Opinion Magazine
Number of visits: 9584509
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સેવા અને કટ્ટરતાની કાતિલ જુગલબંદી

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|4 April 2017

બે-પાંચ માણસની ઠંડા કલેજે હત્યા કરનાર જણ કીડિયારું પૂરે તો તેની જીવદયાનાં વખાણ કરવાનાં ?

દેશભરમાં તેની 173  સ્કૂલ ચાલે છે, જ્યાં આશરે અઢાર હજાર વિદ્યાર્થીઓ ભણે છે. એક રાજ્યમાં તેની ત્રણ હોસ્પિટલ અને 66 એમ્બ્યુલન્સ ચાલે છે. બે હજાર ડોક્ટર ત્યાં માનદ્ સેવા આપવા તૈયાર હોય છે. હોસ્ટિપલમાં આંખની લેસર સર્જરી મફત થાય છે. તેનાં દવાખાનામાં દાંતની રૂટકેનાલ સર્જરી ફક્ત પચાસ રૂપિયામાં થતી હતી. ધરતીકંપ અને પૂર વખતે તેના સ્વયંસેવકોએ રાહતકાર્યોમાં સક્રિય ભાગ લઇને ભારે કામ કર્યું હતું. તેની સેવાપ્રવૃત્તિનો એક હેતુ ખ્રિસ્તી મિશનરી પ્રભાવનો મુકાબલો કરવાનો પણ છે …

ઉપરનું વર્ણન વાંચીને તમારા મનમાં જે સંગઠનનું નામ આવ્યું હોય તે (અને જે આદરભાવ છલકાયો હોય તે), પણ તે વર્ણન પાકિસ્તાની સંગઠન જમાત-ઉદ્-દાવાનું છે. તે ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની પાંખ છે.

***

કોરી ને નકરી કટ્ટરતા કદાચ ટકાઉ બનતી નથી. તેને લાંબું ટકાવવી હોય અને મુખ્ય ધારામાં મહત્ત્વનું પરિબળ બનાવવી હોય તો તેમાં ધર્મ ભેળવવો પડે. ઘણી વાર કટ્ટરતાનું જન્મસ્થાન જ ધર્મ હોય છે. આ ધર્મ એટલે આદર્શ – સાચો ધર્મ નહીં, પણ વ્યક્તિગત-સંસ્થાગત-પક્ષગત સ્વાર્થ સાધવામાં મદદરૂપ થાય એવો સગવડિયો ધર્મ. કટ્ટરતા અને સગવડિયા ધર્મનું ઘાતક મિશ્રણ થયા પછી નિર્દોષ માનવીઓથી માંડીને મહાત્માઓની હત્યાને વાજબી ઠેરવી શકાય. વાજબી જ નહીં, ‘ધર્મ્ય’ ગણાવી શકાય. સ્વાર્થ માટે ખપમાં લેવાયેલો ધર્મ પરંપરાગત સ્થાપિત ધર્મ જ હોય એવું જરૂરી નથી. રાષ્ટ્રવાદને પણ એ અર્થમાં ‘(સગવડિયો) ધર્મ’ બનાવી શકાય – એવો ‘ધર્મ’, જેનું મુખ્ય કામ રાષ્ટ્રના તમામ નાગરિકોને સાથે રાખવાનું – તેમનું હિત ઇચ્છવાનું નહીં, તેમનામાં વિભાજન પ્રેરીને કટ્ટરતા ફેલાવવાનું હોય.

અંતિમવાદના ધંધામાં રહેલા લોકોને ઘણા કિસ્સામાં કટ્ટરતા અને સગવડિયા ધર્મનું મિશ્રણ પૂરતું લાગતું નથી. એ વખતે તેમાં ઉમેરાતું ત્રીજું પરિબળ છેઃ સેવા. કટ્ટરતાની કે સગવડિયા ધર્મની ટીકા થઈ શકે, પણ સેવાની ટીકા કોણ કરી શકે? અને સેવાની કોઈ ટીકા કરે, તો તેમાં કિંમત ટીકાકારની ન થાય? ધારો કે કુદરતી હોનારત વખતે કોઈ સંસ્થા પીડિતોની મદદ કરે, સરકારી તંત્ર કરતાં વધારે કાર્યક્ષમતા – પ્રતિબદ્ધતાથી બચાવકાર્ય કરે, તો તેની ટીકા કેવી રીતે કરી શકાય? 

સેવાની ઢાલનો અસરકારક ઉપયોગ કરવાનું અંતિમવાદી સંસ્થાઓને બહુ ફાવે છે ને બહુ અનુકૂળ પણ પડે છે. કારણ કે તેમનાં ઉઘાડેછોગ અંતિમવાદી વલણોની ટીકા થયા કરતી હોય છે. તેમાં સગવડિયા ધર્મનો ભેગ કર્યા પછી પણ ટીકાથી પૂરેપૂરી મુક્તિ મળતી નથી. તેનો શો ઉપાય? જવાબ છેઃ સમાજસેવા. હા, એક મ્યાનમાં કટ્ટરતા અને સમાજસેવા, ત્રાસવાદ અને રાહતકાર્ય, અંતિમવાદ અને સેવાકાર્ય રહી શકે છે. સામાન્ય લોકો તે બન્ને વચ્ચેની એકરૂપતા જોઈ શકતા નથી. કટ્ટરવાદની તલવારને છુપાવવા માટે સેવાની મખમલી મ્યાન વાપરવાની વ્યૂહરચના તેમને સમજાતી નથી. કોઈ સમજાવે ત્યારે પણ તે સ્વીકારવાનું મન થતું નથી. (સગવડિયા) ધર્મ કે (વિભાજક – ધીક્કારપ્રેરક) રાષ્ટ્રવાદ જેવાં પરિબળોની શરમ નડી જાય છે.

સમાજસેવા અને હિંસક કટ્ટરતા-અંતિમવાદ-આતંકવાદની જુગલબંદી આજકાલની નથી. શ્રીલંકાના તમિલ ટાઇગર્સ (LTTE), પેલેસ્ટાઇનનું ‘હમાસ’, લેબનોનનું હિઝ્બુલ્લા, ઇજિપ્તનું ઇસ્લામિક બ્રધરહૂડ, પાકિસ્તાનનું જમાત-ઉદ્-દાવા … આ તો કેટલાંક અત્યંત જાણીતાં નામ છે. આમ તો આ મોડેલ બહુ જૂનું અને જાણીતું છે. થોડી છૂટછાટ સાથે આપણે તેને ‘રોબિનહૂડ મોડેલ’ કહી શકીએ, જેમાં ‘વ્યાપક જનહિતમાં અમુક લોકોનું અહિત’ કરવામાં આવે છે અને તેને વાજબી, ન્યાયી, ધર્મ્ય તરીકે ખપાવવામાં આવે છે. રોબિનહૂડની અસલ કથા મુઠ્ઠીભર શોષણખોર અમીરોને લૂંટીને ગરીબોને વહેંચતા દિલેર જવાનની હતી. કટ્ટર, અંતિમવાદી જૂથોના ‘શત્રુ’ મુઠ્ઠીભર નહીં, ઘણા બધા હોય છે. તેમની સામે શબ્દોથી કે શસ્ત્રોથી કે બન્ને વડે ધીક્કાર – અને વખત આવ્યે હિંસક કાર્યવાહી – આચરવામાં આવે છે.  ઇસ્લામમાં અંદરોઅંદર લડતાં શિયા-સુન્ની જૂથોને બોમ્બધડાકા કરાવીને નિર્દોષોને મારી નાખવામાં કશો ક્ષોભ થતો નથી. છતાં એવાં અમાનવીય કૃત્યો કરાવનારની કે તેને સમર્થન આપનારની સેવાસંસ્થાઓ ચાલતી હોઈ શકે અથવા અમુક આફતોના સમયે તેમની કેડર સક્રિય થઈ શકે.

આ પ્રકારની સેવાપ્રવૃત્તિને કારણે તેમની કટ્ટરતા, તેમનો અંતિમવાદ, તેમણે ફેલાવેલી વિભાજક વિચારધારાને વિસારે પાડી દેવાનાં? એ બધાં કરતૂતો ભણી આંખ આડા કાન કરવાનાં? બે-પાંચ માણસની ઠંડા કલેજે હત્યા કરનાર જણ કીડિયારું પૂરે કે પાણીમાં ડૂબતા મંકોડાને પાંદડા પર ચડાવીને તેનો જીવ બચાવે, તો ‘તટસ્થતા’ની આણ આપીને તેની જીવદયાનાં વખાણ કરવાનાં? કે પછી પ્રમાણભાન જેવી કોઈ ચીજનો પણ ઉપયોગ કરવાનો?

પરંતુ પ્રમાણભાનનો ઉપયોગ હંમેશાં સૌથી ઓછો આકર્ષક રહ્યો છે. લાગણીના ને પ્રચારના ધસમસતા વહેણમાં કશી મહેનત કર્યા વિના આગળ વધવાનું સુખ છોડીને, પ્રમાણભાનની પંચાતમાં કોણ પડે? એમાં વળી સરકારોની ઉપેક્ષા કે તેમનો ગેરવહીવટ ઉમેરાય છે. સરકારો જે કરી શકતી નથી, તે બીજી (ભલે અંતિમવાદી, ત્રાસવાદી કે કટ્ટર કે સાંપ્રદાયિક) સંસ્થાઓ કરી બતાવે એટલે પ્રમાણભાન ગૌણ બની જાય છે. ‘ગમે તે હોય, પણ પેલી આફત વખતે આ જ લોકોએ કેવું જોરદાર કામ કર્યું હતું’ એવી પ્રશંસા અને તેનો પ્રચારપ્રસાર કટ્ટર સંસ્થાઓનાં મૂળિયાં મજબૂત બનાવે છે. ISIS કે અલ કાઈદા જેવાં સંગઠનો નકરાં ત્રાસવાદી સંગઠન ગણાયાં છે. તેમની સેવાપાંખ નથી.

તે ફક્ત ખૂનખરાબામાં અને ધીક્કાર ફેલાવવામાં માને છે. તેમની સામે અમેરિકા સહિતના દેશો ધડબડાટી બોલાવી શકે છે. અલ કાઇદાનો મુખ્ય ત્રાસવાદી લાદેન છુપાયો હોવા છતાં તેને શોધીને ખતમ કરી શકે છે. પણ લશ્કર-એ-તૈયબા(અને જમાત-ઉદ્-દાવા)નો હાફિઝ સઇદ ખુલ્લેઆમ છૂટો ફરે છે. તેના માથે મોટું ઇનામ છે. છતાં તેને હાથ અડાડી શકાતો નથી. તેનું એક કારણ પાકિસ્તાનના લશ્કરી કે જાસૂસી કે બન્ને તંત્રો તરફથી તેને મળતો ટેકો તો ખરો જ. ઉપરાંત, સેવાપ્રવૃત્તિની આણ પણ ખરી.

આવી સેવાપ્રવૃત્તિ થોડા નાગરિકોને ટૂંકા ગાળાનો ફાયદો કરતી હશે, પણ લાંબા ગાળે સમાજના-દેશના વાતાવરણમાં ઝેર ઘોળે છે. ધીક્કાર એવી બંદૂક છે, જેની બન્ને બાજુએ રહેલા લોકોમાં બીક, અસલામતી, અવિશ્વાસ અને સરવાળે અશાંતિ જન્મે છે. તે રાજ્યને કે દેશને નાજુક પરિસ્થિતિમાં લાવીને મૂકી દે છે. કટ્ટરતા સાથે સીધી સાંઠગાંઠ ધરાવતી સેવા ધીમા ઝેરમાં ભેળવેલી ગુણકારી દવા જેવી નીવડે છેઃ ટૂંક સમયમાં ઝેરનો પ્રભાવ દવાની અસરને આંબી જાય છે. હવે પછી કોઈ કટ્ટરતાવાદી સેવાની ધોંસ જમાવવા જાય ત્યારે આ વિગતો તેમની સામે ધરજો. તેમને દલીલમાં હરાવવાનું જરૂરી નથી. નાગરિક તરીકે આ વાત જાતે સમજવાનું ને સેવારૂપી ઘેટાની ખાલ તળે રહેલા કટ્ટરતાના વાઘને ઓળખવાનું જરૂરી છે.

ઉર્વીશ કોઠારી, લેખક જાણીતા પત્રકાર અને વિશ્લેષક છે

સૌજન્ય : ‘‘તટસ્થતા’ની આણ’, “દિવ્ય ભાસ્કર”, 04 અૅપ્રિલ 2017 

Loading

આપણી આનુવંશિક ઊણપો

પ્રવીણ પંડયા|Opinion - Opinion|4 April 2017

યુપીની કારમી હાર પછી પણ પરંપરાગત બૌદ્ધિકો સેલ્ફ-ઍનાલિસિસની મુદ્રામાં આવ્યા હોય એવું નથી દેખાતું, અને ભાજપની સત્તા સામે લડવા તૈયાર થયેલો નવ્ય બુદ્ધિજીવી યુવા વર્ગ કાં તો ઘર તરફ પાછો વળી રહ્યો છે અથવા ભાજપ દ્વારા પ્રચારિત ‘સહુનો સાથ, સહુનો વિકાસ’નું સૂત્ર પકડી ભાજપને ગ્રાસરૂટ લેવલે વધારે દૃઢ બનાવી રહ્યો છે. આમ, ચિત્ર સ્પષ્ટ છે. ભાજપ જેને આપણે કટ્ટર હિંદુવાદી પક્ષ કહી રહ્યા છીએ, તે સુદૃઢ-સુસજ્જ અને સંખ્યાબળની દૃષ્ટિએ સ્પષ્ટ બહુમતી તરફ અગ્રેસર છે અને પ્રગતિશીલ પરિબળો નામશેષ થવાના આરે છે. કારણ ન સમજાય એવું નથી. ભાજપના સામા છેડા પરની વિચારધારાઓ નવું લોહી ન આવવાના કારણે એનિમિક બની ગઈ છે. વારેવારે એને નાનામોટા રોગ ઘેરી વળે છે. હવે નુસખાઓથી નહીં, નસ્તરથી જ અર્થ સરે એમ છે. આ બધી ચિંતાના કારણે લાંબી મથામણ પછી આ લેખ લખી રહ્યો છું.

છેલ્લા બે દાયકાની રાજકીય સ્થિતિ – આંદોલનો અને વૈચારિક ઊથલપાથલોને ધ્યાનથી જોઈશું તો  કેટલીક જન્મજાત આનુવંશિક ઊણપો ચોક્કસ જોવા મળશે. એની ચર્ચાવિચારણા કે સુધારણા સિવાયનો વિકલ્પ છે જ નહીં અને એનાથી ભાગવાનો અર્થ છે નામશેષ થવું. આપણી સહુથી મોટી ઊણપ એ કે આઝાદી પછી આપણે ભાગ્યે જ સિદ્ધાંત કે મૂલ્ય માટે લડ્યા છીએ. ટેવ પડી છે આપણને સત્તા માટે લડવાની – ન લડવાની, બોલવાની – ન બોલવાની, લખવાની – ન લખવાની, જાગવાની – ને ખૂલી આંખે ન જાગવાની. બધું માત્ર સત્તા માટે થાય છે. અહીં સત્તાનો અર્થ માત્ર ચૂંટણી થકી મળતી રાજસત્તા જ નથી, એ રાજસત્તાના ટેકેટેકે જે ખાબોચિયાં જેવી સંસ્થાઓ ઊભી થાય છે, જેના હોદ્દાઓ વેઢા જેટલી સત્તા-પ્રતિષ્ઠા આપે છે. અને એ વેઢા જેટલી સત્તા-પ્રતિષ્ઠા માટે કંઈ કેટલા ય એકલવ્યોના અંગૂઠા કપાઈ જાય છે, પણ આપણે એટલાં સ્થિતપ્રજ્ઞ બની જઈએ છીએ કે આંખ સામે બનતી આવી ઘટનાઓ જોવા-જાણવા-સમજવા-છતાં ય એના પ્રત્યે બધિરતા સેવીએ છીએ. વિરોધમાં રહીને પણ વિવાદો અને ચર્ચાઓ દ્વારા જે સત્તા કે ઇજારો મળે છે, એની ટેવ એ હદે વકરી છે કે માંડ-માંડ ભાજપ સત્તાપ્રતિષ્ઠાન સામે મૂલ્ય કે સિદ્ધાંત આધારિત વિરોધનું વાતાવરણ સર્જાયું હોય, ત્યારે ધર્મ અને જાતિના મુદ્દા ઉછાળીને બધું ઠેરનું ઠેર કરી દેવામાં આવે છે. આને કારણે નવ્ય બુદ્ધિજીવી યુવા વર્ગમાં એક પ્રકારનો અવિશ્વાસ જન્મે છે. ભાજપ સત્તાની વિરૂદ્ધમાં લડવા તૈયાર થતો નવ્ય બુદ્ધિજીવી એમ માનીને ઘર તરફ પાછો વળી જાય છે કે પહેલા સંસદ શાહબાનો વારામાં મુસ્લિમ તુષ્ટીકરણથી અભડાઈ હતી ને હવે એની મિરર ઇમેજ સ્વરૂપે પ્રક્ટ્યાં છે યોગી આદિત્યનાથ. આ નવ્ય યુવા બૌદ્ધિકો એમ માનીને પણ  ભાજપ તરફ વળી રહ્યા છે કે ભાજપ વિરોધી ખેમા પાસે કોઈ મૂલ્ય કે સિદ્ધાંતોની લડાઈ નથી પણ એનું એ કમઠાણ છે. ગરીબ જનતા આશાભરી આંખે આપણા મન-વચન-કર્મને નિહાળે રાખે છે, જેનું સહુથી મોટું અજ્ઞાન એ છે કે એને એ સમજાતું નથી કે જે પોતે અંદરથી સડી ગયા છે એ શું સુધારવાના હતા?

તમને થશે કે આટલી કડકાઈ અને કડવાશ શા માટે? તો એટલા માટે કે આપણો આ ‘ધડો’ કશા જ ઢંગધડા વિના આ અંત તરફ ક્યારનો ય ઢસડાઈ રહ્યો છે, એવું ઘણા બધાને દેખાતું હતું પણ એનો અંદેશો આપનારા કે સાયરન વગાડનારાઓને આ ધડાએ કટ્ટરતાથી બહારનો રસ્તો દેખાડી દીધો. જે વિધારધારામાં નવા વિચારો માટે જગ્યા જ ન હોય, મોવડીઓ ભીતર ચાલતી આથો આવી ગયેલી પરંપરાગત રાજનીતિના કેફમાં જ રહેતા હોય અને એ રાજનીતિનો જરા જેટલો પણ વિરોધ જોતાં જ છળી મરતા હોય, આ બધી બાબતોએ ખાસ કરીને પ્રગતિશીલ ખેમાના મંકોડા ઢીલા કરી નાખ્યા. મને બરાબર યાદ છે કે ઓગણીસસો બાણુના બાબરી ધ્વંસના વિરામ પછી જ્યારે બે હજાર બેમાં આ ધાર્મિક રાજનીતિનો બીજો અંક નવેસરથી શરૂ થયો, ત્યારે કેટલાક સમજદાર પ્રગતિશીલોને એ સમજાઈ ગયેલું કે હવે એવું ધ્રુવીકરણ થવાનું છે, જેમાં કિનારે બેઠેલો તટસ્થ બહુમતી સમાજ કે લઘુમતી સમાજ હિંદુમુસ્લિમ કે દલિત હોવાના કારણે નહીં, પણ હિંદુ વિરોધના આંધળા અતિરેકને કારણે હિંદુત્વના ઘોડાપુરમાં તણાઈ જવાનો છે.

મને બરાબર યાદ છે કે પ્રગતિશીલ લેખક સંઘના રાષ્ટ્રીય મહામંત્રી કમલાપ્રસાદે આ સ્થિતિને પામીને દેશના યુવા નવ્ય બુદ્ધિજીવી વર્ગને પ્રગતિશીલ વિચારધારા સાથે જોડવા લગભગ બે હજાર ત્રણના ‘વસુધા’(પ્રગતિશીલ લેખકસંઘનું સામયિક)ના સંપાદકીયમાં પ્રગતિશીલ વિચારધારાના વિકાસ અને વિસ્તાર માટે આ મુજબનું વિધાન કર્યુંઃ ‘અગર મુસ્લિમ, મુસ્લિમ હોકર ભી પ્રગતિશીલ હો સકતે હૈ તો હિંદુ-હિંદુ રહકર પ્રગતિશીલ ક્યોં નહીં હો સકતે.’

આ કમલાપ્રસાદમાં મારા જેવા અનેક લોકો બેધડક ભરોસો કરતા. એ શમશેર-મુક્તિબોધના સાહિત્યથી ઘડાયેલા હિંદીના વિદ્વાન અને પરિપક્વ પ્રગતિશીલ હતા. અહીંના પ્રગતિશીલ લેખકસંઘની રચના એમની પ્રેરણાથી જ થઈ હતી. પણ કમલાપ્રસાદના આ વિચાર સામે એ વખતે પ્રગતિશીલ ખેમામાં બહુ ઊહાપોહ થયો. એમની વાતને ખારિજ તો કરી દેવામાં આવી પણ ભૂલેચૂકે ય બીજું કોઈ આ પ્રકારના વિધાનનું સમર્થન કરવાની જુર્રત ન કરે, એની તકેદારી રૂપે આ પ્રકારનું ખુલ્લાપણું જ્યાંજ્યાં દેખાય ત્યાં લાલ આંખ કરવામાં આવી. બારણું એવા ધડાકા સાથે બંધ થયું કે પાછલું બારણું એના ધક્કાથી ખૂલી ગયું. આ નવ્ય યુવા બુદ્ધિજીવીવર્ગના મનમાં એમ થાય કે મૂકને પઈડ મારા ભાઈ, આમને જનવાદી આંદોલનો અને જનવાદી વિચારધારાને પણ ‘મૉનોપોલાઇઝ’ કરવી હોય, તો ભલેને કરતા. આપ જોઈ શકશો કે અહીં મારે પ્રગતિશીલ વિચારધારા કે ગાંધીવિચારધારા માટે ‘મૉનોપોલી’ શબ્દ વાપરવો પડ્યો છે. આ તો બજારની પરિભાષા છે. બજારની વિરોધી એવી વિચારધારામાં આ શબ્દ અને વિચાર કેવી રીતે ઘૂસી ગયો એનો કોઈને વિચાર સુદ્ધાં નથી આવતો. જેમ બજારની ગળાકાપ હરીફાઈમાં ટકવા માટે વેપારી ભેળસેળનો સગવડિયો અને સસ્તો રસ્તો અપનાવે, એવી સ્થિતિ અહીં સર્જાઈ. આ પરંપરાગત બૌદ્ધિકોએ સત્તાપ્રતિષ્ઠાનના વિરોધની સ્પેસમાં પોતાની સત્તાના તંબુ તાણ્યા. જે એમની સ્કૂલનો ન હોય, જે એમના કુળનો ન હોય, અથવા જે એમનો અનુયાયી ન હોય, એવો યુવા નવ્ય બૌદ્ધિક એમને સ્વીકાર્ય નથી. કેમ? તો, એટલા માટે કે  સત્તાપ્રતિષ્ઠાનના વિરોધની આ સ્પેસમાં રહેવાથી પણ કેટલીક સત્તા મળે છે, અને એ આપણને સમર્પિત ન હોય એવા કોઈના ય હાથમાં કેમ જવા દેવાય!

હું ઉદાહરણથી બચવા માંગતો હતો પણ અહીં છૂટકો નથી. છેલ્લા ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે રાજુ સોલંકી નામના આપણા દલિત અધિકાર સાથે નિસબતથી સંકળાયેલા કવિમિત્રની અવગણના થાય છે. આપને જો ખ્યાલ ન હોય તો જણાવી દઉં કે ભાજપ સરકારે જ્યારે મહા દલિત કવિસંમેલન યોજ્યું. ત્યારે એના વિરોધમાં દલિત કવિ રાજુ સોલંકી હૉલની બહાર કેટલાક સાથીઓને લઈને વિરોધ સાથે ઊભા હતા. ત્યાર પછી એ ગાંધીનગરમાં દિવસોના દિવસો દલિતોના પ્રશ્નોને લઈને ધરણા પર ઊતર્યા. આ આછી-પાતળી હાજરી સાથેના એમના વિરોધની નોંધ લેવાવી જોઈતી હતી, પણ દલિતો વિશે કૉલમો લખતા કૉલમવીરોમાં એકાદ-બે અપવાદને બાદ કરતાં બધાએ મૌન પાળ્યું. બાબાસાહેબે જે જાતિનિર્મૂલનની વાત કરી છે, તેના માટે રાજુ ઓગણીસસો એક્યાશીના અનામત-આંદોલન પછી ખૂબ સક્રિય છે. એમણે કર્દમ અને નયન જેવા સાથીઓ સાથે ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં એવી યાત્રાઓ પણ કાઢી છે, જેમાં દલિત કાર્યકર્તાઓ ચાની હોટલો અને કીટલીઓ પર દલિતો માટે રાખવામાં આવતાં ચપ્પણિયાં તોડી નાખતાં. રાજુ કાર્લ માર્ક્સથી પ્રભાવિત છે. પણ આપણે ત્યાં દલિત રાજનીતિની મૉનોપોલી કરતા મિત્રોએ રાજુની ક્યારે ય ચર્ચા ન કરી એ તો સમજ્યા, પણ આજના આ ભાજપ સત્તા પ્રતિષ્ઠાન સાથે જોડાનારા દલિત કવિઓને જ પ્રતિષ્ઠિત કરવાનું કામ કર્યે રાખ્યું, અથવા અવારનવાર સડક પર આવી અખબારની હેડલાઇન બનનાર નવજાત દલિતનેતાની જ ચર્ચા કર્યે રાખી, જેમનું સહુથી મોટું ક્વૉલિફિકેશન તેઓ અમુક સ્કૂલના કે અમુક પ્રોફેસરના વિદ્યાર્થી છે, એ ગણાવાય છે નહીં કે એમણે દલિતસમાજના તળિયે જઈને કરેલાં કામ. આવું થવા પાછળનો જો કોઈ તર્ક હોય, તો માત્ર એટલો જ કે વિરોધની રાજનીતિમાં પણ પોતાની મૉનોપોલી ટકાવી રાખવી. પોતે પૂરી તાકાત અને દૃઢતાથી લડવું નહીં પણ બીજાને લડવાય ન દેવા. હા, રાજુ સોલંકી કડવા છે, પણ સત્ય મીઠું જ હોવું જોઈએ, એવી શરત સાથે આપણે ચાલીશું તો કેમ ચાલશે?

મને તલવાર અને ત્રિશૂળ બંને હથિયાર સ્વરૂપે જ દેખાય છે. હું મુંબઈમાં ઉત્તરપ્રદેશ અને બિહારના શ્રમિકો પર પ્રાદેશિક અસ્મિતાના નામે થતા અત્યાચારોને અનૈતિક-અલોકતાંત્રિક- અસંવેધાનિક-ઝનૂની પ્રદેશવાદ ગણુ છું, તો ‘બિહારી અને બાહરી’ કે ‘યુ.પી. કે લડકે’ ‘બાહરી મોદી’ જેવાં સૂત્રોને પણ હિંદુવાદીઓને હરાવવાની પી.કે. છાપ વ્યૂહરચના નથી ગણી શકતો. એ પણ પ્રદેશવાદ જ છે. બે હજાર ઓગણીસ કે બે હજાર ચોવીસ, કોણ રહેશે ને કોણ જશે, એન.ડી.એ. ભૂંડી રીતે પટકાશે કે યુ.પી.એ. ફરી તખ્તનશીન થશે, આ માટે રાજનીતિના પંડિતો ભલે અખાડામાં દંડ પીલે રાખે. એવું નથી કે હું એનાથી અલિપ્ત છું, પણ આપણી બિરાદરી પાસેથી જનતાની બે અપેક્ષા છે. એક, આપણામાં આનુવંશિક ઊણપો છે, એને આપણે સમજવી-સ્વીકારવી-સુધારવી રહી. જો એમ થશે તો નવ્ય બૌદ્ધિકો માટે સ્પેસ સર્જાશે અને વિચારધારા વિકાસ-વિસ્તાર પામશે. બે, અંદરનું ઇવીએમ ઠીક કરવાની જરૂર તો છે, છે ને છે જ. આપણે જો ગુજરાતની ભાજપ સરકાર સામે અકાદમીની સ્વાયત્તતા માટે હોંશે-હોંશે લડતા હોઈએ, તો પછી અકાદમીના જે પ્રમુખને આપણે અસંવૈધાનિક ગણીએ છીએ, એના હાથે કેડેથી ઝૂકીને પુરસ્કાર ન લેવાય. આવી છુટછાટ કે આવા અપવાદ સ્વાયત્તતા જેવા સિદ્ધાંત માટે ચાલતી એક ગંભીર લડતને ફ્રૅન્ડલી મૅચમાં બદલી કાઢે છે. આપણે રાષ્ટ્રીય સ્તરે આ ભાજપ સરકાર સામે દક્ષિણાયન જેવું વૈચારિક આંદોલન ચલાવીએ, એ સારી બાબત છે, પણ એમાં એવા સાથીઓ કેવી રીતે હોય, જે રાષ્ટ્રીય સ્તરે ભાજપ સરકારના વિરોધમાં ઝંડા ઉપાડે અને અહીં એ જ સરકારનું સમર્થન કરે. તમારું આવું કેવું દક્ષિણાયન કે જે દિલ્લીમાં પોતાની હાજરી દર્જ કરાવવા તત્પર હોય અને અહીં સ્વાયત્તતાના આંદોલનમાં જોડાવાથી પરહેજ કરે, એટલું ઓછું હોય તેમ ગુજરાત સરકારની ‘સરકાદમી’નું સમર્થન કરે?

મને ખબર છે કે આ મેં જે લખ્યું છે, તેનાથી મારાં આપ્તજનો-મિત્રો આહત થવાનાં છે, પણ મારો આશય એમને સહેજ પણ આહત કરવાનો નથી. આશય પરિસ્થિતિનું ખરું મૂલ્યાંકન કરી એમાંથી રસ્તો કાઢવા તરફનો છે. મને એવા ઘણા લોકો મળે છે, જે એમ કહે છે કે આમ વારે- વારે લડ્યા વિના હારી જવું. મરી-મરીને જીવવા જેવું લાગે છે. આપણે જો ખરા અર્થમાં દેશમાં આમૂલ પરિવર્તન ચાહતા હોઈએ તો ‘હેવ નોટ’ના પક્ષે રહી લડવા માંગતા નવ્ય બુદ્ધિજીવી યુવાવર્ગ માટે કમલાપ્રસાદે કહ્યું હતું એ તર્જ પર ધર્મ-જાતિના પક્ષપાતથી ઉપર ઊઠીને સ્પેસ ઊભી કરવી પડશે. એમની અંદર એવો વિશ્વાસ જગાવવો પડશે કે દોસ્ત, આ સ્વાયત્તતા-સમાનતાના સિદ્ધાંત અને મૂલ્યોને અંકે કરવાની જ નહીં પણ જીવી જવાની, લડાઈ છે. માત્ર પરાપૂર્વથી ચાલ્યું આવતું ધર્મ-જાતિના પક્ષપાતમાં ગંઠાઈ ગયેલું પોલિટિક્સ નથી. રાજુ સોલંકી જેવા અનેક મિત્રો છે, જેમને સાંભળવા-સમજવાની સહિષ્ણુતા પ્રગતિશીલ, ગાંધીવાદી અને સમાજવાદી ધડાએ દાખવવી પડશે. આપણને અનુકૂળ હોય એવી ચર્ચાઓ ડ્રૉઇંગરૂમમાં કે ટેલિવિઝન ચૅનલના ચોકઠામાં કરીને જે આત્મસંતોષ અનુભવી રહ્યા છીએ, એમાંથી બહાર આવી આપણને થોડો કડવો લાગે કે ખૂંચે એવો વ્યાપક વિમર્શ રચવા આપણે તૈયાર થવું પડશે. પરંપરાગત બૌદ્ધિકોએ સત્તાપ્રતિષ્ઠાનના વિરોધની સ્પેસમાં પોતાની સત્તાના જે તંબુ તાણ્યા છે, એ સંકેલીને નવ્ય યુવા બૌદ્ધિકોને સમાનતાના ભાવથી સાથે રાખી ગંભીરતાપૂર્વક લડાયક મુદ્રા ધારણ કરવી પડશે.

આ દિવસોમાં મને પ્રેમચંદની ‘શતરંજ કે ખિલાડી’ બહુ યાદ આવે છે.

તા. ૨૫-૩-૨૦૧૭

E-mail : pjagjivandas@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2017; પૃ. 08-09 

Loading

‘યોગી નહીં, નમો સહી’?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|3 April 2017

ઓવેસી જેનું નામ, એમના રાજકારણ સાથે સમ્મત થવાનો સવાલ તો અલબત્ત ન જ હોય. પણ હમણાં ભાજપની ચૂંટણીફતેહને અંગે, નવયુગી કમ્પ્યૂટરી ભાષામાં એમણે જે સૂત્રાત્મક ટિપ્પણી કરી એ સંભારવા જોગ છે. સાગરિકા ઘોષે નોંધ્યું છે કે ઓવેસીના શબ્દોમાં કહીએ તો ડેવલપમેન્ટ (વિકાસ) એ યુઝર નેમ અને હિંદુત્વ એ પાસવર્ડ સાથે તમે કામ પાડ્યું એટલે વ્યાપક જનાદેશ જોડે લૉગ ઑન થઈ ગયા સમજો ! અરુણ શૌરિનું ‘કૉંગ્રેસ વત્તા ગાય’ એ નિરીક્ષણ ટાંકવાનું આ પૂર્વે બનતું રહ્યું છે, પણ એ ટિપ્પણી શાસન શૈલી વિશે વિશેષરૂપે હતી. ઓવેસીનું અવલોકન ચૂંટણી ફતેહના વિશેષ સંદર્ભમાં છે.

ઉપાડમાં જ આ વાત ઉખેળવાનું તત્કાળનિમિત્ત ભાજપ શ્રેષ્ઠીઓએ જે સિફ્ત અને સલુકાઈથી છેલ્લી ઘડીએ યોગી આદિત્યનાથને લખનૌની ગાદીએ બેસાડ્યા એ છે. નરેન્દ્ર મોદી, સળંગ વિકાસમંત્રની તરજ પર બોલતા રહ્યા છે. વચમાં સ્મશાન વિ. કબ્રિસ્તાન જેવું કાંક ઉછાળે તો પણ અગ્રતાક્રમે એમણે વિકાસવેશ ધારણ કરેલો છે. ઉત્તર પ્રદેશમાં એમણે એકદમ જ યોગીને આગળ કર્યા એ બીના આ રીતે જોતાં દેખીતા અપવાદરૂપ છે. સમુદાર ધોરણે ટીકા કરીએ તો આ કિસ્સો નમો-અમિતને પક્ષે મજબૂરીનો હશે એવું પણ કહી તો શકીએ. ઉલટ પક્ષે, મોદીચાહકો પૈકી કેટલાક જુઓ એમણે યોગીને આગળ કરીને રામ મંદિર બાબતે જવાબદારીનો ગાળિયો કેવો કાઢી નાખ્યો તેમ પણ કહેતા માલૂમ પડે છે. મંદિર બને તો યશ નમોને અને ન બને તો અપયશ યોગીને, એવું આ એક ધૂર્તચતુર નહીં તો પણ મુત્સદ્દીભર્યું પગલું છે એમ આ સ્કૂલ કહેશે. ગમે તેમ પણ, એટલું ચોક્કસ કે યોગી આદિત્યનાથનું લખનૌ આરોહણ કંઈક અણધાર્યું તો છે.

ભાજપ પ્રત્યે સમુદાર નહીં તો પણ કંઈક સહાનુભૂતિથી જોનારાઓએ વીતેલા દાયકાઓમાં લાડથી પાળેલું એક જોડકું અહીં સાંભરે છે. વાજપેયી એટલે લિબરલ અને અડવાણી એટલે હાર્ડલાઈનર. નહીં કે આ અવલોકન પરબારું ખોટું હતું. પણ જરી સબૂરીથી જોઈએ તો એમાં એક કાર્યસાધક ગોઠવણ પણ હતી. બધા પ્રકારના લોકોને સાચવીને વ્યાપ વધારવાનો એક  વ્યૂહ પણ એ હતો સ્તો. લિબરલ વાજયેપીને હાર્ડલાઈનર ડિપોટી અડવાણી વિના નહોતું ચાલતું, અને અડવાણીને વાજપેયી વિના. એકબીજા અંગે એકંદરે મત્સર વિનાની જોડલી તરીકે એમને જોઈ શકીએ અને રાજી પણ થઈએ. પરંતુ, હતી તો એ ગોઠવણ. જો આ રીતે જોઈએ તો દિલ્હીમાં મોદી અને લખનૌમાં યોગી એવું કથિત સ્વયંસ્ફૂર્ત સૂત્ર અને એમાં રહેલી વ્યૂહાત્મકતા તરત સામે આવશે.

રવિશંકર પ્રસાદ અને વેંકય્યા નાયડુ આ પરિણામો સાથે પડમાં પધાર્યા ત્યારે એમણે કહ્યું હતું કે દેશના ગરીબો મોદીમાં મસીહા જુએ છે અને પ્રજાએ જે પણ મત આપ્યો છે તે વિકાસની એમની ભૂમિકાને આપ્યો છે. જો આ જનાદેશ ભાજપના સત્તાવાર દાવા પ્રમાણે વિકાસ (અને ‘ગરીબી હટાવો’) સારુ હોય તો યોગી આદિત્યનાથની લાંબી સંસદીય કારકિર્દી તે માટેની કોઈ જમીની કારવાઈ માટે જાણીતી નથી. લવ જેહાદ સહિતના ભળતાસળતા મુદ્દે આપણે ત્યાં જે બાબુ બજરંગી મંડળી સુકીર્તિત છે એ ધોરણે મઠાધીશ જરીક વધુ જ સુપ્રતિષ્ઠ હોય તો હોય. એમના મઠમાં મુસ્લિમો સુખે કામ કરે છે વગેરે વાનાં હમણે હમણે આગળ ધરાઈ રહ્યાં છે, પણ આદિત્યનાથના રાજકારણની ઓળખ વિકાસવેશના નવપ્રાપ્ત શોરઉજવણાં વચ્ચે મુખ્યત્વે હિંદુત્વ હાર્ડલાઈનર તરીકે હતી અને છે.

સંઘ શ્રેષ્ઠીઓએ કે બીજા જે પણ નિર્ણાયક તત્ત્વોએ આદિત્યનાથને આગળ કર્યા હોય એમની પસંદગી પાછળની ગણતરી અને માનસિકતા હિંદુત્વ ચહેરા માટેની હોય એ સમજી શકાય એમ છે. તે સાથે સમજવાનું એ પણ છે કે મે ૨૦૧૪ના જનાદેશથી માંડીને હમણાંના જનાદેશમાં ભાજપી ફતેહનું રહસ્ય હિંદુત્વ મતો અકબંધ રાખી તેની ઉપર વિકાસ તરેહના મતોનો મજલો ખડો કરવામાં છે. એટલે ભાજપ હાડે કરીને પલટાયેલો નવયુગી પક્ષ નથી. એ ‘હિંદુત્વ વત્તા’ના ગણિત – અને સવિશેષ તો વ્યૂહથી – ચાલતું જંતરડું છે. એટલે યોગી લખનૌનશીન બને એ કદાચ દુર્નિવાર પણ હોઈ શકે.

તાજેતરનાં વરસોમાં જેઓ ભાજપના ચાહક તરીકે ઉભર્યા છે એ સાધારણપણે વાજપેયીની લિબરલ  છાપથી અને પછી નમોના વિકાસવેશ વત્તા નિર્ણાયક હોઈ શકતા નેતૃત્વથી ખેંચાયેલા છે. લખનૌ ઘટના સાથે આ સૌ સ્વાભાવિક જ એક કસોટી કે કટોકટીની સ્થિતિમાં મુકાયા છે. નમો તો બરોબર છે, પણ આ યોગીનું થયું એ બરાબર નથી એવી ભદ્ર નુક્તેચીની સાથે તેઓ આ કસોટી/ કટોકટીથી કિનારો કરવા ઇચ્છે તો નવાઈ ન થવી જોઈએ. નમોને સાચવી લેવા અને યોગીની ટીકા કરવી, એ જો એક અર્થમાં તટસ્થ ભૂમિકાની દ્યોતક વાત છે તો બીજે છેડેથી જોતાં એમાં ખાસી માસૂમિયત રહેલી છે. અને જો તે કોઠે પડી ગયેલ હોય તો આપણે એને સરળધૂર્ત પણ કહી શકીએ.

મોદીના નવચાહકોને આ ટિપ્પણી ન ગમે તે સમજી શકાય એમ છે. માત્ર, પેકેજ અને પેકેજિંગની જે તરાહ ને તાસીર ભાજપે છેલ્લાં વરસોમાં ઉપસાવી છે એનો નજીકથી અભ્યાસ કરતાં આ ટિપ્પણીનું મહત્ત્વ સમજાઈ રહેશે. જસ્ટિસ વર્માએ હિંદુત્વ એ એક જીવનપ્રણાલિ (વે ઑફ લાઇફ) છે એવી ટિપ્પણી એમના એક ચુકાદામાં કરી હતી જે ટાંકતાં અડવાણી થાકતા નહોતા. આ જ જસ્ટિસ વર્મા, પછીથી, માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે ૨૦૦૨માં ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે ‘હિંદુત્વ ઈન ઍક્શન’ના સાક્ષાત્કાર પછી એમને પોતાની જીવનપ્રણાલિ ટિપ્પણી (અને એના રાજકીય દુરુપયોગ) વિશે ખાસો અફસોસ થયો હતો એ સૌ જાણે છે. મુદ્દે, હિંદુધર્મ એક વાત છે અને હિંદુત્વ નામની રાજકીય વિચારધારા તે બીજી વાત છે એ પાયાનો મુદ્દો નહીં પકડાયાથી ગરબડગોથાં અને વિચારવ્યામોહને ખાસો અવકાશ રહે છે. આ જ વ્યામોહ, પછીથી, યોગી નહીં ને મોદી સહી એવા અભિગમમાં પોતાનો મોક્ષ લહે છે. ભાઈ, પેકેજ અને પેકેજિંગની લીલાની આરપાર જરી તો જોતા શીખો!

કૉંગ્રેસથી માંડીને જનતાદળ (યુ) અને આપ સહિતના પક્ષો વિશે ચર્ચાને અને ટીકાટિપ્પણને અવશ્ય અવકાશ છે. ખાસ કરીને સ્વરાજ વડી પાર્ટી તરીકે કૉંગ્રેસ બેહદ ઊણી ઊતરી છે એ સાફ છે. બિહારનો બિનભાજપવાદ કારગત રહ્યા છતાં એની પરંપરાગત તાસીર સાફ છે. આપ સામે સૌથી મોટી બોલતી ટીકા કોઈ હોય તો તે યોગેન્દ્ર યાદવ – પ્રશાન્ત ભૂષણનું સ્વરાજ અભિયાનરૂપે અલગ ઉભરવું છે તે પણ સાફ છે. પણ આવનારાં વર્ષોમાં દેશ સમક્ષ વૈકલ્પિક વિમર્શદાવાની રીતે જોતાં ભાજપનો કેસ સવિશેષ હોઈ યોગી ઘટના નિમિત્તે આટલી સખોલ ટિપ્પણી કરવી જરૂરી લાગે છે.

ભાજપે જે બધા વૈકલ્પિક વિચારમુદ્દાઓ ઉછાળ્યા અગર આગળ કર્યા છે તે વિચારણીય હશે એના કરતાં તપાસલાયક વધુ છે. આ સૌ કથિત વિચારમુદ્દાઓ પણ કોઈ ઊંડી સમજ અને સઘન અભ્યાસ કરતાં વધુ તો પેકેજ અને પેકેજિંગનો મામલો છે. તે સાથે, વ્યૂહરચનાની રીતે ‘બીજા’ને રાષ્ટ્રને નામે ધ્વસ્તપરાસ્ત કરવાનું ને લોકમતને મૂર્છિત અગર ઉચ્ચાલિત કરવાનું એનું સતત લક્ષણ રહ્યું છે.

અહીં પૂર્વે લખવાનું બન્યું જ હતું કે માર્ચ ૨૦૧૭માં ભાજપ જીતો કે ન જીતો, સંગઠિત રાષ્ટ્રવ્યાપી વિકલ્પના અભાવે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં એની ફતેહ હોવાની છે એવું સાર્વત્રિક અવલોકન છે. પણ યોગી ઘટના (અને એવાં બીજાં નિમિત્તો) આસપાસ ઊહાપોહ જારી રહે તે જરૂરી છે; કેમ કે તો અને તેથી જ નાગરિકની વિકલ્પખોજને રાજપથ-જનપથ બાબતે સુધબુધ રહેશે.

માર્ચ ૨૯, ૨૦૧૭

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2017; પૃ. 01-02

Loading

...102030...3,4133,4143,4153,416...3,4203,4303,440...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved