Opinion Magazine
Number of visits: 9584039
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિક્રમના નવા વરસમાં પ્રવેશતાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|18 October 2017

વિક્રમના નવા વરસના ઉંબર અઠવાડિયે આ લખી રહ્યો છું ત્યારે માર્ચ ૨૦૦૨ પછી ચૂંટણી જાહેરાતની અભદ્ર અધીરાઈ અને ૨૦૧૭માં ચૂંટણીના સમયપત્રકની જાહેરાત બાબતે કંઈક ગભરાતી ખચકાતી સરકાર અને સત્તાપક્ષ, બેઉની સહોપસ્થિતિ કેમ જાણે કશુંક સૂચવવા કરે છે. ૨૦૦૪થી મે ૨૦૧૪ સુધી તો જાણે કે નઠારી કેન્દ્ર સરકારને માથે ટોપલો ઓઢાડી શકાતો હતો, પણ હવે તો એવી સગવડ પણ નથી એટલે ‘અચ્છે દિન’ બાબત જવાબ આપવો રહે એ દેખીતું છે. નોટબંધી બાબતે થયેલા દાવા અને રીઝર્વ બૅંકનો હેવાલ એક સાથે મૂકીને જોઈએ તો કદાચ કશું જ કહેવાનું રહેતું નથી. નહીં કે બધું આજે જ ગબડ્યું છે (જેમ બધું ભા.જ.પ. સાથે જ ચડ્યું છે એમ પણ નથી); પણ ઑક્ટોબરના બીજા અઠવાડિયે આવેલા વૈશ્વિક ક્ષુધાંક (ગ્લોબલ હંગર ઇન્ડેક્સ) મુજબ ૧૧૯ દેશોમાં આપણે વરસોવરસ પાછળ મુકાતા જઈ અત્યારે છેક સોમા ક્રમે છીએ એ બીનાને કેવી રીતે જોશું ઘટાવશું.

વૃદ્ધિ આંકની સુધારેલી સગવડિયા વ્યાખ્યામાં પણ હાંફતી સરકાર પાસે એ એક વિગતનો ન તો કશો જવાબ છે, ન તો કોઈ ઉગાર છે કે સઘળાં વિકાસ (કે વૃદ્ધિ) સામે વાસ્તવિક રોજગારો વિકસતા નથી. એટલે જ્યારે કુલ આવક વધી હોય ત્યારે પણ એ દરિયામાં ખસખસ પેઠે થોડાં જ માથાં પૂરતી હોય છે, અને દેખીતું સમૃદ્ધિવર્ધન વધુને વધુ વિષમતા જગવે છે. અને એકંદર સભ્યતા કે સંસ્કૃિતનો વિકાસ પણ ક્યાં છે? નમૂના દાખલ, ગુજરાતમાં નવતરુણ મતદારોમાં બહેનોનું પ્રમાણ અગાઉ કરતાં ઓછું છે. નરસિંહરાવ – મનમોહનસિંહથી આરંભી મોદી સુધી પહોંચતે પહોંચતે વૈશ્વિકીકરણની રેટ રેસ (અને મરીચિકા) નવા વંચિતો જન્માવવા સારુ જાણીતી હશે, પણ ‘બેટી’ને તો હાંસિયાપાર હડસેલવા સારુ નામીચી છે.

નમો તંત્રની આર્થિક નીતિઓ બાબતે મનમોહનસિંહ, ચિદમ્બરમ્‌, યશવંત સિંહા, અરુણ શૌરી સૌની ટિપ્પણીઓ અને તવલીન સિંહ સરખાંની મોદી પ્રશસ્તિ છતાં આ મુદ્દે નારાજગીની ભૂમિકા પોતાને ઠેકાણે ઠીક જ છે. પણ મૂળભૂતપણે ૧૯૯૧થી જે રસ્તો લીધો છે એમાં કોઈ પથસંસ્કરણ, કોઈક બાબતે ‘રુક જાવ’ તો કોઈક બાબતે ‘ઘુમ જાવ’ એવી કોઈ જ જરૂરત કેમ સમજાતી કે પકડાતી નહીં હોય? જેમને સામાન્યપણે લિબરલ સ્કૂલના અને જમણેરી ખાનામાં ખતવવાનો ચાલ છે એવા ગુરચરણે હમણાં સુખાંકચર્ચામાં એક મુદ્દો સોજ્જો કીધો કે સુખનું સરનામું તમે રોજગારવંતા છો કે નહીં એ બીના જોડે અવિનાભાવ સંકળાયેલું છે. દેખીતી રીતે જ ‘જૉબલેસ ગ્રોથ’ની જે અનવસ્થામાં, કહો કે કળણમાં, આપણે ખૂંપતા ચાલ્યા છીએ એમાં સુખની અનુભૂતિનું ગજું ઝાંઝવાંથી ઝાઝું હોઈ શકતું નથી.

મોટી દઇત સરદાર પ્રતિમા અને શરૂ થયા પૂર્વે મુકામ પર પહોંચાડતી બુલેટ ટ્રેન, આવો સોલો જે ગૌરવ સ્કૂલને રહીરહીને ઉપડ્યા જ કરે છે એના શાસકીય દોરમાં વાસ્તવિક અંત્યોદય અગ્રતાક્રમમાં ક્યાંથી હોઈ શકે ? અંત્યોદય અને ‘જૉબલેસ ગ્રોથ’ વચ્ચેનો સંબંધ છેવટે તો છત્રીસનો જ હોવાનો ને. રામમનોહર લોહિયાની સ્મરણપચાસીનો મોકો વર્તમાન દિલ્હી દરબારે ઠીક પકડ્યો હોય અને એમના કો-ઓપ્શનની કીમિયાગરી રૂડી પેરે પાર પાડવા ધાર્યું હોય તો પણ જેમ દીનદયાલની અંત્યોદય ભાવના તેમ લોહિયાનો ‘છોટી મશીનેં’ અભિગમ એ એવા સવાલો ખડા કરે છે જેના જવાબમાં હાલના રાજકીય-શાસકીય અગ્રવર્ગે કેવળ અને કેવળ આરોપીના પિંજરામાં ઊભા રહેવું પડે. રિવર ફ્રન્ટ પર સ્ટીલનો ચરખો ઊભો કરવાનુ સૂઝે એ તો જોણું થયું, પણ જૉબલેસ ગ્રોથનો મોટો દઈત રસોળો એ સમતા અને સ્વતંત્રતાના સહીપણાંની મજલમાં આપકમાયેલ અવરોધરૂપે આપણી સામે ને સામે જ હોવાનો છે.

નોબેલ નજીક પહોંચતે પહોંચતે રહી ગયેલ (હવેનાં વરસોમાં પહોંચી પણ શકે) એવા રઘુરામ રાજને રીઝર્વ બૅંકનું ગવર્નરું ચલાવી જાણ્યું એ ગાળાનાં મંથનો ઠીક ગ્રંથસ્થ કીધાં છે. એ બધી સામગ્રીમાં તેમ શૌરી જેવાઓની ટિપ્પણીમાં સુધારાની દિશામાં ખાસાં ઇંગિતો ને સંકેતો પડેલાં છે. પણ એ બધું ક્યાંક, કોઈક તબક્કે અટકી જતું માલૂમ પડે છે. તેથી એવું સૂચવવાનું મન સ્વાભાવિક જ થઈ આવે છે કે અમર્ત્ય સેન જેવાને આ ચર્ચામાં દાખલ કરવા જોઈએ. સેન છેવટે તમને ક્યાંક તો બજારનાં બળો અને વ્યાપક સહાનુકંપા(કમ્પેશન)ના સંગમસ્થાને લાવી મૂકે છે. ઓછામાં ઓછું, એને એટલું તો સમજાય છે કે સ્વાસ્થ્ય અને શિક્ષણની સેવાઓ જેટલા પ્રમાણમાં સર્વજનસુલભ હશે, આમ આદમી એટલી સમ્પન્નતાવશ ટકી શકશે. ‘છોટી મશીનેં’ અભિગમ એથી આગળ જાય છે તે એ અર્થમાં કે તે ગાંધી અને આર્થિક હલચલને એક માનવીય દાયરામાં લાવી મૂકે છે. બુલેટબાવલા ગૌરવ સ્કૂલથી હટીને માનવીય ગૌરવની એક અર્થનીતિના સંકેતે ભરેલી અને ભારેલી વાત આ છે.

હિમાચલમાં જાહેર થયેલી ચૂંટણી અને ગુજરાતમાં તરતમાં જાહેર થઈ શકતી ચૂંટણીઓમાં આવી કોઈ મૂળગામી ચર્ચા સાંભળવા વિચારવા વાગોળવાનું મળશે? ચિહ્‌નો તો નથી. બાકી, હમણાં જયપ્રકાશ જયંતી નિમિત્તે નવી દિલ્હીના કાર્યક્રમમાં સીતારામ યેચુરી, શરદ યાદવ અને શાંતિભૂષણ સૌએ એકમંચ થઈ વિપક્ષી એકતા પર ભાર મૂક્યો, પણ એના કાર્યક્રમનું શું? વિપક્ષી એકતા ક્યારેક કૉંગ્રેસ સામેની રણનીતિ હતી, આજે તે ભા.જ.પ. સામેની હોઈ શકે છે. એનું એક લૉજિક પણ છે. પરંતુ, પ્રશ્ન તો ૧૯૭૭ના અધૂરા એજન્ડાને નવાં જોડાણો વાટે પણ આગળ લઈ જવાનો છે.

બલકે, ખરું પૂછો તો, અધૂરો એજન્ડા તે શું એનો એક જવાબ જેમ લોહિયાના અંતિમ પર્વમાં તેમ એના આગલા દસકામાં આંબેડકરના અંતિમ પર્વમાં ધરબાયેલો છે. આંબેડકર પછીના દસકે લોહિયા ગયા અને તે પછીના દસકે જયપ્રકાશ. આંબેડકરે દલિતમાત્ર વાસ્તે સમતાની જે લડાઈ છેડી હતી (જે એમના મનમાં બંધારણીય ધોરણે સર્વને માટે હતી) એનો આદરપુરસ્કાર કરતે છતે લોહિયાએ એમને કહેવડાવ્યું હતું (અને વધુ ચર્ચા માટે મળવા ધાર્યું હતું) કે તમે સમગ્ર દેશના નેતાને નાતે રાજનીતિ કરો. ચાલો, આપણે સાથે ચાલીએ. લોહિયા ‘પર્ટિક્યુલર ગોલ’ની જરૂરત જરૂર સમજતા, પણ તે ‘જનરલ ગોલ’ સાથે સંકળાય એની આવશ્યકતા પણ પ્રીછતા. આંબેડકરે કરેલી વાતો, લોહિયાના સપ્ત ક્રાન્તિ દર્શન કે જયપ્રકાશના સંપૂર્ણ ક્રાન્તિ આંદોલનથી તત્ત્વતઃ જુદી નથી. ઝોકફેર જરૂર હોવાનો, પણ અન્યાયનિવારણ માટે અગ્રતાવિવેકપૂર્વક ચિંતા તો સૌની હોવાની.

પ્રકાશ આંબેડકર અને જિજ્ઞેશ મેવાણી ગુજરાતમાં બંધારણ બચાવો સંમેલનોનો જે દોર ચલાવવા ચાહે છે, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે પોતપોતાને છેડેથી જે અવાજ ઉઠાવ્યો છે, તેની સમક્ષ આવું સમગ્ર ચિત્ર હશે? શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પ અને ‘આપ’ સમક્ષ હશે? ન હોય તો હોવું જોઈએ; કેમ કે પ્રશ્ન સ્વાતંત્ર્યસંગ્રામના બાકી દોરનો છે. આ લડત ઑગસ્ટ ૧૯૪૭ સાથે પૂરી થઈ નથી અને માર્ચ ૧૯૭૭ તે કોઈ એકમાત્ર સીમાચિહ્‌ન નથી. સતત ચાલતી લડત છે આ તો.

ઑક્ટોબર ૧૩, ૨૦૧૭

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2017; પૃ. 01-02

Loading

નોટબંધીનું ‘પોસ્ટમૉર્ટમ’

રમેશ બી. શાહ|Opinion - Opinion|18 October 2017

ગયા નવેમ્બરમાં કરવામાં આવેલી નોટબંધીને લોકો ભૂલી ગયા હતા. જૂની નોટોનું સ્થાન મહદંશે નવી નોટોએ લઈ લીધું હતું અને આર્થિક વ્યવહારો રાબેતા મુજબના થઈ ગયા હતા. એવામાં ઘણા વિલંબ પછી ઑગસ્ટમાં રિઝર્વ બૅંકે ચલણમાંથી પાછી આવેલી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટોની વિગતો જાહેર કરી. તેમાં એવું માલૂમ પડ્યું કે એ નોટોની ૯૯ ટકા જેટલી નોટો લોકોએ બૅંકોમાં જમા કરાવી દીધી છે. જે રૂ. ૧૬,૦૦૦ કરોડ જેટલી નોટો પાછી નથી ફરી તેમાંથી રૂ. ૮૦૦૦ કરોડની નોટો જિલ્લા સહકારી બૅંકો પાસે પડેલી છે અને કૅટલીક નેપાળની કેન્દ્રિય બૅંક પાસે છે. નોટબંધી જાહેર કરવામાં આવી ત્યારે જે ત્રણ ઉદ્દેશોથી પ્રેરાઈને તે કરવામાં આવી હોવાનું રાષ્ટ્રને જણાવવામાં આવ્યું હતું, તે બાબતમાં સરકારને ભોંઠા પડવાનું થયું છે, એવું રિઝર્વ બૅંકે જાહેર કરેલા આંકડાઓમાંથી ફલિત થયું. નોટબંધીની જાહેરાત કરવામાં આવી, ત્યારે વડાપ્રધાનશ્રીએ જે ત્રણ ઉદ્દેશો વર્ણવ્યા હતા તે આ પ્રમાણે હતા : એક, લોકો પાસે રહેલાં કાળા નાણાંનો નાશ કરવો. બીજું, આતંકવાદીઓ પાસે રહેલાં નાણાંને નિરર્થક બનાવી મૂકવાં અને એ માર્ગે ઇશાન ભારત તથા જમ્મુ અને કાશ્મિરમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિને ડામી દેવી. ત્રીજું, પાકિસ્તાન દ્વારા ભારતમાં જે નકલી નોટો ઘુસાડવામાં આવી છે, તેને ચલણમાંથી દૂર કરવી. આ ઉદ્દેશોને નજર સમક્ષ રાખીને નોટબંધીને ‘સર્જિકલ સ્ટ્રાઇક’ કહેવામાં આવી હતી.

ઉપર્યુક્ત ઉદ્દેશોની બાબતમાં સરકારી કહી શકાય એવી રજૂઆતો નોંધવા જેવી છે. સર્વોચ્ચ અદાલતમાં એટર્ની જનરલ મુકુલ રોહતગીએ એવો દાવો કર્યો હતો કે રૂ. ચારથી પાંચ લાખ કરોડ ઇશાન ભારત અને જમ્મુ-કાશ્મિરમાં આતંકવાદીઓમાં ફરે છે, તે પાછા નહીં ફરે. નાણાખાતાના એક અધિકારીના દાવા પ્રમાણે કાળાં નાણાં રૂપે રહેલાં રૂ. ત્રણ લાખ કરોડ પાછા નહીં ફરે. ચલણમાં ફરતી નકલી નોટો વિશે સરકારી રાહે કોઈ આંકડો જાહેર કરવામાં આવ્યો નહોતો, પણ સરકારની ધારણા પ્રમાણે એ આંકડો ખોટો હોવો જોઈએ, અન્યથા સરકારે તેને નોટબંધીના એક ઉદ્દેશ તરીકે રજૂ ન કર્યો હોત. રિઝર્વ બૅંકે પ્રગટ કરેલા આંકડા પ્રમાણે ૨૦૧૬-૧૭માં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની જે નકલી નોટો તેની પાસે આવી હતી, તેનું મૂલ્ય ફક્ત રૂ. ૪૧ કરોડનું હતું. નોટબંધી વિના પણ નકલી નોટો ઓછીવત્તી સંખ્યામાં પડકાતી રહેતી હોય છે. મતલબ કે ઘુસાડવામાં આવેલી નકલી નોટોનું પ્રમાણ નગણ્ય હતું.

નોટબંધીનો આ અનુભવ એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. લોકો પાસે ત્રણ લાખ કરોડથી અધિક કાળું નાણું રોકડ નાણાંના રૂપે છે, આતંકવાદીઓ પાસે ચારથી પાંચ લાખ કરોડ જેવી જંગી રકમ છે અને દેશના ચલણમાં પાકિસ્તાન આદિ દેશોએ દેશના અર્થતંત્રને અસ્થિર કરી મૂકે એટલા મોટા પ્રમાણમાં નકલી નોટો ઘુસાડી છે, એવા તારણ પર સરકાર કયા આધારે પહોંચી હતી? લાખ્ખો લોકોની આવક અને રોજગારી, ભલે થોડા મહિનાઓ માટે, છિનવાઈ જાય એવું જલદ પગલું આવા કપોળકલ્પિત આંકડાઓના આધાર પર સરકાર ભરી શકે?

નોટબંધી એના મૂળ પ્રગટ ઉદ્દેશો હાંસલ કરવાની દૃષ્ટિએ એક નિષ્ફળ પગલું પુરવાર થઈ છે, એ વિશે વ્યાપક સંમતિ પ્રવર્તે છે. એ પગલાની કૃષિ અને નાના ઉદ્યોગો વગેરે અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા લોકોએ મોટી કિંમત ચૂકવી છે, એ વિશે પણ વ્યાપક સંમતિ પ્રવર્તે છે. આ એવો વર્ગ છે જેનો કાળાંનાણાંના સર્જનમાં કોઈ ફાળો નથી, આ વર્ગે આતંકવાદીઓને નાણાં પૂરાં પાડ્યાં નથી કે નકલી નોટો ઘુસાડવામાં તેમણે કશી સહાય કરી નથી. આમ છતાં નોટબંધી કરીને સરકારે સમાજના આ નિર્દોષ નબળા વર્ગોને દંડી નાખ્યા. નોટબંધીની સહુથી વધુ માઠી અસર, જ્યાં મોટા ભાગના વ્યવહારો રોકડ નાણાં દ્વારા થાય છે એ અર્થતંત્રના અસંગઠિત વિભાગ પર પડશે એ સ્પષ્ટ હતું. નોટબંધીનો નિર્ણય કરનારાઓને એનો ખ્યાલ કેમ ન આવ્યો? નબળા વર્ગોને પડનારી હાડમારીનું તેમને મન કશું મૂલ્ય નહોતું?

આની સાથે બીજી બે કિંમત ઉમેરવાની છે : એક, દેશની જી.ડી.પી.માં થયેલો ઘટાડો. એ કેટલો ગણવો તે એક મતભેદનો મુદ્દો છે. ૨૦૧૬-૧૭ના નાણાકીય વર્ષના પ્રથમ ત્રૈમાસિક ગાળા (એપ્રિલ-જૂન ’૧૬)માં જી.ડી.પી.નો વૃદ્ધિદર ૭.૯ ટકા હતો, જે ક્રમશઃ ઘટીને ચોથા ત્રૈમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ, ’૧૭)માં ૬.૧ ટકા થયો અને ૨૦૧૭’-૧૮ના નાણાકીય વર્ષના પ્રથમ ત્રૈમાસિક ગાળામાં ઘટીને ૫.૭ ટકા થયો. આમ નોટબંધીની અગાઉથી જ જી.ડી.પી.નો વૃદ્ધિદર ઘટવો શરૂ થયો હોવાથી નોટબંધી પછી ઘટેલા જી.ડી.પી.ના વૃદ્ધિદરમાં નોટબંધીનો ફાળો કેટલો તે નક્કી કરવાનું વિવાદાસ્પદ બને તે સહજ છે. પણ જી.ડી.પી.નો વૃદ્ધિદર ઘટી રહ્યો હોવાના સંકેત સાંપડ્યા છતાં નોટબંધીનું પગલું ભરવામાં આવ્યું, તે પ્રશ્નો ઊભા કરનારી ઘટના છે; નોટબંધીનો નિર્ણય કરનારા શું એવી ધારણા પર ચાલ્યા હતા કે નોટબંધીની કોઈ અસર જી.ડી.પી. પર થશે નહીં? અથવા થશે તો તે કેવળ માર્જિનલ હશે? વધારે અગત્યનો પ્રશ્ન આ છે : સમગ્ર અર્થતંત્રને ડહોળી નાખવાની ક્ષમતા ધરાવતા આ પગલાની સંભવિત અસરો અંગે અર્થશાસ્ત્રીઓ સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો કે અર્થશાસ્ત્રીઓને બાજુ પર રાખવામાં આવ્યા હતા?

બીજી જે કિંમત ચૂકવવાની થઈ છે તે સ્પષ્ટ અને નિર્વિવાદ છે. રિઝર્વ બૅંકની કમાણીમાંથી સરકારને રૂ. ૫૮,૦૦૦ કરોડ મળશે, એમ ૨૦૧૭-૧૮ના વર્ષ માટેના અંદાજપત્રમાં દર્શાવવામાં આવ્યું હતું, પણ રિઝર્વ બૅંક પાસેથી સરકારને રૂ. ૩૦,૬૫૯ કરોડ જ મળ્યા. ગયા વર્ષે સરકારને રિઝર્વ  બૅંક પાસેથી રૂ. ૬૫,૮૭૬ કરોડ મળ્યા હતા. નોટબંધીને કારણે રિઝર્વ બૅંકની આવક ૧૭ ટકા ઘટી અને તેના ખર્ચમાં ૧૦૮ ટકાનો વધારો થયો, જે મુખ્યત્વે નવી નોટો છાપવાના ખર્ચને કારણે થયો હતો. ટૂંકમાં, લોકોએ અને અર્થતંત્રમાં બીજા એજન્ટોએ નોટબંધીના રૂપમાં કાળાં નાણાં પર કરવામાં આવેલી નિષ્ફળ ‘સર્જિકલ સ્ટ્રાઇક’ની મોટી કિંમત ચૂકવી છે. એની સામે દેશને લાંબા ગાળામાં લાભ થશે, એવું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. અલબત્ત, લાંબા ગાળામાં કયા અને કેટલા લાભો થશે એનો કશો ફોડ પાડવામાં આવતો નથી, તેમ ગાળો કેટલાં વર્ષનો છે એ પણ સ્પષ્ટ કરવામાં આવતું નથી. પણ બે વાતોનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવે છે ડિજિટલાઇઝેશન અને આવકવેરાનાં રિટર્ન ભરનારાઓની સંખ્યામાં વધારો, એને નોટબંધીના લાંબા ગાળાના લાભો તરીકે જોવાના છે.

પ્રથમ ડિજિટલાઇઝેશનની ચર્ચા કરીએ. એને આપણે રોકડવિહીન (કૅશલેશ) વ્યવહારો કહીશું. તેમાં ચેકથી થતી ચુકવણી ડૅબિટકાર્ડ, ક્રૅડિટકાર્ડ, મોબાઇલ બૅંકિંગ, મોબાઇલ વૉલેટ જેવાં અનેક માધ્યમો દ્વારા થતી ચુકવણીઓનો સમાવેશ થાય છે. આર્થિક અને ટૅક્‌નોલૉજીના વિકાસ સાથે સહજ રીતે રોકડ નાણાંનો ઉપયોગ ઘટાડવાનું અને ચુકવણી કરવા માટેનાં અન્ય સાધનોનો ઉપયોગ વધારવાનું વલણ લોકોમાં કેળવાતું હોય છે. ભારતનો જ દાખલો લઈએ. ભારતમાં ૨૦૧૧’-૧૨થી ૨૦૧૫-’૧૬નાં ચાર વર્ષોમાં ક્રૅડિટકાર્ડથી મદદથી થતા સોદાઓના પ્રમાણમાં ૧૪૬ ટકાનો, ડેબિટ કાર્ડની થતા સોદાઓમાં ૭૧ ટકાનો, મોબાઇલ બૅંકિંગ દ્વારા થતા સોદાઓમાં ૧૪૨૧ ટકાનો અને મોબાઇલ વૉલેટથી થતા સોદાઓમાં ૧૦૪૧ ટકાનો વધારો થયો હતો. રિઝર્વ બૅંકના આંકડા પ્રમાણે નવેમ્બર ’૧૫માં ડેબિટકાર્ડની સંખ્યા ૬૨.૩૭ કરોડ હતી, જે વધીને સપ્ટેમ્બર ’૧૬માં ૮૬.૭૩ કરોડ થઈ હતી.

આ વિકાસને સમગ્ર અર્થતંત્રના સંદર્ભમાં રજૂ કરીએ. ભારતમાં રોકડ નાણાંનો ઉપયોગ કર્યા વિના થયેલા સોદાઓનું પ્રમાણ મૂલ્યની દૃષ્ટિએ ૨૦૦૮માં આઠ ટકા હતા, જે વધીને ૨૦૧૫માં ૨૨ ટકા થયું હતું. આમ, રોકડવિહીન સોદાઓનું પ્રમાણ આપમેળે વધી રહ્યું હતું. નોટબંધી પહેલાં મૂકવામાં આવેલા અંદાજ પ્રમાણે ૨૦૨૫માં દેશમાં રોકડવિહીન સોદાઓનું પ્રમાણ ૫૯ ટકા પર પહોંચવાનું હતું. આની તુલનામાં ૨૦૧૫માં ચીનમાં ૫૩ ટકા, બ્રાઝિલમાં ૫૬ ટકા અને જર્મની તથા અમેરિકામાં એ પ્રમાણ ૭૬ ટકા હતું. આમ, નોટબંધીના ધક્કા વિના પણ ભારત, એના વિકાસની કક્ષાના પ્રમાણમાં વધારે ઝડપથી રોકડવિહીન થઈ જ રહ્યું હતું. પણ હવે રોકડવિહીન થતા સોદાઓના પ્રમાણમાં જે વધારો થશે, તેને સરકાર નોટબંધીના ખાતામાં જમા લેશે અને પોતાની પીઠ થાબડશે.

દેશમાં ચલણનું પ્રમાણ જી.ડી.પી.ના ટકા રૂપે ઓછું થાય તે એક મોટી સિદ્ધિ હોય એવા અભિનિવેશથી વડાપ્રધાનશ્રીએ તેમના એક પ્રવચનમાં જાહેરાત કરી હતી : દેશમાં ચલણનું પ્રમાણ ૧૨ ટકાથી ઘટીને નવ ટકા થઈ ગયું છે. (એને નોટબંધીની સફળતા ગણવાની છે.) આની તુલનામાં યુરોઝોનમાં ચલણનું પ્રમાણ જી.ડી.પી.ના ૧૦.૩ ટકા અને જાપાનમાં ૧૮ ટકા જેટલું છે. આનો અર્થ શું એવો છે કે ભારત યુરોઝોન અને જાપાનની તુલનામાં કોઈક દૃષ્ટિએ વધારે વિકસિત થઈ ગયું છે?

સરકારના આર્થિક સલાહકારોની ટીમ દ્વારા દર વર્ષે પ્રગટ કરવામાં આવતા ‘ઇકોનૉમિક સર્વે’માં ડિજિટલાઇઝેશન અંગે કરવામાં આવેલાં અવલોકનો આના સંદર્ભમાં નોંધવા જેવાં છેઃ ‘ડિજિટલાઇઝેશન કોઈ રામબાણ ઔષધ નથી અને રોકડ નાણાં બધી રીતે ખરાબ નથી. ચુકવણીનાં આ બંને સ્વરૂપોના લાભ અને ખર્ચ વચ્ચે રાજ્યે પોતાની નીતિ દ્વારા સમતુલા સાધવાની છે. બીજું, ડિજિટલાઇઝેશન તરફ ગતિ ક્રમિક હોવી જોઈએ, જેઓ ડિજિટલસેવાથી વંચિત છે, એમને ધ્યાનમાં રાખવાના છે; લોકોની પસંદગીનો આદર કરો, તેમના પર તમારી પસંદગી લાદો નહીં.’ આ શાણપણભરેલી સલાહનો સૂચિતાર્થ સ્પષ્ટ છે : ચુકવણીની બાબતમાં પ્રજાને ઝડપથી ડિજિટલ બનાવી દેવાનું પસંદ કરવા યોગ્ય નથી, એના માટે નોટબંધી જેવું જલદ પગલું ભરવાનો તો પ્રશ્ન જ નથી. સ્વીડનમાં ૮૦ ટકા સોદા ડિજિટલ ચુકવણીથી થાય છે. એ સરકારની નીતિનું પરિણામ નથી, સહજ રીતે સધાયેલા વિકાસનું પરિણામ છે.

નોટબંધીની લાભદાયી અસરના બીજા નિર્દેશક તરીકે આવકવેરો ભરનારાઓની સંખ્યામાં થયેલા વધારાને ટાંકવામાં આવે છે. ઑગસ્ટની પાંચમીએ રિટર્ન ભરવાની મુદત પૂરી થતી હતી. સાતમી ઑગસ્ટે તો જેટલીએ આવકવેરાનાં ભરાયેલાં રિટર્નનો આંકડા જાહેર કરી દીધોઃ ૨.૮૩ કરોડ રિટર્ન ભરાયાં છે, જે આંકડો ગયા વર્ષે ૨.૨૭ કરોડ હતો. આમ, નોટબંધીના પરિણામે ૫૬ લાખ રિટર્ન (લગભગ ૨૫ ટકા) વધારે ભરાયાં એ સફળતા એમને ઉપસાવવી હતી. મતલબ કે આવકવેરાની કરચોરી કરનારાઓ મોટા પ્રમાણમાં વેરાના સાણસામાં આવી ગયા છે.

પરંતુુ આવકવેરો ભરનારાઓની સંખ્યાની બાબતમાં ભારે ગૂંચવાડો પ્રવર્તે છે. ૨૮ એપ્રિલ ’૧૭ના રોજ જેટલીએ આપેલા આંકડા પ્રમાણે દેશમાં વ્યક્તિઓ, નહીં નોંધાયેલી નાની કંપનીઓ અને રજિસ્ટર્ડ કંપનીઓ મળીને આવકવેરો ભરનારની કુલ સંખ્યા ૩.૫૮ કરોડ હતી. આની તુલનામાં આવકવેરો ભરનારાની કુલ સંખ્યા ૨૦૦૨માં રૂ. ૧૭ કરોડ અને ૨૦૧૨માં રૂ. ૨૪ કરોડ હતી. આંકડા સાચા માનીએ, તો એમ કહી શકાય કે ૨૦૦૨થી ૨૦૧૬નાં ૧૪ વર્ષ દરમિયાન આવકવેરો ભરનારાઓની સંખ્યામાં માત્ર ૪૧ લાખનો વધારો થયો હતો. એની સરખામણીમાં નોટબંધી પછી આવકવેરાનાં રિટર્ન ભરનારાઓની સંખ્યામાં ૫૬ લાખનો વધારો થયો! કરપાલન(tax-compliance)માં કેટલો મોટો સુધારો થયો!

જેટલીએ ૨૮મી એપ્રિલે આવકવેરો ભરનારાઓનો આંકડો આપ્યો, તેના બે-ત્રણ દિવસમાં સીધા વેરાના બૉર્ડના અધ્યક્ષ સુશીલચંદ્રની રિમાર્ક સમાચાર રૂપે પ્રગટ થઈ હતી. તેમને એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે ‘દેશમાં ત્રણ-ચાર કરોડ લોકો જ આવકવેરો ભરે છે એ એક કપોળકલ્પિત વાત (મિથ) છે. આજે એ સંખ્યા ૬.૨૬ કરોડની છે.’ આનો અર્થ એવો થાય કે ખુદ નાણાપ્રધાને પણ આવકવેરો ભરનારાઓનો કપોળકલ્પિત આંકડો રજૂ કર્યો હતો. ટૂંકમાં, આવકવેરો ભરનારાઓનો સાચા આંકડો કેટલો છે એ જ એક પ્રશ્ન છે, તેથી આવકવેરો ભરનારાઓની સંખ્યા ખરેખર કેટલી વધી તે નક્કી કરવાનું મુશ્કેલ બને છે.

આવકવેરાનાં રિટર્ન ભરનારાઓની સંખ્યામાં જે વધારો થયો છે, તેનું થોડું વિશ્લેષણ કરવા જેવું છે. આવકવેરનાં રિટર્ન ભરનારાઓની સંખ્યામાં જે ૫૬ લાખનો વધારો થયો છે, તેમાંથી ૬૯.૪૨ ટકાએ તેમની આવક રૂ. પાંચ લાખથી ઓછી દર્શાવી છે. નવા નોંધાયેલા કરદાતાઓની સરેરાશ આવક રૂ. ૨.૭ લાખ છે. વ્યક્તિગત આવક માટેની આવકવેરાની મુક્તિમર્યાદા રૂ. ૨.૫ લાખની છે, તેથી કરપાલન વધ્યું હોવા છતાં વ્યક્તિઓ પરના આવકવેરાની આવકમાં નજીકના ભવિષ્યમાં કોઈ મોટા વધારાની અપેક્ષા રાખવાની નથી. ફક્ત ૪૫,૪૩૦ વ્યક્તિઓએ રૂ. એક કરોડથી વધારે આવક દર્શાવી છે. તેથી નોટબંધીને કારણે વધેલા કરપાલનથી કાળાંનાણાના સર્જકો વેરાની જાળમાં આવી ગયા છે અને કાળાનાણાં પર જનોઈવઢ ઘા થયો છે, એવો દાવો કરી શકાય તેમ નથી.

રોકડવિહીન વ્યવહારોમાં થતા વધારાને અને કરપાલનને લાંબા ગાળાના લાભના સ્રોત રૂપે કેમ જોવામાં આવે છે, તે હવે સમજીએ રોડકવિહીન વ્યવહારો વધવાથી, કરચોરીમાં થનાર ઘટાડાથી અને આવકવેરાના પાલનમાં વધારો થવાથી સરકારને મળતી વેરાની આવકમાં વધારો થશે. તેને પરિણામે સરકારની વિકાસલક્ષી ખર્ચ કરવાની ક્ષમતા વધશે; એનાથી જી.ડી.પી.નો વૃદ્ધિદર વધશે, એટલે કે દેશનો વિકાસ ઝડપી બનશે. આમાં બે ધારણાઓ રહેલી છે : એક કરની આવક વધવાની સાથે સરકારના બિનઉત્પાદક કહી શકાય એવા ખર્ચમાં વધારો થશે નહીં, એટલે કે વધેલી કરની આવકમાંથી બચત કરીને સરકાર વિકાસલક્ષી ખર્ચમાં વધારો કરી શકશે. બીજું, વિકાસલક્ષી ખર્ચ બુલેટટ્રેન જેવા વિકાસના પ્રસિદ્ધમૂલ્ય કે પ્રતિષ્ઠામૂલ્ય ધરાવતા પ્રકલ્પો પાછળ નહીં ખર્ચાય. બીજા શબ્દોમાં મૂકીએ, તો ખાનગી રાહે થતા ખર્ચની તુલનામાં રાજ્ય વધારે ઉત્પાદક રીતે પ્રજા પાસેથી આવેલાં નાણાં ખર્ચશે.

લાંબા ગાળાનો આ લાભ બધી રીતે અનિશ્ચિત હોવાથી લાંબા ગાળાની બાબતમાં ૨૦મી સદીના ઇંગ્લૅન્ડના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી કેઇન્સનું જાણીતું વાક્ય ટાંકીએ (મોટે ભાગે એ વાક્યનો ઉત્તરાર્ધ જ ટાંકવામાં આવતો હોય છે)ઃ “The long run is misleading guide to current affairs. In the long run we are all dead.”

આનો મતલબ આપણા સંદર્ભમાં સ્પષ્ટ છે : લાંબા ગાળાની લાભની ગણતરીએ ટૂંકા ગાળામાં જેની મોટી કિંમત સમાજે ચૂકવવાની થાય એવાં પગલાં ભરવામાં શાણપણ નથી. પણ કોઈ પણ દેશના રાજકર્તાઓને અર્થશાસ્ત્રીઓ માફક આવતા નથી. અર્થશાસ્ત્રીઓ સરકારનાં નીતિવિષયક પગલાંના લાભ અને ખર્ચની તુલના દેશના, એટલે પ્રજાના સંદર્ભમાં કરે છે અને એકંદરે ખર્ચની તુલનામાં લાભ વધારે જણાતો હોય, તો જ પ્રસ્તુત પગલાને ટેકો આપે છે. બીજી બાજુ દેશહિતની વાતો કરતા રાજકર્તાઓ તેને પોતાના લાભ-ખર્ચની રીતે જુએ છે. દેશને, એટલે પ્રજાના વિવિધ વર્ગોને જે ખર્ચ ભોગવવાનું થાય, તે તેમની નિસબતનો વિષય નથી હોતો.

પાલડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2017; પૃ. 03-05 

Loading

દિલ્હીમાં ફટાકડા પર સમૂળગો પ્રતિબંધ : સમસ્યા તહેવારોના વલ્ગરાઇઝેશન અને પૉલિટિસાઇઝેશનની છે

રમેશ ઓઝા|Opinion - Opinion|17 October 2017

દિલ્હી શહેરમાં દિવાળી ટાણે ફટાકડા ફોડવા પર સર્વોચ્ચ અદાલતે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો એની સામે વાદ જાગ્યો છે.

કેટલાક લોકો દલીલ કરે છે કે અદાલતે અવાજ તેમ જ ધુમાડાનું વધારે પ્રદૂષણ પેદા કરનારા ફટાકડા પૂરતો જ પ્રતિબંધ મૂકવો જોઈતો હતો. આવી રીતે સમૂળગો પ્રતિબંધ મૂકવામાં આવ્યો એ ખોટું છે. તેમને જાણ નથી કે એવા ફટાકડા પર આ પહેલાંથી જ પ્રતિબંધ છે, પરંતુ એની કોઈ અસર થતી નથી. વ્યવસ્થાતંત્ર શિથિલ અને ભ્રષ્ટ છે એટલે ગુણવત્તા આધારિત આંશિક પ્રતિબંધો કે આંશિક છૂટછાટો કામ કરતી નથી. આવડા મોટા શહેરમાં ફટાકડાની ગુણવત્તાનું મૉનિટરિંગ કરવું વ્યવહારુ પણ નથી. હજી આગળ જઈને પ્રચંડ અવાજ અને વધારે માત્રામાં ઝેરી હવા એમ બન્ને પ્રકારનું પ્રદૂષણ પેદા કરનારા ફટાકડાના ઉત્પાદન પર જ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ એટલે ‘ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી’ એવી દલીલ કેટલાક લોકો કરે છે. અહીં પણ વાસ્તવિકતા એ છે કે આવો પ્રતિબંધ આ પહેલાંથી જ કાયદામાં છે, પણ અમલમાં નથી.

ફટાકડા જ્યાં બને છે (મુખ્યત્વે શિવકાશી, તામિલનાડુ) ત્યાં કેવી અમાનવીય સ્થિતિ હોય છે અને નાનાં બાળકોનું કેવી રીતે શોષણ થાય છે એ વિશે દાયકાઓથી ઊહાપોહ થઈ રહ્યો છે, પરંતુ આજ સુધી ફટાકડા ફોડનારાઓએ એની તરફ નજર કરી નથી. વરસેદહાડે ઓછામાં ઓછાં ૧૦૦ બાળકોના ભોગે આપણાં બાળકો ફટાકડા ફોડે છે. એ બાળકો એટલા માટે મરે છે કે તેમનું પેટ ખાલી છે અને આપણે સભ્યતાની ઐસીતૈસી કરીને ફટાકડા એટલા માટે ફોડીએ છીએ કે આપણું પેટ અને ગજવું બન્ને ભરેલાં છે. ઝેરી ગૅસ પેદા થતો હોય તો વાંધો નહીં અને અવાજને કારણે વૃદ્ધો અને બીમાર લોકોને ખલેલ પડતી હોય તો વાંધો નહીં; કારણ કે તહેવાર છે અને તહેવારમાં છૂટછાટ લેવાનો આપણને જન્મસિદ્ધ અધિકાર છે.

તહેવારોમાં છૂટછાટ લેવામાં આવે છે એ મોટી સમસ્યા છે અને આજના પ્રદર્શનના યુગમાં છૂટછાટ લેવાનું પ્રમાણ વધ્યું છે. કેટલાક લોકો ધનનું અને વૈભવનું પ્રદર્શન કરવા તહેવારોમાં છૂટછાટ લે છે. કેટલાક લોકો સંગઠિત તાકાતનું પ્રદર્શન કરવા છૂટછાટ લે છે તો બીજા કેટલાક ધાર્મિક કે સામાજિક અસ્મિતાનું પ્રદર્શન કરવા તહેવારોમાં છૂટછાટ લે છે. પહેલાં આ તત્ત્વ નહોતું એટલે તહેવારો ખાસ પ્રદર્શન કર્યા વિના ઊજવવામાં આવતા હતા. તહેવારો પોતાને માટે હતા, જ્યારે આજે તહેવારો બીજાને બતાવી આપવા માટે ઊજવવામાં આવે છે. નોંધી લો, હું શહેરનો શ્રીમંત માણસ છું અથવા નોંધી લો, અમે પણ અસ્તિત્વ ધરાવીએ છીએ. અમારી અસ્મિતા પ્રબળ છે અને અમે સંગઠિત છીએ.

આવી પ્રદર્શનવૃત્તિને કારણે તહેવારો બે રીતે અભડાયા છે. એક તો તહેવારોનું વલ્ગરાઇઝેશન (વિકૃતીકરણ) થયું છે અને બીજું તહેવારોનું પૉલિટિસાઇઝેશન (રાજકીયકરણ) થયું છે. શ્રીમંતો વૈભવનું પ્રદર્શન કરીને તહેવારોનું વલ્ગરાઇઝેશન કરી રહ્યા છે અને ધર્મના ઠેકેદારો તહેવારોનું પૉલિટિસાઇઝેશન કરી રહ્યા છે. આ બન્ને પ્રકારના લોકોને ધર્મ સાથે, પરંપરા સાથે, સંસ્કૃિત સાથે, સામાજિક આપ-લે સાથે સ્નાનસૂતકનો ય સંબંધ નથી. તહેવારોનો એક ઉપયોગ સામાજિક સંબંધો વિકસાવવા માટેનો પણ હતો. લોકો એકબીજાને મળતા હતા, સંબંધો જોડતા હતા, બગડેલા સંબંધોને પાછા સાંધતા હતા અને વેપારીઓ નાણાકીય લેવડદેવડ કરીને જૂનાં ખાતાં બંધ કરતા હતા અને નવાં ખાતાં શરૂ કરતા હતા. આમાં ધર્મ આડો નહોતો આવતો. મુસ્લિમોના તહેવારોમાં હિન્દુઓ અને હિન્દુઓના તહેવારોમાં મુસ્લિમો ભાગીદાર બનતા હતા.

આમ વલ્ગરાઇઝેશન અને પૉલિટિસાઇઝેશન માટે તહેવારોમાં છૂટછાટ લેવાનું શરૂ થયું અને હવે એની કોઈ સીમા જ રહી નથી. એક ધુળેટી છોડીને કોઈ તહેવારમાં વિકૃતિ નહોતી. ધુળેટીમાં ગાળો આપવાનો રિવાજ મનનો મેલ કાઢવા માટે છે એવો બચાવ મને ગળે ઊતરતો નથી. ઊંચનીચના ભેદભાવવાળા ગ્રામીણ હિન્દુ સમાજમાં નીચે હોય તેને ઉપરવાળાને ગાળો આપવાની ક્યાં છૂટ હતી, જ્યારે સૌથી વધુ આગ તો નીચેવાળાના મનમાં રહેતી હશે. આ તો બેવડી વિકૃતિ થઈ, પણ એની વાત જવા દઈએ. સારું છે કે ધુળેટીમાં ગાળો દેવાનો રિવાજ હવે લગભગ બંધ થઈ ગયો છે. બાકી મને તો આશ્ચર્ય થાય છે કે હિન્દુ કોમવાદીઓ ધુળેટીનો અવસર કેમ ચૂકી ગયા.

તો સમસ્યા તહેવારોના વલ્ગરાઇઝેશનની અને પૉલિટિસાઇઝેશનની છે. આ વાત સમજવી હોય તો સર્વોચ્ચ અદાલતે ફટાકડા ફોડવા પર મૂકેલા પ્રતિબંધના વિરોધમાં જે દલીલો થઈ રહી છે એની તરફ એક નજર કરી જુઓ. દિવાળીમાં લાખ બે લાખ રૂપિયાના ફટાકડા ફોડીને દિવાળીના તહેવારનું વલ્ગરાઇઝેશન કરનારા કુબેરપતિઓ તહેવાર ઊજવવાના અધિકારની દલીલ કરી રહ્યા છે અને તહેવારોનું પૉલિટિસાઇઝેશન કરનારાઓ પરંપરા, ધાર્મિક લાગણી અને ધાર્મિક ભેદભાવની દલીલ કરી રહ્યા છે. આ લોકો ગજ અને ત્રાજવાં ખિસ્સામાં રાખીને ફરે છે. આ હિન્દુઓની પરંપરા છે અને એમાં રાજ્યની કે અદાલતની દખલગીરી ચલાવી લેવામાં નહીં આવે. પરંપરાસંરક્ષકોએ જરાક પરંપરાનો અભ્યાસ કરવો જોઈએ. એમ કહેવાય છે કે ભારતમાં ફટાકડા ફોડવાનો રિવાજ મુસ્લિમો આવ્યા એ પછી શરૂ થયો હતો અને તેઓ લઈ આવ્યા હતા, બાકી ભારતમાં ફટાકડા ફોડવાનો રિવાજ જ નહોતો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક પ્રવક્તાએ દલીલ કરી હતી કે આવતી કાલે અદાલત દીવા પ્રગટાવવા સામે પણ પ્રતિબંધ મૂકી શકે છે. હા, મૂકી શકે છે જો એ દીવા તેલ, ઘી, મીણ કે કપૂરની જગ્યાએ આરોગ્યને નુકસાન પહોંચાડનારા પદાર્થના બનેલા હોય. વીજળીના એવા દીવા હોય જે જોનારની આંખને નુકસાન પહોંચાડનારા હોય. એવા દીવા જે તાપમાનમાં ઉષ્ણતાનો વધારો કરતા હોય. ચિંતા નહીં કરો, આવું નથી બનવાનું. કારણ એ છે કે દીવા ઘરને ઉંબરે મૂકવામાં આવે છે, જ્યારે ફટાકડા ઘરની બહાર ફોડવામાં આવે છે. ભારતીય માનસ પબ્લિક ગુડમાં હિસ્સેદારી કરવા જેટલું ટેવાયેલું નથી. ઘરનો કચરો પાડોશીને બારણે ધકેલી દેનારો ભારતીય પોતાને નુકસાન ન થાય એની (અને એટલી જ) ખબરદારી રાખે છે. હું ખાતરીપૂવર્કો કહું છું કે મોટા ભાગના ભારતીયો બીજાના ઘરે જાજરૂ વાપરીને પાણી રેડવા જેટલી તસ્દી નથી લેતા. ફ્લશ હોય અને ચાલતું હોય તો ઠીક છે, નહીંતર ઘરધણી જોઈ લેશે. આમ ઝેરી રસાયણોના દીવા આવવાના નથી એટલે અદાલતોએ પ્રતિબંધ મૂકવો પડે એવું બનવાનું નથી માટે હિન્દુિહતના રખેવાળોએ ચિંતા કરવાની જરૂર નથી.

ટૂંકમાં કહીએ તો, સમસ્યા એ છે કે નવશ્રીમંતોએ અને સમાજના તેમ જ ધર્મના ઠેકેદારોએ તહેવારોનું અનુક્રમે વલ્ગરાઇઝેશન અને પૉલિટિસાઇઝેશન કર્યું છે. તેઓ આ બન્નેનું પ્રદર્શન કરવા તહેવારોનો ઉપયોગ કરી રહ્યા છે પછી એ દિવાળી હોય, ગણેશોત્સવ હોય, નવરાત્રિ હોય, છઠ હોય કે મોહરમ હોય. સ્થિતિ એટલી હદે વકરી છે કે હવે પબ્લિક ગુડ (સૌના સારા) માટે અદાલતોએ દરમ્યાનગીરી કરવી પડે છે. ઇલાજ આપણે શોધવાનો છે, અદાલતો તો બિચારી સૌના સારા માટે થીગડાં મારતી રહે છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 17 અૉક્ટોબર 2017

Loading

...102030...3,2633,2643,2653,266...3,2703,2803,290...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved