Opinion Magazine
Number of visits: 9584504
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન્યાયતંત્રની પોતાની તંદુરસ્તીનું શું?

શેખર ગુપ્તા|Opinion - Opinion|12 April 2017

આપણી સ્વતંત્રતા જોખમમાં મુકાઈ જાય છે, તો આપણે દોડીને અદાલતમાં જઇએ છીએ અને ક્યારે ય નિરાશ નથી થતા

અતિશય કંટાળાજનક રાજકારણમાં હું અવારનવાર ક્રિકેટની ભાષામાં વાત કરતો હોઉં, તો  ન્યાયતંત્ર વિશેની વાતમાં હું ફિલ્મસંગીત પણ લાવી શકું છું. ગીતકાર આનંદ બક્ષીની પુણ્યતિથિના થોડા દિવસ પછી આ લખી રહ્યો હોઉં ત્યારે તો ખાસ.  એમનો યુગ યાદ કરતાં કરતાં ન્યાયતંત્ર વિશે વિચારવાના કારણે મને 1969ની ફિલ્મ ‘દો ભાઈ’ યાદ આવી ગઈ. તેમાં અશોકકુમાર અને જિતેન્દ્ર ભાઈ છેઃ એક જજ અને બીજો પોલીસ અધિકારી. જજ શું કરવું તેની અવઢવમાં પડે છે. સજા આપવી કે માફી? તેના માટે આનંદ બક્ષીએ લખ્યું હતું, ‘ઇસ દુનિયામેં ઓ દુનિયાવાલો, બડા મુશ્કિલ હૈ ઇન્સાફ કરના / બડા આસાન હૈ દેના સજાએં, બડા મુશ્કિલ હૈ પર માફ કરના.’

વાત 1998ના શિયાળાના દિવસોની છે. એ વાતનાં વીસેક વર્ષ પછી હું વિશ્વાસ તોડીને કેટલાક આદરપાત્ર લોકોનાં નામ અહીં લઉં છું. તેઓ મને માફ કરે. કારણ કે તેઓ આમ કરવા પાછળનાં કારણ તે સમજી શકશે. એ વખતે દેશના મુખ્ય ન્યાયાધીશ બનેલા જસ્ટિસ એ.એસ. આનંદના ભૂતકાળની અમારા લીગલ એડિટર અત્યંત બારીકાઈથી તપાસ કરી રહ્યા હતા. આ તપાસમાં ઉપસતી છબિ એક એવા ન્યાયાધીશની હતી, જે કામની ગુણવત્તા સાથે સમાધાન કરતા હોય, હિતોના ટકરાવ સામે આંખ આડા કાન કરતા હોય, ભેટ અંગે પારદર્શકતા ન રાખે અને પોતાની જમીનના ભાગિયાઓને ઓછી ચૂકવણી કરતા હોય.

આ વાત એટલી સ્ફોટક હતી કે મેં એ સમયના ટોચના 12માંથી 10 ધારાશાસ્ત્રીઓની સલાહ લીધી. આ સમાચાર છાપવાની તરફેણમાં બે અને ન છાપવાની તરફેણમાં આઠ ધારાશાસ્ત્રી હતા. સમાચાર ન છાપવા જોઇએ, એમ કહેનારાનાં કારણ કેવળ કાનૂની કે હકીકતલક્ષી ન હતાં. તેમનું કહેવું હતું કે આવા મામલામાં સાવચેતી રાખવી, કોઈ નિર્દોષને હાનિ ન પહોંચાડવી, આપણી મહાનત્તમ સંસ્થાને ઘસરકો ન પાડવો. જે બે લોકોએ સમાચાર છાપવાની તરફેણ કરી, તેમાંથી એકે કહ્યું કે હકીકત એટલે હકીકત. તેમાં કશી દલીલબાજીને અવકાશ નથી. બીજા સજ્જન અતિશય ઉત્સાહી હતા. મેં તેમને પૂછ્યું, ‘જજ શું કરશે? અદાલતના અપમાન બદલ આપણને ઠેકાણે પાડી દેશે?’ તેમણે કહ્યું, ‘તેઓ આવું કશું નહીં કરે. તેમને તો માત્ર આપઘાત કરવાનો જ બાકી રહેશે.’

આ જવાબે તો અમને હચમચાવી નાખ્યા. ભારતીય કાનૂની વિશ્વના આ મહાનુભાવે અજાણતાં અમે જે કરવા માગતા હતા, તેનો અસલી આશય અમારી સામે ખુલ્લો પાડી દીધો. અમે દરેક વાક્યને ફરી વખત બારીકાઈથી વાંચ્યું. માત્ર એક જ વાત ગેરહાજર હતી: જસ્ટિસ આનંદ તરફથી જવાબ. તમામ પૂછપરછમાં તેમની ઑફિસમાંથી અમને એક જ જવાબ મળ્યો કે વર્તમાન મુખ્ય ન્યાયાધીશ તરીકે તેઓ મીડિયાની સાથે સીધી વાત ન કરી શકે.

એ વખતે જાહેર ક્ષેત્રની એવી બે હસ્તીઓએ મારો સંપર્ક કર્યો, જેમનાં માટે મારા મનમાં ખૂબ આદર હતોઃ સુષમા સ્વરાજ અને અરુણ શૌરી. બંને વાજપેયી મંત્રીમંડળમાં મંત્રી હતાં. બંને ખાસ્સા સમયથી જસ્ટિસ આનંદ અને તેમના પરિવારને ઓળખતા હતાં. તેમણે કહ્યું કે જસ્ટિસ આનંદે ક્યારે ય કોઈ અપ્રામાણિકતા દાખવતું કામ હોય, એવો તેમનો વિશ્વાસ પડતો નથી. મેં તેમને કહ્યું કે અમારી સ્ટોરી તમને એની ખાતરી કરાવી દેશે અને તેને અટકાવવી શક્ય નથી. અમે મેળવેલી વિગતો ખોટી હોય તો સાચી હકીકત જાણવા માટે અમારે જસ્ટિસ આનંદની જરૂર છે.

સુષમા સ્વરાજે સૂચન કર્યું કે હું જસ્ટિસ આનંદને ફોન કરું. મેં તેમને ફોન કર્યો. જસ્ટિસ આનંદ તમામ હકીકતો સાથે ઑફ ધ રેકોર્ડ મને મળવા માટે તૈયાર થઈ ગયા. ટૂંકમાં કહું તો કંઈક આવું બન્યું. અમે દરેક આરોપ વિશે ચર્ચા કરવામાં કલાકો ગાળ્યા. તેમની પાસે લેધરની બ્રીફકેસ હતી, જેમાં દસ્તાવેજ, ટૅક્સ રિટર્ન, હાથેથી લખેલી ચિઠ્ઠીઓ, અનાજવેચાણની પહોંચ, બાળકોનાં લગ્નનાં કાર્ડ અને લગ્નની ‘ભેટ’ની રકમ પર કોર્ટ અને ટૅક્સ અધિકારીઓને અપાયેલા પત્રકો ભરેલાં હતાં. હું તેમનાં ‘તથ્યો’ સાથે પરત ફર્યો. પછીથી પણ અનેક વખત આવવા-જવાનું થયું.

એવું લાગતું હતું કે તેમની પાસે દરેક બાબતનો ભરોસાપાત્ર જવાબ છે. માત્ર એક વાતની જવાબદારી નક્કી નહોતી. અનેક વર્ષ પહેલાં અનાજની છ અડધી ગુણ, જેમની કિંમત ભાગીદારોને કદાચ નહોતી અપાઈ. એ વખતે તેની રકમ કદાચ ત્રણ-ચાર હજાર રૂપિયાથી વધારે નહોતી થતી અને ગણતરીમાં ભૂલ પણ બની શકી હોત. હું હતોત્સાહિત થઈને પરત ફર્યો. અમે એવું વિચારી રહ્યા હતા કે અમારા હાથમાં જિંદગીના સૌથી મોટા સમાચાર આવ્યા અને હવે તથ્યોના આધારે તેના પર પાણી ફરી વળ્યું. એ અનેક કલાકોના દ્વિધાજનક સમયમાંથી એકેએક પળની છાપ આજે પણ મારા મન પર છે. આશા છે કે જસ્ટિસ આનંદ આ વાતનો ઉલ્લેખ કરવા માટે મને માફ કરશે. ‘હું ભારતનો ચીફ જસ્ટિસ છું અને તમારા દરેક પ્રશ્નનો જવાબ આપી ચૂક્યો છું. શું હજી પણ તમે માત્ર મને, બલકે આ મહાન સંસ્થાને હાનિ પહોંચાડશો?’ ફરીથી માફી ચાહું છું જસ્ટિસ આનંદ 20 વર્ષ પછી ભરોસો તોડવા માટે. પરંતુ મેં તેમની આંખ ભીની જોઈ ત્યારે સંકોચ અનુભવ્યો હતો અને ડર પણ.

સ્ટોરી અટકાવી દેવામાં આવી. મેં અનેક વખત વિચાર્યું કે જો કોઈ નેતા અથવા અધિકારીની બાબતમાં અમે આટલી ધીરજથી વિચાર્યું હોત? અને છેવટે અમારી જ વાતને નકારી દીધી હોત? અમે મુખ્ય ન્યાયાધીશનો પક્ષ જાણવા માટે આટલી રાહ જોઈ. કારણ કે તેનો સંબંધ  એવી સંસ્થા સાથે હતો, જેનું આપણે એટલું સન્માન કરીએ છીએ. જ્યારે પણ આપણી સ્વતંત્રતા જોખમમાં મૂકાઈ જાય છે, તો દોડીને ત્યાં જઈએ છીએ અને ક્યારે ય નિરાશ નથી થતા.

‘જોલી એલએલબી-2’માં જજ કહે છે કે ન્યાયતંત્રમાં ઘણું ખોટું છે, પરંતુ જ્યારે બે લોકો ઝઘડે છે, ત્યારે કહે છે કે ‘હું તને કોર્ટમાં જોઈ લઈશ.’ કારણ કે લોકોને લાગે છે કે અદાલત તેમને ન્યાય અપાવશે. આ તમામ કારણોસર આપણી સર્વોચ્ચ અદાલતે ઊંડો વિચાર કરવો જોઈએ કે  લોકપ્રિયતાની આ અસામાન્ય મૂડીને સુરક્ષિત રાખીને કેવી રીતે વધારી શકાય. નિવૃત્ત ન્યાયાધીશોની સમિતિઓ રચીને સરકારી બાબતો પર રાજ ચલાવવું એ અદાલતી સક્રિયતાના ખ્યાલથી કેટલું દૂર છે? શું ગુસ્સામાં બોલવાથી કે એવી રીતે કામ કરવાથી આ મૂડી વધશે? સુપ્રીમ કોર્ટના નિવૃત્ત થતા ન્યાયાધીશોમાંથી 70 ટકા સરકારી સમિતિઓમાં જગ્યા મેળવી લે છે તેના વિશે ચર્ચા ન થવી જોઈએ? શું નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ રાજ્યપાલ બને તે યોગ્ય છે? ચર્ચા માટે કોઈ પણ મુદ્દો એક હદથી વધારે સંવેદનશીલ ન ગણાય.

Twitter@ShekharGupta

સૌજન્ય : ‘પ્રતિષ્ઠાની મૂડી’, “દિવ્ય ભાસ્કર”, 12 અૅપ્રિલ 2017 

Loading

કાશ્મીરની પ્રજાનો વિશ્વાસ જીતવો હોય તો વિનાયક દામોદર સાવરકરનું ઇતિહાસવિવેચન કામમાં આવે એમ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|12 April 2017

ભારત સરકારે એટલી હદે અંગ્રેજોની ધૂર્તતા કાશ્મીરમાં બતાવવી જોઈએ કે આવતી કાલે કોઈ કાશ્મીરી સાવરકર ભારત સરકારને ગાળો આપતાં વિવેચન કરે કે દિલ્હીના શાસકોએ ધૂર્તતા દ્વારા અમને પરાસ્ત કર્યા, બાકી અમે તો જાનફેસાની માટે થનગનતા હતા.

શ્રીનગરમાં યોજાયેલી લોકસભાની પેટાચૂંટણીમાં માત્ર સાત ટકા મતદાન થયું છે અને હિંસામાં આઠ જણ માર્યા ગયા છે. રાજ્યના અનંતનાગ મતદારક્ષેત્રમાં પણ લોકો ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છે અને એને પરિણામે ૧૨ એપ્રિલે યોજાનારી લોકસભાની પેટાચૂંટણી ૨૫ મે સુધી મુલતવી રાખવામાં આવી છે. અનંતનાગમાં લોકોએ બે મતદાનકેન્દ્રોને સળગાવ્યાં હતાં. ચૂંટણી મુલતવી રાખવાનું મુખ્ય કારણ શ્રીનગરમાં થયેલું પાંખું મતદાન છે, જ્યાં સાત ટકા લોકો મતદાનમાં ભાગ લેતા હોય એને ચૂંટણી ન કહેવાય.

ગયા વર્ષે બુરહાન વાનીના સલામતી દળોના હાથે થયેલા મૃત્યુ પછી કાશ્મીરની ખીણમાં સ્થિતિ ઠેકાણે પડતી નથી અને આશ્ચર્યની વાત એ છે કે લોકોનો વિશ્વાસ પુન: સંપાદન કરવા ભારત સરકાર તો ઠીક, જમ્મુ અને કાશ્મીરની સરકાર પણ નક્કર પહેલ કરતી નથી. હજી પખવાડિયા પહેલાં વડા પ્રધાને કાશ્મીરની મુલાકાત લીધી હતી, પરંતુ તેમણે કાશ્મીરના યુવકોને સલાહ આપવા સિવાય તેમનો વિશ્વાસ જીતવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો. અનેક જાગૃત નાગરિકોએ અને ત્યાં સુધી કે જમ્મુ અને કાશ્મીર હુરિયત કૉન્ફરન્સના નેતાઓએ સુધ્ધાં કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે કાશ્મીરના દરેક વિચારના જૂથો સાથે ચર્ચા કરીને સ્થિતિ થાળે પાડવી જોઈએ. વાતચીત કરવાથી ભારત સરકારની પ્રતિષ્ઠાને આંચ આવવાની નથી. ઊલટું વાતચીત નહીં કરવાની જીદને કારણે ડોનલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રને પણ નુક્તેચીની કરવાનો મોકો મળે છે. ટ્રમ્પ તો એકંદરે સખત શાસનના પુરસ્કર્તા છે અને એમ છતાં તેમના વિદેશપ્રધાને કાશ્મીર વિશે નિવેદન કર્યું છે.

આ વખતની ચૂંટણીએ બતાવી આપ્યું છે કે માત્ર ચૂંટણી યોજવાથી લોકતંત્ર વિકસતું નથી. એને માટે લોકોની ભાગીદારી જરૂરી છે અને લોકોની ભાગીદારી વિનાનું લોકતંત્ર અધૂરું છે. ૧૯૮૩ની સાલમાં આ જ રીતે ઇન્દિરા ગાંધીએ લોકોના વિરોધ છતાં આસામમાં વિધાનસભાની ચૂંટણી યોજી હતી. એ ચૂંટણીનો લોકોએ બહિષ્કાર કર્યો હતો. પરાણે યોજવામાં આવેલી ચૂંટણીમાં ભીષણ હત્યાકાંડ થયો હતો અને નેલી નામના ગામમાં ૬૪ બાળકો સહિત અનેક લોકોનાં મૃત્યુ થયાં હતાં. બંગલા દેશનું યુદ્ધ જીતી આપનારાં અને દુર્ગાનું બિરુદ પામનારાં ઇન્દિરા ગાંધીને આસામ અને પંજાબ માટે અલગ રીતે યાદ કરવામાં આવે છે. છેવટે કેન્દ્ર સરકારે હાર માનવી પડી હતી. આસામની કઠપૂતળી સરકારને હટાવવી પડી હતી અને નવેસરથી ચૂંટણી યોજવી પડી હતી. દરેક અર્થમાં ઇન્દિરા ગાંધીને અનુસરી રહેલા નરેન્દ્ર મોદીએ ઇન્દિરા ગાંધીની ભૂલોમાંથી બોધપાઠ લેવો જોઈએ.

રાષ્ટ્રવાદીઓનો પ્રજા કરતાં બંદૂક પર વધારે ભરોસો હોય છે. અહીં વિનાયક દામોદર સાવરકરનું ઇતિહાસદર્શન યાદ આવે છે. તેમણે તેમની આત્મકથામાં લખ્યું છે કે હિંસક ક્રાન્તિ વિના કોઈ પ્રજા કાંઈ પામતી નથી. આઝાદી જોઈતી હોય તો સશસ્ત્ર પ્રતિકાર કરવો જ રહ્યો. એ પછી તેમણે ૧૮૫૭માં લોકોએ આઝાદી માટે કરેલી હિંસક ક્રાન્તિની અને વાસુદેવ બળવંત ફડકેની વાત કરી છે. અહીં સુધી તો જાણે ઠીક છે, પરંતુ એ પછી તેમણે જે વિવેચન કર્યું છે એ રમૂજી છે. તેઓ પોતે જ પોતાના તર્કનું ખંડન કરે છે.

તેઓ તેમની આત્મકથામાં કહે છે કે ધૂર્ત અંગ્રેજો ૧૮૫૭ જેવી ઘટના ફરી વાર ન બને અને સશસ્ત્ર ક્રાન્તિ ન થાય એ માટે પ્રયત્નો કરતા હતા અને નપુંસક ભારતીયો તેમને એમાં મદદ કરતા હતા. તેમણે ભારતીય પ્રજાનું સરકાર વિશેનું મન જાણવા કૉન્ગ્રેસની સ્થાપના કરી હતી. કૉન્ગ્રેસમાં દરેક પ્રાંતના અને દરેક કોમના ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું હતું. મુસલમાનોને સુધ્ધાં કૉન્ગ્રેસની છત્રીમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એમાં હિન્દુ નેતાઓ પાસે પહેલ કરાવવામાં આવી હતી. જ્યારે એ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો ત્યારે ભાગલા પાડો અને રાજ કરોની ચાલાકી કરવામાં આવી હતી. ધૂર્ત અંગ્રેજોએ ભારતમાં પાશ્ચત્ય શિક્ષણ દાખલ કર્યું હતું અને શિક્ષિત મધ્યમવર્ગ પેદા કર્યો હતો. આ શિક્ષિત મધ્યમવર્ગને સરકારી નોકરીઓ આપવામાં આવી હતી અને એ રીતે તેમને સરકારપરસ્ત બનાવાયા હતા. નવા સામાજિક સુધારાઓ દાખલ કરવામાં આવ્યા હતા અને એનું શિક્ષિત ભારતીયોમાં આકર્ષણ પેદા કરવામાં આવ્યું હતું. કેટલાક શિક્ષિત ભારતીયો આઝાદી પછી પહેલાં સામાજિક સુધારાઓ એવી વકીલાત કરતા થઈ ગયા હતા. આવી બધી ચાલાકીઓ દ્વારા અંગ્રેજો ભારતમાં હિંસક ક્રાન્તિ થવા નથી દેતા.

સાવરકર નસીબદાર હતા કે તેઓ વગર હિંસાએ આઝાદી ભોગવીને ગયા અને એ પણ એવા માણસોએ અપાવી હતી જેમને તેઓ અંગ્રેજપરસ્ત અને નપુંસક સમજતા હતા, પરંતુ ચર્ચાનો મુદ્દો એ નથી. ચર્ચાનો મુદ્દો અંગ્રેજોની ધૂર્તતાનો છે. ૧૮૫૭ પછીથી અંગ્રેજોએ ભારતીયોને એવી એક પણ તક નહોતી આપી કે ૧૮૫૭નું પુનરાવર્તન થાય. એકાદ-બે ઘટનાઓ અપવાદરૂપ છે અને એ પણ બે-ચાર જણની ભૂગર્ભ હિંસક પ્રવૃત્તિ હતી, સામૂહિક પ્રજાકીય હિંસક ક્રાન્તિ નહોતી. ૧૮૫૭ પછીથી હિંસક સામૂહિક ક્રાન્તિની તો ભારતમાં એક પણ ઘટના નહોતી બની. સાવરકર પોતે જ નિરાશ થઈને લખે છે, કહો કે કબુૂલાત કરે છે કે ધૂર્ત અંગ્રેજોએ ભારતમાં હિંસક ક્રાન્તિ થવા ન દીધી, જ્યારે કે આઝાદી માટે ક્રાન્તિ અનિવાર્ય છે.

તો સરવાળે જીત કોની થઈ? ગરમ લોહી ધરાવનારા સાવરકરોની કે ધૂર્ત અંગ્રેજોની? અંગ્રેજોનો ગાંધીજી સામે પરાજય થયો એ જુદી વાત છે, પરંતુ સાવરકરો સામે તો અંગ્રેજોની ધૂર્તતાનો જ વિજય થયો એમ ખુદ સાવરકર કબૂલ કરે છે. કેટલીક વાર નિંદાના નશામાં આવા છબરડા વળે છે. પોતે જ પોતાની થીસિસને નિરસ્ત કરી દેતા હોય છે અને દુશ્મનની બાજુને સ્થાપિત કરી આપતા હોય છે. એટલે તો સાવરકરનું ક્રાન્તિચિંતન રમૂજી છે.

વાચકના મનમાં કદાચ પ્રશ્ન થતો હશે કે સાવરકર અને કાશ્મીરને શું સંબંધ છે? બહુ દેખીતો સંબંધ છે. ભારત સરકારે કાશ્મીરમાં અને ઈશાન ભારતના બીજા પ્રદેશોમાં અંગ્રેજો જેવી ધૂર્તતાની નીતિ અપનાવવી જોઈએ અને એ રીતે હિંસક ક્રાન્તિ કરીને આઝાદી માગનારાઓને પરાસ્ત કરવા જોઈએ. જો અંગ્રેજો આખા ભારતની પ્રજાને ધૂર્તતાની નીતિ અપનાવીને ૯૦ વરસ સુધી હિંસક ક્રાન્તિ કરતાં રોકી શકે તો ભારત સરકાર કાશ્મીરમાં એ ન કરી શકે? બસ, એ જ માર્ગ અપનાવવાનો છે જે અંગ્રેજોએ અપનાવ્યો હતો. શિક્ષણ, નોકરી, વિકાસ અને ભાગીદારી એ હિંસાને રોકવાનો અકસીર ઉપાય છે એમ દસ્તુર ખુદ સાવરકરે અંગ્રેજોને ગાળો દેતાં કહ્યું છે. ભારત સરકારે એટલી હદે અંગ્રેજોની ધૂર્તતા કાશ્મીરમાં બતાવવી જોઈએ કે આવતી કાલે કોઈ કાશ્મીરી સાવરકર ભારત સરકારને ગાળો આપતાં વિવેચન કરે કે દિલ્હીના શાસકોએ ધૂર્તતા દ્વારા અમને પરાસ્ત કર્યા બાકી અમે તો જાનફેસાની માટે થનગનતા હતા. કાશ્મીરમાં કોઈ ગાંધી પેદા થાય એ પહેલાં ભારત સરકારે ધૂર્તતા દ્વારા કાશ્મીરી સાવરકરોનો ફુગ્ગો ફોડી નાખવો જોઈએ.

નરેન્દ્ર મોદી અને સંઘપરિવારે તેમના ગુરુ સાવરકરના આવેશ કરતાં આવેશમાં બોલાઈ ગયેલી સાચી વાતને કાને ધરવી જોઈએ. શું લાગે છે?

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 12 અૅપ્રિલ 2017

Loading

નવું રાજકારણઃ ભૂતકાળ એ જ ભવિષ્યકાળ?

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|11 April 2017

આર્યો પહેલાં થયેલી સિંધુ સંસ્કૃિતની પરંપરા સુધીના ભૂતકાળમાં કોઈને જવું હોય તો એ દેશદ્રોહી ગણાય?

‘ધ વર્લ્ડ ઇઝ ફ્લેટ’ – આ નામ હતું ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના વિખ્યાત કટારલેખક થોમસ ફ્રીડમેનના પુસ્તકનું. 2005માં તે આવ્યું ત્યારે ઇન્ફર્મેશન ટેક્નોલૉજી (આઇ.ટી.) ક્ષેત્રમાં ભારતનો સિતારો બુલંદીએ પહોંચ્યો હતો. ફેસબુક, ગૂગલ, ટ્વિટર જેવી તોતિંગ અને મૌલિક વિચાર ધરાવતી અનેક કંપનીઓ ભારતમાં ન સર્જાઈ, પણ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, ઇન્ફોસીસ, વિપ્રો જેવી સોફ્ટવેરનું કામ કરતી ભારતીય કંપનીઓ અમેરિકામાં પહોંચી, ત્યાંથી તગડા કોન્ટ્રાક્ટ મેળવવા લાગી અને આઇ.ટી. ઉદ્યોગમાં ભારતની સફળતાની ગાથાના પ્રતીક જેવી બની. ઇન્ફર્મેશન ટેક્નોલૉજીના પ્રતાપે ભૌગોલિક અંતર ગૌણ બની ગયાં, એ સ્થિતિને વર્ણવવા માટે ફ્રીડમેન સાથેની વાતચીતમાં નંદન નીલેકણીએ ‘વર્લ્ડ ઇઝ ફ્લેટ’ એવો પ્રયોગ કર્યો હતો. (દુનિયા જાણે ગોળ નહીં, સપાટ થઈ ગઈ અને બધા માટે સરખી તક, લેવલ પ્લેઇંગ ફિલ્ડ, ઊભું થયું.)

એ વાતના એક દાયકા પછી, અમેરિકામાં ટ્રમ્પની જીત સહિતના વૈશ્વિક પ્રવાહો જોતાં લાગે છે કે દુનિયા ફરી ભૌગોલિક વાડાબંધીની દિશામાં આગળ વધી રહી છે — પેલો શબ્દપ્રયોગ ઉલટાવીને કહેવું હોય તો, તે ફરી ગોળ બની રહી છે. અમેરિકાના પ્રમુખ અને તેમના ટેકેદારસમૂહમાંથી ઘણાને વૈશ્વિકીકરણ અકારું લાગે છે. કારણ કે (તેમના મતે) ભારતીય સહિતના બીજા લોકો અમેરિકામાં આવે છે અને સ્થાનિક લોકોની નોકરીઓ છીનવે છે. આવું ‘ફ્લેટ’ વિશ્વ તેમને ખપતું નથી. મેક્સિકો-અમેરિકાની સરહદે કરોડો ડોલરના ખર્ચે ઊંચી દીવાલ બાંધવાનો તઘલઘી તુક્કો આપનાર ટ્રમ્પને તે પ્રમુખપદે ચૂંટી શકે છે. એ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી ત્રાસવાદના પ્રતિકારના નામે અને અમેરિકનોની નોકરીઓ બચાવવાના નામે, દરવાજા ભીડી રહ્યા છે.

કેટલાક ઇતિહાસકારો અને આઇ.ટી.ક્ષેત્રના અભ્યાસીઓ માને છે કે અમેરિકનોની નોકરીઓ છીનવવામાં અને તેમની બેકારી વધારવામાં પરદેશથી આવતા લોકો કરતાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ જેવી ટેક્નોલૉજી અનેક ગણી વધારે ભારે પડવાની છે. આવું માનનારા નિષ્ણાતોમાં ઇઝરાઇલના અભ્યાસી પ્રોફેસર હરારીનો પણ સમાવેશ થાય છે. ‘સેપિઅન્સ’ નામના પુસ્તકમાં માનવજાતનો 70 હજાર વર્ષનો ઇતિહાસ થોડા સો પાનાંમાં લખનાર અને ત્યાર પછીના ‘હોમો ડેઅસ’ પુસ્તકમાં આગામી સો વર્ષનો ચિતાર આપનાર પ્રો. હરારી માને છે કે દુનિયાભરમાં રાજકીય નેતાગીરી પાસે ભવિષ્યનું કોઈ મોડેલ નથી. ભવિષ્ય માટે તેમનો એક જ નારો છેઃ ચાલો, ભૂતકાળમાં હતા તેવા બની જઈએ.

ટ્રમ્પનું પ્રચારસૂત્ર હતું, ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન.’ રશિયાના વડા પુતિનના મનમાં રશિયાના સદીઓ જૂના ભૂતકાલીન ગૌરવનું છે – અને પ્રો. હરારીને એ તો ખબર પણ નથી કે ભારતમાં ગોરક્ષાના રાજકારણની કેવી બોલબાલા છે અને જેના મોડેલ દેશવિદેશમાં ચર્ચા છે, તે ગુજરાતના મુખ્યમંત્રી મંચ પર વાછરડાને હાર પહેરાવે છે. ભારતના વડાપ્રધાન ટેક્નોલૉજીનો મહત્તમ ઉપયોગ કરનારા છે. પરંતુ ટેક્નોલૉજી અને વૈજ્ઞાનિક માનસિકતા બન્ને જુદી જણસો છે. એટલે જ, સ્ટાર્ટ અપ ને સ્માર્ટ સિટી ને મેક ઇન ઇન્ડિયાના પ્રચારની વચ્ચે ગોરક્ષાના નામે ગુંડાગીરી માથું ઊંચકી રહી છે – શીંગડાં ઉલાળી રહી છે.

ખેડૂત કે પશુપાલક પોતાની ગાયને કે ગોવંશને કે બધાં દૂધાળાં ઢોરને પ્રેમ કરતો જ હોય છે. તેના માટે એને હિંદુ સંસ્કૃિતના ઠેકેદાર બની બેઠેલાં સંગઠનોના પ્રચારની જરૂર પડતી નથી. પરંતુ છેલ્લા થોડા વખતથી ઉભરાઈ રહેલા ગોરક્ષાના ઉત્સાહ અને ગોહત્યાના વિરોધમાં ગોપ્રેમ નહીં, ગાયના નામે ચાલતું રાજકારણ દેખાય છે. આ રાજકારણના ઘટકો છેઃ મુસ્લિમવિરોધ, (તક મળ્યે) દલિતવિરોધ અને પ્રાચીન ભારતના ગૌરવના નામે સનાતન ધર્મની સ્થાપનાનો મુગ્ધ ઝનૂની ઉત્સાહ. ટૂંકમાં, મેક ઇન્ડિયા ગ્રેટ અગેઇન. પ્રાચીન કાળમાં અમારી ભૂમિ બહુ મહાન હતી, એવી માન્યતા ફક્ત ભારતીયો જ નહીં, અમેરિકનો સહિત બીજા લોકો પણ ધરાવતા હોય છે. આ માન્યતા ભ્રમ નથી, એવું સિદ્ધ કરવા માટે તેમની પાસે નક્કર પુરાવા પણ હોય છે.

ભારતની વાત કરીએ તો, સુશ્રુત-ચરક કે આર્યભટ્ટ-બ્રહ્મગુપ્ત-ભાસ્કર જેવા અનેક વિદ્વાનોએ પોતપોતાનાં ક્ષેત્રોમાં માતબર પ્રદાન કર્યું હતું. અમેરિકનોને બીજા વિશ્વયુદ્ધ પછી ઊભી થયેલી અમેરિકાની સુપરપાવર તરીકેની છબી અને તાકાતનું ખેંચાણ હોઈ શકે છે. પરંતુ ભૂતકાળનો મહિમા કરવામાં વાત હંમેશાં આટલી સીધીસાદી હોતી નથી. અમેરિકાને ફરી ગ્રેટ બનાવવાની વાત સાચી, પણ કયા સમયગાળા જેવું ગ્રેટ? સ્થાનિક આદિવાસીઓને ધોળા લોકોના આગમન પહેલાંનું અમેરિકા ગ્રેટ લાગી શકે, ધોળાપણાનું અભિમાન ધરાવનારા લોકોને ચામડીનો રંગ તેમના ચઢિયાતાપણાનું પ્રતીક હતો અને કાળા લોકો સાથે તે મનમાન્યો વ્યવહાર કરી શકતા હતા, એ સમય ગ્રેટ લાગી શકે. કાળા લોકોમાંથી ઘણાને લાગી શકે કે અમેરિકા તેમના માટે તો હજુ પહેલી વાર ગ્રેટ બનવાનું જ બાકી છે. એટલે ફરીથી ગ્રેટ બનાવવાની વાત અપ્રસ્તુત છે.

એટલે પાયાનો સવાલ ઊભો રહે છેઃ ભૂતકાળમાં ક્યાં સુધી પાછા જવું? ભારતમાં ગોરક્ષાના નામે ઉશ્કેરણીનું રાજકારણ આચરતા લોકો ધર્મ ને સંસ્કૃિતના ઓઠા તળે આ બધું કરે છે. પરંતુ ધર્મ અને સંસ્કૃિતની તેમની કટ ઓફ લાઇન કઈ? કયા સમયનો ધ ર્મ- કયા સમયની સંસ્કૃિત તેમને શ્રેષ્ઠ લાગે છે? સનાતન ધર્મમાં પાછળ ને પાછળ જતાં લોકો ગોમાંસભક્ષણ કરતા હોવાના આધારભૂત ઉલ્લેખ મળે છે. ઋગ્વેદમાં ફક્ત ગાયોને જ નહીં, તમામ દૂધાળાં ઢોરને ન મારી શકાય એવું કહેવાયું છે, તો ગાય સહિતનાં દૂધાળાં ઢોર બીજી રીતે નિરુપયોગી બની જાય, તો તેમને મારવામાં અને તેમના ભક્ષણમાં કશો બાધ નથી, એવા ઉલ્લેખ પણ અભ્યાસીઓએ આધારભૂત રીતે વેદમાં મેળવ્યા છે. સનાતન ધર્મનું પાલન કરનારા માટે વેદ આખરી સત્તા જેવો ધર્મગ્રંથ ગણાય. તો સમયનો કયો ખંડ સાચી ભારતીય સંસ્કૃિત કહેવાય, એ કોણ નક્કી કરે? અને બધા હિંદુઓ વતી કોઈ એ કેવી રીતે નક્કી કરી શકે? અને આ જ ભૂમિ પર આર્યો પહેલાં થયેલી સિંધુ સંસ્કૃિતની પરંપરાઓ સુધી કોઇને જવું હોય તો, એ દેશદ્રોહી ગણાય?

ધર્મ-રાષ્ટ્રના ભૂતકાળના ગૌરવના નામે પોતાના સ્વાર્થનો વેપલો કરનારા સામે આવા અનેક પાયાના, પ્રાથમિક સવાલ થઈ શકે. પરંતુ સવાલ કરીને કકળાટ વહોરવાને બદલે પોતાની કલ્પના પ્રમાણેના ભૂતકાળમાં છબછબિયાં કરવા-કરાવવાની જુદી મઝા છે. દેશને-દેશવાસીઓને ગ્રેટ બનાવવા નીકળેલા પક્ષો ને નેતાઓ મંત્રેલા પાણીથી કેન્સર મટાડવાનો દાવો કરનારા લેભાગુઓ જેવા હોય છે. મેડિકલ સાયન્સ પાસે જેનો ઇલાજ ન હોય એવો રોગ ધરાવનાર દર્દી અને તેનાં સગાંવહાલાં વાક્ચતુર બાબાની જાળમાં હોંશે હોંશે ફસાય અને પોતે ખાટી ગયાનું ગૌરવ લે, એવી આ વાત છે. તેને માનવસહજ નબળાઈ તરીકે સમજી-સ્વીકારી શકાય, પણ તેને વાજબી, આવકાર્ય કે ઇચ્છનીય સુદ્ધાં ગણી ન શકાય.

સૌજન્ય : ‘પાયાનો સવાલ’, “દિવ્ય ભાસ્કર”, 11 અૅપ્રિલ 2017

Loading

...102030...3,4033,4043,4053,406...3,4103,4203,430...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved