નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ‘પ્રત્યક્ષ’નો ‘અંક છેલ્લો’ બહાર પડ્યો. વર્ષ છવ્વીસ અંક એકસો એક. ઠીક ખાલીપો અનુભવાય છે. આ સામયિક માટે ખૂબ માન હતું, માત્ર પુસ્તકોનાં સામયિક તરીકે ખાસ. તેમાં ક્યારે ય લખ્યું નથી. અંગ્રેજીમાં ખાસ નવાં પુસ્તકો વિશેનાં ‘બિબ્લિઓ’ કે ‘બુકરિવ્યૂ’ જેવાં માતબર સામયિકો ઘણાં સમાયથી જોવાનાં થાય, ત્યારે આપણી ભાષામાં પણ માત્ર પુસ્તકો વિશેનું સામયિક ‘પ્રત્યક્ષ’ છે તેનો હરખ થતો. રમણભાઈની ધખના વિશે આદર થતો, જે આજે ય અકબંધ છે. ‘પ્રત્યક્ષ’નું જે કંઈ ઉત્તમ છે તેનો અર્ક તાજેતરમાં રમણભાઈએ સંપાદિત કરેલા સંગ્રાહ્ય પુસ્તક ‘અવલોકન-વિશ્વ’માં મળે છે. ‘પ્રત્યક્ષ’ વિશે વધુ લોકોને ખબર પડવી જોઈએ એવા ઉમળકાથી ‘નવગુજરાત સમય’ની કૉલમ ‘કદર અને કિતાબ’ માં ૨૦૧૫ના એપ્રિલમાં વિશ્વપુસ્તક દિન નિમિત્તે લખ્યું હતું. એ લેખ સંકોચ સાથે, અને સંકોચ છતાં ‘નિરીક્ષક’ના સંપાદકને મોકલ્યો તે આ મુજબ :
‘પ્રત્યક્ષ’ પુસ્તકો વિશેનું એકમાત્ર ગુજરાતી સામયિક છે. ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ વિવેચક રમણ સોનીના સંપાદન હેઠળ આ સામયિક ગયાં ચોવીસેક વર્ષથી ધ્યેય અને ગુણવત્તાનાં સાતત્યથી પ્રકાશિત થાય છે. દર ત્રણ મહિને બહાર પડતા, પુસ્તક-અવલોકનના આ સામયિકના અત્યાર સુધીના ત્રાણું અંકોમાં નવસો જેટલાં નવાં ગુજરાતી પુસ્તકો વિશે લેખો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. આવકાર તરીકે તેણે ત્રણેક હજાર પુસ્તકો વિશે લખ્યું છે. તેના માટેનો વિભાગ છે ‘પરિચય-મિતાક્ષરી’. નમૂના તરીકે એક પુસ્તક માટેની નોંધ તેના નવા અંકમાંથી જોઈએ : ‘રંગભૂમિ ૨૦૧૪’ – ઉત્પલ ભાયાણી. ઇમેજ, મુંબઈ-અમદાવાદ, ૨૦૧૪. ક્રાઉન સાઇઝ. પાનાં ૧૫૨, રૂ.૧૫૦. રંગભૂમિનાં ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી નાટકો વિશેના લેખો.’ આવી પાયાની વિગતો સાથે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર, નિબંધ, બાળસાહિત્ય, વિવેચન, લોકસાહિત્ય, ઉપરાંત વિજ્ઞાન, માનવવિદ્યાઓ, પત્રકારત્વ સહિતનાં અનેક ક્ષેત્રોનાં ગુજરાતી પુસ્તકોનાં આગમનની જાણ ‘પ્રત્યક્ષ’ વાચકોને કરતું રહે છે. એ અર્થમાં આ ત્રૈમાસિક વાચકને ‘સર્જાતા સાહિત્યના સીધા સંપર્કમાં મૂકી આપનાર હાથપોથી જેવું’ બને છે.
વાચકોને ઉપયોગી થવાનું આ ધ્યેય જાન્યુઆરી ૧૯૯૧ના પહેલા અંકના સંપાદકીયમાં જણાવવામાં આવ્યું છે. તેમાં અવલોકનો અને ગ્રંથસમીક્ષાના સામયિકની ઉણપ પૂરવાનો મનોયત્ન પણ સમાયેલો છે. એ મુજબ ‘પ્રત્યક્ષ’માં સાહિત્યનાંનવાં પુસ્તકો વિશે અગ્રણી અભ્યાસીઓના લાંબા લેખો મળે છે. તેમાં આસ્વાદ સાથે સ્પષ્ટ મૂલ્યાંકન હોય છે. ‘હૃદયંગમ બાળવાર્તાઓ’, ‘એક અસાધારણ અનુવાદ સંચય’, ‘ગુજરાતી વાર્તાની સમૃદ્ધિમાં ઉમેરો’ જેવા પ્રશંસાત્મક લેખો મળે છે. પણ સામે ‘રદ કીધા જેવું ચોપડું’, ‘ઊતરતી કોટિના ગ્રંથનો લથડતો અનુવાદ’, ‘અનુભવી કાવ્યજ્ઞની વેઠ’ જેવા મથાળાં સાથેના લેખો પણ હોય છે. ધારદાર મંતવ્યો નિમિત્તે તેમ જ સાહિત્યજગતની અનેક બાબતોને લઈને ઊભા થયેલા વિવાદોને, સ્થાન અને પ્રોત્સાહન આપવામાં ‘પ્રત્યક્ષ’ની ભૂમિકા રહી છે.
‘પ્રત્યક્ષ’ માટે સાહિત્યનું પુસ્તક એ સર્વસ્વ છે. એટલે તેના મુદ્રણ-નિર્માણ-પ્રકાશનનાં પાસાંને તે ન આવરી લે તો જ નવાઈ. આ દિશામાં ત્રણેક વર્ષ પૂર્વેનાં કેટલાક અંકોમાં ચાલેલી ચર્ચા ગુજરાતી સાહિત્યમાંનોખી હતી. પુસ્તક કહેતાં પાઠ્યપુસ્તકની પણ ચિંતા કરનાર જૂજ સામયિકોમાં એક તરીકે ‘પ્રત્યક્ષ’એ ગયાં ત્રણ અંકોનો મોટો હિસ્સો શાળા-પાઠ્યપુસ્તકો વિશે ફાળવ્યો છે. તેમાં શિક્ષકો તેમ જ નિષ્ણાતોએ જુદાં જુદાં ધોરણનાં ગુજરાતી પાઠ્યપુસ્તકોનાં લેખાંજોખાં કર્યાં છે. એ જ રીતે ગ્રંથસમીક્ષા અને અનુવાદ અંગે ચર્ચાસત્રો યોજીને તેની સામગ્રીને વિશેષ સ્થાન આપ્યું છે. ‘પ્રત્યક્ષ’ની સાહિત્યનિષ્ઠા બતાવનાર વધુ એક ઘટક છે સૂચિ. દરેક વર્ષના ચાર અંકોમાં, પહેલાંના વર્ષ દરમિયાન વિવિધ સામયિકોમાં જે નોંધપાત્ર વિવેચન-લેખો લખાયા તેની માહિતી ‘સામયિક લેખ સૂચિ’ હેઠળ હોય છે. સાહિત્યકૃતિઓ પરથી બનેલી ફિલ્મો વિશે લેખમાળા તરીકે, તેમ જ ‘વરેણ્ય’ વિભાગ હેઠળ વિશેષ ગુણવત્તા ધરાવતાં નવાં-જૂનાં પુસ્તકો વિશે વાંચવા મળે છે. રમણભાઈના તંત્રીલેખ ‘પ્રત્યક્ષીય’ની મહત્તા સમજવા તે લેખોને પ્રત્યક્ષ વાંચવા રહ્યા. તમામ પ્રકારની સામગ્રી અને તેની રજૂઆતમાં ઊંચાં ધોરણો માટેનો આગ્રહ ‘પ્રત્યક્ષ’નું અવિભાજ્ય અંગ છે. જો કે નોધવું જોઈએ કે ‘પ્રત્યક્ષ’ ‘પૉપ્યુલર મૅગેઝિન’, ‘લિટલ મૅગેઝિન’ કે ‘વ્હ્યૂ મૅગેઝિન’ કરતાં સાહિત્યનાં જ પુસ્તકપ્રેમી અભિજનો માટેનું ગ્રંથસમીક્ષાનું પાંચસોએક નકલોનો ફેલાવો ધરાવતું ત્રૈમાસિક બને છે.
‘પ્રત્યક્ષ’ના સંપાદન વિશેષાંક પરથી થયેલું પુસ્તક ‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ સીમાચિહ્ન છે. વળી આ સામયિકમાં પાનાં તૈયાર કરતી વખતે જે ખાલી જગ્યા પડે ત્યાં મૂકવામાં આવેલા અવકાશપૂરકો અથવા ફિલર્સ પરથી ‘બુંદબુંદની સૂરત નિરાલી’ નામે સામયિક સંપાદન વિશેનાં અવતરણોનો અનોખો સંચય બહાર પડ્યો છે. તેનું પેટામથાળું છે : ‘દોઢસો વર્ષની ગુજરાતી સાહિત્યસામયિક-પરંપરાના વિચારસંચલનો’. ‘પરોક્ષે પ્રત્યક્ષે’ પુસ્તકમાં રમણ સોનીના સંપાદકીય વાંચવા મળે છે. તેમાં પુસ્તક નામની ઘટનાને અનેક સાહિત્યિક દૃષ્ટિબિંદુઓથી અભ્યાસનારો ગ્રંથજ્ઞ અને વિવેચક મળે છે.
આ રમણ સોની ન હોત તો દરેક સાહિત્યપ્રેમીની દુનિયાને ન્યાલ કરનાર સામયિક ન મળ્યું હોત. સિત્તેરની નજીક પહોંચેલા ગુજરાતીના પૂર્વ અધ્યાપક, કોશનિષ્ણાત અને સૂચિકાર રમણભાઈ ‘પ્રત્યક્ષ’ના કેવાં ‘લાડ લડાવ્યાં છે’ તે દરેક અંકની માવજત પરથી ધ્યાનમાં આવે છે. કોઈ સંસ્થાના ટેકા કે અનુદાન વિના ચાલતા આ ‘દુસ્સાહસ’ માટે તેમણે વ્યક્તિગત આર્થિક ખોટ પણ એક કરતાં વધુ વખત વેઠી છે. તેમને સાથ આપનાર સૂચિકારો, અભ્યાસીઓ, લેખકોનો યથોચિત ઋણસ્વીકાર રમણભાઈ કરે છે. છતાં દરેક અંક પર મુદ્રા તો તેમની જ અંકાયેલી છે. પુસ્તકો વિશેના ખજાના જેવા ‘ગ્રંથ’ માસિક (૧૯૬૪-૮૫) અને તેના સંપાદક યશવંત દોશી એકબીજાનાં પર્યાય હતા. ‘પ્રત્યક્ષ’ અને રમણ સોનીનું એમ જ છે. ‘ગ્રંથ’ નો વિશાળ વિષયપટ ‘પ્રત્યક્ષ’ માં હોય એવું આપણા બૌદ્ધિક જગતની કેટલીક મર્યાદાઓ છતાં રમણભાઈની ક્ષમતાને કારણે અને વિક્લ્પોને અભાવે લાગ્યા કરે છે. સાહિત્યનાં પુસ્તકોના ચાહક માટે પવનની લહેરખી જેવાં ‘પ્રત્યક્ષ’ થકી નવાં પુસ્તકોની સુવાસ આપણા સુધી પહોંચતી જ રહે છે.
E-mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2017; પૃ. 09
પૂરવણી : –



સૌજન્ય : પીયૂષભાઈ ઠક્કરની ફેઇસબૂક વૉલ પરેથી
![]()


ભારતમાં ૧૯૯૧માં ઉદારીકરણની નીતિ અપનવવામાં આવી એ પછી આર્થિક વૃદ્ધિ (જી.ડી.પી.ની વૃદ્ધિ) આર્થિક નીતિનો સર્વોચ્ચ ઉદ્દેશ બની છે. બજારવાદી અર્થશાસ્ત્રીઓના મત પ્રમાણે દેશની મોટા ભાગની સમસ્યાઓનો ઉકેલ આર્થિક વૃદ્ધિમાં રહેલો છે, ખાસ કરીને ગરીબી અને બેકારીના પ્રશ્નનો ઉકેલ તો આર્થિક વૃદ્ધિમાં જ રહેલો છે. ભારતમાં બે દાયકા સુધી જી.ડી.પી.નો વૃદ્ધિદર આઠ ટકાથી વધુ રહે, તો દેશની બેકારીની અને ગરીબીની સમસ્યા ઊકલી જાય અને દેશ મધ્યમસ્તરના વિકસિત દેશોની હરોળમાં આવી જાય એવો એક અંદાજ મૂકવામાં આવ્યો છે. નીતિઆયોગના પૂર્વઉપાધ્યક્ષ પાનસરિયાએ આવો એક દાખલો ગયા એપ્રિલમાં તેમના ‘વિઝન’ના એક ભાગરૂપે ગણ્યો હતોઃ ૨૦૧૫-૧૬માં ભારતની કુલ જી.ડી.પી. રૂ. ૧૩૭ લાખ કરોડ હતી અને માથાદીઠ આવક રૂ. ૧૦,૬૫૮૯ હતી. ૨૦૩૧-૩૨માં કુલ જી.ડી.પી. વધીને રૂ. ૪૬૯ લાખ કરોડ અને માથા દીઠ આવક વધીને રૂ, ૩,૧૪,૭૭૬ થશે. આ દાખલામાં તેઓ એવી ધારણા પર ચાલ્યા છે કે ઉપર્યુક્ત ૧૫ વર્ષ દરમિયાન દેશની જી.ડી.પી. એકંદરે વાર્ષિક આઠ ટકાના દરે વધતી રહેશે. આ વિચારણાના આધાર પર આઠ ટકાનો અને બને તો દસ ટકાનો આર્થિક વૃદ્ધિનો દર બે દસકા સુધી ટકાવી રાખવાનું ધ્યેય સરકાર અને દેશ સમક્ષ મૂકવામાં આવ્યું છે. આ ઊંચા વૃદ્ધિદરની ચર્ચા અહીં ગરીબી અને બેકારીના સંદર્ભમાં કરી છે.
ભારતમાં આર્થિક વૃદ્ધિનો ઊંચો દર ગરીબી ઓછા પ્રમાણમાં ઘટાડી શકે છે. એનો ખુલાસો, સર્જાતી આવકની અત્યંત અસમાન રીતે થતી વહેંચણીમાં શોધવાનો છે. ભારતમાં આવકની વહેંચણી અંગેનો એક સંશોધન-લેખ તાજેતરમાં પ્રગટ થયો છે. (‘ભારતમાં આવકની અસમાનતા, ૧૯૨૨-૨૦૧૪ઃ બ્રિટિશરાજથી અબજપતિઓના રાજ ભણી?’) એના એક લેખક પિકેટી૧ આવકની અસમાનતા અંગેના એમના અભ્યાસથી વિશ્વસ્તરે પ્રસિદ્ધિ પામ્યા છે. ભારતમાં ૧૯૮૦થી ૨૦૧૪ વચ્ચે આર્થિક વૃદ્ધિના ઊંચા દરથી સર્જાયેલી આવકની જે અસમાન વહેંચણી થઈ છે તેનું ચિત્ર આ અભ્યાસમાંથી સાંપડે છે. તળિયાના ૫૦ ટકાના ભાગે વધેલી આવકનો ૧૧ ટકા હિસ્સો ગયો હતો; બીજે છેડે ટોચના ૧૦ ટકાના ભાગે ૬૬ ટકા જેટલો મોટો ભાગ ગયો હતો અને ટોચના એક ટકાના દસમા ભાગમાં લોકો પાસે ૧૨ (બાર) ટકા જેટલી આવક ગઈ હતી, તેનાથી વધારે આવક ટોચના એક ટકાના દસમા ભાગના લોકો પાસે ગઈ હતી.
ઇશિગુરોને રૉયલ સોસાયટી ઑફ લિટરેચર દ્વારા અપાતું વિનિફ્રેડ હોલ્ટબી પ્રાઇઝ, બુકર પ્રાઈઝ, સમકાલીન શ્રેષ્ઠ યુવા બ્રિટિશ સર્જકોની યાદીમાં સમાવેશ એમ વિવિધ રીતે નવાજવામાં આવ્યા છે, પણ આ બધી બાબતોમાં તે સાવ નિર્લેપ છે. પોતાની કૃતિઓમાં માત્ર જાપાનના વારસાને વ્યક્ત કરવાને બદલે બૃહદ્દ માનવજાતની સમસ્યાઓ, વંદના અને નિસબત લઈ આવવામાં સર્જકધર્મ સમજે છે. તસલીમા નસરીનની જેમ, ભલે સ્થાપિત હિતો તેમની ઓળખ મર્યાદિત કરી નાખે પણ એક સર્જકની દૃષ્ટિએ, અનુકંપા, સંવેદન સમગ્ર બ્રહ્માંડને આવરી લે છે.
ઇશિગુરોના વાચકોને સૌથી વધારે સ્પર્શી જતી કૃતિ ‘The Remains of the Day’ છે. જેમાં સ્ટિવન્સ નામનો બટલર, જ્યાં વર્ષો લગણ કામ કર્યું છે, તે Darlington Hall, તેના અવસાન પામેલા મૂળ માલિક, નવા માલિક શ્રીમાન ફેરેડ, પોતે જેની સાથે આ વિશાળ મકાનમાં નોકરી કરી હતી, તે કેન્ટન નામની મહિલા, અન્યત્ર કાર્યરત બટલર્સ સાથેના સંબંધોને આ સ્થળની મુલાકાત દરમિયાન સ્મરે છે અને અકથ્ય પીડા અનુભવે છે. અહીં ક્યારેક યોજાતી રહેતી પેલી ભવ્ય મિજબાનીઓ, મુલાકાતે આવતા મહાનુભાવો, તેમની ચર્ચાઓ ‘तेहिनो दिवसा: गता’ ન્યાયે બધું જ ભૂતકાળની ગર્તામાં દટાઈ ગયું. એક રશિયન કવિની સલાહ પ્રમાણે One Should not visit the place where one spent his childhood, કારણ કે ભૂતકાળનાં દૃશ્યો અને વ્યક્તિઓ હવે મુખોમુખ ન થવાથી પીડા સિવાય કશાયની ભેટ મળતી નથી. એવું જ જ્યાં જિંદગીનાં ઉત્તમ વર્ષો નોકરીના ગાળ્યાં હોય, કોઈ તેની બાબતમાં, સ્ટિવન્સની આંખો ઘણું બધું શોધી રહી પણ વ્યર્થ.