યુપીએ સરકારની લોનમાફીનાં પૂરાં દસ વર્ષ પણ નથી થયાં, ત્યાં ફરી એક વાર લોનમાફીની મોસમ આવી પડી છે
મધ્ય પ્રદેશમાં હિંસક બનેલું ખેડૂત આંદોલન શમી ગયું, પણ તેણે સર્જેલાં વમળોની અસર ઓસરી નથી. ખેડૂતોની કઠણ સ્થિતિ અને તેમની ખરાબ અવસ્થા એટલાં વાસ્તવિક છે કે વાતોનાં વડાં કરીને તેને ટાળી શકાય એમ નથી કે ગૌરવનાં ગાનથી તેને છુપાવી શકાય તેમ નથી. ત્યાર પછીનો ત્રીજો શોર્ટ કટ એટલે ખેડૂતોની લોનમાફી.
ખેડૂતોને લોનમાફીની શરૂઆત યુપીએના રાજમાં 2008માં થઈ હતી. એ વખતના નાણામંત્રીએ 2008-09ના બજેટમાં નાના અને સીમાંત ખેડૂતોની લોનમાફી પેટે રૂ. 60,000 કરોડની જોગવાઈ કરી હતી. આવાં પગલાંને ખેડૂતલક્ષી તરીકે ઓળખાવીને, સરકારને ખેડૂતોની કેટલી ચિંતા છે, એનાં ઢોલનગારાં વગાડવાનો રિવાજ છે. હકીકતમાં આવાં પોલાં (છતાં ખર્ચાળ) પગલાંને કારણે ખેડૂતોની સ્થિતિ સુધરતી નથી. કારણ કે તેમના દરદની મૂળમાંથી દવા થતી નથી.
આ વખતે લોનમાફીની શરૂઆત ઉત્તર પ્રદેશના ચૂંટણીપ્રચારથી થઈ, જેમાં અત્યારે કેન્દ્ર સરકાર તરીકે લોનમાફીનો ઇન્કાર કરી રહેલા મહાનુભાવો જ લોનમાફીના વાયદા આપીને આવ્યા હતા. તેમના પક્ષની સરકાર બન્યા પછી તેમના મુખ્યમંત્રીએ લોનમાફી અમલી બનાવી દીધી. આ પગલાથી રાજ્ય સરકાર પર પડનારો કુલ આર્થિક બોજઃ રૂ. 36,569 કરોડ. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વખતથી ઉકળતા ખેડૂત અસંતોષની ચિનગારીમાં ઉત્તર પ્રદેશના નિર્ણયે ઘી હોમ્યું.
ઉત્તર પ્રદેશની લોનમાફી જેવા ધબડકાજનક નિર્ણય વિશે કૉંગ્રેસને શું કહેવાનું હતું? પક્ષ તરીકે તેણે લાંબા ગાળાનાં અને ટકાઉ પગલાં સૂચવવાને બદલે ઉપરથી એવું કહ્યું કે ઉત્તર પ્રદેશની કુલ લોન તો રૂ. 92,241 કરોડની છે. તેમાંથી ફક્ત રૂ. 36,000 કરોડની જ લોન માફ કરી, તો બાકીની ક્યારે કરશો? ‘યુપીએ સરકાર રૂ.72,000 કરોડની લોનમાફી કરી શકતી હોય તો મોદીજી કેમ નહીં?’ એવો ટોણો પણ એક કૉંગ્રેસી પ્રવક્તાએ માર્યો. તે એટલું પણ સમજવા માગતા નથી કે આર્થિક ઊંટવૈદું અજમાવતી સરકારોને લાંબા ગાળાના કડાકુટિયા રસ્તાને બદલે, લોનમાફી જેવો સહેલો વિકલ્પ અપનાવી લે ત્યારે શું થાય છેઃ યુપીએ સરકારની લોનમાફીનાં પૂરાં દસ વર્ષ પણ નથી થયાં, ત્યાં ફરી એક વાર લોનમાફીની મોસમ આવી પડી છે. આ વખતે કેન્દ્ર સરકારે કહી દીધું છે કે તે લોનમાફીમાં નહીં પડે, પરંતુ ખેડૂત આંદોલનોથી ભીંસ અનુભવી રહેલી રાજ્ય સરકારો લોનમાફીના રસ્તે દોડવા લાગી છે.
તેમાં સૌથી વધુ દબાણ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પર આવ્યું. ત્યાં તોફાને ચઢેલા ખેડૂતોની માગણી પોતાના પાક માટે સારા ભાવની હતી. વિરોધ પ્રદર્શનની ધાંધલમાં પાંચ ખેડૂત માર્યા ગયા. સરકારે તેમની જવાબદારીનો પહેલા ઇન્કાર કર્યા પછી નાકલીટી તાણીને પાંચેયના પરિવારોને સરકારે એક-એક કરોડ રૂપિયા જાહેર કર્યા. તેમ છતાં આંદોલન શાંત ન પડ્યું, એટલે મુખ્યમંત્રીએ (સરકારી આંકડા પ્રમાણે) છ હજાર કરોડનું દેવું ધરાવતા મધ્ય પ્રદેશના છ લાખ ખેડૂતો માટે લોન સેટલમેન્ટ સ્કીમ જાહેર કરી. મુખ્યમંત્રી ભલે તેને સીધેસીધી લોનમાફી ન ગણાવતા હોય, પણ અસરકારક રીતે જોતાં તે લોનમાફી જ બની રહેશે.
મધ્ય પ્રદેશના પાડોશી મહારાષ્ટ્રનો ખેડૂત અસંતોષ જૂનો છે. વિદર્ભના ખેડૂતોની કરમકઠણાઈ વિશે વર્ષોથી છૂટુંછવાયું ચર્ચાતું આવ્યું છે. ત્યાંની સ્થિતિ મધ્ય પ્રદેશની હદે ન વણસે, એ માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ સાર્વત્રિક લોનમાફીની જાહેરાત કરી. સામાન્ય રીતે આવું પગલું નાના અને સીમાંત ખેડૂતોને લક્ષમાં રાખીને લેવામાં આવે છે, પણ ખેડૂત આંદોલનની રાજકીય અસરોથી બચવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ‘ઐતિહાસિક’ નિર્ણય લીધો અને કહ્યું કે ‘લોનમાફી ફક્ત નાના અને સીમાંત ખેડૂતો પૂરતી સીમિત નથી. એ બધા ખેડૂતો માટે છે.’ સરકારે એવો અંદાજ કાઢ્યો કે લોનમાફીનો કુલ આંકડો રૂ. 35,000 કરોડની આસપાસ થશે, પરંતુ સત્તાવાર માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં ખેડૂતોનું કુલ દેવું 1.14 લાખ કરોડ છે અને કુલ ખેડૂતો 1.36 કરોડ. એટલે સમય જતા લોનમાફીની રકમમાં વધારો થવાની પૂરેપૂરી સંભાવના છે.
ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની ભાજપી રાજ્ય સરકારોની સાથે પંજાબ અને કર્ણાટકની કૉંગ્રેસી સરકારો પણ લોનમાફીના લક્કડિયા લાડુ વહેંચવામાં જોડાઈ ગઈ છે. કારણ કે ખેડૂતોની સમસ્યા કોઈ એક પક્ષની નિષ્ફળતાનું નહીં, એકંદર શાસકવર્ગની ઉદાસીનતાભરી કે બેદરકારીયુક્ત નીતિનું પરિણામ છે. પાંચ રાજ્યોની લોનમાફી પછી બીજાં રાજ્યો પણ લાઇનમાં છે. એક અંદાજ પ્રમાણે લોનમાફીની જાહેરાતવાળાં પાંચ રાજ્યો ઉપરાંત બીજાં ત્રણ રાજ્યો – ગુજરાત (રૂ.40,650 કરોડ), હરિયાણા (રૂ.56,000 કરોડ) અને તમિલનાડુ(રૂ.7,760 કરોડ)માં લોનમાફી લાગુ પડી જાય, તો કુલ આંકડો રૂ.3.1 લાખ કરોડે પહોંચે. આવા આંકડા આમ તો આપણાં માથાંની ઉપરથી જાય, પણ અહેવાલની સાથે અપાયેલી સરખામણીથી ખ્યાલ આવે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા બનાવવા માટે ચાલુ વર્ષમાં ફાળવાયેલા બજેટ કરતાં આ રકમ સત્તર ગણી છે. આ જ રકમમાંથી (સંગ્રહ માટે) 4,43,000 વૅરહાઉસ ઊભાં કરી શકાય અથવા ભારતની સિંચાઈક્ષમતામાં છેલ્લાં સાઠ વર્ષમાં જે વધારો થયો છે તેના કરતાં 55 ટકા વધારો કરી શકાય. આવા અંદાજોની ચોકસાઈમાં ઓગણીસ-વીસ હોઈ શકે, પણ મૂળ મુદ્દો એ છે કે ખેડૂતોને કામચલાઉ રાહત આપતી લોનમાફીની તોતિંગ રકમોમાંથી ખેડૂતોને કાયમી રાહત આપતી સુવિધા ઊભી કરી શકાય.
રાજ્યકક્ષાના કૃષિમંત્રીએ રાજ્યસભામાં આપેલી માહિતી પ્રમાણે, 30 સપ્ટેમ્બર, 2016 સુધીમાં બાકી કૃષિલોનનો કુલ સરવાળો રૂ.12.60 લાખ કરોડ છે. તેમાંથી રૂ. 7.75 લાખ કરોડ પાક માટેની લોન છે અને રૂ. 4.84 લાખ કરોડ ટર્મ લોન (લાંબા ગાળાની) છે. રૂ.12.60 લાખ કરોડની બાકી લોનમાંથી રૂ. 9.57 લાખ કરોડ કૉમર્શિયલ બૅંકોની, રૂ.1.57 લાખ કરોડ સહકારી બૅંકોની અને રૂ. 1.45 લાખ કરોડ પ્રાદેશિક ગ્રામીણ બૅંકોની છે. યાદ રાખવા જેવું છે કે પાણી-વીજળી-ખાતર પર સરકારી સબસિડી (આર્થિક સહાય) મળતી હોવા છતાં, તેમાંથી અને લોનમાંથી પણ જરૂરતમંદો સુધી કેવો ને કેટલો લાભ પહોંચે છે એ શંકાસ્પદ છે. બીજો પણ એક મુદ્દો છે. એક અહેવાલ પ્રમાણે, ખેતી માટે થતી ઉધારીમાંથી 45 ટકા ઇન્ફોર્મલ સૅક્ટર એટલે કે બૅંકો સિવાયની સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસેથી આવે છે. ગામના શરાફ પાસેથી લોન લેનાર ખેડૂતને સરકારી લોનમાફીનો લાભ મળતો નથી ને તેનું દુઃખ દૂર થતું નથી. બીજી તરફ, બૅંકોની લોન મેળવનારામાં નાના અને સીમાંત ખેડૂત ઓછા, સમૃદ્ધ ખેડૂતો વધારે પ્રમાણમાં હોય છે.
એટલે જ લોનમાફી લાકડાના લાડુ જેવી છે. આપનાર આપ્યાનો સંતોષ લઈ શકે, મેળવનારને ઘડીક સારું લાગે, પણ થોડા વખતમાં ફરી પાછા ઠેરના ઠેર.
સૌજન્ય : ‘અર્થનો અનર્થ’, “દિવ્ય ભાસ્કર”, 27 જૂન 2017
![]()


વે’ન હૉપ અૅન્ડ હિસ્ટૃી રાઇમ [When Hope And History Rhyme] – આત્મકથા : અમીના કાછલિયા [Amina Cachalia] : Picador Africa, an imprint of Pan Macmillan South Africa, Private Bag X19, Northlands Johannesburg, 2116 : ISBN 978-177010-283-5 : First Edition – 2013
ઇબ્રાહિમ આસ્વાત ને ફાતીમા આસ્વાતનું એ નવમું સંતાન. અમીનાબહેનનો જન્મ 28 જૂન 1930ના રોજ ટૃાન્સવાલ પ્રાન્તમાં થયો હતો. ગાંધીભાઈની આગેવાનીમાં રંગભેદ સામે બાપે ટક્કર લીધેલી. ખૂબ સહી લીધેલું. ‘ટૃાન્સવાલ ઇન્ડિયન કૉંગ્રેસ’માં ઇબ્રાહિમભાઈ એક દા અધ્યક્ષપદે ય હતા. બસ તેવા જ કોઈ ચીલે મહિલાઓના અધિકાર સારુ, રાજકીય આઝાદી માટેના સંગ્રામમાં દીકરી અમીના કાછલિયા ખૂંપી ગયેલાં.
ઘણી જગ્યાએ એવું વાંચવામાં આવ્યું છે કે ગાંધીજીએ તેમનાં જીવનમાં એક પણ ફિલ્મ જોઈ નહોતી અને તેમને સિનેમા સાથે કોઈ સંબંધ નહોતો. પણ, મહાત્મા ગાંધીએ તેમના જીવનમાં કુલ બે ફિલ્મ જોઈ હતી અને તે સાથે સિનેમા વિશેનો તેમનો અભિપ્રાય શું છે તેમ જ મહાત્મા ગાંધીની સિનેમા સાથે સંકળાયેલી ઘટનાની માહિતી અહીં પ્રસ્તુત છે. અહીં પ્રસ્તુત માહિતીનો ઘટનાક્રમ તેની તારીખ અને વર્ષ પ્રમાણે ગોઠવવામાં આવ્યો છે.