Opinion Magazine
Number of visits: 9687446
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રણયપ્રશ્ન

રવીન્દ્રનાથ ઠાકુર, રવીન્દ્રનાથ ઠાકુર|Poetry|13 January 2018

તો પછી, પ્રિયે, શું એ સર્વ સાચું? 

મારા નયન–ઝબકાર તવ હૃદયને પ્રજાળે?
ને મેઘગર્જન બની તારાં દિગંતો ગજાવે?
મધુરા મમ ઓષ્ઠની જરી ઝાંખી, ને
વધૂ–લજ્જા જ્યારે વદનપે લાલી લીંપે,
હેં સખા, એ સર્વ તને નિત્ય ઝાલે?
મારા મંદારવૃક્ષે ચિર–વસંત તેં દીઠી શું?
ને નૂપુર મારાં તું–કાજે વીણાવાદ્યના સૂર છેડે :
કહે, એ સાચું?
કહે, તું નીરખે મને ને નિશા–આંગણ ઝાકળબિંદુ ઠરતાં,
પ્રભાતે ઝબકતાં તેજ એ ચોપાસ દીપ્તિ પસારે
– એ સત્ય છે?
અરે, કહે, જરી સ્પર્શ મારો તવ ચિત્તને મૂર્ચ્છિત કરતો?
અને શું આ વાયુલહર તુજમાં કૅફ ભરતી?
આ જ સાચું ને, પ્રણયસખા મારા?
દિવસના આ અજવાસને મમ જુલ્ફની કાલિમા ઘેરે,
ને આપણ બાહુઓ ચિરંતન સ્નેહપાશ રચતા
– એ સાચું?
તુજ અંતરીક્ષના સીમાડા આ પાલવડે સમાતા,
ને સુણી વાણી મારી સૃષ્ટિ સકલ નીરવ થાતી
– પ્રિય, શું એ ય સાચું?
આ પૃથિવી, દિગ્દિગંતો ને બ્રહ્માંડ આખું :
એ બધો વિસ્તાર મારો, મુજને સમર્પિત :
–
નિત્યપ્રિય મારા, કહે, એ સાચું?
પ્રણય તારો જન્માંતરોથી મારી ખોજ કરતો,
ધરાતલ ખૂંદી વળીને મુજમાં શરણ પામ્યો,
વાણી – નયન – ઓષ્ઠ – કેશલટ :
–
એ સર્વ તવ લોચને સર્વદા સમાયાં :
એ જ સત્ય કે?

અને આ બે નયન પર આલેખાયા
અનંત–પગથારે પથરાયા જે પૂર્ણ મર્મો :
પ્રિયતમ સખા, કહે, એ સકલ સત્ય?

 

[‘પ્રણયપ્રશ્ન’, ‘કલ્પના’ કાવ્યસંગ્રહ. બાંગ્લાદેશના રવીન્દ્રવિદ્દ ફકરુલ આલમના અંગ્રેજી અનુવાદ પરથી આ અનુવાદ. ગુજરાતી અનુવાદ : જયંતભાઈ મેઘાણી]

 

°°°°°°°°°°°

 

Is it all true then?
My ever-fond one,
Is it true
That my lightning-bright glance
Causes your heart to blaze and thunder
Like a colliding cloud?
Is it true
That sight of my sweet lips,
the reddening of my bride-shy cheeks
Spellbinds you, my ever-fond one?
Is it true
That you find the perennial mandar
Blooming in me forever?
That my ringing feet resound for
you like the veena?
Is it all true?
Is it true
That the dew of night sheds at my sight?
That the dawn light makes all around me glow?
Is it true
That your head swoons at my touch?
That the very breeze seems intoxicated?
Is it all true
My ever-fond one?
Is it true
That day is eclipsed by my black tresses?
That my arms have locked yours till death?
Is it true
That the limits of your universe are
my sari’s border?
That the world shushes at the sound of my voice?
Is it true
That I encompass heaven, earth and
the netherworld
That all three are totally devoted to me
Is it all true
My ever-fond one?
Is it true
That your love has been pursuing me for eons?
Whirling all over the globe to home in me?
Is it true that my speech, glance, lips and tresses
Have caught your eyes eternally?
Is it true
That my beautiful brow is writ for you
All the truths of the infinite?
Is it all true
My ever-fond one?

Loading

સર્વોચ્ચ અદાલત IPC સેક્શન ૩૭૭ નામના એક જુનવાણી (દરેક અર્થમાં) કાયદાને કચરાટોપલીમાં નાખશે એવી આશા બંધાઈ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|12 January 2018

સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે એ સમલિંગી સેક્સ વિશે પુર્નવિચાર કરશે.

આના માટે એક વિશાળ બંધારણીય બેન્ચની રચના કરવામાં આવશે અને એ બેન્ચ સમક્ષ સુનાવણી થશે. આનું કારણ એ છે કે આ કેસમાં મૂળભૂત અધિકારના બંધારણીય મુદ્દાઓ જોડાયેલા છે અને એમાં કેન્દ્ર સરકારનો અભિપ્રાય પણ માગવામાં આવશે. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ. એમ. ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડે કહ્યું હતું કે સુરેશકુમાર કૌશલના કેસની તમામ વિગતો લક્ષમાં લેવામાં આવે તો સ્વીકારવું રહ્યું કે સર્વોચ્ચ અદાલતનો ૨૦૧૩નો ચુકાદો પુર્નવિચાર કરવો પડે એવો છે.

મૂળમાં સર્વોચ્ચ અદાલતનો ૨૦૧૩નો ચુકાદો પછાત તો હતો જ, પણ હાથ ઊંચા કરી લેનારો પણ હતો અને એ માટે સર્વોચ્ચ અદાલતની સર્વત્ર ટીકા થઈ હતી. ત્યારે સુરેશકુમાર કૌશલ વિરુદ્ધ નાઝ ફાઉન્ડેશનના ખટલામાં એ સમયના સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ જી.એસ. સિંઘવી અને એસ.જે. મુખોપાધ્યાયે અંગ્રેજોના વારાના ભારતીય દંડ સંહિતાના સેક્શન ૩૭૭ને કાયદેસરનો ગણાવ્યો હતો એટલું જ નહીં, સેક્શન ૩૭૭ને ગેરબંધારણીય ઠરાવનારા દિલ્હીની વડી અદાલતના ચુકાદાને ઉલટાવ્યો પણ હતો. હદ તો એ વાતની હતી કે ન્યાયમૂર્તિઓએ ત્યારે હાથ ઊંચા કરતાં કહ્યું હતું કે જો અંગ્રેજકાલીન કાયદાઓ કાલબાહ્ય લાગતા હોય તો એ સુધારવાની જવાબદારી સંસદની છે. સંસદ ધારે તો એને સુધારી શકે છે અને ધારે તો એને રદ્દ પણ કરી શકે છે. અદાલતનું કામ કાયદાપોથીમાં ઉપલબ્ધ કાયદાઓના પ્રકાશમાં ન્યાય તોળવાનું છે.

સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની દલીલ ખોટી અને ગેરમાર્ગે દોરનારી હતી. બંધારણ સર્વોચ્ચ છે અને બંધારણના પ્રકાશમાં કાયદાઓને મૂલવવાનો સર્વોચ્ચ અદાલતને અધિકાર છે. સર્વોચ્ચ અદાલત બંધારણવિસંગત કાયદાઓને રદ્દ કરી શકે છે. આમાં પણ નાગરિકોના મૂળભૂત અધિકારો એ બંધારણનો પ્રાણ છે અને પ્રાણનું રક્ષણ કરવાની જવાબદારી બંધારણે સર્વોચ્ચ અદાલતને આપી છે. આ જવાબદારી માત્ર આપવામાં નથી આવી, એને સર્વોચ્ચ અદાલતનું મુખ્ય કર્તવ્ય ગણાવવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલત એમ ન કહી શકે કે કાયદાઓને ઘડવાનું, બદલવાનું અને રદ્દ કરવાનું કામ માત્ર સંસદસભ્યોનું છે. સર્વોચ્ચ અદાલતને જ્યારે એમ લાગ્યું છે કે સંસદે ઘડેલા કાયદાઓ બંધારણવિસંગત છે ત્યારે એને સર્વોચ્ચ અદાલતે રદ્દ કર્યા હોય એવી દેશમાં અનેક ઘટનાઓ બની છે.

૨૦૧૩માં સર્વોચ્ચ અદાલતે પછાત ચુકાદો આપ્યો ત્યારે લોકસભાની સામાન્ય ચૂંટણી નજીકમાં હતી. ૨૦૧૪ની સાલમાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી હતી જેણે ભારતીય દંડ સંહિતાના સેક્શન ૩૭૭ને રદ કરવાની બાબતે કોઈ ઉત્સાહ નહોતો બતાવ્યો. એમ થવાનું જ હતું એની ખાતરી હતી, કારણ કે રૂઢિચુસ્ત હિન્દુત્વવાદી સરકાર સમલિંગી સંબંધોને માન્યતા આપે એ શક્ય નહોતું. આ સ્થિતિમાં સર્વોચ્ચ અદાલત એના ચુકાદા વિશે પુર્નવિચાર કરે એ જ એકમાત્ર માર્ગ બચતો હતો. સર્વોચ્ચ અદાલતમાં રિવ્યુ પિટિશન કરવામાં આવી હતી જેને પણ સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી. કાયદા મુજબ રિવ્યુ પિટિશનમાં એ જજ કે જજોને બેસાડવામાં આવે છે જેણે મૂળ ચુકાદો આપ્યો હતો. આમ રિવ્યુ પિટિશન સાંભળનારી બેન્ચમાં બે ન્યાયમૂર્તિઓ એ જ હતા જેમણે મૂળ ચુકાદો આપ્યો હતો એટલે પિટિશન ફગાવી દેવાનો નિર્ણય અપેક્ષિત હતો.

એ પછી પિટિશનરો પાસે હજી એક માર્ગ બચતો હતો જેને અંગ્રેજીમાં ક્યુરેટિવ પિટિશન કહેવામાં આવે છે. પુર્નવિચાર નહીં, ભૂલને સુધારવાને લગતી અપીલ. ક્યુરેટિવ પિટિશનમાં અદાલતે સ્વીકારવું પડે છે કે જે ચુકાદો આપવામાં આવ્યો છે એમાં પહેલી નજરે ખામી દેખાઈ રહી છે. સોમવારે સર્વોચ્ચ અદાલતના ત્રણ ન્યાયમૂર્તિઓએ સ્વીકાર્યું છે કે સર્વાંગીણ રીતે જોતાં સુરેશકુમાર કૌશલના કેસમાં ફેરવિચાર કરવો પડે એમ છે. અદાલતે બે અભિપ્રાય આપ્યા છે. એક તો એ કહ્યું છે કે ભારતના નાગરિકોએ ભય હેઠળ જીવવું પડે એ બરાબર નથી. કાયદાનો ભય હોવો જ જોઈએ, પરંતુ કાયદો જો નાગરિકના મૂળભૂત અધિકારો પર તરાપ મારનારો હોય, તેના અંગત જીવન પર નજર રાખનારો હોય અને એને કારણે નાગરિકોએ ભય હેઠળ જીવવું પડતું હોય તો એ બરાબર નથી. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓએ બીજો અભિપ્રાય એવો આપ્યો છે કે સમાજમાં નૈતિકતાના માપદંડો સમયસાપેક્ષ હોય છે. ઓગણીસમી સદીના નૈતિકતાના માપદંડો એકવીસમી સદીમાં કાળસુસંગત હોય એ જરૂરી નથી.

હવે પછી બંધારણીય બેન્ચ નવેસરથી કેસ સાંભળશે અને ઘણું કરીને સેક્શન ૩૭૭ને રદ્દ કરશે. જો પુખ્ત વયની બે વ્યક્તિ એકબીજાની સંમતિ સાથે એકાંતમાં જાતીય સંબંધ રાખતી હોય તો એમાં કોઈને શા માટે વાંધો હોવો જોઈએ. અહીં ત્રણ શબ્દ મહત્ત્વના છે – પુખ્ત વય, સંમતિ અને એકાંત. બસ, આટલું પૂરતું છે. પુખ્ત નાગરિકો સંમતિ સાથે એકાંતમાં જાતીય સંબંધ બાંધે એમાં દુનિયાને કે રાજ્યને શું લેવાદેવા? એ જાતીય સંબંધનું સ્વરૂપ નક્કી કરનારા તમે કોણ? જ્યારે જાતીય સંબંધ બાંધનાર વ્યક્તિને કોઈ વાંધો નથી ત્યારે ત્રીજા પક્ષકારને દરમ્યાનગીરી કરવાનો અધિકાર ક્યાંથી આવ્યો? નાગરિકના શુદ્ધ અંગત જીવનમાં રાજ્યને પણ પક્ષકાર બનવાનો અધિકાર નથી. આમ બંધારણ કહે છે અને સર્વોચ્ચ અદાલતનું કામ બંધારણનું અર્થઘટન કરવાનું છે, કાયદાપોથીમાંના કાયદાઓની આંખ મીંચીને રખેવાળી કરવાનું નથી.

આજકાલ મુસ્લિમ મહિલાઓને ન્યાય આપવાનું કેટલાક લોકોએ બીડું ઝડપ્યું છે. તેમની અંદર અચાનક કરુણાના ઝરા ફૂટી નીકળ્યા છે. તેમણે બાકીની સ્ત્રીઓના ન્યાય માટે જિંદગીમાં કયારે ય અવાજ ઉઠાવ્યો છે ખરો? પોતાના ઘરમાં મૂંગે મોઢે યાતના વેઠતી સ્ત્રીની પીડા વિશે જો તેઓ ન જાણતા હોય તો હું જણાવું કે એ પીડા શું છે? મુસ્લિમ સમાજમાં ડોકિયાં કરનારાઓને પોતાના ઘરમાં શું ચાલી રહ્યું છે એની જાણ નથી અને જાણ રાખવા જેટલી અનુકંપા પણ નથી. લગ્ન ભોગવટાનો અધિકાર પક્ષપાતી છે એ તમે જાણો છો? પતિ પત્નીની સંમતિ ન હોય તો પણ શારીરિક સંબંધ બાંધી શકે અને એ બળાત્કાર નથી ગણાતો. કારણ? કારણ કે પતિ લગ્ન ભોગવટાનો અધિકાર ધરાવે છે. હદ તો એ વાતની છે કે પત્ની સગીર વયની હોય તો પણ પતિ તેની સાથે શારીરિક સંબંધ બાંધી શકે છે, કારણ કે સાહેબ ભોગવટાનો અધિકાર ધરાવે છે. સમલિંગીઓ તો પુખ્ત વયના છે અને સંમતિ સાથે સંબંધ ધરાવે છે જ્યારે અહીં તો ચાર દીવાલની અંદર રોજેરોજ કરવામાં આવતો બળાત્કાર છે અને એ પણ કેટલાક કિસ્સાઓમાં સગીર વયની બાળા સાથે.

પતિ જો પત્નીની સંમતિ વિના શારીરિક સંબંધ બાંધે અને વારંવાર મનમાની કરે તો એને ગુનો ગણવો જોઈએ એવી માગણી સ્ત્રીઓ કરી રહી છે જેને તમે ટેકો આપ્યો છે? ન આપ્યો હોય તો આજથી આપવાનું શરૂ કરો. મને ખાતરી છે કે તમારામાંથી એક ટકો પુરુષ માંડ નીકળશે જે આ માગણીને ટેકો આપશે. મહાન કુટુંબસંસ્થાને એનાથી નુકસાન પહોંચશે, પરિવારો તૂટશે, બાળકો નોધારાં થઈ જશે એવી દલીલો તરત કરવા લાગશો. મુસ્લિમ સ્ત્રીને ન્યાય મળવો જોઈએ, પણ આપણી સ્ત્રીએ તો મૂંગે મોઢે જીવવું જોઈએ. આખરે પરિવાર અને પ્રતિષ્ઠાનો સવાલ છે. તમે જો આવું બેવડું વલણ ધરાવતા હો તો તમે કરુણાવાન નથી, ઢોંગી કોમવાદી છો. શા માટે દરેક ત્યક્તા સ્ત્રીને ન્યાય આપવામાં ન આવે પછી એ ગમે તે ધર્મની હોય. કાયદેસર છૂટાછેડા આપ્યા વિના જો કોઈ પતિ પોતાની પત્નીને ત્યજી દે તો એ ગુનો બનવો જોઈએ. આવો કાયદો અનુચિત છે? અને જો ઉચિત હોય તો પહેલા ગુનેગાર આપણા વડા પ્રધાન બની શકે એમ છે. આને કહેવાય પસંદગીના ધોરણે દાખવવામાં આવતી ન્યાયનિષ્ઠા.

ખેર, સર્વોચ્ચ અદાલત એક જુનવાણી (દરેક અર્થમાં) કાયદાને કચરાટોપલીમાં નાખશે એવી આશા બંધાઈ છે. આ ઉપરાંત લગ્ન ભોગવટાના અધિકાર(કૉન્જુગલ રાઇટ)ને પણ રુખસદ આપવાની જરૂર છે, જે પણ અંગ્રેજકાલીન છે અને જુનવાણી છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 11 જાન્યુઆરી, 2018

Loading

રાષ્ટ્રગીતનું ફરજિયાતપણું પાછું ખેંચાયું : જજો બીજું બધું ભૂલી જઈને બંધારણ સમજે તો ઘણું

રમેશ ઓઝા|Opinion - Opinion|12 January 2018

સર્વોચ્ચ અદાલતે ઉપર-ઉપર ત્રણ ચુકાદાઓ એવા આપ્યા છે જે સેક્યુલર લોકતંત્રની રખેવાળી કરનારા છે.

આ ત્રણેય ચુકાદા સર્વોચ્ચ અદાલતની એક જ બેન્ચે આપ્યા છે એની નોંધ લેવી રહી. પહેલો ચુકાદો સમલિંગી સંબંધો વિશેનો હતો જેની વાત ગઈ કાલે (11 જાન્યુઆરી 2018) આ કૉલમમાં કરી હતી.

બીજો ચુકાદો મીડિયાના અભિવ્યક્તિસ્વાતંત્ર્ય વિશેનો છે. બિહારના એક સજ્જને બિહારની પ્રાઇવેટ ચૅનલ સામે બદનક્ષીનો કેસ કર્યો હતો અને ચૅનલના સંચાલકોને છેક સર્વોચ્ચ અદાલત સુધી ખેંચી ગયો હતો. સર્વોચ્ચ અદાલતે બદનક્ષીનો કેસ ફગાવી દેતાં કહ્યું હતું કે મીડિયાના અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પર તરાપ ન મારી શકાય. સંબંધિત વ્યક્તિ બદનક્ષી માટે ફોજદારી કેસ કરી શકે છે, પરંતુ પ્રતિબંધો અને અંકુશો સ્વીકાર્ય ન હોઈ શકે. આપણે ત્યાં મીડિયા આજકાલ કેટલાં સ્વતંત્ર છે એ જુદી ચર્ચાનો વિષય છે, પરંતુ એનો અર્થ એ નથી કે એના પર અંકુશો મૂકવામાં આવે. વાડ (શેરડી) સાથે એરંડો પણ પાણી પીએ છે એવી ગુજરાતીમાં કહેવત છે. ખેતરમાં છોડને પાણી પાવામાં જેમ ભેદભાવ કરવામાં નથી આવતો એમ અભિવ્યક્તિનાં બેવડાં ધોરણો ન હોઈ શકે. મીડિયા બિકાઉ હોય તો પણ એના સ્વાતંત્ર્યનો આદર કરવો જોઈએ અને એને એની બાંયધરી આપવી જોઈએ.

ત્રીજો ચુકાદો સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત વગાડવા વિશેનો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત વગાડવું કે ન વગાડવું એ સિનેમા હૉલના માલિકોની મુનસફીનો સવાલ છે. તેઓ જો વગાડવા ન માગતા હોય તો કાયદા દ્વારા બળજબરી ન કરી શકાય. સર્વોચ્ચ અદાલતે આમ છતાં કહ્યું છે કે જો સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે તો બીજે કોઈ પણ સ્થળે રાષ્ટ્રગીત વાગે ત્યારે ઊભા થઈને આદર આપવામાં આવે છે એમ સિનેમા હૉલમાં પણ આદર આપવો એ નાગરિકની ફરજ છે. આમાં વૃદ્ધોને અને દિવ્યાંગોને ઊભા ન થવાની છૂટ આપવામાં આવી છે. રાષ્ટ્રગીત વાગે ત્યારે આદર આપવાના પ્રશ્ન વિશે સર્વોચ્ચ અદાલતે બાર સભ્યોની વિવિધ મંત્રાલયોની એક સમિતિની રચના કરી છે જે છ મહિનામાં એની ભલામણો આપશે.

ઉપરના બે ચુકાદાની જેમ આ ચુકાદો પણ મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડની બેન્ચે આપ્યો હતો. આમાં મુખ્ય ન્યાયમૂર્તિનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. તેઓ જ્યારે મુખ્ય ન્યાયમૂર્તિ નહોતા અને સર્વોચ્ચ અદાલતમાં જજ હતા ત્યારે તેમણે ૨૦૧૬ના નવેમ્બર મહિનામાં સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત ફરજિયાત વગાડવામાં આવે અને જ્યારે રાષ્ટ્રગીત વાગે ત્યારે દરેકે ઊભા થઈને ફરજિયાત આદર આપવો પડશે એવો ચુકાદો આપ્યો હતો. હવે સર્વોચ્ચ અદાલતની ત્રણ ન્યાયમૂર્તિઓની બેન્ચે ચુકાદાને ઉલટાવ્યો છે એમાં તેમની સંમતિ છે અને એનું મહત્ત્વ છે. એ સમયે ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ રાષ્ટ્રગીતના વાદનને ફરજિયાત કરતાં કારણ આપ્યું હતું કે ભારતના નાગરિકોમાં રાષ્ટ્રભાવના વિકસાવવા માટે અને રાષ્ટ્ર માટેની પ્રતિબદ્ધતા વિકસાવવા માટે આ જરૂરી છે.

આની પૃષ્ઠભૂમિ એવી છે કે દીપક મિશ્રા જ્યારે જબલપુરની વડી અદાલતમાં ન્યાયમૂર્તિ હતા ત્યારે શ્યામ નારાયણ ચોક્સે નામના એક માણસે મધ્ય પ્રદેશમાં સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત ફરજિયાત વગાડવામાં આવે એવી માગણી કરતી એક પિટિશન કરી હતી જેને ન્યાયમૂર્તિ મિશ્રાએ માન્ય રાખી હતી. ન્યાયમૂર્તિ મિશ્રા જ્યારે બઢતી પામીને સર્વોચ્ચ અદાલતમાં ગયા ત્યારે મોકો જોઈને ચોક્સેએ આખા દેશમાં સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત ફરજિયાત કરવામાં આવે એવી અપીલ કરી હતી. યોગનુયોગ નહીં પણ આયોજનપૂર્વક ચોક્સેની અપીલ ન્યાયમૂર્તિ મિશ્રાની અદાલતમાં સુનાવણી માટે આવી હતી અને તેને ભાવતો ચુકાદો મળી ગયો હતો. ન્યાયમૂર્તિ મિશ્રાના પ્રતિબદ્ધ રાષ્ટ્રવાદની દલીલ સામે અનેક સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને સર્વોચ્ચ અદાલતે ચુકાદો ઉલટાવવો પડે એવી સ્થિતિ પેદા થઈ હતી.

મુખ્ય મુદ્દો એ હતો કે ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ સર્વોચ્ચ અદાલતના આગળના એક ચુકાદાને કારણ આપ્યા વિના ઉલટાવ્યો હતો અને એ પાછો વિશાળ બેન્ચનો ચુકાદો હતો. સિંગલ ન્યાયમૂર્તિ વિશાળ બેન્ચના ચુકાદાને ન ઉલટાવી શકે. વાત એમ હતી કે ૧૯૮૫માં કેરળની એક સ્કૂલના સંચાલકોએ સ્કૂલમાં રાષ્ટ્રગીત ફરજિયાત વગાડવામાં આવે અને એમાં દરેક વિદ્યાર્થીએ ઊભા થઈને આદર આપવો જોઈએ એવો આદેશ બહાર પાડ્યો હતો. એ આદેશને ત્રણ યહૂદી વિદ્યાર્થિનીઓએ ધર્મસ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારના નામે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. ૧૯૮૬માં ન્યાયમૂર્તિ ઓ. ચિનપ્પા રેડ્ડીના વડપણ હેઠળની ત્રણ જજોની બેન્ચે વિદ્યાર્થિનીઓના વાંધાને માન્ય રાખ્યો હતો અને કહ્યું હતું કે અભિવ્યક્તિસ્વાતંત્ર્ય એ મૂળભૂત સ્વાતંત્ર્ય છે અને એમાં મૂંગા રહેવાનો પણ સમાવેશ થાય છે. મૂંગા રહેવું એ પણ અભિવ્યક્તિ છે. બેન્ચે બીજો અભિપ્રાય એ આપ્યો હતો કે ઊભા રહેવું એ સભ્યતા છે અને એ સભ્યતાના આદેશ ન હોય.

તો પહેલો અને મોટો વાંધો એ હતો કે ન્યાયમૂર્તિ મિશ્રાએ સર્વોચ્ચ અદાલતનો ત્રણ જજોની વિશાળ બેન્ચનો ચુકાદો ઉલટાવ્યો હતો જેનો તેમને અધિકાર નથી. બીજું, રાષ્ટ્ર માટેની પ્રતિબદ્ધતા એટલે શું? કોણ નક્કી કરશે? બંધારણમાં કોઈ જગ્યાએ રાષ્ટ્રવાદ અને એના પરત્વેની પ્રતિબદ્ધતાની કોઈ વ્યાખ્યા છે? વ્યાખ્યા નથી તો એના આચરણ વિશેના ખુલાસા પણ નથી મળવાના. રાષ્ટ્રવાદની વ્યાખ્યા અને આચરણ વિશેના માર્ગદર્શનના અભાવમાં શું દેશપ્રેમના ઠેકેદારોને પ્રતિબદ્ધતાની વ્યાખ્યા કરવાનો અને પ્રતિબદ્ધ ન હોય એને ઠોકવાનો અધિકાર આપવાનો? કહેવાતા દેશપ્રેમી સમાજકંટકો કાયદો હાથમાં ન લે એ માટે શું ભારતમાં પ્રત્યેક સિનેમાઘરમાં પોલીસ મૂકવામાં આવશે? કોઈ માણસ ઉંમર કે આરોગ્યના નામે ઊભો ન રહે તો તે સાચું બોલે છે કે ખોટું એ નક્કી કરવા દરેક સિનેમાઘરમાં એક ડૉક્ટર રાખવામાં આવશે? ન્યાયમૂર્તિ મિશ્રાનો દેશપ્રેમનો એ વાહિયાત ચુકાદો હતો જેને સર્વોચ્ચ અદાલતના બાળચુકાદા તરીકે ઓળખાવવામાં આવ્યો હતો.

ઘણા માણસો જીવનભર ઓળખનું વળગણ લઈને જીવતા હોય છે અને ઓળખનું રાજકારણ કરનારાઓ એનો લાભ લે છે. કોઈને જ્ઞાતિપ્રેમનું વળગણ હોય છે, કોઈને ધર્મનું હોય છે, કોઈને પ્રાંત અને ભાષાનું હોય છે અને કોઈને દેશપ્રેમનું વળગણ હોય છે. એની વાત આવે ત્યારે તેઓ ભાન ભૂલીને ગળગળા થઈ જતા હોય છે. અનુ કપૂર એક જમાનામાં અંતાક્ષરી કે એવા કોઈ કાર્યક્રમનું ઍન્કરિંગ કરતો હતો. એમાં કોઈ પાર્ટિસિપન્ટ દેશભક્તિનું ગીત ગાય તો અનુ કપૂર ગદ્ગદ થઈને રડી પડતો. ધીરે-ધીરે સ્પર્ધકોને સમજાઈ ગયું હતું કે જો વધારે સમય અને વધારે અટેન્શન જોઈતું હોય તો દેશભક્તિ ફાયદાકારક છે. અનુ કપૂરની માફક દેશભક્તિ ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની નબળાઈ છે એ મધ્ય પ્રદેશનો શ્યામ નારાયણ ચોક્સે જાણતો હતો એટલે દીપક મિશ્રાની પાછળ-પાછળ સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ગયો હતો.

જજોનું કામ સભ્યતા અને સંસ્કારનું રક્ષણ કરવાનું નથી, નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાનું છે. જો કોઈ અસભ્ય વર્તન કરશે તો તેવા માણસને દંડવા માટે કાયદાઓ છે. એને માટે સર્વોચ્ચ અદાલતે જહેમત ઉઠાવવાની જરૂર નથી. બીજું, સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત એ અવ્યવહારુ દેશપ્રેમ છે. જ્યારે દેશપ્રેમને સરકારનિષ્ઠા, મોદીનિષ્ઠા, હિન્દુિનષ્ઠા અને સંઘનિષ્ઠામાં કુંઠિત કરવામાં નહોતો આવ્યો અને દેશપ્રેમ મોકળાશ અનુભવતો હતો એ જમાનામાં સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવતું હતું. પૂછી જુઓ તમારાં મમ્મી-પપ્પાને. એની શરૂઆત જવાહરલાલ નેહરુ નામના ‘દેશદ્રોહી’એ કરી હતી. પાછળથી ધ્યાનમાં આવ્યું હતું કે દેશપ્રેમના વિકાસ માટે સિનેમાઘરો યોગ્ય સ્થાન નથી અને ઊલટું રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું અપમાન થાય છે. લોકો ધી એન્ડનું સૂચન આવે એ પહેલાં જ ભાગવા માંડતા હતા. કેન્દ્ર સરકારે (ઘણું કરીને જનતા પાર્ટીની સરકારે) સમજીને એ આદેશ પાછો ખેંચી લીધો હતો જે રીતે નરેન્દ્ર મોદીની સરકારે સર્વોચ્ચ અદાલતને સોગંદનામું કરીને ચુકાદો પાછો ખેંચવા વિનંતી કરી હતી.

રહી વાત ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના દેશપ્રેમની તો આપણી અપેક્ષા તેમની પાસે બંધારણપ્રેમની છે. જજો બીજું બધું ભૂલી જઈને બંધારણ સમજે તો ઘણું.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 12 જાન્યુઆરી, 2018

Loading

...102030...3,2363,2373,2383,239...3,2503,2603,270...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved