Opinion Magazine
Number of visits: 9584057
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક જિંદગી આદિવાસીઓને સમર્પિત


રમેશ તન્ના, રમેશ તન્ના|Profile|13 November 2017

ભગવાનદાસ પટેલે કરેલાં સંશોધન અને ઉત્કર્ષ-કાર્યો પાસે પદ્મશ્રી પણ ફિક્કો પડે, હોં

સંશોધન એ એક જાતનું ધન જ છે, પણ ગુજરાતીઓ ધનની પાછળ એટલા પડેલા રહે છે કે તેમને સંશોધનનો મહિમા સમજાતો નથી. જો કે ગુજરાતને ઝવેરચંદ મેઘાણી સહિત કેટલાક એવા લોકસમર્પિત અને નિસબતી સંશોધકો મળ્યા છે કે ગુજરાતે સંશોધનના નામે બિલકુલ નાહી નાખ્યું છે, એવું કોઈ મહેણું મારી શકે એમ નથી.

ભગવાનદાસ પટેલ એક એવું નામ છે જેમણે આદિવાસીઓનાં સંશોધન અને ઉત્કર્ષ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને આજે ૭૫ વર્ષની જૈફ વયે પણ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા પોતાના નાનકડા ફ્લૅટમાં બેસીને દરરોજ આ કાર્ય કરી રહ્યા છે.

ભગવાનદાસ પટેલે પોતાના એક આયખામાં જે કુલ કામગીરી કરી છે એને પૂરી બયાન કરવા બેસીએ તો આખું પુસ્તક જ લખવું પડે, પણ આપણે એના મહત્ત્વના મુકામો જાણીએ.

ભગવાનદાસ પટેલ ખેડબ્રહ્મામાં ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક હતા. એક દિવસ તેઓ સ્કૂલમાંથી ઘર તરફ જતા હતા. તેમની આગળ આદિવાસી ભાઈ-બહેનો ચાલતાં જતાં હતાં. તેઓ એક ગીત ગાતાં હતાં (આદિવાસીઓને ગીત અને નૃત્ય વિના બિલકુલ ન ચાલે). ભગવાનદાસને ભીલી બોલીમાં ગવાતું એ ગીત, એના શબ્દો, એનો લય ગમ્યાં. તેમણે એ ગીતની એક પંક્તિ યાદ રાખી. બીજા દિવસે તેમણે પોતાના એક સ્થાનિક આદિવાસી મિત્રને એ પંક્તિનો અર્થ પૂછ્યો. અર્થ સાંભળીને ભગવાનદાસ તો ચક્તિ થઈ ગયા. એ પંક્તિમાં ભારોભાર કાવ્યતત્ત્વ ભરેલું હતું.

એેને જાણવા પહેલાં એક પરંપરા વિશે જાણવું પડશે.

ખેડબ્રહ્મા અને દાંતા વિસ્તારના આદિવાસી સમુદાયમાં કેટલાક વિશિષ્ટ રિવાજો. એક રિવાજ એવો કે આદિવાસી છોકરા અને છોકરીઓ ગોઠી (બૉયફ્રેન્ડ) અને ગોઠણ (ગર્લફ્રેન્ડ) રાખી શકે. એ મિત્રતા એટલી પાકી હોય કે તેઓ શરીરસંબંધ પણ રાખી શકે અને બાળક પણ થાય. ઘણી વાર એવું બને કે આદિવાસી યુવતીને લગ્નની પીઠી ચોળાતી હોય તેના ખોળામાં બાળક ધાવતું હોય. આટલી મુક્ત વિચારધારા. જો કે લગ્ન થઈ જાય પછી સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવાય. જો ગોઠી-ગોઠણ સંબંધ રાખે તો કડક સજા કરાય. એ સજા મોત સુધીની પણ હોય. મુક્તિ અને બંધન સામસામેના છેડા પર જોવા મળે.

હવે વાત કરીએ એ ગીતની. એ ગીતમાં ગોઠણ (ગર્લફ્રેન્ડ) પોતાના ગોઠી(બૉયફ્રેન્ડ)ને ઉદ્દેશીને કહે છે કે … હે મારા ભેરુ, મારાં લગ્ન થઈ જશે એટલે હું તો દૂર જતી રહીશ. એ પછી આપણે કેવી રીતે મળીશું? એ પછી ગોઠણ જ ઉપાય પણ સૂચવે છે … હું જે દિશામાં રહેતી હોઉં એ દિશામાં અરીસો ધરજે, હું અરીસાના પ્રતિબિંબ વડે તને મળવા આવીશ.

કેવી ઉમદા કલ્પના …!

ભગવાનદાસને થયું કે આદિવાસી બંધુઓ પાસે આવી તો કેટલી કવિતાઓ-ગીતો હશે? તેઓ પોતે કવિતા લખતા હતા, પણ આ ગીત સાંભળીને તેમણે સંકલ્પ કર્યો કે જે ગીતો-કવિતાઓ આ લોકોના હોઠ પર, જીભ પર અને હૃદયમાં છે એને એકત્રિત કરવાં જોઈએ. એ સહજ સંકલ્પ ૧૯૮૦માં થયો હતો. એ પછી આજ સુધી ૩૭ વર્ષથી તેઓ સતત સંશોધન કરી રહ્યાં છે. આદિવાસીઓનાં ઘરે-ઘરે, ઝૂંપડે-ઝૂંપડે જઈને તેમણે જાનના જોખમે સંશોધન કર્યું છે. ૧૫૦૦ ઑડિયો CD અને ૫૦ જેટલી વીડિયો-કૅસેટમાં તેમણે આદિવાસીઓનાં ઋતુચક્ર અનુસારનાં ગીતો, લોકકથાઓ, આખ્યાનો, પુરાગાથાઓ, ગીતકથાઓ, મહાકાવ્યો, આદિવાસી લોકસાહિત્યશાસ્ત્ર આ બધાનો સંગ્રહ કર્યો. પોતાના જીવનના સાડાત્રણ દાયકાની એક-એક ક્ષણ તેમણે આ માટે સમર્પિત કરી.

€ € €

આવા જ એક સંશોધન માટે ભગવાનદાસ જતા હતા. સામા કિનારે જવું હતું અને વચ્ચે ધસમસતી હતી નદી. સામે કિનારે લગ્નની શરણાઈ વાગતી હતી. એક આદિવાસી બધાભાઈએ ભગવાનદાસને કહ્યું કે હું ગોળા વાટે તમને સામે કિનારે લઈ જાઉં. ભગવાનદાસે એ ટેપરેકૉર્ડર સહિતનો સામાન ગોળાની અંદર મૂક્યો (ગોળો એટલે પાણી ભરવા માટેનું પિત્તળનું મોટું ગોળાકાર વાસણ). બધાભાઈ, ભગવાનદાસ અને તેમનો અન્ય એક વિદ્યાર્થી, ત્રણેય જણ ગોળાને પકડીને નદી પાર કરવા પડ્યા. બધાભાઈએ ઉપર પહેરણ પહેરેલું નહીં. તેમને કંઈક જનાવર કે કશુંક અડ્યું એટલે તેમણે તરાપ મારી, તેમના હાથમાંથી ગોળો છટકી ગયો. હવે ત્રણેય ધસમસતા પાણીમાં ડૂબવા લાગ્યા. સામા કિનારે આદિવાસી લોકોનું ટોળું ઊભું હતું. બધા સામૂહિક રીતે નદીમાં પડ્યા ને તેમણે ચારે બાજુથી ત્રણેયને પાણીમાં ઘેરીને બચાવી લીધા. એ વખતે ભગવાનદાસને થયું મારું જીવન આ આદિવાસીઓએ બચાવ્યું. મારા હવેના જીવન પર તો તેમનો જ હક. આ વાત ૧૯૮૩ આસપાસની. સંશોધનનો તેમનો આ સંકલ્પ એ પછી તો વ્રત (મિશન) બની ગયો.

સંશોધનયાત્રા દરમ્યાન આવું તો ઘણી વાર બન્યું કે ભગવાનદાસને મળવા મૃત્યુ આવ્યું હોય, હાય-હેલો કરી, હાથ-મિલાવીને પાછું ગયું હોય. જો કે નિર્દોષ અને ભોળા આદિવાસીઓની દુઆની પણ કંઈક અસર હોયને?

€ € €

ખેડબ્રહ્મા અને દાંતા વિસ્તારના ભીલોમાં ડાકણપ્રથા અમલમાં હતી. કોઈ સ્ત્રીને કોઈ કારણસર ડાકણ જાહેર કરવામાં આવે અને પછી તો તેની સાથે જે અમાનવીય વ્યવહાર કરાય એનું બયાન કરીએ તો શબ્દો પણ રડવા લાગે.

ભગવાનદાસ પટેલનું હૃદય આ જોઈને કકળી ઊઠ્યું. તેમણે આ અમાનવીય પ્રથાને દૂર કરવા કમર કસી. તેમને સાથ આપ્યો તેમનાં પ્રોફેસર દીકરી જિજ્ઞાસાબહેને. ૧૯૯૪થી ૨૦૦૧ દરમ્યાન તેમણે આદિવાસી સમુદાયની માનસિકતા બદલવા નાટકો સહિતનાં અન્ય માધ્યમોનો પ્રયોગ અને ઉપયોગ કરીને સફળતા મેળવી. વર્ષો જૂની ડાકણપ્રથાને બંધ કરવામાં તેમને સફળતા મળી એનું એક કારણ હતું ભગવાનભાઈના હૃદયના ખૂણેખૂણામાં વ્યાપી ચૂકેલાં આદિવાસીઓ માટેનાં પ્રેમ અને અપાર કરુણા.

ભગવાનદાસ ભલે હતા પટેલ અને આજે પણ પટેલ જ છે, પણ હૃદયથી તો તેમણે આદિવાસીપણું સ્વીકારી જ લીધું. તેઓ આદિવાસીની વચ્ચે રહીને આદિવાસી જ બની ગયા. તેમણે ભીલી બોલીને આત્મસાત્ કરી એટલું જ નહીં, તેમના જ પ્રયાસોથી ભારતના બંધારણમાં ભીલી બોલીને સ્થાન પણ મળ્યું.

€ € €

ગુજરાતી ભાષામાં એક પણ મહાકાવ્ય નથી, પણ ભીલી બોલીમાં ચાર-ચાર મહાકાવ્યો છે. એ ચારેચાર મહાકાવ્યોનું રેકૉર્ડિંગ કરીને એને શાસ્ત્રીય રીતે પુસ્તકદેહ આપ્યો ભગવાનદાસે. એમાંથી બે મહાકાવ્યોનું તો અંગ્રેજી ભાષામાં ભાષાંતર થયું છે. કેટલાંકનો હિન્દી અને બંગાળીમાં પણ અનુવાદ થયો છે. વામન કદના ભગવાનદાસે હિમાલય જેવડું ગંજાવર કાર્ય કર્યું.

ભગવાનદાસે આ સંશોધન માટે પોતાના જીવનની એક-એક ક્ષણને ખપમાં લીધી છે.

સંશોધનની સમાંતરે તેઓ પોતાનો શિક્ષકધર્મ તો નિભાવતા જ રહ્યા. તેઓ શિક્ષક તરીકે નિવૃત્ત થયા પછી પણ સક્રિય જ રહ્યા. વડોદરા પાસે તેજગઢમાં સ્થપાયેલી ‘ધ આદિવાસી અકાદમી’ના નિયામક રહ્યા. ગુજરાત વિધાપીઠના આદિવાસી સંશોધન કેન્દ્રમાં જોડાયા અને તેમના હાથ નીચે ઘણા યુવાનો PhD થયા. દર્પણ ઍકૅડેમી સાથે પણ રહ્યા.

તેમને ટાગોર લિટરેચર, ભાષાસન્માન, ઝવેરચંદ મેઘાણી અવૉર્ડ સહિત અનેક આંતરરાષ્ટ્રીય અવૉર્ડ પણ મળ્યા છે. હા, તેમની વય પંચોતેરની થઈ ગઈ છે છતાં પણ ગુજરાત વિદ્યાસભાને આ મહાન સંશોધક અને લેખકને રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાનું હજી સૂઝતું નથી. રાજકીય વગ વાપરીને અનેક લાયક ન હોય તેવા લોકો નવી દિલ્હીના ધક્કા ખાઈને પદ્મશ્રી અવૉર્ડ લઈ આવે છે અને આવા સાચકલા હકદાર લોકો એક ખૂણામાં બેસીને સતત કાર્ય કરતા જ રહે છે.

€ € €

જો પોતાના પરિવારનો સહયોગ ન મળ્યો હોત તો હિમાલય જેવડું આવું ગંજાવર કામ ભગવાનદાસ કરી જ ન શક્યા હોત. તેમનાં ધર્મપત્ની તારાબહેન સતત તેમની સાથે રહ્યાં છે. ભગવાનદાસે ૧૫૦૦ કૅસેટનું શબ્દાંકન જાતે કર્યું હતું, પણ તેમના અક્ષરો તો ગરબડિયા. તારાબહેને તેમનું બધું લખાણ સરસ અક્ષરોમાં પુન: લખી આપ્યું. બોલો, કેટલાં હશે પાનાં? માત્ર દસેક હજાર … (૧૦,૦૦૦)

તેમનાં મોટાં દીકરી જિજ્ઞાસા અમદાવાદની ગુજરાત કૉલેજમાં અધ્યાપક છે. તેમણે પિતાને મોટો ટેકો આપેલો. નાની દીકરી જાગૃતિ રાજકોટ પરણી છે. તે ડૉક્ટર છે. દીકરો અમિત કમ્પ્યુટર સૉફ્ટવેર એન્જિનિયર છે અને અમદાવાદમાં પોતાની ફર્મ ચલાવે છે.

સાચો સર્જક સંવેદનશીલ હોય, સમાજને પ્રતિબદ્ધ હોય, નિસબત સાથે કામ કરનારો હોય. એવા સાચકલા સર્જકો કોઈ પણ ભાષામાં, કોઈ પણ પ્રદેશમાં આંગળીના વેઢે ગણાય એટલા જ હોય. એવા છે આ ભગવાનદાસ પટેલ. તેમનાં ૪૫ પુસ્તકો માત્ર આદિવાસી પ્રજાની નહીં. ભારતીય પ્રજાની મિરાતસમાં છે.

ભગવાનદાસ જેટલા સફળ સંશોધક છે એટલા જ નીવડેલા સર્જક છે. સંવેદનાની શાહીથી દીપતા તેમના હરેક શબ્દમાં ભાષાનું બળ અને સાહિત્યની સુગંધ છે.

સૌજન્ય : “પૉઝિટિવ સ્ટોરી’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 12 નવેમ્બર 2017 

Loading

આપણા મનમાં જીવતું આલ્બર્ટ આઈન્સ્ટાઈનું મગજ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 November 2017

સમાચાર બહુ સરસ છે. એમના અવસાનના બાવન વર્ષ પછી આલ્બર્ટ આઈન્સ્ટાઈન એક ચેતના બનીને સંસારના સમગ્ર લોકોના જહેનમાં જીવે છે. એમને માનવ ઇતિહાસના મહાનાયક તરીકે ઘોષિત કરાયા છે. એટલે કે, માનવ જીવનની શરૂઆત થઇ ત્યાંથી શરુ કરીને આજ સુધી જગતમાં જેટલા ઇતિહાસસર્જક લોકો થઇ ગયા એવા ૪૦ની એક યાદીમાંથી આઈન્સ્ટાઈનને સૌથી વધુ સકારાત્મક મત મળ્યા છે. આઈન્સ્ટાઈનના જ દેશ જર્મની અને ન્યુઝીલેન્ડના બે સંશોધકો, કત્જા હાંકે અને જેમ્સ લીએ ૩૭ દેશોના ૬,૯૦૨ યુનિવર્સીટી વિદ્યાર્થીઓને ઇતિહાસની ધારા અને ધરા બદલનારી ૪૦ શખ્સિયતોને ૭ પોઈન્ટ્સના સ્કેલ (અત્યંત સકારાત્મકથી લઇને અત્યંત નકારાત્મક તરફ) ઉપર માપવા કહ્યું હતું, જેમાં આ પરિણામ આવ્યું છે.

આ સર્વેમાં યુરોપિયન ઈસાઈ દેશો (આર્જેન્ટીના, બ્રાઝીલ, બુલ્ગેિરયા, કોલમ્બિયા, હંગેરી, મેકશીકો, પેરુ,પોર્ટુગલ, રશિયા, સ્પેન), પશ્ચિમી દેશો (ઓસ્ટ્રેલિયા, ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, કેનેડા, ફીજી, જર્મની, ઇટાલી, નેધરલેંડ, ન્યુઝીલેન્ડ, નોર્વે, ફિલિપાઈન્સ, સ્વિત્ઝરલેન્ડ, યુ.કે., યુ.એસ.એ.), મુસ્લિમ દેશો (ઇન્ડોનેશિયા, મલેશિયા, પાકિસ્તાન, ટ્યુનિશિયા) અને એશિયન દેશો(ચીન, ભારત, હોંગકોંગ, જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, તાઇવાન)ના લોકોને એમનાં ચિરપરિચિત ‘નાયકો અને ખલનાયકો’ વિષે પૂછવામાં આવેલું.

એમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનને બધા લોકોએ સૌથી શ્રેષ્ઠ તરીકે, સૌથી ઉપર પસંદ કરેલા. બીજા નંબરે મધર ટેરેસા, ત્રીજા નંબરે મહાત્મા ગાંધી, ચોથા નંબરે માર્ટિન લૂથર કિંગ, પાંચમાં નંબરે આઈઝેક ન્યુટન, છઠ્ઠા નંબરે (સરપ્રાઈઝ સરપ્રાઈઝ) જીસસ, સાતમાં નંબરે નેલ્સન મંડેલા, આઠમાં નંબરે થોમસ એડીસન, નવમા નંબરે અબ્રાહમ લિંકન અને છેલ્લે બુદ્ધ આવ્યા હતા.

આ તો માનવજીવનને ઉજળું કરનારા તારાઓ. અંધારું ફેલાવનારાઓનું શું? શ્રેષ્ઠતાના સામા છેડે કનિષ્ઠના સ્કેલ ઉપર સૌથી ઉપર નામ હતું હિટલરનું. એ પછી એની આંગળી ઝાલનારાઓમાં ઓસામા બિન લાદેન, સદ્દામ હુસેન, (સરપ્રાઈઝ સરપ્રાઈઝ) જ્યોર્જ બુશ, જોસેફ સ્ટાલિન, માઓ ઝેદોન્ગ, ચંગીસ ખાન, સલાદીન (ઈજીપ્તનો પહેલો સુલતાન) અને કિન શિ હુંગ (ચીનનો પ્રથમ શહેનશાહ) હતા.

છેલ્લા ત્રણ આમ તો ખલનાયક નો’તા પણ, એમનું રેટિંગ મામૂલી હતું. જોવા જેવું એ છે કે, બુશ સ્ટાલિન અને ચંગીસ ખાન કરતાં પણ બધું બદતરીન છે. એનું કારણ, સંશોધકોએ કહ્યું તે પ્રમાણે, સમય છે. સ્ટાલિન અને ચંગીસ ખાન મોટી કત્લેઆમ માટે જવાબદાર હતા પણ, એ જૂનો ભૂતકાળ છે, જ્યારે લોકોને બુશે બે યુદ્ધોમાં જે સંહાર કર્યો એ વધુ યાદ હોય એવું બને.

સકારાત્મક અસર છોડી જનારાઓની યાદીમાં સૌથી રસપ્રદ વાત એ છે કે પૂરા વિશ્વના સમાજોમાં માનવતાપ્રેમીઓ અને આધ્યાત્મિક પુરુષોનો દબદબો તો છે જ પણ, વૈજ્ઞાનિકોનું રેન્કિંગ સૌથી ઉપર છે. ટોપ ટેનમાં ત્રણ છે; આઈન્સ્ટાઈન, ન્યુટન અને એડીસન. દરેક સમાજ અને દરેક દેશના પોત-પોતાના નાયકો અને ખલનાયકો હોય છે, જે એમની સંસ્કૃિતમાંથી પેદા થાય છે. જરૂરી નથી કે એક સમાજનો હીરો કે વિલેન બીજા સમાજના લોકો માટે પણ હીરો કે વિલેન હોય. એટલે, આ પ્રકારનાં રેન્કિંગ સબ્જેક્ટીવ પણ હોય છે, અને કોઈ એક સમય કે સમાજમાં એ પ્રાસંગિક કે અપ્રાસંગિક હોય છે. આ પહેલો એવો સર્વે છે જે વૈશ્વિક છે અને તમામ સભ્યતાઓને સમાવતો છે.

એટલે જ, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, નેતાઓને પાછળ રાખીને, દેશ-કાળ-ભાષા-સંસ્કૃિતની સીમાઓ તોડીને બધા માટે મહાનાયક હોય એ બહુ રસપ્રદ કહેવાય. સંશોધકો લખે છે, આ તમામ દેશોના યુનિવર્સીટી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જ્ઞાનની ભૂખ વધુ છે એ અહીં સાબિત થાય છે. દુનિયામાં અત્યારે (અને ભૂતકાળમાં) જે જંગાલિયત થઇ છે, એમાં રાજનેતાઓની જ તો ભૂમિકા રહી છે (ઉદાહરણ – જ્યોર્જ બુશ) ત્યારે વૈજ્ઞાનિકો માનવજાતના ‘રોલ મોડેલ’ નીકળે એ ખાસ્સા આશાના સમાચાર છે.

અનેક સંશોધનો, નવલકથાઓ, ફિલ્મો, નાટકો અને કળાનો વિષય બનેલા, પાગલ વૈજ્ઞાનિક અને ચસકેલા દિમાગના પ્રોફેસર તરીકે જાણીતા અને મહાન બુદ્ધિશાળીમાં ગણાતા આલ્બર્ટ આઈન્સ્ટાઈન, ભગવાનનો જ અવતાર ગણાતા જીસસથી પણ આગળ હોય, એ કેટલી મોટી વાત છે! આઈન્સ્ટાઈને જ કહેલું – ધર્મ વગરનું વિજ્ઞાન લંગડું છે, પણ વિજ્ઞાન વગરનો ધર્મ તો આંધળો છે. “તમે શેમાં માનો છો?” એવા એક સવાલના જવાબમાં એમણે કહ્યું હતું, “આપણે જે પણ અનુભવ કરીયે છીએ, તેની ય પાર કંઇક એવું પણ છે, જેને આપણું મન પામી શકતું નથી. એની મનોહરતા અને મહાનતા આપણી સામે અપ્રત્યક્ષ આવે છે – મારા માટે એ ધાર્મિકતા છે, અને એ અર્થમાં હું ધાર્મિક છું.”

આઈન્સ્ટાઈન આસ્તિક હતા કે નાસ્તિક, એનો એક ઐતિહાસિક વિવાદ છે, અને એના ઉપર પાનાંઓ ભરીને લખાયું છે, પણ અહીં એમનાં વૈજ્ઞાનિક યોગદાનની વાત છે, જે એમને મહાનાયક બનાવે છે. 1999માં, ટાઇમ મેગેઝિને આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પર્સન ઓફ ધ સેન્ચ્યુરી જાહેર કર્યા હતા, જ્યારે ગેલપના સર્વેમાં તેમને 20મી સદીના ચોથા સૌથી વધુ લોકપ્રિય વ્યક્તિ જાહેર કરાયા હતા. દુનિયાની લગભગ તમામ ભાષાઓમાં આઈન્સ્ટાઈન વિષે અઢળક લખાયું છે. ભાગ્યે જ કોઈક એવું હશે, જેને આઈન્સ્ટાઈનનું નામ ખબર ના હોય.

દ્વિતીય મહાયુદ્ધ પહેલાં આઇન્સ્ટાઇન અમેરિકામાં એટલા લોકપ્રિય હતા કે લોકો તેમને રસ્તા ઉપર રોકીને તેમની થિયરી સમજાવવાની વિનંતી કરતા. આઈન્સ્ટાઈન આનાથી બહુ હેરાન થયેલા, અને એમણે એક રસ્તો શોધી કાઢેલો. કોઈ એમને રોકે તો એ કહેતા,” I am sorry, માફ કરો, મને લોકો પ્રોફેસર આઇન્સ્ટાઇન સમજી લેવાની ભૂલ કરે છે, પણ હું એ નથી.”

વિજ્ઞાનમાં આઈન્સ્ટાઈનની થિયરીને સાપેક્ષવાદ કહેવાય છે. ત્રણ પરિમાણો(લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ)ની સાથે આઈન્સ્ટાઈને ચોથું પરિમાણ ઉમેર્યું – સમય. અણુશક્તિનો આવિષ્કાર એમણે કર્યો હતો, જે ઈ=એમસી2 (E = mc^2) તરીકે જાણીતો છે. ૧૯૪૫માં હીરોશીમામાં અણુબૉમ્બ ફૂટ્યો. દુનિયા એ જોઈને ધ્રૂજી ગઈ! આઈન્સ્ટાઈન ત્યારે માથું હલાવીને બોલ્યા હતા, "ઓહ! આના માટે દુનિયા હજી તૈયાર નથી …" આઈન્સ્ટાઈન પછી કાયમ માટે શાંતિદૂત બની ગયા.

આ બધું જ બહુ જાણીતું છે, અને એટલે જ, એમનું મગજ વર્ષોથી કુતૂહલનો વિષય રહ્યું છે. ૧૯૫૫માં, ૭૬ વર્ષની વયે આઈન્સ્ટાઈનનું અવસાન થયું તે પછી, ચિકિત્સક થોમસ હાર્વેએ એમના મગજને ૨૪૦ હિસ્સામાં કાપી નાખ્યું હતું. દરેક હિસ્સાના ૨,૦૦૦ જેટલા નાના-નાના ટુકડા કરી દેવાયા હતા, અને દુનિયાના ૧૮ અન્વેષકોને મોકલી અપાયા હતા, જેથી માઈક્રોસ્કોપિક સ્તરે એની જાંચ થઇ શકે. હાર્વે સિવાય કોઈને બહુ ખબર નહીં પડી, અને મોટાભાગના હિસ્સા ખોવાઈ પણ ગયા છે.

આ બધું મળીને ૬ પેપર્સ લખાયાં છે, જેમાં ગજબની વાતો છે. એમનાં મગજમાં, બીજાઓની સરખામણીમાં, ન્યુરોન્સ(તાંત્રિક કોશિકાઓ)ની ડેન્સીટી (ઘનતા) વધારે હતી. એક અભ્યાસમાં એવી વાત આવી કે આઈન્સ્ટાઈના parietal lobesમાં (જેમાં બધી સેન્સરી ઇન્ફોર્મેશન પ્રોસેસ થાય) ‘નદી-નાળા’ બહુ અસામાન્ય હતા, જે એમની અપ્રતિમ બુદ્ધિશક્તિ માટે કારણભૂત હોઈ શકે.

૨૦૦૯માં નૃવંશશાસ્ત્રી ડીન ફાલ્કે એક અભ્યાસ કરીને કહ્યું હતું, “આઈન્સ્ટાઈને ખુદ પોતાનું બ્રેઈન તૈયાર કર્યું હતું, જેથી ભૌતિકશાસ્ત્રનું જગત જ્યારે પરિપકવ હોય ત્યારે, નવી શોધ કરી શકે. એમનું, યોગ્ય સમય માટે યોગ્ય જગ્યાએ યોગ્ય બ્રેઈન હતું.” ફિલાડેલ્ફીઆ (પેન્સીલવેનિયા સ્ટેટ)ના મેડિકલ મ્યુિઝયમમાં આઈન્સ્ટાઈનું આ મગજ સચવાયેલું પડ્યું છે.

આપણા મનમાં પણ એમનું મગજ જીવે છે!

https://www.facebook.com/permalink.php?story_fbid=1908936346101082&id=1379939932334062

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 12 નવેમ્બર 2017

Loading

પારસીઓનાં ગરબા અને લગ્ન ગીતો

દીપક મહેતા|Opinion - Literature|13 November 2017

ગુજરાતના ગરબા વિષે, જુદા જુદા પ્રદેશોમાં અને જુદી જુદી જ્ઞાતિઓમાં ગવાતાં લગ્ન ગીતો વિષે, આપણે ત્યાં ઘણું લખાયું છે. એનાં સંપાદનો, સંકલનો, પણ થયાં છે. અને હવે તો ઓડિયો અને વીડિયો રૂપે પણ તેમાંની કેટલીક સામગ્રી મળે છે. પણ પારસીઓમાં ગવાતા ગરબા વિષે, તેમનામાં ગવાતાં લગ્ન ગીતો વિષે ? આપણા ઘણાખરા અભ્યાસીઓ, જેને ‘મુખ્ય પ્રવાહ’ માને છે તેને ધ્યાનમાં રાખીને જ કામ કરતા હોય છે. તેનાથી અલગ અને આગવી ધારાઓ પ્રત્યે પણ ધ્યાન આપવાનું કાં તેમને સૂઝતું નથી, કાં જરૂરી લાગતું નથી.

પણ છેક ૧૮૭૯માં ‘પારશી સ્ત્રી ગરબા તથા લગનસરામા બેઠા બેઠા ગાવાના શહવેનાના ગીતો અને ગરબાઓનો સંગરહ’ નામનું પૂરાં ૪૭૪ પાનાંનું પુસ્તક પ્રગટ થયું હતું. (અવતરણ ચિહ્નો વચ્ચે બધે જ લખાવટ મૂળ પ્રમાણે રાખી છે.) તેના ‘બનાવનાર’ હતા ‘શોરાબજી હોરમજી.’ અને પુસ્તકના મુખપૃષ્ઠ પર તેમની ઓળખ આ રીતે આપી છે: ‘ચીકન છાપનાર અથવા ગરબા ગાનાર.’ પુસ્તક મુંબઈના ‘પરીંતરશ પરેશ (પ્રિન્ટર્સ પ્રેસ) છાપાખાનામાં છાપીઊં છે.’ કિંમત છ રૂપિયા.

પણ આ પ્રકારનું આ કાંઈ તેમનું પહેલું પુસ્તક નહોતું. દીબાચામાં જણાવ્યું છે કે અગાઉ તેમણે  જ ‘રમૂજી ગરબાઓની ચોપડી’ નામના પુસ્તકના ત્રણ ભાગ પ્રગટ કર્યા હતા. ૧૮૭૯માં આ પુસ્તક પ્રગટ થયું ત્યાં સુધીમાં ત્રણે ભાગની બધી જ નકલો ખપી ગઈ હતી, અને હજી માગ તો ચાલુ જ હતી. પણ એ ત્રણ ભાગની કિંમત ૧૧ રૂપિયા હતી. ‘એટલી મોહોટી કીમત’ ઘણાને પરવડતી નહોતી. તેથી તે ત્રણ ભાગમાંથી પસંદ કરેલી કૃતિઓ તથા બીજી કેટલીક નવી કૃતિઓ ઉમેરીને તેમણે આ પુસ્તક તૈયાર કર્યું. ‘રમૂજી ગરબાઓની ચોપડી’ના ત્રણ ભાગ ક્યારે પ્રગટ કરેલા તે પ્રસ્તાવનામાં જણાવ્યું નથી. પણ ‘પારસી પ્રકાશ’ના બીજા દફતરના ૪૫મા પાને ‘રમૂજી ગરબાઓની ચોપડી’નો બીજો ભાગ ૧૮૬૨ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે પ્રગટ થયો હોવાનું જણાવ્યું છે. પહેલા અને ત્રીજા ભાગ વિષે ‘પારસી પ્રકાશ’માં નોંધ મળતી નથી. પણ પહેલો ભાગ ૧૮૬૨ પહેલાં ક્યારેક, અને ત્રીજો ભાગ ૧૮૬૨ અને ૧૮૭૯ની વચમાં ક્યારેક, પ્રગટ થયો હોવો જોઈએ. બીજા ભાગ અંગેની વિગતોમાં ‘પારસી પ્રકાશ’ આ શોરાબજીને ‘ચીકન છાપનાર અથવા પુટલાં દેખાડનાર’ તરીકે ઓળખાવે છે. પણ આ ‘ચીકન છાપનાર અથવા ગરબા ગાનાર’ અથવા ‘પુટલાં દેખાડનાર’ શોરાબજી હતા કોણ? ફરી ‘પારસી પ્રકાશ’ મદદે આવે છે. ૧૮૯૫ના ફેબ્રુઆરીની સાતમી તારીખે ૭૪ વર્ષની વયે શોરાબજી બેહસ્તનશીન થયા તે અંગે બીજા દફતરના ૫૧૮મા પાને આ પ્રમાણે નોંધ છાપી છે: “ઇંગ્રેજી ભાષાનાં બીલકુલ જ્ઞાન વગર ગરીબાઈમાં આબરૂથી પોતાનું ગુજરાન ચલાવા જુદા જુદા સાહસોમાં મગજ દોડાવ્યું હતું. આશરી ૪૦) વર્ષની વાત ઉપર પાયધોણીના લતા ઉપર મરહુમ પેહલા સર જમશેદજી, શેઠ જગન્નાથ શંકરશેઠ અને બીજા આગેવાન મુંબઈગરાઓના માતીના પુતલા બનાવી તે નાહાની ફી લેઈ તેવને જોવા મેલ્યા હતા. પછી જાત્રાઓ અને મેલાઓમાં એવાં પુતલાં અને ચીતરો દેખાડવાનો ધંધો કરતા હતા, અને લગન વગેરે ખુશ હીગાંમોપર ગરબાઓ ગવાડવા જતા હતા, અને તે માટે ચાલુ બનાવો પર ગરબાઓ જોડી તેનાં આશરે અર્ધો દજન પુસ્તકો બહાર પાડ્યાં હતાં. આ ગરબાઓમાં પીંગલનો કશો નીયમ હતો નહી એ છતાં ઘરેઘર ગવાતા હતા.”

ભલે જરા આડવાત જેવું લાગે પણ અહીં જ ‘પાયધોણી’ વિષે થોડી વાત કરી લઈએ. મુંબઈનો એક લત્તો આજે પણ ‘પાયધોણી’ કે ‘પાયધૂની’ તરીકે ઓળખાય છે. મુમ્બાદેવીના મંદિર નજીક આવેલા આ વિસ્તાર આગળ અગાઉ મુંબઈના અને વરલી-મઝગાંવના ટાપુઓને જૂદા પાડતી છીછરી ખાડી હતી. ભરતીને વખતે જ તેમાં પાણી ભરાતું. તે સિવાય કાદવ-કીચડ પથરાયેલો રહેતો. ભરતી ન હોય ત્યારે આ કાદવ-કીચડમાં ચાલીને લોકો એક ટાપુ પરથી બીજા ટાપુ પર આવ-જા કરતા. પણ બીજા ટાપુ પરથી આ બાજુ આવ્યા પછી કાદવથી ખરડાયેલા પગ ધોઈને સાફ કરવા પડતા. એથી એ જગ્યા ‘પાયધોણી’ (પગ ધોવાની જગ્યા) તરીકે ઓળખાઈ. પગ ધોયા પછી થાકેલા લોકો થોડો વખત આરામ પણ કરતા હશે. તે વખતે ‘નાહાની ફી’ આપીને પૂતળાં જોવાનું કેટલાક લોકો પસંદ કરતા હશે. તેવી જ રીતે મુંબઈના ટાપુ પરથી વરલી કે મઝગાંવના ટાપુ પર જનારાઓ અહીં પહોંચે ત્યારે જો ભરતીનાં પાણી પૂરેપૂરાં ઓસર્યાં ન હોય તો રાહ જોવી પડે. ત્યારે નવરાશની પળોમાં થોડાક લોકો પૂતળાં જોતા હશે.

માટીનાં પૂતળાં બતાવીને કે લગનસરામાં ગીત કે ગરબા ગવડાવીને શોરાબજી કેટલું કમાતા હશે એ તો ખોદાયજી જાણે, પણ થોડીઘણી નિયમિત આવક ચીકનનું કપડું છાપવાના કામમાંથી થતી હશે એમ માની શકાય. એ આવકમાંથી પૈસા રોકીને તેમણે આ ‘અડધો ડઝન જેટલા’ પુસ્તકો છપાવ્યાં હશે. એ પુસ્તકો વેચતા પણ જાતે જ હશે એમ માનવું પડે કારણ આ પુસ્તકમાં કોઈ વિક્રેતાનું નામ છાપ્યું નથી.

આ પુસ્તકનું છાપકામ પણ ધ્યાન ખેંચે એવું છે. ૧૮૭૯ સુધીમાં ગુજરાતી મુદ્રણને ક્ષેત્રે ઠીક ઠીક પ્રગતિ થઇ હતી. ગુજરાતી ટાઈપ પણ પ્રમાણમાં સુઘડ બન્યા હતા. પણ આ પુસ્તક છપાયું છે તે ટાઈપ ૧૯મી સદીના પૂર્વાર્ધમાં વપરાતા હતા તેવા, જરા બેડોળ વળાંકવાળા જણાય છે. વળી પદ્યની પંક્તિઓ છૂટી પાડીને ન છાપતાં, અગાઉની હસ્તપ્રતોમાં, અને શરૂઆતનાં છાપેલાં પુસ્તકોમાં, સળંગ છપાતી તેમ છાપી છે. એક કૃતિ પૂરી થાય પછી તરત તે જ પાને અલગ પડે એ રીતે મથાળું છાપીને બીજી કૃતિ શરૂ કરી છે. આમ કરવાનું સંભવિત કારણ પુસ્તકનાં પાનાંની સંખ્યા બને તેટલી ઘટાડવાનું હોઈ શકે. કારણ પાનાંની સંખ્યા મર્યાદિત રહે તો જ ‘પોસાઈ શકે’ એવી છ રૂપિયાની કિંમતે પુસ્તક વેચી શકાય. પણ આ રીતે છાપકામ થયું હોવાથી કૃતિઓ વાંચતાં આજે થોડી મુશ્કેલી પડે તેમ છે. કાગળ પણ પ્રમાણમાં હલકા પ્રકારનો વપરાયો છે તેથી આ લખનારે જે નકલ જોઈ છે તેનાં પાનાં પીળાં પડી ગયાં છે અને  ખાસ્સાં બરડ થઇ ગયાં છે, અને થોડાંક ફાટીને ગુમ પણ થયાં છે. એ નકલનું મૂળ બાઈન્ડીંગ અને પૂંઠું સચવાયું નથી એટલે પૂંઠા અંગે કશું કહી શકાય તેમ નથી.

પુસ્તકનાં પહેલાં ૩૦૪ પાનાં ગરબાએ રોક્યાં છે. અહીં જે ગરબા જોવા મળે છે તે આજે આપણે જેનાથી પરિચિત છીએ તેવા ટૂંકા ઊર્મિ ગીતોના પ્રકારના નથી. પણ આપણા મધ્યકાલીન સાહિત્યમાં જે લાંબા, ચરિત્રવર્ણન પ્રધાન અને કથાકથન પ્રધાન ગરબા જોવા મળે છે તે પ્રકારના છે. ચરિત્રવર્ણન પ્રધાન ગરબાના આરંભે જે-તે વ્યક્તિનો ટૂંકો પરિચય પણ ‘વાંચનારી બાઈઓ’ એવું સંબોધન કરીને આપ્યો છે. આ પુસ્તકમાંનાં ગરબા અને લગ્ન ગીતો ગાતી વખતે જે શબ્દ ‘લંબાવીને’ ગાવાનો હોય તેની આગળ અંગુલી નિર્દેશની નિશાની કાઉન્સમાં મૂકીને () આ રીતે છાપી છે. જ્યાં પંક્તિ પૂરી થતી હોય ત્યાં *  નિશાની મૂકી છે.

જે વ્યક્તિઓની સ્તુિત કે પ્રશંસા કરવા આ ગરબા લખાયા છે તે કોણ છે? મુખ્યત્વે અંગ્રેજ રાજ્યકર્તાઓ અને પારસી અગ્રણીઓ. ૧૯મી સદીમાં નર્મદ અને દલપતરામ જેવામાં પણ અંગ્રેજ રાજવટ પ્રત્યેની વફાદારી અને તેની પ્રશંસા કરવાની ધગશ જોવા મળે છે. આ પુસ્તકનો પહેલો જ ગરબો મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રેરે વિશેનો છે. હિન્દુસ્તાનમાં મહારાણી વિક્ટોરિયાનું રાજ્ય સ્થપાયું તે પછી રાણી દ્વારા નિમાયેલા તેઓ પહેલા ગવર્નર હતા. ૧૮૬૨થી ૧૮૬૭ સુધી તેઓ આ પદે રહ્યા હતા. આ ગરબો પાંચ પાનાંનો છે. તો બીજો ગરબો ૧૮૭૨થી ૧૮૭૬ સુધી ગવર્નર જનરલ રહેલા લોર્ડ નોર્થબ્રૂક વિશેનો છે. મુંબઈની મુલાકાત દરમ્યાન તેમણે જે દરબાર ભર્યો હતો તેનું વર્ણન ગરબાનો મોટો ભાગ રોકે છે. પ્રિન્સ ઓફ વેલ્સ વિશેનો ગરબો પણ છે. તો કેટલાક અંગ્રેજ અફસરોના મૃત્યુ અંગે શોક વ્યક્ત કરતા ગરબા પણ અહીં છે. પારસી અગ્રણીઓમાં સર કાવસજી જાહાંગીરજી રેડીમની, ખાનબહાદુર દસ્તુરજી નસરવાનજી જામાશજી, નસરવાનજી રતનજી તાતા, ખાનબહાદુર અરદેશર કોટવાલ, ડોક્ટર હાડવૈદ ભીમજીભાઈ રાન્દેલીઆ, વગેરે વિષે ગરબા જોવા મળે છે. કથાપ્રધાન કે પ્રસંગ પ્રધાન ગરબાઓમાં ઈ.સ. ૧૮૭૨માં ગુજરાતમાં મોટી રેલ આવેલી તે અંગેનો ગરબો છે, મુંબઈમાં ડુંગરવાડી પર આવેલા પારસીઓના દખમા અંગે અદાલતમાં કેસ થયો હતો તે અંગેનો ગરબો છે, સુરતની મોટી આગ અંગેનો ગરબો છે.

આપણા ‘મુખ્ય ધારા’ના ગરબાઓમાં રમૂજ, હાસ્ય, વ્યંગ, ટીખળ બહુ ઓછાં જોવા મળે છે. પણ જ્યારે પારસીઓ ગાવાના હોય ત્યારે એ ગરબામાં આ બધું ન હોય એવું તો કેમ બને? આ પુસ્તકમાં ‘રમૂજી’ ગરબાઓ સારી એવી સંખ્યામાં છે: રાએજી દેવજીનો રમૂજી ગરબો અશલી, બાર વરસની કણીઆંનો રમૂજી ગરબો, અજબ શરૂખી મુરગાં લેનીની રમૂજી ખુદણી, શોલેપણીઆરીની રમુજી ગરબી, કેરીનો રમૂજી ગરબો, ભાઠેની પોરીની હશવાની નાધલી ગરબી, વગેરે.

અહીં સંગ્રહાયેલા બીજા એક પ્રકારના ગરબા પણ ધ્યાન ખેંચે તેવા છે. ૧૯મી સદીમાં ઘણી વાર અંગ્રેજો હિંદુઓ માટે ‘બનીઆ’ શબ્દ વાપરતા. તેમની લિપિને પણ ‘બનીઅન સ્ક્રિપ્ટ’ તરીકે ઓળખતા. તેમને અનુસરીને પારસીઓ પણ ઘણી વાર બધા હિંદુઓ માટે ‘બનીઆ’ શબ્દ વાપરતા. અહીં આવા ‘બનીઆ’ ગરબાઓનાં પારસી રૂપાંતરો પણ જોવા મળે છે. તેમાંના કેટલાક આ પ્રમાણે છે: ઓધવજીનાં રૂશનાનો ગરબો, વાળાની વીનંનતીનો ગરબો, હીનદુ લોકની માતાનો ગરબો, માહાકાલીનો ગરબો, શીતાની કંઠ કાચરીનો ગરબો, વાણીઆના બાર માશનાં વાલાજીનો ગરબો, વગેરે. આ પ્રકારના ગરબાઓમાં નરસિંહ મહેતા વિશેના બે ગરબા ખાસ ધ્યાન ખેંચે તેમ છે. પહેલો, ભગત નરશઈ મેહેતાની હુંડીનો ગરબો. તેની શરૂઆતમાં લખ્યું છે કે આ ગરબો ખંભાતમાં ઘણા લોકો ગાય છે. પણ તેમાંના ‘હિંદુ લોકોના ઘણા બોલ’ સુધારીને સરળ કર્યા છે જેથી ‘શઘલા લોકોને એક શરખી રીતે ગાવાને બની આવે.’ બીજો ગરબો છે ‘નરશાઈ મેહેતાએ પોતાની છોકરી કુવરબાઈને મોશારૂં કીધુ તેનો ગરબો’. તેની સાથેની નોંધમાં લખ્યું છે: “એ ગરબાને વાણીઆં લોકો ઘણો પસંદ કરે છે, તથા હાલમાં આપના લોકો લગંનશરામાં તથા બીજે શરઅવશરે ખુશીથી ગાએ છે અથવા ગવરાવે છે.” અને હા, આ ગરબો પૂરાં ૩૪ પાનાંનો છે! પારસી લોકોનાં મન કેટલાં તો ખુલ્લાં હોય છે તેનો આ એક વધુ પુરાવો છે. તેઓ અંગ્રેજ અમલદારોના ગુણગાન ગાય છે, તો નરસિંહ મહેતા જેવા આપણા મધ્યકાલીન સંતકવિના જીવનના પ્રસંગો પણ હોંશથી માણે છે.

સામાન્ય રીતે ગરબા સાથે શબ્દ, સૂર, અને નર્તન સંકળાયેલાં હોય છે. પણ આ પુસ્તકમાં જે ગરબા સંગ્રહાયા છે તે સમૂહમાં ઘૂમતાં ઘૂમતાં ગાવા માટેના નથી, એ રીતે ગાઈ શકાય એમ પણ નથી. દાખલા તરીકે છાપેલાં ૩૪ પાનાંનો ગરબો ઘૂમતાં ઘૂમતાં કઈ રીતે ગાઈ શકાય? હકીકતમાં આ ગરબા સમૂહમાં બેઠા બેઠા ગાવા માટેના છે. પુસ્તક ‘બનાવનાર’ શોરાબજીની એક ઓળખાણ ‘ગરબા ગવડાવનાર’ તરીકે અપાઈ છે. એટલે કંઈ નહિ તો સાધનસંપન્ન પારસી કુટુંબોમાં વારતહેવારે ગરબા ગવડાવવા માટે વ્યવસાયી વ્યક્તિને બોલાવવાનો ચાલ એ વખતે તો હોવો જોઈએ. સંભવ છે કે અગાઉનાં ત્રણ પુસ્તકો અને આ પુસ્તકની નકલો શોરાબજી ગરબા ગવડાવવા જાય ત્યારે વેચતા હશે, કદાચ યજમાન કુટુંબ થોડી નકલો આગોતરી ખરીદી લેતું હશે. આ પ્રકારના ‘બેઠા ગરબા’ એ સાધારણ રીતે નાગર જ્ઞાતિની વિશિષ્ટતા મનાય છે. નવરાત્રી દરમ્યાન ગુજરાતમાં, મુંબઈમાં, અને બીજે પણ, નાગરાણીઓ બપોરને વખતે આવા ‘બેઠા ગરબા’નું આયોજન આજે પણ કરે છે. પણ આ પુસ્તક જોયા પછી લાગે છે કે એક જમાનામાં પારસી કુટુંબોમાં પણ આવા ‘બેઠા ગરબા’ સારા એવા પ્રચલિત હશે. દેશી રાજ્યોની અને અંગ્રેજ સરકારની નોકરીઓમાં ૧૯મી સદીમાં નાગરો અને પારસીઓ આગળ પડતું સ્થાન ધરાવતા હતા. તેથી એકબીજાથી વધુ પરિચિત થયા હતા. એટલે સંભવ છે કે નાગરો પાસેથી પારસીઓએ આ પ્રથા અપનાવી હોય. તો પારસીઓનું જોઇને નાગરોએ ‘બેઠા ગરબા’ શરૂ કર્યા હોય એમ બનવું પણ અસંભવિત નથી.

પુસ્તકના ૩૦૫મે પાને બીજો ભાગ શરૂ થાય છે જેમાં ‘વેહેવા તથા લગંનમો પાછલી રાતે બેથા બેથા ગાવાનાં શહવે નાના ગીતો’ રજૂ કર્યાં છે. ‘મુખ્ય ધારા’માં પણ લગ્ન ગીતો મોટે ભાગે બેઠા બેઠા જ ગવાય છે – હમચી જેવા પ્રકારોને બાદ કરતાં. પણ તેમાં જુદી જુદી લગ્ન વિધિઓ ચાલતી હોય ત્યારે સાથોસાથ તેને અનુરૂપ ગીતો સ્ત્રીઓ સમૂહમાં ગાતી હોય છે. જ્યારે અહીં જે પારસી લગ્ન ગીતો સંગ્રહાયા છે તે ‘પાછલી રાતે બેથા બેથા ગાવાના’ ગીતો તરીકે ઓળખાવાયાં છે. આવાં કૂલ ૬૧ ગીતો અહીં જોવા મળે છે. આ વિભાગની શરૂઆતમાં જે નોંધ મૂકી છે તેમાં જણાવ્યું છે કે “આએ નીચે છાપેલા સઘલા ગીતો હાલમાં આપની પારશી બાનુંઓ લગંનશરામાં તથા બીજે શરઅવશરે પાછલી તથા આગલી રાતના બેઠા બેઠાના ગીતો ગાએ છે તે એછે.” અલબત્ત, અહીં લગ્ન ઉપરાંત નવજોતની વિધિનું ગીત, આતશનું ગીત, અઘરણી વખતનું ગીત, વગેરે અન્ય પ્રસંગે ગાવાનાં ગીતો પણ સમાવી લીધાં છે. લગ્ન ગીતોમાં લગ્નનું મુરત લઈને આવે તે વખતે ગાવાનું ગીત, હરધના મુરતાનું ગીત, આદનનીનું ગીત, માદવશઅરાનું ગીત, પીઠી ચોળતી વખતે ગાવાનું ગીત, ઉકરડી નોતરવાનું ગીત, વેવાઈ માંડવે આવે તે વખતે ગાવાનું ગીત, મોસાળાનું ગીત, કન્યાદાન વખતનું ગીત, ચોરી તથા હથેવાળા વખતનું ગીત, દીકરીને વળાવતી વખતનું ગીત, વગેરેનો સમાવેશ થાય છે.

શોરાબજીએ અગાઉ જે ત્રણ પુસ્તકો પ્રગટ કર્યાં હતાં તેની કેટલાંક વર્તમાન પત્રોએ ટીકા કરી હશે. દીબાચામાં આ અંગે તેઓ કહે છે: “ઊપલા માહારા ગરબાઓના તરણદે પુશતકોઊપર કેટલાક વરતમાન પતરોએ ટીકા કરીઆ હતા, પણ એવા તેમના ટીકાની દરકાર કરીઆ વગર ગરબાના શોખીનો તરફથી એ પુશતકોનો શારો ખપ થઓ હતો, તેથી આ પુશતક પણ તેવા ટીકા કરનારાઓને વાશતે ખોલું મુકવામાં આવેઊં છે, કારણ કે આ માહારા બનાવેલા પુશતકોની ઊપર ટીકા કરીઆથી ગરબાના શોખીનોમાં ઓછો ખપ થવાના કરતાં ઊલતી વધારે નકલોનો ખપ થાએ છે કે જે વીશેની શાબેતી આએ માહારુ ચોથુ પુશતક કરી આપશે.”

એટલે, ટીકાકારોની ટીકા કરવાનો કે એમની તો ઐસી-તૈસી કહેવાનો   ચાલ આજ-કાલનો નથી, ઓગણીસમી સદીમાં પણ એવો ચાલ હતો. પણ આપણા આજના ટીકાકારો તો સુખિયા જીવો છે. આવાં પુસ્તકો સામે આંખ આડા કાન જ કરી દઈએ પછી તેની ટીકા કરવાની પણ તસ્દી લેવાની જરૂર નહિ! હાથમાંનું કંગન જેને જોવું જ ન હોય તેની સામે આરસી ધરો તો શું, અને ન ધરો તોય શું? પણ પારસીઓના સાહિત્ય સામે આંખ આડા કાન કરવાથી આપણે શું શું ગુમાવ્યું છે તેનો ખ્યાલ આવાં પુસ્તકો જોઈએ ત્યારે આવે છે.

XXX XXX XXX

e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...3,2453,2463,2473,248...3,2603,2703,280...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved