Opinion Magazine
Number of visits: 9584091
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દીપ-આવલી: જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|16 October 2017

લંકાના દાનવ રાજા રાવણનો વધ કરીને રામ 14 વર્ષના વનવાસ પછી લક્ષ્મણ અને સીતા સાથે વતનમાં પાછા ફર્યા ત્યારે અયોધ્યાની જનતાએ તેની ખુશીમાં નગરના માર્ગો ઉપર લાઇનમાં દીવાઓ અને આતશબાજી પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું. એ કારતક મહિનો હતો. તે દિવસથી શરૂ કરીને ભારતમાં દિવાળી અથવા દીપાવલી(દીપ એટલે દીવો અને આવલી એટલે લીટી)ની ઉજવણી કરવામાં આવે છે, એવી પ્રચલિત કથા છે. દિવાળી એટલે દેવનો દાનવ ઉપર અને અચ્છાઈનો બૂરાઈ ઉપર વિજય, એ એનો સાર. આને લઈને બે પ્રકારના મતમતાંતર કે બહસ છે. એક, દિવાળીની શરૂઆતને લઈને છે, અને બે, એના ચિંતનાત્મક અર્થને લઈને. બંને એકબીજામાં ગૂંથાયેલાં છે.

વાલ્મીકિ રામાયણ પ્રમાણે રામ કારતકમાં નહીં, પણ ચૈત્ર મહિના(અપ્રિલ-મે)માં અયોધ્યા આવ્યા હતા. ગોસ્વામી તુલસીદાસના રામાયણમાં પણ દિવાળીનો ઉલ્લેખ નથી, એવું ઘણા લેખકો લખે છે. પૂણેની ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે દિવાળીના ઇતિહાસનું ઘણું સંશોધન કર્યું છે. એની શોધખોળ ઈસવીસનની શરૂઆતથી આગળ જતી નથી. એમનું સંશોધન કહે છે કે દિવાળીનો સૌથી જૂનો સંદર્ભ વાત્સાયનના ‘કામસૂત્ર’ માં મળે છે, જેની રચના ઈસવી પૂર્વે 2જીથી ઈસવી પછી 1લી સદી વચ્ચે થયાનું મનાય છે. એમાં યક્ષ-રાત્રિની ઉજવણીની વાત છે, જ્યાં એક લીટીમાં દીવાઓ પ્રગટાવાયા હતા.

દિવાળીનો અન્ય સંદર્ભ પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં છે, જે ઈસવી પછીની 1લી સદીમાં લખાયાં હતાં. કથા ઉપનિષદમાં (ઈસવી પૂર્વે 1લી સદી) યમ અને નચિકેતની કારતક અમાવાસ્યાની રાતની વાર્તા નોધાયેલી છે, જેમાં અચ્છાઈ વિરુદ્ધ બૂરાઈ, સ્થાયી સંપત્તિ વિરુદ્ધ ક્ષણિક સંપત્તિ અને જ્ઞાન વિરુદ્ધ અજ્ઞાનનું ચિંતન છે. 7મી સદીના સંસ્કૃત નાટક ‘નાગઆનંદ’માં રાજા હર્ષ દિવાળીનો ઉલ્લેખ ‘દીપપ્રતિપાદુત્સવ’ તરીકે કરે છે. 9મી સદીની ‘કાવ્યમીમાંસા’માં કવિ રાજશેખર દીપાવલીને ‘દીપામલિકા’ કહે છે. ઈસવી પછી 500થી 800મી સદીમાં કાશ્મીરમાં લખાયેલા ‘નીલમત પુરાણ’ માં ‘દીપ માળા’ના ઉત્સવ તરીકે દિવાળીનું વિસ્તૃત વર્ણન છે.

દ્રાવિડિયન ભારત, યાની દક્ષિણ ભારતમાં દિવાળી સાવ જ જુદી રીતે, અથવા ન બરાબર રીતે, મનાવાય છે. દક્ષિણ ભારતમાં આ દિવસ કૃષ્ણ દ્વારા નરકાસુરના વધ માટે મનાવાય છે. એટલે એ દિવસે ઘર, ખાસ કરીને બાથરૂમ સ્વચ્છ કરાય છે, અને પરિવારજનો શરીર ઉપર હર્બલ તેલ લગાવીને ઘસી-ઘસીને સ્નાન કરે છે. દક્ષિણ ભારતમાં દિવાળી એકમાત્ર તહેવાર છે, જે મંદિરોમાં નથી મનાવતો. અહીં દિવાળી શબ્દ પણ નથી વપરાતો, કારણ કે એ ‘દેવાળું’ સાથે જોડાયેલો છે. અહીં દીપાવલી શબ્દ છે. રામની અયોધ્યા વાપસીની કથા ઉત્તર ભારતની છે, દક્ષિણમાં નથી.

દિવાળીની આ માન્યતાઓ સમસ્યાત્મક છે? ના, નથી. આ તો હિંદુ પરંપરાનું હાર્દ છે. બાકી હિંદુ પ્રથાઓની જેમ, દિવાળીનો એકલવડિયો, ચિરસ્થાયી અર્થ નથી થતો. એનું તાત્પર્ય પ્રદેશો પ્રમાણે, સમુદાયો પ્રમાણે, સમય-સમય ઉપર બદલાતું રહ્યું છે. બહુ આયામી હિંદુ માન્યતાઓ, પ્રથાઓ, રિવાજો અને તહેવારો વિકેન્દ્રિત પરંપરાનું પરિણામ છે. ઇસ્લામ કે ઈસાઈ ધર્મથી વિપરીત, અહીં કોઈ એક કેન્દ્રીય ઈશ્વર, શાસ્ત્ર કે ગુરુ નથી, જેના સીધા વચન મુજબ અનુસરણ થાય. હિન્દુત્વ એક એવું છત્ર છે, જેની નીચે અનેકવિધ જીવન અને વિચાર સહઅસ્તિત્વમાં પનપે છે.

સનાતન હિંદુ ધર્મની જે વાત થાય છે, તે આ અર્થમાં છે. સનાતન એટલે જે ‘પહેલેથી જ મોજૂદ છે’ તે. જેનો સરોકાર કોઈ એક વ્યક્તિ કે સિદ્ધાંતથી નથી તે. એવો અજન્મા ધર્મ કે જીવન પદ્ધતિ, જેના વિકાસની ધારા અવિરત છે. કોઈ એક ઈશ્વર કે કોઈ એક અવતારી પુરુષ હિંદુ સનાતન પરંપરાના જન્મદાતા હોવાનો દાવો ન કરી શકે. સંસારના બધા ધર્મો કોઈ ને કોઈ વ્યક્તિની વિચારધારમાંથી પેદા થયા છે. એ ધર્મો સંબંધિત વ્યક્તિની શૈલીથી પ્રભાવિત થયેલા છે, અને એ રીતે જ એક અલગ જીવનશૈલીનું આધારબિંદુ બન્યા છે. આનાથી વિપરીત, સનાતન ધર્મ એક નદી જેવો છે જે, નિરંતર પ્રવાહિત છે, સરળ છે, વિશાળ છે અને ગહન છે.  

આપણો બીજો (ચિંતનાત્મક)  મુદ્દો આ જ છે. હિંદુ સનાતન ધર્મની બીજી વિશેષતા એ છે કે, અહીં પૌરાણિક ઘટનાઓ કે વ્યક્તિઓનું મહત્ત્વ સાંકેતિક છે, શબ્દશઃ નહીં. હિંદુ ધર્મ એકેશ્વરવાદી નથી. યહૂદી, ઈસાઈ અને ઇસ્લામની માફક હિંદુ પરંપરામાં કોઈ એક સર્વદર્શી, સર્વશક્તિમાન અને સર્વહિતેચ્છા સર્જનહારની કલ્પના નથી. એક જ ઈશ્વરની માન્યતામાં ધિક્કત દુષ્ટ અથવા શૈતાનની છે – એક અંતર્યામી, શિરોમણિ અને પરોપકારી ઈશ્વરની મોજૂદગી હોય, તો પછી દાનવનું અસ્તિત્વ કેવી રીતે હોય? દેવ અને દાનવનું સહ-અસ્તિત્વ વિરોધાભાસી નથી? ઉત્ક્રાંતિના રચઈતા ચાર્લ્સ ડાર્વિને કહ્યું હતું કે, ‘સંસારમાં આટલી બધી અંતહીન પીડા હોય એ અસીમ કૃપાળુ દેવ સાથે અસંગત છે.’ એટલા માટે જ, શૈતાનની કલ્પના પશ્ચિમની છે, જ્યાં ખૂન-ખરાબા, પ્રાકૃતિક આપદા અને યુદ્ધ જેવી દુષ્ટ ઘટનાઓ દાનવના નામે ઉધારવામાં આવે છે.

હિંદુ ધર્મમાં આવી દુવિધા નથી. અહીં, દરેક પ્રસંગ, દરેક ક્રિયા, દરેક પ્રતિક્રિયા, દરેક કારણ કે દરેક ફળ એ માણસનાં પોતાનાં કર્મનું (સારું કે ખરાબ પરિણામ) છે. હિન્દુ કર્મનો સિદ્ધાંત કહે છે, અચ્છાઈ કે બૂરાઈ અથવા આનંદ કે આપત્તિ માટે ઈશ્વર નહીં, મનુષ્ય જ જવાબદાર છે. એટલા માટે જ હિંદુ ધર્મમાં પશ્ચિમના જેવા શૈતાનની કલ્પના નથી, જે સંસારનાં દુઃખ માટે જવાદાર હોય. અહીં, સુખ અને દુઃખ માણસના હાથમાં જ છે. એટલે એની મુસીબતોનો હલ દાનવના હરીફ દેવના હાથમાં નહીં, પણ એના પોતાના મોક્ષમાં છે-એટલે કે, સારાં-ખરાબ કર્મોના ચક્ર(પુનર્જન્મ)માંથી બહાર નીકળી જવામાં છે. એના આ મોક્ષના પ્રયાસમાં એના નિજી દેવ (રામ કે શિવ કે દેવી) એના અાધ્યાત્મિક માર્ગદર્શક તરીકે એને સહાય કરે છે. હિંદુ, બૌદ્ધ અને જૈન પરંપરાનો આ કેન્દ્રવર્તી વિચાર છે.

આપણે ત્યાં યથાર્થ (સંસાર) સારો કે ખરાબ નથી. સંસારમાં કશું નિતાંત શુભ કે નિતાંત દુષ્ટ નથી. અચ્છાઈ-બૂરાઈ એ તુલનાત્મક અનુમાન છે, જેનો આધાર વ્યક્તિની (પાછલા જન્મનાં કર્મ આધારિત) પ્રકૃતિ પર છે. અચ્છાઈ-બૂરાઈ એ ઈશ્વરેચ્છા નહીં, માણસની મરજીનું પરિણામ છે. હિન્દુ વિચારમાં શુભ એ છે જે આપણને આપણા સ્વત્વ(આત્મા)ની નજદીક લાવે, અને કનિષ્ઠ એ છે જે બંને વચ્ચે અંતરાલ લાવે.

અચ્છાઈ અને બૂરાઈ આપણી અંદર છે, બહાર નહીં. આધુનિક મનોવિજ્ઞાનમાં આ વિચાર આવ્યો તે પહેલાં હિંદુ ચિંતકોએ દેવ અને દાનવના નામે આ વાત કરી હતી. આપણી અંદર દેવ અને દાનવનો સંઘર્ષ નિરંતર ચાલતો રહે છે. બંને આપણા શરીર અને મન ઉપર ઈખ્તિયાર પામવા પ્રયાસ કરે છે. સમાજ કે માણસને સુધારવા દેવ ક્યારે ય છપ્પર ફાડીને અવરતા નથી, ન તો દાનવ કોઈનો આનંદ છીનવવા ધરતી ચીરીને આવે છે. જનાબ જલન માતરીએ કહ્યું હતું તેમ –

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

આપણી વચ્ચે રહેલા લોકો જ માનવતાની ભલાઈ માટે કામ કરે છે, જેને અચ્છાઈ અને બૂરાઈના દ્વંદમાં ફસાયેલા લોકો રામ, કૃષ્ણ, બુદ્ધ કે મહાવીરના નામે પૂજે છે. રાવણ, કંસ કે હિરણ્યકશિપુ પણ માણસ જ હતા, પરંતુ એમનાં માનવતા વિરોધી ગુણો અને સ્વભાવના કારણે દાનવ કે અસુર કહેવાયા હતા. હરેક યુગમાં દેવ યાની સદ્્ગુણોએ દાનવ યાની દુર્ગુણોને પરાજિત કર્યા છે. દિવાળીનો મૂળ સાંકેતિક અર્થ આ જ છે. આપણે આપણી અંદર બેઠેલા રાવણને સદ્્ગુણથી હરાવવાનો છે, જેથી રામનો પ્રકાશ પથરાયેલો રહે. આપણે રામ અને રાવણના શબ્દશઃ ઇતિહાસની ઉલઝનમાં રહી ન જઈએ તે માટે … હેપ્પી દિવાળી!

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 15 અૉક્ટોબર 2017

Loading

કપડાં સૂકવવાનો દોરીમાર્ગ

અશ્વિનકુમાર|Opinion - Opinion|16 October 2017

હળવે હૈયે

પર્યટને નીકળ્યા હોઈએ ત્યારે ધર્મશાળામાં જતાંની સાથે જ દોરીઓ બાંધવાની ટેવ પડી હોય, તો પછી પંચતારક હોટેલમાં પણ દોરીને છૂટો દોર કેમ ન આપવો? ઘણા પ્રવાસીઓ રેલગાડીના ડબ્બામાં બન્ને બાજુની બારીઓના લોખંડી સળિયા સાથે બિચારી દોરીને કચકચાવીને બાંધે છે. જેના કારણે, એ સળિયા ઉપર દોરીના કાપા ઊપસી આવે છે. આગગાડી સાથે થતો આ પ્રયોગ ભવિષ્યમાં આટકોટથી એન્ટવર્પ જતાં શટલિયા વિમાનમાં જોવા મળે તો નવાઈ ન લાગવી જોઈએ.

છાત્રાલયની ઓરડીની અંદર વિદ્યાર્થીઓ ભરચોમાસે કપડાં સૂકવવાની દોરી બાંધી શકાય તેટલી જગ્યા હવામાં રાખતા હોય છે. પરંતુ, એવેરેસ્ટ અપાર્ટમેન્ટ કે કાંચનજંઘા ફ્લેટ્સના રહેવાસીઓની ફરિયાદ છે કે, 'મોસમ બદલાવ'ના કારણે એમની અગાશીમાં કપડાં જોઈએ એવાં વાવઠતાં નથી. વળી, કપડાં સૂકવવાની દોરી સમુદ્રની સપાટીથી કેટલા ફૂટ ઊંચે બાંધવી જોઈએ એના વિશે પણ પ્રત્યેક પરિવારમાં પારાવાર મતભેદ પ્રવર્તે છે.

એક અર્થમાં દોરી એ 'સૂર્યશક્તિથી ચાલતું કપડાં સૂકવવાનું ઉપકરણ' છે. હાલમાં આપણે જેની ફીરકી ઉતારી રહ્યા છીએ એ કપડાંની દોરી નથી, પણ કપડાં સૂકવવાની દોરી છે. કપડાં સૂકવવાની દોરી કયા રંગની હોવી જોઈએ એ મામલે કોઈ વખતનો વધારે વ્યય કરતું નથી. કારણ કે, દરેક કપડાના રંગને મળતી આવે એવા રંગની દોરીની શોધ થઈ નથી. જો કે, ચોક્કસ ધરમધારા કે વિચારધારા સાથે સંકળાયેલા માણસો લાલ, લીલા, કે કેસરી રંગની દોરીનો ખાસ આગ્રહ રાખે તો એ રંગનાં નસીબ, બીજું શું?! આપણે જૂજ કિસ્સામાં પણ દોરીનો રંગ કપડાંને લાગી ન જાય એની ચીવટ રાખીએ છીએ. પરંતુ ક્યારેક કપડાંનો રંગ દોરીને લાગી ન જાય એની ચિંતા કરતાં નથી.

કપડાં સૂકવવા માટે ધાતુનો તાર વાપરવો નહીં. આ માટે 'ગુજરાત રાજ્ય આપત્તિનિવારણ સત્તામંડળ'ની અખબારી યાદીની રાહ ન જોવી. ચોમાસામાં વાવાઝોડાં અને વરસાદ જેવા કારણોસર ધાતુનો તાર વીજળીના તારના ઘનિષ્ઠ સંપર્કમાં આવી જાય એવું બને. તમે એ તાર ઉપર ભીનાં કપડાં સૂકવવાં જાવ એવું પણ બને. જેના કારણે વસ્ત્રને અને વ્યક્તિને આંચકો લાગી શકે. આમ, 'જીવંત' તારથી વ્યક્તિનો જીવનતાર કાયમ માટે તૂટી જાય. પરિણામે દેહ છોડતાં પહેલાં સ્પષ્ટતા ન કરી હોવાથી, વ્યક્તિની કાયમી ગેરહાજરીમાં કપડાં કોણ સૂકવશે એ પ્રશ્ન મહત્ત્વનો બને છે.

ચોમાસામાં લોખંડના તાર ઉપર કાટ લાગવાની શક્યતા રહે છે. લોખંડનો તાર એટલો ઉદાત્ત હોય છે કે, પોતે પરિશ્રમથી પેદા કરેલો કાટ કપડાંને ખબર ન પડે તેમ એના ખાતામાં જમા કરી દે છે. આથી, લોખંડના તારની અવેજીમાં વિવિધ જાતની દોરીઓ ઉપર જગતની નજર પડે છે. દા.ત. કાથીની દોરી, સૂતળીની દોરી, નાયલોનની દોરી. જેમાં, કાથીની દોરી બાંધવાથી પહેલાં હાથ અને પછી કપડાં છોલાઈ જાય છે. સૂતળીની દોરી બાંધીએ એની જાણ ખિસકોલીને 'વોટ્સએપ્પ' વગર પણ થઈ જતી હોય છે. કેટલાક કિસ્સામાં તો ખિસકોલી કપડાં સૂકવવાં નહીં, પણ પોતાનો માળો બાંધવા માટેના 'કાચા માલ' તરીકે સૂતળીની દોરીનું અપહરણ કરી જતી હોય છે. છેવટે નાયલોનની દોરી સર્વાનુમતે પસંદગી પામે છે. આપણે ગુજરાતીઓ વિશાળ હૃદયથી નાયલોનનો સ્વીકાર કરી લઈએ છીએ, પછી એ નાયલોન ખમણ હોય કે નાયલોન દોરી!

દોરી બાંધતી વખતે તેને બહુ ન ખેંચવી. નહીંતર એની જીવાદોરી ટૂંકી થઈ જશે. દોરીને બહુ ઢીલી પણ ન રાખવી. નહીંતર આવતાં-જતાં, ભોડાં ઉપર કપડાં ભટકાશે. આમ, અહીં પણ ભગવાન બુદ્ધે ચીંધી આપેલો મધ્યમમાર્ગ ખપમાં લેવો. ઉપરાંત, દોરી કઈ દિશામાં બાંધવી એ વાસ્તુશાસ્ત્રના આધારે નહીં, પણ વાયુશાસ્ત્રના આધારે નક્કી કરવું. દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવન આવતો હોવાથી, દોરી પણ નૈઋત્ય દિશામાં બાંધવી રાષ્ટ્રના હિતમાં છે.

બંગલો કે ટેનામેન્ટમાં કપડાં સૂકવવાની દોરી તો શું ગાભણી ગીર ગાય પણ બાંધી શકાય. સવાલ ફ્લેટ કે અપાર્ટમેન્ટમાં રહેતા મધ્યમવર્ગીય કુટુંબોનો છે. માથે અને ધાબે ચોમાસું હોય, બે વર્ષના બાળકને સૂકવવાની જગ્યા પણ માંડ રહેતી હોય, ત્યાં કપડાં સૂકવવાની દોરી ક્યાં અને કેવી રીતે બાંધવી? આપણે આવી સમસ્યા 'મધ્યમવર્ગની મુશ્કેલીઓ'ના નિબંધમાં હૃદયસ્પર્શી રીતે વર્ણવીએ તો સંવેદનશીલ પરીક્ષકની આંખમાં ચોમાસું ઊમટી આવે. વળી, ઝરૂખામાં મૂકેલો કપડાં સૂકવવાનો ઘોડો પણ સાંબેલાધાર વરસાદ અને સુસવાટાભેર પવનમાં પગ અધ્ધર કરી દે છે! આ સંજોગોમાં નિત્યપ્રયત્નશીલ મનુષ્ય નવા વિકલ્પોની શોધમાં ઝંપલાવે છે. ઋતુઓની રાણી એવી વર્ષાઋતુમાં ઘરની રાણી એવી 'વર્ષા' કપડાં સૂકવવાની દોરી કેવી રીતે બાંધે? બસ, ઘરના 'વિઠ્ઠલ'ની અહીં જરૂર પડે છે. વર્ષાના દોરીસંચારને જગતનો અંતિમ આદેશ માનીને વિઠ્ઠલ દોરીચાળો કરવા મરણિયો બને છે.

બજારમાં તૈયાર મળતી નાયલોનની દોરીની લંબાઈ પ્રમાણે મકાનની બે દીવાલો વચ્ચેનું અંતર હોતું નથી. આ જ રીતે મકાનની બે દીવાલો વચ્ચેના અંતર જેટલી લંબાઈની દોરી ખરીદવા માટે પાંચફૂવા દરવાજાથી માંડીને ઢાલગરવાડ સુધી રખડશો તો પણ નહીં મળે. આપણે તો બન્ને દીવાલોમાં ખાધે-પીધે સુખી ઘરની ખીલીઓ ઠોકીને તેના ઉપર દોરીને ખેંચીને થાળે પાડવી પડે. ગમે તેટલા ઉદાર થઈને દોરી બાંધીએ તો ય દોરી થોડી વધે તો તેને કાપી નાખવી એ આપણા વ્યક્તિત્વની મૂળ ખામી નહીં, પણ મૂર્ખામી છે. આવી 'ઘરેલું કટોકટી'માં દોરીના વધેલા કટકાને પકડીને કાયમ માટે ઊભાં ન રહેવાય, પણ સહેજ ખેંચીને સલામત જગ્યાએ બાંધી દેવાય! જેથી તેની ઉપર નરનો નહીં તો છેવટે નારીનો હાથરૂમાલ પણ સૂકવી શકાય. ખીલીઓ ઠોકતી વખતે પહેલાં ટેબલનું અને પછી દોરીબંધુનું સંતુલન જળવાવું જોઈએ, એ કહેવાની જરૂર નથી એટલે અહીં નથી કહેવું. કપડાં સૂકવવાની દોરી બાંધવા માટે ખીલીઓ કરતાં પ્રશ્નચિહ્ન આકારના હૂક લગાવવા હિતાવહ છે, એવી સલાહ આપનારા 'કર્મઢીલ' લીમડાની છત્રી કરીને બેઠાં હોય છે. આ સારુ તેઓ 'આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાન' દ્વારા નિર્ધારિત માપદંડનો હવાલો આપે તો મગજને 'સાઇલન્ટ મોડ' ઉપર રાખીને સાંભળી લેવું.

દહાડા-સપ્તાહ-મહિના જતાં ભીનાં કપડાંના ભારથી દોરી ઢીલી પડે છે. છેવટે એની ઝોલ નીચેની દિશા તરફ પડે છે. એનાથી સાબિત થાય છે કે, દોરી ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર થાય છે. આપણી આસપાસ બનતી આવી ઘટનાઓથી ન્યૂટનનો નિયમ આજે પણ સાચો પડે છે, એ જાણીને ચિત્ત પ્રસન્ન થઈ જાય છે. પરંતુ, ચાર અઠવાડિયાં અગાઉ કપડાં સૂકવવાની દોરી બંધાઈ ચૂકી હોય અને વરસાદને મહિનાથી કોઈએ બાંધી રાખ્યો હોય એ ઉપાધિ નહીં તો બીજું શું?

e.mail : ashwinkumar.phd@gmail.com

સૌજન્ય : 'હળવે હૈયે’, 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩-૦૬

સ્રોત : http://ashwinningstroke.blogspot.in/2015/07/blog-post_14.html

Loading

જાને ભી દો યારો કુંદન શાહ

નીલય ભાવસાર, નીલય ભાવસાર|Opinion - Opinion|15 October 2017

ભારતીય સિનેમાનાં જાણીતા દિગ્દર્શક અને લેખક એવા કુંદન શાહ(જન્મ ૧૯ ઓક્ટોબર, ૧૯૪૭)નું તારીખ ૭ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ હદયરોગના હુમલાથી નિધન થયું છે. કુંદન શાહ ૬૯ વર્ષના હતા.

કુંદન શાહે એક દિગ્દર્શક તરીકે ફિલ્મ્સ અને ટેલિવિઝનની દુનિયામાં ઉલ્લેખનીય કાર્ય કર્યું છે. તેમણે ‘નુક્કડ’ (૧૯૮૬), ‘વાગલે કી દુનિયા’ (૧૯૮૮), ‘પરસાઈ કહતે હે’ (૨૦૦૬) જેવી ધારાવાહિક બનાવી અને વર્ષ ૧૯૮૩માં દિગ્દર્શિત કરેલી ફિલ્મ ‘જાને ભી દો યારો’ માટે તેમને ‘દિગ્દર્શકની પ્રથમ શ્રેષ્ઠ ફિલ્મ’ના રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. કુંદન શાહ પૂનાની Film and Television Institute of India (FTII)ના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.

અહીં પ્રસ્તુત છે સિનેમા, રાજકારણ અને સમાજ સંબંધિત કુંદન શાહના કેટલાક વિચારો: કુંદન શાહ એક ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે મેં અત્યાર સુધી જે કોઈ પણ ફિલ્મનું લેખનકાર્ય અને દિગ્દર્શન કર્યું છે તે તમામ ફિલ્મ્સ બનાવવાનો વિચાર મને ન્યૂઝપેપરમાંથી આવ્યો છે. આપણે ન્યૂઝપેપર વાંચીએ છીએ, ગુસ્સો આવે છે. એક એવો વિચાર આવ્યો હતો કે આ સમગ્ર વાતાવરણ રાજકીય છે અને તેને લોકો સુધી કેવી રીતે રજૂ કરવામાં આવે તે વિચાર થકી મેં અત્યાર સુધીની મારી તમામ ફિલ્મ્સ બનાવી છે (ખાસ કરીને ‘જાને ભી દો યારો’). કારણકે મારી પાસે એક જ હથિયાર છે અને તે છે કોમેડી, તે કોમેડીનો ઉપયોગ કરીને અને વ્યંગ્યનો ઉપયોગ કરીને તમે જે-તે વિષયને દર્શકો સુધી પહોંચાડી શકો તે એક મજાની વાત છે.

જે કોઈ ફિલ્મનું નિર્માણ રાજકીય કટાક્ષના આધાર પર કરવામાં આવે છે ત્યારે તે રાજકીય કટાક્ષ થકી શું રાજનેતાઓ પર કોઈ અસર થાય છે? આ પ્રશ્નના જવાબમાં કુંદન શાહ જણાવે છે કે રાજકીય વ્યંગ્યની રાજનેતાઓ પર પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે ચોક્કસ અસર થાય છે. પરંતુ, તેમાં સમસ્યા એ છે કે આ અસર માત્ર એક સ્તર પર જ થાય છે. જેમ કે હવે હું કોઈ એક ફિલ્મનું નિર્માણ કરું છું તો તેનાથી સમાજ નહિ બદલાય પણ એ મારી ફરજ છે કે હું કોઈ એક એવી ઘટનાનું નિર્માણ કરું કે જેની સાથે સમાજ જોડાયેલો હોય. અને આ વાત ખાસ કરીને વર્તમાનમાં લાગુ પડે છે. હું એક નાની વ્યક્તિ છું અને હવે એ મારું કર્તવ્ય બની ગયું છે કે મારે દરરોજ અર્થશાસ્ત્ર વાંચવું જ જોઈએ, કારણ કે હાલનાં સમયમાં મારું જીવન હવે આ અર્થશાસ્ત્ર જ સંચાલિત કરે છે અને માટે હવે હું સાહિત્ય નથી વાંચતો.

વધુમાં કુંદન શાહ તેમની પ્રથમ ફિલ્મ ‘જાને ભી દો યારો’ અત્યારે કેટલી પ્રસ્તુત છે તેના જવાબમાં જણાવે છે કે હું એવું સહેજ પણ નથી કહેતો કે ‘જાને ભી દો યારો’ રિલીઝ થઇ તે સમયમાં ભ્રષ્ટાચાર નહોતો, પણ અત્યારે તો જાણે સમગ્ર વાતાવરણ જ પલટાઈ ગયું છે અને ભ્રષ્ટાચારમાં બેફામ વધારો થયો છે. માટે મારી ફિલ્મ ‘જાને ભી દો યારો’ વર્તમાનમાં વધારે પ્રસ્તુત છે.

ભારતીય જનતાના કોમેડીના ટેસ્ટ વિશે કુંદન શાહ જણાવે છે કે અત્યારે આપણા દેશમાં કોમેડીનો પર્યાય માત્ર એક જ છે અને તે છે ‘સબ ટીવી ચેનલ’. અત્યારે ‘સબ ટીવી’ દર્શકોને કોમેડી ઠૂંસી રહ્યું છે અને ઠૂંસી-ઠૂંસીને કહી રહ્યું છે કે લો આ કોમેડી છે. ‘સબ ટીવી’ કહે છે કે અમે દર્શકોને કોમેડી પીરસી રહ્યા છીએ અને દર્શકો પણ આમાં શું કરે તેઓ પણ તે જ વસ્તુ જુએ છે કે જે તેમને પીરસવામાં આવે છે. અને કોમેડી એ આખરે કોમેડી જ હોય છે. વર્તમાનમાં સામાજિક દ્રષ્ટિકોણવાળી ફિલ્મ બનાવવી અત્યંત જરૂરી છે કારણ કે જે રીતે આપણા શરીરને ખોરાકની જરૂરિયાત હોય છે, તે રીતે આપણા મગજને પણ કંઈક આ પ્રકારના સામાજિક દ્રષ્ટિકોણવાળા ખોરાકની જરૂરિયાત છે. જે રીતે ન્યૂઝપેપર જરૂરી છે તે પ્રમાણે આ સામાજિક દ્રષ્ટિકોણવાળી ફિલ્મ પણ જરૂરી છે. અને ઘણાં લોકો આ ક્ષેત્રે કામ કરી રહ્યાં છે. જે પૈકીનો એક હું પણ છું. જો લોકો કહેશે કે આ પ્રકારની સામાજિક હેતુને લઈને ફિલ્મ બનાવવાથી સમાજમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નથી આવ્યો છતાં પણ પ્રયત્ન કરવો જરૂરી છે.

આગળ, ટેકનોલોજીના મુદ્દાને લઈને કુંદન શાહ જણાવે છે કે અત્યારે ટેકનોલોજીના કારણે પરિવર્તન આવવાનું શરૂ થઇ ગયું છે અને હવે તો ભવિષ્યમાં આર્ટીફિશિયલ ઇન્ટેિલજન્સ થકી વિશ્વભરની જનતાને ભારે નુકસાન થવાનું છે કારણ કે તેમાં ઓટોમેશન છે અને રોબોટીક્સ છે. ટેકનોલોજીથી વર્કર બેરોજગાર થઇ જશે માટે તેમના માટે વૈકલ્પિક રોજગારી ઊભી કરવી પડશે. અને તમે ટેકનોલોજીને રોકી પણ નહિ શકો. જુઓ, અર્થશાસ્ત્ર એ ટેકનોલોજી સાથે જોડાયેલું છે. ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર એ બંને ફિલ્મમેકિંગ સાથે જોડાયેલાં છે. જે રીતે આપણે બધાં જ વર્તમાનમાં એકબીજા સાથે જોડાયેલા છીએ.

અને અંતમાં, કુંદન શાહે ફિલ્મ ‘જાને ભી દો યારો’ કેવી રીતે બનાવી તેની સંપૂર્ણ પ્રક્રિયા અને યાત્રા વિશે લેખક જય અર્જુન સિંહનું અંગ્રેજી ભાષામાં પ્રગટ થયેલું પુસ્તક ‘જાને ભી દો યારો’ અચૂક વાંચવું ઘટે.

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

...102030...3,2643,2653,2663,267...3,2703,2803,290...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved