Opinion Magazine
Number of visits: 9689067
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાકડાના લાડુ જેવી ખેડૂતોની લોનમાફી

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|29 June 2017

યુપીએ સરકારની લોનમાફીનાં પૂરાં દસ વર્ષ પણ નથી થયાં, ત્યાં ફરી એક વાર લોનમાફીની મોસમ આવી પડી છે

મધ્ય પ્રદેશમાં હિંસક બનેલું ખેડૂત આંદોલન શમી ગયું, પણ તેણે સર્જેલાં વમળોની અસર ઓસરી નથી. ખેડૂતોની કઠણ સ્થિતિ અને તેમની ખરાબ અવસ્થા એટલાં વાસ્તવિક છે કે વાતોનાં વડાં કરીને તેને ટાળી શકાય એમ નથી કે ગૌરવનાં ગાનથી તેને છુપાવી શકાય તેમ નથી. ત્યાર પછીનો ત્રીજો શોર્ટ કટ એટલે ખેડૂતોની લોનમાફી. 

ખેડૂતોને લોનમાફીની શરૂઆત યુપીએના રાજમાં 2008માં થઈ હતી. એ વખતના નાણામંત્રીએ 2008-09ના બજેટમાં નાના અને સીમાંત ખેડૂતોની લોનમાફી પેટે રૂ. 60,000 કરોડની જોગવાઈ કરી હતી. આવાં પગલાંને ખેડૂતલક્ષી તરીકે ઓળખાવીને, સરકારને ખેડૂતોની કેટલી ચિંતા છે, એનાં ઢોલનગારાં વગાડવાનો રિવાજ છે. હકીકતમાં આવાં પોલાં (છતાં ખર્ચાળ) પગલાંને કારણે ખેડૂતોની સ્થિતિ સુધરતી નથી. કારણ કે તેમના દરદની મૂળમાંથી દવા થતી નથી.

આ વખતે લોનમાફીની શરૂઆત ઉત્તર પ્રદેશના ચૂંટણીપ્રચારથી થઈ, જેમાં અત્યારે કેન્દ્ર સરકાર તરીકે લોનમાફીનો ઇન્કાર કરી રહેલા મહાનુભાવો જ લોનમાફીના વાયદા આપીને આવ્યા હતા. તેમના પક્ષની સરકાર બન્યા પછી તેમના મુખ્યમંત્રીએ લોનમાફી અમલી બનાવી દીધી. આ પગલાથી રાજ્ય સરકાર પર પડનારો કુલ આર્થિક બોજઃ રૂ. 36,569 કરોડ. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વખતથી ઉકળતા ખેડૂત અસંતોષની ચિનગારીમાં ઉત્તર પ્રદેશના નિર્ણયે ઘી હોમ્યું.

ઉત્તર પ્રદેશની લોનમાફી જેવા ધબડકાજનક નિર્ણય વિશે કૉંગ્રેસને શું કહેવાનું હતું? પક્ષ તરીકે તેણે લાંબા ગાળાનાં અને ટકાઉ પગલાં સૂચવવાને બદલે ઉપરથી એવું કહ્યું કે ઉત્તર પ્રદેશની કુલ લોન તો રૂ. 92,241 કરોડની છે. તેમાંથી ફક્ત રૂ. 36,000 કરોડની જ લોન માફ કરી, તો બાકીની ક્યારે કરશો? ‘યુપીએ સરકાર રૂ.72,000 કરોડની લોનમાફી કરી શકતી હોય તો મોદીજી કેમ નહીં?’ એવો ટોણો પણ એક કૉંગ્રેસી પ્રવક્તાએ માર્યો. તે એટલું પણ સમજવા માગતા નથી કે આર્થિક ઊંટવૈદું અજમાવતી સરકારોને લાંબા ગાળાના કડાકુટિયા રસ્તાને બદલે, લોનમાફી જેવો સહેલો વિકલ્પ અપનાવી લે ત્યારે શું થાય છેઃ યુપીએ સરકારની લોનમાફીનાં પૂરાં દસ વર્ષ પણ નથી થયાં, ત્યાં ફરી એક વાર લોનમાફીની મોસમ આવી પડી છે. આ વખતે કેન્દ્ર સરકારે કહી દીધું છે કે તે લોનમાફીમાં નહીં પડે, પરંતુ ખેડૂત આંદોલનોથી ભીંસ અનુભવી રહેલી રાજ્ય સરકારો લોનમાફીના રસ્તે દોડવા લાગી છે.

તેમાં સૌથી વધુ દબાણ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પર આવ્યું. ત્યાં તોફાને ચઢેલા ખેડૂતોની માગણી પોતાના પાક માટે સારા ભાવની હતી. વિરોધ પ્રદર્શનની ધાંધલમાં પાંચ ખેડૂત માર્યા ગયા. સરકારે તેમની જવાબદારીનો પહેલા ઇન્કાર કર્યા પછી નાકલીટી તાણીને પાંચેયના પરિવારોને સરકારે એક-એક કરોડ રૂપિયા જાહેર કર્યા. તેમ છતાં આંદોલન શાંત ન પડ્યું, એટલે મુખ્યમંત્રીએ (સરકારી આંકડા પ્રમાણે) છ હજાર કરોડનું દેવું ધરાવતા મધ્ય પ્રદેશના છ લાખ ખેડૂતો માટે લોન સેટલમેન્ટ સ્કીમ જાહેર કરી. મુખ્યમંત્રી ભલે તેને સીધેસીધી લોનમાફી ન ગણાવતા હોય, પણ અસરકારક રીતે જોતાં તે લોનમાફી જ બની રહેશે.

મધ્ય પ્રદેશના પાડોશી મહારાષ્ટ્રનો ખેડૂત અસંતોષ જૂનો છે. વિદર્ભના ખેડૂતોની કરમકઠણાઈ વિશે વર્ષોથી છૂટુંછવાયું ચર્ચાતું આવ્યું છે. ત્યાંની સ્થિતિ મધ્ય પ્રદેશની હદે ન વણસે, એ માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ સાર્વત્રિક લોનમાફીની જાહેરાત કરી. સામાન્ય રીતે આવું પગલું નાના અને સીમાંત ખેડૂતોને લક્ષમાં રાખીને લેવામાં આવે છે, પણ ખેડૂત આંદોલનની રાજકીય અસરોથી બચવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ‘ઐતિહાસિક’ નિર્ણય લીધો અને કહ્યું કે ‘લોનમાફી ફક્ત નાના અને સીમાંત ખેડૂતો પૂરતી સીમિત નથી. એ બધા ખેડૂતો માટે છે.’ સરકારે એવો અંદાજ કાઢ્યો કે લોનમાફીનો કુલ આંકડો રૂ. 35,000 કરોડની આસપાસ થશે, પરંતુ સત્તાવાર માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં ખેડૂતોનું કુલ દેવું 1.14 લાખ કરોડ છે અને કુલ ખેડૂતો 1.36 કરોડ. એટલે સમય જતા લોનમાફીની રકમમાં વધારો થવાની પૂરેપૂરી સંભાવના છે. 

ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની ભાજપી રાજ્ય સરકારોની સાથે પંજાબ અને કર્ણાટકની કૉંગ્રેસી સરકારો પણ લોનમાફીના લક્કડિયા લાડુ વહેંચવામાં જોડાઈ ગઈ છે. કારણ કે ખેડૂતોની સમસ્યા કોઈ એક પક્ષની નિષ્ફળતાનું નહીં, એકંદર શાસકવર્ગની ઉદાસીનતાભરી કે બેદરકારીયુક્ત નીતિનું પરિણામ છે. પાંચ રાજ્યોની લોનમાફી પછી બીજાં રાજ્યો પણ લાઇનમાં છે. એક અંદાજ પ્રમાણે લોનમાફીની જાહેરાતવાળાં પાંચ રાજ્યો ઉપરાંત બીજાં ત્રણ રાજ્યો – ગુજરાત (રૂ.40,650 કરોડ), હરિયાણા (રૂ.56,000 કરોડ) અને તમિલનાડુ(રૂ.7,760 કરોડ)માં લોનમાફી લાગુ પડી જાય, તો કુલ આંકડો રૂ.3.1 લાખ કરોડે પહોંચે. આવા આંકડા આમ તો આપણાં માથાંની ઉપરથી જાય, પણ અહેવાલની સાથે અપાયેલી સરખામણીથી ખ્યાલ આવે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા બનાવવા માટે ચાલુ વર્ષમાં ફાળવાયેલા બજેટ કરતાં આ રકમ સત્તર ગણી છે. આ જ રકમમાંથી (સંગ્રહ માટે) 4,43,000 વૅરહાઉસ ઊભાં કરી શકાય અથવા ભારતની સિંચાઈક્ષમતામાં છેલ્લાં સાઠ વર્ષમાં જે વધારો થયો છે તેના કરતાં 55 ટકા વધારો કરી શકાય. આવા અંદાજોની ચોકસાઈમાં ઓગણીસ-વીસ હોઈ શકે, પણ મૂળ મુદ્દો એ છે કે ખેડૂતોને કામચલાઉ રાહત આપતી લોનમાફીની તોતિંગ રકમોમાંથી ખેડૂતોને કાયમી રાહત આપતી સુવિધા ઊભી કરી શકાય.

રાજ્યકક્ષાના કૃષિમંત્રીએ રાજ્યસભામાં આપેલી માહિતી પ્રમાણે, 30 સપ્ટેમ્બર, 2016 સુધીમાં બાકી કૃષિલોનનો કુલ સરવાળો રૂ.12.60 લાખ કરોડ છે. તેમાંથી રૂ. 7.75 લાખ કરોડ પાક માટેની લોન છે અને રૂ. 4.84 લાખ કરોડ ટર્મ લોન (લાંબા ગાળાની) છે. રૂ.12.60 લાખ કરોડની બાકી લોનમાંથી રૂ. 9.57 લાખ કરોડ કૉમર્શિયલ બૅંકોની, રૂ.1.57 લાખ કરોડ સહકારી બૅંકોની અને રૂ. 1.45  લાખ કરોડ પ્રાદેશિક ગ્રામીણ બૅંકોની છે. યાદ રાખવા જેવું છે કે પાણી-વીજળી-ખાતર પર સરકારી સબસિડી (આર્થિક સહાય) મળતી હોવા છતાં, તેમાંથી અને લોનમાંથી પણ જરૂરતમંદો સુધી કેવો ને કેટલો લાભ પહોંચે છે એ શંકાસ્પદ છે. બીજો પણ એક મુદ્દો છે. એક અહેવાલ પ્રમાણે, ખેતી માટે થતી ઉધારીમાંથી 45 ટકા ઇન્ફોર્મલ સૅક્ટર એટલે કે બૅંકો સિવાયની સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસેથી આવે છે. ગામના શરાફ પાસેથી લોન લેનાર ખેડૂતને સરકારી લોનમાફીનો લાભ મળતો નથી ને તેનું દુઃખ દૂર થતું નથી. બીજી તરફ, બૅંકોની લોન મેળવનારામાં નાના અને સીમાંત ખેડૂત ઓછા, સમૃદ્ધ ખેડૂતો વધારે પ્રમાણમાં હોય છે.

એટલે જ લોનમાફી લાકડાના લાડુ જેવી છે. આપનાર આપ્યાનો સંતોષ લઈ શકે, મેળવનારને ઘડીક સારું લાગે, પણ થોડા વખતમાં ફરી પાછા ઠેરના ઠેર.

સૌજન્ય : ‘અર્થનો અનર્થ’, “દિવ્ય ભાસ્કર”, 27 જૂન 2017

Loading

આસ્થા અને ઇતિહાસનું સાયુજ્ય

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|29 June 2017

વે’ન હૉપ અૅન્ડ હિસ્ટૃી રાઇમ [When Hope And History Rhyme] – આત્મકથા : અમીના કાછલિયા [Amina Cachalia] : Picador Africa, an imprint of Pan Macmillan South Africa, Private Bag X19, Northlands Johannesburg, 2116 : ISBN 978-177010-283-5 : First Edition – 2013

°

“Of all Amina Cachalia’s distinctions and achievements, the greatest is her identity, lifelong, active in past and present, as a freedom fighter, now needed as much, believe me, in the aftermath of freedom as in the struggle.”

— Nadine Gordimer

“અમીના કાછલિયાની શ્રેષ્ઠતા તથા સિદ્ધિમાં એમની વ્યક્તિતા, ભૂતકાળ તેમ જ વર્તમાન કાળમાંની એમની જીવનભરની કર્મશીલતા, સ્વાતંત્ર્યસૈનિકપણું બેલાશક છે જ છે; અરે, મને કહેવા દો, આઝાદીની લડત વેળા જેટલાં તે આવશ્યક હતાં તેટલાં આજે ય આવશ્યક છે.”

− નદીન ગોર્ડિમર

અહમદ કાછલિયા તથા ઇબ્રાહિમ અસ્વાત દક્ષિણ આફ્રિકાના આંદોલન વેળા ગાંધીભાઈના નજીકના સાથીદારો હતા. ઇબ્રાહિમભાઈ ઓગણીસમી-વીસમી સદીના સંધિકાળે સુરત પાસેના કફલેટાથી દક્ષિણ આફ્રિકે નશીબ અજમાવવા ગયેલા. જ્યારે અહમદભાઈ 1880માં કછોલીથી દક્ષિણ આફ્રિકા ગયેલા. બન્ને જ્હોનિસબર્ગ ચોપાસ જ ઠરીઠમા થયા હતા. મો.ક. ગાંધીના સહવાસે આંદોલનમાં બન્ને સક્રિય બન્યા. આગેવાન થયા. જેલ પણ ભોગવી. એકમેકને પરિચત થયા, અને પછી વેવાઈ પણ. ઇબ્રાહિમભાઈનું નવમું સંતાન એટલે અમીનાબહેન. જ્યારે અહમદભાઈનું બીજું સંતાન એટલે યુસૂફભાઈ. અમીનાબહેન અને યુસૂફભાઈ પરણ્યાં અને માવતરની પેઠે આઝાદીની લડતમાં પૂરેવચ્ચ રહ્યાં જેલવાસ પણ વેઠતાં રહ્યાં. એક અજીબોગજીબની ખુમારીવાળાં, પહેલી હરોળના આઝાદી આંદોલનના સૈનિકો શાં આ દંપતીની વાત આ આત્મકથામાં વહેતી રહી છે. અને એ જીવનીની સાથેસાથે દક્ષિણ આફ્રિકાની આઝાદીની લડતના વિવિધ આગેવાનોની વાત, રાક્ષસી રંગભેદ, તેમ જ હિન્દવી જમાતના ત્યાગની દાસ્તાઁ જોડાજોડ, જુલમી સરકારના કાળા કેરની અધમ વાતો ય અહીં હૂબહૂ ગૂંથાઈ છે.

જાણીતા આયરિશ કવિ અને નાટ્યકાર તેમ જ સાહિત્યનું નૉબેલ પારિતોષિક મેળવનાર સીમસ હીની[Seamus Heaney]એ આપી એક જાણીતી કવિતાની ત્રીજી કડી છે :

History says, don't hope
On this side of the grave.
But then, once in a lifetime
The longed-for tidal wave
Of justice can rise up,
And hope and history rhyme.  

[ઇતિહાસ જણાવે છે, છેલ્લા શ્વાસ સુધી આશામાં ને આશામાં ગરકાવ રહેવું નહીં. તેમ છતાં, જીવનમાં એકાદ વાર ઇનસાફની કોઈક ભરતીછાલક આવી ચડે છે, અને ત્યારે બસ, આસ્થા અને ઇતિહાસનું સાયુજ્ય રચાઈ શકે છે.]

અમીના કાછલિયાએ સીમસ હીની પાસેથી આત્મકથાના પુસ્તકનું નામ ઉછીનું લઈ, આપણી સામે આસ્થા ને ઇતિહાસનાં વિવિધ પાસાં ચિતરી આપ્યાં છે.

ઇબ્રાહિમ આસ્વાત ને ફાતીમા આસ્વાતનું એ નવમું સંતાન. અમીનાબહેનનો જન્મ 28 જૂન 1930ના રોજ ટૃાન્સવાલ પ્રાન્તમાં થયો હતો. ગાંધીભાઈની આગેવાનીમાં રંગભેદ સામે બાપે ટક્કર લીધેલી. ખૂબ સહી લીધેલું. ‘ટૃાન્સવાલ ઇન્ડિયન કૉંગ્રેસ’માં ઇબ્રાહિમભાઈ એક દા અધ્યક્ષપદે ય હતા. બસ તેવા જ કોઈ ચીલે મહિલાઓના અધિકાર સારુ, રાજકીય આઝાદી માટેના સંગ્રામમાં દીકરી અમીના કાછલિયા ખૂંપી ગયેલાં.

અમીનાબહેને બચપણથી પોતાના ભારે નોંધપાત્ર જીવનને અહીં દર્શાવ્યું છે. 09 અૉગસ્ટ 1956 દરમિયાન પ્રિટોરિયા ખાતે આવેલા યુનિયન બિલ્ડીંગ સામે યોજાયેલી મહિલાઓની જંગી કૂચમાં અમીનાબહેન સામેલ હતાં. ભારે સગર્ભાવસ્થા છતાં વીસ હજાર ઉપરાંતની એ કૂચમાં એ ય એક મહિલારૂપે સક્રિય રહ્યાં. સન 1963માં વળી એમને 15 વરસનો પ્રતિબંધ વેઠવો પડ્યો હતો. એમના પતિ યુસૂફભાઈને તો 27 વરસનો પ્રતિબંધ આવી પડેલો. દંપતીએ આ સમયગાળામાં કઈ રીતે સંસાર ચલાવ્યો હશે ? કઈ રીતે બાળકોનો ઉછેર કર્યો હશે ? આની વિગતે વાત આ ચોપડીમાં છે.

અમીના બહેનને નેલસન મન્ડેલા સાથે નજીકનો તથા ઘનિષ્ટ સંબંધ હતો. નેલસન મન્ડેલા અને યુસૂફ કાછલિયા મિત્રો અને વળી આઝાદીની લડતના અગ્રિમ લડવૈયા ય ખરા. મન્ડેલા 1990માં લાંબો કારાવસ વેઠીને બહાર આવે છે. આઝાદ દક્ષિણ આફ્રિકાના પહેલા રાષ્ટૃપતિ બને છે તે વેળા આ દંપતી સાથે અને તેમાં ય ખાસ કરીને યુસૂફભાઈના દેહાંત પછી અમીનાબહેન જોડે રસબસતો નિજી સંબંધ વહે છે તેની રોચક વાતો ય વાચકને અહીં જડે છે.

મોહનદાસ ગાંધીએ, 1915માં, દક્ષિણ આફ્રિકાથી વિદાય લીધી, તે પછીના આગેવાનોની બીજીત્રીજી પેઢીના મૂળ ગુજરાતી આગેવાનોએ – ‘અૅ ફોરચ્યુનેટ મૅન’ નામથી ઈસ્માઈલ મીરે તેમ જ ‘મેમૉયર્સ’ નામથી અહમદ કથરાડાએ – પણ આત્મકથાઓ આપી છે. અને તેની જોડાજોડ મણિલાલ ગાંધી વિશે એમની દોહિત્રી, ઊમા ધૂપેલિયા-મિસ્ત્રીએ લખી ‘ગાંધીઝ પ્રિઝનર ?’ નામક જીવનકથા પણ જોવી જોઈએ. અમીના કાછલિયાની આત્મકથાની સાથેસાથે, આ દરેકમાં દક્ષિણ આફ્રિકાની આઝાદીની લડતની લંબાણભરી વિગતો મળે છે. હિન્દવી નસ્સલનાં પણ મૂળ ગુજરાતી થોકબંધી નામો આ લડતમાં સક્રિય હતાં અને તે દરેકની દાસ્તાઁ એક ગુજરાતી તરીકે ગૌરવ બંધાવી આપે છે. આ અને આવી બીજી ચોપડીઓનો સંશોધક અભ્યાસ થવો જોઇએ. આ બધું ગુજરાતી ડાયસ્પોરાનું પોરસ ચડાવતું જરજવાહિર છે.

ખેર, આસ્વાત પરિવારને ટૃાન્સવાલથી જ્હોનિસબર્ગ સ્થળાંતર કરવાનું થયું. અહીં હિન્દવી જમાત માટેની નિશાળમાં અમીનાબહેનને દાખલ થવાનો વારો આવ્યો ત્યારે જ એમને રંગભેદ શી બલા છે તેનો અનુભવ થવા લાગ્યો. આ નિશાળના એક શિક્ષક, મેરવી થંડરાયની અસર હેઠળ એ ધીમેધીમે આવતાં ગયાં. થંડરાય દક્ષિણ આફ્રિકાના સામ્યવાદી પક્ષ જોડે સંકળાયેલા હતા. પોતાના વિદ્યાર્થીઓમાં દક્ષિણ આફ્રિકાની પરિસ્થિતિથી માહિતગાર બને તેની એ ખાસ કાળજી લેતા. પિતાના અવસાન બાદ, આ શિક્ષક સ્વાભાવિકપણે અમીનાબહેનનાં વિશ્વાસુ માર્ગદર્શક બની રહેલા. તેવાકમાં, પરિસ્થિતિવસાત્‌ એમને ડરબનમાં ભણવા જવાનું થયું. અને બીજી પાસ, મુલકમાં નિ:શસ્ત્ર પ્રતિકાર આંદોલનનો આદર થયો. અને તેમાં ભાગ લેવાનો અમીનાબહેને નિર્ધાર કર્યો. એ નાની વયનાં હતાં અને એથી એમને ભાગ લેવા દેવાયાં નહીં. પરંતુ આ આંદોલન ચાલ્યું ત્યાં લગી એ ડરબનથી ખસી શક્યાં નહીં. છેક 1947માં ડરબનથી એ જ્હોનિસબર્ગ પરત થઈ શક્યાં હતાં. પણ હવે એમણે ઔપચારિક શિક્ષણ લેવાનું માંડી વાળ્યું અને ‘શૉર્ટહેન્ડ’ અને ‘ટાયપિંગ’ શીખવાનું ચાલુ કર્યું. એમને નોકરી તો મળી, અને બીજી પાસ, એ પણ રાજકીય રીતે સજ્જધજ્જ બની જાહેર જીવનમાં કાર્યશીલ બની ગયાં. ટૃાનસવાલ ઇન્ડિયન યૂથ કૉંગ્રેસમાં જોડાયાં, અને બીજી પાસ મુલકની પરિસ્થિતિનો સામનો કરવા સામ્યવાદી પક્ષમાં ય સક્રિય બની ગયાં.

ઘર ઘર પત્રિકા, સંદેશા વહેંચવાનું કામ મુખ્ય રહેતું. તેમાં અમીનાબહેનને ‘આફ્રિકન નેશનલ કૉંગ્રેસ’નો ય સંપર્ક થયો. આ સક્રિયતા વેળા, વળી, આપણે અગાઉ જોયું તેમ, એમનો યુસૂફ કાછલિયા જોડે ય પરિચય થયો. જે પાછળથી પરિણયમાં પરિણમ્યો. અહમદ કથરાડાને ય અમીનાબહેનને પરણવાની લાલસા રહેલી, પરંતુ તે બર ન આવતાં કથરાડાને નિજી સંબંધમાં ખટાશ સતત વર્તાયા કરી છે. અમીનાબહેનની આ આત્મકથામાં તેની છાંટ વર્તાય જ છે. જ્યારે, કથરાડાએ પોતાનાં સ્મરણોની ચોપડીમાં તેનો ઉલ્લેખ જ ટાળ્યો છે અને બને ત્યાં સુધી અમીના ને યુસૂફ કાછલિયાનાં નામઉલ્લેખ ટળાયેલાં જોવાં પામીએ છીએ!

છઠ્ઠા પ્રકરણમાં, ‘ધીસ ઇઝ ધ વુમન આઈ વૉન્ટેડ ટુ મેરી’ નામનું પેટા-પ્રકરણ છે. તેમાંથી આટલું ઉદ્ધૃત:

During one of the breaks at the conference, we were on our way to the Ladies when we virtually bumped into Nelson and Oliver returning from the Gents. Nelson put his arm around me and, addressing Oliver said : ‘Oliver, this is the woman I wanted to marry.’

I raised my hand to remonstrate with Nelson at the same time as I heard a voice saying: ‘Oh! I didn’t know about that!’ It was Ahmed Kathrada, who always seemed to be within earshot and had taken exception to Nelson’s declaration. I turned to Kathy and said to him sweetly: ‘There are many things that you know nothing about.’ And I then proceeded to the loo.

[પરિષદ વખતે એક વિશ્રાન્તિમાં અમે મહિલાઓ માટેનાં પાયખાના ભણી જઈ રહ્યાં હતાં, ત્યારે પુરુષો માટેના શૌચાલયથી નેલસન (મન્ડેલા) અને ઓલિવર (ટામ્બો) આવતા સામે ભૂટકાયા. નેલસને મારા પર પોતાના હાથ પ્રસારી ઓલિવર ભણી જોઈ કહ્યું, ‘અોલિવર, આ બાનુને હું પરણવા ચાહતો હતો.’

નેલસન સામે વિરોધ દર્શાવવા મેં મારો હાથ ઊંચો કર્યો તે જ વખતે એક અવાજ સંભળાયો, ‘અરે ! તેની તો મને ખબર જ નહોતી !’ તે અવાજ અહમદ કથરાડાનો હતો. સાંભળી શકાય તેટલે છેટે તે હતા, અને લાગતું હતું કે નેલસનના એકરાર સામે તેને હરકત હોય. હું કેથી (કથરાડાનું હૂલામણું નામ) તરફ વળી, અને બહુ જ હળવાશે તેને કહ્યું : ‘એવી ઘણી બધી વસ્તુ છે તેનાથી તમે માહિતગાર જ નથી.’  બસ આટલું કહીને શૌચાલય ભણી હું ફંટાઈ ગઈ. ] 

દરમિયાન, અમીનાબહેન ‘આફ્રિકન નેશનલ કૉંગ્રસ’માં જોડાઈ ગયાં અને સક્રિયતાથી આહ્વાન આંદોલનોમાં, પ્રચારપ્રસારનાં કામોમાં રત રહેવા લાગ્યાં; સભ્ય-નોંધણી પણ કરતાં રહ્યાં. મહિલાઓની આવી એક રેલી અૉગસ્ટ 1952માં નીકળેલી. તેમાં 29 મહિલાઓ જ સામેલ હતી. અગિયાર જેટલી તો હિન્દવી નસ્સલની બહેનો સામેલ થયેલી. આ દરેકની ધરપકડ થઈ, સજા થઈ અને અમીનાબહેનને ય જેલવાસ કરવો પડ્યો. આ સૌમાં એ સૌથી નાનાં તો હતાં જ, પણ સાથેસાથે હૃદયની નબળાઈને કારણે એમને ખૂબ વેઠવાનું થયું. જો કે બાકીની બહેનોએ એમની કાળજીસંભાળ લીધેલી. મહિલાઓનાં મંડળ રચાતાં ગયાં, મહાસંઘ પણ રચાયો. તે દરેકમાં અમીનાબહેન અગ્રેસર હતાં. અનેક પ્રકારના દેખાવો યોજાયેલા, રેલીઓ બહાર પડેલી અને તે દરેકમાં એ સક્રિયપણે સામેલ. સન 1956ના અરસામાં પોલીસે આ સૌની ધરપકડ કરી અને એમના પર રાજદ્રોહનો આરોપ ઘડી કાઢેલો. અદાલતમાં કામ ચાલ્યું. આ વેળા પણ અમીનાબહેનનાં મોટાં બહેન ઝૈનબ અસ્વાત સહાયક જ નહોતાં, સક્રિય પણ હતાં. આવી એક સજામાં અમીનાબહેન અને એમના પતિ યુસૂફ કાછલિયાને પોતાના મકાનમાં જ સ્થાનબદ્ધ – નજરકેદી – કરાયાં હતાં અને પાછાં એ બન્ને એક બીજાંને હળેમળે નહીં તેવી ય સજા તેમાં ઉમેરાઈ હતી! આમ એમણે બધું મળીને આવી સજા 15 વરસ ભોગવવી પડેલી.

નેલસન મન્ડેલા, અમીના કાછલિયા, યુસૂફ કાછલિયા અને બન્ને સંતાનો – કોકો ને ગાલિબ 

દક્ષિણ આફ્રિકાને આઝાદી મળી. નેલસન મન્ડેલા પહેલા રાષ્ટૃપ્રમુખ બન્યા. સંસદની સાર્વત્રિક ચૂંટણીઓ સન 1994માં આવી. અને તેમાં અમીના કાછલિયા જરૂર ચૂંટાઈ આવ્યાં. એમને દેશના એક રાજદૂત પણ બનવાનું આમંત્રણ આવી મળ્યું, જે એમણે આદરપૂર્વક પાછું ઠેલેલું. યુનિવર્સિટી વીટવૉટર્સરેન્ડે એમને માનદ્દ ડીલિટની ડિગ્રીથી નવાજ્યાં, અને સરકારે એમને ‘અૉર્ડર અૉવ્ લુથૂલી’ ચંદ્રકથી નવાજેશ કરી. િત્રયાસી વર્ષની પાકટ વયે એમનું અવસાન 2013ની 31 જાન્યુઆરીએ જ્હૉનિસબર્ગમાં થયું.

ચારસો ચોત્રીસ પાનમાં પથરાઈ આ આત્મકથાને સાત વિભાગમાં વહેંચી દેવાઈ છે. દરેક વિભાગને વળી નાનાંમોટાં અનેક પ્રકરણો ય છે. સાહિત્યનું નૉબેલ પારિતોષિક મેળવનાર દક્ષિણ આફ્રિકાનાં જગમશહૂર સાહિત્યકાર નદીન ગોર્ડિમરે [20.11.1923 – 13.07.2014] આત્મકથાને પોરસાવતું આવકાર આપતું પ્રાસ્તાવિક લખાણ કર્યું છે, તે આરંભે અપાયું છે. વળી, વચ્ચે વચ્ચે છબિઓ મૂકીને પુસ્તકને વિશેષ સમૃદ્ધ અને રોચક બનાવાયું છે.

આત્મકથાના ઉપોદ્દઘાતમાં લેખિકા લખે છે :

કેટલાંક વરસો પૂર્વે, જેલમાંથી છૂટ્યા પછી, નેલસન મન્ડેલા એક વાર ભોજન લેવા ઘેર આવ્યા હતા. એમની આ મુલાકાત સમયે મેં એમને વાકેફ કરેલા કે હું એક પુસ્તક લખવાનું ગંભીરપણે વિચારી રહી છું.

‘તું શું લખવાની છે?’ એમણે પૂછ્યું.

મેં જવાબ વાળ્યો : ‘મારું જીવન … તમે પ્રાસ્તાવિક લખાણ આપશો ને ?’

‘એક શરતે’, એમણે કહ્યું. ‘તું મને બહાર રાખજે.’

હું હસી અને એમની ટીખળ કરતાં કહ્યું : ‘તમને શેનો ડર છે ? તમને ડર લાગતો હોય તો તમારું આ પ્રાસ્તાવિક લખાણ આપવાનું જ ટાળજો.’

એમણે રમૂજમાં કહ્યું, ‘મારાં પુસ્તકમાં મેં તારો ઉલ્લેખ કર્યો જ નથી.’

‘શાથી ? તમે તેનો આગોતરો વિચાર કરેલો કે ?’

એમણે જવાબ આપ્યો : ‘હું ઇચ્છતો હતો કે તેમ કરું, પણ ન કર્યું. વારુ, હું ચોક્કસપણે તારા માટે લખાણ કરીશ. પરંતુ તું મને બાકાત રાખજે.’

અને પછી મને સમજાતું ગયું, ગયા સમયની કેટલીક ઘટનાઓ ઉપાડી આંચકીને લખાણ કરવાને બદલે તેથી ફંટાઈ જઈ મારે ગંભીરપણે કામ પાર પાડવું રહ્યું. મારાં પૌત્રપૌત્રીઓ, દોહિત્રદોહિત્રોને માટે તેમ જ એમનાં સંતાનો માટે કંઈક લખવું રહ્યું કે જેથી પોતાનાં મૂળ વિશેની પહેચાન એમને થાય. તદુપરાંત મારા આ અપ્રતિમ જીવનપ્રવાસની ગાથા રજૂ કરવા સારુ મારે મારી યાદદાસ્ત યારી આપે તેટલે લગી પાછા વળવું જ રહ્યું. 

આત્મકથાનો આરંભ થાય તે પહેલાં લેખિકાએ એક ભાતીગળ પ્રકરણ આપ્યું છે – ‘અૉરાનિયા, અૉગસ્ટ 1995’. દક્ષિણ આફ્રિકાને સ્વતંત્રતા મળી છે. નેલસન મન્ડેલા રાષ્ટૃપતિ નીમાયા છે. અને ખેલીદિલી સાથે એમણે રંગભેદ ને જાતિભેદના એક મહત્ત્વના સ્થંભ, હેન્ડરિક એફ. ફરવર્ડ[Hendrik F. Verwoerd]નાં વિધવા બેત્સી ફરવર્ડની શુભેચ્છા મુલાકાત જવાનું નક્કી કરેલું. ડૉ. ફરવર્ડ દક્ષિણ આફ્રિકાના એક વેળાના જાણીતા મનોવિજ્ઞાની અને તત્ત્વવેતા અધ્યાપક હતા. એમની 1966માં હત્યા કરવામાં આવેલી ત્યાં સુધી તે દેશના વડા પ્રધાનપદે ય હતા.

મન્ડેલાએ અમીના કાછલિયાને એમની જોડે અૉરાનિયા જવાનું આમંત્રણ આપેલું. કેટલીક દ્વિધા, કેટલાક ખૂલાસા પછી અમીનાબહેન પ્રવાસમાં તો જોડાયાં, પણ તે આખી ઘટનાનો બહુ જ સરસ આલેખ એમણે અહીં કર્યો છે. ‘આફ્રિકન નેશનલ કૉંગ્રેસ’ના એક આદિ ઘડવૈયા અને િપતાસમ આગેવાન આલ્બર્ટ લુથૂલીનાં વિધવા વેરોનિકાની પણ વચ્ચે શુભેચ્છા મુલાકાતે જઈ આવવાનું ગોઠવાયું હતું. અને ત્યાંથી એમની સંગાથે મન્ડેલાના સાથીદાર તથા મુઠ્ઠી ઊંચેરા આગેવાન વૉ લ્ટર સિસુલુનાં પત્ની ને જાણીતાં સ્વાતંત્ર્યસૈનિક આલ્બર્ટિના સિસુલુ ય જોડાયાં છે. અમીનાબહેનના મનમાં જે કંઈ ઊચાટ હતો, તે બહુ સારી રીતે એમણે આ આદર-પ્રકરણમાં છતો કર્યો છે. અમીનાબહેનના શબ્દોમાં :

પાછા ફરતી વેળા વિમાનમાં મેં રાહતનો દમ ખેંચ્યો અને ઇન્જિનના ઘરરાટ વચ્ચે મદીબાને ધીમથી મેં કહ્યું, ‘અહીં, હવે પછી, મને ક્યારે ય લાવશો નહીં.’ એમણે એમનું મસ્તક પાછું ફેંક્યું અને હસી પડ્યા.

નેલસન મન્ડેલા સાથેના નિજી તેમ જ નજીકનો સંબંધ અમીના કાછલિયાને હતો. મન્ડેલા જેલમાંથી 1990 દરમિયાન છૂટ્યા, ત્યારથી કાછલિયા દંપતી સાથે ખૂબ તીવ્ર સંબંધ રહ્યો. આ સંબંધના અનેકવિધ પાસાંઓની સમજ વાચકને આત્મકથામાં સતત થયા કરે છે. અમીનાબહેનના અસામાન્ય જીવનપ્રવાસમાં આ ઘટનાઓએ ધારદાર અસર પેદા કરી છે, તેનો ય અહેસાસસ મળ્યા કરે છે. જેલમાંથી છૂટ્યા પછી, નેલસન મન્ડેલા દેખીતા અનેકવિધ કારણોવસાત્‌ વિની મન્ડેલાથી દૂરને દૂર થતાં ગયાં છે. લગ્નવિચ્છેદ પણ થાય છે. બીજી પાસ, નેલસન મન્ડેલાની આવનજાવન કાછલિયા દંપતીના ઘેર સ્વાભાવિક પહેલાંની જેમ જ રહ્યાં કરી છે. યુસૂફ કાછલિયાના અવસાનનાં દુ:ખ અને આઘાત જેમ અમીના કાછલિયાને છે તેમ નેલસન મન્ડેલાને ય પારાવાર છે. વિયોગના એક તબક્કે તો મન્ડેલા બાકીસાકી જીવન સંગાથે ગાળવાની પોતાની મહદેચ્છા પણ અમીનાબહેન સામે પેશ કરે છે. પરંતુ અમીનાબહેને તેનો સ્વીકાર કર્યો નથી.

આત્મકથાના છેલ્લા પ્રકરણમાં અમીનાબહેને દિલને વહેતું મૂક્યું છે અને યુસૂફભાઈ તથા નેલસન મન્ડેલા માટેના એમના છલકાતા ભાવવિશ્વને છતું થવા દીધું છે. લેખિકા લખે છે :

ભૂતકાળની યાદો મારામાં ઘોડાપૂર આવી ચડે છે, ક્યારેક વિશેષ સ્વરૂપે. યુસૂફનું સ્મરણ ખાસ સ્પંદનો જગાવી જાય છે. કટોકટી કાળમાં એમનું જે ડહાપણભર્યું માર્ગદર્શન રહેતું તે સતત સાંભરી આવે છે. ‘બિઝનેસ ડે’ સાથેની એમની છેલ્લી મુલાકાતમાં એમણે જે કહેલું તે ખાસ સંભારું છું. આ મુલાકાતના થોડા સમય પછી તો યુસૂફે વિદાય લીધેલી. સંપૂર્ણ સત્તા તથા લાલસાથી વેગળા રહેવાની એમણે દક્ષિણ આફ્રિકાને સલાહ આપેલી. ‘લપસણા ઢાળેથી નીચે સરકી પડવાનું બહુ જ આસાન છે,’ તેમ એમણે ઠોસપૂર્વક કહેલું.

Looking back over the decades, I feel I am so blessed to have had men like Yusuf and Nelson to my life through the years, loving, guiding and inspiring me. Yusuf has gone but his wise and loving nature remains with me. Nelson is only a phone call away and I pray will remain so for a long time still.

[આ દશકાઓ ભણી નજર માંડું છું, ત્યારે મને થાય છે કે હું કેટલી ખુશનશીબ રહી કે મારાં જીવનનાં આ વરસો દરમિયાન યુસૂફ અને નેલસન સરીખા પુરુષો મને મળ્યા. એમણે મને ચાહી, મને માર્ગદર્શન આપ્યું અને મારામાં સતત જોમ પૂર્યું. યુસૂફ તો ગયા, પરંતુ એમની ડાહી વાતો અને હેતાળ સ્વભાવ તો મારી સાથે સતત જળવાયાં છે. અને બીજી તરફ નેલસન પણ માંડ ટેલિફોન-વા દૂર છે. લાંબા અરસા લગી આ બધું એમ જ અકબંધ વહેતું રહે તેમ આસ્થા સેવું.]

આ પુસ્તક તૈયાર કરવામાં જેનો મહદ્દ ફાળો છે, તે હેડવિગ બેરીએ નોંધ્યું છે, આ આત્મકથાને કઈ રીતે આટોપી લેવાશે તે વિશે અમીના અને હું વારંવાર વાતચીત કરી લેતાં. ગાંધી તથા ‘ઇન્ડિયન કૉંગ્રેસ’ના નિ:શસ્ત્ર પ્રતિકાર આંદોલન અંગેની એમની વાતો મને ભારે દિલચશ્પ લાગતી. અમે જ્યારે આ કામ હાથમાં લીધેલું, તે દિવસોમાં, સમાચારોમાં ચોમેર આરબ વસંતની હવા વહેતી હતી. ત્યારે હું સતત વિચારતો રહેતો કે સાતસાત દાયકા પહેલાં યુવાન કર્મશીલને માટે આ પ્રકારનું આંદોલન કેવાંકેવાં જોમ અને જોશ પૂરતાં રહ્યાં હશે.

અમીનાબહેન ‘અૉરાનિયા, અૉગસ્ટ 1995’ નામક આરંભના પ્રકરણમાં અંતે લખે જ છે :

When I got home I reflected on the events of the past 24 hours and I cast my mind even further back. I thought about the momentous years that had passed when I had been part of the struggle. I also remember the time Nelson and I had spent together with Yusuf who was the most important person in my life. But now the personal historical and political times had changed. Or had they?

I asked myself how I, the young activist of years gone by, fitted into the present scene of pomp and splendor.  I realised that I had to reconcile myself with the  present as this was a new era that was so different from that experienced by my family who had battled tirelessly to improve their lives and overcome the indignity of Apartheid.

[ઘરે પહોંચી અને છેલ્લા ચોવીસ કલાકમાં જે કંઈ વીત્યું, જોયું, અનુભવ્યું તે પર વિચાર કરતી રહી અને હું પાછોતરા દિવસોમાં જઈ ચડી. એ તે કેવા કેવા દિવસો હતા, જ્યારે એ મહાકાય આંદોલનમાં હું પણ સામેલ રહી. મારી જિંદગીમાં યુસૂફનું અતિ અગત્યનું સ્થાન રહ્યું છે. યુસૂફ હયાત હતા ત્યારે નેલસન સાથે વિતાવેલી પળો સંભારતી રહી. પરંતુ આજે તો વ્યક્તિગત તેમ જ રાજકીય ફેરફારો આવી ચુક્યા છે. ખરેખાત આવ્યા છે કે ?

પાછલાં વરસો વેળાનાં એક યુવાન કર્મશીલ તરીકે હું મારી જાતને સવાલું છું, આજના આ દેખાડા ને ભપકામાં મને કેમ ગોઠી શકે છે. ખેર ! અયોગ્ય અપાર્ટહીડનો સામનો કરવામાં મારાં પરિવારજનોએ ભારેખમ ભોગ દીધો છે અને તે સઘળાં અનુભવોની પેલી પાર જઈ આજે મારે ગોઠવાઈ જવાનું છે, તે સમજાતું રહ્યું છે.]

સંકલિત અનુભવોની ચોપાસ અસ્તવ્યસ્ત વિચારો આવ્યા કરે છે, અને વળી, સમજાય છે કે અમીના કાછલિયાએ પોતાની પરસ્પર વિરોધી અનેક લાગણીઓને અહીં સંક્ષેપાવતારમાં વહેતી મૂકી છે. ઉત્તર અપાર્ટહીડ વાતાવરણના સમયગાળામાં, લોકશાહીના જૂના જોગીને જે નૈતિક લેખાજોખાં કરવાનાં થાય છે, તેની ઝાંખી પણ આ લખાણમાં જોવા સાંપડે છે.

[2,569 શબ્દો]

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

હૅરો, 15/17 જાન્યુઆરી 2017

સૌજન્ય : 'અવલોકન-વિશ્વ' અંક, "પ્રત્યક્ષ", 2017

Loading

મહાત્મા ગાંધી અને સિનેમા

નિલય ભાવસાર|Gandhiana|29 June 2017

ઘણી જગ્યાએ એવું વાંચવામાં આવ્યું છે કે ગાંધીજીએ તેમનાં જીવનમાં એક પણ ફિલ્મ જોઈ નહોતી અને તેમને સિનેમા સાથે કોઈ સંબંધ નહોતો. પણ, મહાત્મા ગાંધીએ તેમના જીવનમાં કુલ બે ફિલ્મ જોઈ હતી અને તે સાથે સિનેમા વિશેનો તેમનો અભિપ્રાય શું છે તેમ જ મહાત્મા ગાંધીની સિનેમા સાથે સંકળાયેલી ઘટનાની માહિતી અહીં પ્રસ્તુત છે. અહીં પ્રસ્તુત માહિતીનો ઘટનાક્રમ તેની તારીખ અને વર્ષ પ્રમાણે ગોઠવવામાં આવ્યો છે.

તારીખ ૨૫ નવેમ્બર, ૧૯૨૬ના રોજ ‘યંગ ઇન્ડિયા’ના એક લેખમાં મહાત્મા ગાંધી નોંધે છે કે આજે મારા એક જર્મન મિત્રએ મને જણાવ્યું કે એક જર્મન પત્રમાં મારા પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે હું ફિલ્મ કંપનીને પ્રોત્સાહન આપી રહ્યો છું. પરંતુ, એ જર્મન પત્રના નિર્દોષ લેખકને એ વાતનો ખ્યાલ નથી કે હું ક્યારે ય પણ સિનેમામાં ગયો નથી અને તે માટે ક્યારે ય પ્રોત્સાહન પણ આપ્યું નથી. અને જો કેટલાંક મિત્રો સિનેમામાં જવા માટે મને આગ્રહ કરશે તો પણ હું ઈશ્વરે આપેલ આ મૂલ્યવાન સમય તે માટે ખર્ચ કરીશ નહિ. કેટલાંક મિત્રો કહે છે કે સિનેમામાં શિક્ષણાત્મક મૂલ્યો રહેલાં છે અને તે વાત કદાચ શક્ય હોઈ શકે પણ મને કાયમી એવું લાગી રહ્યું છે કે તેની ભ્રષ્ટ અસર પરાણે મારા પર વર્તાઈ રહી છે. માટે, હું શિક્ષણાત્મક મૂલ્યો અન્ય જગ્યાએ શોધી રહ્યો છું. આગળ જતાં, તારીખ ૨૪ માર્ચ, ૧૯૨૭ના રોજ ‘યંગ ઇન્ડિયા’ના જ અન્ય એક લેખમાં ગાંધીજી નોંધે છે કે તમારે સિનેમા અને થિયેટરમાં જવાનું ટાળવું જોઈએ. મનોરંજન એ એક એવી વસ્તુ છે કે જેનાથી તમે દૂર રહી શકતા નથી પણ તેમાથી આનંદ મેળવી શકો છો. આ માટે તમારે ભજન મંડળીઓમાં હાજરી આપવી જોઈએ કે જ્યાં તમે શબ્દો અને સંગીત થકી તમારા આત્માનો ઉદ્ધાર કરી શકશો. તારીખ ૧૦ માર્ચ, ૧૯૨૯ના રોજ રંગૂનમાં મજૂરોને સંબોધતા ગાંધીજી કહે છે કે આ સિનેમા, નાટક, ઘોડદોડ, દારૂ અને અફીણના અડ્ડાઓ એ તમામ સમાજના દુ:શ્મનો છે અને તેનાથી વર્તમાન તંત્રમાં આપણામાં એક પ્રકારનો ભય ઊભો થાય છે.

તારીખ ૩૦ એપ્રિલ ૧૯૩૧ના રોજ બોરસદ તાલુકા ખાતે અમેરિકન એસોસિયેટેડ પ્રેસના પ્રતિનિધિ જેમ્સ એ મિલ્સે ગાંધીજીની મુલાકાત લીધી હતી અને એ વખતે ન્યૂયોર્કના ફોક્સ મૂવીટોન ન્યૂઝ તરફથી ફિલ્મ પણ ઉતારવામાં આવી હતી. અને તેના આગામી મહિનામાં તારીખ ૫ મે, ૧૯૩૧ના રોજ બોરસદ તાલુકા ખાતે મહાત્મા ગાંધીએ એક હિન્દી (ઈમ્પિરિયલ) ટોકી ફિલ્મ કંપનીને ખાદી વિશે હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષામાં સંદેશો આપ્યો હતો. તારીખ ૨૨ સપ્ટેમ્બર ૧૯૩૧ને મંગળવારના રોજ લંડનમાં મહાત્મા ગાંધીની ચાર્લી ચેપ્લિનની સાથે મુલાકાત થઇ હતી. અને તે મુલાકાતનું સ્થળ હતું ડૉ. કાતિયાલનું ઘર. આ અંગે મહાત્મા ગાંધીને જણાવવામાં આવ્યું હતું કે ચાર્લી ચેપ્લિન તેઓને મળવા માટે આતુર છે. આ પહેલાં ગાંધીજીએ ક્યારે ય પણ મહાન કોમેડિયન ચાર્લી ચેપ્લિન વિશે કશું જ સાંભળ્યું નહોતું અને તેમનો વર્લ્ડ સિનેમા સાથે ખાસ કોઈ પરિચય પણ નહોતો. ગાંધીજીને કહેવામાં આવ્યું હતું કે ચાર્લી ચેપ્લિન એ ગરીબોના મિત્રો છે અને લોકોને હસાવવાનું કાર્ય કરે છે. આ મુલાકાત અગાઉ ચાર્લી ચેપ્લિનને ગાંધીજી વિશેની જાણકારી હતી અને ચેપ્લિને ગાંધીજી અને તેમનાં ચરખા વિશે સાંભળ્યું હતું. લંડનની આ મુલાકાતમાં ચેપ્લિને ગાંધીજીને સૌપ્રથમ એ પ્રશ્ન પૂછ્યો હતો કે તમે કેમ યંત્રનો વિરોધ કરો છો? આ પ્રશ્નના જવાબમાં ગાંધીજીએ ધીરજપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં ખેડૂત છ મહિના ખેતી કરે છે અને છ મહિના નિષ્ક્રિય રહે છે. ચરખો એ ખેડૂતને રોજગારી પૂરી પાડે છે અને ચરખા થકી ખેડૂત પોતાની જરૂરિયાત પ્રમાણે વસ્ત્રોનું ઉત્પાદન કરી શકે છે. દરેક લોકોએ પોતાની જરૂરિયાત પ્રમાણે અન્ન અને વસ્ત્રોનું ઉત્પાદન કરવું જોઈએ.

તારીખ ૨૯ માર્ચ, ૧૯૩૪ના રોજ કસ્તૂરબાને લખેલા એક પત્રમાં ગાંધીજી નોંધે છે કે અમદાવાદમાં કેટલાંક બાળકોને માથામાં દુઃખાવો ઉપડ્યો છે, તાવ આવ્યો છે અને ઉલટી પણ થઇ છે અને સાથે બાળકોએ પોતાની યાદશક્તિ પણ ગુમાવી દીધી છે. બાળકોના આ રોગનું કારણ સિનેમા હોઈ શકે છે કારણ કે બાળકો સિનેમામાં ગયા હતાં વગેરે … આગળ, તારીખ ૪ સપ્ટેમ્બર, ૧૯૩૪ના રોજ માથુરદાસ ત્રિકમજીને લખેલા એક પત્રમાં ગાંધીજી નોંધે છે કે હું આ સિનેમા અને સંગીત વિશે શું સાંભળી રહ્યો છું? શું તે લોકો કોંગ્રેસની સભાને કોઈ સર્કસમાં પરિવર્ત કરવા ઈચ્છે છે? મને સંગીત પસંદ છે પણ તેનો કોઈ ચોક્કસ સમય અને સ્થળ હોય છે. જો કોંગ્રેસની સભામાં ત્રણથી ચાર દિવસ સુધી આ પ્રકારની પ્રવૃત્તિઓ જોવા મળશે તો પછી તેની ગંભીરતા અલોપ થઇ જશે. મારા મત પ્રમાણે જ્યાં દેશની સંસદનું કાર્ય યોજાવા જઈ રહ્યું હોય ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિઓને કોઈ જ સ્થાન નથી. પણ, આપણે કોંગ્રેસને એક તમાશો બનાવી દીધો છે. તારીખ ૧૦ ઓક્ટોબર, ૧૯૩૫ના રોજ વર્ધામાં ગાંધીજીએ સ્ત્રીઓએ સિનેમા ફિલ્મમાં કામ કરવા વિશેના એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે હું કોઈ દિવસ સિનેમામાં ગયો નથી; મને આ ગમતું નથી; પણ હું તો ગામડિયો; હું શું કહી શકું? અલબત્ત કોઈપણ સુધારો સત્ય અને અહિંસા ઉપર રચાયેલો હોય તો એ મને ગમે. આગળ, તારીખ ૧૩ સપ્ટેમ્બર ૧૯૩૭ના રોજ વિલિયમ બી. બેન્ટોન નામના એક અમેરિકન પત્રકાર ગાંધીજીનો ઈન્ટરવ્યૂ લેવા માટે સેગાંવ આવ્યા હતા અને ત્યાં તે પત્રકારે ગાંધીજીને પૂછ્યું હતું કે શું તેઓએ ક્યારે ય કોઈ અમેરિકન ફિલ્મ જોઈ છે અથવા અમેરિકન જાઝ સંગીત સાંભળ્યું છે? આ પ્રશ્નના જવાબમાં ગાંધીજીએ જણાવ્યું હતું કે ના, ક્યારે ય નહિ. આ તમારા માટે એક સારી સ્ટોરી છે પણ હું ક્યારે ય સિનેમામાં ગયો નથી.

તારીખ ૨૧ મે, ૧૯૪૪ને રવિવારના રોજ ગાંધીજીએ મુંબઈમાં પોતાના નિવાસસ્થાને Mission to Moscow નામની ફિલ્મ જોઈ હતી. અને તેના આગામી મહિને તારીખ ૨ જૂન, ૧૯૪૪ને શુક્રવારના રોજ ગાંધીજીએ ફરી વખત મુંબઈમાં જ પોતાના નિવાસસ્થાને ‘રામરાજ્ય’ નામની ફિલ્મ જોઈ હતી.

તારીખ ૨૭ મે, ૧૯૪૭ના રોજ ભંગી નિવાસ, વાલ્મીકિ મંદિર, નવી દિલ્હી ખાતે મહાત્મા ગાંધી સિનેમા વિશે જણાવે છે કે મશીનરીથી જલદી કામ પતી જાય છે, તેમાં દરેક રીતે નુકસાન છે. શરીરનું, પૈસાનું અને નવરાશ મળી જાય છે એટલે ‘નવરા બેઠા નખ્ખોદ વાળે’ એ કહેવત પ્રમાણે પછી લડવાનું જ સૂઝે છે. અથવા તો સિનેમાનાટક જોવામાં સમય ખર્ચે. મને ઘણાં ખૂબ સમજાવે છે કે, સિનેમા જોવાથી ઘણો બોધ મળે છે. પણ મને તો એ વાત ગળે ઉતરતી જ નથી. એક તો એ બંધિયારમાં બેસવાથી શ્વાસોચ્છવાસ રૂંધાય છે. હું તો બહુ નાનો હતો ત્યારે આવા થિયેટરમાં ગયો હતો. મારું ચાલે તો હિંદુસ્તાનભરમાંથી સિનેમા થિયેટરની જગ્યાએ કાંતણ થિયેટર ઊભા કરું. જુદી જુદી હાથકળાની સામગ્રીઓ થિયેટરમાં બનાવું. / સિનેમા થિયેટર તદ્દન બંધ જ કરાવું. અથવા કદાચ એટલી છૂટ મૂકું કે, કેળવણી કે કુદરતી દ્રશ્યો બતાવાય તેવાં જ ચિત્રો બતાવું. પણ નાચગાન તદ્દન બંધ કરાવું. આગળ, તારીખ ૨૭ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ પ્રાર્થના સભામાં ગાંધીજી જણાવે છે કે તમારે અહીં સિનેમાની શું જરૂરિયાત છે? સિનેમાની જગ્યાએ તમે ઘણાં નાટકો ભજવી શકો છો કે જેના વિશે આપણને ખ્યાલ છે. સિનેમા માધ્યમમાં માત્ર તમારા પૈસાનો વ્યય થશે અને તેમાં આગળ તમે જુગાર રમવાનું શીખશો તેમ જ અન્ય ખરાબ આદતોમાં સપડાશો. સિનેમાને કોઈ સ્થાન હોવું જોઈએ નહિ.

Email: nbhavsarsafri@gmail.com

Loading

...102030...3,3863,3873,3883,389...3,4003,4103,420...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved