઈ, ત્યાં લગી ધંધાધાપાના વિસ્તાર સારુ પૂરેપૂરા ખૂંપેલા રહ્યા; અને પછી, હળુહળુ આ ડિજિટલ કોશના કામમાં ઊતરતા ગયા તેને સારુ ખૂબ ભમ્યા, ઘણાનો સાથ સહકાર મેળવ્યો. અને પોતાના મનોરથો પાર કર્યા. સન 2013ની 13 ઑક્ટોબરે વિદાય લીધી ત્યાં સુધી ગુજરાતીલેક્સિકનને માટે સતત માર્ગદર્શક રહ્યા અને સવાલો જાગ્યા ત્યારે મારા જેવા સહોદરો અને સાથીદારોને પોતાને અડખેપડખે રાખી કામને આટોપતાં રહ્યા.

ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સંસ્કૃિત, અરે, તેનું પોત પણ, આજકાલ એક એવા ચોખંભે છે, જ્યાંથી જો દશા અને દિશા ન જડે તો વેરવિખેર થવાની વિશેષ દહેશત છે. તો રતિલાલ ચંદરયા વિનાના આ આંદોલનને, આપણા આ ગુજરાતીલેક્સિકનના આ સમૂળગા પ્રકલ્પને, સભાન અને કાર્યશીલ રહેવા સિવાય કોઈ જ ચારો નથી. અને જો ન જ રહેવાય, તો ખુદકુશીનું પાપ માથે ભમતું રહેવાનું, તે ચોક્કસ. આપણી સમક્ષ અધૂરાં કામો ખડકાયાં છે : માવજીભાઈ મુંબઈવાળાએ યુનિકોડમાં બેસે તેવા એક નહીં દશદશ ફોન્ટ્સ હાલ આપ્યા છે. તેને જોઈ તપાસી, સમારી આપવાનું કામ આપણું જ હોય. તેમ સોશિયલ મીડિયા સમેત આજકાલ રૉમન લિપિમાં ગુજરાતી લખવાનો ચાલ ફાટીને ધૂમાડે ગયો છે અને તેમાં ભારોભાર અરાજકતા છે. તેને ઠેકાણે લાવવાનું કામ પણ આપણા ક્ષેત્રનું બનવું જોઈએ. ઇન્ટરનેટે ગુજરાતી માહિતીઓ, વગેરેની વિગતોમાં ભારોભાર ગાબડાં છે. તે ક્ષેત્રને તરબતર કરવાની ગુંજાઈશ આપણી રાહ જુએ છે. એક વેળા, સમસામયિકોના તંત્રીસંપાદકોનો સંપર્ક સાધતા, ભાષાસાહિત્યના સવાલો અને કોયડાઓ બાબત સુપેરે નીવેડો લાવી શકાતો. હવે સોશિયલ મીડિયાને કારણે, દરેક લહિયો માને છે કે તે ખુદ તંત્રીસંપાદકલેખક છે ! − આ ઘટનાક્રમની રૂપરેખાનું શું કરવું ?

વારુ, આપણે જ્યારે ગુજરાતી ભાષા-સાહિત્યની આતુરતા સહ વાત કરીએ છીએ, ત્યારે આ સ્વાયત્તતાને મુદ્દે ગુજરાતી સાહિત્ય પરિષદ તેમ જ ગુજરાત સાહિત્ય અકાદમીની બાથંબાથી અમને વિચારપ્રદેશમાં ધકેલી મૂકે છે. સ્વાયત્તતાનો અદ્દલ અગત્યનો મુદ્દો છે; પણ સાથે ગુજરાતી સાહિત્યનો, ગુજરાતી ભાષાનો દાયરો ટૂંકાતો જાય છે, તેની પ્રસ્તુતા, ભલા, ક્યારે કેન્દ્રસ્થ રાખતા થઈશું ? ભાષાસાહિત્યના મોટેરાંઓ, અધ્યાપકો, એમનાં મંડળો, સંસ્થાઓ, ગુજરાતીલેક્સિકન આંદોલન ડાયસ્પોરા સમેતની ગુજરાતી આમ જનતાની ય થોડીઘણી ચિંતા સેવે તો કામ બને !

દરમિયાન, દાયકાઓ પહેલાં, લંડનસ્થિત ‘નેહરુ સેન્ટર’માં ડૉ. ગણેશ દેવીને પહેલવહેલા જોયા, સાંભળ્યા. અલપઝલપ મળવાનું ય થયેલું. તે પછી, મુંબઈ ખાતે દિવંગત હિમ્મત ઝવેરીની સ્મૃિતસભામાં અમે એક જ મંચ પરે વક્તાઓ હતા. અને હવે છેક આજે, અહીં ફરીવાર; જાણે કે આ મારું સૌભાગ્ય જ હોય.

’મારો ભાષાપ્રવેશ’ નામક લેખમાં ગણેશ દેવી કહે છે :

“આ મારું ગામ, મારું રાજ્ય એ પ્રકારના સીમાડા તૂટી ગયા. ઇંગ્લેન્ડથી ગુજરાત આવ્યો ત્યારે એવું નથી લાગ્યું કે હું મહારાષ્ટ્રનો. મહારાષ્ટ્રમાં હતો અને ફરી પાછો ગુજરાત આવ્યો તે સારું થયું. સિટિઝન ઓફ ધ વર્લ્ડ ગાંધીએ કહ્યું જ છે : બધાં બારીબારણાં ખુલ્લાં રાખવાં. જો મૂળિયાં મજબૂત હોય તો તે વિચારોમાં હોવાં જોઈએ, સ્થળમાં નહિ. એટલે કોઈ પૂછે તમે ક્યાંના, તો કહેવું જોઈએ હું ફલાણા વિચારનો છું, નહિં કે ફલાણા ગામનો. આ રીત સારી રહેશે.”

ભાષા જ એવી વસ્તુ છે જે પ્રાણીઓને માનવ બનાવે છે.

સન 1950ના ઑગસ્ટની પહેલીએ મહારાષ્ટ્રમાં જન્મેલા આપણા આ કર્મઠ, વિદ્વાન ને કર્મશીલ મુખ્ય વક્તાને નામ, વળી, એક બીજું અવતરણ બોલે છે, “આપણે વર્નાક્યુલર નામનો શબ્દ વાપરવાનો ચાલુ રાખ્યો છે. આ શબ્દનો અર્થ તે ભારતીય ભાષાઓ. ભાષા તો આપણો પ્રાચીન શબ્દ છે. પાણિનિથી એ ભાષા છે. ભાષા શબ્દનો અર્થ અવાજ (અથવા લેંગ્વેજ) થાય છે. આઈડેન્ટિટી, વોઇસ અને લેંગ્વેજ – આ ત્રણે અર્થમાં ‘ભાષા’ શબ્દનો વપરાશ કરવાનું મેં નક્કી કર્યું. ભારતીય ભાષાઓ સાથે એક સંબંધ તો હતો જ, ‘સેતુ’ દ્વારા ભારતીય ભાષાથી એની શરૂઆત થયેલી.”

અને પછી એ ઉમેરે છે, “ગુજરાતી મહાન ભાષા છે અને ગુજરાતી ભાષાનું મરણ શક્ય નથી. કારણ કે પાંચ કરોડ ગુજરાતીના ગુજરાતનો આર્થિક વિકાસ છેલ્લાં 150 વર્ષથી થયો છે. ગુજરાતી આફ્રિકા ગયા, ઇંગ્લેન્ડ ગયા, ઓસ્ટ્રેલિયા ગયા. કામ કરવાની ટેવ પાછલાં 150 વર્ષોમાં ગુજરાતીની બદલાઈ ગઈ છે અને ખૂબ દિલ દઈ લોકો કામ કરે છે. તે રીતે અંગ્રેજ કામ નથી કરતા. તો આપણે ત્યાં જે સંપત્તિ નિર્માણ થઈ એને લીધે આપણી ગુજરાતી ભાષાને ભય નથી. છતાં આ ગુજરાતી ભાષા માટે પણ એક ભયસ્થાન છે : આપણા ડોમેઇન ઑફ લેંગ્વેજ ઓછા થતા જાય છે. ખાસ કરીને બોલી સાથેનો સંબંધ ઓછો થતો જાય છે. માતૃભાષામાં ભણાવતી એવી નિશાળની સંખ્યા ઓછી થતી ગઈ. કોઈ ઉત્તમ પ્રકારની હાઈસ્કૂલ ગુજરાતીમાં નથી. ગુજરાતી ભાષા માટે જે વિવિધ ડોમેઈન હોવો જોઈએ એમાં અત્યારે ઓટ આવવાથી ગુજરાતીને પણ ભયસ્થાન છે. એક સરસ ગુજરાતી વાક્ય, અંગ્રેજી શબ્દના વપરાશ વગર બોલી શકે એવા યુવાનોની સંખ્યા ઓછી થતી જાય છે.”

વળી, ખુદ સવાલે છે : “નિરક્ષરતા કે ભાષા એટલે શું?” અને પછી પોતે જ ઉત્તર વાળે છે : “ભાષા સ્વયં મરતી નથી : જૂના ઘણા પ્રાચીન શબ્દો અત્યાર સુધી આપણે ત્યાં હજી વપરાય છે – પણ કોઈ કાનૂન અથવા કોઈ ખામીભરી પૉલિસી દ્વારા ભાષા પર બંધન લાદવામાં આવે છે અને ત્યારે ભાષાઓને મારવામાં આવે છે. ટૂંકમાં ભાષા મૃત્યુથી પર છે પણ એના પર મૃત્યુદંડ ઠોકવામાં આવે છે. ગ્રીક ભાષામાં એક શબ્દ છે અફેસિયા. અફેસિયા એક બીમારીનું નામ છે. એનો અર્થ છે વાચાહીનતા, વાચાભ્રંશ, વાચાભ્રમ. અત્યારે દુનિયામાં ઘણી ભાષા સામે અફેસિયાની સજાનું ફરમાન જારી થઈ રહ્યું છે. યુનેસ્કોના અંદાજ પ્રમાણે વીસમી સદીની શરૂઆતમાં, દુનિયામાં લગભગ 7,000 ભાષાઓ હતી, તેમાંથી એકવીસમી સદીના અંત સુધી માત્ર 300 ભાષા જીવતી રહેશે.”

દેવી કહે છે : “એક માન્યતા એવી છે કે માતૃભાષામાં સાતમા ધોરણ સુધી ભણતર મળી રહે તો બાળક એ ભાષા ટકાવી રાખે છે. આપણે ત્યાં સાતમા ધોરણની તો વાત દૂર, કે.જી.થી જ અંગ્રેજીમાં ભણાવવાની શરૂઆત થઈ છે. આપણે ત્યાં અંગ્રેજીમાં સારું લખતા સર્જકો કોણ? હું કહીશ સૌથી પહેલા મહાત્મા ગાંધી. એમનું ભણતર ગુજરાતીમાં થયું હતું. આર.કે. નારાયણનું ભણતર તમિળમાં હતું. હું પોતે મરાઠીમાં ભણ્યો. અંગ્રેજીમાં લખાણ કરું છું છતાં લઘુતાગ્રંથિ આવી નથી. મારાં અંગ્રેજીમાં લખાયેલાં પુસ્તકો દુનિયામાં ઘણી જગ્યાએ લોકો વાંચે છે. આ અંગ્રેજી કોઈ અન્ય અંગ્રેજી ભાષાથી ખરાબ છે એવું નથી. માતૃભાષામાં ભણતર એ બાળકનો મૂળભૂત અધિકાર છે અને હોવો જોઈએ.”

ડો. ગણેશ દેવીએ અન્યત્ર નોંધ્યું છે તેમ, સમય એટલે જ એ જતો રહેવાનો. એટલે આપણે એવા અન્ય સમયમાં, જે વીતી ચૂક્યો છે એવા સમયમાં સમાઈ જવાનું છે. આપણી દોડ સમય સાથે છે. સમય આપણાથી બળવત્તર છે. એની સામે એક ક્ષણ એવી આવશે કે આપણી દોડવાની તાકાત પૂરી થશે ત્યારે આપણે ત્યાં ઊભા રહેવાનું. એટલે જ્યાં સુધી ચલાય, ચાલવાનું. ન ચલાય ત્યારે ઊભા રહેવાનું. સમય તો આગળ ચાલતો રહેશે. દુનિયા ચલતી રહેગી.

હમણાં હમણાં બ્રાઝિલના રિયો ‘દ જાનેરો ખાતે ઑલમ્પિક રમતો આટોપાઈ. પારિસમાં 1924 વેળાની ઑલમ્પિકમાં, આવી વિશ્વ રમતસ્પર્ધા યોજાયેલી. તેમાં, સ્કૉટલૅન્ડના એરિક લીડલ તથા ઇંગ્લૅન્ડના હેરલ્ડ અબ્રાહ્મસે કમાલનો ઇતિહાસ સર્જી બતાવેલો. 1981માં પ્રદર્શિત થયેલી ‘ચેરિયટ્સ ઑવ્ ફાયર’માં તેની જબ્બર સાખ જડે છે. એક લાંબા અરસાથી ડૉ. ગણેશ દેવીની દોડ, તેનું કામ પોરસાઈને જાણ્યું છે, માણ્યું છે. ભાષા સારુ, મારે મન, ગણેશ દેવી આપણા ‘ચેરિયટ ઑવ્ ફાયર’ જ છે. … તો સમય વીતી જાય એ પહેલાં, ચાલો, તેની ક્ષણને પામી લઈએ; ડો. ગણેશ દેવીની આ ‘નિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર’માં સામેલ થઈ જઈએ.

અમદાવાદ, 8 ઑક્ટોબર 2016

Loading

...102030...3,4173,4183,4193,420...3,4303,4403,450...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved