Opinion Magazine
Number of visits: 9688332
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્રિકેટનું સુપરસ્ટાર કલ્ચર અને આપણી ભક્તિ પરંપરા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 June 2017

1953માં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી. તેમાં જવાહરલાલ નહેરુ પણ મેચ રમ્યા હતા. એનાં થોડાં વર્ષો પછી નાગપુરમાં એક સમારોહમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવેલકરે કહ્યું, ‘ભારતમાં ક્રિકેટની આ મોંઘી રમત માત્ર ફેશન જ બની ગઈ છે એટલું જ નહીં, આપણે એના ઉપર કરોડો રૂપિયા ખર્ચીને એટલું જ પુરવાર કરીએ છીએ કે ઇંગ્લિશ લોકો હજુ ય આપણી બુદ્ધિ ઉપર હાવી છે. પંડિત નહેરુ અને બીજા સાંસદો થોડાં વર્ષો પહેલાં ક્રિકેટ રમ્યા હતા એ આ અંગ્રેજીકરણનો પુરાવો છે, નહીં તો એ લોકો ભારતની રાષ્ટ્રીય રમત કબ્બડી રમ્યા ન હોત?’

ગોલવેલકરને કદાચ એ વખતે અંદાજ નહીં હોય કે કબ્બડીની રમતમાં એમને જે રાષ્ટ્રવાદ દેખાતો હતો એના કરતાં ય કટ્ટર રાષ્ટ્રવાદ અંગ્રેજોની રમત ક્રિકેટમાંથી પેદા થશે. ગાંધીજીને હતો. તે વખતે સાંપ્રદાયિક ધોરણે અંગ્રેજો જે પેન્ટાન્ગ્યુલર મેચ રમાડતા હતા તેના ગાંધીજી વિરોધી હતા અને એમણે કહ્યું હતું, ‘કોલેજો કે સંસ્થાઓ વચ્ચેની મેચ તો હું સમજી શકું છું, પરંતુ મને આ હિન્દુ, પારસી, મુસ્લિમ અને અન્ય કોમી ઇલેવનનો તર્ક સમજાતો નથી. મને તો એમ હતું કે રમતની ભાષામાં અને વ્યવહારમાં આવા અનૈતિક ભાગલા વર્જિત હશે.’

ક્રિકેટ આજે દક્ષિણ એશિયામાં ‘ધર્મ’ ગણાય છે અને ક્રિકેટરોને ‘ઈશ્વર’ તરીકે પૂજવામાં આવે છે તેનાં મૂળિયાં ક્રિકેટના સમુદાયિક જન્મમાં છે. ભારતમાં પહેલી ક્રિકેટ મેચ 1721માં ખંભાતમાં રમાઈ હતી અને એમાં માત્ર ઇંગ્લિશ નાવિકો જ હતા. ભારતની પહેલી ક્રિકેટ કલબ 1792માં કલકત્તામાં સ્થપાઈ હતી અને એમાં ભારતીયોને સ્થાન ન હતું. આ આભડછેડના કારણે જ ભારતીયોમાં ક્રિકેટની એવી જ ધર્માંધતા પેદા થઈ હતી જેવી સંગઠિત ધર્મમાં જોવા મળે છે. ક્રિકેટરો માત્ર ખેલાડી ન હતા, પણ સુપરહીરો અને સચિન તેંદુલકર એમનો ભગવાન.

2006માં કપિલ દેવને એક ઇન્ટરવ્યૂમાં આ ‘ઈશ્વર પૂજા’ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એણે ક્રિકેટરો જ નહીં સોનિયા ગાંધી, ધીરુભાઈ અંબાણી, કિરણ મઝમુદાર શો, રતન તાતા, અઝીમ પ્રેમજી અને શિવ નાદર જેવાં નામોનું લિસ્ટ આપ્યું હતું. કપિલે ત્યારે કહ્યું હતું, ‘હીરો કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ માટે અનિવાર્ય છે. દરેક પેઢીએ હીરો પેદા કર્યા છે અને હીરોએ જ જિંદગીઓ બદલી છે.’ કટ ટુ 2017. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત બી.સી.સી.આઈ.ના પ્રશાસક ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ પ્રશાસક સમિતિમાંથી રાજીનામું આપીને કહ્યું છે કે, ભારતીય ક્રિકેટમાં સુપરસ્ટાર કલ્ચરે હદ વટાવી છે, અને ઇમાનદારી તથા ઔચિત્યને તડકે મૂકીને આ (નિવૃત્ત અને સક્રિય) ‘ભગવાનો’ એ બધાં જ કામો કરી રહ્યા છે જે એક આદર્શ મહાનાયકે ના કરવાનાં હોય.

રામ ગુહાએ આમ તો ક્રિકેટના વહીવટના લઇને સવાલો ઉઠાવ્યા છે પરંતુ એમણે જે શબ્દ પસંદ કર્યો છે, સુપરસ્ટાર કલ્ચર, તે ભારતીય જનમાનસના એક વ્યાપક દોષ તરફ પણ ઇશારો કરે છે; વીરપૂજા એટલે કે હીરો વર્શિપ. રામ ગુહા જે સુપરસ્ટાર કલ્ચરની વાત કરે છે તે ક્રિકેટ ઉપરાંત બીજી રમતોમાં તો લાગુ પડે જ છે, તે ઉપરાંત ભારતીય રાજનીતિ, ધર્મ અને ઉદ્યોગમાં પણ એ એટલું જ પ્રચલિત છે ને તેમાં પણ તમામ પ્રકારની બેઇમાની અને ગોરખધંધા ચાલે છે.

ભારત 33 કરોડ દેવતાઓનો દેશ છે. મતલબ કે દરેક વ્યક્તિ, દરેક વર્ગ અને દરેક સમુદાયના વ્યક્તિગત ઈશ્વર છે જેની સાથે એનો વન-ટુ-વન સંબંધ છે. પોતાના કરતાં વધુ સમર્થ, વધુ જ્ઞાની અને વધુ પ્રતિભાવંત વ્યક્તિમાં પોતાનું પ્રતિબિંબ જોવાની જરૂરિયાતમાંથી વીરપૂજા પેદા થઈ છે. વીરપૂજા અથવા વ્યક્તિપૂજા અથવા તો સુપરસ્ટાર કલ્ચર માત્ર ભારત પૂરતું જ મર્યાદિત છે એવું નથી. દરેક સમાજે અને દરેક પેઢીએ પોતાના ‘કલ્ટ લીડર’ પેદા કર્યા છે પછી તે સમાજ હોય, રાજનીતિ હોય, સિનેમા હોય કે રમત હોય.

ભારતના સંદર્ભમાં એક મહત્ત્વનો ફર્ક એ છે કે બીજા સમાજો એમના નાયકોના આચાર-વિચારને મહત્ત્વ આપે છે ત્યારે ભારતમાં લોકો વ્યક્તિને અનુસરે છે. ભારતના સૌથી મોટા નાયક મહાત્મા ગાંધીએ 1937માં આ ફર્ક સમજાવતાં કહ્યું હતું કે, ‘આપણા માટે કોઈ વ્યક્તિનું ભજન કરવું એ સારું ન કહેવાય. આપણે તો એના આદર્શની પૂજા કરવાની હોય.’ 1969માં જ્યારે બીજા એક ગાંધી, ઇન્દિરાએ કૉંગ્રેસનું વિભાજન કર્યું ત્યારે અવિભાજિત કૉંગ્રેસના અંતિમ અધ્યક્ષ એસ. નિજલિંગપ્પાએ ટિપ્પણી કરી હતી કે, 20મી સદીનો ઇતિહાસ એવી કરુણ ઘટનાઓથી ભરેલો પડ્યો છે જેમાં લોકપ્રિયતાની લહેર ઉપર સવાર થઈને લીડર રાજનૈતિક અહંકારનો શિકાર બને અને લોકમતને અધિકાર સમજીને વિરોધીઓને દબાવી દે.

ઇન્દિરા ગાંધી પહેલી લીડર હતી જેના ખયાલાતની લોકોએ પરવા કરી ન હતી અને આંધળા ભાવે એની વ્યક્તિપૂજા કરી હતી. રામ ગુહા ભારતીય રાજનીતિમાં પ્રચલિત વ્યક્તિપૂજાથી ખૂબ વાકેફ છે અને એટલે જ એમણે ક્રિકેટના સુપરસ્ટાર કલ્ચરની ઉપર બત્તી ફેંકી છે. રામચંદ્ર ગુહા એક અગત્યના ઇતિહાસકાર છે અને એમણે ભારતીય રાજનીતિ અને ક્રિકેટ ઉપર ઘણું સંશોધન કર્યું છે અને લખ્યું છે. એમણે ‘ઇન્ડિયા આફટર ગાંધી’ નામની એક સરસ ચોપડી લખી છે. 

એમાં એમણે ડાૅ. બાબાસાહેબ આંબેડકરે 25 નવેમ્બર 1949ના દિવસે સંવિધાનિક સભામાં આપેલા પ્રવચનને ટાંક્યું છે. એમાં બાબાસાહેબ કહે છે, ‘જેણે દેશની સેવા કરી હોય એવા મહાન માણસો પ્રત્યે કૃતજ્ઞ રહેવામાં ખોટું નથી, પરંતુ એ આભારની એક મર્યાદા હોવી જોઈએ. ધર્મમાં ભક્તિથી કદાચ આત્માને મોક્ષ મળતો હશે પરંતુ રાજનીતિમાં ભક્તિ અથવા વીરપૂજાથી દુર્દશાનો રસ્તો ખૂલે છે જે નિરંકુશતામાં જઈને અટકે છે.’

વ્યક્તિ રાજકારણમાં હોય કે ક્રિકેટમાં, એનાં પરિણામો સરખાં જ હોય છે. સાર એ છે કે ક્રિકેટના સુપરસ્ટાર કલ્ચરને દૂર કરવું હશે તો ભારતીય સમાજમાં વ્યાપ્ત વીરપૂજાનો ઇલાજ કરવો પડશે. રાજકારણમાં આપણે ‘બાહુબલીઓ’ની તાકાત સામે જે રીતે માથું નમાવીએ છીએ તે જોતાં ક્રિકેટના સુપરસ્ટાર કલ્ચરનો ઇલાજ નજીકના ભવિષ્યમાં તો દેખાતો નથી. 

સૌજન્ય : “બ્રેકિંગ વ્યૂઝ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 11 જૂન 2017

Loading

સ્વતંત્રતા બાંદી ન બને એ કોણ જોશે?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|10 June 2017

નિયંત્રણ અને દમન, સરાસર ગેરઇનસાફી અને કેવળ મનમુરાદશાહી છતાં, વિચારધારા અને દેશભક્તિના થપ્પા તળેનાં હશે

એન.ડી.ટી.વી.ની સ્થાપક જોડી પ્રણય અને રાધિકાના નિવાસસ્થાને બરાબર સોમવારે જ છાપો મારીને સી.બી.આઈ.એ અઠવાડિયું ઠીક બેસાડ્યું! રાષ્ટ્રપતિપદના સંભવિત દાવેદારને માત આપવા સી.બી.આઈ.એ અયોધ્યા જગાડ્યું, તો સરકારને અણગમતા મીડિયા હાઉસને પાઠ શીખવવા છાપો માર્યો: આનું નામ તે પિંજરબધ્ધ પોપટજી, કેઇજ્ડ પેરટ. સરકાર અને સી.બી.આઈ. અલબત્ત આ મીડિયા હાઉસના સ્થાપકો સબબ કશોક વાંકગુનો ખસૂસ આગળ કરી શકે. પણ સાવ સાદો વિગતમુદ્દો એ છે કે એણે આગળ કરેલો મુદ્દો એક ખાનગી બૅંકની લોન માંડવાળનો છે.

અડતાળીસ કરોડની આ માંડવાળને જ્યારે આપણાં એકાદ ડઝન જેટલાં મોટા કોર્પોરેટ ગૃહો અને પબ્લિક સેક્ટરની બૅંકો વચ્ચે કેવળ દસ લાખ કરોડ રૂપિયાનો દેવા-વહેવાર બેરોકટોક જારી હોઈ શકે છે એવી વાસ્તવિકતા સામે મૂકીને જોઈએ તો તરત બે વત્તા બે બરાબર ચારની જેમ ચોખ્ખું સમજાઈ રહે કે એક પબ્લિક એજન્સીએ જેમાં પ્રાણપણે પડવું જોઈએ એવી કોઈ વાત આ ખાનગી બૅંક સાથેના થોડા એક કરોડના વહેવારની નથી.

મુદ્દે, જરી પણ જુદા પડતા અને કંઈકે માથું ઊંચકી શકતા મીડિયા બાબત સરકાર માત્ર, રિપીટ, સરકાર માત્ર અસુખ અનુભવે છે.

એ કોઈ ખાસ ખાનગી વાત નથી. ખુશવંતસિંહે 1973-74ના અરસામાં વડાપ્રધાન ઇંદિરા ગાંધી સાથેની એક વાતચીત ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’માં છાપી હતી. તે આ સંદર્ભમાં સાંભરે છે. ‘આકાશવાણી’ને સ્વાયત્ત કરવા વિશે તમારે શું કહેવું છે એ મતલબના પ્રશ્નનો ઇંદિરાજીનો ઉત્તર હતો કે એક પછાત પ્રજાના હાથમાં આવું સાધન કેવી રીતે મૂકી શકાય. તાજેતરનાં વરસોમાં એવી એક ટીકા સાંભળવા મળે છે કે જેઓ કટોકટીરાજ સામે લડ્યા તેમને હાથે આવા સ્વાતંત્રવિરોધી પગલાંને સમર્થન કેમ મળતું હશે. પણ એન.ડી.ટી.વી. જેવા તાજા દાખલા નવી નવાઈના નથી.

સરકાર, કેમ કે તે સરકાર છે, કેવી રીતે વિચારવા ઇચ્છે, એનો એક નાદર નમૂનો 1977ના જનતા રાજ્યારોહણ પછી તરતનાં વર્ષોમાં મોરારજી સરકારના સૂચના અને પ્રસાર મંત્રી લાલકૃષ્ણ અડવાણીએ પૂરો પાડ્યો હતો. આખી લડત દરમ્યાન ઑલ ઇન્ડિયા રેડિયો તે ઑલ ઇંદિરા રેડિયો છે એ એક ખાસો ગાજતો ને ચગાવતો રહેલો મુદ્દો હતો. બી.બી.સી. પેઠે સ્વાયત્ત કોર્પોરેશન જેવા કોઈ વિકલ્પની સતત હિમાયત કરાતી હતી. જનતા સરકારે ઇંચોઇંચ એડિટર જ્યોર્જ વર્ઘીઝના વડપણ હેઠળ એ દષ્ટિએ નીમેલી સમિતિ – જેમાં આપણા ઉમાશંકર જોશી પણ હતા – આ ધોરણે સ્વાયત્ત પ્રસાર ભારતી દરખાસ્ત લઈ આવી ત્યારે સૂચના અને પ્રસાર મંત્રી અડવાણીએ કહ્યું કે આ બધું શું છે. સરકારના એક ખાતા લેખે સ્વાયત્ત કેમ ન રહી શકો. લડતના મર્મસ્થાને ઘા જેવી ભૂમિકા આ હતી.

પ્રણય રૉયનો કોઈ વાંકગુનો હોય તો તે બાબત સી.બી.આઈ. જે રીતે મંડી પડી છે એવી કોઈ ક્રિમિનલ સ્વરૂપની નથી. ગમ્મત તો કદાચ એ પણ છે કે જે ખાનગી બૅંકનો આ સવાલ છે તેણે (આઈ.સી.આઈ.સી.આઈ. બૅંકે) તો ફરિયાદ પણ નથી નોંધાવી! પણ ગયે વરસે સરકારે જેમ એન.ડી.ટી.વી. એક દિવસ માટે બંધ રાખવાનો હુકમ કર્યો હતો. તેમ હમણાં આવો પેચ લડાવ્યો છે. જો કે એક દિવસની બંધીમાં સરકારને બહાદુરીપૂર્વક પીછેકૂચ કરવામાં સલામતી જણાઈ હતી, પણ ફરી પાછું કંઈ કર્યા વગર એને ચેન પડે શાનું.

વસ્તુત: સી.બી.આઈ.એ જે રેડનો રાહ લીધો એમાં બાકી બધા માટે એક લાંબા ગાળાનો સંદેશો પડેલો છે: જો તમે સખણાં નહીં હીંડો (સરકારને અનુકૂળ નહીં વરતો) તો શું થઈ શકે છે તે જોઈ લો. સી.બી.આઈ.નું નિવેદન જે મોટા ગુનાની લાંબીચોડી જિકર કરે છે તે તત્ત્વત: મૂળ ઇરાદા પરના કવર અપની કસરત છે. મીડિયામાત્રનું મોં કેમનું બંધ કરવું અગર તો એનું નાળચું કેમનું વાળવું, એ સરકારની કોશિશ જણાય છે.

પાંત્રીસેક વરસ પર બિહારમાં જગન્નાથ મિશ્રની સરકાર એક પ્રેસ બિલ લાવી હતી. અભિવ્યક્તિને રૂંધતી આ કોશિશ સામે ત્યારે રાષ્ટ્રવ્યાપી વિરોધઝુંબેશ ચાલી હતી, અને એ બિલ પડતું મૂક્વું પડ્યું હતુ. એડિટર્સ ગિલ્ડે એ દિવસોમાં બિહારની મુલાકાત લઈ આખો પ્રશ્ન એની પૃષ્ઠભૂ સમેત તપાસવાની કોશિશ કરી હતી. ગિલ્ડનું એક અવલોકન સ્મરણીય છે. એણે હેવાલમાં કહ્યું હતું કે 1974-77નું જેપી આંદોલન અને એ પછી બિહારમાં કર્પુરી ઠાકુરનું શાસન, આ બધો દોર દેખીતો આછરી ગયો છે જરૂર; પણ બિહારમાં આજની તારીખેય(1982-83)માં કંઈ નહીં તો પણ સો જેટલાં ક્રાંતિકારી થાણાં કાર્યરત છે.

જો એમની પ્રવૃત્તિઓ લોકો સુધી પહોંચતી રહે તો કયારેક એ જંગલના દવ પેઠે ફેલાઈ પણ શકે. સ્થાપિત હિતવાદી સરકારને આ ન પાલવે. અભિવ્યક્તિને અવરોધતા પ્રેસ બિલ પાછળ આ સરકારી માનસિકતા કામ કરી ગઈ છે. આજે નિયો-લિબરલ અર્થનીતિ તળે દેશમાં નાનાંમોટાં જૂથો ને સમુદાયો જે પ્રકારે શોષણમાંથી પસાર થઈ રહ્યાં છે એનો ખરો ને પૂરો અંદાજ તો આપણું મીડિયા આપતાં આપશે. પણ નમૂના દાખલ હમણેનાં કિસાન આંદોલનોની જ વાત કરીએ તો શું જોવાં મળે છે? આત્મહત્યાનો દોર રોક્યો રોકાયો નથી. કિસાન હિતનાં એકોએક વચન કથિત દેવાંમાફી છતાં તત્ત્વત: વચન જ રહ્યાં છે.

મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનાં અત્યારનાં આંદોલનો આ દુર્દૈવ વાસ્તવની સાહેદી છે. આ સંજોગોમાં એક પા સરકારના દાવા અને બીજી પા લોકોનો વાસ્તવિક અનુભવ ને આપદા બેઉની વચ્ચેની ખાઈ જેમ જેમ વકરતી જશે તેમ તેમ આંદોલનોની તીવ્રતા કે અરાજક અંજપો વધતાં જશે, અને સરકારને પક્ષે નાનાવિધ દમનનું પ્રમાણ પણ વધતું જશે. કૌતુકભરી એટલી કમનસીબી બીના એ છે અને હશે કે આવાં એકોએક નિયંત્રણ અને દમન, સરાસર ગેરઇનસાફી અને કે‌વળ મનમુરાદશાહી છતાં, વિચારધારા અને દેશભક્તિના થપ્પા તળેનાં હશે. સોશ્યલ મીડિયા ક્યારેક મોદીએ હેળવ્યું હશે, ક્યારેક કેજરીવાલે કેળવ્યું હશે, પણ ફોરવર્ડ ફેંકાફેંકી અને ફેંકુશાહીની એની તરાહ ને તાસીર કંઈ મીડિયાનું સ્થાન લઈ શકે નહીં.

મીડિયાએ વળતું વિચારવું રહે, આપણે મોટા ઉદ્યોગધંધાની સહજ પ્રકૃતિ છતાં કેવળ કોર્પોરેટ વલણોમાં તો નથી ખૂંપતાં ને. જ્યારે સરકાર અને કોર્પોરેટ ગૃહો એકાકાર જેવાં માલૂમ પડે એવાં ચિહ્નો છે અને નેતાઓ સી.ઈ.ઓ. થવામાં રાજધર્મ જોવા લાગ્યાં છે. ત્યારે આ પ્રશ્ન સહેજ પણ અપ્રસ્તુત નથી. સ્વતંત્રતા કોર્પોરેટ તામઝામ જાળવણીની બાંદી ન બને એ કોણ જોશે? ક્યારે જોશે? કટોકટીમાં બેત્રણ મોટાં દૈનિક બાદ કરતાં અણુકાય પત્રોએ મોરચો સંભાળવાની નોબત આવી હતી – 25/26 જૂનના પૂર્વ પખવાડિયે આટલી એક ઇતિહાસસ્મૃિત.

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : ‘પડકાર’, “દિવ્ય ભાસ્કર”, 10 જૂન 2017

Loading

જાહેરમાં થૂકવું એ ઠાઠ નથી, એ ગુનો છે; થૂંક એ લાળ નથી, ઝેર છે, થૂંકીને ધરતી માનું અપમાન ન કરીએ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|9 June 2017

જાહેરમાં થૂંકવું એ બધાની તંદુરસ્તી માટે હાનિકારક છે 

નથી હું સ્ત્રી કે નથી હું ગરીબ. હું દલિત કે આદિવાસી નથી. હું વૃદ્ધ કે વિકલાંગ પણ નથી. હું ખેડૂત નથી કે સરકારનો વિરોધી તો હું બિલકુલ નથી. છતાં મને અમદાવાદની લગભગ તમામ જાહેર જગ્યાઓ પર સખત ડર લાગે છે. મને થૂંકનો ડર લાગે છે. થૂંક ગમે તે અથવા બધી દિશાએથી મારી પર આવી પડી શકે છે. શહેરના રસ્તા પર આપણી આગળ જઈ રહેલ પુરુષ પિચકારી મારે ને તે આપણી પર ઊડે છે. થૂંકવામાં સાયકલ કે પગરિક્સા પર જનાર મજૂર, ફૅન્સી બાઇક ચલાવનાર યુવાન કે મોંઘીદાટ ગાડી ચલાવનાર શેઠિયો બધા એક સરખા જ હીન કક્ષાના હોય છે. બસની બાજુમાં વાહન ચલાવનાર પર અંદરથી લાળાભિષેક થાય છે. રસ્તાની બાજુમાં ચાલવાની કોશિશ કરતાં હોઈએ ને ચાની કીટલી પરથી કોગળો આવે છે, પાનના ગલ્લેથી પિચકારી છૂટે. બગીચામાં તન-મનદુરસ્તી માટે ચાલતા હોઈએ ત્યાં આગળ ચાલતા નાદુરસ્ત માણસ ડાબી કે જમણી તરફ કે વારાફરતી બંને તરફ થૂંકતા હોય છે. પાછળનાના બળખા સંભળાતા હોય છે. સફાઈકર્મચારીએ માવજતથી વાળેલા બગીચામાં બાંકડા પર બેસી ઊગતા સૂર્ય સામે મુખ રાખી ઓમકાર કરનાર માણસ ત્યાં જ બેઠો બેઠો પોતાની સામેની જ મૃદુ માટીમાં ગળફો થૂકે છે. તમાકુ કે મસાલાના ડૂચા મોંમા રાખીને વાત કરનારા થોડી મિનિટો વાત કરે એટલામાં તો આજુબાજુ છંટકાવ કરી દેતા હોય છે. ટ્રાફિક સિગ્નલ કે બીજે જ્યાં-ક્યાં  રોકવું પડે ત્યાં ઓછામાં ઓછું એક વખત તો થૂંકાઈ જ જાય એવું કંઈક મનોશારીરિક તંત્ર અનેક જણમાં ગોઠવાયેલું હોય છે. બસસ્ટૅન્ડ, બસ, પ્લૅટફૉર્મ, ટ્રેઇન, ઇમારતોના દાદરા, ફૂટપાથ, હોસ્પિટલની લૉબીઓ, બગીચા, છબિઘરો, સભાગૃહો, પાર્કિંગ  દરેક સંખ્યાબંધ જાહેર જગ્યાએ થૂંકીને પોતાની હીન હાજરી નોંધાવી જોઈએ એવી માન્યતા પણ થૂંકનારામાં વ્યાપક છે. મોટા ભાગના થૂંકનારામાં થૂંકવા બાબતે કોઈ રંજ હોતો નથી. તેમનું જાહેરમાં ન થૂકવા તરફ ધ્યાન દોરીએ કે થૂંક આપણી પર ઊડતાં આપણે ગુસ્સે થઈએ ત્યારે થૂંકનારમાં ભૂલનો ભાવ ભાગ્યે જ હોય છે. સદ્દભાગ્યે દિલગીરીના શબ્દો સાંભળવા મળે તો તેમાં પોતાના તરફના અપરાધભાવ કરતાં સામા માણસ પરના અહેસાનભાવ સાથે ‘સૉરી’ તેના મોં પર ફેં(થૂં)કાતું હોય છે. મોટે ભાગે તો ‘તારે શું લેવા દેવા ?’, ‘આ તો તારે દેખ્યાનું દાઝવું છે !’, ‘મારે તો જે કરવું હોય તે કરું, તું થાય એ કરી લે’, ‘તારી પર ક્યાં ઊડ્યું, બતાવ’, જેવી નફ્ફટાઈ જ જોવા મળે છે. સ્ત્રીઓ જાહેરમાં ભાગ્યે જ થૂંકે છે.  

આપણી પર ઊડેલું બીજાંનું થૂંક આપણા શરીરને ઇજા પહોંચાડે એના કરતાં કરતાં ય મનમાં સૂગનો જે ભાવ જન્માવે તે વર્ણવવા માટે શબ્દો ઓછા પડે; થૂંકનારા માટે જે ધૂત્કાર જ્ન્મે  તે વર્ણવવા માટે અપશબ્દો ઓછા પડે. આપણી પર થૂંક ઊડાડનારને દુનિયાના અત્યંત ગંદામાં ગંદા, અસંસ્કારીમાં અસંસ્કારી માણસોની હરોળમાં મૂકવા પડે. લેખકો કેટલીક વખત પાન કે તમાકુ ખાઈને પિચકારી મારવાની અ‍ૅક્શનને  હિરોની ગૌરવભરી ખાસિયત તરીકે ચીતરતા હોય છે. થૂંકવું એ હાસ્યકારો થૂંકવાને વ્યંગ-કટાક્ષ માટેનો વિષય બનતો હોય છે. પણ ખરેખર તો થૂંકવું અને થૂંકનાર એ કેવળ અને કેવળ અનહદ તિરસ્કારનો જ વિષય હોઈ શકે.

અલબત્ત, થૂંકવા માટેનો ધિક્કાર એ માત્ર વ્યક્તિસાપેક્ષ અંગત ગમા-અણગમાની બાબત નથી. ભણેલા કે સુધરેલા ગણાતા માણસોને એ ભાગ્યે જ કહેવાની જરૂર છે કે થૂંકવું એ લોકોની તંદુરસ્તી માટે ખૂબ હાનિકારક પરિબળોમાંનું એક છે. એ જાહેર સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સામેનું મોટું જોખમ છે. જાહેરમાં થૂંકવા અને નાક સાફ કરવા પર દેશમાં સહુ પ્રથમ પ્રતિબંધ લાવનાર કેરળની સરકાર છે. તેણે 2006માં વડી અદાલતના સૂચન મુજબ આ પ્રતિબંધ લગાવ્યો. અદાલતે થૂંક અને કફ થકી ફેલાનારા રોગોની આ મુજબની યાદી આપી હતી : ટ્યુબરક્યુલોસીસ (ટીબી), ઇન્ફ્લુએન્ઝા, ન્યુમોનિઆ, અછબડા, ડિપ્થેરિયા, એન્ડેમિક ફીવર અને મોટી ઉધરસ. તમાકુ ખાનારાએ એ વાત પણ યાદ રાખવાની છે કે મોંના કૅન્સરની બાબતે ભારત દુનિયામાં અગ્રણી સ્થાન ધરાવે છે ! મહારાષ્ટ્ર સરકારે 2015માં થૂંકવા સામેનો કાયદો કર્યો. તે અંગે વાત કરતા મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી દીપક સાવંતે જણાવ્યું હતું કે થૂંકવું એ ટીબીના રોગીઓની સંખ્યામાં વધારા પાછળનું એક કારણ છે. થૂંકવા સામે પશ્ચિમ બંગાળમાં  2003માં થયેલો કાયદો અસકારક નીવડ્યો નથી. એટલું જ નહીં પણ લોકોના થૂંકવાને કારણે હાવડા બ્રિજના થાંભલાના પાયા જોખમમાં આવ્યા છે. પાન ખાઈને પેદા થયેલા થૂંકમાં કાથો, સોપારી, ફોડેલો ચૂનો અને ટૅનિન જેવાં દ્રવ્યો ભળેલાં હોય છે. પાન ખાઈને પુલ પરથી અવરજવર કરનાર લોકોનાં મોંમાંથી આ સંયોજનનો સતત મારો બ્રિજના થાંભલા પર થયા કરે છે. તેનાથી ગયાં પંચોતેર વર્ષમાં હાવરા બ્રિજની ધાતુઓને વરસાદ કે વાવાઝોડા કરતાં ય વધુ નુકસાન પહોંચ્યું છે. એટલે હવે થાંભલાના પાયાના ભાગ પર જાડા ફાયબરના કવર લગાવવાની યોજના વિચારાઈ છે. થૂંકવાને કારણે પડેલા ડાઘ સાફ કરવા માટે ભારતીય રેલવે દર વર્ષે કરોડો રૂપિયા ફાળવે છે.

ઇંગ્લેન્ડની પ્લાયમાઉથ યુનિવર્સિટીના રૉય કુમ્બરે કરેલા અભ્યાસ મુજબ ભારત, ચીન અને દક્ષિણ કોરિયા સહુથી વધુ થૂંકતા દેશો છે. એશિયાના કેટલાક અને પશ્ચિમના ઘણા ખરા દેશોમાં જાહેરમાં થૂંકવાની બદી જવલ્લે જ મળે છે. તેની પાછળ અમેરિકા અને યુરોપમાં ઓગણીસમી સદીમાં થૂંકવા વિરુદ્ધ ચાલેલા અભિયાનો છે. અમેરિકામાં 1890ના દાયકામાં ટીબી રોકવા માટે ‘લન્ગ અસોસિએશન’ દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી તેમાં થૂંકવાની બદઆદત સામે લોકોમાં જાગૃતિ લાવવામાં આવી. ‘સ્પિટ ઇઝ પૉઇઝન’ એ સૂત્ર ફેલાવવામાં આવ્યું. ઠેરઠેર થૂંકદાનીઓ મૂકાવવામાં આવી. જાહેરમાં થૂંકવું એ અનૈતિક પણ ગણવામાં આવ્યું. વળી તેને ક્રાઇમ અગેઇન્સ્ટ પબ્લિક હેલ્થ ગણીને કાયદા ઘડવામાં આવ્યા. ફ્રાન્સે 1886માં અને ઇટાલીએ 1901માં કાયદો ઘડ્યો. નારીવાદી ચળવળ પચાસના દાયકામાં જોડાઈ. ઇંગ્લેન્ડમાં કાનૂની માર્ગો કરતાં લોકોને સમજ આપવા  પર વધુ ભાર મૂકવામાં આવ્યો.

આપણે ત્યાં પાન ખાવું એ ઇતિહાસના જુદા જુદા તબક્કે સંસ્કૃિતનો હિસ્સો રહ્યો છે. પણ તેની સાથે આપણે જાહેર સ્વચ્છતાની સંસ્કૃિતનો ભાગ્યે જ કોઈ ખ્યાલ આપણે ત્યાં જાગ્યો છે. એટલે આપણે ‘પાન ખાય સૈયાં હમારો’ અને ‘ખઈકે પાન બનારસવાલા’ એવું બધું ગાયા કર્યું, પણ પેલું ‘સ્પિટ ઇઝ પૉઇઝન’ જેવું આપણને કંઈ સૂઝ્યું જ નહીં. આપણને એવું પણ ન થયું કે સદીઓથી આપણા અસ્તિત્વ માટે આપણે  ધરતી માતાને ખેડીને, તેને ખોદીને તો તેની પર ત્રાસ ગુજારીએ જ છીએ. ખરેખર તો આપણે તેને દરેક પગલે ‘પાદસ્પર્શ ક્ષમસ્વ મે’ એવું કહેવાનું છે. એ તો બાજુ પર રહ્યું. આપણે તેની પર થૂક્યા જ કરીએ છીએ.

++++++

08 જૂન 2017  

e.mail : sanjaysbhave@yahoo.com

‘ક્ષિતિજ’ નામે લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 09 જૂન 2017

Loading

...102030...3,4003,4013,4023,403...3,4103,4203,430...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved