Opinion Magazine
Number of visits: 9687298
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાજણ

‘બાબુલ’|Poetry|9 December 2017

પીવડાવું આસવ
આંખોથી, અધરથી
આવ સાજણ નિકટ
પીડ આ જાણી શકે તો

તોડું દ્રઢ આશ્લેષથી
શ્વાસોનાં આવાસો
પાંસળીઓનાં વેગીલા પ્રવાસો
રોકી જો- રોકી શકે તો

પયોધર પર ત્રોફેલાં
રંગીન મુક્તકો
પૂર્ણવિરામ વિનાનાં
તું જો વાંચી શકે તો

રૂંવાડેદાર વળાંકે
ભૂલાયેલાં પ્રાસો, લયો
છતાં રસીલી એક કવિતા
માણ, જો માણી શકે તો

Loading

EVMને કારણે નાગરિકની શક્તિ હણાતી હોય તો એને તિલાંજલિ આપી દેવી જોઈએ : ચૂંટણીકીય સુલભતા કરતાં નાગરિકની શ્રદ્ધાનું મૂલ્ય અદકેરું

રમેશ ઓઝા|Opinion - Opinion|9 December 2017

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પહેલા ચરણનું મતદાન થવાનું છે ત્યારે ચર્ચાનો, ચિંતાનો અને શંકાનો વિષય ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) છે.

ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં પાલિકાઓની ચૂંટણીમાં બે ભાતનાં પરિણામો આવ્યાં એ પછીથી કેટલાક લોકોનો ભરોસો ઊઠી ગયો છે. ઉત્તર પ્રદેશમાં જ્યાં EVM દ્વારા મતદાન થયું હતું એ મહાનગરપાલિકાઓમાં BJPએ ભવ્ય વિજય મેળવ્યો હતો અને જ્યાં EVMની જગ્યાએ મતપત્રક (બૅલટ પેપર) દ્વારા મતદાન થયું હતું એ નગરપરિષદો અને નગરપંચાયતોની ચૂંટણીમાં BJPનો પરાજય થયો હતો. જ્યાં મશીન વપરાયાં ત્યાં વિજય પણ ભવ્ય છે અને મશીનના અભાવમાં પરાજય પણ કમર ભાંગી નાખે એવો છે.

તો શું આ બે અંતિમોવાળાં પરિણામોનું કારણ EVM છે? ઘણું કરીને એવું નહીં જ હોય. ઘણું કરીને શું, એવું બિલકુલ નહીં હોય; કારણ કે આ ભારત દેશ છે જેણે લોકશાહીનું જતન કર્યું છે. જ્યારે ભલભલા દેશોએ લોકશાહી ગુમાવી દીધી ત્યારે ભારત જેવા ગરીબ અને એ સમયે સાવ નિરક્ષર મતદાતાઓના દેશે લોકશાહી અપનાવીને તેમ જ લોકતંત્રને સોળે કળાએ વિકસાવીને જગતને અચંબિત કરી મૂક્યું હતું. આજે ભારત જગતના સૌથી મોટા લોકશાહી દેશ તરીકેની ખ્યાતિ ધરાવે છે. આમ EVM પરિણામો નક્કી કરવામાં કોઈ ભાગ ભજવે છે કે ભજવી શકે એમ માનવાનું મન નથી થતું.

આમ છતાં ય લોકતાંત્રિક પ્રક્રિયામાંથી લોકોનો જ્યારે ભરોસો ઊઠી જાય ત્યારે એને ગંભીરતાથી લેવાની જરૂર છે. આ વરસના પ્રારંભમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં અણધાર્યા પરિણામ આવ્યાં એ પછીથી EVM વિશે શંકા થવા લાગી હતી. આમ આદમી પાર્ટીએ પત્રકાર-પરિષદ બોલાવીને EVMમાં કઈ રીતે ચેડાં શક્ય છે એનો લાઇવ ડેમો આપ્યો હતો. ભારે વિવાદ પછી લોકોની શંકાનું નિરાકરણ કરવા ચૂંટણીપંચે કહ્યું હતું કે હવે પછી દરેક ચૂંટણી વખતે વોટર-વેરિફાઇડ પેપર ઑડિટ ટ્રેલ (VVPAT) નામનું પ્રિન્ટર EVM સાથે જોડવામાં આવશે અને એમાંથી નીકળનારી પ્રિન્ટ મતદાતાને ખાતરી કરાવશે કે તેણે આપેલો મત તે જેને આપવા માગે છે તેને ગયો કે નહીં.

VVPAT અટૅચ્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો એ પછી પહેલી ચૂંટણી ઉત્તર પ્રદેશમાં પાલિકાઓની યોજાઈ હતી અને બીજી આજે ગુજરાતમાં યોજાઈ રહી છે. પહેલી ચૂંટણીનાં પરિણામો ઉપર કહ્યું એવાં બે અંતિમોવાળાં છે અને ગુજરાતમાં આજે ચૂંટણી યોજાઈ રહી છે એ પહેલા EVM અને VVPATના લેવામાં આવેલા ટ્રાયલ-રનમાં ભૂલો નજરે પડી હતી. બટન એકનું દબાવવામાં આવે અને સ્લિપ કોઈ બીજા જ ઉમેદવારની તરફેણમાં નીકળે એવું જોવા મળ્યું હતું. આવી કેટલીક ઘટનાઓ બહાર આવ્યા પછી નરવા લોકતંત્ર માટે EVMની ઉપયોગિતા વિશે ઊહાપોહ થઈ રહ્યો છે.

અત્યાર સુધી મેં EVMનો વિરોધ નથી કર્યો. ઝડપી પરિણામો માટે EVM ઉપયોગી છે. ચૂંટણીપ્રક્રિયા સરળ બને છે, કાગળનો વપરાશ ઘટે છે, મતગણતરી ઝડપથી થાય છે, ફેરચૂંટણી અને ફેરગણતરી ભાગ્યે જ કરવી પડે છે એમ ફાયદાઓ અનેક છે. સવાલ શ્રદ્ધાનો છે અને લોકતંત્રમાં નાગરિકની શ્રદ્ધા લાખેણી છે. ચૂંટણીઓ તો ચીન અને પાકિસ્તાન સહિત જગતના મોટા ભાગના દેશોમાં થાય છે, પરંતુ એને લોકતાંત્રિક દેશ તરીકે નથી ઓળખાવવામાં આવતા, કારણ કે ત્યાં નાગરિક સત્તાધીશને ચૂંટવા જેટલો સ્વતંત્ર નથી. લોકતંત્રનો અર્થ છે વિકલ્પ અને જો નાગરિક પાસેથી વિકલ્પ છીનવી લેવામાં આવે તો એને લોકતંત્ર ન કહેવાય. હવે મને એમ લાગવા માંડ્યું છે કે EVM આજે નહીં તો કાલે મતદાતાને મળતા વિકલ્પ અને ગુપ્તતા સાથે ચેડાં કરવામાં સહાયભૂત થઈ શકે છે.

ત્રણ મુખ્ય કારણો છે – એક તો જગતમાં આજ સુધી એવું એક પણ મશીન નથી બન્યું જે બગડે નહીં અને જેની સાથે ચેડાં થઈ શકે નહીં. મશીન માત્રની આ મર્યાદા છે. બીજું કારણ એવું છે કે ચૂંટણીપંચ અને ચૂંટણીતંત્ર સાથે સંકળાયેલા લોકો તટસ્થ છે અને કાયમ તટસ્થ રહેશે એની કોઈ ખાતરી નથી. અત્યારના મુખ્ય ચૂંટણી કમિશનરની તટસ્થતા વિશે જ શંકા થઈ રહી છે. તેમણે ગુજરાતમાં મતદાતાઓને રીઝવનારી યોજનાઓ જાહેર કરવાનો સરકારને મોકો મળે એ માટે ચૂંટણી મોડી જાહેર કરી હતી. કારણ એવું આપવામાં આવ્યું હતું કે ગુજરાતમાં પૂરરાહતનું કામ ચાલી રહ્યું છે માટે સરકારને સમયની જરૂર છે. ૨૦૧૪માં આ જ ચૂંટણીપંચે જમ્મુ અને કાશ્મીરની સરકારને પૂરરાહતની કામગીરી માટે સમય નહોતો આપ્યો જેમાં વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર અચલકુમાર જ્યોતિ નંબર ટૂ હતા.

ત્રીજું કારણ મતદાનમાં હોવી જોઈતી અને જળવાવી જોઈતી ગુપ્તતાનું છે. EVMમાં આવી હોવી જોઈતી ગુપ્તતા જળવાતી નથી. સમર્થ માણસને ડરાવી પણ શકાય છે અને ખરીદી પણ શકાય છે. આજે ભારતીય મીડિયા જે રીતે ડરેલાં અને ખરીદાયેલાં છે એ એનું પ્રમાણ છે. બીજી બાજુ અદના નાગરિકને અર્થાત મતદાતાને ડરાવવો એ અઘરું કામ છે. માત્ર બે ચીજની બાંયધરી આપવામાં આવે; એક વિકલ્પની અને બીજી ગુપ્તતાની. મતદાતા પાસે પસંદગીનો વિકલ્પ હોવો જોઈએ અને તે કોને પસંદ કરી રહ્યો છે એની ગુપ્તતા જળવાવી જોઈએ. લોકતંત્ર આ બન્ને ચીજ આપે છે અને એ નાગરિકની શક્તિ છે. EVMને કારણે નાગરિકની શક્તિ હણાતી હોય તો એને તિલાંજલિ આપવી જોઈએ. ચૂંટણીકીય સુલભતા કરતાં લોકતંત્રનો પ્રાણ (વિકલ્પ અને ગુપ્તતા) અને નાગરિકની શ્રદ્ધા જળવાઈ રહે એનું વધારે મૂલ્ય છે.

આમ પણ જગતના બહુ ઓછા દેશોમાં EVMનો ઉપયોગ થાય છે. આખા જગતમાં માત્ર ૧૮ દેશોમાં EVMનો ઉપયોગ થાય છે. જે દેશોમાં ટકોરાબંધ પરિપક્વ લોકતંત્ર છે એવા દેશોમાં ભારત, ઑસ્ટ્રેલિયા, કૅનેડા અને બ્રિટનમાં જ EVM વાપરવામાં આવે છે, બાકીના દેશોમાં EVMનો ઉપયોગ કરવામાં નથી આવતો. કારણ બહુ સ્પષ્ટ છે – નાગરિકની લોકતંત્રમાં શ્રદ્ધા જળવાઈ રહેવી જોઈએ અને શ્રદ્ધા જાળવવી હોય તો નાગરિકને મળતા વિકલ્પ અને ગુપ્તતાનાં કવચ જળવાઈ રહેવાં જોઈએ. EVM આની કોઈ ખાતરી નથી આપતું એટલે સમય આવી ગયો છે કે EVMને તિલાંજલિ આપવામાં આવે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 09 ડિસેમ્બર 2017

Loading

શ્રદ્ધાના નામે રમાતા કોમી રાજકારણને ટાઇટલના કેસ તરીકે હાથ ધરીને સર્વોચ્ચ અદાલતે બતાવી આપવું જોઈએ કે આ દેશમાં કાયદાનું રાજ ચાલશે, શ્રદ્ધાનું ધતિંગ નહીં

રમેશ ઓઝા|Opinion - Opinion|8 December 2017

ગઈ કાલે આપણે જોયું કે ૧૯૯૪માં સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની ખંડપીઠે પ્રેસિડેન્શિયલ રેફરન્સ પાછો કરતાં કહ્યું હતું કે મહેરબાની કરીને રાજકીય હેતુ માટે અદાલતોનો ઉપયોગ ન કરો.

સેક્યુલર સ્ટેટ એ બંધારણની અમૂલ્ય દેણ છે અને એની સાથે રાજકીય લાભ માટે ચેડાં ન કરો. માનવસમાજમાં વિવાદો અને ઝઘડાઓ હોવાના, પરંતુ એ ઝઘડાઓ ભૌતિક ચીજોના હોય, શ્રદ્ધાઓના ન હોવા જોઈએ. વળી જો શ્રદ્ધાઓના ઝઘડાઓ હોય તો પણ એ ઉકેલવાનું કામ અદાલતોનું નથી, અદાલતોનું કામ ભૌતિક ચીજોના ઝઘડાઓમાં ન્યાય આપવાનું છે. અદાલતે એવો પણ અભિપ્રાય આપ્યો હતો કે ભારતની અદાલતો શ્રદ્ધાના મામલામાં નહીં પડે, ઇતિહાસને નહીં ઉખેળે; પરંતુ માલિકીને લગતા ટાઇટલ સૂટ જરૂર સાંભળશે.

આ ૧૯૯૪નો અભિપ્રાય છે. અત્યારે ૨૦૧૭ ચાલે છે. ૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી એની પચીસમી વરસી છઠ્ઠી ડિસેમ્બરે હતી અને પાંચમી ડિસેમ્બરે સર્વોચ્ચ અદાલતમાં છ નામી વકીલો અને અદાલતના ત્રણ જજો ચર્ચા કરતા હતા કે શુદ્ધ સંપત્તિને લગતો ટાઇટલ સૂટ અત્યારે સાંભળવો જોઈએ કે ૨૦૧૯ના જુલાઈ મહિના પછી.

શા માટે ૨૦૧૯નો જુલાઈ મહિનો? કારણ કે ૨૦૧૯ના મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને BJP સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલી સુનાવણીનો કે કદાચ સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો રાજકીય લાભ લઈ શકે છે. સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના વકીલ કપિલ સિબલે કહ્યું હતું કે જો અત્યારે ડે-ટુ-ડે ખટલો સાંભળવામાં આવે તો એનો રાજકીય ઉપયોગ કે દુરુપયોગ થવાની શક્યતા છે. આ એટલો મહત્ત્વપૂર્ણ કેસ છે જે દેશના ઇતિહાસને બદલી શકે એમ છે. કપિલ સિબલે સર્વોચ્ચ અદાલતના ૧૯૯૪ના અભિપ્રાયની યાદ અપાવતાં કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે પોતે જ ચેતવણી આપી હતી કે રાજકીય હેતુઓ માટે ન્યાયતંત્રનો ઉપયોગ કરવામાં ન આવે. સેક્યુલર સ્ટેટ એ બંધારણની અમૂલ્ય દેણ છે અને એની સાથે રાજકીય લાભ માટે ચેડાં ન કરો વગેરે. આ રીતની દલીલ કરવામાં કપિલ સિબલ સાથે બે અન્ય મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવન અને દુષ્યંત દવે પણ જોડાયા હતા.

હરીશ સાળવેનું નામ તમે સાંભળ્યું હશે. બહુ મોટા વકીલ છે જે ૧૯૯૩થી ૨૦૦૨નાં વરસોમાં ભારત સરકારના સૉલિસિટર જનરલ હતા. ૧૯૯૪માં સર્વોચ્ચ અદાલતે પ્રેસિડેન્શિયલ રેફરન્સ પાછો કર્યો અને જે અભિપ્રાય આપ્યો ત્યારે હરીશ સાળવે ભારત સરકાર વતી અદાલતમાં ઉપસ્થિતિ થતા હતા. હરીશ સાળવે ધર્મે ખ્રિસ્તી છે અને અયોધ્યાવિવાદનો ઉપયોગ બહુમતી કોમવાદીઓ કરે તો એમાં લઘુમતી કોમને નુકસાન થવાનું છે એ હરીશ સાળવે સારી રીતે જાણે છે. અત્યારે સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલા બાબરી કેસમાં હરીશ સાળવે હિન્દુ પક્ષકાર વતી ઊભા રહે છે. કપિલ સિબલને એમ લાગ્યું કે હરીશ સાળવે ખ્રિસ્તી છે એટલે બાબરી કેસનો બહુમતી કોમવાદીઓ લોકસભાની ચૂંટણી વખતે રાજકીય દુરુપયોગ ન કરે એવી તેમની રજૂઆતને હરીશ સાળવે ટેકો આપશે અને જો ટેકો નહીં આપે તો વિરોધ તો નહીં જ કરે.

આની સામે હરીશ સાળવેનું અદાલતમાં વલણ કેવું હતું? આઇ ઍમ નૉટ હિઅર ફૉર અ કૉઝ, બટ ફૉર અ ક્લાયન્ટ. આ વાક્યનો અનુવાદ કરવાની જરૂર નથી. જગતભરમાં વકીલોનો આ મુદ્રાલેખ છે. અસીલના પક્ષે દલીલ કરવાની, સત્યના પક્ષે નહીં. અસત્યને પકડી પાડવાની જવાબદારી સામેના પક્ષના વકીલની છે અને સત્યને શોધવાની જવાબદારી જજોની છે. જો પૈસા મળતા હોય તો ધર્મ આડો ન આવે, દેશનું સેક્યુલર પોત આડું ન આવે, દેશનું ભવિષ્ય આડું ન આવે, લઘુમતી કોમનાં હિત આડાં ન આવે, ફાસીવાદની ચિંતા કરવાની ન હોય વગેરે. ૧૯૯૪માં કૉન્ગ્રેસ સરકાર બાબરી કેસ સર્વોચ્ચ અદાલતના ખોળામાં ધકેલીને જવાબદારીમાંથી છટકવા માટે ન્યાયતંત્રનો ઉપયોગ કરવા માગતી હતી જેમાં હરીશ સાળવે કૉન્ગ્રેસ સરકારના વકીલ હતા અને અત્યારે હિન્દ્દુત્વવાદીઓ બાબરી કેસનો રાજકીય દુરુપયોગ કરવા માગે છે અને હરીશ સાળવે તેમના વકીલ છે. આઇ ઍમ નૉટ હિઅર ફૉર અ કૉઝ, બટ ફૉર અ ક્લાયન્ટ. વાત પૂરી.

હજી બે મહિના પહેલાંની વાત છે. શાસકો જેની તપાસ ચાલી રહી હોય એવા સંવેદનશીલ મુદ્દે વાણીસ્વાતંત્ર્યના નામે જાહેર નિવેદનો કરીને અભિપ્રાય આપી શકે? સર્વોચ્ચ અદાલતમાં આવો એક કેસ ચાલી રહ્યો છે જેમાં હરીશ સાળવે અને ફલી એસ. નરીમાન પિટિશનર છે. દેખીતી રીતે આ જાહેર હિતનો કેસ છે એટલે એને ક્લાયન્ટ સાથે નહીં પણ કૉઝ સાથે નિસબત છે. શાસકો અને રાજકારણીઓ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને કઈ રીતે જુઠ્ઠાણાં, બકવાસ, ઇંગિત, હલકા ઇશારાઓ કરે છે અને ટાર્ગેટ કરીને કોઈને બદનામ કરે છે એની તેમણે અદાલતમાં આપવીતી સંભળાવી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજનો કેસ લડતા હતા ત્યારે ચોક્કસ વિચારધારાના ટ્રોલ્સે તેમની ધર્મશ્રદ્ધા વિશે એટલા અભદ્ર ઇશારા કર્યા હતા કે તેમણે આખરે થાકીને ટ્વિટર અકાઉન્ટ બંધ કરવું પડ્યું હતું. આપણે હરીશ સાળવેને એટલી જ યાદ અપાવવી છે કે ટ્રોલ્સ ટૂ આર વર્કિંગ ફૉર અ ક્લાયન્ટ.

ખેર, આપણે અયોધ્યાના પ્રશ્ને સર્વોચ્ચ અદાલતમાં પાછા ફરીએ. રાજકીય હેતુ માટે શાસકો અને રાજકારણીઓ ન્યાયતંત્રનો દુરુપયોગ ન કરે અને દેશનો સેક્યુલર ઢાંચો જળવાઈ રહેવો જોઈએ એવો સર્વોચ્ચ અદાલતે ૧૯૯૪માં અભિપ્રાય આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે માલિકીના ઝઘડાનો ટાઇટલ સૂટ અદાલતો સાંભળશે. અલાહાબાદની વડી અદાલતે ૨૦૧૦ના સપ્ટેમ્બર મહિનામાં બાબરી મસ્જિદના ટાઇટલ સૂટમાં એક ચુકાદો આપ્યો હતો જે વાસ્તવમાં ન્યાય કરનારો ચુકાદો નહોતો, પણ સમાધાનકારી ફૉમ્યુર્લા હતી. એ ચુકાદારૂપી ફૉમ્યુર્લાને બધા જ પક્ષકારોએ નકારી કાઢી હતી અને તેઓ સર્વોચ્ચ અદાલતમાં અપીલમાં ગયા હતા. અત્યારે સર્વોચ્ચ અદાલતમાં જે કેસ ચાલી રહ્યો છે એ આ અપીલ છે.

હવે સર્વોચ્ચ અદાલતને અને કપિલ સિબલ જેવા સંબંધિત વકીલોને કેટલાક સવાલ પૂછવાના રહે છે.

એક. ૧૯૯૪ના સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય મુજબ અદાલતો શ્રદ્ધાના નહીં, ટાઇટલના કેસ સાંભળશે તો પછી આટલા મહત્ત્વપૂર્ણ ઝઘડામાં કરવામાં આવેલી અપીલ સાત વરસ સુધી કેમ સાંભળવામાં ન આવી? સર્વોચ્ચ અદાલતમાં અપીલમાં આટલો લાંબો સમય લાગતો નથી સિવાય કે અદાલત કેસ ન સાંભળવા માગતી હોય. અયોધ્યાનો કેસ સાત વરસ સુધી હાથ ન ધરવા પાછળનું કારણ કેસમાં રહેલી કોઈ ખામી છે કે પછી એનાં રાજકીય પરિણામોનો ભય છે? જો ખામી હોય તો ખામી બતાવીને કેસને ફગાવી દેવો જોઈએ, પણ સુનાવણી જ હાથ ધરવામાં ન આવે એની પાછળનું શું કારણ હતું? એ જ જેના તરફ કપિલ સિબલે ઇશારો કર્યો હતો. ખટલાનો રાજકીય દુરુપયોગ.

બે. ડૉ. સુબ્રહ્મણ્યમ સ્વામીએ ગયા વર્ષે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી કે અયોધ્યાના કેસમાં રોજેરોજ સુનાવણી કરીને સત્વરે ચુકાદો આપવામાં આવે. સર્વોચ્ચ અદાલતે તેમની અપીલ દાખલ કરી હતી અને તેમની અપીલના જવાબમાં અદાલતે ઠરાવ્યું છે કે આવતા વરસના ફેબ્રુઆરી મહિના પછીથી ખટલો રોજેરોજ ચાલશે. હવે સુબ્રહ્મણ્યમ સ્વામી તો મૂળ પક્ષકાર સુધ્ધાં નથી તો પછી તેમની ઉત્સુકતા પાછળનો ઇરાદો રાજકીય નથી તો બીજો શો છે? અદાલતોનો રાજકીય હેતુ માટે ઉપયોગ થવા નહીં દેવાનો ૧૯૯૪નો અભિપ્રાય સામે છે. સાત વરસ સુધી કેસને હાથ નહીં લગાડવાનો ઇતિહાસ સામે છે અને હવે ત્રાહિત માણસની રાજકીય ઇરાદાવાળી અપીલમાં સર્વોચ્ચ અદાલત સક્રિયતા બતાવી રહી છે એ વિચિત્ર નથી લાગતું? અત્યારે જ અયોધ્યાના કેસનો રાજકીય ઉપયોગ ગુજરાતની ચૂંટણીમાં થઈ રહ્યો છે.

ત્રણ. આજે નહીં તો ક્યારે? સર્વોચ્ચ અદાલતે આજે નહીં તો કાલે અયોધ્યાનો ટાઇટલનો કેસ હાથ ધરવો જ પડે એમ છે તો આજે શા માટે નહીં? એનો રાજકીય દુરુપયોગ તો થવાનો જ છે અને એને કોઈ રોકી શકે એમ નથી, પણ એનો અર્થ એવો નથી કે કેસને કાર્પેટ તળે ઢબૂરી રાખવામાં આવે. અદાલતે ઓછામાં ઓછો રાજકીય દુરુપયોગ થાય એની બની શકે એટલી ચીવટ રાખવી જોઈએ અને તમામ પક્ષકારો પાસેથી સોગંદનામા દ્વારા લેખિત બાંયધરી લેવી જોઈએ કે ચુકાદો તેમના માટે બંધનકર્તા રહેશે. ભારત સરકાર પાસે પણ ચુકાદાના અમલની બાંયધરી સોગંદનામા દ્વારા અદાલતમાં આપવી જોઈએ.

ચાર. શ્રદ્ધાના નામે રમાતા કોમી રાજકારણને ટાઇટલના કેસ તરીકે હાથ ધરીને સર્વોચ્ચ અદાલતે બતાવી આપવું જોઈએ કે આ દેશમાં કાયદાનું રાજ ચાલશે, શ્રદ્ધાનું ધતિંગ નહીં.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 ડિસેમ્બર 2017

Loading

...102030...3,2633,2643,2653,266...3,2703,2803,290...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved