Opinion Magazine
Number of visits: 9688821
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મ વિષે વિચાર વલોણું

આશા બૂચ|Opinion - Opinion|23 May 2017

ફેઈથ નેટ વર્ક ફોર માન્ચેસ્ટર એક એવું સંગઠન છે જે સર્વ ધર્મ સમભાવ અને કોમી એખલાસ માટે વિવિધ વાર્તાલાપો, શાળાઓમાં જઈને અવેરનેસ સેશન્સ અને વિચાર શિબિરો યોજીને એક સરાહનીય કાર્ય કરી રહી છે. આ સંગઠનમાં સક્રિય થઈને ઉપર ઉલ્લેખ કર્યો છે તે તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મોકો મળ્યો તેને મારુ સદ્ભાગ્ય લેખું છું. માન્ચેસ્ટરને અલવિદા કરી તેના થોડા સમય પહેલાં, fn4m દ્વારા, એક ટચુકડી ફિલ્મ બનાવવાનો પ્રકલ્પ હાથ ધરાયો; જેમાં હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે બોલવાનું કહેવામાં આવ્યું. એ પ્રશ્નોત્તરી અહીં જેમની તેમ રજૂ કરું છું.

સવાલ: હિન્દુ ધર્મ પાળતા સમાજના એક સભ્ય તરીકે માન્ચેસ્ટરમાં રહો છો, તો આ શહેર પાસે તમારી શી આશાઓ છે? તમારા ધર્મના બીજા લોકો પણ આવી જ આશાઓ સેવતા હશે તેમ તમે કહી શકો?

જવાબ: હું મારાં મૂલ્યો વિના રોક ટોક અમલમાં મૂકી શકું તેવું મુક્ત જીવન આ શહેરમાં જીવી શકું તેવી મારી આશા છે. એ મૂલ્યો મારા ધર્મના આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનના વારસાનો પરિપાક છે. અલબત્ત, હું આ મૂલ્યોની જાળવણી અન્યના અધિકારોનું ખંડન કર્યા વિના કરી શકું તેમ ઈચ્છું છું. મને વિશ્વાસ છે કે મોટાભાગના હિન્દુ ધર્મના અનુયાયીઓ કે જેઓ માન્ચેસ્ટરમાં વસે છે અથવા કહોને કે યુનાઇટેડ કિંગ્ડમમાં અથવા સારા ય વિશ્વમાં જ્યાં ક્યાં ય પણ વસે છે તેઓની પણ આવી જ આશા રહે.

સવાલ: તમારા ધર્મનાં મૂળભૂત મૂલ્યો કયા ગણાવી શકો? તમારા ધર્મના અન્ય અનુયાયીઓ એમાં બીજાં કોઈ મૂલ્યોનો ઉમેરો કરી શકે તેમ તમે માનો છો?

જવાબ: જે રીતે હું હિન્દુ ધર્મ સમજી છું અને તેનું અર્થઘટન કરી શકી છું તેના પરથી ત્રણ મુખ્ય મૂલ્યોની તારવણી કરી છે: અ) માનવ તરીકે આપણે બધા જન્મથી સમાન છીએ અને તે સ્વીકારવું. બ) જેવી રીતે સૃષ્ટિની બીજી બધી રચનાઓ વૈવિધ્યથી ભરપૂર છે તેવી જ રીતે માનવ જાત પણ અગણિત વિવિધતાથી સભર છે. એ હકીકતનો આદર કરવો અને તેનો જશમ મનાવવો. ક) અન્યના દ્રષ્ટિકોણને સમજવાની કોશિશ કરો. જો તમે તેને અનુસરી ન શકો તો કમસે કમ પરસ્પર માટેના સમજણપૂર્વકનું સહઅસ્તિત્વ નિભાવવા તેનો સાદર સ્વીકાર કરો. સત્ય, અહિંસા અને શાંતિમય સહઅસ્તિત્વનાં મૂલ્યો આ વિચારમાંથી જ પ્રગટ થયા છે. મારા ધર્મના અન્ય સભ્યો કદાચ પોતપોતાના કૌટુંબિક અને સામાજિક ધારાધોરણનાં મૂલ્યોને કેવી રીતે પાળવા તેની રીતોને તેમાં ઉમેરવા ઈચ્છે.   

સવાલ: હિન્દુ ધર્મના એક સભ્ય તરીકે માન્ચેસ્ટરમાં રહેવામાં તમને કઈ બાબત ખાસ ચિંતનીય લાગે છે? હિન્દુ ધર્મના બીજા અનુયાયીઓને અન્ય બાબતો ચિંતીત કરતી હોય તેવું બને?

જવાબ: મારો અંગત અભિપ્રાય છે કે આજકાલ હિન્દુ ધર્મ વિષેની સમજણ યુવાન પેઢીને અપાય છે તેમાં જરા સંકુચિત દ્રષ્ટિકોણ ભાગ ભજવે છે. હિન્દુ ધર્મ જાણે કે હવે ક્રિયાકાંડ અને રીત રસમો, મૂર્તિ પૂજા અને કુટુંબના પ્રસંગોની અતિ ભવ્ય ઉજવણીઓમાં સંકોડાઇને બંધિયાર થઇ ગયો છે. આપણે આ પુરાતન ધર્મ અને સંસ્કૃિતના આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનના ખજાનાને સમજી, સમજાવીને અમારા પછીની પેઢીને એ મૂલ્યો અને સંસ્કારોને આધુનિક પશ્ચિમી જગતમાં કઈ રીતે અમલમાં મૂકી શકાય તેના વિષે ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ.

સવાલ: તમને કે અન્યોને બ્રિટનમાં હિન્દુ ધર્મના સભ્ય તરીકે રહેવામાં કોઈ પ્રકારનો ભય સતાવે છે?

જવાબ: બધા ધર્મોમાં ઉગ્ર અને જુનવાણી વિચારો તરફની કૂચનું વલણ વધી રહ્યું છે તે ચિંતા જનક છે. પોતાના ધર્મની માન્યતાઓ અને શ્રદ્ધાને ટકાવી રાખવા લોકો વધુ એકાકીપણું પસંદ કરે, જેથી કરીને  બીજા સાથે વાર્તાલાપના માર્ગો બંધ કરી દે અને તેનાથી દરેક કોમ વચ્ચે પરસ્પર અંતર વધે, જે પૂર્વગ્રહને જન્મ આપે અને છેવટ બીજા ધર્મ પ્રત્યે પરાયાપણાની દ્રષ્ટિ કેળવે તેવો આજકાલનો માહોલ રચાયો છે. મને પોતાને કે હિન્દુ ધર્મના અન્ય સભ્યોને હિન્દુ ધર્મ પર જોખમ હોય તેવું નથી લાગતું, પણ અમારા તેમ જ સહુના ધર્મની રક્ષા સુરક્ષિત વાતાવરણમાં કરવાની ઇચ્છ સહજે રહે.

સવાલ: તમારા ધર્મના મુખ્ય આદર્શો કે માન્યતાઓ શી છે?

જવાબ: વસુધૈવ કુટુંબકમ. અનેકતામાં એકતા એ અમારો આદર્શ છે. બીજો સિદ્ધાંત છે, ‘ઈશા વાસ્યમ ઈદમ સર્વમ, યત કિંચ જગત્યામ જગત, તેન ત્યક્તેન ભુંજીથા, મા ગૃધ કસ્યચિત ધનમ’ એટલે જ તો આ જગતમાં જે કંઈ દ્રશ્ય કે અદ્રશ્ય ભાસે છે તે કુદરતનું પેદા કરેલું છે, તેથી તેનો ત્યાગ કરીને અથવા બીજાને આપીને ભોગ કરવો, બધું જ જાત માટે ભોગવવું નહીં અને અન્યની દોલતની કદી ઝંખના પણ ન કરવી એ ઉપદેશ નજર સામે રાખીને જીવન જીવવા સહુ પ્રયત્નશીલ રહે તે જ હિન્દુ ધર્મનું ખરું પાલન થયું ગણાય.

સવાલ: તમારા અને અન્ય ધર્મો વચ્ચે શું સામ્ય છે?

જવાબ: દુનિયાના બધા મુખ્ય ધર્મો માનવતાનાં મૂળભૂત સિદ્ધાંતો પર રચાયેલા છે. તમામ જીવોની પ્રેમ અને કરુણા દર્શાવી સેવા કરો, કોઈ પણ જીવને હાનિ ન પહોંચાડો, તમારાથી ઓછા ભાગ્યશાળી માટે કરુણા અને અનુકંપા ધરાવો અને આપણને બધાને સર્જનહારે મૂળે સમાન ઘડયા છે; આ અને આવા અનેક ઉપદેશાત્મક કથાનક સર્વે મુખ્ય ધર્મોમાં લખેલા-કહેવાયેલા જણાય છે.

સવાલ: હિન્દુ ધર્મ અને અન્ય ધર્મો વચ્ચે પાયાના કયા તફાવતો છે?

જવાબ: હિન્દુ ધર્મ વિષે હંમેશ એમ માનવામાં આવ્યું છે કે તે અનેકેશ્વરવાદમાં માનનારો અને મૂર્તિપૂજક ધર્મ છે, જે સત્ય હકીકત છે. અને એ તફાવત સામાન્ય લોકોની નજરે વધુ પડે છે, જ્યારે તેના આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનના આદર્શો અન્ય ધર્મો સાથે કેટલા મળતા આવે છે તે ભાગ્યે જ કોઈ નોંધે છે. અમારો ધર્મ વિવિધ પ્રતીકોથી ભરપૂર છે. એક ઈશ્વર કે અનેક ઈશ્વરની કલ્પનાની વિભાવનાને સમજવાની જરૂર છે. એ માન્યતાઓ વિષેનું અર્થઘટન એ છે કે એક ઈશ્વર એક છે પરંતુ તેનામાં અનેક ગુણો અને લાક્ષણિકતાઓ હોય છે. દરેક વ્યક્તિ કોઈ ચોક્કસ ખૂબી કે શક્તિને કોઈ એક દેવ કે દેવીમાં આરોપે છે અને એ રીતે તે એક ખાસ દેવ કે દેવી પોતાનામાં એ વિશિષ્ટ ગુણો કેળવવામાં પ્રેરણા રૂપ બને તેવું પ્રાર્થે છે, જેથી કરીને પોતાનામાં રહેલ ખામીઓ દૂર કરી શકે અને તેના પ્રત્યેની શ્રદ્ધાથી જીવનમાં આવતાં વિઘ્નો હિંમતથી પાર પાડી શકે. મને લોકો આવી વિભાવના ધરાવે તેમાં કશું અયોગ્ય નથી લાગતું. જ્યારે લોકો એવા પ્રતીકોને જ ઈશ્વર સ્વરૂપ માની તેના પૂજન-અર્ચનના બાહ્યાચારમાં અટવાઈ જાય અને ધર્મનો મૂળભૂત સિદ્ધાંત વિસારે પડી જાય ત્યારે એ વિષે ચિંતા સેવવી ઘટે. બાકી હિન્દુ ધર્મમાં તો નાસ્તિકનો પણ સ્વીકાર કરવામાં આવે છે. જે ધર્મો મૂર્તિપૂજાના વિરોધી છે અને એક જ ઈશ્વર છે તેમ માને છે તેમાંના કેટલાક લોકોએ હિન્દુ ધર્મના પૂજાગૃહોનો ધ્વંસ પણ કર્યો છે. જો તમે કોઈની શ્રદ્ધાના પ્રતીકોનો નાશ કરો તો તમે તેમના વિશ્વાસનો ભંગ કરો છો. કેટલાક મિશનરીઓ અને ધર્મના આગેવાનોએ હિન્દુ ધર્મના અનુયાયીઓને બળ અથવા ધમકીનો ઉપયોગ કરીને ધર્મ પરિવર્તન કરવાની ફરજ પણ પાડી છે. અને આ એક મોટો તફાવત છે હિન્દુ ધર્મ અને અન્ય ધર્મો વચ્ચે. હિન્દુ ધર્મના ઇતિહાસમાં ક્યાં ય તેણે બીજા ધર્મના લોકોને પોતાનો ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવવા માટે લલચાવ્યા કે બળજબરી કર્યાના ઉદાહરણ નહીં સાંપડે કે તેઓએ ધર્મને નામે અન્ય દેશો પર ચડાઈ કરી તેને ગુલામ બનાવ્યા હોય તેવું કદી બન્યું નથી તેની પણ તવારીખમાં નોંધ થઇ છે.

મારી એવી પાકી સમજ છે કે બધા ધર્મોના પાયાના સિદ્ધાંતો અને ઉદ્દેશ્યો સમાન છે, પરંતુ પૂજા-પ્રાર્થના કરવાની રીત અને કેટલાક ક્રિયાકાંડને અનુસરવાની પદ્ધતિમાં તફાવત હોય છે. એ તફાવતો પાછળના તર્ક અને કારણોને સમજવાની આપણી ક્ષમતાના અભાવ અને વૈવિધ્ય માટેની અસહિષ્ણુતાને પરિણામે સમાજમાં ખુન્નસ અને હિંસાનું વાતાવરણ પ્રવર્તે છે.

અહીં મને કહેતાં આનંદ થાય છે કે સીખ, જુઇશ, ક્રિશ્ચિયન અને મુસ્લિમ ધર્મના પ્રતિનિધિઓને આ જ સવાલો પૂછવામાં આવ્યા અને જો તેમના ઉત્તરોની આગળ જે તે ધર્મનો ઉલ્લેખ કરવામાં ન આવે તો વાચકો કે શ્રોતાઓને એ જવાબોમાં એટલું સામ્ય લાગે કે કયો જવાબ કયા ધર્મના પ્રવક્તાએ આપ્યો છે તે કળી ન શકે.

e.mail : 71abuch@gmail.com

Loading

સિલ્ક રૂટઃ ૨૧મી સદીનું ચાઇનીઝ સપનું

વિશાલ શાહ|Opinion - Opinion|22 May 2017

ભારત હજુયે ગાયનું પૂંછડું પકડીને જલ્લીકટ્ટુના આખલાની જેમ વિકાસદોડ લગાવવાનું સપનું જોઈ રહ્યું છે, જ્યારે ચીન બે હજાર વર્ષ જૂનો સિલ્ક રૂટ સજીવન કરીને સુપરપાવર બનવા તરફ આગળ વધી રહ્યું છે.

વિવાદો અને મુશ્કેલીઓ તો દરેક દેશમાં હતી અને છે, પરંતુ તેનો ઉકેલ તેઓ કેવી રીતે લાવે છે એના આધારે દેશ-સમાજ મહાન બનતા હોય છે. ચીન ૫૦૦ અબજ ડૉલરના ખર્ચે 'વન બેલ્ટ, વન રોડ' નામની યોજના હેઠળ 'ધ સિલ્ક રોડ ઇકોનોમિક બેલ્ટ એન્ડ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી મેરીટાઈમ સિલ્ક રોડ' તૈયાર કરી રહ્યું છે. આશરે બે હજાર વર્ષ જૂનો જમીન અને દરિયાઈ સિલ્ક રૂટ પુનઃજીવિત કરીને તગડો અને ઝડપી નફો કરવાનું સપનું સાહસિક પ્રજાના વારસદારો જ જોઈ શકે! ઈ.સ. પૂર્વે ૨૦૬થી આશરે ૪૦૦ વર્ષ સુધી ચીનમાં શાસન કરનારા હાન વંશના રાજાઓએ વેપાર કરવા અરેબિયા, આફ્રિકા, યુરોપ સુધી જમીન અને દરિયાઈ માર્ગો શોધવાનું સપનું જોયું હતું. આ સપનું તેમણે શૂરવીર સેનાપતિઓ અને છપ્પનની છાતી ધરાવતા પ્રવાસીઓની મદદથી હકીકતમાં પલટ્યું હતું.

ઈ.સ. પૂર્વે ૧૫૬માં થઈ ગયેલા હાન વંશના રાજા વુએ ચાઈનીઝ પ્રદેશની બહારના સામ્રાજ્યોની માહિતી મેળવવાની અને તેમની સાથે ધંધો-વેપારની તકો શોધવાની જવાબદારી ઝાન કિઆંગ નામના અધિકારીને સોંપી હતી. આ આદેશ મળતા જ હાન સામ્રાજ્યમાં ઉચ્ચ હોદ્દો ભોગવતા ઝાન કિઆંગ બીજા અધિકારીઓને હુકમ કરવાના બદલે પોતે જ બહાદુર સૈનિકોની ટુકડી તૈયાર કરીને દરિયો, જંગલો અને ડુંગરો ખૂંદીને નવા રસ્તા શોધવા નીકળી પડ્યો. આ મિશન હેઠળ તેણે સળંગ ૨૫ વર્ષ જમીન અને દરિયાઇ માર્ગે રઝળપાટ કરીને આજના કિર્ગિસ્તાન, કઝાકસ્તાન, તાજિકિસ્તાન, તૂર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાક, ઈરાન, આફ્રિકા અને યુરોપિયન વિસ્તારોની માહિતી ભેગી કરી. ઝાન કિઆંગે આ તમામ દેશોની માહિતી આપતા વિસ્તૃત અહેવાલો રાજા વુને મોકલ્યા. આ અહેવાલમાં તેણે કયા વિસ્તારમાં કોનું રાજ છે?, તેમની સેના અને શસ્ત્રો કેવા છે?, જે તે દેશના લોકોનો શારીરિક દેખાવ કેવો છે?, તેઓ ખેતી કેવી રીતે કરે છે? તેમ જ તેઓ કેવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે? વગેરે સવાલોના જવાબ આપ્યા હતા.

બે હજાર વર્ષ પહેલાં ઝાન કિઆને શોધેલો પ્રાચીન સિલ્ક રૂટ

આ તમામ દેશોમાં લઈ જતા રસ્તા શોધવામાં ઝાન કિઆંગે લૂંટફાટ કરતી જાતિઓ, કુદરતી આફતો, ભૌગોલિક સ્થિતિ અને અને મનોબળ તોડી નાંખતા વિપરિત હવામાનનો સામનો પણ કરવો પડ્યો. જો કે, આ તમામ મુશ્કેલીઓનો ઝાન કિઆંગે હોંશિયારીથી માર્ગ કાઢ્યો કારણ કે, તે વિચક્ષણ બુદ્ધિમતા, ઠંડી તાકાત અને બાવડામાં અખૂટ તાકાત ધરાવતો યોદ્ધો તેમ જ મગજ ચકારાવે ચડાવી દે એવા વ્યૂહ ઘડી શકનારો સેનાપતિ પણ હતો. તેણે કેટલાક વિસ્તારોની જાતમુલાકાત લીધી, તો કેટલાક સ્થળે વફાદાર અને આજ્ઞાંકિત સાથીદારોને મોકલીને સચોટ માહિતી ભેગી કરી. રસપ્રદ વાત એ છે કે, ઝાન કિઆંગના મૃત્યુના આશરે ૧૦૦ વર્ષ પછી થઈ ગયેલા ચાઇનીઝ ઇતિહાસકાર સીમા કિઆંગે 'રેકોર્ડ્સ ઓફ ધ ગ્રાન્ડ હિસ્ટોરિયન' નામના ગ્રંથમાં આ પ્રવાસની રજેરજની વિગતો નોંધી છે. આ ગ્રંથ પ્રમાણે, ઝાન કિઆંગે તેના સાથીદારોની મદદથી ભારતની માહિતી આપતા અહેવાલમાં લખ્યું છે કે, ગ્રેકો બેક્ટ્રિયન સામ્રાજ્યની દક્ષિણ પૂર્વે શેંડુ સામ્રાજ્ય આવેલું હોવાનું મને જાણવા મળ્યું છે. આ લોકો પણ ખેતી કરે છે. ત્યાંનું વાતાવરણ ગરમ અને ભેજવાળું છે. આ લોકો યુદ્ધમાં જાય ત્યારે હાથીઓનો ઉપયોગ કરે છે. આ સામ્રાજ્ય શેંડુ નદીના કિનારે આવેલું છે…

તમને ખ્યાલ આવી ગયો હશે કે, ઝાંગ કિઆંગ 'શેંડુ' એટલે કે સિંધુ સંસ્કૃિતની વાત કરી રહ્યો છે. ગ્રેકો બેક્ટ્રિયન સામ્રાજ્ય એટલે આજનું ઇરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન. અહીં ગ્રેકો એટલે ગ્રીકો અને બેક્ટ્રિયન એટલે ઈરાનના લોકોનું સામ્રાજ્ય હતું. ઝાન કિઆંગના મિશન થકી જ ચીનને ઘોડાને ખવડાવવાના રજકોના બીજ, મજબૂત ખરી ધરાવતા ઘોડા, ભારતીય સંગીત અને જ્યોતિષ શાસ્ત્ર, આયુર્વેદિક દવાઓ, જાતભાતના રોગોમાં અકસીર વનસ્પતિઓ, મસાલા, બૌદ્ધ જ્ઞાન, ઇસ્લામિક વિચાર તેમ જ માર્શલ આર્ટ જેવી વિદ્યાનો પરિચય થયો. એવી જ રીતે, ચીને ભારત, આફ્રિકા અને યુરોપને કાગળ, ચાઈનીઝ ચા, ગન પાવડર, હોકા યંત્ર, ચિનાઇ માટીનાં વાસણો તેમ જ તાઓ અને કોન્ફ્યુશિયસના વિચારોની ભેટ આપી. કેરળમાં સદીઓથી એક બાજુ લાકડાનો સીધો અને બીજી બાજુ ગોળાકાર મૂઠ ધરાવતા તાંસળા આકારના વાસણનો ઉપયોગ થાય છે, જે ચીનની દેન છે. ચીનમાં 'વૉક' નામે ઓળખાતા આ વાસણથી નુડલ્સ, સૂપ સહિતની કોઈ પણ વાનગી બનાવી શકાય છે. દક્ષિણ ભારતના દરિયા કિનારે આજે ય માછલી પકડવાની ચાઇનીઝ નેટ અને પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ વિદ્યા પણ ત્યાં સુધી સિલ્ક રૂટ થકી જ આવી હતી. ઝાંગ કિઆંગની આ સાહસિક યાત્રા પછી જ એશિયા અને યુરોપ એકબીજાની વધુ નજીક આવ્યા અને વેપારની સાથે પ્રચંડ સાંસ્કૃિતક આદાનપ્રદાન પણ થયું. વિશ્વને ચીનનો પરિચય કરાવવા બદલ અને ચીનને વિશ્વથી પરિચિત કરાવવા બદલ ઝાંગ કિઆંગ આજે ય ચીનના 'નેશનલ હીરો' ગણાય છે.

અનેક દેશોમાં વપરાતું ચાઈનીઝ વૉક નામનું આ વાસણ દુનિયાભરમાં સિલ્ક રૂટ થકી પહોંચ્યું હતું

ઝાન કિઆન અને તેણે શોધેલા રસ્તાને ‘સિલ્ક રૂટ’ નામ આપનારા જર્મન વિજ્ઞાની ફર્ડિનાન્ડ વોન રિક્થોફેન 

ઝાંગ કિઆંગે શોધેલા રૂટ થકી ચાઈનીઝ, આરબો, ભારતીયો, સોમાલિયનો, સીરિયનો, ઈરાનિયનો, તૂર્કો, પર્શિયનો, જ્યોર્જિયનો (આજના રશિયન, યુક્રેનિયન), સોગેડિયનો (આજના ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન), ગ્રીકો અને રોમનો (ગ્રીકો-રોમનો જુદા છે) સંપર્કમાં આવ્યા અને પરસ્પર વેપાર કરતા થયા. આ જ રસ્તે ચીનના વેપારીઓએ સદીઓ સુધી સિલ્ક એટલે કે રેશમનો ધીકતો ધંધો કર્યો . ઇ.સ. ૧૮૬૮થી ૧૮૭૨ વચ્ચે જર્મન પ્રવાસી, વિજ્ઞાની અને ભૂગોળવેત્તા ફર્ડિનાન્ડ વોન રિક્થોફેને ચીનની સાત વાર મુલાકાત લઈને સિલ્કના વેપારની ખાસ નોંધ લીધી હતી. આ રસ્તાને તેમણે જ સૌથી પહેલાં ‘સિલ્ક રૂટ’ નામ આપ્યું હતું. ચીનના લોકો સુરક્ષિત વેપાર માટે અત્યંત સભાન હતા અને એટલે જ વેપાર માટે સારા માર્ગો શોધવા સાહસયાત્રાઓ કરતા કે ધનદોલત ખર્ચતા ખચકાયા ન હતા. ચીનની દીવાલ બાંધવાનો એક હેતુ સિલ્ક રૂટનું રક્ષણ કરવાનો પણ હતો. જૂન ૨૦૧૪માં યુનેસ્કોએ મધ્ય ચીનથી મધ્ય એશિયા સુધી જતા પાંચ હજાર કિલોમીટર લાંબા પ્રાચીન સિલ્ક રૂટને 'વર્લ્ડ હેરિટેજ સાઇટ' જાહેર કરી હતી.

પ્રાચીન સિલ્ક રૂટ શોધાયાની સદીઓ પછી, આશરે ૧૫મી સદીની શરૂઆતમાં, મિંગ વંશના નૌકા કાફલાના કપ્તાન ઝેંગ હેએ સાત વાર હિંદ મહાસાગરના રસ્તે જુદા જુદા દેશોની મુલાકાત લીધી. ઝેંગ હેએ શ્રીલંકાના ગેલ શહેરની મુલાકાત લીધી. ત્યાં તેણે ચાઈનીઝ, પર્શિયન અને તમિળ ભાષામાં હિંદુ દેવીદેવતાઓને વિનંતી કરતો એક શિલાલેખ કોતરાવીને લખાવ્યું કે, હે ઇશ્વર હું વેપાર-ધંધા થકી એક શાંતિપૂર્ણ વિશ્વનું સર્જન કરવા માંગું છું. મારા આ પ્રયત્નોમાં મને સાથ આપો … આશરે છ સદી પહેલાં લખાવેલા આ શબ્દો આજે ય કોલંબો નેશનલ મ્યુિઝયમના અડીખમ શિલાલેખમાં વાંચવા મળે છે.

નાઉ કટ ટુ, ૨૦૧૭.

ઝેંગ હેની સાહસયાત્રાની છ સદી પછી ચાઈનીઝ પ્રમુખ શી જિનપિંગ પણ 'વન બેલ્ટ, વન રોડ' યોજના હેઠળ વેપાર-ધંધા વધારીને શાંતિપૂર્ણ વિશ્વનું સર્જન કરવા માગે છે. જિનપિંગની આ સ્વપ્નિલ યોજના હેઠળ બીજી પણ અનેક વિશાળ યોજનાઓ આકાર લઈ રહી છે. પ્રાચીન સિલ્ક રૂટને પુનઃજીવિત કરવો એ ચીનની વિદેશ નીતિનો અત્યંત મહત્ત્વનો હિસ્સો છે. આ જ યોજના હેઠળ ચીન બાંગ્લાદેશ-ચીન-ભારત-મ્યાંમાર ઇકોનોમિક કોરિડોર, ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, ચોંગકિઆંગ-શિનજિયાંગ-જર્મની રેલવે તેમ જ યિવૂ-લંડન રેલવે લાઈન જેવી યોજનાઓ પર કામ કરી રહ્યું છે. ચીન મેરીટાઇમ સિલ્ક રોડ એટલે કે ચોક્કસ દરિયાઇ રૂટનો અમલ કરવા પણ પ્રયત્નશીલ છે. આ યોજના માટે ચીન વિશ્વના લગભગ બધા જ દેશોને મનાવવામાં સફળ રહ્યું છે.

મલેશિયાના મલાકા શહેરમાં ઊભેલું ઝેંગ હેનું પૂતળું અને બાજુમાં શ્રીલંકાના ગેલ શહેરમાં તેણે તૈયાર કરાવેલો શાંતિનો શિલાલેખ

ચીનનું કહેવું છે કે, આ યોજનાથી યુરેઝિયા(યુરોપ-એશિયા)નો સંયુક્ત વિકાસ થશે, આર્થિક સહકાર વધુ મજબૂત અને ઊંડા બનશે, યોગ્ય રસ્તા બનાવવાથી સમય અને પૈસા બચશે, વેપાર ઝડપી બનશે તો રોકાણો પણ ઝડપથી આવશે તેમ જ સાંસ્કૃિતક આદાનપ્રદાન વધશે. ચીને બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત અને દક્ષિણ આફ્રિકા) દેશો સાથે મળીને ન્યૂ ડેવલપમેન્ટ બેંકની પણ રચના કરી છે, જેના થકી સિલ્ક રોડની યોજનાઓમાં રોકાણની તકો અનેક ગણી વધી જશે.

જેબ્બાત. ૨૧મી સદીમાં ફક્ત બંદૂકની ગોળીથી રાજ નહીં થઈ શકે એ વાત ચીનના મોડર્ન ઝાન કિઆંગ ઉર્ફે શી જિનપિંગ જાણે છે. ચીને સિલ્ક રૂટ ટુરિઝમની દિશામાં વિચારવાનું પણ ચાલુ કરી દીધું છે. ચીને ૧૪-૧૫ મેના રોજ સિલ્ક રૂટ મુદ્દે ચર્ચા કરવા બેજિંગમાં ૨૮ દેશના વડાની બેઠક યોજીને જિનપિંગનું વિઝન સ્પષ્ટ કરી દીધું છે. અત્યારે તો ડ્રેગન ડાહી ડાહી વાત કરી રહ્યો છે, પરંતુ વર્ષો પહેલાં ચીને વેપાર માર્ગની સુરક્ષા માટે ચીનની દીવાલ બાંધી હતી. હવે ચીન શું કરશે એ કળી શકાય એમ નથી પણ ઇતિહાસ પર નજર કરવી જરૂરી છે. શ્રીલંકામાં શાંતિનો સંદેશ કોતરાવનારા ઝેંગ હેએ આજના શ્રીલંકા, ઇન્ડોનેશિયા, મ્યાંમાર અને દક્ષિણ ભારતના દરિયા કિનારે આવેલા સામ્રાજ્યોમાં કઠપૂતળી સરકાર બેસાડવા વંશપરંપરાગત શાસનમાં લશ્કરી હસ્તક્ષેપ કર્યો હતો. ઝેંગ હે 'શાંતિદૂત' હતો પણ તેને ‘ચીનના શાસન હેઠળ જ શાંતિપૂર્ણ શાસન’ ખપતું હતું! શ્રીલંકાના સાર્વભૌમત્વના પ્રતીકસમા ભગવાન બુદ્ધનો એક દાંત હાલ ચીન પાસે છે, જે ઝેંગ હે લઈ ગયો હતો. આજના સિલ્ક રૂટથી ચીન સહિત બધા દેશને ફાયદો થવાનો છે એ વાત ખરી, પરંતુ ચીન સિલ્ક રૂટ થકી કોઈ દેશમાં સીધી લશ્કરી દખલગીરી નહીં કરે એવું ખાતરીથી કોઈ કહી શકે એમ નથી!

હવે આપણે શું કરવું જોઈએ? ઇતિહાસ વિજેતાઓ લખતા હોય છે અને તક દરેકને મળતી જ હોય છે. આપણે નકલી રાષ્ટ્રવાદ, દંભી સર્વધર્મ સમભાવ અને પાયાથી જ ખોખલા સમાનતાના અવગુણોને છુપાવવા ડાલ ડાલ પે સોને કી ચીડિયા, મહાન સંસ્કૃિત, પ્રાચીન જ્ઞાન અને મેરા ભારત મહાનની પિપૂડી વગાડ્યા કરવી છે કે પછી દુનિયા જોતી રહી જાય એવી રીતે ૨૧મી સદી તરફ નજર રાખીને આગળ વધવાનું શૌર્ય બતાવવું છે?

જવાબ ફક્ત રાજકારણીઓએ નહીં, આપણે બધાએ આપવાનો છે!

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk

Loading

ગુજરાતને ગણિત શીખવનાર અને દુનિયાને વૈદ્ય મેટ્રિક સિદ્ધાન્ત આપનાર મૂલ્યનિષ્ઠ અધ્યાપક

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|22 May 2017

પ્ર.ચુ. વૈદ્યસાહેબના જીવનની કેટલીક રસપ્રદ બાબતો  ઓછી જાણીતી છે…

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ગુજરાતી ગણિતજ્ઞ પ્ર.ચુ. વૈદ્યનું જન્મશતાબ્દી વર્ષ 23 મેના, મંગળવારથી શરૂ થાય છે.

વૈદ્યસાહેબનું નામ આઇન્સ્ટાઈનના સાપેક્ષતાવાદના અભ્યાસીઓમાં જાણીતું છે તે તેમણે આપેલા એક સિદ્ધાન્તને કારણે. જે રીતે ભૌતિક શાસ્ત્રમાં સી.વી. રામનના નામે રામન ઇફેક્ટ તેમ ખગોળ ભૌતિકમાં પી.સી. વૈદ્યના નામે ‘વૈદ્ય મેટ્રિક’ એટલે કે વૈદ્યમાન. ‘ગૂગલના માહિતીસંગ્રહ મુજબ જગતમાં ખભૌતિકનાં જે સંશોધનપત્રો લખાયાં તેમાં વૈદ્ય મેટ્રિકનો ઉલ્લેખ એક લાખ વીસ હજારથી પણ વધુ વાર થયો છે’ – આ વિગત વૈદ્યસાહેબના સુવાંગ જીવનચરિત્ર ‘આપણી મોંઘી ધરોહર’માં મળે છે. સાહેબના ભત્રીજા અને ગણિતના વરિષ્ઠ અધ્યાપક અરુણ મ. વૈદ્યએ લખેલું આ પુસ્તક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે છએક મહિના પહેલાં બહાર પાડ્યું છે.

તેમાં લેખક એ પણ માહિતી આપે છે કે આ સિદ્ધાન્ત તો વૈદ્ય સાહેબે પચીસ વર્ષની ઉંમરે આપ્યો. તે પછી પણ તે સિદ્ધિવંત જીવન જીવ્યા. દેશવિદેશની યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં અધ્યાપન કર્યું તેમ જ વ્યાખ્યાનો આપ્યાં. ગુજરાત યુનિવર્સિટી તેમ જ વેડછીની ગાંધી વિદ્યાપીઠના વાઇસ-ચાન્સલર પદે રહ્યા. રાજ્યના તેમ જ દેશના જાહેર સેવા આયોગના અનુક્રમે અધ્યક્ષ અને સભ્ય નિમાયા. આ બધા વચ્ચે ગુજરાતનું શિક્ષણ જગત તેમનું ઋણી રહેશે તે ગણિતના સ્તરને ઊંચે લઈ જવાના તેમના પ્રદાન બદલ. ‘ગુજરાત ગણિત મંડળ’ થકી તેમણે શિક્ષકો તેમ જ  વિદ્યાર્થીઓ માટે કાર્યશાળાઓ, તાલીમ વર્ગો અને  ગણિત સ્પર્ધાઓ જેવા ઉપક્રમો હાથ ધર્યા. તેમણે વર્ષો લગી સંપાદિત કરેલું ‘સુગણિતમ્‌’ સામયિક આજે 286મા અંક સાથે ‌‌‌‌પંચાવનમાં વર્ષમાં છે. એક પ્રકાંડ વિદ્વાન પોતાના વિષયને કેન્દ્રમાં રાખીને લોકોના સ્તરે આવીને સમાજને કેવું નક્કર પ્રદાન કરી શકે છે તેનો દાખલો વૈદ્યસાહેબના ગણિતશિક્ષક-પ્રચારક તરીકેના કામમાંથી મળે છે.

જૂનાગઢ પાસેના શાપુર ગામમાં 1918માં જન્મેલા વૈદ્યસાહેબની સત્તાવાર જન્મતારીખ 23 માર્ચ ‘ભૂલમાં’ નોંધાઈ છે એવી સ્પષ્ટતા અરુણ વૈદ્યે ‘જન્મ અને શૈશવ’ નામના ત્રીજા પ્રકરણમાં કરી છે. સાહેબના જીવનની કેટલીક બાબતો ખૂબ રસપ્રદ હોવા છતાં તેમની સંશોધક તરીકેની કીર્તિ હેઠળ ઢંકાઈ ગઈ છે. જેમ કે, વૈદ્ય મેટ્રિક માટેના પહેલા અભ્યાસ પત્રના લેખક તરીકે તેમણે પોતાના નામની સાથે સંશોધન માર્ગદર્શક પ્રોફેસર વામન વિષ્ણુ નારળીકર(વિખ્યાત વૈજ્ઞાનિક જયંત નારળીકરના પિતા)નું નામ પણ મૂક્યું હતું, જે અલબત ગુરુએ સ્વીકાર્યું ન હતું. આંકડા, સમીકરણો અને ગ્રંથોમાં રત રહેનાર વૈદ્ય સાહેબ એક તબક્કે લાલ માટીના અખાડામાં દંડ-બેઠક અને લાઠીના દાવ માટે લગાવ ધરાવતા હતા. એપ્રિલ 1941 થી જૂન 1942 દરમિયાન તેમણે મુંબઈના માલાડમાં એક અખાડનું સંચાલન કર્યું હતું. આ અખાડો, બહુ રોમાંચક જીવન જીવેલા દેશભક્ત અને પ્રહ્લાદના એક આદર્શ સરદાર પૃથ્વીસિંહ રાણાએ અહિંસક વ્યાયામ સંઘ તરીકે શરૂ કર્યો હતો. તે અંગે સામ્યવાદી પૃથ્વીસિંહે ગાંધીજી સાથે ચર્ચા પણ કરી હતી. વૈદ્ય સાહેબની દેશભક્તિ એવી તીવ્ર હતી કે તેમણે સોએક યુવાનોના ઘડતરનું આ કામ રાજકોટની ધર્મેન્દ્રસિંહ કૉલેજમાં  અધ્યાપક તરીકેની નોકરી પડતી મૂકીને કર્યું હતું. તેમણે લખ્યું છે ‘ચૉક અને ડસ્ટર છોડીને લાઠી અને લેજીમનો સાથ લીધો હતો.’ વિશ્વયુદ્ધ સહિતની ઉથલપાથલો તેમ જ પૃથ્વીસિંહ અને ગાંધીજી વચ્ચેના રાજકીય મતભેદોને કારણે સંઘ બંધ થતાં વૈદ્ય પાછા કામની શોધમાં લાગ્યા હતા. પૃથ્વીસિંહનું જે એક સંભારણું વૈદ્યસાહેબે આજીવન સક્રિય રાખ્યું હતું તે તેમની પાસેથી ભેટ મળેલી ડેટન કંપનીની સાયકલ. અમદાવાદના જાણીતા સાયકલિસ્ટોમાંના એક એવા વૈદ્ય સાહેબ પંચોતેરના થયા ત્યાં સુધી ગુજરાત યુનિવર્સિટીના ગણિત વિભાગમાં સાયકલ ચલાવીને જતા !

હંમેશાં ખાદી પહેરનાર વૈદ્યસાહેબ પર ગાંધીજીનો નોંધપાત્ર પ્રભાવ હતો. તેમણે 'ચૉક અને ડસ્ટર' નામે લખેલાં સંસ્મરણોમાં 1943ના ફેબ્રુઆરીનો પ્રસંગ આલેખ્યો છે : 'ગાંધીજીના અપવાસ અંગેના સમાચાર જાણવાની ઇંતેજારીમાં ઝાડ નીચે આંટા મારતાં મારતાં મને ખ્યાલ આવ્યો કે સાદા પ્રવાહી માટે તો ગતિમાર્ગ ઘનરેખા હોય. પણ પ્રકાશની ગતિ તો સઘળા પદાર્થની ગતિ કરતાં વધુ છે. આઇન્સ્ટાઈનના 1905ના સાપેક્ષતાના પહેલા સિદ્ધાન્ત મુજબ તો પ્રકાશનો ગતિમાર્ગ શૂન્ય-રેખા લેવો જોઈએ ! અને એક વાર દિશા સૂઝી એટલે ઝપાટાબંધ  કામ ચાલ્યું. એક તરફથી ગાંધીજીની તબિયત સુધરી ગઈ, અપવાસ સુખરૂપ પૂરા થઈ ગયા. બીજી તરફથી અમે સૂર્યપ્રકાશ ગણતરીમાં લઈ આઇન્સ્ટઈન-સમીકરણોનો એક સુંદર ઉકેલ મેળવી લીધો.

એક મનીષી વિશે ચિંતા કરતા બીજા મનીષી અંગે દર્શન લાધે એ અદ્દભુત યોગાયોગ છે. વૈદ્યસાહેબે 'ગાંધી અને આઇન્સ્ટાઈન' પર માનવતાવાદ અને વિશ્વશાંતિના સંદર્ભમાં વ્યાખ્યાન આપ્યું હતું. વળી ગાંધીવાદ અને સામ્યવાદ એ બંનેને તેઓ આદર આપતા, 'પરંતુ એ બંને વચ્ચેની કશ્મકશ પણ કાયમ ચાલતી' ,એમ અરુણ વૈદ્યે નોંધ્યું છે. વૈદ્યસાહેબના સાદગીભર્યા છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સ્વમાનીપણાના પ્રસંગો લખનાર અરુણભાઈ એમ પણ નોંધે છે : 'પોતાના ઓરડામાં તે કાકીને વાંસળીની ધૂનો અચૂક સંભળાવે'. લેખનકલા પણ એમને અવગત હતી એનો ઉત્તમ પૂરાવો 'પસ્તીનાં પાનાં' પુસ્તકની 150 'નિબંધિકાઓ'. તેમાં તેમનું સંવેદન તણખલાંથી તારમંડળ લગી, પગરિક્ષા ચલાવનાર મજૂરથી ભારતના પહેલા પરમાણુ વિસ્ફોટ સુધી, કવિ કાલિદાસથી રશિયન ગણિતી કોવાલેવ્સ્કાયા સુધી વિસ્તરે છે.

વૈદ્ય સાહેબનું વિરલ સન્માન એટલે તેમની પરનો એક અંગ્રેજી અભિવાદન-ગ્રંથ. તેનું નામ છે 'એ રૅ ન્ડ મ વૉક ઇન રિલેટિવિટી અ‍ૅ ન્ડ કૉસ્મૉલૉજિ : એસેઝ ઇન ઑનર ઑફ પી.સી. વૈદ્ય અ‍ૅન્ડ એ.કે. રૉયચૌધુરી'. અમલકુમાર રૉયચૌધુરી કોલકાતાની પ્રેસિડેન્સિ કૉલેજના અધ્યાપક હતા. આ અ‍ૅકેડેમિક અભિવાદનગ્રંથમાં એક પણ પ્રશસ્તીલેખ નથી, પણ સાપેક્ષતા અને બ્રહ્માંડવિદ્યા વિષયો પર દુનિયાભરના એકવીસ વિજ્ઞાનીઓના સંશોધનલેખો છે. તેમાં ચાર ફ્રાન્સના, ઈટાલી, જાપાન અને દક્ષિણ આફ્રિકામાંથી દરેકના બે લેખકો છે. ઇંગ્લે ન્ડ, અમેરિકા, બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયાના એક-એક અને ભાવનગરના બે વિજ્ઞાનીઓ છે. ગ્રંથની પ્રસ્તાવનામાં સંપાદકો કહે છે : ' ભારતમાં ત્રીજી પેઢીના સાપેક્ષતા-અભ્યાસકો માટે વૈદ્ય અને રૉયચૌધુરી આદરણીય અને પ્રેરણાદાયી શિક્ષકો છે … દુનિયાના જુદા જુદા દેશોના વિજ્ઞાનીઓએ આ ગ્રંથમાં લેખન કર્યું છે. આ ઘટના વૈદ્ય અને રૉયચૌધુરીએ સાપેક્ષતા અને બ્રહ્માંડવિદ્યાના સંશોધનમાં કરેલા આંતરરષ્ટ્રીય મહત્ત્વનું ઉચિત ગૌરવ છે.' વિશ્વના વિદ્યાજગતે પ્ર.ચુ. વૈદ્યસાહેબને આપેલી આ કેટલી ભવ્ય માનવંદના છે તે ભાગ્યે સમજાવવાને જરૂર છે.

વૈદ્યસાહેબ તેમના વિશેના દસ્તાવેજી ચિત્રપટમાં કહે છે : 'ગણિત શીખવવાનું અઘરું હોઈ શકે, પણ શીખવું અઘરું નથી … દુનિયાના કોઈ દેશની નથી તેવી ગણિત પરંપરા આપણા દેશના લોકોને મળી છે. અલબત્ત આ વાંચીને આપણો રાષ્ટ્રપ્રેમ ઊભરાઈ જાય તે પહેલાં 'પસ્તીનાં પાનાં'ના દસમાં પાને વૈદ્યસાહેબને વાંચીએ : 'મને આ ગુરુ-શિષ્ય પરંપરામાં શ્રદ્ધા નથી … મારો ગુરુ હું પોતે, મારે વળી બીજા ગુરુની શી જરૂર ? … અને જો હું એવી આત્મશ્રદ્ધા ધરાવતો હોઉં તો પછી મારે ગુરુની જરૂરત શી રહી?

3 મે 2017

+++++

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક “નવગુજરાત સમય” માંહેની લેખકની સાપ્તાહિક કટાર, 19 મે 2017 

Loading

...102030...3,4133,4143,4153,416...3,4203,4303,440...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved