Opinion Magazine
Number of visits: 9688333
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બે અન્તિમોની વચ્ચે

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|27 May 2017

કૉલેજમાંથી બેડમિંટન રમવા માટે અમારું સિલેક્શન થયું હતું. અમારે પૂના રમવા માટે જવાનું હતું. અમે એટલે હું અને નીલુ. નીલુ એટલે આછી લીલાશ પડતી મદમસ્ત આંખવાળી, સરસ્વતી કૉલોનીમાં આવેલા મહેલ જેવા બંગલાની રાજકુમારી. અને હું? હું એટલે ભીમકુમાર. નીલુ માટે ફક્ત કુમાર અને બાકી બધા માટે ભીમો. આંબેડકર નગરમાં રહેનારો એક દલિત, અછૂત ભીમો. મેં નીલુથી મારી અસલિયત છુપાવી રાખેલી. એ મને એટલી ગમતી કે હું કોણ છું એ જણાવીને એને ગુમાવવા નહોતો માગતો. એને મારે માટે શંકા જાય એવું નહોતું; કારણ કે હું તો હતો, ‘રૂપે, રંગે, પૂરો; દીસંતો કોડીલો, કોડામણો.’

મા હમ્મેશાં કહેતી :

‘ભીમા, આવો રૂડો, રુપાળો તું મારા પેટે કાં જનમ્યો? જનમવું ’તું ને કો’ક લાટસા’બને ઘેર. અહીંયાં તો તને શું મળવાનું? ગાળ, ગલોચ, અપમાન ને મારપીટ!’

પણ મારા મનમાં ઊંડે ઊંડે એવું હતું કે ના, નીલુ મારી સાથે એવું ન કરે. એ મને એટલું ચાહે છે કે જરૂર મારી પત્ની બનવા તૈયાર થશે.

‘અરે, અરે ! એ રસ્તે ક્યાં જાય છે? એ તો ગંદા લોકોની વસ્તી છે!’ ગંદા લોકો, ગંદા લોકો …. મારા કાનમાં આ શબ્દો પડઘાતા રહ્યા. ‘આંબેડકર નગર’નું તૂટેલું પાટિયું ઓળંગીને હું ઘર તરફ આગળ વધ્યો ત્યારે ચારે બાજુથી આવતી દુર્ગંધથી મારું માથું ફાટવા લાગ્યું. કોઈ દિવસ નહીં ને તે દિવસે મને ઉબકા આવવા લાગ્યા.

મા બોલી, ‘ચાલ ભીમા, ખાવા બેહી જા.’ પણ મારું ચિત્ત ઠેકાણે નહોતું. હજીયે મને ‘ગંદા લોકો, ગંદા લોકો,’ એ જ શબ્દો સંભળાયા કરતા હતા. બીચારી માના કોઈ વાંક વગર, હું એની ઉપર ભડકી ઊઠ્યો, ‘જા, નથી ખાવું મારે. જ્યારે હોય ત્યારે ભીમા, ખાઈ લે; ભીમા, ખાઈ લે કર્યા કરે છે!’

મા સરસ્વતી કૉલોનીમાં સોસાયટીનાં ઘરેઘરેથી કચરો લેવા અને લોકોનાં જાજરુ સાફ કરવા જતી. એક દિવસ નીલુ વાતવાતમાં બોલી, ‘અમારી કૉલોનીમાં આ આંબેડકર નગરમાંથી બાઈઓ કામ કરવા આવે છે ને એમને જોઈને જ મને એટલી  સૂગ ચડે છે કે ..’

મને ફાટેલી સાડીનો કાછડો મારીને કામ કરતી મારી મા દેખાવા લાગી. મેં કહ્યું, ‘એવું ન વીચારવું જોઈએ, નીલુ, એ લોકો આપણી ગંદકી સાફ કરે છે, ત્યારે આપણે આટલા ચોખ્ખા દેખાઈએ છીએ. એ જો બે દિવસ ન આવે ને તો ..’

નીલુ એકદમ ગુસ્સે થઈ ગઈ, ‘કેમ? તને એ લોકોનું કંઈ બહુ પેટમાં દુ:ખે છે ને! એમનો નેતા બનવાનો છે કે શું?’

ત્યારે તો હું ચૂપ થઈ ગયો; પણ દિવસેદિવસે મારા મનનું તોફાન વધતું જતું હતું, શું કરું? નીલુને સાચી વાત જણાવું કે નહીં? ખબર પડ્યા પછીનું એનું વર્તન કેવું હશે? અન્તે જેનાથી હું દૂર ભાગતો હતો, એ પરિસ્થિતિ સામે આવીને ઊભી રહી. હું અને નીલુ કૉલેજના કમ્પાઉન્ડમાં બાંકડા પર બેસીને વાતો કરી રહ્યાં હતાં, ત્યાં ઓચિન્તો આવીને મયંક મને કહેવા લાગ્યો, ‘યાર, ગઈ કાલે તમારા આંબેડકર નગરમાં શી બબાલ થઈ ગઈ? આજના પેપરમાં આવ્યું છે કે, દેશી દારુ પીને તમારી વસ્તીમાં દસબાર જણ બહુ માંદા પડી ગયા!’

ખલ્લાસ! અત્યાર સુધી મારી જાત પર ઓઢી રાખેલું આવરણ પવનની એક જ ઝાપટથી ઊડી ગયું. હું ખુલ્લો પડી ગયો. કાળઝાળ થતી નીલુ ફટાક કરતી બાંકડા પરથી ઊભી થઈ ગઈ. ક્રોધથી ધ્ૃૂજતા અવાજે એ બોલી,

‘યુ ચીટર, યુ લાયર, અન્તે તો તું તારી જાત પર જ ગયો ને! આઈ હેટ યુ ..’

અમારી સાથે ભણતા ચિરાગ સાથે નીલુનાં લગ્ન થવાનાં હતાં એ સમાચાર મને મયંક પાસેથી મળ્યા હતા. એ દિવસોમાં મને ચારે બાજુથી ઉદાસી ઘેરી વળી હતી. કોણે બનાવ્યાં આ જાત–પાત, આ ઊંચ–નીચ, આ દલિત ને આ ઉજળિયાત! અમારે ય એ સૌની માફક બે હાથ, બે પગ, એક ચહેરો ને એક હૈયું નથી? પણ મારા આ બધા સવાલો નિરુત્તર રહેવા સર્જાયેલા હતા. કોઈ પાસે આનો જવાબ હોય તો આપે ને!

મા મને નવી નાઈલોનની સાડી બતાવતી હતી. ‘જો ભીમા, સરસ્વતી કૉલોનીમાં હું કામે જાઉં છું ને તાં હેઠની બેબલીનાં લગન છે, એની જાન આવવાની ને એમાં મારે માથે બત્તી લેઈને હાલવાનું છે. ઈ ટાણે પે’રવા હેઠે મને આ નવ્વી હાડી આલી.’ એ ખુશ થઈને વારંવાર સુંવાળી સાડી પર હાથ ફેરવતી હતી.

લગ્નને દિવસે હું સૂનમૂન થઈને ઘરમાં બેઠો હતો. મારી નજર સામે વારંવાર સોળે શણગાર સજેલી નીલુ દેખાતી હતી. અને હસતાં હસતાં મારી ઠેકડી ઉડાડતી હતી, ‘શું જોઈને આવ્યો ’તો મને પ્રેમ કરવા? તારી ઓકાતનું ભાન હતું?’

ત્યાં જ પાડોશીનો જગલો શ્વાસ ભેર આવીને કહેવા લાગ્યો, ‘ ભીમા, ભીમા તારી મા …’

‘શુ થયું મારી માને?’ મારો સાદ ફાટી ગયો.

‘એણે માથે ઉપાડેલી ગેસની બત્તી ફાટી ને એણે નાઈલોનની સાડી પહેરેલી હતી ને તે ..’

સરકારી હૉસ્પિટલમાં હું પહોંચ્યો ત્યારે તો ખેલ ખતમ થઈ ચુક્યો હતો. ઘરે જઈને હું આજુબાજુના થોડા લોકોને ભેગા કરીને લઈ આવું એમ વિચારીને હું જાહેર રસ્તા પર આવ્યો.

બરાબર ત્યારે જ ફરતીફરતી જાન સામેથી આવી. મેં જોયું તો માનું સ્થાન બીજી દલિત મહિલાએ લઈ લીધું હતું. માથે બત્તી ઉપાડીને એ મલકતી મલકતી ચાલતી હતી. બેન્ડ પર ધૂન વાગતી હતી :

‘રાજાકી આયેગી બારાત, રંગીલી હોગી રાત …!’

મેં નીચું જોઈને આંબેડકરનગર ભણી પગ ઉપાડ્યા.

એક બાજુ હતી બારાત, બીજી તરફ મૈયત અને બેની વચ્ચે હતો હું.

(‘શરણકુમાર લંબાલે’ની ‘મરાઠી’ વાર્તાને આધારે ….)

‘ભૂમિપુત્ર’ પાક્ષીકના છેલ્લા પાન પરથી સાભાર

સમ્પર્ક : બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર , વલસાડ– 396 001; ઈ–મેઈલ : avs_50@yahoo.com

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ બારમું – અંકઃ 375 –May 28, 2017

Loading

The Dalit’s House

'Surendra'|Opinion - Cartoon|26 May 2017

courtesy : "The Hindu", 26 May 2017

Loading

એનડીએ શાસનનાં ત્રણ વર્ષ દરમિયાન ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સ્વાયત્તતા ગુમાવી, સત્તાવાદનો પગપેસારો થયો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|26 May 2017

ઉચ્ચ શિક્ષણમાં અલગ મંતવ્ય-માગણી ધરાનારાને તોડી પાડવા એ એન.ડી.એ. સરકારની ખાસિયત રહી છે

નરેન્દ્ર મોદીના વડાપ્રધાનપદ હેઠળનાં ત્રણ વર્ષનાં શાસન દરમિયાન ઉચ્ચ શિક્ષણમાં  સત્તાવાદ અને રાષ્ટ્રવાદના પ્રવેશતો રહ્યો. તેમાં કેન્દ્રના માનવ સંસાધન વિકાસ મંત્રાલય,  ભારતીય જનતા પક્ષ(ભાજપ)ની રાજ્ય સરકારો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અ.ભા.વિ.પ.), જમણેરી જૂથો અને અલબત્ત સોશ્યલ મીડિયાના ઉપયોગની ભૂમિકા મહત્ત્વની રહી. આ પરિબળોએ પ્રતીકાત્મક ઝનૂની રાષ્ટ્રવાદથી અલગ દૃષ્ટિકોણ ધરાવનાર, સમાજવાદી કે સામ્યવાદી વિચારધારામાં માનનારા વિદ્યાર્થીઓ,અધ્યાપકો અને યુનિવર્સિટીઓની સામે મોરચો માંડ્યો.

યુનિવર્સિટીઓ પર ભા.જ.પ. સરકારે પોતાની નીતિઓ લાદવાની શરૂઆત કરી. ગુજરાતને તેનો અનુભવ ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદની રચનામાં  થયો. આ પરિષદને નામે ઉચ્ચ શિક્ષણના સાંપ્રત માળખાની ઉપર એક નવું પ્રચંડ સત્તામાળખું ગોઠવવામાં આવ્યું છે, જેને તળિયે યુનિવર્સિટીઓની મૂળભૂત સ્વાયત્તતા દટાઈ જવાની છે. પરિષદને લગતાં વિધેયકને  વિધાનસભાના છેલ્લા દિવસે કોઈ ચર્ચા વિના કેવળ બહુમતિના જોરે પસાર કરવામાં આવ્યું. ત્યાર બાદ અધ્યાપકોએ તેનો  સખત વિરોધ કર્યો, રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરી પણ સરકારે મચક આપી નહીં. યુ.પી.એ. સરકારે દાખલ કરેલી આ પરિષદને એન.ડી.એ. સરકારે ચાલુ એટલા માટે રાખી કે એમાં સત્તાનું કેન્દ્રીકરણ હતું. એ જ રીતે અનુદાનિત ઉચ્ચ શિક્ષણ માટે હાનિકારક સાબિત થયેલી  સેમિસ્ટર સિસ્ટમ કપિલ સિબ્બલના કાર્યકાળમાં લાદવામાં આવી. તે  સ્મૃિત ઇરાનીએ ચાલુ રાખી, કારણ કે તેનાથી ખાનગી શિક્ષણ ક્ષેત્રને અને સરકારને ફાયદો થયો છે. સેમિસ્ટર હઠાવવા માટેની માગણી ગુજરાતમાં હવે રહી રહીને અ.ભા.વિ.પ.એ ઉપાડી છે. ખરેખર તો ડેમૉક્રેટિક સ્ટુડન્ટસ ઑર્ગનાઇઝેશન અને શિક્ષણ બચાઓ સમિતિએ સેમિસ્ટર સિસ્ટમ સામે પાંચ વર્ષથી યથાશક્તિ સાતત્યથી લડત ચલાવી છે. સદ્દભાગ્યે આ વિરોધી સંગઠનોને જુલમ જબરદસ્તીનો સામનો કરવો પડ્યો નથી.

અન્યથા, ઉચ્ચ શિક્ષણમાં અલગ મંતવ્ય અને માગણી ધરાવનારા વિદ્યાર્થીઓને પોલીસ અને કાનૂનની મદદથી તોડી પાડવા એ એન.ડી.એ. સરકારની ખાસિયત રહી છે. પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં બહુ સાધારણ પણ ભા.જ.પ.ના માનીતા નટની વડા તરીકેની નિમણૂંકની સામે  11 જૂન 2015થી 139 દિવસ લડનારા વિદ્યાર્થીઓ પર સરકારે ભારે દમન કર્યું હતું, જે જાણીતી વાત  છે. તે પછી તરત ખાસ કરીને દિલ્હીમાં ચાલેલી ‘ઑક્યુપાય યુ.જી.સી.’ ચળવળ બહુ ધ્યાનમાં આવી નથી. ઉચ્ચ શિક્ષણને ખાનગી ક્ષેત્રના હાથમાં ધકેલવાના પેંતરાના ભાગ રૂપે  યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુ.જી.સી.)ને એમ.ફિલ. અને પીએચ.ડી.ના સંશોધકો માટેની ફેલોશીપની નીતિ સાથે કરેલાં ચેડાં વિરુદ્ધ આ ચળવળ ચાલી. તેમાં વિદ્યાર્થીઓ પર વૉટર કૅનન અને લાઠીઓનો મારો ચલાવવામાં આવ્યો. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જે.એન.યુ.)ના વિદ્યાર્થી આગેવાન કન્હૈયા કુમાર અને તેના સાથીદારો સામે સરકારે દેશદ્રોહના આરોપ હેઠળ ધરપકડ સહિત કડક કાર્યવાહી કરી. એટલા માટે કે તેઓ અફઝલ ગુરુને ફાંસીની સજા, કાશ્મીર સમસ્યા અને દેશભક્તિ સહિત કેટલીક બાબતોમાં શાસક પક્ષથી અલગ વિવાદાસ્પદ મત ધરાવે છે. એ મત લોકોના મોટા વર્ગને કઠે એવા છેડાના છે. પણ  લોકશાહીમાં ભિન્ન મતનું સ્થાન, દેશના બંધારણમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, રાજકીય બાબતોમાં અરુઢ યુવા મત, ચર્ચા-વાટાઘાટો-સમજાવટની પ્રક્રિયા, જે.એન.યુ.ની દેશ-દુનિયાના બૌદ્ધિક જગતમાં ખ્યાતિ જેવી અનેક બાબતોનો વિચાર કર્યા  વિના કેવળ રાષ્ટ્રવાદનો ઝંડો પકડીને કેન્દ્ર સરકારે યુનિવર્સિટીને રાષ્ટ્રવિરોધીઓના અડ્ડા તરીકે ચિતરવાની ઝુંબેશ ચલાવી. તેનો સામનો જે.એન.યુ.ના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને ટેકેદારોએ  કેવી વિચારપ્રેરક ક્રિયાશીલતા દ્વારા કર્યો તે ‘વૉટ ધ નેશન રિઅલિ નીડસ ટુ નો : ધ જે.એન.યુ. નૅશનાલિઝમ લેક્ચર્સ’ (હાર્પર કૉલિન્સ પબ્લિશર્સ, 2016) પુસ્તકમાંથી જાણવા મળે છે. જે.એન.યુ.ના રાજ્યશાસ્ત્ર વિષયના નારીવાદી અધ્યાપક નિવેદિતા મેનન પર ‘રાષ્ટ્રદ્રોહી’ તરીકે એક કરતાં વધુ વખત પસ્તાળ પાડવામાં આવી છે. તેની પાછળનું કારણ કાશ્મીર અને ભારતીય લશ્કર વિશેના તેમના વિચારો છે. લશ્કરના જવાનોનું વિવાદાસ્પદ રીતે ચિત્રણ કરતાં મહાશ્વેતા દેવીની વાર્તા નાટક ‘દ્રૌપદી’ને પણ અ.ભા.વિ.પ. અને સ્થાનિક જૂથોએ રાષ્ટ્રવિરોધી ગણીને અટકાવી દેવાનો બનાવ હરિયાણાની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં બન્યો.        

હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના ગરીબ દલિત આશાસ્પદ વિદ્યાર્થી રોહિત વેમુલાએ  આત્મહત્યા કરી. અ.ભા.વિ.પ.ના વિરોધી સંગઠન આંબેડકર સ્ટુડન્ટસ યુનિયનના કાર્યકર્તા રોહિતને યુનિવર્સિટીના વાઇસ-ચાન્સલર અપ્પા રાવે ભા.જ.પ.ના એક મંત્રી અને સ્મૃિત ઇરાનીના દબાણ હેઠળ નિલંબિત કરીને તેની  સ્કૉલરશીપ અટકાવી હતી. રોહિતના કમોતનો વિરોધ કરનાર અધ્યાપકો અને વિદ્યાર્થીઓની સત્તાવાળાઓએ કરેલી દુર્દશાની વાત ઓછી જાણીતી છે. ટૂંકા ગાળાના નિલંબન પછી અપ્પા રાવને ફરીથી હોદ્દા પર બેસાડવામાં આવ્યા કારણ કે તેઓ ભા.જ.પ.ના કહ્યાગરા હતા. આ જ રીતે કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટૉરિકલ રિસર્ચના પ્રમુખપદે પક્ષને ગમતા અને જ્ઞાતિવાદના પ્રખર સમર્થક વાય.એસ. સુદર્શન રાવની નિમણુંક કરવામાં આવી. વેદકાળના અભ્યાસી  અને નરેન્દ્ર મોદીને ભગવાનનો અવતાર માનનાર લોકેશ ચન્દ્રને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ કલ્ચરલ રિલેશન્સના વડા તરીકે ગોઠવવામાં આવ્યા. ઝફર સરેશવાલાની મૌલાના આઝાદ ઉર્દૂ નૅશનલ યુનિવર્સિટીના, એમ. જગદેશ કુમારની જે.એન.યુ.ના વાઇસ-ચાન્સલર તરીકે તેમ જ બલદેવ શર્માની નૅશનલ બુક ટ્રસ્ટના પ્રમુખ તરીકેની નિમણૂકો તેમના જમણેરી જોડાણોને કારણે થઈ હોવાનું ઠીક નોંધાયું છે.

વહાલાંનો સરવાળા સામે દવલાંની બાદબાકી થાય એવો માહોલ ઊભો કરવામાં આવતો રહ્યો. નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગના નિયામક પ્રવીણ સિન્કલેર તેમ જ વિશ્વભારતી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સુશાન્તા ગુપ્તા પર આર્થિક ગેરવ્યવહારોના આરોપો હેઠળ હોદ્દા છોડવાની ફરજ પાડવામાં આવી. જાણીતા અણુવિજ્ઞાની અનિલ કાકોડકરે સરકારી દખલઅંદાજીના વિરોધમાં આઇ.આઈ.ટી.ના બોર્ડ ઑફ ગવર્નર્સમાંથી રાજીનામું આપ્યું. નોબેલ સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને 2015માં નાલંદા યુનિવર્સિટીના વાઇસ-ચાન્સલર પદેથી રાજીનામું આપ્યું તેનું કારણ સરકારી હસ્તક્ષેપ.

યુનિવર્સિટીના સરકારી ઉપયોગનું હમણાંનું ઉદાહરણ વિમુદ્રાકરણની આપખુદ અને આપત્તિજનક પ્રક્રિયામાં જોવા મળ્યું . સરકારે ચાર પાનાંના આદેશાત્મક પત્ર થકી  તમામ  કેન્દ્ર, રાજ્ય તેમ જ ખાનગી યુનિવર્સિટીઓને વિત્તિય સાક્ષરતા આભિયાનમાં જોતરી હતી ! જો કે આના પહેલાની સરકારો આદર્શ હતી એવો દાવો થઈ શકે તેમ નથી જ. પણ ઑથોરિટેરિયન- સત્તાવાદી અભિગમ ઠીક ઓછો હતો. ખરેખર તો શાસનતંત્રનું કામ શિક્ષણના સંચાલનમાં સહાયભૂત થવાનું છે, નહીં કે શિક્ષણને પોતાના તાબા હેઠળ રાખવાનું. યુનિવર્સિટી સરકારનું એક ખાતું નહીં સ્વાયત્ત જ્ઞાનમાર્ગી સંસ્થા હોવી ઘટે.

આવી એક સંસ્થા તે ઑક્સફર્ડ યુનિવર્સિટી. પહેલા વિશ્વયુદ્ધ પછી એકાદ દાયકા બાદ યુરોપમાં ફરીથી ડહોળાઈ રહેલી શાંતિના સંજોગોમાં બ્રિટને શસ્ત્રસજ્જતાની શરૂઆત કરી હતી. યુનિવર્સિટીના એક મોટા હિસ્સાની આ લાગણી તેની વિરુદ્ધ હતી. એટલે ઑક્સફર્ડના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના યુનિયને નવમી ફેબ્રુઆરી 1933ના રોજ એક પેસિફિસ્ટ એટલે કે શાંતિવાદી ઠરાવ પસાર કર્યો. તેનું કેન્દ્રવર્તી વિધાન હતું :  ‘આ ગૃહ કોઈ પણ સંજોગોમાં રાજા માટે અને દેશ માટે લડશે નહીં.’ અલબત્ત બ્રિટનમાં આ ઠરાવનો  ચર્ચિલ અને  સમાજના અનેક વર્ગોમાં   વ્યાપક  વિરોધ  હતો. વળી, બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે ત્રણેક હજાર કૉલેજના યુવકો યુદ્ધમાં સ્વેચ્છાએ જોડાયા પણ હતા. પણ ગયા ત્રણ વર્ષમાં ઉચ્ચ શિક્ષણ જે રીતે તેની સ્વાયત્તતા ગુમાવી રહ્યું છે ત્યારે  આ કિસ્સો  મહત્ત્વનો  છે.

++++++++

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 26 મે 2017

Loading

...102030...3,4113,4123,4133,414...3,4203,4303,440...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved