Opinion Magazine
Number of visits: 9766871
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઝવેરચંદ મેઘાણી : જેમની પાંચ આખી કૃતિઓનું અંગ્રેજી થયું હોય એવા એકમાત્ર ગુજરાતી લેખક

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|9 March 2018

ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિએ તેમના બે પુત્રોએ કરેલાં અનુવાદ-તર્પણની નોંધ લઈએ

જેમની પાંચ આખી કૃતિઓનું અંગ્રેજી થયું હોય એવા એક માત્ર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણી (1896-1947) છે.

તેમના એક પુત્ર  દિવંગત વિનોદ મેઘાણી ‘માણસાઈના દીવા’ અને  ‘સોરઠ તારાં વહેતાં પાણી’ ઉપરાંત ‘સૌરાષ્ટ્રની રસધાર’ની એકત્રીસ વાર્તાઓને અંગ્રેજીમાં લઈ ગયા છે. વિનોદભાઈના અમેરિકામાં રહેતા સગા નાના ભાઈ અશોક મેઘાણીએ જીવનકથા ‘સંત દેવીદાસ’ અને નવલકથા ‘વેવિશાળ’નો અંગ્રેજી અનુવાદ આપ્યો છે. તે પછી ‘દાદાજીની વાતો’ની તમામ પાંચ અને ‘રંગ છે બારોટ’ની દસમાંથી ચૂંટેલી પાંચ લોકવાર્તાઓનો અશોકભાઈનો અનુવાદ Folk Tales From the Bard’s Mouth પુસ્તક તરીકે પ્રસિદ્ધ થયો છે. તેનું પ્રકાશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજકોટ ખાતે આવેલા શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર અને દિલ્હીના ડી.કે. પ્રિન્ટવર્લ્ડે 2016 માં કર્યું છે. અહીં મેઘાણીભાઈએ જેને ‘નાના દોસ્તો’ માટેની 'રૂપકકથાઓ અથવા પરીકથાઓ’ તરીકે પણ ઓળખાવી છે તે અદ્દભુત રસથી છલકાતી વાર્તાઓ મળે છે. મૌખિક પરંપરાની આ કથાઓ તેમણે જેમની પાસેથી સાંભળી તે કથાકારોની માહિતી ‘લોકસાહિત્યની નવી દુનિયા’ મથાળાવાળા પ્રવેશકમાં આપી છે. આ પ્રવેશક પોતાની રીતે એક લાંબો અભ્યાસલેખ છે એટલે અનુવાદક તેને Treatise તરીકે મૂકે છે. ‘રંગ છે બારોટ’નું આવું જ ટ્રિટાઇઝ બાવીસ પાનાંનું છે. તેમાં લોકવિદ્યાવિદ મેઘાણીએ લોકવાર્તાના સ્વરૂપનું અને ‘મોટિફ’નું (એટલે કે વારંવાર આવતાં વિષયો તેમ જ નુસખાઓનું)  વિશ્લેષણ કર્યું છે. દેશવિદેશની લોકકથાઓની તુલનાત્મક સમીક્ષા કરી છે. અનુવાદકની નોંધમાં પંચોતેર વર્ષના અશોકભાઈ કહે છે કે આ પ્રવેશકો લખવાંનું કામ, સંદર્ભ સામગ્રીની દુર્લભતાના એ જમાનામાં, મેઘાણી માટે વાર્તાઓ એકઠી કરવા કરતાં ય વધુ પડકારરૂપ હશે; જ્યારે તેમણે પોતે ઇન્ટરનેટ પરથી ઘણી સામગ્રી મેળવી છે ! નોંધના ત્રીજા જ ફકરામાં તે નિખાલસતાથી કહે છે કે બાળકો માટેની આ વાર્તાઓમાં ‘હિંસકતા અને અફીણના સેવન તરફનો સહજતાનો ભાવ વાંધાજનક બાબતો ગણાઈ શકે’. કંઠસ્થ સાહિત્યની આ વાર્તાઓ અંગ્રેજીમાં લઈ જવી દેખીતી રીતે અશક્ય લાગે. ‘વાલીયા ગાબુના વાડાની બજર / અછોટિયા વાડનો ગળ / મછુની કાંકરી /અને ઊંડું પાણી’ – આ પંક્તિઓ અંગ્રેજીમાં કેમ મૂકાય ? અને આવા શબ્દપ્રયોગો તો ડગલે ને પગલે આવે છે.

સૌરાષ્ટ્રના લોકસંતોની કથાઓનાં પુસ્તકોમાંથી ‘સંત દેવીદાસ’ના અશોકભાઈએ એ જ નામે કરેલા અનુવાદ(પ્રસાર પ્રકાશન, 2000)નું પેટાશીર્ષક છે The Story of a Saintly Life સમાજકથા ‘વેવિશાળ’ અંગ્રેજી વાચકને The Promised Hand (સાહિત્ય અકાદમી, 2002) નામે મળે છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે આ જ નવલકથાનો ફ્રેન્ચ અનુવાદ Fiancailles ((ફિયાંસાઈ) નામે 2004માં પેરિસથી બહાર પડ્યો છે. અત્યારે એંશી વટાવી ચૂકેલા તેના અનુવાદક મોઇઝ રસીવાલા ઍસ્ટ્રોફિઝિક્સના સંશોધક છે અને અરધી સદીથી પેરિસમાં વસે છે.

‘રસધાર’ની વાર્તાઓના અનુવાદક વિનોદ મેઘાણી (1935-2009) મળતા મળે એવા માણસ હતા. તેમના જીવન અને વ્યક્તિત્વમાં, તેમ જ અનુવાદ અને સંપાદનનાં તેમણે કરેલા વ્યાપક કામમાં ‘વિરલ’ વિશેષણની સાર્થકતા સચવાઈ રહે છે. તેમણે ‘રસધાર’ની વાર્તાઓને ત્રણ પુસ્તકોમાં મૂકી છે : A Noble Heritage, The Shade  Crimson,  A Ruby Shattered  (ભારતીય વિદ્યાભવન, મુંબઈ, 2003). પહેલાંમાં તેર વાર્તાઓ છે. અનુવાદકની નોંધ જણાવે છે કે ‘મૂલ્યનિષ્ઠ સાદગી અને ધીંગું કથાતત્ત્વ’ ધરાવતી આ વાર્તાઓ ‘બધાં વયજૂથના વાચકોને’ રસ પડે તેવી છે. તેમાં ‘જટો હલકારો’ (Jatashankar, the Village Courier) ‘દુશ્મનોની ખાનદાની’ (Magnanimous Foes), ‘તેગે અને દેગે’ (The Intrepid) જેવી વાર્તાઓ છે. બીજા સંગ્રહ ‘ધ્ શેડ ક્રિમ્ઝન’માં ‘થોડીક મોટી ઉંમરના વાચકો’ માટેની વાર્તાઓ છે. જેમ કે, ‘બહારવટિયો’ (An Outlaw), ‘ઓળિપો’ (Redemption), ‘ભીમો ગરણિયો’ (Tall as a Palm Tree), ‘અણનમ માથાં’ (The Indomitable Twelve), ‘કાનિયો ઝાંપડો’ (The Bearer of Burden). આ સંગ્રહમાં ‘ચમારને બોલે’ વાર્તાનો A Word of  Honour નામનો અનુવાદ  છે. તે ભારતીય સાહિત્યની વાર્તાઓના અનુવાદની ‘કથા’ નામની પુસ્તક શ્રેણીના ‘કથા પ્રાઇઝ સ્ટોરિઝ વોલ્યૂમ’ (2000)માં સ્થાન પામ્યો છે. ‘કથા’નું એ વર્ષ માટેનું મૌખિક પરંપરાના વિભાગનું પારિતોષિક મૂળ વાર્તાકારને, અનુવાદ માટેનું પારિતોષિક વિનોદભાઈને અને કથનશૈલી માટેનું પારિતોષિક કથાકાર પૂંજા વાળાને મળ્યું હતું.

બાય ધ વે, અશોકભાઈએ પૂર્વોલ્લેખિત Folk Tales પુસ્તક પૂંજા વાળા અને નિરંજન રાજ્યગુરુને અર્પણ કર્યું છે. વિનોદભાઈના ત્રીજા કથા અનુવાદ સંચય ‘અ રુબિ શૅટર્ડ’માં બૅલડ એટલે કે કથાગીત સ્વરૂપે લખાયેલી છ પ્રેમકથાઓ છે. પુસ્તકનું નામ અંગ્રેજી નામ છે તે વાર્તા એટલે 'રતન ગિયું રોળ’. અન્ય કથાઓ છે : ‘બાળપણની પ્રીત’ (A Maiden Love), ‘ભૂત રુએ ભેંકાર’ (Ghastly Wailed a Ghost), ‘શેત્રુંજીને કાંઠે’ (On the Banks of Shetrunjee), ‘દેહના ચુરા’ (Crushed into the Dust) અને ‘હોથલ’ (એ જ નામ અંગ્રેજીમાં). પહેલા બે ખંડોમાં ‘રસધાર’નો દીર્ઘ પ્રવેશક The Human Touch નામે વાંચવા મળે છે. અનુવાદકની નોંધ Soaked by the Shade of Crimsonમાં વિનોદભાઈ તેમના પિતાને લોકસાહિત્યની રઢ કેવી રીતે લાગી તેની ટૂંકમાં વાત કરે છે. ત્યાર બાદ ‘રસધાર’ના પ્રભાવ વિશે તે લખે છે : ‘… એ વખતની ઊગતી પેઢી પર રસધારનો પ્રભાવ એટલો ઊંડો હતો કે ગાંધીજીએ તેના લેખકને રાષ્ટ્રીય શાયર કહ્યા.’ દરેક વાર્તા સાથેનાં બહુ નોંધપાત્ર રેખાંકનો, તેના સ્થળનો નિર્દેશ કરતો નકશો, કલ્પનાપૂર્ણ રંગીન મુખપૃષ્ઠો તેમ જ ત્રણ સચિત્ર પૂંઠાં, શબ્દનોંધો અને પાદટીપો જેવી સામગ્રી આ અનુવાદને સમૃદ્ધ અને અંગ્રેજી વાચકો માટે વિશેષ વાચનીય બનાવે છે.

વિનોદભાઈએ ‘માણસાઈના દીવા’નો Earthen Lamps નામે કરેલો અનુવાદ ભારતીય વિદ્યાભવને 2004માં બહાર પાડ્યો. દેશ આખામાં કહેવાતા સંતોનો ગંદો ફાલ ફૂટ્યો છે, ત્યારે દુનિયાભરના ગુજરાતીઓએ આપણા છેલ્લા સાચા સંત રવિશંકર મહારાજની આ  કથા બરાબર દિલોદિમાગમાં ઊતારવા જેવી છે. અહીં પણ, ‘રસધાર’ના અનુવાદમાં છે તેવી ભરપૂર પૂરક વાચનસામગ્રી, ધરાળા અને પાટણવાડિયા કોમના લોકોની છબિઓ છે, મહારાજની કર્મભૂમિનો નકશો છે અને સત્તર પાનાંમાં તેમનો જીવનપટ છે. વિનોદભાઈ પૂર્ણતાના આગ્રહી હતા. ‘દીવા’નો તેમણે કરેલો એક અનુવાદ દિલ્હીની સાહિત્ય અકાદમીએ 1978માં બહાર પાડ્યો હતો.  તે 2003થી ચાર વર્ષ કર્ણાટક યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં મૂકાયો હતો. પણ વિનોદભાઈને અનુવાદમાં કચાશો જણાવા લાગી એટલે એમણે એને સુધારી-મઠારીને એની નવી આવૃત્તિ કરી (આવું તેમણે વાન ગોગની જીવનકથાના તેમના અજોડ અનુવાદ ‘સળગતાં સૂરજમુખી’માં પણ કર્યું હતું). નવસંસ્કરણમાં તેમણે લખ્યું છે : ‘મારી ભૂલો સુધારવાની તક મને વિધાતાએ આપી એ વિચારથી હું ભાવવિભોર પણ થાઉં છું.’ વિનોદભાઈએ ‘સોરઠ તારાં વહેતાં પાણી’ માટે  નામ આપ્યું છે Echoes From the Geers. આ મહત્ત્વની નવલકથાના, ચિત્રો અને નોંધો સાથે કરેલા દળદાર અનુવાદનું પ્રકાશન તેમણે જાતે કર્યું છે. આ હકીકત સખેદ નોંધવા જેવી છે. ખરેખર તો મેઘાણીભાઈઓનાં, ગુણવત્તાથી ઓપતાં આ આખા ય અજોડ અનુવાદકાર્યની કદર કરવાનું તો શું, પણ સરખી નોંધ લેવાનું ય આપણું સાહિત્યજગત ચૂકી ગયું છે.

+++++++

08 માર્ચ 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિકી કટાર, “નવગુજરાત સમય”, 09 માર્ચ 2018

Loading

મિસ યુ, ગોલ્ડા માયર

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|7 March 2018

કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે 1969માં આજની તારીખે વડાંપ્રધાન તરીકે ચૂંટાયેલાં ગોલ્ડા માયરને યાદ કરી લઈએ



ગોલ્ડા માયર, ઇઝરાયેલનાં પ્રથમ અને એકમાત્ર મહિલા વડાંપ્રધાન અને વડાપ્રધાન પદ સુધી પહોંચનાર વિશ્વની ત્રીજી મહિલા. વિશ્વ ઇતિહાસમાં ગોલ્ડા માયરનું નામ એક સન્માનનીય નેતા તરીકે સોનેરી અક્ષરે અંકિત થયેલું છે. આવતી કાલે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઊજવાશે. યુવતીઓ-મહિલાઓ માટે પ્રેરણાદાયક અને રોલમૉડલ સમી મહિલાઓને યાદ કરવામાં આવશે, જેમાં ગોલ્ડા માયરનું નામ પણ ચોક્કસ લેવાશે. જો કે, આજે તેમને યાદ કરવાનું નિમિત્ત મહિલા દિવસ ઉપરાંત તેમના જીવનનો મહત્ત્વપૂર્ણ પ્રસંગ પણ છે.

ઈ.સ. 1969માં 7મી માર્ચના રોજ લેબર પાર્ટીની સેન્ટ્રલ કમિટીના 70 સભ્યોએ એક સૂરે ગોલ્ડા માયરને નવા વડાંપ્રધાન તરીકે ચૂંટ્યાં હતાં. ઇઝરાયેલના ત્રીજા વડાપ્રધાન લેવી એસ્કોલના નિધન બાદ સ્થિતિ એવી હતી કે સામાન્ય ચૂંટણીને માત્ર આઠ જ મહિનાની વાર હતી. શાસક પક્ષ માટે વડાપ્રધાન પદ કોને સોંપવું, એ નિર્ણય ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો. વડાપ્રધાન પદના દાવેદારો એકથી વધારે હતા, પરંતુ પક્ષને સત્તાનું સુકાન 71 વર્ષનાં ગોલ્ડા માયરને સોંપવું જ મુનાસિબ લાગ્યું હતું. ગોલ્ડા માયરે 17મી માર્ચ, 1969ના રોજ વિધિવત્ રીતે ઇઝરાયેલનું વડાંપ્રધાન પદ સંભાળ્યું હતું.

વડાપ્રધાન બન્યાં પહેલાં ગોલ્ડા માયર અગાઉની સરકારોમાં શ્રમ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને આંતરિક બાબતોનું મંત્રાલય સંભાળી ચૂક્યાં હતાં, એ તો ખરું જ, પરંતુ ઇઝરાયેલની સ્થાપનામાં તેમની કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી, એ જાણવા જેવું છે. ઇઝરાયેલની આઝાદીનું જે જાહેરનામું બહાર પડ્યું, તેમાં કુલ 24 લોકોના હસ્તાક્ષર હતા, જેમાં માત્ર બે મહિલા હતી, એમાંનાં એક હતાં ગોલ્ડા માયર. આમ, તેઓ ઇઝરાયેલના અસ્તિત્વ કરતાં પહેલાં પણ એક નેતા તરીકે સ્થાપિત થઈ ચૂક્યાં હતાં.

યુક્રેનમાં (તે વખતે રશિયાના તાબા હેઠળનો પ્રદેશ) 3 મે, 1898ના રોજ જન્મેલાં અને અમેરિકામાં ઉછરેલાં-ભણેલાં ગોલ્ડા માયર 20 વર્ષની વયથી જ જાહેરજીવનમાં સક્રિય બની ગયાં હતાં. કરિયાણાની દુકાન ધરાવતા પિતાની દીકરી તરીકે દુકાન સંભાળનારાં ગોલ્ડા માયરે પોતાના દેશને એટલી સારી રીતે સંભાળેલો કે આજે પણ તેમનું નેતૃત્વ જાહેરજીવનમાં આવનારી દુનિયાભરની મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. દૃઢ મનોબળ ધરાવતાં તથા એક ઘા ને બે કટકામાં માનનારાં આ સ્પષ્ટવક્તા નેતા ઇઝરાયેલનાં ‘આયર્ન લેડી’ તરીકે પણ જાણીતાં છે. ગોલ્ડા માયર પરના લોકોના અતૂટ વિશ્વાસને કારણે તેમના નેતૃત્વમાં તેમનો પક્ષ એક નહિ, બે બે સામાન્ય ચૂંટણીઓ જીતી શક્યો હતો.


ગોલ્ડા માયરના કાર્યકાળ દરમિયાન જ મ્યુિનક ઓલિમ્પિકના હત્યાકાંડમાં ઇઝરાયેલના 11 ખેલાડીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ગોલ્ડા માયરે મોસાદના માધ્યમથી ખેલાડીઓના એકેએક હત્યારાને આખી દુનિયામાં શોધી શોધીને પતાવી દીધા હતા. મ્યુિનક હત્યાકાંડનો બદલો ગોલ્ડા માયરે જે સાહસ અને સપાટાભેર લીધો હતો, તેને કારણે પણ તેઓ દુનિયામાં ચર્ચામાં રહ્યાં હતાં. ઇઝરાયેલના અસ્તિત્વ સામે ખતરો પેદા કરનારાઓને ગોલ્ડાએ છોડ્યા નહોતા.

જો કે, તેમણે ઇઝરાયેલની ફરતે આવેલા આરબ દેશો સાથે સંબંધો સુધારવા અને શાંતિ સ્થાપના માટે પ્રશંસનીય પ્રયાસો કર્યા હતા. ગોલ્ડાનું એક ખૂબ જાણીતું મરમી વાક્ય છે, ‘શાંતિ ત્યારે સ્થપાશે જ્યારે આરબ લોકો ઇઝરાયેલને નફરત કરવા કરતાં પોતાનાં સંતાનોને વધારે પ્રેમ કરશે.’


આજે આતંકવાદની સમસ્યા વિશ્વભરને સતાવી રહી છે ત્યારે બોલબચ્ચન નેતાઓ તો ઘણા છે, પરંતુ ગોલ્ડા માયર જેવા ખરા અર્થમાં પોલાદી નેતાઓની ખોટ સાલી રહી છે.

મિસ યુ, ગોલ્ડા માયર!

સૌજન્ય : ‘કળશ’પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 07 માર્ચ 2018

Loading

ગાંધીજી અને શસ્ત્રોનો આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર

આશા બૂચ|Opinion - Opinion|7 March 2018

Defence and Security International Exhibition – Excel Centre London ખાતે યોજાઈ રહ્યું છે. તેના થોડા સમય અગાઉ આ પ્રદર્શનથી માત્ર બે માઈલની દૂરી પર આવેલ કિંગ્સલી હોલ (કે જ્યાં ગાંધીજી ગોળમેજી પરિષદ દરમ્યાન રહેલા) ખાતે ગાંધી ફાઉન્ડેશનની સામાન્ય બેઠક થયેલી. તે બેઠકની પૂર્ણાહુતિ બાદ ગાંધી ફાઉન્ડેશનના ખજાનચી Mr. Graham Davey નામના મહાનુભાવે એક વક્તવ્ય આપેલું તેની ઝાંખી અહીં પ્રસ્તુત છે. કિંગ્સલી હોલથી તદ્દન નજદીક આટલા વિશાળ પાયા પર શસ્ત્રો અને તેના વ્યાપારનું પ્રદર્શન ભરવામાં આવવાનું હોવાથી તેમણે બ્રિટન મોટાં શસ્ત્રોની નિકાસ કરે છે, તે વિષે માહિતી આપીને સરકારના સંરક્ષણ ખાતા માટે શસ્ત્રો અને તેને લગતા સરંજામ બનાવવાના ઉદ્યોગના વિકલ્પ વિષે વાત કરી. તેમાંથી કેટલીક માહિતી જાણવી રસપ્રદ થશે.

Campaign Against Arms Trade (CAAT) છેલ્લાં ચાળીસેક વર્ષથી શસ્ત્રોના વ્યાપારની વિરુદ્ધમાં ચળવળ ચલાવી રહ્યા છે. તેમની મુખ્ય દલીલો નીચે મુજબની છે:

1 ઘણું ખરું વિકાસ પામતા દેશો આ શસ્ત્રો ખરીદે છે. પોતાના દેશની મોટા ભાગની પ્રજા મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રહેતી હોય, ત્યારે તેમની શસ્ત્રો ખરીદવાની નીતિ એ પોતાની પાસેના સંસાધનોનો નર્યો દુરુપયોગ છે તેમ સહુ સ્વીકારી શકે. આમ થવા પાછળ કઇંક અંશે બ્રિટિશ સરકારની લશ્કરી સાધનોનો ઝગમગાટ બતાવવાની રીત અને શસ્ત્રો બનાવતી કંપનીઓની આક્રમક વેપારી વૃત્તિને જવાબદાર ઠેરવી શકાય. આ હકીકત જાણ્યા પછી વિમાસણ થાય; પોતાના દેશના નાગરિકોને આજીવિકા આપવાની કેવી વિધ્વંસક રીત!

2 જ્યારે દમનકારી શાસન તંત્રને શસ્ત્રો વેચવામાં આવે છે, ત્યારે એ વ્યાપારથી એવા શાસનકર્તાઓને માનવ અધિકારોનું ખંડન કરવામાં સહાય મળતી હોય છે. 2015-16ના એક અહેવાલ મુજબ 28 દેશો માટે માનવ અધિકારોની રક્ષા બાબતે સંદેહ ધરાવવામાં આવેલો. તેમાંના 18 જેટલા દેશોમાં શસ્ત્રોની નિકાસ કરવામાં આવી હતી, જેમાં ઇઝરાયેલ, લિબિયા, સાઉદી અરેબિયા અને ઈરાકનો સમાવેશ થાય છે. તમામ પ્રકારનાં શસ્ત્રો અને યુદ્ધ સામગ્રીઓ વેચવાથી એ દમનકારી સરકારોને તેમની હિંસક નીતિને આંતરરાષ્ટ્રીય અનુમતિ મળતી હોય છે. આ હકીકત જાણતા હોવા છતાં આપણે કહીએ છીએ કે બીજા દેશોએ લડાઈ અટકાવવી જોઈએ (તેને શસ્ત્રો વેંચનાર આપણો જ દેશ છે છતાં) અને એ ભયંકર સંહારથી બચી જવા પામેલ શરણાર્થીઓને આ દેશમાં પ્રવેશવા પરવાનગી નથી આપવી કેમ કે તેનાથી આપણી જીવન પ્રણાલીનાં સ્તરને ઠેસ પહોંચે! આ છે આપણી માનવતા!

3 જ્યાં કોમી કે ધાર્મિક તણાવ હોય ત્યાં શસ્ત્ર સરંજામ ઉપલબ્ધ હોય તો લડાઈ ફાટી નીકળવાની શક્યતા વધુ રહે, સંહાર અને યાતના અકલ્પ્ય પ્રમાણમાં વધે. 80% કે તેથી વધુ પ્રમાણમાં જાનહાનિ પ્રજાની થાય છે. કરુણતા તો જુઓ, સાઉદી અરેબિયાને હાલમાં સહુથી વધુ શસ્ત્રો વેચવામાં આવે છે અને તે પણ ‘The Dove’ અને ‘Peace’ શીર્ષકના પ્રોગ્રામ હેઠળ! સાઉદી અરેબિયા યમનના તેમની પરિભાષા અનુસાર ‘વિપ્લવ’ કરનાર Houthi પર આક્રમણ કરે ત્યારે સાઉદી અરેબિયાને વખોડીએ છીએ, પરંતુ બૉમ્બ અને મિસાઇલથી ભરેલા ટોર્નેડો અને ટાઈફૂન એરક્રાફ્ટ કયા કયા દેશ પૂરા પાડે છે? યુ.એન.નો અંદાજ છે કે યમનના આ સશસ્ત્ર સંગ્રામમાં આશરે દસ હજાર લોકોએ જાન ગુમાવ્યા અને ત્રણ મિલિયન વિસ્થાપિત થયા. શું બ્રિટિશ સરકાર એ નિરાશ્રિતોને આશ્રય આપશે? અર્ધા લાખ જેટલા લોકો કોલેરાના ભોગ બન્યાનો અંદાજ છે અને બે હજારથી વધુ દરદીઓએ એ રોગથી જાન ગુમાવ્યા. યમનમાં લડાઈ 2015માં શરૂ થઈ, ત્યારથી કરીને આજ સુધીમાં £3.3 બિલિયનનાં શસ્ત્રો સાઉદી અરેબિયાને વેંચ્યા તેનું ન્યાયીપણું પડકારવા CAATએ યુનાઇટેડ કિંગ્ડમની સરકાર પર હાઇકોર્ટમાં દાવો માંડ્યો છે. કોર્ટે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો, જેની નવાઈ ન લાગવી જોઈએ, પણ  CAAT હજુ અપીલ કરશે.

4 હજુ આ પૂરતું ન હોય તેમ શસ્ત્રોના વ્યાપારમાં લાંચ-રુશ્વત પારાવાર અપાય છે. આપણે જાણીએ છીએ કે BAE એ બ્રિટનની સહુથી મોટી અને દુનિયાની સહુથી વિશાળ કંપનીઓમાંની એક એવી ડિફેન્સ પેઢી છે. તેના પર એવો દાવો છે કે તેણે બ્રિટનના રાજકારણીઓ અને ઓફિસરોને સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોને શસ્ત્રો વેંચવા સગવડ કરી આપવા તગડી લાંચ આપી છે. આમ પ્રજાને મન તો શસ્ત્રો બનાવતાં કારખાનાંઓમાં કામ કરતા કારીગરો, એ મહાકાય પેઢીના વાણોતરોથી માંડીને ઉચ્ચતમ અધિકારીઓ, સરકારી અમલદારો, પ્રધાનો સહુ સરખે ભાગે જવાબદાર (અને સાબિત થાય તો માનવ હત્યાના ગુનેગાર પણ) ઠરે.

CAAT દ્વારા થયેલ આટઆટલી દલીલો છતાં સરકાર શસ્ત્રોની નિકાસ માટે મારગમાં આવતા તમામ સંકુલોને ટેકો આપે છે. જ્યાં વાડ ચીભડાં ગળે ત્યાં કોને ફરિયાદ કરવી? સરકારના આંતરરાષ્ટ્રીય વેપાર વિભાગમાં સંરક્ષણ અને સલામતી સંકુલમાં 180 કર્મચારીઓ શસ્ત્રોનો વેપાર વધારવા માટે કામ કરે છે, જ્યારે બીજા બધા વિભાગો મળીને માત્ર 142 કર્મચારીઓ કામ કરે છે. રોયલ વિક્ટોરિયા ડોક પાસે આવેલ એક્સેલ સેન્ટરમાં દર એકાંતરે વર્ષે યુદ્ધ સરંજામનું પ્રદર્શન કરવાની જવાબદારી સંરક્ષણ અને સલામતી સંકુલની છે. આ વર્ષે લગભગ 1500 શસ્ત્રો બનાવતી પેઢીઓ પોતાની બનાવટોનું પ્રદર્શન દુનિયા આખીમાંથી આવેલ પ્રતિનિધિઓ પાસે કરશે. આ શસ્ત્રો બનાવતી પેઢીઓને સરકારના સંરક્ષણ ખાતાની સહાય મળે અને લાખોની સંખ્યાની સામાન્ય પ્રજા મોતના વેપારની વિરુદ્ધમાં હોવા છતાં મૌન રહી પોતાની નજર તળે ચાલતા દેખાડા અને વેપાર જોયા કરે. શસ્ત્રો બનાવવાં, વેંચવાં અને વાપરવાં એ જો હિંમતવાળાનું કામ ગણાતું હોય તો હિંસામાં ન માનતા હોવા છતાં તેને મૂંગે મોઢે જોયા કરવું તે જરૂર કાયરતાની નિશાની ગણાવી શકાય. CAAT દાયકાઓથી શસ્ત્રોના વ્યાપારનો સખત વિરોધ કરે છે, જેનું પરિણામ સૂન્ય આવ્યું, તો હવે તે માટેની રીત બદલીને વધુ અસરકારક પદ્ધતિ ખોલાવી રહી જેથી આ પાતકી ઉદ્યોગ અને વ્યાપાર અટકે.

સરકારની શસ્ત્રો વેંચવા પાછળની ઉત્સુકતાનો હજુ એક વધુ નમૂનો જોઈએ. વિદેશોમાં બ્રિટિશ એલચી કચેરીઓમાં લશ્કરના એક અમલદાર પણ આ જ સેવા ખાતર નીમવામાં આવે છે એટલું જ નહીં, વિદેશ પ્રવાસે જતા મંત્રીઓને શસ્ત્રોના વેપારને ઉત્તેજન આપવા માટે ખાસ પ્રોત્સાહિત કરવામાં આવે છે. લશ્કરી અમલદારોનો ઉપયોગ તો ગ્રાહકો સમક્ષ શસ્ત્ર સામગ્રી પ્રદર્શિત કરવામાં આવે જ છે, પણ જરૂર જણાય તો રાજ પરિવારના સભ્યોને પણ તેમાં શામેલ કરવામાં પાછું વળીને જોતા નથી. કેવી પ્રજાવત્સલ સરકાર!

આ રીતે કરવેરા ભરનાર પ્રજાની મૂડીમાંથી થોડો ઘણો ભાગ શસ્ત્રો બનાવવામાં અને વેંચવામાં તો વપરાય જ છે, વધારામાં શસ્ત્રોને કેમ વધુ સંહારક બનાવવાં એ અંગેના સંશોધન કાર્યમાં પણ પ્રજાના કરવેરામાંથી થયેલ આવક તેમની મંજૂરી વિના વપરાય છે. બ્રિટનના કરદાતાઓમાંથી કેટલા ટકા લોકો આ ખર્ચ સાથે સહમત હશે તે જાણવા મળે તો ખ્યાલ આવે. અને જો એ બધા પોતાના કરમાંથી શસ્ત્રો બનાવવા પાછળ લેવાતી રકમ આપવાની ‘ના’ પાડે તો સરકાર શું કરી શકવાની? તેને માટે ડેવિડ હેન્રી થોરો જેવું મનોબળ અને જાન ફના કરવાની ખુમારી જોઈએ.

કોઈ પણ સત્તાધારી અમલદાર એમ કંઈ સસ્તામાં પોતાની ટીકા સંભાળી ન લે. બ્રિટિશ સરકારનો બચાવ પક્ષ કહે છે, શસ્ત્રોની નિકાસ કરવાથી આ દેશના લશ્કરને શસ્ત્રો અને અન્ય યુદ્ધ સામગ્રીનો પુરવઠો સતત મળતો રહે તેવી જોગવાઈ થઈ શકે છે. દેશની આર્થિક પ્રગતિમાં પણ શસ્ત્રોની નિકાસનો ફાળો છે, એવો ગૌરવપૂર્વક દાવો કરાય છે. BAEની શાખાઓ 40 દેશોમાં છે અને ઘણી વિદેશી કંપનીઓ આ દેશમાં વિવિધ પૂર્જાઓ બનાવીને સંરક્ષણ ખાતાને માલ પૂરો પાડે છે, તો આવો ફાયદેમંદ વ્યાપાર કોણ હાથથી જતો કરે? વિદેશ મંત્રાલય તો એટલી હદે દલીલ કરે છે કે જે દેશોમાં શસ્ત્રોની નિકાસ થાય છે તે દેશોમાં બ્રિટનનો પ્રભાવ પડે છે; જો કે સાઉદી અરેબિયાના કિસ્સામાં આ સાબિત કરવું મુશ્કેલ છે. જ્યારે જ્યારે કોઈ રાજકારણીને સાણસામાં પકડવામાં આવે, ત્યારે તેઓ ડ્રગ્સ વેચનારાઓ પેઠે દલીલ કરીને કહે છે, જો આપણે નહીં વેંચીએ તો બીજા દેશો વેંચશે.

સરકાર દેખાવ તો એવો કરે છે કે માનવ અધિકારનો ભંગ ન થાય અને જ્યાં સંઘર્ષ થવાની વકી હોય તેવા જૂથ કે સરકારને શસ્ત્રો ન વેંચાય તેવી જોગવાઈ અસ્તિત્વમાં છે, પણ વાસ્તવિકતા એ છે કે સરકારની નીતિ એવી છે કે ગમે તે પ્રકારે વેપાર થતો હોય તો કરવો, સિવાય કે એમ કરવાથી કોઈ રાજનૈતિક કારણોસર નીચાજોણું થવા સંભવ હોય. તાજેતરમાં શસ્ત્રોના નિકાસ માટે 9,760 પરવાનાઓ અપાયા અને માત્ર 220ને મંજૂરી ન મળી. ભારત અને પાકિસ્તાને શસ્ત્રોના વ્યાપાર માટે 900 અરજીઓ કરી જેમાંની એક પણ નામંજૂર કરવામાં ન આવી. એ બે દેશો વચ્ચે ચાલતા અખંડ દીવા જેવા સંઘર્ષોથી શું બ્રિટિશરો અજાણ હોઈ શકે? એક વખત શસ્ત્રો વેંચી દેવામાં આવે પછી બ્રિટિશ સરકારની જવબદારી નથી એ કેમ વપરાય છે તે જોવાની. આ તો, તમને ઘાસ આપું, કેરોસીન આપું, દીવાસળી આપું; પછી કોનું ઘર સળગાવો તે તમે જાણો એવો ઘાટ થયો.

Democracy is for the People, by the People and to the People એવું એ શાસન પ્રણાલીના શ્રીગણેશ થયા ત્યારે પ્રજાને કહેવા આવેલું. આજે અહેસાસ થાય છે કે લોક્શાહીની ચોટલી કોર્પોરેટ જગતના મોટા મોટા ઉદ્યોગપતિઓ અને મલ્ટી નેશનલ વ્યાપારીઓના હાથમાં છે. બ્રિટન એમાંથી શા માટે બાકાત રહે? શસ્ત્રોના વ્યાપારને આટલો બધો ટેકો આપવા પાછળ એક બીજું કારણ છે; BAE સિસ્ટમની ડાઉનીંગ સ્ટ્રીટમાં અને હાઉસીસ ઓફ પાર્લામેન્ટમાં ધારાભ્યોને શસ્ત્રોના વ્યાપારની તરફેણમાં કામ કરતા કરવા માટેની સતત પેરવી. એ ઉદ્યોગના પ્રતિનિધિઓ વ્હાઇટ હોલ અને પાર્લામેન્ટની મિટીંગોમાં અવારનવાર હાજરી આપતા હોય છે.

સરકાર તરફથી શસ્ત્રોના નિકાસની તરફેણમાં એક છેલ્લી દલીલ કરવામાં આવે છે તે એ છે કે જો એના પર નિયંત્રણ મુકવામાં આવે તો રોજગારીની તકો ઓછી થઈ જાય! મારો રોટલો બીજા દેશની નિર્દોષ પ્રજાના મૃતદેહોની ચેહ પર પકવવા જેવી વાત છે. વાલિયા લૂંટારાને નારદે તેના પાપમાં તેના મા-બાપ, પત્ની કે બાળકો ભાગીદાર થશે કે કેમ એમ પૂછવા મોકલેલો. બ્રિટિશ સરકારના અધિક્ષકો, શસ્ત્રો બનવાતી કંપનીના માલિકો અને કર્મચારીઓએ ઘેર જઈને પોતાના પરિવારજનોને આ સવાલ પૂછ્યો હશે? શું આજીવિકા રળવાનો બીજો કોઈ વિકલ્પ નથી?

રોજગારીની તકો ગુમાવવાની શક્યતા ઊભી થાય તેવા ઉદ્યોગો બંધ કરવાનું કોઈ મુનાસીબ ન જ માને, પછી ચાહે તે ઉદ્યોગ શસ્ત્રો અને તેને લગતા સરંજામ બનાવવાનો કેમ ન હોય. ઈ.સ. 1976ની આ વાત છે. બ્રિટન સ્થિત લ્યુકસ નામની કંપનીમાં 18,000 કારીગરોને 17 ફેકટરીઓમાં કામ મળેલું. હવે એ કંપનીનું 70% ઉત્પાદન લશ્કરી વિભાગ માટે હતું. થયું એવું કે તેમાંના 20% કારીગરોને રોજગારીની તક ગુમાવવાનો ભય સતાવતો હતો. સરકાર એ કંપનીનું રાષ્ટ્રીયકરણ કરીને તેને દેવાળું કાઢતા બચાવી શકે તેમ નહોતી તેથી તેના કારીગરોને પોતાની કુશળતાઓ અને પોતાની પાસેના સાધનોની નોંધ કરી તેને સમાજોપયોગી વસ્તુઓના ઉત્પાદનમાં કેવી રીતે રોકી શકાય તેની મોજણી કરવા સૂચવ્યું. લશ્કરી સાધનો ઓછાં બનાવવાનું પરિણામ બેરોજગારીમાં જ આવે તે જરૂરી નથી, એ સાબિત કરવાનો તેનો હેતુ હોઈ શકે. એ કારીગરો પાસેથી તેઓ બીજી કઈ કઈ વસ્તુઓનું ઉત્પાદન કરી શકે તેની સૂચિ મળી તે રસપ્રદ હતી. સ્પાઈના બીફીડા(કરોડમાં થતો રોગ કે જેનાથી અપંગ બની જવાય)નો ભોગ બનેલ બાળકો માટે હોબક્રાફ્ટ બનાવવું, રસ્તા અને રેઇલવે લાઈન બંને પર ચલાવી શકાય તેવી બસ બનાવવી, હીટ પમ્પ બનાવવા, ડાયાલિસીસ મશીન બનાવવા (કિડની નિષ્ફળ જવાથી વર્ષે આશરે 3,000 મૃત્યુ નીપજે છે), વાહનોમાં ઇંધણનો વપરાશ અને પ્રદૂષણ ઘટાડવા હાઈબ્રીડ પાવર પેક બનાવવા, આ અને એવા અનેક નાનાં મોટાં સાધનો બનાવવાની એક મોટી યાદી એકઠી થઈ જે સૂચવે છે કે સંહારક સાધનો બનાવવાનો વિકલ્પ છે માનવને ઉપયોગી થાય, સહાયભૂત થાય તેવાં સાધનો બનાવવાં.

દુઃખની વાત એ છે કે લ્યુક્સ યોજના તરીકે ઓળખાયેલી આ યોજનાને ખાસ કોઈની સહાનુભૂતિ ન મળી, પરિણામે તેમાંની એક પણ વસ્તુના ઉત્પાદનનું સાહસ કરવા કોઈ આગળ ન આવ્યું. માનવીનું દિમાગ ચીલાચાલુ ઘરેડમાં કેવું ફસાઈ જાય છે એ સાબિત જરૂર થયું. દલીલ એવી થઈ કે જાણે કંપનીના માલિકો કહેતા ન હોય, ‘આ કંપની કોણ ચલાવે છે, તમે કે અમે?’

ગાંધી આજે હયાત હોત તો આ વિષે શું કહેત અને કેવાં પગલાં લેત? એક વાત નિશ્ચિત છે કે ગાંધીજીએ ઉપર કહ્યાં તે તમામ કારણોસર શસ્ત્રોનાં ઉત્પાદન અને વ્યાપારને સખત રીતે વખોડી કાઢ્યો હોત. ‘સર્વોદય’ની વિચારધારા આપનારા ગાંધીજીને ભારતને દુનિયાના સહુથી મોટા શસ્ત્રોની આયાત કરનાર દેશ – 2011-2015 દરમ્યાન દુનિયાના કુલ શસ્ત્ર વ્યાપારના 14% શસ્ત્રો ખરીદનાર તરીકે જોઈને તેમને કલેજે અકથનીય આઘાત લાગ્યો હોત. સત્યના એ પરમ ઉપાસકે પૂછ્યું હોત કે રાષ્ટ્ર શાનાથી મહાન બને? તેની નૈતિક આગેવાનીથી કે શસ્ત્ર બળથી? સ્વદેશી અને ગ્રામોદ્યોગના આગ્રહી તેવા મહાત્માએ સમાજને અને તે પણ સાવ છેવાડેના જન જનને જીવન નિભાવવા, જીવનને ઉત્કૃષ્ટ કરવા ઉપયોગી થાય તેવા સાધનો બનાવવા માટે પાયાનું કામ કરતા સંગઠનોને જ ટેકો આપ્યો હોત, નહીં કે શસ્ત્રો બનાવનારને.

દુનિયા અન્યાય અને યાતનાઓથી ભરપૂર છે. બ્રિટન અને તેના જેવા અન્ય દેશોની શસ્ત્ર વ્યાપાર નીતિનો માનવ જાતની હિતની તરફેણમાં પરિણામ ન આવે ત્યાં સુધી વિરોધ કરવો એ એક પુણ્યનું કામ બની રહેશે.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,2253,2263,2273,228...3,2403,2503,260...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved