Opinion Magazine
Number of visits: 9664534
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિશ્વ રંગભૂમિ દિવસ પ્રસંગે કન્યા વિદાય વગરનો શકુંતલાનો ‘ઊરદુ ઓપેરા’

દીપક મહેતા|Opinion - Literature|27 March 2025

નાહી સિર પર ફિર ભંવરે રે,

કમલ સમઝ નહીં નાદાન મોહે…નાહી 

મોહે સંગ આવત, કાહે સતાવત,

પીછે ન આ તુ ગુમાની રે.

લટ છટકા કે દૂર કરુંગી,

સિસ ન ઘુમ હમરે …કમલ સમઝ 

સખીઅન આવો, મોહે છુડાવો,

ભવરે ને કર દી દીવાની રે.

બરજોરી એ તો મોહે કરત હયે,

મોરે બાલ છુટત સગરે… કમલ સમઝ 

પીલુ રાગમાં ગવાતી આ ઠુમરી ૧૯મી સદીની છેલ્લી પચ્ચીસીમાં મુંબઈ શહેરમાં ભજવાયેલા અને પુસ્તિકા રૂપે છપાયેલા નાટકમાં એક સ્ત્રીપાત્ર ગાય છે. આ સ્ત્રીપાત્ર કોણ હશે? ગમે તેટલું માથું ખંજવાળીએ તો પણ મોટે ભાગે જવાબ ન મળે. એ નાટકનું નામ છે : ’શકુંતલાનો ઊરદુ ઓપેરા : તમામ ગાયન રૂપી ખેલ, ઊરદુ રાગ રાગનીમાં.’ એટલે કે આ ઠુમરી ગાય છે શકુંતલા. આ નાટકના બનાવનાર કહેતાં લેખક છે નસરવાનજી મેરવાનજી ખાનસાહેબ.

એક જમાનામાં અમેરિકાને દુનિયાનું મેલ્ટિંગ પોટ કહેવામાં આવતું. ૧૯મી સદીના હિન્દુસ્તાનનું મેલ્ટિંગ પોટ હતું મુંબઈ. દેશના અને દુનિયાના જુદા જુદા ભાગમાંથી આવીને અહીં લોકો વસ્યા હતા. તેમનાં ‘વતન’, ભાષા, ધર્મ, જીવન જુદાં જુદાં હતાં. ક્યારેક તેને કારણે સંઘર્ષ પણ થતો, જેને એ જમાનામાં ‘હુલ્લડ’ કે ‘દંગલ’ કહેવાનો રિવાજ હતો. પણ એકંદરે આ બધા લોકો હળીમળીને, સંપીને રહેતા. એટલું જ નહિ તેમની વચ્ચે ભાષા, સાહિત્ય, રંગભૂમિ, નાટક, સંગીત વગેરેમાં લેવડદેવડ થતી રહેતી. 

આ નાટક આવી લેવડદેવડનો એક મજેનો દાખલો છે. તેમાં પાંચ સાંસ્કૃતિક પરંપરાનો સુમેળ સધાયો છે. આ નાટકનાં કથાનક, પાત્રો કવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુન્તલ નાટકનાં છે. અને તેનાં મૂળ મહાભારતના આદિપર્વમાં છે, એટલે કે સંસ્કૃત સાહિત્યની પરંપરાનાં છે. એની ભાષા હિન્દુસ્તાની – આજે આપણે જેને ઉર્દૂ કહીએ છીએ – છે. પણ એ ભાષા છપાઈ છે ગુજરાતી લિપિમાં. એના લેખક ખાનસાહેબ પારસી છે. અને નાટકનું સ્વરૂપ પશ્ચિમના ઓપેરાનું છે. અને આ નાટક એ જમાનામાં છપાયું છે એટલું જ નહિ, ભજવાયું છે, સફળતાથી ભજવાયું છે. આજે કોઈને સવાલ થાય કે દુષ્યંત શકુંતલા જેવાં પાત્રો ઉર્દૂ બોલે એ કેવું લાગે? પ્રેક્ષકો એ અપનાવી શકે? પીટર બ્રુક્સના નાટકમાં મહાભારતનાં પાત્રો અંગ્રેજી બોલે એ આજે આપણે જેમ સ્વીકારીએ છીએ તેમ એ વખતનો પ્રેક્ષક પણ આવી વાત સ્વીકારી લેતો. 

આજે મુંબઈની રંગભૂમિ ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, વગેરેમાં વહેંચાઈ ગઈ છે. નાટક લખનારા અને ભજવનારાઓ વચ્ચે થોડી લેવડદેવડ થતી રહે, પણ એ દરેકનો પ્રેક્ષક વર્ગ અલગ અલગ છે. એ વખતે એવું નહોતું. પારસીઓ ભજવે તે નાટક જોવા બિન-પારસીઓ પણ જતા. મરાઠી નાટકો બીજી ભાષા બોલતા લોકો પણ જોતા. આ નાટક જેવાં હિન્દુસ્તાની નાટક જોવા ગુજરાતી, પારસી, મરાઠી, ઉર્દૂભાષી અને બીજા લોકો પણ જતા. ૧૯મી સદીનાં છેલ્લા ૨૫ વરસમાં અને ૨૦મી સદીની પહેલી પચ્ચીસી દરમ્યાન આ સ્થિતિ હતી. અને આવું કાંઈ નાટકની બાબતમાં જ થતું એવું નહોતું. શિક્ષણ, સમાજ સુધારો, સાહિત્ય, પત્રકારત્વ, નાટક ઉપરાંત બીજી કલાઓ, બધાં ક્ષેત્રોમાં જુદા જુદા વર્ગના લોકો ભેગા મળીને કામ કરતા. એ જમાનાનું મુંબઈ સાચા અર્થમાં ‘કોસ્મોપોલિટન’ શહેર હતું. 

શકુંતલા અને બે સખીઓ − રાજા રવિ વર્માનું ચિત્ર

ખેર, આપણે ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા નાટક’ તરફ પાછા વળીએ. છે તો છાપેલાં ૨૬ પાનાંનું નાટક પણ અહીં બધું જ પદ્યમાં, ગીતમાં કહેવાયું છે. એટલે આ ૨૬ પાનાં ભજવતાં સહેજે ચાર-પાંચ કલાક તો લાગતા હશે. કારણ અહીં બાર જેટલાં નાનાં-મોટાં પાત્રો છે. ભૈરવી, ઝિંઝોટી, પીલુ, જોગિયા, બિહાગ, ખમાજ, કાફી, જેવા શાસ્ત્રીય સંગીતના રાગોમાં ગવાતાં ગીતો છે.  એક ગીત ‘લ્યુસી નીલ’ નામના અંગ્રેજી ગીતની ચાલ પ્રમાણે પણ ગાવાનું છે! (એ વખતનાં ઘણાં પારસી-ગુજરાતી નાટકોમાં આવાં અંગ્રેજી ચાલનાં ગીતો મૂકવામાં આવતાં.) નાટકમાં ઠુમરી, હોરી, ગઝલ, દાદરા, તરાના, પદ, લાવણી, મરસિયા(!), જેવા ગેય પ્રકારો છે. આખા નાટકને બે જ ‘બાબ’(અંક)માં સમાવ્યું છે, બંને  અંકમાં છ-છ ‘પરદા’ (દૃશ્યો) છે. એ વખતના રિવાજ પ્રમાણે અહીં એક આખું દૃષ્ય ‘કોમેડી’ કે ‘ફારસ’નું પણ છે. આવું કોઈ દૃષ્ય કાલિદાસના શાકુન્તલ નાટકમાં નથી. ખાનસાહેબ એ ક્યાંથી લઈ આવ્યા એ જાણી શકાયું નથી. તો બીજી બાજુ કાલિદાસના શાકુન્તલનો સૌથી વધુ જાણીતો અને હૃદયસ્પર્શી એવો કન્યાવિદાયનો પ્રસંગ અહીં છે જ નહિ! પુસ્તક કોટ વિસ્તારની પારસી બજાર સ્ટ્રીટમાં આવેલ ‘જહાંગીર બેજનજી કરાણી ચોપડી વેચનારે’ પ્રગટ કર્યું છે.

દુષ્યન્તને પત્ર લખતી શકુંતલા – ટપાલ ટિકિટ પર

આ ખાનસાહેબ હતા કોણ? પારસીઓ વિશેના એનસાઈકલોપીડિયા જેવા ‘પારસી પ્રકાશ’માં એક નાનકડો ફકરો જોવા મળે છે. એ પ્રમાણે ૧૮૮૨ના માર્ચની ૨૦મી તારીખે માત્ર ૨૯ વર્ષની ઉંમરે તેઓ બેહસ્તનશીન થયા. એટલે કે તેમનો જન્મ ૧૮૫૩માં થયો હોય. પિતાનું નામ જમશેદજી રતનજી બેલગામવાલા. ખાનસાહેબ વનસ્પતિ શાસ્ત્ર(બોટની)ના અને હિન્દુસ્તાની ભાષાના જાણકાર હતા. ‘આરામ’ ઉપનામથી તેમણે હિન્દુસ્તાની નાટકો લખ્યાં છે. ઉપરાંત પારસી ગુજરાતીમાં તેમણે ‘મેહર મસ્તની મુસાફરી’ નામનું પુસ્તક પ્રગટ કર્યું હતું. જે સર્વાન્ટિસની જગવિખ્યાત નવલકથા ‘દોન કિહોટે’નું પારસી પાત્રો અને સુરતની ભૂમિકા ધરાવતું રૂપાંતર હતું. ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા’ વાંચ્યા પછી આપણે કહી શકીએ કે તેઓ હિન્દુસ્તાની ઉપરાંત સંસ્કૃત, અંગ્રેજી, ગુજરાતી, ભાષા-સાહિત્યના તથા આપણા શાસ્ત્રીય સંગીતના અચ્છા જાણકાર હોવા જોઈએ. 

વધુ ખાંખાખોળાં કરતાં બીજી કેટલીક હકીકતો પણ જાણવા મળે છે. ખાનસાહેબનાં બે પ્રકારનાં નાટક જોવા મળે છે. એદલજી ખોરીએ પહેલાં પારસી ગુજરાતીમાં લખેલાં નાટકોના હિન્દુસ્તાની ભાષામાં કરેલા અનુવાદ. આવાં નાટકોમાં સોને કે મોલ કી ખુરશેદ (૧૮૭૧), નૂરજહાં, જહાંગીર, મજહબે ઇશ્ક, બકાવલી-તાજૂલમલૂક, ગુલબકાવલી, હાતિમ (બધાં ૧૮૭૨), જાલમજોર (૧૮૭૬)નો સમાવેશ થય છે. આ નાટકો ભજવાતાં પણ બંને ભાષામાં. તેમનાં મૌલિક હિન્દુસ્તાની નાટકોની પ્રકાશન સાલ મળતી નથી પણ તેમાં આ નાટકોનો સમાવેશ થાય છે : ગુલવાસવનોવર, છેલબટાઉ મોહનારાની, પદમાવત, લાલો ગૌહર, ચંદ્રાવલી, વગેરે. શકુંતલા ઉપરાંત ખાનસાહેબે બીજાં ઓપેરા પ્રકારનાં નાટકો લખ્યાં છે. બદરેમનીર-બેનઝીર તેમનું પહેલું ઓપેરા. બીજું ઓપેરા જહાંગીરશાહ-ગૌહર જે ૧૮૭૪માં પ્રગટ થયું. અને ત્રીજું આ શકુંતલા, જેની ભજવણીની કે પ્રકાશનની સાલ હજી સુધી મળી નથી. પારસી નાટક મંડળીએ પૂનામાં ભજવેલ ‘ઇન્દ્રસભા’ નાટક જોયા પછી અન્નાસાહેબ કિર્લોસ્કરને મરાઠીમાં સંગીત નાટક લખવાનો વિચાર આવ્યો. ૧૮૮૦માં ભજવાયેલું તેમનું ‘સંગીત શાકુન્તલ’ મરાઠીનું પહેલું સંગીત નાટક. પછી તો વર્ષો જતાં એ પરંપરા ખૂબ સમૃદ્ધ થઈ. પણ મોટે ભાગે તેમના ‘સંગીત શાકુન્તલ’ પહેલાં ખાનસાહેબનું ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા’ નાટક લખાયું અને ભજવાયું. કારણ ૧૮૭૬ પછી લખાયેલું તેમનું કોઈ નાટક મળતું નથી. અને ૧૮૮૨માં તો તેમનું અવસાન થયું છે.

ખાનસાહેબનું બીજું એક પુસ્તક

ખાનસાહેબે જેમનાં ગુજરાતી નાટકોના હિન્દુસ્તાની અનુવાદ કર્યા તે એદલજી જમશેદજી ખોરીનો જન્મ ૧૮૪૭માં. હજી ભણવાનું ચાલુ હતું ત્યારે બીજા બે પારસી મિત્રો સાથે મળીને ‘અરેબિયન નાઈટસ’નો ગુજરાતી અનુવાદ બે દળદાર ભાગોમાં ૧૮૬૫માં પ્રગટ કરેલો. ૧૮૬૯માં વિક્ટોરિયા નાટક મંડળીએ નાટક માટે હરીફાઈ જાહેર કરી ત્યારે ૩૦૦ રૂપિયાનું પહેલું ઇનામ ખોરીના ‘રુસ્તમ અને સોહરાબ’ નાટકને મળેલું અને તેથી એ મંડળીએ ભજવેલું, અને ૧૮૭૦માં એ મંડળીએ જ છાપીને પ્રગટ કરેલું. ખોરીનું આ પહેલું નાટક. ‘ખોદાબક્સ’ ૧૮૭૧માં ઝોરાસ્ટ્રિયન નાટક મંડળીએ ભજવેલું અને ખોરીએ પોતે પ્રગટ કરેલું. એ જ વર્ષે વિક્ટોરિયા નાટક મંડળી માટે તેમણે ‘સોનાનાં મુલની ખોરશેદ’ લખ્યું જેનો હિન્દુસ્તાની અનુવાદ બેહરામજી ફરદુનજી મર્ઝબાને કરેલો તે વિક્ટોરિયાએ ભજવેલો અને પ્રગટ કરેલો. હિન્દુસ્તાની (ઉર્દૂ) ભાષામાં ભજવાયેલું આ પહેલવહેલું નાટક. આ ઉપરાંત તેમણે બીજાં ત્રણ-ચાર નાટક લખ્યાં જેના હિન્દુસ્તાની અનુવાદ ખાનસાહેબે કર્યા અને ભજવાયાં. પણ પછી ખોરીની કારકિર્દીએ અણધાર્યો વળાંક લીધો. તેઓ કાયદાના અભ્યાસ માટે ઇન્ગ્લંડ ગયા અને ૧૮૮૨માં બેરિસ્ટર બન્યા. પહેલાં સિંગાપુરમાં અને પછી ઇન્ગ્લંડમાં પ્રેક્ટિસ કરી, પણ નાટક સાથેનો સંબંધ સદંતર તૂટી ગયો. ૧૯૧૭ના જૂનની ૧૦મી તારીખે ઇન્ગ્લંડમાં જ તેઓ બેહસ્તનશીન થયા. 

ભજવાઈ રહેલું એક પારસી-ગુજરાતી નાટક

પારસી નાટક મંડળીઓ પારસી ગુજરાતી નાટકો ભજવતી હતી, ક્યારેક ‘શુદ્ધ’ ગુજરાતી નાટક અને અંગ્રેજી નાટક પણ ભજવી લેતી. પણ તેમણે હિન્દુસ્તાની નાટકો ભજવવાનું કેમ શરૂ કર્યું? બે મુખ્ય કારણ. એક તો મુંબઈમાં પ્રેક્ષકોના વધુ મોટા સમૂહ સુધી પહોંચવા માટે. મુસ્લિમો ઉપરાંત એ જમાનામાં ઘણા પારસીઓ અને હિંદુઓ પણ ઊર્દૂ ભાષા જાણતા હતા. પોર્ટુગીઝો અને અંગ્રેજોના આગમન પહેલાં દેશના ઘણા મોટા ભાગની દરબારી અને કાનૂની ભાષા હિન્દુસ્તાની હતી. એટલે ઘણા લોકો માટે ભલે થોડી ઘણી, પણ આ ભાષા જાણવાનું જરૂરી હતું. આવા લોકો ગુજરાતી કે અંગ્રેજી ઉપરાંત હિન્દુસ્તાની નાટકો જોવા પણ આવે તો પ્રેક્ષકો વધે. બીજું, ઘણી પારસી નાટક મંડળીઓ દર વર્ષે મુંબઈની બહાર, ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ભારતમાં, નાટકો ભજવવા માટે પ્રવાસે જતી. વિક્ટોરિયા અને બીજી એક-બે મંડળી તો  પરદેશના પ્રવાસે પણ જતી. આવા પ્રવાસો દરમ્યાન માત્ર ગુજરાતી નાટકો ભજવવાને બદલે સાથે હિન્દુસ્તાની નાટકો પણ ભજવ્યાં હોય તો વધુ આર્થિક લાભ થાય. બીજું કારણ એ કે હિન્દુસ્તાની નાટકોમાં વિવિધ પ્રકારનાં સંગીત અને નૃત્યને વધુ અવકાશ હતો અને તેનાથી આકર્ષાઈને પણ પ્રેક્ષકો આવી શકે. એટલે વિક્ટોરિયા નાટક મંડળી પછી બીજી પારસી મંડળીઓ પણ હિન્દુસ્તાની નાટક ભજવવા લાગી.

આ લખનારે હિન્દુસ્તાની નાટકોનાં લગભગ પચાસ પુસ્તક મેળવ્યાં છે. તેમાંનું એકેએક ગુજરાતી લિપિમાં છપાયું છે. તેમાંનાં ઘણાં પુસ્તકોનાં પૂંઠા અને ટાઈટલ પેજ પર છપાયું હોય છે : ‘ઝબાને ઊર્દૂ બ હર્ફે ગુજરાતી’. એટલે કે ભાષા ઉર્દૂ, પણ લિપિ ગુજરાતી. આમ કેમ? ઉર્દૂ જે લિપિમાં લખાય છે તેમાં જોડાક્ષર મળીને લગભગ ૨૦ હજાર જેટલા અક્ષરો વપરાય છે. ૧૯૮૧ પહેલાં ઉર્દૂ છાપવા માટેના ટાઈપ (ફોન્ટ) જ બની શક્યા નહોતા. એટલે ત્યાં સુધી લિથોગ્રાફ (શિલાછાપ) પદ્ધતિથી ઉર્દૂ લખાણ છાપવું પડતું. આ માટે પહેલાં પુસ્તકનું એક એક પાનું લહિયા પાસે ખાસ જાતના પોચા પથ્થર પર લખાવવું પડતું અને પછી તેના વડે છાપકામ કરવું પડતું. આ આખી પ્રક્રિયા ખર્ચાળ અને વધુ સમય માગી લે તેવી હતી. વળી એવા પણ ઘણા લોકો હતા જે હિન્દુસ્તાની ભાષા જાણતા, પણ તેની લિપિ નહિ. મુવેબલ ટાઈપ વાપરીને ગુજરાતી છાપકામની શરૂઆત મુંબઈમાં તો છેક ૧૮મી સદીના છેલ્લા દાયકામાં થઈ ગઈ હતી, અને પારસીઓ તેમાં અગ્રણી હતા. એટલે, હાજર સો હથિયાર કરીને તેમણે આ ઉર્દૂ નાટકો ગુજરાતી લિપિમાં છાપ્યાં.  

XXX XXX XXX

E.mail : deepakbmehta@gmail.com

Loading

અમેરિકન દારૂ ઢીંચીને અમેરિકન બાઇક પર ફરો તો ભારત આત્મનિર્ભર બને!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|27 March 2025

હેમંતકુમાર શાહ

આજકાલ સૌની નજર બીજી એપ્રિલ પર છે. કારણ કે એ દિવસે અમેરિકા ભારતની નિકાસ પર વધુ આયાત જકાત નાખશે એવી ધારણા છે. 

ડોનાલ્ડ ટ્રમ્પની દલીલ એ છે કે ભારત અમેરિકાની ચીજો પર સરેરાશ ૧૨.૫ ટકા આયાત જકાત નાખે છે અને અમેરિકા તો ભારતની ચીજો પર સરેરાશ માત્ર ૨.૨ ટકા જ આયાત જકાત નાખે છે. એટલે અમેરિકાને ભારત સાથેના વેપારમાં વરસેદહાડે ૪,૫૬૦ કરોડ ડોલરની ખોટ જાય છે. 

હવે ડોનાલ્ડ ટ્રમ્પ એમ સમજે છે કે મોદીના રાજમાં ભારતનો વિકાસ થઈ ગયો છે એટલે ભારતને આયાત જકાતમાં રાહત આપવાની જરૂર નથી. એટલે ટ્રમ્પ ભારતની ચીજો પર આયાત જકાત વધારવા અધીરા થયા છે.

ભારત જે નિકાસ અમેરિકામાં કરે છે તે આને પરિણામે ઘટે એમ બને. એટલે એ બચાવવા માટે મોદી સરકાર હવાતિયાં મારી રહી છે. પરિણામે મોદી સરકાર દારૂ અને બાઈક સહિતની અનેક અમેરિકન ચીજો પરની આયાત જકાત પણ ઘટાડી રહી છે અને હજુ વધારે ઘટાડે એમ પણ બને. 

અમેરિકાની હાર્લી ડેવિડસન સહિતની વિદેશી બાઈક પરની આયાત જકાત ગઈ પહેલી ફેબ્રુઆરીના રોજ નાણાં પ્રધાને તેમના બજેટ પ્રવચનમાં, એટલે કે ૨૦મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે પદગ્રહણ કર્યું તેના ૧૩ જ દિવસમાં, ૫૦ ટકાથી ઘટાડીને ૪૦ ટકા અને કેટલાક કિસ્સામાં ૨૦ ટકા કરી નાખી હતી. તે હજુ વધારે ઘટાડવામાં આવે એમ પણ બને.

એ જ રીતે, અમેરિકાની બર્બોન વ્હિસ્કી પરની આયાત જકાત ૧૫મી ફેબ્રુઆરીના રોજ ૧૫૦ ટકાથી ઘટાડીને ૫૦ ટકા કરી નાખવામાં આવી હતી! ૨૦૨૩-૨૪માં ૨૫ કરોડ રૂપિયાની આ વ્હિસ્કીની આયાત અમેરિકાથી ભારતમાં કરવામાં આવી હતી.

હવે જો અમેરિકન ચીજો પરની આયાત જકાત મોદી સરકાર ઘટાડે તો ભારતનાં બજારોમાં અમેરિકન ચીજો હાલ કરતાં વધારે ઠલવાય. અને વોટ્સએપ દેશભક્તિ કરનારા ભારતીયો સસ્તી અમેરિકન ચીજો વધુ ખરીદે અને હાર્લી ડેવિડસન પર તિરંગો લહેરાવતા ફરે.

મોદીની ૫૬ ઇંચની છાતી કેટલી સંકોચાઈ ગઈ છે! સહેજ પણ હિંમત નથી કે એ ટ્રમ્પને એમ કહે કે થાય તે કરી લો, નહિ ઘટે આયાત જકાત. 

ટેરિફ એટલે કે આયાત જકાતના એટલે કે વેપાર યુદ્ધમાં મોદી હારી રહ્યા છે. 

કેમ? કારણ કે બે લાખ રૂ.થી માંડીને બે કરોડ રૂપિયાની બાઈક ફેરવનારા અને મોંઘોદાટ વિદેશી શરાબ ઢીંચનારા દેશભક્ત હિન્દુ ભારતીયોની મોદીને બહુ ચિંતા છે! કારણ એ છે કે એ હિન્દુત્વની બેંક છે. કોઈ પણ હિસાબે એમને તો રાજી રાખવા જ પડે ને.

બોલો, આત્મનિર્ભર મહાભારત કી જય! 

તા.૨૭-૦૩-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સાહિત્યકારોમાં પણ ક્લેરિટીનો અભાવ કેમ રહેતો હશે?

રમેશ સવાણી|Opinion - Opinion|26 March 2025

યશવંત શુક્લ

આપણા  ઉત્તમ કક્ષાના પત્રકાર / સાહિત્યકાર / અનુવાદક યશવંત શુકલ (8 એપ્રિલ 1915 / 23 ઑક્ટોબર 1999)નો એક લેખ – ‘ઐતિહાસિક સંદર્ભમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રદાન’ ‘સ્વામિનારાયણ સંતસાહિત્ય’ પુસ્તકમાં રઘુવીર ચૌધરીએ મૂક્યો છે. 

યશવંત શુક્લને 1985માં નર્મદ સુવર્ણચંદ્રક અને 1992માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. તેમણે મેકિયાવેલીના ‘ધ પ્રિન્સ’નો અનુવાદ ‘રાજવી’ અને બર્ટ્રાન્ડ રસેલના ‘ધ પાવર’નો અનુવાદ (1970) ‘સત્તા’ કર્યો છે. મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે બર્ટ્રાન્ડ રસેલના ‘ધ પાવર’નો અનુવાદ કરનાર વિદ્વાન વ્યક્તિ પરચાજીવી સહજાનંદજીને ભગવાન માનતા હતા !

યશવંત શુક્લ લખે છે : “સ્વામિનારાયણના સમાજ-સંદર્ભ વિશે વિચારીએ. મોગલ સામ્રાજ્યની અવનતિ થઈ તે પછી મરાઠી રિયાસતો આવી. તે ગાળામાં આખો દેશ છિન્નભિન્ન હતો અને ગુજરાત પણ ધણીધુરી વિનાનો પ્રદેશ હતો. મુલકગિરિ, ઈજારાશાહી, વેઠની પદ્ધતિ, દુકાળો, ખોટા રિવાજો, અંધશ્રદ્ધાઓ, જ્ઞાતિસંસ્થાની જડતા, વહેમો-ભૂત પ્રેતના, વળગાડના – આ બધો આપણો પરિવેશ હતો. રાજ્યો છિન્નભિન્ન હતાં. જેનું રાજ્ય કહી શકાય તે પણ સીધું રાજ્ય કરતા નહોતા. રાજાઓ પણ લૂંટારા જેવા હતા. ગાયકવાડનું રાજ્ય હતું, ગાયકવાડને પેશ્વા લૂંટતો. ગાયકવાડ ઇજારદારોને લૂંટતા, ઇજારદારો પ્રજાને લૂંટતા. આમ એક લૂંટણખોરી વચ્ચે લોકો જીવતા હતા અને એમાંયે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ પોતાનું મુખ્ય કાર્ય ગોઠવ્યું તે સૌરાષ્ટ્રમાં પણ 200 કરતાં વધારે રજવાડાં હતાં. આ બધાને ભેગા કરીને કશીક શાંતિ જળવાય એ કરવા માટે અંગ્રેજો પણ વચ્ચે પડેલા … આપણને આશ્ચર્ય થાય છે કે 1781માં જન્મેલા હરિપ્રસાદ પાંડેના પુત્ર અહીં કેમ આવ્યા? જ્યાં અનિશ્ચિતતા હતી, અંધાધૂંધી હતી, અવ્યવસ્થા હતી. તેમણે અહીં આવી 30 વર્ષ કાર્ય કર્યું. પોતે યુગસર્જક બની ગયા. તેઓ અહીં આવી શક્યા તેનું એક મૂળ કારણ આ છે : અહીં સામાન્ય પ્રજાજન બહાદૂર હતો, બીકણ નહોતો. તે વખતના વાણિયાઓ પણ શસ્ત્રો ચલાવી જાણતા. બ્રાહ્મણોમાં પણ એક પ્રકારની હિંમત હતી. રાજ ગમે તે કરતો હોય, ગમે તેમ કરતો હોય, છતાં એક મજબૂત ગ્રામવ્યવસ્થા હતી. એમાં મહાજનો નિર્ણાયકો હતા. તેને કારણે એક આઘાત આવે અને તે આઘાત પૂરો થાય એટલે ફરી પાછું ગ્રામ ગોઠવાઈ જતું. આ ગ્રામસ્વરાજ્યને કારણે પ્રજા છિન્નભિન્ન થતી અટકી ગઈ અને પોતાનું અસ્તિત્વ પણ સંભાળી શકી … બે લાખ જેટલા માણસો થોડા વખતમાં જ તેમના અનુયાયી થઈ ગયા. કાઠીઓ, ક્ષત્રિયો લૂંટારાઓ આ બધા એમના શરણે આવ્યા, એમના જીવનમાં પરિવર્તન થયું અને પરિવર્તન પણ એવા પ્રકારનું કે તેમને ‘તેવાને તેવા રાખીને અથવા બીજાને તેમની સાથે ભેળવીને એમને નીચે ઉતારીને નહીં, પણ ખુદ આ નીચલા વર્ગને-એ હિંદુ હોય, એ મુસલમાન હોય, એ પારસી હોય કે બીજી કોઈ કોમના હોય તેમને-ઊંચા લીધા.’ અનાયાસે શાંતિ પ્રસારવામાં ઘણો મોટો હિસ્સો સ્વામિનારાયણ ભગવાને આપ્યો. દંડભયથી જે ન થઈ શક્યું તે પ્રેમશક્તિથી ભગવાન સ્વામિનારાયણે સિદ્ધ કર્યું. તેઓ ‘વન મેન પીસ-કીપિંગ બ્રીજ’ બની રહ્યા. જે લોકો સત્સંગી નહોતા તેની ઉપર પણ તેની છાયા પડે તેવું નિર્માણ થયું એ સ્વામિનારાયણ ભગવાનની એક મોટામાં મોટી સિદ્ધિ છે. કિશોરલાલ મશરૂવાળાએ તેમને ભગવાન બુદ્ધ સાથે સરખાવ્યા છે અને કહ્યું છે કે પોતાના કાળમાં પ્રસિદ્ધ પુરુષોમાં સહજાનંદ સ્વામી સૌથી મહાન હતા.” (પેજ -124 / 125 / 126 / 127)

થોડાં પ્રશ્નો : 

[1] જો આખો દેશ છિન્નભિન્ન હતો અને ગુજરાત પણ ધણીધુરી વિનાનો પ્રદેશ હતો, તો સહજાનંદજીએ; મુલકગિરિ, ઈજારાશાહી, વેઠની પદ્ધતિ, ખોટા રિવાજો, અંધશ્રદ્ધાઓ, જ્ઞાતિસંસ્થાની જડતા, વહેમોને દૂર કરવા શું યોગદાન આપ્યું? તેઓ પોતે ગઢડાના જમીનદારના આશરે હતા, તેમણે જમીનદારી નાબૂદ કરવા ક્યા પગલાં લીધાં હતા? ઇજારાશાહી દૂર કરવા ક્યો વિચાર આપેલ? વેઠપ્રથા દૂર કરવા ક્યું અભિયાન ચલાવેલ? તેમનું સાહિત્ય જ અઢળક પરચાઓ / ચમત્કારોથી ભરેલા છે તે અંધશ્રદ્ધા દૂર કરે કે દૃઢ કરે? મહિલાઓએ વસ્ત્ર પહેરીને જ નહાવું / રજસ્વલા દરમિયાન અસ્પૃશ્યતા ફરજિયાત પાળવી / વિધવાએ પુનર્લગ્ન કરવાને બદલે ભક્તિ કરી જીવન ગાળવું / વિધવાએ એક વખત જ ભોજન કરવું; આ શું અંધશ્રદ્ધા નથી? વળી સહજાનંદજીએ 70 વર્ષના હરબાઈ અને વાલબાઈને માત્ર મહિલાઓને ઉપદેશ આપવા આદેશ કર્યો તે સહજાનંદજીનું પ્રગતિશીલતા વિરુદ્ધનું પગલું ન હતું? જ્ઞાતિસંસ્થાની જડતા દૂર કરી કે દૃઢ કરી? શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણની સેવા કરવાનો આદેશ શિક્ષાપત્રીમાં કેમ આપ્યો? હજુ આજે 2025માં પણ આ સંપ્રદાયમાંથી  જ્ઞાતિજડતા જોવા મળતી નથી? 

[2] રાજાઓ / ઈજારદારો / અંગ્રેજો લોકોને લૂંટતા; પરંતુ આ લૂંટ અટકાવવા સહજાનંદજીએ શું કાર્યવાહી કરી? ક્યો એક્શન પ્લાન આપ્યો? માત્ર ભક્તિ કરવાથી આ સમસ્યા દૂર થાય? જો સહજાનંદજી ખુદ ભગવાન હતા તો રાજાઓને / ઈજારદારો ને/ અંગ્રેજોને સીધા કેમ ન કર્યા? રાજાશાહી દૂર કરી, લોકોનું શાસન સ્થાપવા હાકલ કેમ ન કરી? ખુદ ભગવાન હોવા છતાં શા માટે અંગ્રેજોની ગુલામી કરી? ‘રાજાને ક્યારે ય ખાલી હાથે ન મળવું’ એવો આદેશ શિક્ષાપત્રીમાં કેમ આપ્યો? 

[3] શું સહજાનંદ સૌરાષ્ટ્રમાં એટલે આવ્યા હતા કે ‘અહીંનો સામાન્ય પ્રજાજન બહાદુર હતો, બીકણ નહોતો. તે વખતના વાણિયાઓ પણ શસ્ત્રો ચલાવી જાણતા. બ્રાહ્મણોમાં પણ એક પ્રકારની હિંમત હતી. રાજ ગમે તે કરતો હોય, ગમે તેમ કરતો હોય, છતાં એક મજબૂત ગ્રામવ્યવસ્થા હતી. એમાં મહાજનો નિર્ણાયકો હતા. તેને કારણે એક આઘાત આવે અને તે આઘાત પૂરો થાય એટલે ફરી પાછું ગ્રામ ગોઠવાઈ જતું.’ જો અહીં ‘ફરી પાછું ગ્રામ ગોઠવાઈ જતું’ હોય તો સહજાનંદજીને યુગસર્જક કહી શકાય? વળી તેમની જરૂર છપૈયા – ઉત્તર પ્રદેશમાં વધુ હતી, કેમ કે સૌરાષ્ટ્ર / ગુજરાતમાં તો નરસિંહ મહેતા / અખા ભગત / કબીર / વલ્લભાચાર્ય વગેરે સંતોની અસર હતી જ. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લોકો જંગલી ન હતા. વ્યસની ન હતા. પરિશ્રમી અને ખડતલ હતા. સહજાનંદજીનું સૌરાષ્ટ્રમાં આવવાનું કારણ એ હતું કે અહીંના લોકો સાધુ-સંતોનો વિશેષ આદર કરનારા હતા, ભોળા હતા. 

[4] ‘આ નીચલા વર્ગને, નીચે ઉતારીને નહીં પણ એમને ઊંચા લીધા.’ શું આ મોટો ભ્રમ નથી? વર્ણવ્યવસ્થાનું સમર્થન કરનાર કઈ રીતે નીચલા વર્ગને ઉપર લે? શું કોઈ ભક્ત બને, ટીલાંટપકાં કરે એટલે ઊંચા લીધા કહેવાય? જો માણસ માત્રને ઊંચા લેવાં હતાં તો દલિતોને તિલક કરવાની મનાઈ શિક્ષાપત્રીમાં કેમ કરી? કોઈ એકાદ મુસ્લિમ કે પારસી સત્સંગી / ભક્ત બને એટલે તેને ઊંચા લીધા કહેવાય? આજે કેટલા મુસ્લિમો / પારસીઓ / દલિતો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે? 

[5] જો સહજાનંદજી ‘વન મેન પીસ-કીપિંગ બ્રીજ’ બની રહ્યા હોય તો માત્ર સૌરાષ્ટ્ર / ગુજરાત માટે જ કેમ? શા માટે પોતાની જન્મભૂમિમાં શાંતિ ન સ્થાપી? જો તેઓ ભગવાન હતા તો આખા દેશમાં શા માટે શાંતિ ન સ્થાપી? 

[6] ‘જે લોકો સત્સંગી નહોતા તેની ઉપર પણ તેની છાયા પડે તેવું નિર્માણ થયું’ આમાં તથ્ય કેટલું? સહજાનંદજી કોલેરાની બીમારીથી 1 જૂન 1830ના રોજ મૃત્યુ પામ્યા. તેના 77 વર્ષમાં જ 5 જૂન 1907ના રોજ મૂળ વડતાળ સંપ્રદાયમાંથી વિમુખ બની BAPS-બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા જુદી પડી. મતલબ કે પોતાના સંપ્રદાયમાં જ ઝઘડાઓ થયા ! ખુદ સત્સંગીઓ જ ઝઘડ્યા ! સહજાનંદજીની અસર બિનસત્સંગીઓ પર પડી, તેમ કહી શકાય? 

[7] સહજાનંદજી વિશે કિશોરલાલ મશરૂવાળાના વાક્યો ઘણા લોકો વિચાર્યા વિના વાપરે છે. શરુઆતમાં કિશોરલાલ સ્વામિનારાયણ ભક્ત હતા. કપાળે તિલક-ચાંદલો કરતા. પરંતુ પાછળથી તિલક-ચાંદલાનો ત્યાગ કર્યો હતો. કિશોરલાલ મશરૂવાળાએ ‘સહજાનંદ સ્વામી અથવા સ્વામિનારાયણ સંપ્રદાય’ નામનું પુસ્તક 1922માં લખ્યું હતું અને નવજીવન ટ્રસ્ટે છાપ્યું હતું. આ પુસ્તકના પેજ-111માં કિશોરલાલ લખે છે :”સ્વામિનારાયણ સંપ્રદાયની એક પણ પ્રસિદ્ધ વ્યક્તિ કોઈ કોઈનો અવતાર નથી મનાઈ એમ ભાગ્યે જ બન્યું છે ! એ કલ્પનાઓ જેને પ્રથમ સ્ફુરી હશે એની એમાં પ્રામાણિક શ્રદ્ધાયે હશે, પણ તેથી એનું કાલ્પનિક રૂપ ઓછું થતું નથી. મને પોતાને તો લાગે છે કે એવો પૌરાણિક કથાઓનો આધાર હોય તો જ સહજાનંદ સ્વામી પ્રત્યેની ભક્તિ અચળ રહે અથવા વધે એ સ્થિતિ ઇષ્ટ નથી. જો એમનું સીધું જીવનચરિત્ર એમને લોકોત્તર ન દાખવી શકે તો આવી કથાઓને આધારે એમને અલૌકિક દેખાડવાની મને ઈચ્છા નથી.” આ પુસ્તક લખ્યા પછી, 47 વર્ષ બાદ 1969માં કિશોરલાલે ‘સમૂળી ક્રાંતિ’ પુસ્તક લખ્યું. આ પુસ્તક પણ નવજીવન ટ્રસ્ટે પ્રકાશિત કરેલ છે. આ 47 વરસમાં (જો કે કિશોરલાલે 11 ઓગસ્ટ 1947ના રોજ, આ કહ્યું હતું એટલે કે 25 વરસ પછી) કિશોરલાલ મશરૂવાળા સ્વામિનારાયણ સંપ્રદાયનું છળકપટ / પાખંડ બરાબર સમજી ગયા હતા; એટલે તેમણે લખ્યું : “કોઈ મનુષ્યને પરમેશ્વર કે પેગંબરની કોટિમાં મૂકવો નહીં. કોઈને અસ્ખલનશીલ, જેના વિચાર કે વર્તનમાં ભૂલ હોઈ જ ન શકે એવો માનવો નહીં. અને તેથી તેનું એકેએક ચરિત્ર શુદ્ધ, દિવ્ય, શ્રવણ-કીર્તન યોગ્ય જ છે એમ સમજવું નહીં. સામાન્ય જગતના હિતમાં જે કમમાં કમ સદાચારના નિયમો માન્ય હોય, તેને ભંગ કરવાનો અધિકાર કોઈને ન હોય. તે વ્યક્તિની વિશેષ પવિત્રતાના સબબસર તો ન જ હોય. અશુદ્ધ વૃત્તિના મનુષ્યો સદાચારના નિયમોનો ભંગ કરે એમાં નવાઈ નથી. એ માટે સમાજ પોતપોતાની રીતે એનો નિષેધ કરવાનો અને તેને શિક્ષા પણ કરવાનો. શુદ્ધ વૃત્તિના મનુષ્યો તે નિયમોનું વધારે ચીવટથી પાલન કરે. તેમાંથી નીકળવાની ઈચ્છા ન કરે. માટે મહાત્મા પુરુષોએ સમાજહિતવિરોધી આચારો કર્યા હોય તો તેને છાવરવાનો પ્રયત્ન ન કરવો; તે એમની ઉણપો જ હતી એમ સ્પષ્ટ કહેવું. તેથી એવાં ચરિત્રોની પ્રશંસાનાં કીર્તનપદ-ભજન વગેરે ન કરવાં. એવાં રૂપકો પણ ન યોજવાં.” શું સ્વામિનારાયણના હરિભક્તો / સત્સંગીઓ આમાંથી કોઈ બોધ લેશે? કિશોરલાલ મશરૂવાળાને જે મોહભંગ થયો હતો હતો, તે સત્ય શા માટે છૂપાવવામાં આવે છે? શું યશવંત શુક્લે સ્વામિનારાયણનું પરચા સાહિત્ય વાંચ્યું હશે? શું તેમણે ‘સમૂળી ક્રાંતિ’ પુસ્તક વાંચ્યું હશે? સાહિત્યકારોમાં પણ ક્લેરિટીનો અભાવ કેમ રહેતો હશે?

સૌજન્ય : મનીષીભાઈ જાનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...340341342343...350360370...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved