Opinion Magazine
Number of visits: 9583943
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નોટબંધી અને રૂપિયાનું આપણું કલેક્ટિવ ફિક્સન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 September 2017

સરસ રીતે બોલાયેલું જૂઠ ક્યારે ય જૂઠ નથી ગણાતું. ઇન ફેક્ટ, એ જૂઠ પણ નથી ગણાતું, માન્યતા અથવા વફા ગણાય છે. આપણે ભલે સત્ય બોલવાનો અને સત્ય સંભાળવાનો આગ્રહ રાખીએ, પણ આપણી રોજિંદી જિંદગીનો અનુભવ કહે છે કે આપણે બહુ સહજતાથી જૂઠ ચલાવી લઈએ છીએ. ધાર્મિક અને રાજકીય અનુમાનો આવી રીતે જ લોકપ્રિય થાય છે. આપણે રાજકીય વચનોને જૂઠ ગણીએ છીએ પણ એમાં માનનારાઓ માટે એ સત્ય વચન હોય છે, અને એટલે જ બંનેમાં સંપ્રદાયોની અને અનુયાયીઓની સંખ્યા વધુ હોય છે. આવું કેમ? કારણ કે જૂઠ ત્યારે જ જૂઠ હોય જ્યારે એમાં ઈરાદો હોય. ઈરાદા વગરનું જૂઠ હકીકતનો અંદેશો બની રહે છે. એટલા માટે જ ગુરુઓ અને નેતાઓ પ્રત્યેની આપણી વફા અડીખમ રહે છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બહુ મોટા ગપ્પીદાસ તરીકે ઓળખવામાં આવે છે. એમણે ચૂંટણી પ્રચાર દરમિયાન એવા એવા દાવા કર્યા હતા જેને મીડિયામાં ગલત સાબિત કરવામાં આવ્યા છતાં ના તો ટ્રમ્પને કે ના તો એમના ભક્તોના પેટનું પાણી હાલ્યું. ‘તમે કશા પુરાવા વગર સાવ આવું ધુપ્પલ ચલાવે રાખો તે તમને શોભે?’ એવું એક પત્રકારે એમને પૂછ્યું તો એમણે કહ્યું, ‘ના રે, લાખો લોકો મારી સાથે સહમત હોય પછી શું છે?’

મતલબ કે, ટ્રમ્પ એ જ બોલતા હતા જે લોકોને સાંભળવું હતું. એનો બીજો મતલબ એમ પણ થાય કે ટ્રમ્પ જૂઠું બોલતા હતા એટલે બહુ લોકપ્રિય થયા હતા એવું નહીં, ટ્રમ્પ બોલતા હતા એટલે જૂઠ લોકપ્રિય થયું. દરેક રાજકારણીને આ ખબર છે કે એના અનુયાયીઓ એને સવાલ નહીં પૂછે કારણ કે એમની પાસે એની વાત માનવા સિવાય બીજો ચારો પણ નથી. માણસના મન-મગજની આ એક કમજોરી છે કે જ્યારે એની સામે કોઈ નવી વાત આવે ત્યારે એ વાતને બરાબર સમજવા માટે સૌથી પહેલા તો, ભલે એક મિનિટ માટે તો એક મિનિટ, પણ એનો સ્વીકાર કરવો પડે.

ઉદાહરણ તરીકે ભ્રષ્ટાચારીઓએ આ દેશને લૂંટ્યો છે અને નોટબંધી પછી એ બધા ભીખ માંગતા થઈ જશે એવી વાતને તમે આઉટરાઈટ કેવી રીતે રિજેક્ટ કરી શકો? તમારે પહેલાં એ વાતને થોડોક સમય તો અંકે કરવી પડે, અને પછી એનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો વિકલ્પ આવે. રાજકારણમાં આ ‘થોડોક સમય’ બહુ અગત્યનો છે, અને મોટા ભાગે થોડા થોડા સમયે આવી જ રીતે ‘સત્ય વચનો’  આવતાં રહે છે અને ચાલતાં પણ રહે છે.

ઇઝરાયલી ઇતિહાસકાર યુવલ નોહા હરારી કહે છે કે માનવજાતિની સફળતા એ હકીકતમાં છે કે એનામાં ફિક્સન(કલ્પના)માં વિશ્વાસ કરવાની ગજબની તાકાત છે, ચાહે એ કલ્પના ધર્મની હોય કે પછી રાજકીય કે આર્થિક વિચારોની હોય. યુવલ લખે છે, ‘પથ્થરયુગથી લઇને માણસને સંગઠિત થવામાં જાતે માનેલી મીથની બહુ મોટી ભૂમિકા રહી છે. આ જગત ઉપર માણસની પ્રજાતિ રાજ કરે છે એમાં કલ્પનાઓ સર્જવાની અને એનો પ્રસાર કરવાની એની ક્ષમતા બહુ રંગ લાવી છે. સચ્ચાઈ એ છે કે, જીવતા રહેવાની એની જરૂરિયાતમાં સચ્ચાઈની પ્રમુખતા ક્યારે ય રહી નથી.’

બીજા પ્રાણીઓ એમને જે રિયાલિટી મળી છે એમાં જ જીવે છે, માણસજાત એ જ રિયાલિટી ઉપર પોતે કલ્પેલી ‘રિયાલિટી’ થોપે છે. ઉદાહરણ તરીકે, પ્રાકૃતિક રિયાલિટીમાં ઈશ્વરનું અસ્તિત્વ નથી, પણ માણસે કલ્પના કરીને ઈશ્વરની રિયાલિટી ઊભી કરી છે. એવી જ રીતે રૂપિયાની નોટનું પ્રાકૃતિક રીતે કોઈ મહત્ત્વ નથી, પણ માણસે કાગળના ટુકડા ઉપર એક વેલ્યૂની કલ્પના કરી અને એ રૂપિયો ગજબનો ચમત્કાર બની ગયો, જેમાં દરેક માણસ એકસરખી રીતે શ્રદ્ધા રાખે છે.

આ કલ્પના અને આ શ્રદ્ધા કેવી રીતે કામ કરે છે એનું જ્વલંત ઉદાહરણ નોટબંધી છે. ગયા નવેમ્બર મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરતી વખતે એમ કહ્યું કે ભ્રષ્ટાચારીઓ અને દેશવિરોધીઓનું હવે આવી બન્યું છે અને આજ રાતથી એની શરૂઆત થઈ રહી છે ત્યારે એ વાતમાં આપણને ચમત્કારિક સચ્ચાઈ નજર આવી હતી. એ વાત કેટલી લલચાવનારી અને હકીકતથી સાવ નજીકની હતી કે ઈમાનદાર કરદાતાઓ લાઈનમાં ઊભા રહીને એમની મોટી મોટી નોટો બેંકમાં જમા કરાવી દેશે, અને કાળા બજારીઓ એમનાં ઘરોમાં રોકડ નોટોમાં મોઢું છુપાવીને રડશે! નાણામંત્રી અરુણ જેટલીએ પણ કહ્યું હતું, ‘બહુ સીધી વાત છે કે જે લોકો પાસે ગુનાખોરીના રૂપિયા છે એ લોકો મૂરખ નથી કે એને બેન્કિંગ સિસ્ટમમાં જમા કરાવીને જોખમ માથે લે.’

ગયા સપ્તાહે રિઝર્વ બેન્કે જે આંકડા જાહેર કર્યા એ પ્રમાણે તો ભારતમાં કોઈ વ્યક્તિ બેઈમાન નથી, કારણ કે આંકડા મુજબ તો 500 અને 1000ની 99 પ્રતિશત નોટો બેંકમાં પાછી આવી ગઇ છે. મતલબ કે બજારમાં બધા રૂપિયા ઈમાનદારીના હતા! મોદીના વિરોધીઓ આ અહેવાલથી ‘અમે નો’તા કહેતા’ કહીને ખુશ થઇ ગયા છે પણ એમના ફેન-વર્ગની બે પ્રતિક્રિયા છે: એક, ‘એમણે કમ-સ-કમ એક મોટો પ્રયાસ તો કર્યો’ અને બે, ‘એ થોડા પોતાનું ઘર ભરે છે?’ આ સાબિત કરે છે કે દેશના એક મોટા વર્ગને મોદીના આઈડિયા અને ઈન્ટેનશનમાં કોઈ ખામી નજર નથી આવતી. મોદીની સફળતા એ હકીકતમાં છે કે આ દેશમાં બહુ બધા નેતાઓ અને મંત્રીઓ વ્યક્તિગત ઈમાનદારીમાં નિષ્ફળ નીવડ્યા છે ત્યારે મોદીની છબી હજુ સ્વચ્છ રહી છે. એટલા માટે જ મોદી જ્યારે કોઈ ઈન્ટેનશન વ્યક્ત કરે છે ત્યારે એમાં અવિશ્વાસ રાખનારાઓ કરતાં વિશ્વાસ રાખનારાઓ વધુ હોય છે.

વિજ્ઞાન લેખક અને ઇતિહાસકાર માઈકલ શેરમન કહે છે કે, ‘અવિશ્વાસ રાખવા કરતાં વિશ્વાસ રાખવો એ માણસની મૂળભૂત વૃતિમાં છે.’ રાજકારણમાં કોન્સ્પિરસી થિયરીનું બહુ મહત્ત્વ હોય છે. એટલે ભારતના ધનવાન લોકો ચોર છે અને દેશને લૂંટી રહ્યા છે એવી વાત સામાન્ય માણસને એટલા માટે સાચી લાગે, કારણ કે એમને એક તો એમની ગરીબીનું કારણ કે એના માટે જવાબદારનું નામ જોઈતું હતું અને એમની એ માન્યતાને કોઈકે પાણી આપ્યું. તમે જે માનતા હતા એને કોઈ બળ આપે તો તમે એ માની જ લેવાના છો.

માનવવૃત્તિનું ગણિત એવું હોય છે કે, કોઈ વાત માનવામાં કોઈ નુકસાન નથી, પણ ના માનવમાં નુકસાનની સંભાવનાઓ ચોક્કસ છે. માની લો કે તમને ઘાસમાંથી કોઈક અવાજ આવે. એ અવાજ પવનનો છે કે કોઈ જંગલી પશુનો? વેલ, તમે એમ માનો કે ઘાસમાં કોઈ રાની પશુ છે અને એ ખાલી પવનનો અવાજ જ નીકળે તો તમારો અંદાઝ ખોટો પડ્યો એટલું જ. કોઈ નુકસાન નહીં. તમે સાવધ થઇને આગળ વધી જશો, અને આગળ ઉપર જઈને વધુ સાવચેતીપૂર્વક અવાજ સાંભળશો.

બીજી બાજુ, તમે એમ માનો કે ઘાસમાં ખાલી પવનનો અવાજ છે અને, હકીકતમાં જંગલી શિયાળ બહાર આવે તો તમે એના માટે ‘લંચ’ જ બની જાઓ. પહેલી ભૂલ તમને ભારે નહીં પડે, અને તમને વધુ ચોક્કસ બનાવશે. પણ બીજી ભૂલ, કે ઘાસમાં કોઈ જોખમ નથી, તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે. એટલે, આપણા માટે વિશ્વાસ રાખવો એ હિતાવહ રહે છે.

આ દેશના ગરીબ અને સામાન્ય લોકો એમ માને છે કે ધનવાન લોકો જ એમની બધી સમસ્યાનું મૂળ છે, અને જ્યારે એ ધનવાનોને પાઠ ભણાવાની વાત આવે ત્યારે એ નહીં માનવા કરતાં, માનવામાં વધુ સમજદારી દેખાઇ હતી. નોટબંધીમાં ધનિક લોકો બહુ પરેશન થયા અને ‘ગંગા નદીમાં નોટો ફેંકવા લાગ્યા’ એ વાત એટલી પાવરફુલ હતી કે સામાન્યજન પોતાની મુસીબતો ભૂલી ગયો. નોટબંધીમાં જેટલી અંધાધૂંધી મચી, ગરીબોને એમ જ લાગ્યું કે પૈસાવાળા પરેશાન થઈ રહ્યા છે. ભારતમાં જ નહીં, પૂરા જગતમાં ગરીબોને ધનિકો પ્રત્યે તિરસ્કાર છે. એટલે કોઈ નેતા કે રાજકારણી આવીને એ લાગણીનો પડઘો પડે તો સ્વાભાવિક રીતે જ, રાજકારણી પ્રત્યે ઓછો અને ધનિક પ્રત્યે વધુ રોષ હોવાનો. મઝાની વાત એ છે એ રાજકારણી ખુદ ધનવાન હોય તો પણ લોકો પૈસાવાળાને પાઠ ભણાવાની વાત માનવા પ્રેરાવાના જ.

પૈસો આમ પણ બહુ જ પ્રેરણાદાયક બળ છે. દરેક માણસની પાસે પૈસાને લઈને કોઈ ને કોઈ માન્યતા હોય છે. એમાં જ્યારે તમારી માન્યતાને મળતી કોઈક વાત આવે તો એ માન્યતા કરન્સી બની જાય છે જેને ક્યાં ય પણ વાપરી શકાય. આગળ જેની વાત કરી તે હરારી પૈસાને ‘કલેક્ટિવ ફિક્સન’ કહે છે. જેમ તમે એક પથ્થરની મૂર્તિમાં કે સોનાના ટુકડામાં શ્રદ્ધા રાખો છો તેવી જ રીતે રૂપિયો પણ શ્રદ્ધાનું પ્રતીક છે. રૂપિયાનું મૂલ્ય એ નોટમાં નહીં પણ તમારી માન્યતામાં છે. પૈસાની વાત આવે ત્યારે આપણે સાવ અજાણ્યા માણસ સાથે પણ ‘સહકારી પ્રવૃત્તિ’ કરવા તૈયાર થઇ જઇએ છીએ, કારણ કે એ વ્યક્તિ પણ આપણી જેમ પૈસાની ‘કહાની’માં વિશ્વાસ રાખે છે.

હરારી માણસના પૂર્વજ ચિમ્પાન્ઝીનું ઉદાહરણ આપીને કહે છે, તમે ચિમ્પાન્ઝી પાસેથી એનું કેળું એવું કહીને ના મેળવી શકો કે એ જ્યારે મરીને ચિમ્પાન્ઝીના સ્વર્ગમાં જશે ત્યાં એને સાત પેઢી ચાલે એટલાં કેળાંની ભેટ મળશે. ચિમ્પાન્ઝીઓ આવી ‘વાર્તા’ નથી માનતા.

પૈસાના ‘કલેક્ટિવ ફિક્સન’માં વિશ્વાસ રાખવાની ક્ષમતા માત્ર માણસજાતમાં જ છે. એટલે જ માણસ જગત ઉપર રાજ કરે છે અને  ચિમ્પાન્ઝીઓ ઝૂ અને લેબોરેટરીઓમાં રિસર્ચનો વિષય બને છે.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 10 સપ્ટેમ્બર 2017

Loading

એ ડોશી નાનપણમાં જ મરી ગઈ હતી …

વિશાલ શાહ|Opinion - Opinion|12 September 2017

હિમાલયના પહાડોની વચ્ચે એક સુંદર ગામ આવેલું હતું. એ ગામમાં એક ઘરડો ખેડૂત રહેતો હતો. એક દિવસ તેના મૃત્યુનો દિવસ નજીક આવ્યો. ત્યારે ખેડૂતે તેના પુત્રને ખાટલા નજીક બોલાવીને કહ્યું કે, ''પુત્ર, મારે તને ફક્ત એક જ સલાહ આપવાની છે. રાગી (બાજરા જેવું ધાન) ખાતા પહેલાં તેને મીઠી કરજે …''

આટલું બોલીને ખેડૂત મૃત્યુ પામ્યો. પુત્ર વિચારતો જ રહી ગયો કે, રાગીનો લોટ મીઠો કેમ કરવાનો? લોટમાંથી કોઈ વાનગી બનાવીએ એ મીઠી કરીને જ ખાવાની? શું રહસ્ય હશે પિતાજીની વાતનું? જો કે, આવા કોઈ સવાલનો તેને જવાબ નથી મળતો. એટલે પિતાની સૂચનાને ગંભીરતાથી લઈને પુત્રે ગોળ, મધ અને ખાંડ સાથે રાગીનો લોટ ખાવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ નિરાશ થયો. રાગીનો લોટ મ્હોંમાં પણ ઘૂસતો ન હતો.

થોડા દિવસ પછી પુત્ર ફરી એકવાર ખેતીના કામમાં પરોવાઈ ગયો. એક દિવસ તે જંગલે લાકડાં કાપવા ગયો, પરંતુ વરસાદના કારણે લાકડાં ભીનાં થઈ ગયાં હોવાથી સૂકાં લાકડાં ભેગા કરવામાં બપોર થઈ ગઈ. તે થાકીને લોથપોથ થઈ ગયો હતો અને કકડીને ભૂખ પણ લાગી હતી.

એ જ વખતે તેને યાદ આવ્યું કે, આજે તો તેની પત્નીએ રાગીના રોટલા બાંધી આપ્યા છે. મનોમન ખુશ થઈને તેણે પોટલામાંથી રોટલા, મરચું અને ચટણી કાઢ્યા અને ખાવા લાગ્યો. પહેલો કોળિયો ખાતા ખાતા જ ખેડૂત પુત્રને ગજબની અનુભૂતિ થઈ. રાગીના રોટલાનું વાળું આટલું મીઠું અને સ્વાદિષ્ટ તેને ક્યારે ય નહોતું લાગ્યું. એ જ ઘડીને તેને પિતાના છેલ્લાં શબ્દો યાદ આવ્યા. તે તરત જ સમજી ગયો કે, મરણપથારીએ પડેલા પિતાજી તેને શું કહેવા માગતા હતા!

ખેડૂત તેના પુત્રને કહેવા માંગતો હતો કે, જો તમારે તમારાં ભોજનમાં મીઠાશ જોઈતી હોય તો મહેનત કરો. મીઠી ભૂખની મજા માણવી હોય તો મહેનતનું જ ખાઓ.

***

રાત્રે સ્માર્ટફોન મચેડીને કે ટીવી શૉ જોઈને સૂઈ જતાં બાળકોને આવી સુંદર બોધકથાઓ નસીબ નથી. આ નાનકડી વાર્તામાં બાળકોને રસ પડે એ રીતે કેટલી ઊંડી વાત કરાઈ છે! જો આ જ વાત બાળકોને એક જ લીટીમાં કહીએ તો સ્વાભાવિક રીતે જ ભેજામાં ના ઉતરે. એટલે જ સીધીસાદી વાતોને બાળકોના મનમાં ઠસાવવા વાર્તાઓ છે. બાળકનું મનોવિશ્વ ખૂબ જ નાજુક હોય છે. નાનપણમાં સાંભળેલી વાર્તાઓ અર્ધજાગ્રત (સબ કોન્સિયસ) મન પર ઘેરી અસર કરતી હોય છે. આપણે અનેક સફળ વ્યક્તિઓ વિશે સાંભળ્યું છે, જેમના પર નાનપણમાં દાદા-દાદી કે બીજા વડીલોએ કહેલી વાર્તાઓએ પ્રચંડ પ્રભાવ પડ્યો હોય છે! અરે, સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મળ્યો હોય એવા પણ અનેક લેખકો-કવિઓ પણ તેમાંથી બાકાત નથી.

વાર્તાઓમાંથી બાળકો જીવનના બોધપાઠ સિવાય પણ ઘણું બધું શીખે છે. દરેક વાર્તામાંથી બાળકો કંઈક નવી જ વાત શીખી લે છે, જેનો ક્યારેક વાર્તા કહેનારાને પણ અહેસાસ નથી થતો. આપણે ઉપરોક્ત વાર્તાની જ વાત કરીએ. આ વાર્તામાં હિમાલયની વાત આવે છે. હિમાલયની પર્વતમાળામાં પણ ગામડાં છે. ત્યાંના લોકો પણ ખેતી કરે છે. કોઈ બાળક પૂછશે પણ ખરો કે, સ્નોમાં ખેતી થાય? એ પછી રાગી નામનાં ધાનની વાત આવી. હિમાલયના અનેક વિસ્તારોમાં રાગી રોજિંદુ ભોજન છે. આ રાગી એટલે શું? એ આપણે બાળકોને ગૂગલમાં શોધીને બતાવી શકીએ. રાગી એટલે બાજરી જેવું લાગતું એક પ્રકારનું ધાન્ય. રાગી ડાળખી પર દાણાદાણ સ્વરૂપમાં થાય. તેના આકારના કારણે અંગ્રેજીમાં તે 'ફિંગર મિલેટ' તરીકે ઓળખાય છે. આ વાર્તામાં પાત્રોનાં નામ પણ નથી અને છતાં આપણે કલ્પના કરીને ખેડૂત અને ખેડૂત પુત્રને જોઈ લઈએ છીએ. અને છેલ્લે આવે છે બોધપાઠઃ ભોજનમાં સ્વાદ જોઈતો હોય તો મહેનતનું જ ખાઓ.

આ પૃથ્વી પર એવો કયો વિસ્તાર હશે, જ્યાં આ વાર્તાને સ્થળ-કાળનું બંધન નડતું હશે? ક્યાં ય નહીં. આ પ્રકારની વાર્તાઓનું સૌથી મજબૂત પાસું જ એ હોય છે. આ વાર્તા હિમાલયના રાજ્યોમાં ઘણી જાણીતી છે. થોડા સમય પહેલાં જ કાશ્મીરમાં આ વાર્તા સાંભળી હતી. ભારત પાસે આવી વાર્તાઓનો ખજાનો છે કારણ કે, ભારત પાસે ભાષાઓનો ખજાનો છે. હિમાલયની વાર્તા તમે ગુજરાતીમાં વાંચી એવી જ રીતે, બીજી અનેક ભાષાઓમાં ગઈ હશે. બીજી ભાષાઓની વાર્તાઓ હિમાલયના રાજ્યોમાં ગઈ હશે અને રીતે સાંસ્કૃિતક આદાનપ્રદાન થયું હશે. આમ, સાંસ્કૃિતક આદાનપ્રદાનની રીતે પણ વાર્તાઓ અત્યંત મહત્ત્વનું માધ્યમ છે. એટલે જ બાળકોને વાર્તા કહેવાની પરંપરા જીવંત રાખવી જોઈએ. એક સમયે બાળકોને ફક્ત આનંદ-મસ્તી માટે હોરર, થ્રીલર અને સસ્પેન્સ વાર્તાઓ કહેવાતી. આ કારણસર બાળકો એવી વાર્તાઓમાં રસ લેતા અને પછી તેમનું વાંચન વિશ્વ વિસ્તરતું જતું. એ વાર્તાઓમાં બાળકોને વિચારતા કરી દે એવા રમૂજી વાક્યો આવતા. જેમ કે, એ ગામમાં એક ડોશી રહેતી હતી. તે નાની હતી ત્યારે જ મરી ગઈ હતી …

દુનિયાની દરેક સંસ્કૃિત પાસે વાર્તા કહેવાના જાતભાતના માધ્યમો હોય છે. ભારત પાસે પણ વાર્તા  કહેવાના વૈવિધ્યસભર માધ્યમો છે. લેખન, નાટક, નૃત્ય નાટિકા, કઠપૂતળી, રામકથા, ભવાઈ અને સપ્તાહ બેસાડવી એ શું છે? આ બધા વાર્તા કહેવાના જ માધ્યમો છે. ચીનમાં આજે ય શેડો (પડછાયો) આર્ટથી વાર્તા કહેવાય છે. ફિલ્મ, કોમિક્સ અને ઓપેરા પણ વાર્તા કહેવાના જ આધુનિક માધ્યમો છે. સાંસ્કૃિતક અને સાહિત્યિક વારસો વાર્તાઓથી જીવે છે, ભાષાઓથી નહીં. ભાષા ખતમ થઈ જાય છે પણ વાર્તા જીવે છે. અહીં વાર્તાનો અર્થ વ્યાપક અર્થમાં લેવાનો છે. ભારતમાં છેલ્લાં ૫૦ વર્ષમાં ૨૨૦ ભાષા લુપ્ત થઈ ગઈ, પરંતુ લુપ્ત થઈ ગયેલી ભાષાઓનો વાર્તા વૈભવ (જો હોય તો) બીજી ભાષાઓમાં પહોંચીને જીવંત રહ્યો છે. આ વાત એક સીધાસાદા ઉદાહરણથી સમજીએ.

લદાખના અંતરિયાળ પહાડી વિસ્તારોમાં અનેક લોકો પગપાળા પ્રવાસ કરનારાને રાતવાસો કરવાનું આમંત્રણ આપે છે. ત્યાં અજાણ્યાની મહેમાનગતિ કરવી એ પરંપરા છે. મહેમાનગતિની આ પરંપરા હિમાચલ પ્રદેશ, કાશ્મીર, પંજાબ, હરિયાણા અને છેક અફઘાનિસ્તાનના પઠાણો સુધી વિસ્તરેલી છે. લદાખી લોકોનું માનવું છે કે, આપણને આપણા ઘરો પ્રત્યે મોહ ના હોવો જોઈએ. જો ઘર માટે મોહ હોય તો પુનર્જન્મમાં આપણે કાચબો બનીએ. કેમ કાચબો? આ સવાલ પૂછતા જ તેઓ કહે છે કે, કાચબાએ આખું જીવન પોતાનું ઘર સાથે લઈને ફરવું પડે છે.  સંથાલ નામના આદિવાસીઓમાં પણ માન્યતા છે કે, આ પૃથ્વી કાચબાના શરીર પર ગોઠવાયેલી છે. સંથાલ આદિવાસીઓની વસતી પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, ઝારખંડ, ઓડિશા તેમ જ નેપાળ, બાંગ્લાદેશ સુધી જોવા મળે છે. એ લોકોની ભાષા સંથાલી છે. હવે બિલકુલ આવી જ માન્યતા અમેરિકા અને કેનેડાના ઓડાવા બોલી બોલતા આદિવાસીઓમાં પણ છે. તેઓ પણ માને છે કે, પૃથ્વી એક મહાકાય કાચબા પર ગોઠવાયેલી છે. એકબીજાથી હજારો કિલોમીટર દૂરની સંસ્કૃિતઓમાં આ વાત કદાચ વાર્તાઓ થકી જ ગઈ હશે!

કોમિક ફેન્ટસી જોનરની વાર્તાઓના ધુરંધર બ્રિટિશ લેખક ટેરી પ્રેચટે પણ કાચબાની પીઠ પર પૃથ્વીની કલ્પના કરીને સળંગ ૪૧ નવલકથા લખી હતી. આ નવલકથાઓમાં પ્રેચટે ગ્રેટ એ'ટુઇન જેવું વિચિત્ર નામ ધરાવતા કાચબાની મહાકાય પીઠ પર ચાર ખૂણામાં ચાર હાથી અને તેના પર એક ડિસ્ક(થાળી)ની કલ્પના કરી હતી. એ ડિસ્ક પરની દુનિયાને પ્રેચટે 'ડિસ્કવર્લ્ડ' નામ આપ્યું હતું. પ્રેચટની 'ડિસ્કવર્લ્ડ' શ્રેણીની નવલકથાઓનો ૩૬થી વધુ ભાષામાં અનુવાદ થયો છે. પ્રેચટ માસ્ટર સ્ટોરી ટેલર હતા એમાં કોઈ શંકા નથી, પરંતુ હજારો વર્ષ પહેલાં લખાયેલી ભારતીય પુરાણકથાઓમાં પણ 'ચુકવા' અને 'અકુપાર' નામના મહાકાય કાચબાની વાતો આવે છે.

પુરાણોમાં વાંચવા મળે છે એવી જ માન્યતા ભારત-અમેરિકા અને કેનેડાના આદિવાસીઓથી માંડીને ટેરી પ્રેચટ સુધી કેવી રીતે પહોંચી હશે! આ જ તો વાર્તાઓની તાકાત છે. ટેરી પ્રેચટનું ૧૨મી માર્ચ, ૨૦૧૫ના રોજ મૃત્યુ થયું ત્યારે આ જ કોલમમાં તેમના વિશે લેખ લખ્યો હતો. પ્રેચટને ભણવામાં રસ ન હતો, એટલે હોશિયાર માતાએ નાનકડા ટેરીને જાતભાતના કાવાદાવા કરીને વાંચનમાં રસ લેતો કર્યો હતો. એ પછી તો ટેરીએ બ્રિટનના બકિંગહામશાયરમાં બિકન્સફિલ્ડની પબ્લિક લાઇબ્રેરીનાં બધાં જ પુસ્તકો વાંચી કાઢ્યા. કદાચ એ વખતે તેમણે ‘કાચબાની પીઠ પર પૃથ્વી છે એવું કંઈ’ વાંચ્યું હોઈ શકે!

ઓસ્ટ્રેલિયાની ધરતી પર પણ એક સમયે સમૃદ્ધ આદિવાસી (એબઓરિજિનિલ્સ) સંસ્કૃિત હતી. આ આદિવાસીઓનો પણ મોટા ભાગનો સાંસ્કૃિતક વારસો લુપ્ત થઈ ગયો છે, પરંતુ વાર્તાઓના કારણે તેમનું થોડું ઘણું પરંપરાગત જ્ઞાન સચવાયું છે. જેમ કે, આશરે સાત હજારથી ૧૮ હજાર વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારાની સપાટી ખૂબ વધી ગઈ હતી. અત્યારના વિજ્ઞાનીઓ આ વાત જાણે છે એવી જ રીતે, ઓસ્ટ્રેલિયાના બાકી બચેલા ૩૦૦-૪૦૦ આદિવાસીઓને પણ આ વાતની જાણકારી છે. આ માહિતી તેમણે પેઢી દર પેઢી સાંભળેલી વાર્તાઓમાંથી મેળવી છે. આ વાર્તાઓમાં સત્ય અને કલ્પનાનું જોરદાર મિશ્રણ થયેલું હોય છે. ભારતમાં પણ આ પરંપરા છે. વાંચતા પણ આવડતું એવા ભારતીયો પણ રામાયણ, મહાભારત અને પુરાણોની વાતોથી વાકેફ હોય છે. તેમણે પણ એ જ્ઞાન સાંભળીને મેળવ્યું હોય છે. હા, ટેલિવિઝનમાં પણ એ વાતો સાંભળી હોઈ શકે છે.

દાદા-દાદી, માતા-પિતા કે ઘરના બીજા વડીલોમાં જ વાચનનો શોખ ઘટી રહ્યો છે. એ માટે મોબાઈલ ફોન અને ટેલિવિઝન જેવા સ્માર્ટ માધ્યમો જવાબદાર છે, પરંતુ રોજિંદા જીવનની ઘટમાળમાં કોને પ્રાથમિકતા આપવી અને શું પાછું હડસેલવું એ આપણા હાથની વાત છે. અહીં સ્માર્ટ ફોન કે ટેલિવિઝનનો જૂનવાણી વિરોધ નથી, પરંતુ બાળકોને અઠવાડિયામાં બે-ચાર વાર વાર્તા સંભળાવવાનો નિયમ બનાવવો જોઈએ એવું કહેવા આ વાર્તા કરાઈ છે. જો આ જ વાત એક જ લીટીમાં કહેવાય તો કોને રસ પડે? ગુજરાતમાં તો બહુ ઓછા પરિવારોમાં ગુણવત્તાસભર વાંચનની આદત જોવા મળે છે. એમાં ય બાળકો માટે ઉત્કૃષ્ટ બાળ સાહિત્ય વાંચનારા અને ઉત્તમોતમ પુસ્તકો વસાવનારા વડીલો કેટલા? જો બાળકોને વાર્તા કહેવાનો નિયમ બનાવ્યો હશે તો વડીલોએ પણ વાંચવુ પડશે અને સારી વાર્તાઓની શોધમાં નવાં નવાં પુસ્તકો પણ શોધીને વસાવવાં પડશે.

હવે બાળકોને વાર્તા કહેવાના નિયમનો અમલ કરો ત્યારે એટલું યાદ રાખજો કે, તમે એક બાળકમાં સારા ગુણોનું સીંચન કરવાની સાથે સાથે ભવ્ય સાંસ્કૃિતક વારસો ટકાવવામાં પણ ફાળો આપી રહ્યા છો.

—–

સૌજન્ય : ‘ગુજરાત સમાચાર’, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ

http://vishnubharatiya.blogspot.co.uk/2017/09/blog-post_12.html

આ લેખમાં જેનો ઉલ્લેખ છે એ ટેરી પ્રેચટના લેખની લિંક …

http://vishnubharatiya.blogspot.co.uk/2015/03/blog-post_31.html

Loading

ગૌરી લંકેશ હત્યા : ભિન્નમત વ્યક્ત કરનારને ગોળીએ દેવા એ લોકશાહી દેશ માટે લાંછન

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|9 September 2017

પત્રકાર તરીકે તેમણે કોમવાદી રાજકારણ, સાંપ્રદાયિક્તા, અસમાનતા, ભ્રષ્ટાચાર, શોષણ જેવાં દૂષણો સામે સતત અવાજ ઊઠાવ્યો

લડાયક પત્રકાર ગૌરી લંકેશની હત્યાથી દેશના સંવેદનશીલ નાગરિકો ખળભળી ઊઠ્યા છે. ગૌરી લંકેશ પ્રગતિશીલ અને ડાબેરી વિચારસરણી ધરાવતા પત્રકાર હતાં. એક મોટાં અંગ્રેજી અખબારથી તેમણે કારકિર્દીની શરૂઆત કરી. ત્યાર બાદ કેટલાંક વર્તમાનપત્રો અને પ્રકાશનોમાં કામ કર્યું હતું. પછી ઊંડી સામાજિક નિસબત ધરાવતા તેમનાં પત્રકાર-સાહિત્યકાર પિતા પી. લંકેશ દ્વારા ચલાવવામાં આવતા કન્નડા સાપ્તાહિક ટૅબ્લૉઈડ ‘લંકેશ પત્રિકે’ માં જોડાયાં. પિતાના અવસાન બાદ તેઓ તેના તંત્રી પણ બન્યાં. પત્રકાર તરીકે તેમણે કોમવાદી રાજકારણ, સાંપ્રદાયિકતા, અસમાનતા, ભ્રષ્ટાચાર, શોષણ જેવાં દૂષણો સામે સતત આવાજ ઊઠાવ્યો. તેમનો આખરી તંત્રીલેખ  ફેક ન્યૂઝ  એ પત્રકારિતા અને દેશને કેવી રીતે તોડી રહ્યા છે તે અંગેનો હતો. ગયાં ત્રણ મહિનામાં  ગૌરીએ  કેન્દ્ર સરકાર અને તેના નેતાઓની તેજાબી ટેકા કરતાં નવ સમાચાર-લેખો આપ્યા હતાં. તેમની આખરી સાપ્તાહિક કટારમાં તેમણે ગોરખપુર હૉસ્પિટલમાં બાળકોનાં મોત અને ડૉ. કાફીલ ખાનની હકાલટ્ટીના વિરોધમાં લખ્યું હતું. ત્રીસમી ઑગસ્ટના અંકમાં એમણે ભા.જ.પ.ના એક અગ્રણીની મુલાકાત વિશે ‘કર્ણાટકમાં ભડકો કરવા માટે આવેલ ભગવા માણસની વાત’ નામનો લેખ લખ્યો હતો. હિન્દુત્વવાદી રાજકારણને નિશાન બનાવતો લેખ પણ આ જ અંકમાં છે. ભા.જ.પ.નું એકંદર રાજકારણ પણ ભડકાવનારું છે એ તેમણે  વરંવાર લખ્યું હતું. ડાબેરી ચળવળોની તે ખાસ દખલ લેતાં. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના કન્હૈયાકુમારને તે પોતાનો દીકરો માનતાં. તેમનાં સ્નેહનાં અનુભવો  ગુજરાતના યુવા દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ ફેઇસ બુક પર લખ્યા છે. નક્ષલવાદીઓને સમાજની મુખ્ય ધારામાં સમાવવા માટેની સરકારની યોજનાઓમાં  પણ  તેઓ સહાયરૂપ થતાં હતાં. સિરિમાને નાગરાજ જેવા અગ્રણી નક્ષલવાદીને સમાજમાં પાછા લાવવામાં તેમણે સફળતા મેળવી હતી. અલબત્ત, એને કારણે તેમણે ઘણા લોકો ઉપરાંત છેડાના નક્ષલવાદીઓની ખફગી પણ વહોરી હતી.  તેમની  હત્યા પાછળ જે કેટલીક થિયરીઓ ચાલી રહી છે એમાં આ એક પણ ગણાવવામાં આવી રહી  છે.

અલબત્ત, સહુથી વ્યાપક થિયરી એ છે કે ગૌરીની હત્યા તેમણે પ્રતિગામી, વિભાજક હિંદુત્વવાદી વિચારધારાના કરેલા સતત વિરોધને કારણે થઈ. તેમની હત્યાની પદ્ધતિ અને સંભવિત કારણો ત્રણ રૅશનાલિસ્ટોની થયેલી હત્યા સાથે સામ્ય ધરાવે છે. કર્ણાટકના જ ધારવાડમાં ભાષા-સંસ્કૃિતના સંશોધક-અધ્યાપક અને હમ્પી યુનિવર્સિટીની પૂર્વ કુલપતિ એમ.એમ. કલબુર્ગી(ઉંમર 76)ની 30 ઑગસ્ટ 2015 ના રોજ તેમના ઘરે હત્યા થઈ. કાલબુર્ગીએ  મૂર્તિપૂજાના  વિરોધી તો  હતા જ, ઉપરાંત પોતાના અભ્યાસો થકી બંધિયાર ધાર્મિક માન્યતાઓને તેમણે ધક્કો આપ્યો હતો. તે પહેલાં કોલ્હાપુરના સામ્યવાદી કાર્યકર્તા ગોવિંદ પાનસરે(82)ની હત્યા 16 ફેબ્રુઆરી 2015ના રોજ થઈ. પાનસરે કુરૂઢિઓનો વિરોધ અને આંતરજ્ઞાતીય લગ્નોનો પ્રચાર કરતા હતા. અલબત્ત તેમનું સહુથી મહત્ત્વનું કામ તો ‘શિવાજી કોણ હોતા?’ વિષય પરનાં વ્યાખ્યાનો અને એ નામનું પુસ્તક હતું. તેમાં તેમણે ભાજપ, શિવસેના અને ઝનૂની સંગઠનોએ ઊભાં કરેલાં કેવળ લડાયક હિંદુત્વવાદી રાજા શિવાજીને  બદલે બધાં ધર્મ અને કોમની સમાનતામાં માનનારા રાજા તરીકેના શિવાજી મહારાજ  ઐતિહાસિક દસ્તાવેજી પુરાવા સાથે લોકો સામે મૂક્યા હતા. પૂનાના નરેન્દ્ર દાભોળકરે  અંધશ્રદ્ધા નાબૂદીના ભેખધારી હતા. તેમની દાયકાઓની ઝુંબેશ થકી તેમણે જાદુ-ટોણો, ચમત્કાર અને ધાર્મિક કર્મકાંડ થકી જનતાને છેતરીને સત્તા અને સંપત્તિ મેળવનારાની સામે મોટો લોકમત ઊભો કર્યો હતો. સ્વાભાવિક રીત જ તેઓ રાજકીય પક્ષો સહિત અનેક પ્રકારનાં સ્થાપિત હિતો માટે નડતર રૂપ હતા. એટલે તેમની 20 ઑગસ્ટ 2013 ના દિવસે હત્યા કરવામાં આવી. આમાંથી પહેલી બે સાથે સનાતન સંસ્થા નામનાં જમણેરી સંગઠનનું નામ હોવાનું તપાસમાં નોંધાયું છે. આ ત્રણેય હત્યાઓ જ્યાં થઈ ત્યાં અને કેન્દ્રમાં કૉન્ગ્રેસની  સરકારો હતી. અત્યારે પણ કર્ણાટકમાં કૉન્ગ્રેસની સરકાર જ છે. તે કાલબુર્ગીની હત્યાની તપાસમાં ભાગ્યે જ કશું કરી શકી છે.

કર્ણાટકમાં ભાષા, જાતિ અને ધર્મના નામે કાયદો અને વ્યવસ્થાનાં પ્રશ્નો છે. બેંગલોરમાં સ્ત્રીઓની અસલામતી વધતી રહી. પાટનગર અને ઉડુપીમાં અસહિષ્ણુ ટોળાંનું મૉરલ પોલીસિંગ વધી રહ્યું છે. આવા સમયે સરકાર સ્ટીલના ફ્લાય-ઓવર બનાવવામાં અને આગામી ચૂંટણીઓ માટે ફંડ ઊભું કરવામાં વ્યસ્ત છે.  કર્ણાટક સરકારે ગૌરીના રાજકીય સન્માન સાથે અંત્યસંસ્કાર કર્યા અને તે પરિવારે સ્વીકાર્યા એ હકીકત પણ ચર્ચાસ્પદ બની છે. સત્તાવાળાની  સદા વિરોધી એવાં ગૌરીના જીવનકાર્ય સાથે સાથે બંધબેસતું ન હતું  એમ કહેવામાં આવી રહ્યું છે.

ગૌરીની હત્યા બાદ સોશ્યલ મીડિયા પર જે ઝેર ઓકવામાં આવ્યું  તેમાં આપણાં  સમાજનો એક હિસ્સો કેવો સંવેદનહીન અને અસંસ્કારી બનતો જાય છે તે જોવા મળી રહ્યું છે. તેમાં  તથાકથિત  રાષ્ટ્રવાદીઓ પાયાની  સભ્યતા  અને આ દેશમાં  પળાતા મુખ્ય ધર્મ એવા હિંદુ ધર્મએ બતાવેલી મૃત્યુ પર પાળવાની મર્યાદા પણ ચૂકી  ગયા. તેમાં સહુથી હીન ભાષામાં ટ્વિટ કરનાર નિખિલ દધિચ પર તો ખૂબ પસ્તાળ પડી જ, પણ તેની સાથે તેને ફૉલો કરનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ બધે યથાર્થ  રીતે ટીકાનું કેન્દ્ર બન્યા છે.

ગૌરી લંકેશ પણ – તેમના લખાણના ઘણા ચાહકો ટેકેદારો હોવા છતાં – સતત ટીકાનું કેન્દ્ર બનતાં રહ્યાં છે. તે કૉન્ગ્રેસ તરફી હોવાનું પણ કહેવાય છે. ગયા વર્ષે તેમણે એક મૂલ્યાંકન લેખમાં કૉન્ગ્રેસને એંશી ટકા ગુણ આપ્યા હતા. ભા.જ.પ.ના બે આગેવાનોએ તેમના પર કરેલા બદનક્ષીના કેસમાં તેમને અદાલતે છ મહિનાની જેલની સજા પણ કરી હતી, પણ તેમને જામીન મળ્યા હતા. તેમણે મૂકેલી હકીકતો ઘણાંને નડી હતી. તેમણે લીધેલી ભૂમિકાઓ ઘણાને કઠી હતી. તેમના વિચારો કેટલાક લોકોને માફક ન આવે એટલા ભિન્ન રહ્યા હતા.

પણ ભિન્ન મત વ્યક્ત કરનારને ગોળીએ દેવા એ કોઈપણ સંસ્કારી સમાજ અને લોકશાહી દેશ માટે લાંછનરૂપ છે. એ વિચારોને પણ વ્યક્ત થવાનું સ્વાતંત્ર્ય એ લોકશાહીના આધારસ્તંભ એવા પત્રકારત્વના પાયામાં છે. ભારતનો ક્રમ અખબારી સ્વાતંત્ર્યમાં નીચો ગયો છે. વળી ધર્મ,જાતિ, ભાષા, જીવનશૈલીનું અપાર વૈવિધ્ય ધરાવતાં આ દેશ પર કોઈ એક વિચારધારા લાદી શકાય નહીં. ભારતીય પરંપરામાં આસ્તિક અને નાસ્તિક બંને તત્ત્વજ્ઞાન છે બૌદ્ધ વિચાર તો યજ્ઞસંસ્થા અને કર્મકાંડ સામેના બળવામાંથી ઊભો થયો છે.  વિવાદ-વિમર્શ કહેતાં ડિબેટ આ દેશની ઉજ્જ્વળ પરંપરા છે. એમાંથી આ દેશની લોકશાહીનો પ્રવાસ આગળ ચાલ્યો છે. વૈવિધ્યની જાળવણી એ જ આ દેશને ટકાવી રાખનારું પરિબળ બની શકે છે.

રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને તાજેતરમાં કહ્યું છે કે નવા ગ્લોબલ ઑર્ડરમાં ઇનૉવેશન, હ્યૂમન કૅપિટલ અને સૉફ્ટ પાવરને માટે ખૂબ જરૂરી એવી બે બહુ મોટી ‘ઇકૉનૉમિક અ‍ૅસેટ્સ’ આ દેશ પાસે છે – અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને સહિષ્ણુતા. આ બંને આપણે ગુમાવી ન દઈએ તે માટેની ચેતવણી ગૌરી લંકેશની હત્યાએ  ફરી એક વાર આપણને આપી છે.

+++++

07 સપ્ટેમ્બર 2017

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 08 સપ્ટેમ્બર 2017

Loading

...102030...3,2893,2903,2913,292...3,3003,3103,320...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved