Opinion Magazine
Number of visits: 9584245
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રવાસ અને હોલીડેમાં તફાવત

આશા બૂચ|Opinion - Opinion|31 July 2017

જુલાઈ-ઓગસ્ટના મહિના એટલે ખાસ કરીને યુનાઇટેડ કિંગ્ડમ નિવાસીઓ માટે ‘હોલીડે સિઝન’. લોકોને અચૂક ક્યાંક ‘ને ક્યાંક હોલીડે પર જતા જોઉં અને મારા સ્મૃિતપટલ પર મેં નાનપણમાં કરેલા પ્રવાસો સાથે તેની સરખામણી થઇ જાય.

‘ચરાતિ ચરતો ભગ:’, ‘ચરે તે ફરે અને બાંધ્યો ભૂખે મરે’, ‘જીવ્યાં કરતાં જોયું ભલું’ આ અને આવી કહેવતો સદીઓથી આપણી સંસ્કૃિતનો અંતર્ગત ભાગ રહી છે. આદમી પેદા થયો ત્યારથી કુતૂહલવશાત્‌ ગામ-પરગામ અને દેશ પરદેશ જતો આવ્યો છે. આજીવિકાની શોધમાં, વ્યાપાર અર્થે, વધુ અભ્યાસાર્થે, સાહસિક પ્રવાસો કરવાના હેતુસર, લડાઈઓ કે અન્ય દેશો પરના શાસન કરવાની ફરજને પરિણામે માણસ જાણે કદી એક જગ્યાએ કાયમ માટે રહ્યો હોય તેવું બન્યું નથી.

ભારતની વાત કરીએ તો આપણા વડવાઓ સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં ચાર ધામની યાત્રાએ જતા. ધાર્મિક દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવતાં સ્થાનો પણ જાણે ગણતરીપૂર્વક એવી જગ્યાએ ઊભાં કરેલાં જોવા મળે છે કે શ્રદ્ધાળુઓ એ બહાને રણની બળબળતી રેતમાં મુસાફરી કરે, શીત પર્વતોના શિખરો પર કડકડતી ઠંડીમાં પણ ચડે, નદી અને દરિયો ખેડવાનું સાહસ કરીને પણ ઈશ્વરને શીશ નમાવવા જવાની પરંપરાને અનુસરતો આવ્યો છે. એ રીતે માનવી પ્રકૃતિની નિકટ જતો, તેને પારખતો અને તેના અદ્દભુત સૌંદર્યને પામીને ધન્ય થતો.

આધુનિક સમયમાં આનંદ-પ્રમોદ માટે અને પોતાના દેશની અતિશય ઠંડી કે ગરમીથી છૂટકારો મેળવવા ‘હોલીડે’ પર જવાની પ્રથા પ્રચલિત થઇ છે. આ શોખ પહેલાં ધનાઢ્ય દેશોની પ્રજાને તેમ જ ગરીબ દેશોના ધનવાન લોકોને પોસાતો, હવે તેમાં દુનિયાના તમામ દેશોના ધનિક, ઉચ્ચ મધ્યમ અને મધ્યમ વર્ગના લોકો પણ ભળ્યા. સારું જ થયું. યાતાયાતનાં સાધનો વધ્યાં, વધુ ઝડપી થયાં અને એ ખર્ચને પહોંચી શકે તેવા લોકોની સંખ્યામાં વધારો થયો, તેથી સાહેબો વિદેશ પ્રવાસ કરે અને કારકૂન મોં વકાસીને બેસી રહે એ દિવસો પૂરા થઇ ગયા, એ સ્થિતિ આવકાર્ય છે. પણ ઝીણવટથી જોતા લાગશે કે આપણા વડવાઓના કાળની ‘યાત્રાઓ’, આપણા નાનપણના સમયના ના ‘પ્રવાસ’ અને આજના યુગના ‘હોલીડે’માં ઘણો તફાવત છે.

મને યાદ આવે છે અમે સહેલગાહ કરવા જતાં તેની. ગામમાં આવેલ નાનાં મોટાં બગીચા, નદી કિનારો, દરિયા કિનારો, ટેકરી પર આવેલ મંદિર, અરે નાનું રેલવે સ્ટેશન પણ આવી આનંદ યાત્રાનું સ્થળ બની જતું. મોટે ભાગે ચાલીને સમવયસ્ક મિત્રો સાથે પૂર્વ યોજના વિના કોઈ રવિવારે કે શાળાની રજાઓ દરમ્યાન વહેલી સવારે નીકળી પડતાં. જો કે અમારી સાથે કોઈ એકાદ બે મોટેરાંઓનો સાથ રહેતો જેથી સહીસલામત ઘેર પહોંચવાની ખાતરી રહે. સાથે લઇ જવા દરેકની માવડીઓ એ સહેલગાહનું સ્થળ નજીક હોય તો ઘેર બનાવેલ સેવ-મમરા, શીંગ-રેવડી, ગોળપાપડી અને નમકપારા આપે અથવા જો આખા દિવસની સહેલગાહ હોય તો વળી થેપલાં અને શાક, સાથે અથાણું અને ડબ્બામાં દહીં ભરી આપે. રમવા માટે નાના મોટા દડા, રીંગ અને કૂદવાની દોરી, બસ બીજું કઇં નહીં કેમકે ઊભી ખો, બેઠી ખો, નાગોલ, લંગડી, હુતુતુ વગેરે તો સાધનો વિના જ રમી શકાય. પાછા ફરીએ ત્યારે ગામની સીમમાંથી હાથે વીણેલાં ચણી બોર, કોઈ વાડીમાં કામ કરનારે આપેલ જમરૂખ કે એવું કૈંક લઈને ઘેર આવીએ ત્યારે તો શું ય મોટી મિલકત કમાયાનો આનંદ થતો.

એવું જ 50/60/70ના દાયકાઓમાં કરેલ પ્રવાસોની મીઠી યાદ આવે. અમારી નિશાળમાં દર એકાંતરે વર્ષે શૈક્ષિણક પ્રવાસ થતો. વળી હું એટલી નસીબદાર કે અમે અમારા પરિવાર સાથે અનેક સંમેલનો, પરિષદો, શિબિરોમાં ભાગ લેવા દેશના ખૂણે ખૂણે જતાં. આ બધાં ય સ્મરણોને ટપી જાય તેવા એક શિબિરના ભાગરૂપ પર્યટન પર ગયેલા એ હંમેશ યાદ રહેશે. મારી ઉંમર 16/17ની હશે. રચનાત્મક કાર્યકરોનાં સંતાનો માટે એક ખાસ શિબિર ભાવનગર જિલ્લાના મણાર ગામે યોજેલી. સવાર-સાંજ સ્વ. મનુભાઈ પંચોળી અને વજુભાઇ શાહ તથા અન્ય સમાજસેવીઓ, શિક્ષણવિદ્દ અને કવિઓ પાસેથી કથા-વાર્તા અને વિવિધ વિષયો પરની ચર્ચાનું પાન કર્યા પછી આસપાસના ટેકરાઓ ચડવા, ખેતર-વાડીમાં રખડવા અને દરિયા કિનારે નાહવા જતાં એ પ્રદેશની જમીન, પર્વત, રેતી અને પાણીની લાક્ષણિકતાઓ, ત્યાં ઊગતી વનસ્પતિ, અનાજ, ફળફળાદિ અને ફૂલોની જાણકારી અમને જે તે વિષયોમાં નિષ્ણાત લોકો પાસેથી તેમની સાથે ચાલતાં-દોડતાં મળી ગઈ. તેને કહેવાય શૈક્ષણિક પ્રવાસ.

અહીં ગુજરાતના શિક્ષણશાસ્ત્રી સ્વ. નાનાભાઈ ભટ્ટનું પ્રવાસની સાર્થકતા વિષે કરેલ વક્તવ્ય ટાંકીશ તો યથાયોગ્ય થશે. એમણે કહેલું, “પ્રવાસમાં સીધી રીતે જ્ઞાન મળો કે ના મળો પરંતુ ગૃહ અને શાળાની સાંકડી દીવાલોને લાત મારીને વિદ્યાર્થી બહાર કુદરતમાં ઊતરી પડે, ઘડીભર શિષ્ટ સમાજનો શિષ્ટ બાળક મટી જઈ એકવાર ફરીથી કુદરતનો બચ્ચો બની તેની ગોદમાં આળોટી લે અને સૌંદર્યનું ધરાઈ ધરાઈને સ્તનપાન કરી લે, જનતા અને ભ્રાતૃભાવનાં લાંબાં ચોડાં વ્યાખ્યાનો સાંભળવાને બદલે જનતા જ્યાં પડી છે ત્યાં તેને ઢુંઢીને ઓળખી લે અને એવી ઊંડી ઓળખ ઉપર જાણ્યો અજાણ્યે ભ્રાતૃભાવના ચણતર ચણે, પોતાની આસપાસ ઝાડપાન, ફળ-ફૂલ, પંખી, પશુ, કીટ વગેરે સૃષ્ટિ જીવતી જાગતી પડી છે, તેને તેના શુદ્ધ સ્વરૂપમાં ઓળખી લે, ઇતિહાસના અર્થહીન થોથાંને ત્યાગીને જે સ્થળોએ આ ઇતિહાસ ઘડાયો છે ત્યાં તેનું પરિશીલન કરે, ભૂગોળની જડ, કે શાબ્દિક વ્યાખ્યાઓ ગોખવાને બદલે એ ડુંગરાઓ, એ ઝરણાંઓ, એ સાગર વગેરે સાથે ખૂબ રખડી રખડીને સહવાસથી તેમનું હાર્દ પી જાય, ઘેર આરામખુરશીમાં પડ્યાં પડ્યાં ચંડોળ, બુલબુલ અને સાગરની કવિતાનો પદચ્છેદ કરવાને બદલે એ ચંડોળ, બુલબુલ અને એ સાગરને ચરણે બેસીને તેમનું કવન સાંભળે અને એ સર્વના પરિણામે પોતાના જીવનમાં અવનવો સંભાર ભરી લે એમાં જ આવા પ્રવાસોની સાર્થકતા છે.”

અમારા મોટા ભાગના પર્યટનો અને પ્રવાસો નાનાભાઈ ભટ્ટે વર્ણવેલ લાક્ષણિકતા ધરાવતા હતા તેથી જ તેની સાર્થકતા આજે પણ અકબંધ લાગે છે. કેમ કે એ તમામ પ્રવાસો ટ્રૈન કે બસમાં થતા. સફરની ગતિ ધીમી. બસ કે ટ્રૈનની બારીમાંથી ઉંધી દિશામાં દોડતાં વૃક્ષો, વીજળીના થાંભલાઓ ગણવાની મોજ પડતી. ખેતરોમાં ઊગેલ પાક ઓળખવાની કોશિશ કરતાં ખોટા પડીએ તેની રમૂજ થતી અને એ રીતે જુદા જુદા પ્રદેશમાં ઊગતાં અનાજ અને ફળોની ઓળખ થતી. રેલવેની અને સ્ટીમરની સફર કાયમ મારા મનથી વધુ રોમાંચક રહી છે. જ્યારે ગુજરાતમાં દૂરના સ્થળે કે દેશના અન્ય રાજ્યોમાં જવાનું થતું ત્યારે દરેક સ્ટેશને જુદા જુદા પોશાક પહેરેલા, જુદી બોલી અને ભાષા બોલનારા, જાતજાતની પ્રાદેશિક વાનગીઓ વેંચતા લોકો ભારતની ભાતીગળ પ્રજાની ઝાંખી કરાવે એ બહુ ગમતું. રાજસ્થાન આવે અને માટીની કુલડીમાં ગરમ ચાય અને ઠંડું દહીં મળે, મીઠી રબડી વેચાય. દિલ્હી-આગ્રાના સ્ટેશને પેઠાં અને ઈમરતિયા પડિયામાં મળે. મુંબઈ તરફ જતાં ચીકુ, એલચી કેળાં, તાજા તાડગોળા, ડાકોરનાં ભજિયાં, સુરતની ઘારી, વગેરે અનેક વાનગીઓ એ શહેરમાં પગ મુક્યા વિના રેલવે સ્ટેશન પર જ ચાખવા મળતી. આંખો એ દ્રશ્યોને મનભરીને માણતી અને કાન વિવિધ ભાષાઓ અને બોલીઓથી ટેવાતા જતા, તો વળી ઘ્રાણેન્દ્રિયને કોઈ જુદો જ અનુભવ થતો.

કોઈ ધર્મશાળામાં રોકાવાનું બને અને જો ભોગેજોગે પ્રવાસીઓમાંથી કોઈ માંદું પડે તો ધર્મશાળાનો માલિક તેને માટે દવા, ખોરાકની સગવડ કરાવી આપે અને ક્યારેક તો પોતે બિમાર વ્યક્તિનું ધ્યાન રાખી, અન્ય સહુને નગર દર્શન કરવા મોકલે એવી માણસાઈના અનુભવ જાણ્યા છે. ઘણા યાત્રાના સ્થળોએ પોતાના પ્રાંત કે જ્ઞાતિ સંચાલિત રહેવા-જમવાની સુવિધાવાળા સુંદર ધામમાં રહેવાની તક મળે અને તેમાં ય જો કોઈ ગરમ ગરમ રોટલી અને ખીચડી આગ્રહ કરીને પ્રેમથી પીરસે ત્યારે તો ઘરના સ્વજનના વ્હાલપની વર્ષા થયાનો આભાસ થાય. ત્યારે એ પ્રવાસ વધુ સ્મરણીય બની રહેતો. આપણા વડવાઓ સ્ટીમરમાં વિદેશ જતા અને બે કે ત્રણ અઠવાડિયાંની સફર દરમ્યાન સાથી મુસાફરો સાથે મૈત્રી બંધાતી અને સહુ એકબીજા સાથે ગમ્મ્ત કરે, રમતો રમી શકે, સાથે બેસીને ભોજન લઇ શકે એટલે એક બૃહદ્દ પરિવારમાં રહ્યાની મોજ માણીને સફર થતી એવો એ જમાનો હતો.

મને હંમેશ જોવાલાયક ઐતિહાસિક અને સાંસ્કૃિતક મહત્ત્વ ધરાવતાં સ્થળો જોવાનું જેટલું આકર્ષક લાગ્યું હતું તેટલું જ અન્ય પ્રાંતોમાં વસનારાઓની રહેણી કરણી, ખોરાક-પોશાકની પ્રણાલી અને ખાસ કરીને તેમની ભાષાની ખૂબીઓ માણવાનું ખૂબ જ ગમતું. વિનોબાજીએ ખરું જ કહ્યું છે કે ભારત દેશ માત્ર ભૌગોલિક રીતે એક ભૂ ખંડ છે માટે એક દેશ છે એ સાચું નથી, તેની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો, કવિઓના કવનો અને યાત્રા કરવા જવા જેવી પરંપરાઓને કારણે જે ભાવાત્મક એકતા કેળવી શક્યું છે, તેને કારણે એક રહ્યું છે. આવી રીતે પ્રવાસ કરવાથી અન્ય લોકોનો પરિચય સહજ રીતે થાય, તેમની અલગ રીતભાત અને જીવન પદ્ધતિ, લોક સંસ્કૃિત તથા માન્યતાઓ પ્રત્યે સહિષ્ણુતા કેળવાય, એટલું જ નહીં પણ તેમને માટે એક પ્રકારની બંધુત્વની લાગણી ઊભી થયા વિના ન રહે.

હું છેલ્લા કેટલાંક વર્ષોથી હોલીડે પણ લેવા લાગી છું. ઇન્ટરનેટ પર માહિતી મેળવી, ગમતો દેશ કે શહેર પસંદ કરીને ત્યાં ખિસ્સાને પોસાય તેવું રહેઠાણનું બુકીંગ કરવી દો એટલે પત્યું. પછી યુનાઇટેડ કિંગ્ડમમાં રજા ગાળવાની હોય તો પોતાની કારમાં બને તેટલી ઝડપથી મુસાફરી કરીને ગંતવ્ય સ્થાને પહોંચવાનું રહે. અલબત્ત, એ દોડમાં પણ પેલું પ્રાકૃતિક સૌંદર્ય માણવાનું શક્ય જરૂર બને, જો તમે પોતે કાર ચાલક ન હો તો. વિદેશ યાત્રા તો હવે હવાઈ જહાજ દ્વારા જ થાય અને મોટા ભાગનાં એરપોર્ટ લગભગ એક સરખાં લાગે, તેની અંદરની સુવિધાઓ, દુકાનો, સૂચના આપતાં યંત્રો એ તમામ સરખું. સ્વભાષાનો આગ્રહ સેવનાર દેશોમાં વળી તેમની ભાષામાં સાઈન બોર્ડ દેખાય નહીં, તો પેલી વિશ્વભાષા જ (ઇંગ્લિશ જ તો વળી) બધે દેખાય અને બોલાય એટલે પેલું ભાષા વૈવિધ્ય માણવાની મજા ઓછી આવે. જો કે યુરોપિયન પ્રજા એ રીતે આપણને જુદો અનુભવ કરાવે ખરી. હવે ભાષા, ખોરાક અને પોશાકની વિવિધતા જોવા જરૂર મળે, પણ તે જે તે દેશમાં પહોંચીએ ત્યારે, માર્ગમાં નહીં. તેમાં જો સિટી બ્રેક’ લીધો હોય તો તમામ મેટ્રોપોલિસ એવાં તો એકબીજાંની નકલ કરીને બનાવેલાં લાગે કે ન્યુયોર્કમાં ફરતાં ફરતાં મન સતત તેની મુંબઈ સાથે સરખામણી કર્યા કરે અને ક્યારેક તો ‘આના કરતાં આપણું કલકત્તા કે બેંગ્લોર સારું’ એવી લાગણી થાય. ખરી મજા તો કોઈ પણ દેશના અંતરિયાળ ભાગમાં જઇ, ત્યાંના લોકો વચ્ચે રહીને જાતે ખરીદી કરી, રસોઈ કરીને રહો તો આવે અને તો જ બીજી સંસ્કૃિતનો પરિચય થાય.

હોલીડે પર જઈએ ત્યારે જાણે બીજા પ્રદેશના લોકોના સ્વભાવ, ઉદારતા, આગતાસ્વાગતા અને તેમની ખૂબી-ખામીઓ જાણવાની તક ન મળે કેમ કે હોટેલના કર્મચારીઓ સરખા એટિકેટને જ અનુસરે.  સામાન ખોવાય કે માંદા પડીએ તો ટ્રાવેલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીવાળા મદદ કરે. વળી મુસાફરી એટલી ઝડપી બની છે કે તે દરમ્યાન કોઈ સાથે પરિચય કેળવવાની તક મળે જ નહીં. જો કે તેનો એક ફાયદો એ થયો કે આજે પાંચ-દસ હજાર માઈલ દૂરના દેશોમાં પણ લોકો સહેલાઈથી જઇ શકે છે. આજે હવે ટ્રીપ કે હોલીડે પર જઈએ ત્યારે ભાતું સાથે લઇ જવાની તડખડ નહીં, એટલે જુદાં સ્થળની અવનવી વાનગીઓ ચાખવા મળે. હવે તો દરેક સ્થળની માહિતી લખેલી મળે, જાતે વાંચીને જાણી લો, કોઈ ગાઈડની જરૂર નહીં. મારગ ભૂલો તો નકશો જોઈ લો, કોઈને પૂછવાની પીડા નહીં. સત્તર વર્ષ પહેલાં જીનિવામાં અમે એક દંપતીને રસ્તો પૂછ્યો અને એમણે હિન્દીમાં જવાબ આપ્યો, તેવે ટાણે એકમેકને મળીને પારાવાર આનંદ થયો તેવો અવસર આજના ‘હોલીડે મેકર્સ’ને આવતો હશે?

જ્યારથી હોલીડે લેતી થઇ છું ત્યારથી જાણે ઘણાં ઐતિહાસિક, પ્રાકૃતિક અને સાંસ્કૃિતક સ્થળો વિષે જાણતી થઇ છું એમ લાગે, પણ જાણે જે તે દેશ-પ્રાંતના લોકોના સંપર્કમાં આવ્યા વિના એ પ્રવાસ અધૂરો લાગે છે. 2005ની સાલમાં અમે અજમેરમાં એક હવેલીમાં રહ્યાં અને રાતના ભોજન બાદ એક કઠપૂતળીનો ખેલ જોયો, ત્યારે ખેલ કરનારા કલાકારોએ પોતાના કસબ અને અનુભવોની વાતો માંડી તો ચન્દ્ર આભમાં ક્યાં ય ઊંચે ચડી ગયો તેનું ઓસાણ ન રહ્યું. અમે તેમને આવી રસાળ વાતો કહેવા બદલ નાની રકમ આપવા આગ્રહ કર્યો, તો કહે, “બહેનજી, મેરે ભાનજેકો કહાની સુનાનેકી ક્યા હમ કિંમત લેંગે?” આવો અનુભવ શું આજે ન્યુયોર્કના ગ્રાઉન્ડ ઝીરો પરના સ્મારક જોવા જતાં થતો હશે?

મને તો મારા બાળપણની સહેલગાહો, પર્યટનો, પ્રવાસો, યાત્રાઓમાં જે લહેજત આવેલી તેવી જ આજની ટ્રિપ્સ અને હોલીડેમાં આવે છે, છતાં જાણે પહેલાં હું જે તે સ્થળને સમગ્રતયા પામતી, અનુભવતી અને આત્મસાત કરી શકતી હતી. ત્યાંની સોડમ મારી સાથે આવતી. મારું દિલ ત્યાં રહી જતું. હવે જાણે દૂર સુદૂરના દેશમાં જઇ, કોઈ ઇમારત, સ્મારક, કે કુદરતી અજાયબી જોઈ, તેના વિષે જાણીને પાછી આવું છું. લાગે છે, ઇન્ટરનેટ પર કે વિકિપીડિયા દ્વારા તમામ જોવાલાયક સ્થળોની જે જોઈએ તે માહિતી ફોટા સહિત મળી રહે છે, હવે હજારો ખર્ચીને હોલીડે પર જવાનો શો મતલબ?

કદાચ મારા જૂના પ્રવાસોની સળવળી ઊઠેલી સ્મૃિતઓ જેવો અનુભવ ફરી ક્યાંક મળી આવે તે માટે સફરની નવી રીત અને સ્થળોની શોધ કરતી રહીશ.

e.mail : 71abuch@gmail.com

Loading

‘ધ મિનિસ્ટૃી અૉવ્ અટમૉસ્ટ હેપિનેસ’

ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી|Opinion - Literature|31 July 2017

આક્રમક અને ભગવાકરણની રાજકીય – સાંસ્કૃિતક ઊથલપાથલ ભારતમાં થઈ રહી છે. એનો ચિતાર અરુંધતી રોય પોતાની નવલમાં − The Ministry of Utmost Happinessમાં સરસ રીતે રજૂ કરે છે. કાશ્મીરમાં જે થઈ રહ્યું છે અને ‘એન્કાઉન્ટર્સ’[encounters]માં જે વરવાં રાજકારણનું રૂપ દેખાઈ રહ્યું છે એને ખૂલું પાડવામાં અરુંધતી રોયે અજબગજબની ભાષા અને શૈલી વાપરી છે, તેમ જ પાત્રોનો ય ઢગલો એમણે સર્જ્યો છે. અમુક વખતે વાંચતાં કંટાળો પણ આવે, પરંતુ ધ્યાન-મનન-પૂર્વક વાંચતાં ઘટનાની સચ્ચાઈનો અને લેખિકાની અનુભૂિતનો ખ્યાલ આવે છે. એનો પુરાવો કાશ્મીરમાં બની ગયેલી એક ઘટનાના સમાચારમાંથી મળે છે. લેખિકા લખે છે :

“Is this the Azadi (freedom) we are fighting for that we have begun lynching people ? What shall we do with such Azadi”, asked an aggrieved relative of Mohammed Ayub Pandith, a Deputy Superintendent of Police who was brutally lynched by a mob outside Srinagar’s Grand Mosque (last week of June).

The incident has shaken the very core of the Kashmir Valley, a region that has for ever remained controversial and rife with violence. After decades of hatred, unshakeable hostility, aggressive movements from jihadis, and separatists, resistance from the locals, and reported Army atrocities, it took a police officer’s life for Kashmir to finally take a break, and a good look at itself.

અરુંધતી રોયની નવલકથા ઘણી જ વિચારપ્રેરક રહી; અને કલમની તાકાતનો ક્યાસ આપતી રહી.

26 જુલાઈ 2017

બર્મિંગમ, યુનાઇટેડ કિંગ્ડમ

Loading

લાઇબ્રેરીઓ રૂપી ભર્યા ભંડારો ન હોત તો આજનો માહિતીયુગ વામણો રહી ગયો હોત, ઇન્ટરનેટ માયકાંગલું રહી ગયું હોત

સુમન શાહ|Opinion - Literature|30 July 2017

વૉશિન્ગટન-ડીસીમાં કૅપિટલ હિલ ખાતે આવેલી ‘ધ લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’ વિશ્વની મોટામાં મોટી લાઇબ્રેરી છે

અમેરિકાની ‘લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસે’ ‘ધ કાર્ડ-કૅટલોગ…’ નામનો ગ્રન્થ બહાર પાડ્યો છે. એક જબરી સાંસ્કૃતિક ઘટના -જે આજકાલ સમાચારોમાં છે. વૉશિન્ગટન-ડીસીમાં કૅપિટલ હિલ ખાતે ત્રણ બિલ્ડિન્ગમાં પથરાયેલી ‘ધ લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’ વિશ્વની મોટામાં મોટી લાઇબ્રેરી છે. યુનિવર્સલ. કેમકે એમાં વિશ્વભરની ૪૫૦-થી પણ વધુ ભાષાઓનાં ૩૮ મિલિયન પુસ્તકો છે. ૭૦ મિલિયન હસ્તપ્રતો, ૩-થી વધુ મિલિયન રૅકૉર્ડિન્ગ્સ, ૧૪ મિલિયન ફોટોગ્રાફ્સ, ૫-થી વધુ મિલિયન નક્શા. બધું મળીને ૧૬૪ મિલિયન આઇટેમ્સ. અપારની વિવિધતા છે : રાષ્ટ્ર નાતજાત કે ધરમકરમના કશા જ ભેદભાવ વગરના સંખ્યાબંધ વિષયો. પુસ્તકો, ક્રાઉન ડૅમિ વગેરે વિવધ આકારોમાં. દુનિયાના કેટલાય દેશોમાં ચાલતાં સંશોધનોના નમૂના અને સિદ્ધ સંશોધનગ્રન્થો. ૧૮૦૦-માં સ્થપાયેલી આ લાઇબ્રેરી પહેલાં તો ન્યૂ યૉર્કમાં હતી. ૧૮૧૨-ના યુદ્ધમાં બ્રિટીશરોએ લાઇબ્રેરીની ઘણી બધી સામગ્રીનો નાશ કરી નાખેલો. એટલે પ્રૅસિડેન્ટ થૉમસ જેફરસનની અંગત લાઇબ્રેરીનાં બધાં જ પુસ્તકો ખરીદી લઇને એને સ-જીવન કરાયેલી. આજે તો એનું બજેટ $642 મિલિયન છે. પણ એના સર્વપ્રથમ ગ્રન્થપાલ જ્હૉન જે. બેકલિનો પગાર, ધારો તમે, કેટલો હશે ? હન્ડ્રેડ થાઉઝન્ડ્સ ? ના. રોજના બે ડૉલર ! પાછું એણે ‘હાઉસ ઑફ રીપ્રેઝેન્ટેટિવ્સ’-નું કારકુનીકામ પણ કરવાનું !

ગ્રન્થનું આખું શીર્ષક છે, ’ધ કાર્ડ-કૅટલોગ : બુક્સ, કાર્ડ્ઝ, ઍન્ડ લિટરરી ટ્રેઝર્સ’. પ્રકાશન વર્ષ, ૨૦૧૭. હાર્ડ કવર. 7.9 x 1 x 9.4 inches સાઇઝ. ૨૨૪ પેજીસ. મૂલ્ય $22.48. એમાં, દન્તકથારૂપ લાઇબ્રેરી ઑફ અલેક્ઝાન્ડ્રિયા-થી માંડીને ૧૯૭૬-થી શરૂ થયેલી કમ્પ્યૂટરાઇઝ્ડ બુક ઇન્વેન્ટરી ડેટાબેસિસ લગીની તવારીખ છે. લાઇબ્રેરી નામની માનવીય વ્યવસ્થાનો સંક્ષિપ્ત ઇતિહાસ, એનો સર્વસાર.

આ વાતે મને મારો એક વરસોજૂનો બનાવ યાદ આવે છે : ૧૯૮૨ આસપાસની વાત. બનેલું એમ કે યુનિવર્સિટી લાઇબ્રેરીમાંથી મારે એક પુસ્તક જોઇતું’તું. ત્યાં ઘણાં કાર્ડ્ઝ, પણ મને આવડે નહીં એટલે ઘણી વાર પછી એક કાર્ડ પર પુસ્તકનું નામ અને નમ્બર શોધી શકેલો. કાપલી બનાવીને હું ઘોડો શોધતો રહ્યો -જે પર મને જોઇતું પુસ્તક અસવાર હતું. બહુ વાર લાગી. હું બેઝમૅન્ટમાં ગયો. બાજુમાં એક મદદનીશભાઇ ફરતો’તો. મેં એને કહ્યું, આ જોઇએ છે, ઘોડો બતાવશો ? મેં કાપલી એના હાથમાં મૂકી. એ લઇને એ જેમજેમ આમતેમ ભમતો થયો તેમતેમ હું પણ એની પાછળ ને પાછળ આમ ને તેમ ભમતો રહ્યો. કંટાળીને મેં પૂછ્યું -કેટલે છે ? તો કશો ઉત્તર નહીં. અમારી ઘોડશોધ ચાલુ રહી. પછી ઘોડો મળ્યો, પણ એ તો તરત ચાલી જવા લાગ્યો ! મેં કહ્યું, અરે પણ, પુસ્તક શોધવામાં મદદ તો કરો ! તો પણ એ ચૂપ ચાલતો રહ્યો, કશો ઉત્તર નહીં. મેં ઘણાં પુસ્તક ઉથલાવ્યાં, પણ નિષ્ફળતા જ મળી. કેમકે ઘોર અવ્યવસ્થા હતી. મને થાય, યુનિવર્સિટી-લાઇબ્રેરીમાં મદદનીશ વ્યક્તિ યુનિવર્સિટી-ટીચરને મદદ કદાચ ન કરે પણ મૂંગાની જેમ કશો ઊથલો જ ન આપે એ તે શી વાત છે ! મેં દયનીય વદને જોયું તો એ બીજા ઘોડાઓ પરની ધૂળ ઉડાડતો’તો. એની નિકટતમ જઇ મેં કહ્યું -પ્લીઝ, નથી મળતું, મદદ કરોને. ડોકું નકારમાં હલાવતો એ નિ:શબ્દ ત્યાંથી પણ ચાલી ગયો.

એ દિવસોમાં મને આવી સિસ્ટમલેસ સિસ્ટમ માટે ગુસ્સો બહુ આવે -હશે મારી ઉમ્મર ૪૨. એટલે, હું સીધો પ્હૉંચ્યો મુખ્ય ગ્રન્થપાલ પાસે. વીતકકથા કથી. તો એ હસે ! મેં પૂછ્યું : હસો છો શું ? તો કહે : સુમનસર, એ તો મૌની છે, એની વાઇફ મરી ગઇ એ પછી એણે ચિરકાલીન મૌન ધારણ કર્યું છે : મેં કહ્યું : તો પછી એને દૂધેશ્વર-સ્મશાન પાસેના કોઇ મન્દિરમાં મૂકી આવોને, લાઇબ્રેરીમાં શું કામ રાખ્યો છે ! લાઇબ્રેરીમાં મૌન વાચકોએ રાખવાનું હોય, મદદનીશોએ નહીં ! : તો પણ એ હસતા રહ્યા. પછી કહે, કંઇ ન કરી શકાય, ટ્રેડ-યુનિયન…મેં કહ્યું, ભલે, બાય. હું મનોમન બબડેલો કે અહીંથી જલ્દીથી નહીં નીકળી જઉં તો મગજ મારું વધારે ફરી જશે. સાચું ન લાગે, પણ એ પછી એ યુનિવર્સિટી-લાઇબ્રેરીમાં હું જવલ્લે જ ગયો છું. આ ગમખ્વાર બનાવ સાથે આ ‘લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’ અને તેના આ ‘કાર્ડ-કૅટલોગ’-ની કશી સરખામણી કરાય ? કશીપણ તુલનાત્મક ચેષ્ટા કરનારો પાગલ જ હોઇ શકે !

હું એમ કહેતો’તો કે ‘કાર્ડ-કૅટલોગ’-માં ફોટોગ્રાફ્સ ચિત્રો પુસ્તકોની પહેલી આવૃત્તિ વખતનાં ટાઇટલ પેજીસ અને મૂળ કાર્ડ્ઝની ૨૦૦થી પણ વધુ રંગીન છબિઓ વગેરે અઢળક સામગ્રી નવેસર નિર્મિત કરીને મૂકી છે. આ લાઇબ્રેરી સાથેના મારા એક અનુબન્ધની વાત ઉમેરું. મિત્ર કિશોર જાદવના સૂચનથી મેં મારી ‘નવ્ય વિવેચન પછી—‘ પુસ્તિકાની (૧૯૭૭) કેટલીક નકલો આ ‘લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’-ને મોકલી આપેલી. એટલે, ૧૯૯૨-માં પહેલી વાર અમેરિકા જવાનું થયું ત્યારે મારે અને પત્ની રશ્મીતાએ જોવું’તું કે લાઇબ્રેરીવાળાઓએ મારી એ પુસ્તિકાને ક્યાં રાખી છે. જાણે દીકરીને માબાપ એના સાસરે પહેલી વાર જોવા-મળવા ગયાં હોય. પણ કમનસીબે અમારે લાઇબ્રેરીનાં માત્રબહારથી દર્શન કરીને સંતોષ માનવો પડેલો. બાકી, સાહિત્યરસિકોને અહીં શેક્સપીયરના ‘ફર્સ્ટ ફોલિયો’-થી માંડીને ‘યુલિસિસ’ જોવા મળે. નૅથેનિયલ હૉથર્નના ‘સ્કારલેટ લેટર’-ની પહેલી આવૃત્તિ જોવા મળે. ‘હકલબરી ફિન’-ની પહેલી આવૃત્તિ મળે, જેમાં એના વિખ્યાત લેખક માર્ક ટ્વેઇનના હસ્તાક્ષરમાં લખાયેલી નોંધ વાંચવા મળે. કોઇપણ વીગત મેળવીને સાહિત્યરસિકો રાજી રાજી થઇ જાય એવું આ માતબર પ્રકાશન છે. જોકે, આ સમગ્રના મૂળમાં શબ્દ નામનું માનવીય સત છે. શબ્દના ય મૂળમાં વસતા હૃદયભાવો છે. મનુષ્યની જ્ઞાનપિપાસા છે. એટલે, આ ધરખમ દસ્તાવેજનું જેટલું મૂલ્ય કરીએ, ઓછું છે.

કાર્ડ્ઝ કે સૂચિ જેવાં સાધનો અધ્યેતાઓ માટે ઉપયોગી, કહો કે અનિવાર્ય, છતાં મારા જેવાઓ જાતે કાર્ડ કે સૂચિ બનાવતાં કંટાળે છે. એમ કે, જાણકાર ત્રાહિત વ્યક્તિ પણ કરી શકે એવું સાદું કામ છે. વળી, આ ઇન્ટરનેટયુગમાં કોઇપણ વીગત કે યથેચ્છ માહિતી સ્માર્ટફોન પર મિનિટોમાં મેળવી શકાય છે. ‘ગૂગલ’ મહારાજ પાસે કંઇપણ માગો, વાત વાતમાં કેટલુંય ધરી દે છે. એવાં એવાં કારણોથી ‘કાર્ડ-કૅટલોગ’-ની ટીકા કરનારા પણ નીકળી આવ્યા છે. કહે છે, આ તો અમસ્તો ભભકો છે ! એટલે લગી કે લાઇબ્રેરીઓ પણ એઓને હવે અનિવાર્ય નથી લાગતી. બિનજરૂરી લાગે છે. પરન્તુ એ લોકો વીસરી જાય છે કે માઉસ ને ક્લિક્-ના સથવારે ઉપાડી શકાતું કંઇપણ આવા કૅટલોગોમાં, વિવિધ ડિક્ષનરીઓમાં, અને લાઇબ્રેરીઓનાં લાખ્ખો પુસ્તકોમાં સૈકાઓથી સંઘરાયેલું છે ! એ ભર્યા ભંડારો ન હોત તો આજનો માહિતીયુગ વામણો રહી ગયો હોત, ઇન્ટરનેટ માયકાંગલું રહી ગયું હોત. જોકે આ બધાંની નીચે સૂતેલો સવાલ એ છે કે -લાઇબ્રેરી મહાન હોય કે સામાન્ય, કાર્ડ-કૅટલોગ હોય કે ન હોય, સ્માર્ટ ફોન હોય કે ન હોય, પુસ્તક મેળવીને તમારે એનું કરવું છે શું ? ખરેખર વાંચવું છે ? … દરેકે જાતને પૂછવું …

===

સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 29 જુલાઈ 2017

Loading

...102030...3,3223,3233,3243,325...3,3303,3403,350...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved