Opinion Magazine
Number of visits: 9766716
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાલકૃષ્ણ દોશીનું સ્થાપત્યકલાદર્શન-એક અવિસ્મરણીય અનુભવ

મેહુલ ત્રિવેદી|Opinion - Opinion|18 February 2018

રવિશંકર રાવળે ચિત્ર, લલિતકલાઓ અને સાહિત્ય દ્વારા ગુજરાતની પ્રજામાં સામાજિક-સાંસ્કૃિતક મૂલ્યોનું ઘડતર-સંવર્ધન થાય તે હેતુથી ‘કુમાર’ માસિક શરૂ કર્યું. સમાંતરે એમની ચિત્રસાધના અવિરત ચાલુ રહી. રવિશંકરભાઈની કલાસાધના અને ‘કુમાર’ના વાચનથી પ્રેરાઈને પછી તો એમની અનુગામી પેઢીના તે સમયના અનેક યુવાનો નટુ પરીખ, એસ્થર ડૅવિડ, ગુલામમહંમદ શેખ અને અન્ય યુવાનો ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય જેવી લલિતકલાઓમાં સતત સાધનારત રહીને રવિશંકર રાવળની આ ઉજ્જ્વળ પરંપરાનું પ્રગતિશીલ અનુસંધાન બન્યાં.

રવિશંકર રાવળની આ પ્રેરક કલાસાધના તેમ જ શિષ્ટ સાહિત્યના પ્રચાર-પ્રસાર અંગેનો સંઘર્ષ ચિરસ્મરણીય રહે એવા ઉમદા હેતુથી ગુજરાતી સાહિત્ય પરિષદે શરૂ કરેલી રવિશંકર રાવળ સ્મૃિત – વ્યાખ્યાનમાળા ખરેખર એક અભિનંદનીય ઘટના છે.

આ જ સ્મૃિત વ્યાખ્યાનમાળાના એક તેજોમય મણકારૂપ વ્યાખ્યાનની અવિસ્મરણીય ઘટના એટલે સુવિખ્યાત સ્થપતિ બાલકૃષ્ણ દોશીએ ૨૬મી જાન્યુઆરીના દિવસે પરિષદના રા.વિ. પાઠક સભાગૃહમાં સાંજે ૬-૦૦ વાગે આપેલું વ્યાખ્યાન, જેનો વિષય હતો ‘Porosity, Paradox, Practice My Journey.’ સ્થપતિ તરીકે એમના જીવનનો પુરુષાર્થ એટલે અમેરિકન ફ્રૅન્ચ સ્થપતિઓ અનુક્રમે લૂઇ કહાન અને લૂઇ કાર્બેઝ પાસેથી મેળવેલા શિક્ષણને વ્યાપક દૃષ્ટિકોણથી નિષ્ઠાપૂર્વક પ્રયોગાન્વિત કરવાની પ્રક્રિયા, આ પ્રક્રિયા દ્વારા દોશીસાહેબ તે સમજ ઉપર પહોંચ્યા કે વિકાસપોષક જીવનશૈલીને અનુકૂળ જે કાંઈ સાધનો-સગવડોની કાયમી ધોરણે જરૂર હોય, જેમાં સામાજિક-સાંસ્કૃિતક પરંપરાઓ સાથેના સંદર્ભો પણ વણાઈ જતા હોય, તદુપરાંત માણસના વ્યક્તિગત જીવનની ખાસિયતો ઉપર પણ લક્ષ કેન્દ્રિત કરવામાં આવ્યું હોય, હવાઉજાસ અને મુક્ત પ્રાકૃતિક વાતાવરણને પણ અવકાશ રહે તે પ્રકારનાં ઘરો, ઉપરાંત શાળા-કૉલેજ, કંપનીઓ તેમ જ સંસ્થાઓનાં મકાનો હોવાં જોઈએ.

આ અંગેનાં સરસ ઉદાહરણો તરીકે એમણે મંચ પર ગોઠવેલા મોટા સ્ક્રીન પર અમદાવાદની પોળોનાં મકાનો દર્શાવ્યાં હતાં. જેમાં પોળોની રચના તરીકે એમાંનાં રસ્તાઓ, ચોકઠાં એમાંનાં વૃક્ષો, આમાંથી જીવંત થતી નગરસંસ્કૃિત અને શહેરની પોળોના આ રચનાત્મક સર્જન પાછળનો ઘણાં વર્ષો જૂના સ્થપતિઓનો અને દોશીસાહેબનો પણ સ્થાપત્યને સુસંગત વિશાળ સામાજિક-સાંસ્કૃિતક દૃષ્ટિકોણ જોઈને-જાણીને સાહિત્યકારો, સાહિત્યરસિકો સાથે મને પણ આશ્ચર્ય અને આનંદની રોમાંચક અનુભૂતિ થઈ. દોશીસાહેબે ત્યાર બાદ નગરજીવનની આ પ્રાચીન સ્થાપત્યપ્રિય સભ્યતામાં ઉપસ્થિત સૌને ફેરવ્યા પછી એમના ર્ક્તૃત્વના સુભગ પરિણામ સ્વરૂપે સ્થાપિત થયેલી અને આધુનિક નગરવિકાસની એંધાણી આપતી અનેક જાણીતાં મકાનોની સ્થાપત્યસૃષ્ટિમાં અમને બધાને સફર કરાવી. આ મકાનોમાં પોતાનું ઘર, પોતાની ઑફિસ, સેપ્ટ યુનિવર્સિટી પાસેની ગુફા, આઈ.આઈ.એમ., પ્રેમાભાઈ હૉલ, આ તમામનાં સ્થાપત્યનો ખ્યાલ આપવા સાથે આ બધા અંગેના પોતાના કાર્યાનુભવો પણ કહ્યા.

તે બધું જોઈ-સાંભળીને જૂનું કે નવું, દેશ કે વિદેશ, અનુક્રમે આ તમામ અંગેના કશા જ પક્ષપાત-પૂર્વગ્રહ વિના, સીમાડાઓનાં બંધન વિનાની એમની ખુલ્લી ઊંડી અને ઉદાર એવી સ્થાપત્યકલાની મને દૃષ્ટિ અને સમાજનિષ્ઠ, લલિતકલા ઉપરાંત સાહિત્યરસથી ભીંજાતા એક કસાયેલા સંઘર્ષશીલ સ્થાપત્યકાર તરીકેના એમના ભવ્ય વ્યક્તિત્વના દર્શન થયા. આ પ્રકારના વ્યક્તિત્વને ચાર ચાંદ લગાડે એવી ઘટના સ્થાપત્યશિક્ષક તરીકેની એમની કારકિર્દીને લગતી હતી શરૂઆતમાં વિદ્યાર્થી ભાઈબહેનોનું કાર્ય જોયા-ચકાસ્યા પછી નાપાસ કરીને નારાજ કરનારા અને તે પછી વર્ગમાં ન જોતા એમની પાસે જઈને એમની નારાજગી જાણનારા – ‘તમને પસંદ એવું મારે કેવી રીતે સ્થાપત્ય શીખવવું તે તમે મને શીખવો’ – એમ કહેનારા આ બાલકૃષ્ણ દોશી વિદ્યાર્થીઓ પાસેથી તે શીખ પામીને સ્થાપત્યના શિક્ષક તરીકે અનુગામી પેઢીને ઘડીને એમનામાં કાબેલિયતનો કસબ કેળવવાની પણ શિક્ષક તરીકે સ્થાપત્યકલા અનુભવ અને મહાવરા દ્વારા સિદ્ધ કરીને વિદ્યાર્થીઓનો ભરપૂર પ્રેમ અને આદર જીતી લીધો.

કાલુપુર, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 18 ફેબ્રુઆરી 2018; પૃ. 13 

Loading

નિરંજન ભગતને જન્મદિને

ઉમાશંકર જોશી|Poetry|17 February 2018

(બર્ટ્રાન્ડ રસેલના જન્મદિવસે)

જ્ઞાન, પ્રેમ, બંધુતા,
એ સિવાય જિંદગી નરી પંગુતા.
અનિદ્ર ચિત્ત, હૃદયમહાર્ણવે વિરાટ
ખળભળાટ,
કર્મની વિદ્યુત-લકીર
એ જ એક આત્મશાંતિ શોધતા પ્રબુદ્ધ ….

અમદાવાદ, ૧૮-૫-૧૯૬૭

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2018; પૃ. 04

Loading

નિરંજન ભગત

વિનોદ ભટ્ટ|Profile|17 February 2018

લગભગ દોઢ-બે વર્ષ અગાઉ, રાતના આઠ-નવના સુમારે તમે ટાઉન હૉલની ‘હૅવમોર’ હોટેલમાં ગયા હોત – અંદર નહિ, બહાર લૉનમાં પથરાયેલી ખુરશીઓ તરફ, તો ત્યાં એક મોટો અવાજ સતત તમારું ધ્યાન ખેંચ્યાં કરત. એ મોટા અવાજ સામે કાનથી જોતાં ઘડીભર તમે વિચારત કે  માણસ કાં તો માઈક ગળી ગયો છે કે પછી બાળપણમાં તેની માતાએ ગ્રાઇપવૉટરને બદલે ભૂલમાં માઇકવૉટર પાઈ દીધું છે. પછી તમે વેઇટરને બોલાવીને કૂતુહલથી ‘આ માણસ હંમેશાં તત્પર હોય છે. શાણા માણસો નિરંજન સાથે દલીલમાં ભાગ્યે જ ઊતરે છે, કેમ કે તેમની સાથે દલીલમાં ઊતરનાર શરૂઆતમાં ભલે તેમની સાથે સંમત ના થાય, પણ છેવટે તો નિરંજન સાથે સંમત થયે જ છૂટકો. દલીલોથી (ને ખાસ તો તેમના પેલા મોટા અવાજથી) થાકી-હારીને ય સંમત થવું જ પડે.’

મારા પ્રોફેસર હોવાનું સદ્‌ભાગ્ય જ થોડાકને સાંપડેલું એમાં ભગતસાહેબનો સમાવેશ પણ થાય છે. ભગતસાહેબ દલીલોથી ભલભલાને થકવી નાખે છે એટલું જ નહિ સામો માણસ કાચોપોચો હોય તો તેને રડાવી પણ નાંખે છે. એલ.એ. શાહ લૉ કૉલેજના આટ્‌ર્સ વિભાગમાં અમે સીનિયર બી.એ.માં ભણીએ. લાઇબ્રેરીમાં હું ને જાની ઊભેલા. ભગતસાહેબ પણ ત્યાં હતા. લાઇબ્રેરિયનને તે લાઈબ્રેરી એટલે શું એ વિષય પર ભાષણ આપતા હતા. મારી બાજુની ખુરશીમાં બેઠેલા એક નવા જ ભરતી થયેલા વિદ્યાર્થી સિન્ધુસાગરે મને ધીમેથી પૂછ્યું : ‘આ માણસ પોતાની જાત વિષે શું માને છે?’

‘ચાલ, એમને જ પૂછી લઈએ.’ મેં કહ્યું એટલે ભરપાઈ ગયેલા અવાજે તે બોલ્યો : ‘એવું તો પુછાતું હશે, એમને?’ હું જરા ગમ્મતના મૂડમાં હતો. ભગતસાહેબ પાસે જઈ મેં કહ્યું : ‘સાહેબ, પેલો સિન્ધુસાગર એમ પૂછે છે કે આ સાહેબ પોતાના વિશે શું માને છે?’

બસ, પત્યું ભગતસાહેબની દયા પર સિંધુસાગરને છોડીને અમે ક્લાસમાં ગયા. ઇકનૉમિક્સના બે પીરિયડ સાથે હતા. તે ભરીને દોઢ કલાક પછી લાઈબ્રેરીમાં આવ્યા. ભગતસાહેબે હજુ ય પેલાને છોડ્યો નહોતો. પેલો અધમૂઓ થઈ ગયો હતો – ભગતસાહેબના ભાષણની ઝીંકથી. તેની આંખમાં આંસુ તગતગી રહ્યાં’તા. ‘ભૂલ થઈ ગઈ… ભૂલ થઈ ગઈ’ એવું વચ્ચે વચ્ચે તે બબડતો’તો.

નિરંજન ધગધગતો લાવારસ છે. સમાજશિક્ષણકારો, પૉલિટિશિયનો તેમ જ સમગ્ર માનવજાત પ્રત્યે તે કાયમ ખિજવાયલા રહે છે. તેમના મત પ્રમાણે એંશી ટકા કરતાં વધારે પ્રજા જૂઠી ને લબાડ છે. સમાજ અસત્યના તળાવમાં ખદબદી રહ્યો છે. લોકો તેમને ‘સિનિક’ કહે છે એ ય તે જાણે છે. જે લોકો પર ગુસ્સો ચડે એમને તે અંગ્રેજી ગાળો ભાંડે છે. સ્કાઉન્ડ્રલ, રાસ્કલ, હીપોક્રીટ, બૅસ્ટાર્ડ, બગર્સ વગેરે તેમની પ્રિય ગાળો છે. કેટલીક વાર તો તેમનું આખું ય વાક્ય આ ગાળોથી જ ભરેલું હોય છે. એમની ગાળો ક્યારેક મને વાજબી લાગે છે (ખાસ કરીને મને ના દેવાતી હોય ત્યારે). પશ્ચિમની પ્રજામાં, ત્યાંના સર્જકોમાં નીતિમત્તાનું ધોરણ આપણા કરતાં ઘણું ઊંચું છે એવું દાંત પીસીને તે એક વાર બોલ્યા એટલે મેં પૂછ્યું : ‘એવું કેમ માનો છો?’

‘વિનોદ, અનુભવ વગર હું કોઈ પણ વાત નથી કરતો … મને એનો પૂરો અનુભવ છે.’ પછી નિરંજને મને આપણા જ એક શ્રેષ્ઠ કોટિના સર્જકનો દાખલો આપ્યો. વાત કહી. વાત કંઈક આવી હતી : નિરંજન ટાઉનહૉલની હૅવમોરમાં બેઠેલા. એમને શોધતા શોધતા પેલા નવલકથાકાર હૅવમોરમાં આવ્યા. ‘ઓહો! તમે અહીં ક્યાંથી ?’ નિરંજને પૂછ્યું.

‘તમને જ મળવા આવ્યો છું. ઘેરથી બાએ કહ્યું કે નિરંજન હૅવમોરમાં છે; એટલે પછી આપણે તો અહીં આવ્યા …’

‘સારું કર્યું … બોલો, કંઈ કામ હતું ?’ નિરંજને પૂછ્યું.

‘હા … કામ તો ખરુસ્તો !’

‘ફરમાવો.’

‘મારું એક નાટક તમારે વાંચવાનું છે.’

‘ભલે, તમારું નાટક વાંચવાનું તો ગમશે.’

‘ચોવીસ કલાકની અંદર અંદર વાંચી નાખીશ. પછી ?’

‘પછી શું ?’ કોઈ  છાપા-બાપામાં એના વિષે તમારે લખવાનું છે. એટલું જ નહિ ભૈ, એની પ્રશંસા કરવાની છે. એક ઉત્તમ નાટક તરીકે એને બિરદાવાનું છે,’  સાંભળીને નિરંજન ડઘાઈ ગયા. પણ તમ્મર ચડી જાય એવો છેલ્લો ફટકો તો હજી બાકી હતોઃ ‘આ નાટક મેં આઈ.એન.ટી.ની હરીફાઈમાં મોકલ્યું છે. એને રૂપિયા પાંચ હજારનું ઇનામ મળે એ માટે તમારે તમારા મિત્ર ભાઈ દામુ ઝવેરીને દબાણ કરવાનું છે.’

નિરંજન લગભગ બેભાન જવા થઈ ગયા. સહેજ કળ વળતાં તેમણે આ લેખકને કહ્યંું : ‘તમારું ચસ્કી તો નથી ગયું ને ?’ નિરંજન આ વાક્ય ના આટલા બોલ્યા હોત તો તેમનું જ ચસ્કી જાત!

ફેવરીટીઝમ, ઘાલમેલ, ચશમપોષી – એ બધાં તરફ નિરંજનને ભારે સૂગ છે. કીર્તિની ભૂખ, પૈસાનો મોહ, ચંદ્રકો, પરિષદની વ્યાસપીઠ, શાલદુશાલા, સાંસ્કૃિતક પ્રવાસ – આ બધી માયાથી તે સદા અળગા રહ્યા છે. આમાંનું કશું જ તેમને સ્પર્શી શક્યું નથી. સારું લખવું એ જેટલું કપરું કામ છે એટલું જ એથી ય વધુ કપરું કામ ઉપર જણાવેલી માયાથી દૂર રહેવાનું છે. આ બધાથી તે કાયમ દૂર ભાગતા રહ્યા છે. નિરંજન સાચા અર્થમાં ભગત છે. દાદાએ વારસામાં આપેલી અટક તેમણે યથાર્થ કરી છે. કદાચ એટલે જ પેલા સર્જકનો બનાવ ભગતને હલબલાવી નાખે એ સ્વાભાવિક છે. એ લોકોને પોતાના જેવા ભગત કરવા માગે છે ને લોકો એવા નથી થતા એટલે એ વધારે દુઃખી થાય છે.

અત્યારે તો એ થોડા ય બહાર નીકળે છે. કોઈ સમજાવી પટાવીને લઈ જાય ત્યારે એ બહાર જાય છે. પણ ઘણાં વર્ષ તેમણે એકાંત સેવ્યું. લખવાનું યે છોડ્યું. ઘણાં વર્ષો સુધી નહીં લખવા છતાં કવિ તરીકે એ ભુલાયા નહીં.

આ કવિ નિરંજન માટે કેટલાંક વર્ષો અગાઉ એક સમારંભ યોજવામાં આવેલો – એમની કવિતાના સંદર્ભમાં. કદાચ ‘છંદોલય’ માટે ય હોય, બરાબર યાદ નથી. હૉલ ખીચોખીચ ભરાઈ ગયેલો. પ્રેક્ષકો સમયસર આવી ગયેલા. વ્યાસપીઠ પર બેસનારા એથી ય થોડા વહેલા આવીને વ્યાસપીઠ પર ગોઠવાઈ ગયેલા. જેને અનુલક્ષીને આ કાર્યક્રમ યોજાયેલો એ નિરંજન થોડા મોડા પડ્યા, એટલે પ્રેક્ષકોએ કાઢેલાં પગરખાં પર તે બેસી ગયા કોઈનું ધ્યાન ન પડે એમ, પ્લૅટફૉર્મ પર બેઠેલા એક મહાનુભાવની નજર નિરંજન પર પડી. કોઈને રીમાન્ડ પર લેવાનો હોય એ રીતે તેમને પ્લૅટફૉર્મ પર તાણી જવાયા. થોડી વાર માઈક પરથી જાહેરાત થઈ : ‘હવે શ્રી નિરંજન ભગત પોતાની કવિતા વિષે કંઈક કહેશે.’

બસ થઈ રહ્યું, કવિનો મિજાજ બગડી ગયો! કવિએ તરત જ કહી દીધું : ‘એટલે એનો અર્થ એ જ કે મારી કવિતા કશું બોલી શકી નથી. તો પછી એ કવિતા વિષે આટલો બધો તાયફો મારવાની જરૂર જ શી હતી?’

નિરંજન સાચુકલો માણસ છે. ખોટું કશું તે સાંખી શકતો નથી. પ્રેમમાં યે નહિ, ઉમાશંકર પ્રત્યે અનન્ય પ્રેમભવ હોવા છતાં એમને ય સુણાવી દેતા આ જણ લાંબો વિચાર નથી કરતો. ઉમાશંકર તેમ જ અન્ય મિત્રો જાણે છે કે નિરંજન સાચો છે એટલે એની વાતનું માઠું યે નથી લગાડતા. રાજકારણમાં પ્રવેશ્યા પછી ઉમાશંકર અસત્યના (એટલે કે અસત્ય આચરનારાઓના) સંપર્કમાં વધુ હોવાથી સત્યને કદાચ તે નિરંજન કરતાં ય વધારે સારી રીતે સમજતા હશે; એટલે ક્યારેક તેમને વારવા કહેતા ય હશે : ‘નિરંજન સત્યનો દેખાડો ના હોય.’

જેટલો ગુસ્સો કરી શકે છે એટલો પ્રેમ પણ કરી શકે છે. નિરંજન સામેના માણસનો ખ્યાલ પણ એટલો જ કરે છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના ‘લ્યુકેિમયા’ની ચિંતા ય કરે છે. અનિરુદ્ધને શ્રમ ના લેવા વિનવે છે, અચ્યુત જેવા મિત્ર માટે મકાન શોધવા ય રખડે છે. ઘણા લાં…બા પ્રવાસે જતા મડિયાને વળાવવા જનાર દોસ્તોમાં તે એક જ હતાને!

નાના બાળકની જેમ વાતવાતમાં તે વંકાઈ જાય છે. નાની અમથી વાતમાં ય દાઝી ઊઠે છે; કેમ કે મન સાથે તે સમાધાન નથી કરી શકતા. બસમાં કોઈ વિદ્યાર્થી ભૂલચૂકે ય એમની ટિકિટ કઢાવવા પ્રયત્ન કરે તો તેને – તે સાથે આખી ય બસના પૅસેન્જરોને – લાંબુ ભાષણ સાંભળવું પડે છે. એક દિવસ કોઈ વિદ્યાર્થીએ ‘કામા’ (હવે ‘બીઝી બી’) હોટેલમાં નાસ્તો કરતા ભગતસાહેબનું બિલ ચૂકવવાની ચેષ્ટા કરી. ભગતસાહેબે ખિજાઈને કાઉન્ટર પર બેઠેલા મૅનેજરને ધમકી આપી : ‘જો એની પાસેથી મારા બિલના પૈસા લેશો તો આ ડિશ તમારા પર છુટ્ટી ફેંકીશ!’

નિરંજનને પચાસ વરસ પૂરાં થવા આવ્યાં છતાં એમનાં બાને નાના બાળકની જેમ એમની કાળજી લેવી પડે છે. બધું યાદ રાખવું પડે છે ને છતાં કશું યાદ અપાવવા જતાં નિરંજન છેડાઈ પડે છે. એક વખત તેમની સાથે મેં નક્કી કરેલું કે રવિવારે સવારે દસથી સાડા દસની વચ્ચે મારે એમને ત્યાં જવું. ત્યાંથી અમારે સાથે હૅવમોર પર જવાનું હતું. નિરંજને બાને કહી રાખેલું કે રવિવારે સવારે લગભગ સવા દસે એમને ત્યાં હું પહોંચી ગયો. ત્યાં મોહનભાઈ પટેલ (વિદ્યાપીઠ ફેઇમ) બેઠેલા. અંગ્રેજી પાંચમાથી કે આઠમાથી એના પર ચર્ચા ચાલતી’તી. ભગત તેમના ઓરિજિનલ લહેજામાં બૂમો પાડતા’તા. રસોડામાંથી બાએ ડોકું બહાર કાઢતાં નિરંજનને વારતાં કહ્યું : ‘તું અહીં બેઠો બેઠો વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરે એમાં કંઈ ના વળે. એ તો વાલીઓ દંડો લઈને શિક્ષણકારોની પાછળ પડે તો જ કંઈ થાય … સાડા દસે તારે વિનોદ સાથે ટાઉનહૉલ જવાનું છે એ યાદ છે ને?’ નિરંજને એ ક્ષણે એક અણગમતો શ્વાસ છોડ્યો. થોડી વારે મોહનભાઈ ગયા પછી નિરંજન બા પર ગુસ્સે થઈ ગયા :

‘આમ કેમ કર્યું, તમે?’… મહેમાનની હાજરીમાં ટાઉનહૉલ જવાનું કેમ યાદ કરાવ્યું? મહેમાનને માઠું ના લાગે?’ બા જેટલા નીચા જવાબ આપે એટલા ઊંચા અવાજે નિરંજન પ્રશ્નો મૂક્યા કરે. ખીજમાં નિરંજન શાક લેવા માટેની થેલી લીધા વગર જ બહાર નીકળવા માંડ્યાં. શાકવાળાઓમાં, પૈસા લીધા વગર શાક નહીં આપવાનો દૃષ્ટ રિવાજ હોય છે એ બા જાણે, એટલે તેમણે રૂપિયા પાંચની નોટ નિરંજનના હાથમાં મૂકી; જે લઈને બાને ‘જાઉં છું’ યે કહ્યા વગર તેમણે મારી સાથે ચાલવા માંડ્યું.

અમે શાકવાળાની દુકાને ગયા. ગુસ્સામાં ને ગુસ્સામાં, કયું શાક લાવવાનું છે એ બાને પૂછવાનું જ તે ભૂલી ગયેલા. ભીંડા પર આંગળી મૂકતાં તેમણે શાકવાળાને કહ્યું : ‘આ ભીંડા આપો’ … પછી હાથ પરવળના ટોપલા પર મૂક્યો; પણ પરવળ નામ (નહીં આવડતું હોય એમ તો ના કહેવાય) મોઢે ચડે નહીં. મેં મદદ કરી (પરણેલા માણસને આવું બધું ઝટ યાદ આવી જતું હોય છે). શાકવાળાને તેમણે કહ્યું : ‘આ બે શાક આપો.’

‘કેટલાં? પેલાએ પૂછ્યું.’

‘ગયે વખતે કેટલાં આપેલા?’

‘યાદ નથી …’

‘હું એકલો જ છું … એકલા માણસને કટલાં જોઈએ?’

‘બસો ગ્રામ ચાલે …’

‘બસ, એટલાં જ આપો.’

તેમનું ‘હું એકલો જ છું’ વાક્ય મને સ્પર્શી ગયું. લગ્નની વાત નીકળી. નિરંજન કહે : ‘કુંવારાઓ અંગ્રજીમાં ‘ગેબૅચલર’ કહેવાય છે.’

‘તમને શું લાગે છે?- કુંવારા રહેવું સારું કે પરણેલો?’

‘આમ તો બંને …’ નિરંજન બોલ્યા : ‘પણ કુંવારા રહેવામાં’ વધારે મઝા છે; જો કે મોટા ભાગનાઓ આ વાત સ્વીકારતા નથી.’

‘સ્વીકારે છે -’ મેં કહ્યું : ‘- પરણી ગયા પછી.’

‘મારા જેવો બેજવાદાર માણસ કુંવારો જ રહે … આવા માણસને શું પરણવું’તું મને માનીને ય મને કુંવારો રાખ્યો હશે.’ કહી તે હસી પડ્યા, મોટેથી – બાળકો હસે છે એવું ખિલ ખિલ …

નિરંજનમાં ‘સેન્સ ઑવ હ્યુમર’ પણ ઊંચા પ્રકારની. તેમનામાં રહેલી રમૂજીવૃત્તિનો લાભ કૉલેજમેળામાં અમને ઘણો મળતો. કોઈ અડફેટે ચડવો જોઈએ. કૉલેજના પહેલા જ વર્ષમાં, પહેલા દિવસે ભગતસાહેબના પીરિયડમાં (નામ જાણવાની ઉત્કંઠથી જ કાં તો) ‘સાહેબ નામ કહો … નામ કહો’ એવી બૂમો પડવા માંડી, ભગતસાહેબ એ બધાની સામે બે મિનિટ જોઈ રહ્યા. એક વિદ્યાર્થી જરા વધારે હિંમતવાળો નીકળ્યો. ઊભા થઈને તેણે પૂછ્યું : ‘સાહેબ, તમારું નામ શું?’

‘તમે પોલીસ છો? ભગતસાહેબે સામે પૂછ્યું.’

જે માણસ પાસેથી નામ કઢાવવું આટલું અઘરું હોય તેની પાસેથી જ્ઞાન કઢાવવું કેટલું અઘરું પડે? (ત્રિરાશી મૂકો જો!) … પણ હું ને વિનોદ જાની ભગતસાહેબની નાડ પારખી ગયેલા.

એક વખત વિનોદ જાનીને રવીન્દ્રનાથ ટાગોર વિષેના એક પરિસંવાદમાં બોલવા જવાનું હતું. બહારનું (અરે અભ્યાસક્રમનું ય) વાંચવાની કુટેવ જાનીએ પહેલેથી જ નહીં પાડેલી, એટલે તેની પાસે ટાગોર વિષે ખાસ સામગ્રી નહીં. તે મૂંઝાતો હતો. અમે બંને લાયબ્રેરીમાં ગયા – ટગોરનાં પુસ્તકો માટે. ત્યાં ભગતસાહેબને બેઠેલા જોયા. ભગતસાહેબ એટલે મોબાઇલ લાઈબ્રેરી. ટાગોર વિષે જાણવા જેવું બધું જ તેમની પાસેથી મળી શકે. પણ પૂછવું કઈ ભાષામાં? એ ભાષા મેં ને જાનીએ સંકેતથી નક્કી કરી નાખી. તેમની પાસે ગયા. સલામ કરી. પછી જાનીએ શરૂ કર્યું : સાહેબ, તમે જ ટાગોરને ચડાવી માર્યા છે. ટાગોર મહાન છે એવું એક તમે કહો છો – કહ્યા કરો છો.’

નિરંજન પહેલાં તો જાની પર ખિજવાઈ ગયા. લાઈબ્રેરી ગજવી મૂકી ને પછી ટાગોર કેટલી મોટી હસ્તી છે એની વાત બે કલાક સુધી કરી. ટાગોરની ઉત્તમ રચનાઓમાં કેટલાક ટુકડાઓ સંભાળ્યા … જાનીનું કામ પાર પડી ગયું.

આજે તો આવા શિક્ષકો ય ક્યાં છે કે જેને રસ્તા પર જોતાં જ હાથ એની મેળે ઊંચકાઈને સલામ બની જાય છે.

આ કવિ નિરંજને પોરબંદરની સાહિત્ય પરિષદમાં ‘કવિતા અને યુગધર્મ’ પરનો નિબંધ વાંચતાં વાંચતાં પ્રેક્ષકોની આંખ ભીંજવી નાખેલી. કવિ ને કવિતાની તાકાતનો પરચો બતાવી દીધેલો.

તેમણે નર્મદ અને રણજિતરામ સુવર્ણચંદ્રકો સ્વીકારીને એ બન્નેનું બહુમાન કર્યું છે એવું હું જ નહિ કદાચ પે લા બેય માનતા હશે! તેમને ‘નિરંજન ભગત સુવર્ણચંદ્રક’ મેળવ્યા જેટલો આનંદ થતો હશે. સ્વર્ગમાં ય એ બંને ધન્યતા અનુભવતા હશે.

(વિનોદની નજરે, ૧૯૭૯) (ડિસેમ્બર, ૧૯૭૬)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2018; પૃ. 05-07 

Loading

...102030...3,2373,2383,2393,240...3,2503,2603,270...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved