Opinion Magazine
Number of visits: 9456716
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ આજે (૧૯)

સુમન શાહ|Opinion - Opinion|5 December 2024

(આ લેખ અનિવાર્યપણે દીર્ઘ છે, કષ્ટ પડે તો ટુકડે ટુકડે વાંચવા વિનન્તી)

સુમન શાહ

હરારીનું મન્તવ્ય છે કે ઇન્ફર્મેશન ટૅકનોલૉજિ તરીકે વાર્તાઓની કેટલીક મર્યાદાઓ છે. રાષ્ટ્રના નિર્માણમાં વાર્તાઓ ઉપરાન્ત કવિઓ ચિન્તકો કે દૃષ્ટાઓ કેવોક ભાગ ભજવે છે એ દર્શાવવા એમણે જે ઉદાહરણો આપ્યાં છે, એમાં, ૨૦-મી સદીના પ્રારમ્ભમાં થઈ ગયેલા યુક્રેઇનના યહૂદી કવિ બિયાલિકનાં કાવ્યો અને વાર્તાઓનું ઉદાહરણ સમજવા જેવું છે. 

બિયાલિક યુરોપીય યહૂદીઓને ઉદ્દબોધીને કહે છે કે નબળાઇઓ અને ઘૃણા કે ઉત્પીડનમાંથી બેઠા થઈ સ્વરક્ષા માટે શસ્ત્રોથી સજ્જ થઈ પૅલેસ્ટાઈન જઇ તમારા આગવા નગરની સ્થાપના કરો (‘સૌ ચલો જીતવા જંગ …’ -જેવી પ્રેરક વાત). યુદ્ધ થયાં, યહૂદીઓ મરાયા, એક કાવ્યમાં વર્ણવાયું છે એમ, સ્ત્રીઓનાં અપહરણ થયાં, વગેરે વગેરે. 

પણ હરારીનો પ્રશ્ન એ છે કે એ કાવ્યનાં ગાન ઇઝરાઇલની શાળાઓમાં આજે શા માટે ગવરાવાય છે. આવું જ ઉદાહરણ એમણે એ જ અરસામાં કાર્યરત હંગરીના યહૂદી સાહિત્યકાર હર્ઝલનું વર્ણવ્યું છે. હરારી કહે છે, હર્ઝલ પણ પોતાનાં પુસ્તકોમાં યહૂદી રાષ્ટ્રની સ્થાપના ભાખે છે, તેઓ પણ રાજકીય કર્મણ્યશીલતાના આગ્રહી છે. 

હરારી ઉમેરે છે કે પરન્તુ આ બન્ને દૃષ્ટાઓની પ્રેરણાદાયી વાતોને પ્રતાપે તત્કાલીન વાસ્તવિકતાઓની ઉપેક્ષા થઈ હતી. ૧૯૦૦ આસપાસ પૅલેસ્ટાઇનના યહૂદીઓની સંખ્યા એ પ્રદેશની ૬ લાખની વસતીના ૬-૯ % જેટલી જ હતી. પણ વસતીવિષયક આંકડા દર્શાવતી એ demograpphic હકીકતોને કોરાણે મૂકીને આ બન્ને સાહિત્યકારોએ માયથોલૉજિ અને સવિશેષે બાઇબલની વાર્તાઓને જ મહત્ત્વ આપ્યું હતું. આ કવિઓ પૂર્વે, યુક્રેઇનિયન, હંગેરિયન અને પોલિશ રાષ્ટ્રવાદ વિશે અગાઉના કવિઓ લખી ગયા હતા. એ બધી રાષ્ટ્રવાદપરક ચળવળો જોઈને હર્ઝલે લખેલું કે ‘nations arise out of dreams, songs, fantasies’ – રાષ્ટ્રો, સ્વપ્નો ગીતો અને કપોળકલ્પનાઓથી પ્રગટે છે.   

હરારીએ એટલે સુધી કહ્યું છે કે કેટલાંક રાષ્ટો સૌ પહેલાં તો કવિઓની કલ્પના અનુસાર રચાયાં હતાં. ઇતિહાસમાંથી એમણે દૃષ્ટાન્તો પણ આપ્યાં છે. પણ પોતાનું મન્તવ્ય આગળ કરતાં કહે છે કે સ્વપ્નો, ગીતો અને કપોળકલ્પનાઓ, ગમે એટલાં પ્રેરણાદાયી હોય, રાષ્ટ્ર-રાજ્ય, nation-state, નથી સરજી શકતાં. 

ઉમેરે છે કે બિયાલિકથી યહૂદી લડવૈયાઓની પેઢીઓને પ્રેરણાબળ મળ્યું એ ખરું, પણ લશ્કરને સુસજ્જ રાખવા ગન્સ ખરીદવી અને તે માટે કરવેરા વધારવા પણ જરૂરી હોય છે. ઉમેરે છે કે કલ્યાણગ્રામની ભાવના ભરેલી હર્ઝલની એક utopian નવલકથામાં ‘ટેલ અવિવ’ નગરની સ્થાપનાની વાત છે, પણ નગરને કાર્યકર રાખવા ગટરવ્યવસ્થા ઊભી કરવી પણ જરૂરી હોય છે. માતૃભૂમિના સૌન્દર્યનાં હૃદયદ્રાવક કાવ્યોથી તેમ જ પરદેશીઓ અને લઘુમતિ વિરુદ્ધ ધિક્કારભર્યાં ભાષણો કરવાથી રાષ્ટ્રપ્રેમ નથી જનમતો. કહે છે, કદાચ, રાષ્ટ્રપ્રેમ એટલે પોતાના બાકી કર ભરવા, જેથી દેશના અન્ય ભાગોમાં વસતા લોકોને પણ ગટરવ્યવસ્થાના તેમ જ સલામતી, કેળવણી અને આરોગ્યસેવાના લાભ મળી શકે.

હરારીના આ રાષ્ટ્રવાદ વિરોધી મન્તવ્ય સાથે પહેલી નજરે બે કારણે સમ્મત થવું મુશ્કેલ જણાય છે : 

એક તો એ કે પ્રજાજન કર ભરે જ ભરે, કેમ કે બધા દેશોમાં એ તન્ત્ર એકદમ સાવધ અને ચૉક્કસ હોય છે. હવે તો એ, ખાસ્સી ઍડવાન્સ્ડ્ સિસ્ટમ ગણાય છે. કરદાતાઓની તુલનામાં કરચોરોની સંખ્યા નાની હોય છે, અને તેમને દણ્ડવાની જોગવાઈ જડબેસલાક હોય છે. 

બીજું કારણ એ કે ગટરવ્યવસ્થા કે કર ભરવા જેવી નિ:સામાન્ય બાબતો જોડે રાષ્ટ્રપ્રેમ જેવી ભાવનાને ન મુકાય કેમ કે એથી ઊભો થતો વૈચારિક વિરોધ કૃતક અને સગવડિયો છે. જીવનવ્યવહારમાં કર્તવ્યનિષ્ઠ રહેવું એ એક વાત છે અને હૃદયભાવનાઓ વિેશે સમૃદ્ધ થવું બીજી વાત છે. અને, સૌ સમજે છે કે ભૂખ્યાની ભૂખ શમે એ માટે એને રોટલો આપવાનો હોય, એની આગળ “શ્રીમદ્ ભાગવત”-ના પાઠ ન કરાય.

પરન્તુ જરાક વિચારીશું તો લાગશે કે હરારીનું મન્તવ્ય ઘણું જ ઘણું આવકાર્ય અને સ્વીકાર્ય છે. સાહિત્યકારો જો પોતાની કલમના જોરે પ્રજાને યુદ્ધ અને હિંસા માટે પ્રેરે, એટલે કે ભડકાવે, તો તેમની ટીકા જ થવી જોઈએ. કેમ કે રાજકીય કર્મણ્યશીલતા એ હદે વિકસે, તો સરવાળે યાતનાઓ પ્રજાને જ ભોગવવી પડે છે. ભારતમાં, ‘સિપાઇઓના બળવા’-થી શરૂ થયેલી સ્વતન્ત્રતા માટેની લડત અને ગાંધીના આગમન પછી એમાં આવેલું મહા પરિવર્તન જે સૂચવે છે તે છે, હિંસા અને અહિંસા વચ્ચેનો ફર્ક. 

વાસ્તવમાં સાહિત્યસર્જક કોઈ વાતનો પક્ષ લઈને લખતો હોય છે ત્યારે તે પક્ષની પુષ્ટિ કરવા જતાં કાં તો એ તે રાષ્ટ્રના શાસકોની સીધી સ્તુતિ કરતો હોય છે અથવા જો ટીકા કરવા જાય છે તો અંદરથી સાચવી સાચવીને કે ડરતો ડરતો કરે છે. ગાંધીસાહિત્યનું અધ્યયન કરનાર જોઈ શકે છે કે નથી એમાં સ્તુતિ કે સાચવવાપણું કે નથી એમાં ડર.

+ +

વાત નીકળી છે તો વિચારીએ કે રાષ્ટ્રવાદનું લક્ષ્ય શું હોઈ શકે -? એ જ કે રાષ્ટ્રવિકાસમાં દરેક નાગરિકે રાષ્ટ્રપ્રેમથી સહભાગી થવું. પરન્તુ, સમગ્ર પ્રજા રાતોરાત રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રપ્રેમી નથી થઈ જતી. દેશનાં ઇતિહાસ-ભૂગોળ સાથે વ્યક્તિનાં ઇતિહાસ-ભૂગોળ તેમ જ સંજોગો ભાગ ભજવતાં હોય છે, તેથી વ્યક્તિમાં રાષ્ટ્રપ્રેમ ધીમે ધીમે જાગે છે.

હું મારી વાત કરું : ૧૯૪૮-ના જાન્યુઆરીની ૩૦ તારીખે ગાંધીજીનું અવસાન થયું ત્યારે હું ૮ વર્ષનો હતો. ‘દીવડો બુઝાયો આજે દીવડો બુઝાયો’ ગીત વાતાવરણમાં ગુંજતું હતું. હું ગાવા લાગેલો. પછીનાં વર્ષોમાં, ‘નહીં ભૂલીએ, નહીં ભૂલીએ, નિશાન ભૂમિ ભારતનાં’ અને ‘ઝંડા ઊંચા રહે હમારા’ ગીતો હું હીંચકે બેસીને મજાથી ગાતો હતો. હું સારું ગાઇ શકતો તેની કસોટી માટે ગાતો’તો એ ખરું પણ સાથોસાથ દેશ માટે કંઈક ભાવ પણ જાગેલો. પ્રાથમિકમાં વર્ગશિક્ષક ઈશ્વરભાઈ પટેલ ભૂગોળના પીરિયડમાં હેડમાસ્ટરના રૂમમાંથી ભારતનો નક્શો લઈ આવવાનું મને કહેતા. આઝાદી પહેલાંનો એ પાકિસ્તાન અને બ્રહ્મદેશ સુધીનો વિશાળ નક્શો જોઈને થતું, વાહ, બહુ મોટો છે આપણો દેશ. એ જોઈને કાગળ પર હું એ ભારત અદ્દલ દોરી શકતો, બીજાઓના પહેલાં, કેમ કે મને ચિત્રો પણ સરસ આવડતાં’તાં.

આને મારા રાષ્ટ્રપ્રેમનું પરોઢ કહેવાય, સૂર્યોદય અને પ્રભાત કે બપોર અને સાંજ તો, જેમ જેમ મોટા થઈએ તેમતેમ, પાછળથી થાય. 

હરારીએ nation-state શબ્દ પ્રયોજ્યો છે, રાષ્ટ્ર-રાજ્ય. હું ભારતની વાત કરું : ભારત અનેક રાજ્યો ધરાવતી રાજકીય હસ્તી રૂપે એક સંઘીય – federal – રાષ્ટ્ર છે. એમાં સૌ ભારતીયો ઇતિહાસ, સંસ્કૃતિ અને ભાષાથી જોડાયેલા છે. એ ઇતિહાસમાં દીર્ઘકાલીન પ્રાચીન સભ્યતાના સંસ્કાર છે; એનાં કેટલાંક પ્રકરણો ‘biased’ છે, કેમ કે વિદેશી આક્રમકોના પરિપ્રેક્ષ્યથી લખાયાં છે, વિકૃત છે – skewed. ઉપરાન્ત, રાષ્ટ્રના ઘડતરમાં સંસ્થાનવાદનાં ચિહ્ન મોજૂદ છે, એમાં ઉત્તર-સંસ્થાનવાદી વર્તમાન ભારત પ્રગતિ માટે મથી રહ્યું છે, એ હકીકત પણ છે. એમાં સંસ્કૃતિ નહીં પણ બહુસંસ્કૃતિ પ્રવર્તે છે; રાષ્ટ્ર એકભાષી નથી, બહુભાષી પણ છે. 

એવા ભારતમાં રાષ્ટ્રપ્રેમની ભાત ‘મોઝેયિક’ કે ‘કૅલિડોસ્કોપિક’ હોવાની. તેથી વિવેચકો માટે કોઇપણ સાહિત્યસૃષ્ટિમાં રાષ્ટ્રપ્રેમ નથી કે છે તેની ફરિયાદ કે વાત કરવાનું અથવા કહો કે political unconscious શોધવાનું કામ કઠિન રહેવાનું. એ જ કઠિનાઈ તેવું સર્જન કરવામાં સર્જકો પણ અનુભવવાના. આ મુદ્દા વિશે ક્યારેક વિસ્તારથી કહીશ.      

અલબત્ત આજની તારીખે મને વેદોપનિષદકાલીન ભારત માટે વધુ પ્રીતિ છે, એનું કારણ એ ભવ્ય દર્શનો. વળી, સંસ્કૃત સાહિત્ય તેમ જ વિદ્યાક્ષેત્ર માટે પણ મને ઘણી પ્રીતિ છે, એનું કારણ રસભરપૂર સાહિત્યસર્જનો અને પ્રત્યેક વિદ્યાશાખામાં પ્રભવેલો વિચારોત્તેજક જ્ઞાનરાશિ. મને દેશના આગલા સહસ્ત્રાબ્ધના ઉત્તરકાળમાં રસ નથી પડતો, થાય કે તે વર્ષોમાં રાજા-મહારાજાઓ શું રાણીવાસમાં જ આળોટ્યા કરતા’તા, જેને કારણે અને પરિણામે, વિદેશી આક્રમકો ચડી આવ્યા, આવ્યા તો આવ્યા, પણ રાજ કરવા લાગ્યા?

ઇતિહાસ કહે છે કે ગુપ્તયુગ પછીના છઠ્ઠીથી દસમી સદી સુધીના સમયમાં દેશ નાના-મોટા રાજકીય ટુકડાઓમાં વહેંચાઈ ગયેલો, અનેક પ્રાદેશિક રાજવંશ ફૂટી નીકળેલા. પરિણામે, ગુપ્તયુગના સામ્રાજ્યને બેઠું કરી શકાયેલું નહીં, અને દુ:ખદ તો એ કે ભારત વિદેશીઓ માટે આક્રમણભોગ્ય – vulnerable – બની ગયેલું. પાંચમી સદીમાં મધ્ય એશિયામાંથી હુણ આવેલા અને એમણે ઉત્તર ભારતને ધમરોળેલું. સાતમી સદીમાં આરબો આવ્યા, સિન્ધને કબજે કરવા સિન્ધુ નદીએ પ્હૉંચી ગયેલા અને એમનાથી વેપારધંધા અને સંસ્કૃતિ ખાસ્સાં પ્રભાવિત થયેલાં. ૧૧-મી સદીમાં તુર્ક આવેલા, એ ગઝની ઘોરી વગેરે વંશોએ ઉત્તર ભારત પર અંકુશ જમાવેલો અને એમનાથી રાજકીય તેમ જ સાંસ્કૃતિક પરિવર્તનો થયેલાં. પછી, જાણીતું છે કે મુઘલ આવ્યા અને છેલ્લે અંગ્રેજ આવ્યા.

એ આક્રમણોના સાહિત્યિક પ્રતિકાર રૂપે ૧૫-૧૬મા શતક દરમ્યાન પ્રગટેલો દેશવ્યાપી ભક્તિ-જુવાળ પણ મારા રાષ્ટ્રપ્રેમમાં રસાયેલો છે. વળી, ભારતની સર્વસમાવેશક વૃત્તિને બિરદાવતાં રવીન્દ્રનાથે લખ્યું હતું તે પણ મારા પ્રેમનું એક મહત્ કારણ છે : 

“આ’હેથાય આર્ય, હેથાય અનાર્ય, હેથાય દ્રાવિડ ચીન, 

શક હુણ દલ પાઠાન મોગલ એકે દેહે હોલો ઇન.” 

શું એને કવિતા કે કપોળકલ્પના કહીને હું ગટરવ્યવસ્થાની ચિન્તા કરું?

હા, સવિશેષે સમકાલીન યુનિવર્સિટીઓમાં, ખાસ તો, આર્ટ્સ ફૅકલ્ટીમાં અને તેમાં ય ગુજરાતી સાહિત્યના અધ્યયન-અધ્યાપનમાં, અવનતિની જે વાતો સાંભળવા મળે છે, એથી હું દુ:ખી છું અને એ દુ:ખ મારા રાષ્ટ્રપ્રેમનો જ હિસ્સો છે. તેમછતાં, હું કરદાતા તો છું જ, નથી એમ જરા ય નથી! 

+ +

હરારીની વિચારધારા એક બીજા મન્તવ્ય ભણી વળાંક લે છે. ગટરવ્યવસ્થા, સલામતી, કેળવણી કે આરોગ્ય વગેરે સેવાઓ માટે કર-માળખાં ઊભાં કરવાં પડે અને તેમ કરીએ એટલે અઢળક માહિતી એકઠી થઈ જાય – કરચૂકવણાં – તેની નૉંધણીઓ – નૉંધણીઓને સાચવવી – સંઘરવી, વગેરે. એ પછી એ માહિતી પ્રોસેસ થાય – સમ્પત્તિઓ – માફરકમો – દેવાં – બજેટો – બિલો – પગારો. હરારીનો મતલબ એ છે કે આ માહિતી એવી નથી કે તેને સ્મરણીય કાવ્ય કે પકડી રાખે તેવી આકર્ષક મિથમાં પરિવર્તિત કરી શકાય. 

હકીકતે, ટૅક્સ રૅકર્ડ્સ જાતજાતની યાદીઓ – lists – રૂપે વિભાજિત હોય છે, અને તે દરેક વિશે બેદરકાર રહેવાનું કે તેની અવગણના કરવાનું તો પાલવે જ નહીં. હરારી સ્પષ્ટ કહે છે : Poets can afford to ignore such mundane facts, but tax collectors cannot. 

એ યાદીઓ, વાર્તાઓ કરતાં ઘણી વધારે કંટાળાજનક હોય છે. વાર્તાઓ સરળતાથી યાદ રહી જાય છે. એ સાદી હકીકતના અનુલક્ષમાં ઉત્ક્રાન્તિવાદને આધારે હરારી જણાવે છે કે માહિતીને જો વાર્તાનો ઘાટ આપી દેવાય છે તો ભલેને એ મોટા જથ્થામાં હોય, માનવચિત્ત તેને ગ્રહી શકે છે, જાળવી શકે છે, પ્રોસેસ પણ કરી જાણે છે. 

આ વાતના સમર્થનમાં હરારીએ “રામાયણ”-નો ઉલ્લેખ કર્યો છે. એમના જ શબ્દો સાંભળો : The “Ramayana, one of the fundamental tales of Hindu mythology, is twenty-four thousand verses long one runs to about seventeen hundred pages in modern editions, yet despite its enormous length generations of Hindus succeeded in remembering and reciting by heart. એમણે ૨૦-મી અને ૨૧-મી સદીમાં “રામાયણ” પરથી ફિલ્મ અને ટી.વી.સીરિયલ બની, covid-19ના લૉકડાઉન સમયમાં સીરીઅલ રી-રન થઈ તેનો પણ ઉલ્લેખ કર્યો છે. 

હરારીએ આપેલું “રામાયણ”-નું આ દૃષ્ટાન્ત યોગ્ય નથી, કેમ કે ૨૪ હજાર શ્લોકોને અને તેનાં ૧,૭૦૦ પૃષ્ઠને વાંચવા કે તેનું પઠન કરવા સામાન્ય હિન્દુ ક્યારે ય પલાંઠી લગાવીને બેઠો નથી. કથાને શબ્દ શબ્દમાં ગ્રહણ કરવાની કે તન્તોતન્ત જાળવવાની તો વાત જ કેવી!

જો કે, ટૅક્સ રૅકર્ડ્સની વીગતોને સ્મૃતિની વિવિધ રીતોથી યાદ કરાય એટલે એ વાર્તા તો બની જાય, છતાં હરારી પૂછે છે કે પોતાના દેશના ટૅક્સ રૅકર્ડ્સ કે બજેટની વીગતો કયો નાગરિક શું કરવા યાદ રાખવાનો’તો? આરોગ્ય, કેળવણી કે સુખાકારીની સેવાઓ વિષયક માહિતી ગમે તેટલી આવશ્યક હોય તો પણ માનવચિત્ત તેને યાદ રાખવાને સમર્થ નથી. 

અને તેથી માનવશરીર સાથે જોડાયેલી ન હોય એવી એક non-organic ઇન્ફર્મેશન ટૅક્નોલૉજિની જરૂરત ઊભી થઈ, જે શોધાઈ, જેનું નામ છે, હરારી કહે છે, લિખિત દસ્તાવેજો – રીટન ડૉક્યુમૅન્ટ્સ.

= = =

(ક્રમશ:)
(04Dec24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

એન.ડી.ટી.વી.નો નથી કોઈ વાંક કે નથી ગુનો : પાંજરાનો પોપટ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 December 2024

ચોફેર : તપાસ કાર્યવાહીને નામે ધોંસ

પેચીદો સવાલ છે : આને અઘોષિત કટોકટી કહીશું કે ચાલુ કટોકટી? જેમ 1974-77 પછી આપણે સ્વરાજની બીજી લડાઈને બદલે ચાલુ લડાઈની રીતે વાત કરવા લાગ્યા છીએ  તેમ હવે ચાલુ કટોકટીની રીતે સતર્ક રહીએ તે કદાચ વધુ જરૂરી છે, એવું તો નથી ને?

પ્રકાશ ન. શાહ

સાંભળ્યું તમે? સૉરી તમે સાંભળ્યું તો હોય જ … પણ નોંધ્યું તમે? સાત સાત વરસના તપાસખેલ પછી સી.બી.આઈ. કહે છે, એન.ડી.ટી.વી.નો કસો વાંકગુનો નથી. એણે રિપોર્ટ રજૂ કર્યો તેના પર રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ શૈલેન્દ્રર મલિકનો થપ્પો પણ વાગી ગયો છે કે કોઈ વાતે કેસ નથી બનતો તે નથી બનતો.

વર્ષ 2017માં સી.બી.આઈ.ને શી ખબર શું સત ને શૂર ચઢ્યું હશે તે એમણે એન.ડી.ટી.વી.ના ફાઉન્ડર – પ્રમોટર પ્રણય રોય ને રાધિકા રોય પર તેમ આઈ.સી.આઈ.સી. બેન્કના ઓફિસરો ઉપર ગુનાઇત મેળાવીપણાથી માંડી સત્તાવાર હોદ્દાનો સરિયામ દુરુપયોગ શરૂ કીધો.

અહીં વાંચકે લગરીક પોરો ખાઈને એ હકીકતનો ખયાલ કરવો જોઈએ કે છેલ્લાં વર્ષો સ્વતંત્ર ટી.વી. જર્નાલિઝમની રીતે ઉત્તરોત્તર વધુ ને વધુ કસોટીનાં ને કટોકટીનાં બનતાં રહ્યાં છે. 2017 આવતા આવતાં જે ચિત્ર બન્યું તે એ બન્યું કે એન.ડી.ટી.વી. જેવી કોઈ રડીખડી ચેનલ ભિન્નમતનું કે અસંમતિના અવાજનું ઠેકાણું હશે તો હશે. એકતરફી એવો જે માહોલ સમાચારસંચારમાં જામ્યો એણે 2019ના લોકસભાની ચૂંટણીના પરિણામને 2014 કરતાં પણ જોરદાર ને ધારદાર સત્તા-પ્રતિષ્ઠાન તરફી વળ આપ્યો. 2024ની ચૂંટણીમાં એનું શ્રેય સ્થાપિત ટી.વી. ચેનલોથી ઉફરાટે યુ ટ્યૂબ વિસ્ફોટને જ આપવું જોઈશે. નહીં કે સોશિયલ મીડિયા એનું દાયિત્વ બધો વખત બરાબર સમજે અને આચરે છે, પણ ભિન્નમત અને અસંમતિના અવાજ માટે તેમ એકતરફી માહિતીમારાથી ઉફરાટે એક પ્રજાકીય પ્લેટફોર્મની કંઈક ગુંજાશ એણે જરૂર દાખવી છે.

પણ વાત આપણે એન.ડી.ટી.વી. પ્રકરણની કરતાં હતા. પિંજરના પોપટની ઓળખ પામેલ સી.બી.આઈ.એ પરબારી જે શોધ કરી હતી તે એ હતી કે એન.ડી.ટી.વી.ના કર્તાહર્તાઓએ આઈ.સી.આઈ.સી. બેન્ક પાસેથી લોન લીધી અને તે ભરપાઈ કરવાને મામલે લોન પરના 19 ટકા જેટલા વ્યાજને બદલે સાડા નવ ટકાને હિસાબે ચૂકવણી કરી. પૂરા 375 કરોડ રૂપિયાની આ લોન સામે એણે જે ઘટાડેલી વ્યાજચુકવણી કરી તેને પરિણામે આઈ.સી.આઈ.સી. બેન્કને સહેજે 48 કરોડ કે કંઈક વધુ રૂપિયાની ખોટ ગઈ. આ બેન્કખોટ(તે માટેના ભ્રષ્ટાચાર)ની શક્યતા દેખીતી રીતે જ ચોક્કસ બેન્ક અધિકારીઓ અને એન.ડી.ટી.વી.ના કર્તાહર્તાઓ (પ્રણય રોય અને રાધિકા રોય) વચ્ચેના ગુનાઇત મેળાપીપણાને કારણે ઊભી થઈ હોવી જોઈએ.

આમ, જે તપાસકારવાઈ ઉર્ફે ધોંસ શરૂ થઈ એથી એન.ડી.ટી.વી. જેને આમ પણ 2014થી સત્તા-પ્રતિષ્ઠાનથી સ્વતંત્ર સમાચારભૂમિકા માટે સરકારી ને ગેરસરકારી સ્રોતો તરફથી વેઠવું પડતું હશે એમાં ઉમેરો થયો. ઉત્તરોત્તર ખોટના ખાડા ને બીજી હરકતોને કારણે એન.ડી.ટી.વી.એ પોતાને એક અર્થમાં સંકેલવાનું (વેચાઈ જવાનું નહીં પણ ચેનલને વિધિવત વેચી છૂટા થવાપણું જોયું. (દરમિયાન, રવીશ કુમારે તો સ્વતંત્ર ચેનલ શરૂ કરવાનો રાહ લીધો જ હતો.) ગમે તેમ પણ, ચોક્કસ હવે ઉર્ફે ફાંસલો બનવા સાથે સ્ક્રિપ્ટ મુજબના પ્રમુખ સાથે એન.ડી.ટી.વી.નો માલિકીપલટો થઈ ગયો.

આ હેતુ સિદ્ધ થયા પછી પિંજરના પોપટે બીજું શું કરવાનું રહે, સિવાય કે એન.ડી.ટી.વી.ના કર્તાહર્તાઓ ને અને આઈ.સી.આઈ.સી. બેન્ક અધિકારીઓને ક્લીન ચિટ! રિઝર્વ બેન્કની ગાઇડલાઈન્સ મુજબ લોનભરપાઈમાં જે વિવિધ કારણો ને પરિબળ સર વ્યાજછૂટ અપાય છે તે પ્રમાણે જ સઘળા નિર્ણયો લેવાયા હતા. અને તે છૂટ કેવળ એન.ડી.ટી.વી.ને નહીં પણ આ ગાળામાં કુલ 83 જેટલા અલગ અલગ કેસોમાં અપાઈ હતી.

શું કહીશું ઉપસંહારમાં ? તરત ઊઠતો પ્રતિભાવ અલબત્ત એ હોઈ શકે કે આ ‘અઘોષિત કટોકટી’નો દાખલો છે. 1974-77ના સંદર્ભમાં આપણે ‘બીજા સ્વરાજ’ની અને સ્વરાજની બાકી લડાઈની રીતે વાત કરતાં હોઈએ છીએ. આ કિસ્સો લાગે છે, અઘોષિત કરતાં વધુ તો ચાલુ કટોકટીનોયે હોઈ શકે. સ્વાધીનતાનું મૂલ્ય, છેવટે તો, સતત સતર્કતા અને અતન્દ્ર જાગૃતિ જ હોઈ શકે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 05 ડિસેમ્બર 2024

Loading

સેલ્ફાઈટિસ અને નાર્સિસિઝમ વચ્ચે સીધો સંબંધ છે …

સોનલ પરીખ|Opinion - Opinion|4 December 2024

સેલ્ફીમાં વધુપડતા રચેલાપચેલા રહેતા હોય તેમને માટે ‘સેલ્ફાઈટિસ’ નામનો નવો ડિસઓર્ડર શોધાયાને પણ એક દાયકો થઈ ગયો છે. સંશોધનો કહે છે કે સેલ્ફીના અતિરેક અને નાર્સિસિઝમ પર્સનાલિટી ડિસઓર્ડરને સીધો સંબંધ છે. નાર્સિસિઝમ એટલે વ્યક્તિનું પોતાની જ મહાનતાના પ્રેમમાં હોવું તે, પણ આ મહાનતાની પાછળ છુપાઈ હોય છે અસલામત અને નિર્બળ આત્મગૌરવની વાસ્તવિકતા

સોનલ પરીખ

દસ વર્ષ પહેલા એક વાઇરલ સ્ટોરી ફરતી હતી કે અમેરિકન સાયક્યાટ્રિસ્ટ એસોસિયેશને જે લોકો સેલ્ફીમાં વધુપડતા રચ્યાપચ્યા રહેતા હોય તેમને માટે ‘સેલ્ફાઈટિસ’ નામનો નવો ડિસઓર્ડર શોધ્યો છે. વાત ત્યારે તો અફવા નીકળી પણ ત્યાર પછી સેલ્ફીના વળગણ વિષે વધુ સંશોધન થવા લાગ્યું. પાંચ વર્ષ પછી સેલ્ફાઈટિસ અફવા મટી વાસ્તવિકતા બની ગયો હતો.

મોબાઇલનો વપરાશ વિશ્વમાં 1975 આસપાસ અને ભારતમાં 1995 આસપાસ શરૂ થયો. આજે ભારત બીજા નંબરનું સૌથી મોટું મોબાઇલ ઉત્પાદક રાષ્ટ્ર છે. સ્માર્ટફોન પર સૌથી વધારે સમય વીતાવવામાં ભારતીયો પહેલા ક્રમે છે. સોશ્યલ મીડિયા સર્વિસિસ સાથે શરૂ થયેલા સેલ્ફી ટ્રેન્ડના પગલે વૉટ્સઅપથી માંડીને ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, થ્રેડસ, સ્નેપચેટ પર સેલ્ફીઓનું મહાપૂર આવ્યું છે. સેલ્ફીનું ગાંડપણ આખી દુનિયાને વળગ્યું છે. ઈન્ટરનેટ પર સેલ્ફી એક્સપર્ટ મોબાઈલનાં લિસ્ટ મળે છે. સેલ્ફી વધુ સારી રીતે લેવાય તેવી ટિપ્સ અને તેવાં ઉપકરણોનું બજાર ધમધમે છે. ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર સેલ્ફી સાથે મૂકવા માટે સેલ્ફી કેપ્શન્સ અને સેલ્ફી સ્ટેટસનાં સજેશન્સની ખૂબ ડિમાન્ડ છે. હિમાલયનો ખોળો ખૂંદવા જનાર પોતાના સામાનમાં સેલ્ફી-સ્ટિક જરૂર મૂકે છે. ખરું જોતાં એડવેન્ચર ટુરિસ્ટો સેલ્ફીની કલાને ‘ડેન્જરસ સેલ્ફી’ના અંતિમ છેડે લઈ ગયા છે. ભારતમાં પણ ડેન્જરસ સેલ્ફીનો ભારે મહિમા છે. આવી સેલ્ફી લેવા જતાં થતાં મૃત્યુની સંખ્યામાં ભારત મોખરે છે.

સેલ્ફી લેવાની એક મજા છે. તેને સોશ્યલ મીડિયા પર મૂકીએ અને લાઇક્સ મળે ત્યારે આવી જતા આત્મવિશ્વાસનો પણ એક આનંદ છે, પણ સતત સેલફીઓ પાડવી, તેને સોશ્યલ મીડિયા પર મૂક્યા કરવી અને લાઇક્સને માટે ટેન્શન લીધા કરવું એ માનસિક રોગ છે. સેલ્ફી લેવા લાંબા થયા કરતા હાથ કે કોણી દુ:ખી જાય તો ટેનિસ એલ્બોની જેમ સેલ્ફી એલ્બો થયો ન કહેવાય? મોબાઈલ નહીં મળે એવાં કાલ્પનિક ભયને નોમોફોબિયા કહે છે.

તાજેતરમાં થયેલો એક અભ્યાસ કહે છે કે સેલ્ફી સંદર્ભે સોશ્યલ મીડિયાના વધુ પડતા ઉપયોગ અને નાર્સિસિઝમ પર્સનાલિટી ડિસઓર્ડરને સીધો સંબંધ છે. નાર્સિસિઝમ એટલે વ્યક્તિને પોતાની જ સુંદરતાનું વળગણ હોવું તે. ઓછાવત્તા અંશે નાર્સિસિઝમ આપણા બધામાં હોય છે પણ નાર્સિસિઝમ પર્સનાલિટી ડિસઓર્ડર તદ્દન જુદી વાત છે. નાર્સિસિઝમ પર્સનાલિટી ડિસઓર્ડર એટલે સ્વકેન્દ્રીપણાનો ઘાતક બની જતો અતિરેક. મનોચિકિત્સકો નાર્સિસિઝમને સ્પેક્ટ્રમ કહે છે. સ્પેક્ટ્રમ એટલે ત્રિપાર્શ્વ કાચ, જેમાં પ્રવેશીને પ્રકાશનું સીધું કિરણ વક્ર બને અને તેના વક્રતાઅંશ મુજબ જુદા જુદા રંગ છૂટા પડે તેમ જુદી જુદી વ્યક્તિમાં જુદા જુદા પ્રમાણમાં નાર્સિસિઝમ હોય છે. નાર્સિસિઝમ પર્સનાલિટી ડિસઓર્ડર ધરાવતા લોકોમાં નાર્સિસિઝમનાં મૂળ અત્યંત ઊંડાં હોય છે. આવા લોકોનું આત્મગૌરવ અત્યંત નિર્બળ હોય છે. તેના ઉપર સુપિરિયારિટીનો અંચળો હોય છે. બ્રેઇન મેટર ઓછું હોવાથી આવું થાય છે એમ કહેવાય છે.

નાર્સિસસ ગ્રીક પુરાણકથાનું પાત્ર છે. નદી-દેવતા સિફિસસ અને અપ્સરા લિરિઓપના (કે પછી ચંદ્રની દેવી સેલીની અને તેના માનવપ્રેમી એન્ડિમિયનના) સંયોગથી જન્મેલો નાર્સિસસ અત્યંત દેખાવડો હતો. કથા કહે છે કે પાણીમાં પડતા પોતાના જ પ્રતિબિંબથી તે એટલો આકર્ષાયો કે તેને જોવામાં ભૂખતરસ ભૂલી ગયો. પર્વતપ્રદેશની અપ્સરા ઇકો તેને ચાહતી હતી, પણ નાર્સિસસને તેને જોવાની ફુરસદ ન હતી. પોતાના પ્રતિબિંબમાં જ મગ્ન રહી તે મૃત્યુ પામ્યો. એ જગ્યા પર જે ફૂલો ખીલ્યાં તેને નાર્સિસસ ફ્લાવર કહે છે. આપણે તેને નરગિસપુષ્પ તરીકે ઓળખી છીએ. ચીનમાં ડેફોડિલ્સ ફૂલોને નાર્સિસસ કહે છે. નાર્સિસસની કથા સાથે દેવ ઝિયુસની પત્ની હેરાની વાત પણ સંકળાયેલી છે. આ બધાં પાત્રો પ્રતીકો જેવાં છે. જાત સાથે પ્રેમ અને મૈત્રી એક વાત છે, પણ જાત પ્રત્યેનાં  આત્યંતિક મોહ અને આસક્તિ તો પોતાના અને અન્યના સર્વનાશને જ નોતરે છે તેવો ચોખ્ખો સંદેશ સદીઓ પહેલાંની આ પુરાણકથામાં છે જે આજે પણ એટલો જ સાચો છે.

આપણી આસપાસ આવા નાર્સિસિસ્ટો ફરતા હોઈ શકે. આપણામાં પણ આપણી જાણબહાર એકાદ નાર્સિસિસ્ટ વસતો હોઈ શકે. દર સો વ્યક્તિએ એક નાર્સિસિસ્ટ અને દર સો નાર્સિસિસ્ટે એક નાર્સિસિઝમ પર્સનાલિટી ડિસઓર્ડર એવી એક ગણતરી મુકાઇ છે.

કેવી રીતે ઓળખીશું આવા નાર્સિસિસ્ટોને?

નાર્સિસિસ્ટોની પ્રશંસાની ભૂખ જબરી હોય છે. લોકોના સમર્થન માટે તેઓ અત્યંત આતુર અને પ્રતિષ્ઠાના ભૂખ્યા હોય છે. માનસન્માન મેળવવા ગમે તે કરવા તૈયાર હોય છે. પોતાને અનોખા સમજવા અને બીજાને ફાલતુ તે તેમની પ્રકૃતિ હોય છે. પોતાના મહત્ત્વ અને સ્વ-આસક્તિમાં તેઓ એટલા રત હોય છે કે તેમને અન્ય લોકોની લાગણીઓ અને જરૂરિયાત સમજાતાં નથી. બીજાઓ તેમની સેવા માટે જ જન્મ્યા છે તેવો તેમનો ભાવ હોય છે.

આવા લોકોમાં એક આકર્ષણ હોય છે. તેઓ સંબંધો બાંધવામાં કુશળ હોય છે, પણ તેમના સંબંધો ઊંડાણભર્યા કે દીર્ઘજીવી ઓછા હોય છે. નાર્સિસિસ્ટો મોટેભાગે ‘ટેમ્પરામેન્ટલ’ હોય છે અને ‘ફ્લક્ચ્યૂએટિંગ મૂડ’ ધરાવતા હોય છે. તેઓ વધુ પડતા સંવેદનશીલ હોય છે. તેમનું વર્તન અકળ હોય છે. ક્યારેક ખૂબ ઉષ્માપૂર્ણ હોય તો ક્યારેક સાવ ઠંડા. ક્યારેક માયાળુ તો ક્યારેક તોછડા. અણધાર્યું વર્તન કરનારા. તેઓ ક્યારે કેવી રીતે વર્તશે તે ચોક્કસ કહી શકાતું હોતું નથી.

નાર્સિસિસ્ટો પોતાના વિષે વધારેપડતો ઊંચો ખ્યાલ ધરાવે છે પણ બીજાના આત્મગૌરવને સમજતા નથી. પોતાનો કક્કો ખરો કરવા માટે સાચી વાતનો ધરાર ઈનકાર કરવામાં અને ખોટા આરોપ મૂકી દેવામાં તેમને અચકાટ થતો નથી. પોતાના વિષે વધારે પડતો ઊંચો ખ્યાલ હોવાથી નિયમો કે શિસ્ત પોતાના માટે નથી એવું તેઓ માને છે અને નિયમો તોડવામાં કે હદ ઓળંગવામાં તેમને આનંદ આવે છે. તેમનામાં આડંબર અને પ્રદર્શનવૃત્તિ પુષ્કળ હોય છે. પોતાના અહંકાર માટે બીજાને ઉતારી પાડતા કે શોષણ કરી લેતા તેઓ ખચકાતા નથી.

સમાજનાં બંધનો તો સામાન્ય માણસો માટે હોય તેવું તેઓ માને છે. પોતે પણ એ પાળવા જોઈએ તેવું તેમને લાગતું નથી. ક્યારેક અસામાજિક પણ થઈ જાય છે. તેમનામાં એક જાતની આક્રમકતા હોય છે અને તેમની હાજરી નકારાત્મક વલયો ઊભાં કરનારી હોય છે. તેઓ કોઈ સાથે નિકટની મૈત્રી કેળવી શકતા નથી અને અન્ય કોઈ પણ તેમના અહમના વર્તુળમાં પ્રવેશી શકતું નથી. પોતે અન્યથી ઊંચા છે એવી સભાનતાને લીધે તેઓ લોકો સાથે હળતામળતા નથી અથવા તો ઉપકારભાવે હળેમળે છે.

આવા લોકો સાથે પનારો પાડે તો અકળાવું નહીં. શાંતિથી તેમને તેમની હદ સમજાવી દેવી અને પોતાની હકારાત્મકતા ન છોડવી એવી મનોવિજ્ઞાનીઓની સલાહ છે.

તાજેતરનાં સંશોધનો કહે છે કે સેલ્ફીનો અતિરેક નાર્સિસિઝમને વધારશે. દિવસની આઠથી વધારે સેલ્ફી પાડવી એ મોનોરોગની નિશાની છે. મોબાઈલનો ત્રણ કલાકથી વધારે ઉપયોગ હાનિકારક છે. દરેક પ્રકારનો અતિરેક ઝેર સમાન છે. પણ આપણને અતિરેકો ફાવી ગયા છે. મોબાઇલના વધુ પડતા ઉપયોગથી બ્રેઇન ટ્યુમરમાં 74 ટકાનો, નપુંસક્તમાં 37 ટકાનો, હૃદયરોગમાં 45 ટકાનો, ગર્ભમાંના બાળક પર થતી અસરમાં 21 ટકાનો, શ્રવણક્ષમતાના ઘટાડામાં 80 ટકાનો, અલ્ઝાઇમર્સમાં 11 ટકાનો અને પાર્કિન્સનમાં 3 ટકાનો વધારો થાય છે એવાં આંકડા આપણે ઠંડાં કલેજે વાંચી છીએ અને ચેતવણીઓને ઘોળીને પી જઈએ છીએ. સેલ્ફી સિન્ડ્રોમનું પણ એવું જ થયું છે.

એવું પણ કહેવાય છે કે સેલ્ફી અ ડે કીપ્સ અ ફ્રેન્ડ અવે – સેલ્ફી લો ને મિત્ર ગુમાવો.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 03 નવેમ્બર  2024

Loading

...102030...334335336337...340350360...

Search by

Opinion

  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved