Opinion Magazine
Number of visits: 9688303
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંંધીહત્યાઃ વાદ વિવાદ અને વિકૃતિ

ઉર્વીશ કોઠારી|Gandhiana|12 October 2017

વર્તમાન સત્તાધીશોને ગોડસેના વિચારોના ફેલાલાવાથી શરમ આવે છે ? કે મીઠી ગલીપચી થાય છે ?

ગાંધી એક એવું પાત્ર છે, જેને મારી નાખ્યા પછી પણ તે પીછો છોડતું નથી. કટ્ટર હિંદુત્વકેન્દ્રી એક સંગઠને કરેલી અપીલ પછી સર્વોચ્ચ અદાલતે ગાંધીહત્યા વિશે નવેસરથી તપાસની દિશામાં ડગ માંડ્યું છે અને તે માટે ‘એમિકસ ક્યુરી’(amicus curiae = અદાલતના મદદકર્તા)ની નિમણૂક કરી છે. 

આવતા વર્ષે ગાંધીને ગોળીએ દીધાનાં સિત્તેર વર્ષ પૂરાં થશે, પણ ચિત્રકથાના ફેન્ટમ જેવા પાત્રની માફક, ગાંધી ‘મરતો’ નથી. પ્રયાસો સતત થાય છે: કોઈ એને ભગવાન બનાવીને મારે છે, તો કોઈ શેતાન તરીકે ચિતરીને. કોઈ એને ધૂર્ત રાજકારણી (ચતુર બનિયા) તરીકે મનોમન મારે છે, તો કોઈ એને દંભી સંત તરીકે. ડાબેરીઓને તે રૂઢિવાદી ને ક્રાંતિવિરોધી લાગે છે, તો જમણેરીઓને તે અસ્પૃશ્યતા – હિંદુ ધર્મની સમજ જેવી ઘણી બાબતોમાં રૂઢિ – પરંપરા ખોરવનાર જણાય છે. જમણેરીઓમાં પણ જે જમણેરી છે અને જેમના માટે મુસ્લિમો અને પાકિસ્તાન વચ્ચે કશો ફરક નથી, તેમને ગાંધી મુસ્લિમતરફી – પાકિસ્તાનતરફી અને ભારતવિરોધી લાગે છે. હા, ભારતવિરોધી અને તેનાથી ઓછું કશું જ નહીં. એવા લોકો હત્યારા નથુરામ ગોડસેની જુબાનીને ધગધગતી દેશભક્તિનો દસ્તાવેજ માને છે.

જે સમયે ગાંધીહત્યા થઈ, તે અરસામાં આવેશનાં પૂર માનવતાનાં બધાં બંધનો તોડીને ફરી વળ્યાં હતાં. ભારતે કદી ન જોયેલા પ્રમાણમાં માનવ હત્યાકાંડ અને અત્યાચાર ત્યારે થયાં. આવા વખતે શાંતિની અને માનવતાની વાત કરનાર વિલન અને દેશદ્રોહી સુધ્ધાં લાગી શકે. (આ હકીકતનો અનુભવ પછીનાં વર્ષોમાં થયેલાં હુલ્લડ વખતે શાંતિ અને વિશ્વાસ માટે પ્રયાસ કરનાર સૌ કોઈને થયો હશે.) ભાગલા વખતે ઉશ્કેરાટના અભૂતપૂર્વ વાવાઝોડામાં એક માત્ર ધ્રૂજતી-ટમટમતી છતાં અવિચળ જ્યોતનું નામ હતું: ગાંધી. હતાશ-નિરાશ-સ્વપ્નભંગ થયેલા, છતાં છેલ્લા શ્વાસ સુધી પ્રયાસ ન છોડનારા ગાંધી.

કપરો સમય હીરો અને વિલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરી આપે છે, પણ લોકોની સમજ પર ત્યારે એવો પડદો પડેલો હોય છે કે ખોટું સાચું લાગે ને સાચું ખોટું. ઇચ્છનીય અનિષ્ટ લાગે ને અનિષ્ટ આવકાર્ય. એ વખતે ગાંધી પાકિસ્તાનમાં હોત અને મુસ્લિમ હોત તો ગાંધીહત્યા કોઈ ઝનૂની મુસ્લિમના હાથે થઈ હોત. (આ કલ્પના છે, પણ તેમાં રહેલું તથ્ય સમજવા માટે, પાકિસ્તાનની સરકારોએ ખાન અબ્દુલ ગફારખાન સાથે કરેલો ક્રૂર વ્યવહાર તપાસી શકાય). ગાંધી હિંદુ હતા અને તેમના પોતાના કહેવા પ્રમાણે ચુસ્ત, સનાતની હિંદુ. એટલે તેમની હત્યા ભારતમાં હિંદુુના હાથે થાય, તે કરુણ કવિન્યાય તરીકે સમજી શકાય એવું હતું. મુસ્લિમોનો વિરોધ કરીને પોતાની જાતને સવાયા દેશભક્ત સમજનારા ગોડસે અને એની વિચારસરણીવાળા બધાની આંખો પર ત્યારે ધિક્કારની પટ્ટી બંધાયેલી હતી. તેમના માટે દેશની અને દેશભક્તિની વ્યાખ્યાનો પાયો કોઈની તરફેણ કરતાં અનેક ગણો વધારે કોઈના વિરોધ પર આધારિત હતો. હિંદુહિતની બડી બડી વાતો કરનારા હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘવાળાએ આઝાદી પહેલાં કૉંગ્રેસ સામે અને મુસ્લિમો સામે ધિક્કાર ફેલાવવા ઉપરાંત અને મુસ્લિમ લીગના હિંદુ અડધિયાની ભૂમિકા અદા કરવા ઉપરાંત, દેશહિતનાં કે અંગ્રેજી રાજના વિરોધનાં બીજાં કયાં કાર્યો કર્યાં?

હવે કેટલાક સંશોધકો શોધી લાવ્યા છે કે ‘અમારી (એટલે કે હિંદુહિતના નામે ધિક્કાર ફેલાવનારી) વિચારધારાવાળા કેટલાકે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો ને ભોગ પણ આપ્યો હતો.’ જાણીને આનંદ થયો, પણ સવાલ એ છે કે કેમ એ કોઈ નાયકોના કે આદર્શના સ્થાને નથી? એ લોકોની આ કામગીરી તમારી સંસ્થા કે વિચારધારાની મુખ્ય ધરી કેમ ન બની શકી? કેમ એ તમારામાં અપવાદ બની રહ્યા? અને કેમ હવે એવા અપવાદોના સાચકલા પ્રદાનનો સ્વાર્થી ઉપયોગ તમે સ્વતંત્રતા સંગ્રામથી અળગા રહ્યાની તમારી શરમ ઢાંકવા કરો છો? માન્યું કે પાઠ્યપુસ્તકો સરકારી હતાં ને સરકારો કાૅંગ્રેસની, પણ તમારાં સમાંતર પાઠ્યપુસ્તકો તમે ક્યાં નથી બનાવ્યાં? તેમાં કેમ શિવાજી – રાણા પ્રતાપથી માંડીને ભલભલા દેશનાયકોને મુસ્લિમવિરોધના સગવડિયા ખાંચા ને ખાનાંમાં પૂરીને રજૂ કરવા પડે છે?

ધિક્કારકેન્દ્રી માનસિકતાને દેશભક્તિની પરાકાષ્ઠા સમજનારામાંથી કોઈ 1948માં ગાંધીને ગોળીએ દઈ દે, તે દુઃખદ છે પણ આશ્ચર્યજનક નથી. એ વખતે આ ‘પરાક્રમ’નાં ઉજવણાં થાય, તે શરમજનક છે, પણ આશ્ચર્યજનક નથી. દુઃખ-શરમ-આઘાત-આશ્ચર્ય એ બધું ત્યારે થાય છે, જ્યારે સાત-સાત દાયકા પછી પણ એ ધિક્કાર ઓસરતો નથી, બલકે તેને નવાં નવાં સ્વરૂપે, નવા પેકિંગમાં રજૂ કરાતો રહે છે. ગાંધીની હસ્તીને ભૂંસી નાખવાનું અશક્ય લાગતાં, તેને અપનાવવાનો દંભ કરીને, સમાંતરે તેના હત્યારાઓની માનસિકતાને પુનઃ પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે — કદીક પુસ્તિકાઓ ને ચોપાનિયાં દ્વારા, તો હવેના જમાનામાં વૉટ્સઅેપ અને ફેસબુકની પોસ્ટ પર.

લોકોની દેશભક્તિનેે જગાડવા માટે ગાંધીને બદલે ગોડસેનો ઉપયોગ થાય, એવા હીણપતભર્યા સમયમાં આપણે આવી ગયા છીએ? 1947-48માં ચોતરફ ઉશ્કેરાટ અને આવેગનાં પૂર હતાં અને તે સ્થિતિ અસાધારણ હતી. અત્યારે નથી એવા હત્યાકાંડ ને નથી એટલા મોટા પાયાના સંઘર્ષ. છતાં ગાંધી પ્રત્યેનો ધિક્કાર અકસીરપણે શી રીતે ફેલાવી શકાય છે? વર્તમાન સરકાર એવું વાતાવરણ ઊભું કરવામાં અથવા એવું વાતાવરણ ઊભું કરનારને માનસિક હૈયાધારણ પૂરી પાડવામાં મન, વચન ને કાર્યથી કેટલા અંશે જવાબદાર છે? વર્તમાન સત્તાધીશોને ગોડસેના ‘દેશભક્તિ’ના વિચારોના ફેલાવાથી શરમ આવે છે? કે મીઠી ગલીપચી થાય છે? શરમ આવતી હોય તો, ઇન્ટરનેટ પર મસમોટું ભાડૂતી સૈન્ય ધરાવતા સત્તાધીશો દેશભક્તિના નામે ધિક્કાર ફેલાતો અટકાવવા, ગાંધીને બદલે ગોડસેને મહાન દેશભક્ત સાબિત કરનારો પ્રચાર અટકાવવા અને સાચી માહિતી આપવા માટે કેવાં પગલાં લે છે?

ગોડસેને હીરો ગણનારા વાત કરવા બેસે ત્યારે દંભી ગાંધીવાદીઓ ભણી આંગળી ચીંધે છે. નિરપેક્ષ દૃષ્ટિએ વાત સાચી છેઃ દંભી ગાંધીવાદીઓએ દંભ, અણસમજ અને સ્વાર્થથી ગાંધીવિચારની હત્યા કરી છે, પરંતુ આવું કહેવાનો ગોડસેના ચાહકો અને તરફદારોને અધિકાર નથી. ગોડસેની દલીલો વૉટ્સએપ પર ફોરવર્ડ કરનારા ગોડસેના જમાનામાં પેદા થયા હોત તો તેમણે પણ ગાંધીહત્યાનો જશ્ન મનાવ્યો હોત. અત્યારે તેમના દ્વારા ફોરવર્ડ થતા કે પોસ્ટ કરાતા ગોડસેની તરફેણના સંદેશા ગાંધીહત્યાનો પશ્ચાદવર્તી (રેટ્રોસ્પેિક્ટવ) અસરથી મનાવાતો જશ્ન જ છે. ગાંધી ને ગોડસેની વાત આવે, ત્યારે સૂફિયાણી હાંકનારા કહે છે કે ગાંધીનું પણ સત્ય હોય છે ને ગોડસેનું પણ સત્ય હોય છે.

બરાબર છે. પણ તમારું સત્ય કોના સત્યની સાથે છે?

સૌજન્ય : ‘પોઇન્ટ બ્લેન્ક’, “દિવ્ય ભાસ્કર”, 10 અૉક્ટોબર 2017

Loading

ગાંધીજીની ત્રણ વાંદરાની મૂર્તિમાંથી ગાયબ ચોથો વાંદરો

વિશાલ શાહ|Gandhiana|12 October 2017

ગાંધીજીને ત્રણ વાંદરાની મૂર્તિ જાપાનીઝ સાધુ નિચિદાત્સુ ફૂજીએ ભેટમાં આપી હતી. એ જાપાનીઝ સાધુ ફૂજી અને ગાંધીજીની મુલાકાત વિશે ગયા અઠવાડિયે આ કોલમમાં વાત કરાઈ હતી. [જૂઓ : https://opinionmagazine.co.uk/details/2960/bauddh-saadhu-nichidatsu-fujii-gandhijinaa-japani-antevaasee] આ સાથે ગાંધીજી અને ફૂજી વચ્ચે થયેલી વાતચીત, બૌદ્ધ ધર્મ વિશે ગાંધીજીની માન્યતા, મહારાષ્ટ્રના સેવાગ્રામ આશ્રમમાં ફૂજી અંતેવાસી બનીને રહ્યા એ તેમ જ ભારત-જાપાન સંબંધ મજબૂત કરવામાં ફૂજીનું પ્રદાન જેવા વિવિધ મુદ્દાની પણ ચર્ચા થઈ ગઈ. હવે વાત, ગાંધીજીના ત્રણ વાંદરાની.

ફૂજીએ ગાંધીજીને આપેલા ત્રણ વાંદરા બૌદ્ધ ધર્મનું અત્યંત પ્રાચીન પ્રતીક છે. જાપાનના પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં ખોટું જોવું નહીં, ખોટું સાંભળવું નહીં અને ખોટું બોલવું નહીં, એ સિદ્ધાંત ભારપૂર્વક કહેવાયો છે. 'થ્રી વાઈઝ મન્કીઝ' (ત્રણ ડાહ્યા વાંદરા) કે 'થ્રી મિસ્ટિક એપ્સ' (ત્રણ રહસ્યમય વાંદરા) જેવાં નામે ઓળખાતા આ ત્રણેય વાંદરા સંયુક્ત રીતે એ જ સંદેશ આપે છે. એક જ વાનરની મૂર્તિ આ ત્રણેય સંદેશ એકસાથે ના આપી શકે કારણ કે, વાનરને પણ માણસની જેમ બે જ હાથ હોય એવી કલ્પના કરાઈ છે. આ કારણસર ઋષિઓ, ધર્મગુરુઓએ ત્રણ વાંદરાના છ હાથની મદદથી આપણને ઉપરોક્ત ત્રણ સંદેશ આપ્યા!

જો કે, ચીનના પ્રાચીન સાહિત્યમાં ચોથો સંદેશ આપતા ચોથા વાંદરાનો પણ ઉલ્લેખ મળે છે. તો પછી એ મૂર્તિમાંથી ચોથો વાંદરો ગયો ક્યાં? આ સવાલનો જવાબ મેળવતા પહેલાં વાંદરાની મૂર્તિનો ઉદ્ભવ કેવી રીતે થયો એ વિશે વાત કરીએ.

જાપાનના ૧૭મી સદીમાં બંધાયેલા તોશો-ગુ મંદિરના દરવાજા પર જોવા મળતા ત્રણ વાંદરા

ભારતમાં જોવા મળતી ત્રણ વાંદરાની મૂર્તિમાં મોટા ભાગે લંગુર નામની પ્રજાતિના વાંદરા હોય છે. લંગુર એટલે ભારતભરમાં જોવા મળતા કાળા મ્હોંવાળા વાંદરા. જો કે, આ મૂર્તિનો ઉદ્ભવ જાપાનમાં થયો હોવાથી તેમાં જોવા મળતા ત્રણ વાંદરા હકીકતમાં જાપાનમાં મોટા પાયે જોવા મળતા લાલ મોંઢાવાળા 'મકાક' છે. મકાક અત્યંત ઠંડા વિસ્તારોમાં રહી શકતા હોવાથી 'સ્નો મન્કી' તરીકે પણ ઓળખાય છે. પ્રાચીન જાપાનીઝ સાહિત્યમાં આ ત્રણેય વાંદરાના નામના પણ ઉલ્લેખ છે. હાથથી આંખો બંધ કરનારો વાંદરો 'મિઝારુ' છે, કાન બંધ કરનારો 'કિકાઝારુ' છે અને મ્હોં ઢાંકનારો 'ઇવાઝારુ' છે. જાપાનીઝ ભાષામાં 'ઝારુ'નો અર્થ 'ના કરો' એવો થાય છે. એશિયામાં ચીન, જાપાન સહિતના દેશોમાં બૌદ્ધ ધર્મના પણ અનેક ફાંટા પડ્યા છે. આવા અનેક ધર્મો, સંપ્રદાયોમાં ત્રણ વાંદરા શું સંદેશ આપે છે એ વિશે જુદા જુદા ઉલ્લેખો વાંચવા મળે છે. આ ત્રણેય વાંદરા આધ્યાત્મિક સંદેશ આપવાનું પ્રતીક કેવી રીતે બન્યા એ વિશે ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ અતિ પ્રાચીન ઉલ્લેખો જરૂર મળે છે.

ચીનના તાઓ અને જાપાનના શિન્ટો ધર્મનો પ્રભાવ ધરાવતા કોશિન નામના સંપ્રદાયના દસમી સદીના શિલાલેખોમાં પણ ત્રણ વાંદરાના ચિત્રો જોવા મળે છે. જાપાનની રાજધાની ટોક્યોની આસપાસ કોશિન સંપ્રદાય સાથે સંકળાયેલા અનેક શિલાલેખો આજે ય અડીખમ ઊભા છે. જાપાનના નિક્કો શહેરમાં ૧૭મી સદીમાં બંધાયેલા તોશો-ગુ મંદિરના દરવાજાના ઉપરના ભાગમાં પણ ત્રણ વાંદરા કોતરેલા છે. કોતરણી કામ માટે જાણીતું આ મંદિર શિન્ટો ધર્મ સાથે સંકળાયેલું છે. આધુનિક શિન્ટો ધર્મ પર કોન્ફ્યુસિયસ, તાઓ, બૌદ્ધ અને હિંદુ ધર્મની પણ અસર છે, પરંતુ આ ધર્મના ઉદ્ભવના તાર છેક સાતમી સદી સુધી જાય છે. આજે જાપાનની ૮૦ ટકા વસતી શિન્ટો ધર્મ પાળે છે. નાનકડા જાપાનમાં શિન્ટો ધર્મના ૮૧ હજાર સ્થાનકો છે, જ્યારે શિન્ટો સાધુઓની સંખ્યા ૮૫ હજાર છે. શિન્ટો ધર્મ સાથે સંકળાયેલા અનેક તીર્થસ્થાનોમાં ત્રણ વાંદરાની મૂર્તિ, કોતરણી કે ચિત્રો જોવા મળે છે.

એવું કહેવાય છે કે, કોન્ફ્યુસિયસ ધર્મ સાથે સંકળાયેલા ત્રણ વાંદરા તેન્ડાઈ સાધુઓ થકી જાપાન પહોંચ્યા હતા. મહાયાન બૌદ્ધ સંપ્રદાયના ચાઈનીઝ સાધુઓ સાતમીથી આઠમી સદી વચ્ચે જાપાનમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવા ગયા ત્યારે તેન્ડાઈ ધર્મ અસ્તિત્વમાં આવ્યો હતો. શિન્ટો અને તેન્ડાઈ ધર્મમાં વાનરને ભગવાનનો સંદેશાવાહક મનાયો છે. ચાઈનીઝ કેલેન્ડર પ્રમાણે દર બાર વર્ષે વાનરનું વર્ષ આવે છે. એવી જ રીતે, જાપાનના કોશિન સંપ્રદાયમાં દર ૧૬ વર્ષે વાનરનું વર્ષ ઊજવાય છે. આમ, ચીન-જાપાનની ધાર્મિક પરંપરામાં વાનરને મળેલા મહત્ત્વ પાછળ બૌદ્ધ ધર્મ જવાબદાર છે, જ્યારે બૌદ્ધ ધર્મ પર હિંદુ ધર્મનો પ્રભાવ વર્તાય છે. વાનરની (હનુમાનજી) પૂજા થતી હોય એવા સૌથી પ્રાચીન ઉલ્લેખો હિંદુ ધર્મમાં છે.

પરંપરાગત પોષાકમાં સજ્જ શિન્ટો સંપ્રદાયના સાધુ

હવે પેલા ચોથા વાંદરાની વાત કરીએ. જાપાનીઝ સંસ્કૃિતમાં ત્રણ વાંદરા જે સંદેશ આપે છે, એવા જ સંદેશનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ચીનમાં બીજી સદીમાં લખાયેલા કોન્ફ્યુસિયસ સાહિત્યમાં વાંચવા મળે છે. કોન્ફ્યુસિયસ ધર્મમાં કહેવાયું છે કે, 'જે ઉચિત નથી એ તરફ જુઓ નહીં, જે ઉચિત નથી એ સાંભળો નહીં, જે ઉચિત નથી એ બોલો નહીં અને જે ઉચિત નથી એ કરો નહીં.' આ ચોથો સંદેશ પેલો ચોથો વાંદરો આપે છે. વિશ્વની બીજી કેટલીક સંસ્કૃિતઓમાં પણ આવા ચાર સંદેશનો ઉલ્લેખ મળે છે. હંગેરીના એશિયન ગોલ્ડ મ્યુિઝયમમાં અત્યારે પણ ચાર આદિમાનવોની એક સોનાની મૂર્તિ સચવાયેલી છે. આ મૂર્તિ પણ ખોટું નહીં જોવાની, ખોટું નહીં સાંભળવાની, ખોટું નહીં બોલવાની અને ખોટું નહીં કરવાની સલાહ આપે છે.

જાપાનના અમુક તીર્થસ્થાનોમાં પણ ચોથો વાંદરો દર્શાવાયો હોય છે. એવા પણ ઉલ્લેખ મળે છે કે, આ ચોથા વાંદરાનું નામ 'શિઝારુ' છે, જે બે હાથથી ગુપ્તાંગો ઢાંકીને 'દુષ્ટ કામ ના કરો' એવો સંદેશ આપે છે. બીજી એક માન્યતા એ પણ છે કે, આ વાંદરો ‘તમારા આનંદ પ્રમોદનું પ્રદર્શન ના કરો’ એવો સંદેશ આપે છે. હવે સવાલ એ છે કે, મૂર્તિમાંથી આ ચોથો વાંદરો નીકળી કેમ ગયો? એક થિયરી પ્રમાણે, ચોથો વાંદરો શિઝારુ ગુપ્તાંગો છુપાવી રહ્યો છે, જે થોડું વિચિત્ર કે અસામાન્ય લાગી રહ્યું છે. સમય જતાં હિંદુ કે બૌદ્ધ ધર્મગુરુઓને એ અયોગ્ય લાગ્યું હોઈ શકે. આ કારણસર સમય જતાં તેને મૂર્તિમાંથી નીકાળી દેવાયો હશે! શિઝારુ ભૂલાઈ ગયો એની પાછળનું સૌથી પ્રચલિત કારણ આ જ અપાય છે.

બૌદ્ધ ધર્મના પ્રખર અભ્યાસુ ઓશો રજનીશના પ્રવચનોમાં પણ ચોથા વાંદરાની વાત સાંભળવા મળે છે. એકવાર ઓશોએ દાવો કર્યો હતો કે, માણસોને સંદેશ આપતા વાંદરા મૂળ હિંદુ ધર્મની કલ્પના છે. બૌદ્ધ સાધુઓ થકી આ પ્રતીક ચીન, જાપાન અને પછી સમગ્ર એશિયામાં ફરી વળ્યું. હિંદુ ધર્મમાં કુલ ચાર વાંદરાની કલ્પના છે. પેલા ત્રણ વાંદરા આંખ, કાન અને મ્હોં ઢાંકે છે, જ્યારે ચોથો વાંદરો પોતાના ગુપ્તાંગો ઢાંકે છે. બૌદ્ધ માન્યતા પ્રમાણે, આ ચોથો વાંદરો સંદેશ આપે છે કે, કશું ખોટું ન કરો. જો કે, હિંદુ માન્યતા પ્રમાણે ચોથો વાંદરો કહે છે કે, તમારા આનંદ, ભોગવિલાસને છુપાવીને રાખો. તેનું પ્રદર્શન ના કરો.

ત્રણ નહીં, ચાર વાંદરા

એકવાર ઓશોએ હળવા અંદાજમાં કહ્યું હતું કે, એકવાર હું ગાંધીના આશ્રમે ગયો ત્યારે તેમના પુત્ર રામદાસ મને આસપાસની ચીજો બતાવતા હતા. એ વખતે તેમણે મને પેલા ત્રણ વાંદરાની મૂર્તિ પણ બતાવી. એ વખતે મેં રામદાસને પૂછ્યું કે, આ ત્રણ વાંદરામાંથી ચોથો વાંદરો ક્યાં ગયો? ત્યારે રામદાસે જવાબ આપ્યો કે, હજુ સુધી કોઈએ ચોથા વાંદરા વિશે પૂછ્યું નથી. પછી મેં રામદાસને કહ્યું કે, ચોથો વાંદરો ભાગી ગયો હોવો જોઈએ. ઘણી શક્યતાઓ છે. અથવા તો ગાંધીએ જ મૂર્તિમાંથી ચોથો વાંદરો કાપી નાંખ્યો હોવો જોઈએ કારણ કે, ભારતના સંદર્ભમાં એ ચોથો વાંદરો બરાબર ન હતો. એ વાંદરાએ ગુપ્તાંગ છુપાવી રાખ્યા હતા. એ પરાણે બ્રહ્મચર્ય પાળતો હતો. એ પછી એકવાર હું મોરારજી દેસાઈને મળ્યો અને તરત જ તેમને ઓળખી ગયો. આ જ છે, ચોથો વાંદરો …

મેઘાવી વિચારક ઓશોએ રાજકારણથી માંડીને સામાજિક મુદ્દા સમજાવવા ત્રણ વાંદરાની મૂર્તિના અનેક વખત જાતભાતના અર્થઘટન કર્યા હતા. મોરારજી દેસાઈની મજાક કરીને ઓશો ફરી આગળ વાત માંડે છે. વાંચો એમના જ શબ્દોમાં.

ગાંધીજીના ત્રણ વાંદરાના પ્રતીકનું જે કંઈ અર્થઘટન કરાય છે એ મને મંજૂર નથી. માણસજાતના મનોવિજ્ઞાન પર નજર કરો ત્યારે આ વાંદરા કંઈક જુદો જ સંદેશ આપતા હોય એવું લાગે છે. કાન બંધ કરીને બેઠેલો પહેલો વાંદરો કહે છે કે, સત્ય ના સાંભળો. જો સત્ય સાંભળશો તો તમારા બધા જ જૂઠા આશ્વાસનો છિન્નભિન્ન થઈ જશે. આંખ બંધ કરીને બેઠેલો બીજો વાંદરો કહે છે કે, સત્ય તરફ નજર સુદ્ધાં ના કરો. નહીં તો તમારો ભગવાન મરી જશે અને તમારા સ્વર્ગ-નર્ક પળવારમાં ગાયબ થઈ જશે. મ્હોં બંધ રાખીને બેઠેલો ત્રીજો વાંદરો સત્ય નહીં બોલવાની સલાહ આપે છે કારણ કે, માણસોનાં ટોળાં સત્ય બોલનારાને ઠપકો આપે છે, યાતનાઓ આપે છે, ઝેર આપે છે, ક્રોસ પર ચડાવી દે છે અને રિબાવી રિબાવીને મારી નાંખે છે. ગુપ્તાંગો છુપાવીને બેઠેલો એટલે કે ગાયબ થઈ ગયેલો ચોથો વાંદરો પણ મહત્ત્વનો સંદેશ આપે છે. એ કહે છે કે, તમારા આનંદ-પ્રમોદનું બિભત્સ પ્રદર્શન ના કરો. તમે સુખી હશો તો લોકો ઈર્ષા કરશે, તમને ખતમ કરી નાંખશે.

ચાર વાંદરાની મૂર્તિ વિશે ઓશોનું આ અર્થઘટન આજે પણ સટીક નથી?

સૌજન્ય: “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

નોંધઃ આ લેખનો ભાગ-1 – http://vishnubharatiya.blogspot.co.uk/2017/10/blog-post.html

http://vishnubharatiya.blogspot.co.uk/2017/10/blog-post.html

Loading

આગરાના તાજમહલને પર્યટકોની નજરની બહાર ધકેલવા પાછળ કઈ માનસિકતા છે?

રમેશ ઓઝા|Opinion - Opinion|9 October 2017

તાજમહલ હિન્દુ રાજવીએ બંધાવેલું સ્થાપત્ય નથી, એ એક મકબરો છે અને ભારત પર મુસલમાનોના શાસનની ગવાહી તરીકે ઊભો છે એટલે એને લોકોથી ઓઝલ કરવો જોઈએ? 

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ બામિયાનની બુદ્ધની પ્રતિમાઓ તોડી નાખી અને ઉત્તર પ્રદેશમાં BJP સરકારે પર્યટનની યાદીમાંથી તાજમહલ હટાવી દીધો એ બે ઘટનામાં કોઈ સમાનતા ખરી?

આક્રમકતા, ક્રૂરતા અને જંગલીપણાની જો તુલના કરો તો બે ઘટના વચ્ચે કોઈ સમાનતા નથી; પણ માનસિકતાની તુલના કરો તો? તો બન્ને ઘટના સમાન છે. બન્ને ઘટનાઓ ધાર્મિક અને સાંસ્કૃિતક પૂર્વગ્રહોની છે. બન્ને ઘટના પોતાને અભિપ્રેત સાંસ્કૃિતક રાષ્ટ્રવાદમાંથી ન ગમતી કેટલીક ચીજોની બાદબાકી કરવાની અને નકારવાની છે. જો માનસિકતા સમાન હોય તો સાવધાન થઈ જવાની જરૂર છે, કારણ કે કૃતિ એ માનસિકતાનું પરિણામ છે. એક વાર મસ્તિષ્કમાં ઝેર રેડાયું તો પછી એના ઝરા ફૂટતા અને ઘનીભૂત થતાં વાર લાગતી નથી. કૃતિ તો માત્ર એને અનુસરે છે અને એનું પ્રમાણ ઓછુંવત્તું હોઈ શકે છે. જેટલું ઝેર વધારે એટલી આક્રમકતા વધારે. આમ માનસિકતા નિર્ણાયક ભાગ ભજવે છે.

આ દ્રષ્ટિએ જોઈએ તો બામિયાનની ઘટના અને લખનઉની ઘટનામાં ઘણું સામ્ય છે. પૂર્વગ્રહોનું કૃતિમાં રૂપાંતર થવાનું શરૂ થઈ ગયું છે. અત્યારે તાજમહલને પર્યટનસ્થળોની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યો છે. આવતી કાલે તાજને તાળાં લાગી શકે છે અને જો ભારતનો સહિયારો સાંસ્કૃિતક વારસો બચાવવા માટે ઊહાપોહ નહીં કરો તો એના બામિયાન જેવા હાલ થઈ શકે છે. કેટલાક માથાફરેલા તાલિબાનોએ બામિયાનની બુદ્ધની પ્રાચીન મૂર્તિઓએ તોડવાનું ગાંડપણ કર્યું હતું એમ ન કહી શકાય. એ પેદા કરવામાં આવેલી અને સિંચિત કરેલી નકારાત્મક (એક્સક્લુઝિવ) રાષ્ટ્રવાદી માનસિકતાનું પરિણામ હતું. ઝેરનું પહેલું ટીપું રેડાયું અને બામિયાનની પ્રતિમાઓ તોડી પાડવામાં આવી એની વચ્ચે સો-બસો કે પાંચસો વરસનું અંતર હશે, પરંતુ પરિણામ તો એ માનસિકતાનું જ છે.

એટલે તો ગાંધીજીની હત્યા કરનારા નાથુરામ ગોડસેને માથાફરેલા માણસ તરીકે ઓળખાવવામાં આવે તો એક બુદ્ધિશાળી માણસ તરીકે આપણે સાવધાન થઈ જવું જોઈએ. ના, એ માથાફરેલા માણસનું દુષ્કૃત્ય નહોતું; ખાસ વિકસાવવામાં આવેલી વિચારધારા અને માનસિકતાનું પરિણામ હતું, ગાંધીવિચારને નકારવા માટે આયોજનપૂવર્‍ક કરવામાં આવેલી હત્યા હતી. ગાંધીજીની હત્યા થઈ એ પછી તરત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બીજા હિન્દુ કોમવાદીઓ એ શરમજનક ઘટનાને માથાફરેલા માણસના ગાંડપણ તરીકે ઓળખાવવા લાગ્યા હતા. કેટલાક સિનિયર કૉન્ગ્રેસી નેતાઓ પણ નાથુરામના કૃત્યને માથાફરેલા માણસના ગાંડપણ તરીકે ઓળખાવવા લાગ્યા હતા. નાથુરામને માથાફરેલા માણસ તરીકે ઓળખાવનારા કૉન્ગ્રેસી નેતાઓમાંથી કેટલાક જાણીબૂજીને સંઘને મદદરૂપ થવા આમ કરતા હતા, કારણ કે તેઓ અંદરથી હિન્દુ પક્ષપાત ધરાવતા હતા. તેઓ સંઘની વિચારધારા અને નાથુરામના કૃત્ય વચ્ચેની કડી ન જોડાય એ માટે પ્રયત્નશીલ હતા. બીજા કેટલાક કૉન્ગ્રેસીઓ ભોળપણથી આમ કહેતા હતા. તેમને વિચારધારાજન્ય હિંસાની ગંભીરતા સમજાતી નહોતી. હજી બે દિવસ પહેલાં કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથ સિંહે નાથુરામના કૃત્યને માથાફરેલા માણસના દુષ્કૃત્ય તરીકે ઓળખાવીને એની નિંદા કરી હતી.

એક જવાહરલાલ નેહરુ હતા જેમણે નાથુરામના કૃત્યને માથાફરેલા માણસના ગાંડપણ તરીકે ઓળખાવવાની ના પાડી દીધી હતી. એ કૃત્ય ચોક્કસ વિચારધારાનું પરિણામ હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને, BJPને અને વર્તમાન વડા પ્રધાનને નેહરુ માટે આટલો અણગમો કેમ છે એનો ખુલાસો આમાંથી મળી જશે. ગાંધીજીની હત્યા કરવાનું નાથુરામનું કૃત્ય ચોક્કસ વિચારધારાનું પરિણામ હતું એમ કહેવામાં આવે તો એનો અર્થ એવો થાય કે ભારતમાં ફાસીવાદી વિચારધારા અને સંગઠનો અસ્તિત્વ ધરાવે છે જે વિશ્વવંદ્ય મહાત્માની હત્યા પણ કરી શકે છે. જો નેહરુએ પણ નાથુરામને માથાફરેલા માણસ તરીકે ઓળખાવ્યો હોત તો તેમના માટે અત્યારે જે નફરત ફેલાવવામાં આવી રહી છે એવું ન બન્યું હોત. તેમની પણ અલાહાબાદના સંગમ પર ત્રણસો ફૂટની પ્રતિમા મૂકવાનું વિચારાયું હોત. નેહરુએ ધરાર આગ્રહ રાખ્યો હતો કે ગાંધીજીની હત્યા ફાસીવાદી વિચારધારાનું પરિણામ છે અને નાથુરામને માથાફરેલા માણસ તરીકે ઓળખાવીને આવી સંકુચિત વિચારધારા ફેલાવનારાઓને જવાબદારીથી મુક્ત ન કરી શકાય.

જેમ નાથુરામ ગોડસે માથાફરેલ માણસ નહોતો અને ચોક્કસ વિચારધારાથી પ્રેરાઈને ગાંધીજીની હત્યા કરી હતી એમ બામિયાનની બુદ્ધની મૂર્તિઓ તોડનારાઓ પણ માથાફરેલા નહોતા. તેમણે પણ ચોક્કસ વિચારધારાથી પ્રેરાઈને બુદ્ધની મૂર્તિઓ તોડી હતી. આ જ રીતે આગરાના તાજમહલને પર્યટકોની નજરની બહાર ધકેલવા પાછળ પણ આ જ માનસિકતા છે. કોઈ એમ ન કહી શકે કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન માથાફરેલા માણસ છે. ગાંધીજી જે વાત કરે છે એ હિન્દુ રાષ્ટ્રવાદની બહારની અને એને પ્રતિકૂળ છે એટલે એનો અંત લાવવો જોઈએ. બુદ્ધ અને બૌદ્ધદર્શન ઇસ્લામના સિદ્ધાંતની બહાર છે અને તેમની સમજ મુજબ તેને પ્રતિકૂળ છે માટે એનો અંત આવવો જોઈએ. ગાંધીજીની માફક બુદ્ધ પોતે તો હયાત હતા નહીં એટલે તેમની પ્રતિમાઓ તોડવામાં આવી હતી. તાજમહલ હિન્દુ રાજવીએ બંધાવેલું સ્થાપત્ય નથી, એ એક મકબરો છે અને ભારત પર મુસલમાનોના શાસનની ગવાહી તરીકે ઊભો છે એટલે એને લોકોથી ઓઝલ કરવો જોઈએ. ગાંધીજી આપણા નથી, પણ આપણાથી અલગ છે; બુદ્ધ આપણા નથી, પરંતુ ઇસ્લામથી અલગ છે; તાજમહલ આપણો નથી, પરંતુ આપણાથી અલગ છે એટલે તેમને લોકોથી ઓઝલ કરવાની જરૂર છે.

તો માનસિકતા ઓઝલ કરવાની છે. પર્યટનસ્થળોની યાદીમાંથી સ્થાપત્યોને ઓઝલ કરવાનાં છે. પાઠ્યપુસ્તકોમાંથી અન્યોના વિજયને ઓઝલ કરવાના છે, ઇતિહાસમાંથી બીજાઓની સિદ્ધિઓને ઓઝલ કરવાની છે, લઘુમતી કોમના અવાજને ઓઝલ કરવાનો છે, હિન્દી ભાષામાંથી પર્શિયન કે ઉર્દૂ શબ્દોને ઓઝલ કરવાના છે, ઉર્દૂ ભાષાને મુસલમાનોની ભાષા તરીકે ઓળખાવીને એને ઓઝલ કરવાની છે, અન્યોનાં સ્મારકો ઓઝલ કરવાનાં છે, અન્યોનાં નામ જો રસ્તાઓને આપવામાં આવ્યાં હોય તો એને ઓઝલ કરવાનાં છે, યુનિવર્સિટીઓમાંથી ઉદારતાને ઓઝલ કરવાની છે, શંકા કરે અને પ્રશ્નો પૂછે એવા સ્વતંત્ર વિચારકોને ઓઝલ કરવાના છે એમ લાંબી યાદી છે. અત્યારે જે આદેશ બહાર પાડીને કે કહ્યા વિના ચૂપચાપ થાય છે એ જો ઊહાપોહ નહીં કરો તો આવતી કાલે કાયદાઓ બદલીને કે બનાવીને કરવામાં આવશે. એ પછી પણ જો ઊહાપોહ નહીં કરો તો બંધારણ બદલીને દેશનો સત્તાવાર ચહેરો બદલવામાં આવશે. એ પછી પણ જો મૂંગા રહેશો તો જે ગાંધીજી સાથે કરવામાં આવ્યું કે બામિયાનમાં કરવામાં આવ્યું એ થઈ શકે છે. આમ બોલવું કે ઊહાપોહ કરવો એ આપણો નાગરિક અને માનવીય એમ બન્ને ધર્મ છે.

વિવેકી મુસલમાનોનો અવાજ જો બુલંદ હોત તો બામિયાન જેવી ઘટના ન બની હોત. અત્યારે મુસ્લિમવિશ્વમાં જે બની રહ્યું છે એ ન બન્યું હોત. વિવેકી મુસલમાનોનો અવાજ મોળો પડ્યો અને આજે જે સ્થિતિ છે એ આપણી સામે છે. પાકિસ્તાન બન્યું એ પછી સવાલ ઉપસ્થિતિ થયો હતો કે ઇતિહાસ ક્યાંથી શરૂ કરીને ક્યાં સુધીનો ભણાવવો જોઈએ અને કેવો ભણાવવો જોઈએ? પાકિસ્તાનના મુસલમાનોનો અત્યાર સુધીનો ઇતિહાસ અવિભાજિત હિન્દુસ્તાનમાં હિન્દુઓ સાથેનો રહ્યો છે તો એનું નિરૂપણ કઈ રીતે કરવું જોઈએ? ઉર્દૂ ભાષાના જાણીતા કવિ ફૈઝ અહમદ ફૈઝે આ બે પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે ‘એમાં મૂંઝવણ કઈ વાતની છે? જ્યાંથી શરૂઆત થઈ ત્યાંથી શરૂઆત કરવામાં આવે અને જેની સાથે જેમ અને જેવું જીવ્યા એનું નિરૂપણ કરવામાં આવે.’

માનવસમાજના ઇતિહાસની શરૂઆત જગતમાં ઇસ્લામની સ્થાપના થઈ એ પહેલાંથી થઈ હતી એટલે ઇતિહાસ ત્યાંથી ભણાવવામાં આવે જ્યાંથી શરૂઆત થઈ હતી. જો માનવજીવન માટે ધર્મ અનિવાર્ય હોત, ઇસ્લામ જ એકમાત્ર સાચો ધર્મ હોત, ઇસ્લામનાં જીવનમૂલ્યો અને જીવનશૈલી જ અંતિમ અને અનિવાર્ય હોત તો માણસ આ પૃથ્વી પર આવ્યો ત્યારે જ ધર્મને સાથે લઈને આવ્યો હોત અને એ પણ ઇસ્લામ ધર્મ હોત. આજે જગતમાં સેંકડો ધર્મો અને સંપ્રદાયો છે અને કેટલાક લોકો નાસ્તિક પણ છે. આમ ઇતિહાસ ભણાવવાની શરૂઆત ઇસ્લામથી ન થઈ શકે, કારણ કે ઇસ્લામથી જગતની શરૂઆત થઈ નહોતી.

રહી વાત અવિભાજિત ભારતમાં હિન્દુઓ સાથેના મુસલમાનોના ઇતિહાસની તો એમાં પણ જે છે અને હતું એ ભણાવવામાં આવે. ભારતના મોટા ભાગના મુસલમાનો પહેલાં હિન્દુઓ હતા, એને કારણે ઇસ્લામ પર હિન્દુ રીતરિવાજ અને સંસ્કૃિતની અસર છે, એને કારણે ભારતીય ઇસ્લામનું સ્વરૂપ વેગળું છે, ભારતમાં વિદેશી મુસલમાનો આક્રમણકાર તરીકે આવ્યા હતા, એમાંના મોટા ભાગનાએ ધર્મ અને રાજકારણ વેગળાં રાખ્યા હતાં તો કેટલાકે ભેળસેળ પણ કરી હતી, મોટા ભાગના ઇતિહાસપટ પર હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે મધુર સંબંધો હતા પણ વચ્ચે-વચ્ચે લડી પડતા હતા, અંગ્રેજો આવ્યા પછી તેમણે સત્તા ટકાવી રાખવા લડાવ્યા હતા, લડાવી મારવા માટે તેમણે ખાસ પ્રકારનો તેમને માફક આવે એવો ઇતિહાસ લખાવ્યો હતો, એ ઇતિહાસ બન્ને સમાજમાં કોમવાદી માનસિકતા ધરાવનારાઓને પણ માફક આવતો હતો એટલે તેમણે એનો ઉપયોગ કર્યો હતો જેને કારણે ભારતનું વિભાજન થયું હતું વગેરે. જે છે એ ભણાવવામાં આવે. એને માટે રાષ્ટ્રીય ચર્ચાની ક્યાં જરૂર આવી?

ઇતિહાસલેખનમાં કહેવાતી રાષ્ટ્રીય ચર્ચાની જરૂર ત્યારે પડે જ્યારે કોઈ એજન્ડા હોય. હકીકતોને ઓઝલ કરવી હોય અને જુઠ્ઠાણાંઓને સ્થાપિત કરવાં હોય ત્યારે રાષ્ટ્રીય ચર્ચાનો આશ્રય લેવામાં આવે છે. જે લોકો ઇસ્લામનાં જીવનમૂલ્યોને તેમ જ જીવનશૈલીને માનવસમાજ માટે આખરી અને અનિવાર્ય માને છે તેમણે કેટલીક ચીજો ઓઝલ કરવી પડે છે અને કેટલીક સ્થાપવી પડે છે. એની શરૂઆત બે-ચાર સદી પહેલાં થઈ હતી અને બામિયાન એનું પરિણામ હતું.

આ બાજુ હિન્દુ ધર્મ, હિન્દુ જીવનમૂલ્યો, હિન્દુ જીવનશૈલી માનવસમાજ માટે આખરી અને અનિવાર્ય છે એમ માનનારાઓ હિન્દુ રાષ્ટ્ર સ્થાપવા માગે છે અને એ માટે તેઓ કેટલીક હકીકતો નકારવા માગે છે તો કેટલીક ઓઝલ કરવા માગે છે અને કેટલાંક અસત્યોને સત્ય તરીકે સ્થાપવા માગે છે. આગરાના તાજમહલને પર્યટકો માટે ઓઝલ કરવામાં આવ્યો છે એ એની શરૂઆત છે અને જો નહીં બોલો તો બામિયાન સામે છે. એટલે જ પ્રારંભમાં કહ્યું હતું એમ બામિયાનની મૂર્તિઓને ધ્વસ્ત કરવાની ઘટનામાં અને તાજમહલને ઓઝલ કરવાની ઘટનામાં માનસિકતાનું સામ્ય છે અને એ ખતરનાક છે માટે વિવેકને ઢંઢોળો.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 08 અૉક્ટોબર 2017

Loading

...102030...3,3063,3073,3083,309...3,3203,3303,340...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved