Opinion Magazine
Number of visits: 9584250
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વતંત્રતા બાંદી ન બને એ કોણ જોશે?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|10 June 2017

નિયંત્રણ અને દમન, સરાસર ગેરઇનસાફી અને કેવળ મનમુરાદશાહી છતાં, વિચારધારા અને દેશભક્તિના થપ્પા તળેનાં હશે

એન.ડી.ટી.વી.ની સ્થાપક જોડી પ્રણય અને રાધિકાના નિવાસસ્થાને બરાબર સોમવારે જ છાપો મારીને સી.બી.આઈ.એ અઠવાડિયું ઠીક બેસાડ્યું! રાષ્ટ્રપતિપદના સંભવિત દાવેદારને માત આપવા સી.બી.આઈ.એ અયોધ્યા જગાડ્યું, તો સરકારને અણગમતા મીડિયા હાઉસને પાઠ શીખવવા છાપો માર્યો: આનું નામ તે પિંજરબધ્ધ પોપટજી, કેઇજ્ડ પેરટ. સરકાર અને સી.બી.આઈ. અલબત્ત આ મીડિયા હાઉસના સ્થાપકો સબબ કશોક વાંકગુનો ખસૂસ આગળ કરી શકે. પણ સાવ સાદો વિગતમુદ્દો એ છે કે એણે આગળ કરેલો મુદ્દો એક ખાનગી બૅંકની લોન માંડવાળનો છે.

અડતાળીસ કરોડની આ માંડવાળને જ્યારે આપણાં એકાદ ડઝન જેટલાં મોટા કોર્પોરેટ ગૃહો અને પબ્લિક સેક્ટરની બૅંકો વચ્ચે કેવળ દસ લાખ કરોડ રૂપિયાનો દેવા-વહેવાર બેરોકટોક જારી હોઈ શકે છે એવી વાસ્તવિકતા સામે મૂકીને જોઈએ તો તરત બે વત્તા બે બરાબર ચારની જેમ ચોખ્ખું સમજાઈ રહે કે એક પબ્લિક એજન્સીએ જેમાં પ્રાણપણે પડવું જોઈએ એવી કોઈ વાત આ ખાનગી બૅંક સાથેના થોડા એક કરોડના વહેવારની નથી.

મુદ્દે, જરી પણ જુદા પડતા અને કંઈકે માથું ઊંચકી શકતા મીડિયા બાબત સરકાર માત્ર, રિપીટ, સરકાર માત્ર અસુખ અનુભવે છે.

એ કોઈ ખાસ ખાનગી વાત નથી. ખુશવંતસિંહે 1973-74ના અરસામાં વડાપ્રધાન ઇંદિરા ગાંધી સાથેની એક વાતચીત ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’માં છાપી હતી. તે આ સંદર્ભમાં સાંભરે છે. ‘આકાશવાણી’ને સ્વાયત્ત કરવા વિશે તમારે શું કહેવું છે એ મતલબના પ્રશ્નનો ઇંદિરાજીનો ઉત્તર હતો કે એક પછાત પ્રજાના હાથમાં આવું સાધન કેવી રીતે મૂકી શકાય. તાજેતરનાં વરસોમાં એવી એક ટીકા સાંભળવા મળે છે કે જેઓ કટોકટીરાજ સામે લડ્યા તેમને હાથે આવા સ્વાતંત્રવિરોધી પગલાંને સમર્થન કેમ મળતું હશે. પણ એન.ડી.ટી.વી. જેવા તાજા દાખલા નવી નવાઈના નથી.

સરકાર, કેમ કે તે સરકાર છે, કેવી રીતે વિચારવા ઇચ્છે, એનો એક નાદર નમૂનો 1977ના જનતા રાજ્યારોહણ પછી તરતનાં વર્ષોમાં મોરારજી સરકારના સૂચના અને પ્રસાર મંત્રી લાલકૃષ્ણ અડવાણીએ પૂરો પાડ્યો હતો. આખી લડત દરમ્યાન ઑલ ઇન્ડિયા રેડિયો તે ઑલ ઇંદિરા રેડિયો છે એ એક ખાસો ગાજતો ને ચગાવતો રહેલો મુદ્દો હતો. બી.બી.સી. પેઠે સ્વાયત્ત કોર્પોરેશન જેવા કોઈ વિકલ્પની સતત હિમાયત કરાતી હતી. જનતા સરકારે ઇંચોઇંચ એડિટર જ્યોર્જ વર્ઘીઝના વડપણ હેઠળ એ દષ્ટિએ નીમેલી સમિતિ – જેમાં આપણા ઉમાશંકર જોશી પણ હતા – આ ધોરણે સ્વાયત્ત પ્રસાર ભારતી દરખાસ્ત લઈ આવી ત્યારે સૂચના અને પ્રસાર મંત્રી અડવાણીએ કહ્યું કે આ બધું શું છે. સરકારના એક ખાતા લેખે સ્વાયત્ત કેમ ન રહી શકો. લડતના મર્મસ્થાને ઘા જેવી ભૂમિકા આ હતી.

પ્રણય રૉયનો કોઈ વાંકગુનો હોય તો તે બાબત સી.બી.આઈ. જે રીતે મંડી પડી છે એવી કોઈ ક્રિમિનલ સ્વરૂપની નથી. ગમ્મત તો કદાચ એ પણ છે કે જે ખાનગી બૅંકનો આ સવાલ છે તેણે (આઈ.સી.આઈ.સી.આઈ. બૅંકે) તો ફરિયાદ પણ નથી નોંધાવી! પણ ગયે વરસે સરકારે જેમ એન.ડી.ટી.વી. એક દિવસ માટે બંધ રાખવાનો હુકમ કર્યો હતો. તેમ હમણાં આવો પેચ લડાવ્યો છે. જો કે એક દિવસની બંધીમાં સરકારને બહાદુરીપૂર્વક પીછેકૂચ કરવામાં સલામતી જણાઈ હતી, પણ ફરી પાછું કંઈ કર્યા વગર એને ચેન પડે શાનું.

વસ્તુત: સી.બી.આઈ.એ જે રેડનો રાહ લીધો એમાં બાકી બધા માટે એક લાંબા ગાળાનો સંદેશો પડેલો છે: જો તમે સખણાં નહીં હીંડો (સરકારને અનુકૂળ નહીં વરતો) તો શું થઈ શકે છે તે જોઈ લો. સી.બી.આઈ.નું નિવેદન જે મોટા ગુનાની લાંબીચોડી જિકર કરે છે તે તત્ત્વત: મૂળ ઇરાદા પરના કવર અપની કસરત છે. મીડિયામાત્રનું મોં કેમનું બંધ કરવું અગર તો એનું નાળચું કેમનું વાળવું, એ સરકારની કોશિશ જણાય છે.

પાંત્રીસેક વરસ પર બિહારમાં જગન્નાથ મિશ્રની સરકાર એક પ્રેસ બિલ લાવી હતી. અભિવ્યક્તિને રૂંધતી આ કોશિશ સામે ત્યારે રાષ્ટ્રવ્યાપી વિરોધઝુંબેશ ચાલી હતી, અને એ બિલ પડતું મૂક્વું પડ્યું હતુ. એડિટર્સ ગિલ્ડે એ દિવસોમાં બિહારની મુલાકાત લઈ આખો પ્રશ્ન એની પૃષ્ઠભૂ સમેત તપાસવાની કોશિશ કરી હતી. ગિલ્ડનું એક અવલોકન સ્મરણીય છે. એણે હેવાલમાં કહ્યું હતું કે 1974-77નું જેપી આંદોલન અને એ પછી બિહારમાં કર્પુરી ઠાકુરનું શાસન, આ બધો દોર દેખીતો આછરી ગયો છે જરૂર; પણ બિહારમાં આજની તારીખેય(1982-83)માં કંઈ નહીં તો પણ સો જેટલાં ક્રાંતિકારી થાણાં કાર્યરત છે.

જો એમની પ્રવૃત્તિઓ લોકો સુધી પહોંચતી રહે તો કયારેક એ જંગલના દવ પેઠે ફેલાઈ પણ શકે. સ્થાપિત હિતવાદી સરકારને આ ન પાલવે. અભિવ્યક્તિને અવરોધતા પ્રેસ બિલ પાછળ આ સરકારી માનસિકતા કામ કરી ગઈ છે. આજે નિયો-લિબરલ અર્થનીતિ તળે દેશમાં નાનાંમોટાં જૂથો ને સમુદાયો જે પ્રકારે શોષણમાંથી પસાર થઈ રહ્યાં છે એનો ખરો ને પૂરો અંદાજ તો આપણું મીડિયા આપતાં આપશે. પણ નમૂના દાખલ હમણેનાં કિસાન આંદોલનોની જ વાત કરીએ તો શું જોવાં મળે છે? આત્મહત્યાનો દોર રોક્યો રોકાયો નથી. કિસાન હિતનાં એકોએક વચન કથિત દેવાંમાફી છતાં તત્ત્વત: વચન જ રહ્યાં છે.

મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનાં અત્યારનાં આંદોલનો આ દુર્દૈવ વાસ્તવની સાહેદી છે. આ સંજોગોમાં એક પા સરકારના દાવા અને બીજી પા લોકોનો વાસ્તવિક અનુભવ ને આપદા બેઉની વચ્ચેની ખાઈ જેમ જેમ વકરતી જશે તેમ તેમ આંદોલનોની તીવ્રતા કે અરાજક અંજપો વધતાં જશે, અને સરકારને પક્ષે નાનાવિધ દમનનું પ્રમાણ પણ વધતું જશે. કૌતુકભરી એટલી કમનસીબી બીના એ છે અને હશે કે આવાં એકોએક નિયંત્રણ અને દમન, સરાસર ગેરઇનસાફી અને કે‌વળ મનમુરાદશાહી છતાં, વિચારધારા અને દેશભક્તિના થપ્પા તળેનાં હશે. સોશ્યલ મીડિયા ક્યારેક મોદીએ હેળવ્યું હશે, ક્યારેક કેજરીવાલે કેળવ્યું હશે, પણ ફોરવર્ડ ફેંકાફેંકી અને ફેંકુશાહીની એની તરાહ ને તાસીર કંઈ મીડિયાનું સ્થાન લઈ શકે નહીં.

મીડિયાએ વળતું વિચારવું રહે, આપણે મોટા ઉદ્યોગધંધાની સહજ પ્રકૃતિ છતાં કેવળ કોર્પોરેટ વલણોમાં તો નથી ખૂંપતાં ને. જ્યારે સરકાર અને કોર્પોરેટ ગૃહો એકાકાર જેવાં માલૂમ પડે એવાં ચિહ્નો છે અને નેતાઓ સી.ઈ.ઓ. થવામાં રાજધર્મ જોવા લાગ્યાં છે. ત્યારે આ પ્રશ્ન સહેજ પણ અપ્રસ્તુત નથી. સ્વતંત્રતા કોર્પોરેટ તામઝામ જાળવણીની બાંદી ન બને એ કોણ જોશે? ક્યારે જોશે? કટોકટીમાં બેત્રણ મોટાં દૈનિક બાદ કરતાં અણુકાય પત્રોએ મોરચો સંભાળવાની નોબત આવી હતી – 25/26 જૂનના પૂર્વ પખવાડિયે આટલી એક ઇતિહાસસ્મૃિત.

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : ‘પડકાર’, “દિવ્ય ભાસ્કર”, 10 જૂન 2017

Loading

જાહેરમાં થૂકવું એ ઠાઠ નથી, એ ગુનો છે; થૂંક એ લાળ નથી, ઝેર છે, થૂંકીને ધરતી માનું અપમાન ન કરીએ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|9 June 2017

જાહેરમાં થૂંકવું એ બધાની તંદુરસ્તી માટે હાનિકારક છે 

નથી હું સ્ત્રી કે નથી હું ગરીબ. હું દલિત કે આદિવાસી નથી. હું વૃદ્ધ કે વિકલાંગ પણ નથી. હું ખેડૂત નથી કે સરકારનો વિરોધી તો હું બિલકુલ નથી. છતાં મને અમદાવાદની લગભગ તમામ જાહેર જગ્યાઓ પર સખત ડર લાગે છે. મને થૂંકનો ડર લાગે છે. થૂંક ગમે તે અથવા બધી દિશાએથી મારી પર આવી પડી શકે છે. શહેરના રસ્તા પર આપણી આગળ જઈ રહેલ પુરુષ પિચકારી મારે ને તે આપણી પર ઊડે છે. થૂંકવામાં સાયકલ કે પગરિક્સા પર જનાર મજૂર, ફૅન્સી બાઇક ચલાવનાર યુવાન કે મોંઘીદાટ ગાડી ચલાવનાર શેઠિયો બધા એક સરખા જ હીન કક્ષાના હોય છે. બસની બાજુમાં વાહન ચલાવનાર પર અંદરથી લાળાભિષેક થાય છે. રસ્તાની બાજુમાં ચાલવાની કોશિશ કરતાં હોઈએ ને ચાની કીટલી પરથી કોગળો આવે છે, પાનના ગલ્લેથી પિચકારી છૂટે. બગીચામાં તન-મનદુરસ્તી માટે ચાલતા હોઈએ ત્યાં આગળ ચાલતા નાદુરસ્ત માણસ ડાબી કે જમણી તરફ કે વારાફરતી બંને તરફ થૂંકતા હોય છે. પાછળનાના બળખા સંભળાતા હોય છે. સફાઈકર્મચારીએ માવજતથી વાળેલા બગીચામાં બાંકડા પર બેસી ઊગતા સૂર્ય સામે મુખ રાખી ઓમકાર કરનાર માણસ ત્યાં જ બેઠો બેઠો પોતાની સામેની જ મૃદુ માટીમાં ગળફો થૂકે છે. તમાકુ કે મસાલાના ડૂચા મોંમા રાખીને વાત કરનારા થોડી મિનિટો વાત કરે એટલામાં તો આજુબાજુ છંટકાવ કરી દેતા હોય છે. ટ્રાફિક સિગ્નલ કે બીજે જ્યાં-ક્યાં  રોકવું પડે ત્યાં ઓછામાં ઓછું એક વખત તો થૂંકાઈ જ જાય એવું કંઈક મનોશારીરિક તંત્ર અનેક જણમાં ગોઠવાયેલું હોય છે. બસસ્ટૅન્ડ, બસ, પ્લૅટફૉર્મ, ટ્રેઇન, ઇમારતોના દાદરા, ફૂટપાથ, હોસ્પિટલની લૉબીઓ, બગીચા, છબિઘરો, સભાગૃહો, પાર્કિંગ  દરેક સંખ્યાબંધ જાહેર જગ્યાએ થૂંકીને પોતાની હીન હાજરી નોંધાવી જોઈએ એવી માન્યતા પણ થૂંકનારામાં વ્યાપક છે. મોટા ભાગના થૂંકનારામાં થૂંકવા બાબતે કોઈ રંજ હોતો નથી. તેમનું જાહેરમાં ન થૂકવા તરફ ધ્યાન દોરીએ કે થૂંક આપણી પર ઊડતાં આપણે ગુસ્સે થઈએ ત્યારે થૂંકનારમાં ભૂલનો ભાવ ભાગ્યે જ હોય છે. સદ્દભાગ્યે દિલગીરીના શબ્દો સાંભળવા મળે તો તેમાં પોતાના તરફના અપરાધભાવ કરતાં સામા માણસ પરના અહેસાનભાવ સાથે ‘સૉરી’ તેના મોં પર ફેં(થૂં)કાતું હોય છે. મોટે ભાગે તો ‘તારે શું લેવા દેવા ?’, ‘આ તો તારે દેખ્યાનું દાઝવું છે !’, ‘મારે તો જે કરવું હોય તે કરું, તું થાય એ કરી લે’, ‘તારી પર ક્યાં ઊડ્યું, બતાવ’, જેવી નફ્ફટાઈ જ જોવા મળે છે. સ્ત્રીઓ જાહેરમાં ભાગ્યે જ થૂંકે છે.  

આપણી પર ઊડેલું બીજાંનું થૂંક આપણા શરીરને ઇજા પહોંચાડે એના કરતાં કરતાં ય મનમાં સૂગનો જે ભાવ જન્માવે તે વર્ણવવા માટે શબ્દો ઓછા પડે; થૂંકનારા માટે જે ધૂત્કાર જ્ન્મે  તે વર્ણવવા માટે અપશબ્દો ઓછા પડે. આપણી પર થૂંક ઊડાડનારને દુનિયાના અત્યંત ગંદામાં ગંદા, અસંસ્કારીમાં અસંસ્કારી માણસોની હરોળમાં મૂકવા પડે. લેખકો કેટલીક વખત પાન કે તમાકુ ખાઈને પિચકારી મારવાની અ‍ૅક્શનને  હિરોની ગૌરવભરી ખાસિયત તરીકે ચીતરતા હોય છે. થૂંકવું એ હાસ્યકારો થૂંકવાને વ્યંગ-કટાક્ષ માટેનો વિષય બનતો હોય છે. પણ ખરેખર તો થૂંકવું અને થૂંકનાર એ કેવળ અને કેવળ અનહદ તિરસ્કારનો જ વિષય હોઈ શકે.

અલબત્ત, થૂંકવા માટેનો ધિક્કાર એ માત્ર વ્યક્તિસાપેક્ષ અંગત ગમા-અણગમાની બાબત નથી. ભણેલા કે સુધરેલા ગણાતા માણસોને એ ભાગ્યે જ કહેવાની જરૂર છે કે થૂંકવું એ લોકોની તંદુરસ્તી માટે ખૂબ હાનિકારક પરિબળોમાંનું એક છે. એ જાહેર સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સામેનું મોટું જોખમ છે. જાહેરમાં થૂંકવા અને નાક સાફ કરવા પર દેશમાં સહુ પ્રથમ પ્રતિબંધ લાવનાર કેરળની સરકાર છે. તેણે 2006માં વડી અદાલતના સૂચન મુજબ આ પ્રતિબંધ લગાવ્યો. અદાલતે થૂંક અને કફ થકી ફેલાનારા રોગોની આ મુજબની યાદી આપી હતી : ટ્યુબરક્યુલોસીસ (ટીબી), ઇન્ફ્લુએન્ઝા, ન્યુમોનિઆ, અછબડા, ડિપ્થેરિયા, એન્ડેમિક ફીવર અને મોટી ઉધરસ. તમાકુ ખાનારાએ એ વાત પણ યાદ રાખવાની છે કે મોંના કૅન્સરની બાબતે ભારત દુનિયામાં અગ્રણી સ્થાન ધરાવે છે ! મહારાષ્ટ્ર સરકારે 2015માં થૂંકવા સામેનો કાયદો કર્યો. તે અંગે વાત કરતા મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી દીપક સાવંતે જણાવ્યું હતું કે થૂંકવું એ ટીબીના રોગીઓની સંખ્યામાં વધારા પાછળનું એક કારણ છે. થૂંકવા સામે પશ્ચિમ બંગાળમાં  2003માં થયેલો કાયદો અસકારક નીવડ્યો નથી. એટલું જ નહીં પણ લોકોના થૂંકવાને કારણે હાવડા બ્રિજના થાંભલાના પાયા જોખમમાં આવ્યા છે. પાન ખાઈને પેદા થયેલા થૂંકમાં કાથો, સોપારી, ફોડેલો ચૂનો અને ટૅનિન જેવાં દ્રવ્યો ભળેલાં હોય છે. પાન ખાઈને પુલ પરથી અવરજવર કરનાર લોકોનાં મોંમાંથી આ સંયોજનનો સતત મારો બ્રિજના થાંભલા પર થયા કરે છે. તેનાથી ગયાં પંચોતેર વર્ષમાં હાવરા બ્રિજની ધાતુઓને વરસાદ કે વાવાઝોડા કરતાં ય વધુ નુકસાન પહોંચ્યું છે. એટલે હવે થાંભલાના પાયાના ભાગ પર જાડા ફાયબરના કવર લગાવવાની યોજના વિચારાઈ છે. થૂંકવાને કારણે પડેલા ડાઘ સાફ કરવા માટે ભારતીય રેલવે દર વર્ષે કરોડો રૂપિયા ફાળવે છે.

ઇંગ્લેન્ડની પ્લાયમાઉથ યુનિવર્સિટીના રૉય કુમ્બરે કરેલા અભ્યાસ મુજબ ભારત, ચીન અને દક્ષિણ કોરિયા સહુથી વધુ થૂંકતા દેશો છે. એશિયાના કેટલાક અને પશ્ચિમના ઘણા ખરા દેશોમાં જાહેરમાં થૂંકવાની બદી જવલ્લે જ મળે છે. તેની પાછળ અમેરિકા અને યુરોપમાં ઓગણીસમી સદીમાં થૂંકવા વિરુદ્ધ ચાલેલા અભિયાનો છે. અમેરિકામાં 1890ના દાયકામાં ટીબી રોકવા માટે ‘લન્ગ અસોસિએશન’ દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી તેમાં થૂંકવાની બદઆદત સામે લોકોમાં જાગૃતિ લાવવામાં આવી. ‘સ્પિટ ઇઝ પૉઇઝન’ એ સૂત્ર ફેલાવવામાં આવ્યું. ઠેરઠેર થૂંકદાનીઓ મૂકાવવામાં આવી. જાહેરમાં થૂંકવું એ અનૈતિક પણ ગણવામાં આવ્યું. વળી તેને ક્રાઇમ અગેઇન્સ્ટ પબ્લિક હેલ્થ ગણીને કાયદા ઘડવામાં આવ્યા. ફ્રાન્સે 1886માં અને ઇટાલીએ 1901માં કાયદો ઘડ્યો. નારીવાદી ચળવળ પચાસના દાયકામાં જોડાઈ. ઇંગ્લેન્ડમાં કાનૂની માર્ગો કરતાં લોકોને સમજ આપવા  પર વધુ ભાર મૂકવામાં આવ્યો.

આપણે ત્યાં પાન ખાવું એ ઇતિહાસના જુદા જુદા તબક્કે સંસ્કૃિતનો હિસ્સો રહ્યો છે. પણ તેની સાથે આપણે જાહેર સ્વચ્છતાની સંસ્કૃિતનો ભાગ્યે જ કોઈ ખ્યાલ આપણે ત્યાં જાગ્યો છે. એટલે આપણે ‘પાન ખાય સૈયાં હમારો’ અને ‘ખઈકે પાન બનારસવાલા’ એવું બધું ગાયા કર્યું, પણ પેલું ‘સ્પિટ ઇઝ પૉઇઝન’ જેવું આપણને કંઈ સૂઝ્યું જ નહીં. આપણને એવું પણ ન થયું કે સદીઓથી આપણા અસ્તિત્વ માટે આપણે  ધરતી માતાને ખેડીને, તેને ખોદીને તો તેની પર ત્રાસ ગુજારીએ જ છીએ. ખરેખર તો આપણે તેને દરેક પગલે ‘પાદસ્પર્શ ક્ષમસ્વ મે’ એવું કહેવાનું છે. એ તો બાજુ પર રહ્યું. આપણે તેની પર થૂક્યા જ કરીએ છીએ.

++++++

08 જૂન 2017  

e.mail : sanjaysbhave@yahoo.com

‘ક્ષિતિજ’ નામે લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 09 જૂન 2017

Loading

પ્રેમ, લગ્ન અને જ્ઞાતિના આટાપાટા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|8 June 2017

મિશ્ર લોહી અને સરવાળે જ્ઞાતિનો ખાતમો હાલના આંતરજ્ઞાતિય લગ્નોથી શક્ય બને એમ લાગતું નથી

‘નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક્સ રિસર્ચ’ના ‘ઇન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વે’ વિષયક તારણો તાજેતરમાં જાહેર થયાં છે. આ સર્વેમાં આંતરજ્ઞાતિય લગ્નોમાં દેશમાં પાંચમા ક્રમે રહેલા ગુજરાતની બે હકીક્તો : રાજ્યમાં – ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પાટીદારોમાં કન્યાઓની અછતને કારણે ઘણા પાટીદાર યુવાનોને નાતની કન્યા મળતી નથી. આવા યુવાનો ગરીબ આદિવાસી કન્યાઓને પરણે છે. અહેવાલો મુજબ, બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચમનપુરા ગામના ઈશ્વરભાઈ પટેલે આદિવાસી કન્યા નામે તારાબહેન સાથે લગ્ન કર્યું હતું. બંને પતિપત્ની ખેતીકામ કરતાં અને ખેતરમાં ઘર બનાવી રહેતાં હતાં. ઈશ્વરભાઈનાં ભાભી, નણદોઈ અને બીજા બે લોકોએ આ દંપતી સાથે ઝઘડામાં તારાબહેનને જાતિવિષયક અપશબ્દો કહ્યા, મારવાનો પ્રયત્ન કર્યો અને ઘર છોડી જવા કહ્યું. એટલે તારાબહેને તેમની સામે અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક ધારા હેઠળ પોલીસ ફરિયાદ કરી! વરસ 2011ના આ બનાવ થકી, મજબૂરીવશ થયેલાં આંતરજ્ઞાતિય લગ્નની પરિણતી એવા, નોખી આભડછેટ અને અનોખા અત્યાચારનો ગુજરાતને પરિચય થાય છે.

હવે તાજેતરનો બીજો બનાવ. ઓછું ભણેલા કે બીજા પણ પાટીદાર યુવાનોને કન્યાભ્રૂણ હત્યાને કારણે નાતની કન્યા મળતી નથી. તેથી ચિંતિત સમાજ અગ્રણીઓએ આંતરરાજ્ય લગ્નોને સ્વીકૃતિ આપી. આ વરસના એપ્રિલ મહિનાના અંતિમ દિવસોમાં, અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભાના સહયોગી અમદાવાદમાં ગુજરાતના 24 પાટીદાર યુવાનોનો ઓરિસ્સાની યુવતીઓ સાથે લગ્નોત્સવ યોજાયો હતો.

આઝાદી પૂર્વે રાજકીય આઝાદીના આંદોલન સાથે જ સમાજસુધારાણાનું પણ આંદોલન ચાલતું હતું. આભડછેટનો મુદ્દો દેશના સામાજિક-રાજકીય એજન્ડા પર મૂકાયો હતો. ગાંધીજી અને બાબાસાહેબ આંબેડકરના આ દિશાના સંનિષ્ઠ પ્રયાસો છતાં આઝાદીના સાત દાયકે ભારતી હિંદુ સમાજ હજુ પણ જ્ઞાતિભેદમાં જકડાયેલો છે. પ્રેમ અને લગ્નની બાબતમાં જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ગોળ પરગણાને પ્રાધાન્ય આપવામાં આવે છે.

ઈન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વેનું તારણ સ્પષ્ટ જણાવે છે કે ભારતમાં માંડ પાંચ ટકા લગ્નો જ જ્ઞાતિબહાર થાય છે. આંતરજ્ઞાતિય લગ્નોમાં ઉત્તરપૂર્વનાં ટચુકડા, ખ્રિસ્તી બહુમતી ધરાવતાં રાજ્યો જ મોખરે છે. દેશમાં સૌથી વધુ આંતરજ્ઞાતિય લગ્નો (55 ટકા) મિઝોરમમાં થાય છે. તે પછીના ક્રમે મેઘાલય, સિક્કિમ, જમ્મુકશ્મીર અને ગુજરાત છે. ગુજરાતમાં વરસે 13 ટકા આંતરજ્ઞાતિય લગ્નો થાય છે. જાતિભેદ અને સામંતવાદમાં જકડાયેલાં ઉત્તર ભારતનાં રાજ્યો આ બાબતમાં સૌથી પાછળ છે. મધ્ય પ્રદેશ 1 ટકા સાથે સૌથી તળિયે છે, તો હિમાચલ અને છત્તીસગઢ 2 ટકા આંતરજ્ઞાતિય લગ્નો સાથે તળિયેથી સહેજ ઉપર છે.

જાણીતાં વિદુષી, સમાજવિજ્ઞાની ગેલ ઓમવેટ દેશમાં આંતરજ્ઞાતિય લગ્નોની વાસ્તવિકતા પોતાના ગામના ઉદાહરણથી સ્પષ્ટ કરે છે. મહારાષ્ટ્રમાં પૂનાથી આશરે 150 કિલોમીટરના અંતરે આવેલા પંદરેક હજારની વસ્તીના કાસેગાંવમાં તે રહે છે. આ ગામ વિકસિત અને દેખાવે શહેરી ગામ છે. દેશનાં અન્ય ગામોની તુલનાએ પ્રગતિશીલ પરંપરાઓ ધરાવતા આ ગામમાં છેલ્લાં 50 વરસમાં 30 આંતરજ્ઞાતિય લગ્નો થયાનું ગેલ ઓમવેટ ખાતરીપૂર્વક જણાવે છે. 30 પૈકીનાં 20 દંપતી ગામમાં જ રહે છે. આ હકીકત સંદર્ભે ગેલ ઓમવેટ નોંધે છે, ’50 વરસમાં 30 આંતરજ્ઞાતિય લગ્નો, ટકાવારીની દૃષ્ટિએ એક ટકાનો દસમો ભાગ થાય. 15,000ની વસ્તીના ગામમાં 50 વરસમાં 30 આંતરજ્ઞાતિય લગ્નો એટલે 0.00133 ટકા થાય.’

આવી જ સ્થિતિ દેશના લગભગ બધા જ ગામોની હશે તેમ સ્વીકારીએ તો નગરો-મહાનગરોની સ્થિતિ બહુ હરખાવા જેવી નથી. અંગ્રેજી અખબારોની લગ્નવિષયક જાહેરખબરો પર નજર કરતાં જણાઈ આવે છે કે સૌને લગ્ન માટે પોતાની જ જ્ઞાતિની કન્યા કે મુરતિયો જોઈએ છે. લગ્નની આ જાહેરાતોમાં જ્ઞાતિબાધ ન હોય તેવી લગ્ન પસંદગી કરનારા ભાગ્યે જ હોય છે.

લગ્ન તો ઠીક, જ્ઞાતિબહાર પ્રેમ કરવાની પણ બંધી છે. જો કોઈ યુવક-યુવતી રાજીખુશીથી પરસ્પર પ્રત્યેના પ્રેમને કારણે જ્ઞાતિને બાજુએ હડસેલી પ્રેમ કરે કે લગ્ન કરે, તો તેનો અંજામ ક્રૂર હત્યામાં આવતો હોવાનું અવારનવાર જોવા મળે છે. હરિયાણા અને રાજસ્થાનમાં ઓનર કિલિંગ થતા હોય છે. વળી જો આંતરજ્ઞાતિય લગ્નોમાં એક પાત્ર દલિત હોય તો આવા દંપતીનું જીવવું દુષ્કર બની જાય છે.

ડૉ. આંબેડકરે 1936માં લાહોરના ‘જાતપાત તોડક મંડળ’ના અધિવેશન માટે તૈયાર કરેલ નિબંધ ‘એનિહિલેશન ઓફ કાસ્ટ’(જાતિ નિર્મૂલ્ન)માં જ્ઞાતિપ્રથા નાબૂદીના જે ઉપાયો ચીંધ્યા તેમાં આંતરજ્ઞાતિય લગ્નોને સૌથી વધુ મહત્ત્વના માન્યાં હતાં. ડો. આંબેડકરે કહ્યું હતું, ‘મને ખાતરી થઈ ચૂકી છે કે આંતરજ્ઞાતિય લગ્નો જ જ્ઞાતિના નિકંદનનો સાચો ઉપાય છે. એકલું લોહીનું મિશ્રણ જ સગાંસ્વજન હોવાની લાગણીસર્જી શકે છે અને જ્યાં સુધી આ સગપણની ભાવના, સગાં હોવાની ભાવના સર્વોપરી નહિ બને ત્યાં સુધી જ્ઞાતિએ સર્જેલી અલગતાની ભાવના, પરાયા હોવાની ભાવના નાશ પામશે નહીં.’ ગાંધીજી અસ્પૃશ્યતાને હિંદુ ધર્મનું કલંક માનતા હતા. તેઓ આભડછેટ નાબૂદી માટે આંતરજ્ઞાતિય લગ્નોને ખૂબ મહત્ત્વ આપતા હતા. એટલું જ નહીં, તેઓ એવાં જ લગ્નોમાં હાજર રહેતા હતા, જેમાં એક પાત્ર કહેવાતા અસ્પૃશ્ય સમાજનું હોય.

દેશમાં આજે જે પાંચેક ટકા આંતરજ્ઞાતિય લગ્નો થાય છે, તેમાં લગ્ન પછી પુરુષની જ્ઞાતિ જ સ્ત્રી અને બાળકોને મળે છે. જો બેમાંથી એક પાત્ર ઉપલી જ્ઞાતિનું હોય અને બળુકું હોય તો બાળકોને ઉપલી જ્ઞાતિ મળે છે. પરંતુ તેનાથી જ્ઞાતિ તૂટતી નથી. આંતરજ્ઞાતિય લગ્નો, તેને કારણે મિશ્ર લોહી અને સરવાળે જ્ઞાતિનો ખાતમો હાલના આંતરજ્ઞાતિય લગ્નોથી શક્ય બનતાં નથી.

હવે નાતજાત જેવું ક્યાં કશું રહ્યું છે — એમ સામાન્ય લોકો કહેતા હોય છે. જાણીતા વિદ્વાન આંદ્રે બેતાઈ તો એ હદે લખે છે કે, ‘ભારતમાં જ્ઞાતિ હવે સમાપ્ત થઈ ગઈ છે. તેનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી. તે હવે કેવળ આપણા વિચારોમાં ટકી છે. ચૂંટણી દરમિયાન મીડિયાવાળા જ તેનું સ્મરણ કરાવે છે, એટલું જ.’ ભારતમાં આંતરજ્ઞાતિય લગ્નોનું નહિવત્ પ્રમાણ જ્ઞાતિ સમાપ્ત થઈ ગયાનું કહેનારને પડકારે છે. જ્ઞાતિને ધોરણે અનામત માગતા ગુજરાતના પાટીદારો લગ્ન માટે કન્યા ન મળે તો ગુજરાતની કોઈ ગરીબ કે અનામત જ્ઞાતિની કન્યાને બદલે સુદૂર ઓરિસ્સાની જ્ઞાતિ કન્યા શોધી પરણે છે, ત્યારે ભારતમાં જ્ઞાતિ કેટલી જડબેસલાક રીતે પ્રવર્તે છે અને તેનું ભૌતિક અસ્તિત્વ હાજરાહાજૂર છે તે જણાઈ આવે છે. એટલું જ નહીં અત્યારે તો ગાંધી-આંબેડકરનું આંતરજ્ઞાતિય લગ્નોનું સ્વપ્ન જાણે કે દૂરનું અને ક્યારે ય પૂરું ન થનારું લાગે છે.

સૌજન્ય : ‘અવાસ્તવિક અપેક્ષા’, “દિવ્ય ભાસ્કર”, 01 જૂન 2017 

Loading

...102030...3,3613,3623,3633,364...3,3703,3803,390...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved