Opinion Magazine
Number of visits: 9583953
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માહિતીનો અધિકાર, શિક્ષણનો અધિકાર અને મનરેગા માટે સોનિયા ગાંધી ઇતિહાસમાં અમર રહેવાનાં છે અને દેશ તેમનો ઓશિંગણ રહેવાનો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|18 December 2017

ભારતની ભૂમિમાં જેમનો જન્મ થયો છે તેઓ જે નથી કરી શક્યા એ ઇટલીમાં જન્મેલી સવાઈ ભારતીય મહિલાએ કરી બતાવ્યું છે

ઇન્દિરા ગાંધી વિશેની લેખશ્રેણીમાં મેં લખ્યું હતું કે કૉન્ગ્રેસમાં નેહરુ પરિવારની વારસદારી સ્થાપવાનો કોઈ ઇરાદો જવાહરલાલ નેહરુ નહોતા ધરાવતા અને ઇન્દિરા ગાંધી વારસ બનવા ઉત્સુક નહોતાં. કૉન્ગ્રેસમાં વારસદારી કૉન્ગ્રેસી નેતાઓએ સ્થાપિત કરી હતી અને એવું ઇતિહાસમાં બે વાર બન્યું છે. જવાહરલાલ નેહરુ લોહીના નામે લોકતંત્રમાં સત્તાની ઇજારાશાહીના વિરોધી હતા અને ઇન્દિરા ગાંધીને પોતાના પર ભરોસો નહોતો. કૉન્ગ્રેસીઓને એમ લાગ્યું હતું કે નેહરુની નિસ્તેજ છોકરીને વડાં પ્રધાન નહીં બનાવવામાં આવે તો જક્કી સ્વભાવ ધરાવનારા મોરારજી દેસાઈ વડા પ્રધાન બની જશે અને તેઓ પાછળ રહીને દોરીસંચાર નહીં કરી શકે. આમ કૉન્ગ્રેસમાં પહેલી વાર વારસદારી કૉન્ગ્રેસીઓ ૧૯૬૬ની સાલમાં લઈ આવ્યા હતા.

હા, જવાહરલાલ નેહરુના પિતા મોતીલાલ નેહરુમાં વારસદારીનાં લક્ષણો હતાં એમ તમે કહી શકો. જવાહરલાલ નેહરુને યુવા વયે કૉન્ગ્રેસના પ્રમુખ બનાવવા માટે મોતીલાલ નેહરુએ ગાંધીજી સમક્ષ એક કરતાં વધુ વખત પ્રસ્તાવ રાખ્યો હતો. એક વાર તો પોતે કૉન્ગ્રેસપ્રમુખ તરીકે નિવૃત્ત થઈ રહ્યા હતા ત્યારે તેમના અનુગામી જવાહર બને એવો પણ તેમણે આગ્રહ રાખ્યો હતો. મોતીલાલ નેહરુ માટે જવાહરલાલ આંખનું જવાહર હતા અને તેઓ તેમના પ્રેમમાં હતા. જવાહરલાલ નેહરુએ તેમના ભદ્રશ્રીમંત પિતાને જમીન પર સૂતા અને રેંટિયો કાંતતા કરી દીધા હતા.

તો પછી કૉન્ગ્રેસમાં વારસદારી શરૂ ક્યારે થઈ અને કોણે કરી? આનો જવાબ છે ઇન્દિરા ગાંધી. દેશમાં લોકશાહીને હાનિ પહોંચાડે એવી ઘણી અઘટિત પરંપરા ઇન્દિરા ગાંધીએ શરૂ કરી હતી જેમાં વારસદારી મુખ્ય છે. આ ઉપરાંત કૉન્ગ્રેસી તો ખરા જ. હું મરું પણ તને રાંડ કરું એ ન્યાયે તેઓ એકબીજાનો છેદ ઉડાડવા માટે નેહરુ-ગાંધી પરિવારની વારસદારીને પોષતા હતા. ઇન્દિરા ગાંધીમાં અસલામતીની ભાવના અત્યંત તીવ્ર હતી. આવા લોકો શંકાશીલ હોય છે એટલે તેમને કૉન્ગ્રેસમાં કોઈના પર પૂરો વિશ્વાસ નહોતો. આ બાજુ સંજય ગાંધી લગભગ લોફર કહી શકાય એવા હતા. સંજય ગાંધી નહોતા સરખું ભણ્યા કે નહોતા કોઈ ધંધો-રોજગાર કરી શક્યા. તેમનો સસ્તા ભાવની જનતાકાર બનાવવાનો મારુતિનો પ્રોજેક્ટ પણ નિષ્ફળ નીવડ્યો હતો.

હકીકતમાં ઇન્દિરા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રીના પ્રધાનમંડળમાં જોડાયાં એની પાછળનો એક ઇરાદો છોકરાંવની ચિંતા પણ હતો. તેમને સમજાઈ ગયું હતું કે બન્ને દીકરા ભણવામાં સામાન્ય છે અને જિંદગીમાં બહુ મોટી મંઝિલ કાપી શકે એમ નથી. રાજીવ અને સંજય જ્યારે લંડનમાં ભણતા હતા ત્યારે એક સમયે તેમણે લંડનમાં સ્થાયી થવાનું અને દીકરાઓની નજીક રહેવાનું વિચાર્યું પણ હતું જેથી તેઓ તેમના ભણતરમાં અને કારર્કિદીમાં રસ લઈ શકે. તેમણે એક મકાન પણ જોઈ રાખ્યું હતું. ઇન્દિરા ગાંધી જ્યારે શાસ્ત્રીની કૅબિનેટમાં જોડાયાં ત્યારે તેમને એમ હતું કે આને કારણે તેમને દિલ્હીમાં રહેવા માટે મકાન મળશે, પગાર-ભથ્થાંની આવક થતી રહેશે અને છોકરાંવને થાળે પાડવા રાજકીય વગનો ઉપયોગ કરી શકાશે.

આમ ઇન્દિરા ગાંધી સત્તામાં આવ્યાં દિલ્હીમાં મકાન, આવક અને વગ જાળવી રાખવા માટે તેમ જ નિસ્તેજ છોકરાંવને થાળે પાડવા માટે. ઇન્દિરા ગાંધીએ કૉન્ગ્રેસમાં વારસદારી દાખલ કરી ભરોસાપાત્ર સલામતી માટે. રાજીવ ગાંધી પાઇલટ તરીકે ઍર ઇન્ડિયામાં થાળે પડી ગયા હતા અને સંજય ગાંધી કંઈ કરી શકે એમ હતા નહીં. ઇન્દિરા ગાંધી પહેલાં સંજય ગાંધીને રાજકારણમાં લઈ આવ્યાં હતાં અને ૧૯૮૦માં સંજયનું અકાળે અવસાન થતાં રાજીવ ગાંધીને રાજકારણમાં લઈ આવ્યાં હતાં. એ પછી જે બન્યું એ ઇતિહાસ છે જેની વિગતોમાં જવાની જરૂર નથી.

નેહરુ-ગાંધી પરિવારની વારસદારીએ ૧૯૯૧માં નવો વળાંક લીધો. ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારે કૉન્ગ્રેસપ્રમુખ તરીકે તેમના અનુગામી કોણ એવો પ્રશ્ન આવ્યો. દરેક કૉન્ગ્રેસીના મોઢે એક જ નામ હતું – સોનિયા ગાંધી, પરંતુ સોનિયા ગાંધીએ કૉન્ગ્રેસપ્રમુખ બનવાની ના પાડી દીધી. ૧૯૬૬ પછી પહેલી વાર કૉન્ગ્રેસીઓને નેહરુ-ગાંધી પરિવારથી મુક્ત થઈને પક્ષમાં લોકશાહી દાખલ કરવાનો મોકો મળ્યો હતો, પરંતુ પચીસ વરસની ગુલામીના પરિણામે કૉન્ગ્રેસીઓ એમ કરી શક્યા નહોતા. દરેક કૉન્ગ્રેસી એકબીજા સામેની ફરિયાદ લઈને સોનિયા ગાંધી પાસે દોડી જતો હતો અને પક્ષીય લોકતંત્રને પરિવારનાં ચરણે ધરી દેતો હતો.

સ્થિતિ એવી બની કે આઝાદી પછીની પહેલી પેઢીના કૉન્ગ્રેસીઓ જેમ એકબીજાનો છેદ ઉડાડવા કૉન્ગ્રેસમાં વારસદારી લઈ આવ્યા હતા એમ બીજી પેઢીના કૉન્ગ્રેસીઓ ફરી એક વાર એકબીજાનો છેદ ઉડાડવા રાજકારણથી દૂર રહેતાં સોનિયા ગાંધીને શરણે જઈને ફરી વારસદારી લઈ આવ્યા. કૉન્ગ્રેસમાં વારસદારી માટે જેટલો જવાબદાર પરિવાર છે એના કરતાં વધુ કૉન્ગ્રેસીઓ જવાબદાર છે. બીજી વખતની વારસદારી ઉપરથી લાદવામાં નહોતી આવી, સામે ચાલીને લાવવામાં આવી હતી.

૧૯૯૧થી ૧૯૯૯નાં વર્ષોમાં કૉન્ગ્રેસીઓ એકબીજાનો છેદ ઉડાડતા હતા જેના પરિણામે ૧૯૯૮-’૯૯નાં વર્ષોમાં કૉન્ગ્રેસ સામે અસ્તિત્વનું સંકટ પેદા થયું હતું. સોનિયા ગાંધી બહાર ન આવે અને કૉન્ગ્રેસની ધુરા ન સંભાળે તો કૉન્ગ્રેસ બચી શકે એમ નહોતી. સોનિયા ગાંધી બહાર આવ્યાં અને કૉન્ગ્રેસનું નેતૃત્વ સંભાળ્યું. વાંચ્યા વિના ભાષણ ન આપી શકનારાં સોનિયા ગાંધી ધારવા કરતાં વધુ વિચક્ષણ સાબિત થયાં એમ ૧૯ વરસના તેમના નેતૃત્વનો ઇતિહાસ કહે છે. તેમના નેતૃત્વની આટલી વિશેષતાઓ હતી: તેમને સમજાઈ ગયું હતું કે ૧૯૮૦માં અને ૧૯૯૧માં પરાજિત કૉન્ગ્રેસ ફરી વિજયી થઈને સત્તામાં પાછી ફરી હતી એમ હવે પાછી ફરી શકે એમ નથી. જો કૉન્ગ્રેસે સત્તામાં પાછા ફરવું હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જેમ બે ડઝન પક્ષોનો મોરચો રચાયો છે એવો મોરચો રચવો પડશે. NDA સામે UPA એ આ રણનીતિનું પરિણામ હતું. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં તેમને અણધાર્યો વિજય મળ્યો એ આ મોરચો રચવાની નીતિનું પરિણામ હતું.

વિદેશી સોનિયા ગાંધી વડા પ્રધાન બને એનો વિરોધ કરનારા અને બગાવત કરીને કૉન્ગ્રેસમાંથી નીકળી જનારા શરદ પવારને તેમણે UPAમાં લીધા હતા અને મહારાષ્ટ્રમાં શરદ પવારના પક્ષ સાથે મળીને સરકાર રચી હતી. માત્ર બે વરસમાં વિરોધીને બાથમાં લેવાની તેમની ક્ષમતા આશ્ચર્ય પમાડે એવી હતી. જો કે આનો અર્થ એવો નથી કે તેઓ ડંખ ભૂલી ગયાં હતાં. પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ બન્યા પછી ડૉ. મનમોહન સિંહની સરકારમાં ધરાર તેમણે શરદ પવારને નંબર ટૂનું સ્થાન નહોતું આપ્યું. એ. કે. ઍન્ટની નંબર ટૂ હતા.

૨૦૦૪માં UPAને લોકસભામાં બહુમતી મળી ત્યારે વડા પ્રધાનપદના દેખીતા ઉમેદવાર સોનિયા ગાંધી હતાં. તેમણે આખા દેશના આશ્ચર્ય વચ્ચે વડા પ્રધાન બનવાની ના પાડી દીધી હતી અને ડૉ. મનમોહન સિંહને વડા પ્રધાન બનાવ્યા હતા. ભારતના જ નહીં, કદાચ જગતના લોકતંત્રના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું હતુ કે લોકસભામાં શાસક પક્ષના નેતા હોવા છતાં વડા પ્રધાન ન હોય. ડૉ. મનમોહન સિંહ સોનિયા ગાંધીના પ્રૉક્સી વડા પ્રધાન હતા. વહીવટી સત્તા વડા પ્રધાન પાસે હોય, પણ ખરો પાવર સોનિયા ગાંધી ધરાવતાં હોય એવી અરેન્જમેન્ટ હતી.

સોનિયા ગાંધીએ મનમોહન સિંહને માત્ર પ્રૉક્સી વડા પ્રધાન નહોતા બનાવ્યા, એક રીતે જોઈએ તો તેમના અધ્યક્ષપદ હેઠળ નૅશનલ ઍડ્વાઇઝરી કાઉન્સિલની રચના કરીને પ્રૉક્સી પ્રધાનમંડળની પણ રચના કરી હતી. આમ બે સત્તાકેન્દ્ર અર્ધસત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યાં હતાં એ એક પ્રકારનો નવતર પ્રયોગ હતો. ડૉ. મનમોહન સિંહની સરકારની પહેલી મુદતમાં ખાસ મુશ્કેલી નહોતી આવી, પરંતુ બીજી મુદતમાં બે સમાંતર સત્તાકેન્દ્રો મુશ્કેલીઓ પેદા કરવા લાગ્યાં હતાં જેની ૨૦૧૪માં કૉન્ગ્રેસે કિંમત ચૂકવી હતી.

૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસે ૨૦૦૪ કરતાં પણ વધુ સારો દેખાવ કર્યો હતો અને ડૉ. મનમોહન સિંહને ફરી વાર વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. સોનિયા ગાંધી અને ડૉ. મનમોહન સિંહની કેમિસ્ટ્રી આજ સુધી અકબંધ છે એની ક્રેડિટ સોનિયા ગાંધીની શાલીનતાને જાય છે. મોટા ભાગે વડા પ્રધાનને મળવા તેમના ઘરે જાય, વડા પ્રધાન આવે એની દસ મિનિટ પહેલાં તેઓ સ્વાગત માટે આવી ગયાં હોય, વડા પ્રધાનની સાથે અથવા પાછળ ચાલે આગળ ક્યારે ય નહીં, જાહેરમાં વડા પ્રધાનની ટીકા કરે નહીં વગેરે પ્રકારની ખાનદાનીએ પ્રૉક્સી પ્રયોગને બાય ઍન્ડ લાર્જ સફળ બનાવ્યો હતો.

૨૦૦૪ અને ૨૦૦૯ એમ ઉપરાઉપરી બે વખત વિજય મેળવવાની ઘટના ૧૯૮૪ પછી પહેલી વાર બની હતી. એમ તો અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં NDAને ૧૯૯૮માં અને ૧૯૯૯માં એમ ઉપરાઉપરી બે વાર વિજય મળ્યો હતો, પરંતુ બે ચૂંટણી વચ્ચેનો ગાળો માત્ર એક વરસનો હતો. ૧૯૭૯-૧૯૮૯ પછી પહેલી વાર કોઈ એક પક્ષે કે મોરચાએ એકધારું દસ વરસ શાસન કર્યું હતું. એકધારાં દસ વરસ શાસન કરનારા ભારતમાં ત્રણ વડા પ્રધાન થયા છે જેમાં એક ડૉ. મનમોહન સિંહ છે. આ પહેલાં જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીએ દસ વરસ એકધારું શાસન કર્યું હતું. પ્રૉક્સીને સ્થિરતા આપવાનું શ્રેય સોનિયા ગાંધીને જાય છે.

માહિતીનો અધિકાર, શિક્ષણનો અધિકાર અને રોજગાર બાંયધરી યોજના (મનરેગા) માટે ડૉ. મનમોહન સિંહ અને સોનિયા ગાંધી ઇતિહાસમાં અમર રહેવાનાં છે. ઇવેન્ટો કાળના ગર્ભમાં ખોવાઈ અને ભુલાઈ જતી હોય છે, પરંતુ નક્કર કાર્યો ઇતિહાસમાં કાયમ માટે સ્થાન મેળવે છે. આનું શ્રેય ડૉ. મનમોહન સિંહ સાથે સોનિયા ગાંધીને એટલા માટે જાય છે કે મૂળમાં આ પ્રજાલક્ષી કાર્યો કરવાનું સૂચન નૅશનલ ઍડ્વાઇઝરી કાઉન્સિલનું હતું અને સોનિયા ગાંધીએ એને માન્ય રાખીને UPA સરકાર પાસે કરાવ્યું હતું. આ ત્રણ કાર્યો માટે સોનિયા ગાંધી ઇતિહાસમાં અમર રહેવાનાં છે અને દેશ તેમનો ઓશિંગણ રહેવાનો છે. ભારતની ભૂમિમાં જેમનો જન્મ થયો છે એ જે નથી કરી શક્યા એ ઇટલીમાં જન્મેલી સવાઈ ભારતીય મહિલાએ કરી બતાવ્યું છે.

આઝાદી પછી રાહુલ ગાંધીનું નેતૃત્વ એ કૉન્ગ્રેસ માટે ચોથું પર્વ છે. જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી અને હવે રાહુલ ગાંધી. જોઈએ રાહુલ ગાંધી કૉન્ગ્રેસને કેવો ચહેરો આપે છે.

સૌજન્ય : ‘નો-નૉનસેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 17 ડિસેમ્બર 2017

Loading

(મહા) ભારતને રામાયણની જરૂર છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 December 2017

ચૂંટણી પતી ગઈ છે ત્યારે, કામ લાગે તેવી થોડીક વાતો અને વિચારો:

મહાભારતમાં પાંચમો અધ્યાય ઉદ્યોગ પર્વનો છે. ઉદ્યોગ એટલે ઉદ્યમ, પ્રયાસ, મહેનત. ઉદ્યોગ પર્વ એ મહાભારતનું યુદ્ધ ટાળવાની કોશિશનો દસ્તાવેજ છે. જુગટું વખતની શરત મુજબ, તેર વર્ષના વનવાસ પછી પાછા આવેલા પાંડવો કૌરવો પાસેથી ઇન્દ્રપ્રસ્થનું શાસન માગે છે, અને કૌરવો અંચાઈ કરી યુદ્ધની સ્થિતિ ઊભી કરે છે. પાંડવો-કૌરવોના કાકા (ધૃતરાષ્ટ્ર-પાંડુના ભાઈ), અને હસ્તિનાપુરના રાજા વિદુર આ યુદ્ધ રોકવા પ્રયાસ કરે છે, પણ નિષ્ફળ રહે છે. વિદુરને ખબર છે કે યુદ્ધ વિનાશક હશે. એ મહારાજા ધૃતરાષ્ટ્ર સાથે એનો વિચાર-વિમર્શ કરે છે, જે વિદુર-નીતિ તરીકે પ્રખ્યાત છે. વિદુર-નીતિ જીવન-યુદ્ધ જ નહિ, જીવન-પ્રેમ અને જીવન-વ્યવહારની પણ વાત કરે છે, એટલે જ એ આજે પણ પ્રાસંગિક છે.

વિદુર એ સંવાદમાં બુદ્ધિમાન (જે રાજા પણ હોય) વ્યક્તિના ગુણ બતાવે છે. જેને સત્કર્મથી ખુશી થાય અને અચ્છાઈને નફરતથી ન જુએ, જેને પોતાના કામ પ્રત્યે આદર હોય અને એનાં વખાણ થાય તો ઘમંડ ન કરે, જેને મોટા માટે આદર અને નાના માટે સન્માન હોય, જેને જીતવા માટેની જીદ અને હાર થાય તો એનો સ્વીકાર હોય, જેને કામકાજમાં બીજાને નીચો દેખાડવાની ભાવના ન હોય અને જેને અતિ સંપત્તિ અને અપાર સત્તામાં પણ અભિમાન વગર વર્તતા આવડતું હોય એને બુદ્ધિમાન માણસ કહેવાય, એમ વિદુરનું વચન છે.

મહાભારતમાં વિદુર જેવા ડાહ્યા માણસની જરૂર પડે છે (રામાયણમાં નથી પડતી), કારણ કે મહાભારત સત્તાની લાલસાનું આખ્યાન છે, જ્યારે રામાયણ સત્તાના ત્યાગની કથા છે. મહાભારતમાં અનીતિ, અશિસ્ત, દગાબાજી અને અનુચિત વ્યવહાર છે. રામાયણ સદાચાર, આદર્શ, સંયમ, વિનય અને નિયમનું મહાકાવ્ય છે. એટલા માટે જ અયોધ્યાનું શાસન રામરાજ્ય તરીકે આજે પણ લોકોનું આદર્શ છે. ‘પાંડુરાજ્ય’ એવો શબ્દ આપણે સાંભળતા નથી. રામાયણમાં રામ સુશાસન (good governance) માટે નિજી સુખ જતું કરે છે, અને એ જ રાજધર્મની સાચી વ્યાખ્યા છે. મહાભારતમાં લડાઈ જ નિજી સુખની છે.

ભારતના જનમાનસમાં આજે પણ રામનું રાજ્ય આદર્શ છે, પણ એની રાજનીતિ મહાભારત જેવી છે. આજે કેટલા નેતાઓ જનકલ્યાણ માટે સત્તાનો ત્યાગ કરવા તૈયાર થશે? રાજકારણીઓ માટે જનતા પહેલી, કે તેમની ખુરશી? રાજનીતિ આમ તો જનશાસનનું સાધન છે (જેમાં સત્તા ડિફોલ્ટ છે), પણ મોટાભાગે એમાં મહાભારતની જેમ જ, અનીતિ, અશિસ્ત, દગાબાજી અને અનુચિતતા જ છે. આ સત્તાનું સ્વ-રાજ છે, રામનું પ્રજા-રાજ્ય નહીં.

અબ્રાહમ લિંકન અમેરિકાને કપરા ગૃહયુદ્ધમાંથી ઉગારવા માટે જાણીતા છે. એમણે કહ્યું હતું, ‘આમ તો દરેક માણસ વિપદા સામે ટકી રહેવા સમર્થ છે, પણ એના ચરિત્રની સાચી પરીક્ષા કરવી હોય તો એને સત્તા સોંપી જુઓ.’ જે દુર્ગુણો વચ્ચે મહાભારતની કથા આકાર લે છે, તેની પાછળ એક બાબતનું સામ્ય છે; પાવર. કૌરવો હસ્તિનાપુરની સત્તામાં છે, અને એમને એનો નશો છે. પાંડવો, જે ન્યાયી, સદાચારી અને પ્રજાતરફી છે, આ હસ્તિનાપુરને ઉચિત શાસન આપવા માગે છે. સત્તાના આ સંઘર્ષમાંથી જે ડહાપણ સમજમાં આવે છે તે આજે પણ, ભારતમાં જે રીતે power politics ચાલે છે તેના સદર્ભમાં, પ્રાસંગિક છે. સત્તા અથવા અખત્યારી કેવી રીતે માણસને કુટિલ બનાવી દે, તેની સમજ વિદુરને હતી. સત્તા માણસને ભ્રષ્ટ બનાવે છે, એવી સમજ આજના ચિંતકો અને મનોવિજ્ઞાનીઓને છે.

પાવર એટલે શું? મોટાભાગના રાજકારણીઓ એમ માને છે કે, પાવર એટલે પોઝિશન, અને એમનાં નામની આગળ-પાછળ લાગતાં ટાઇટલ્સ. પાવર હોવાનો મતલબ, તમે સૌથી ઉપર હો, પ્રિવિલિજ્ડ (દેવના દીધેલ) હો અને બીજા બધા ઉપર અખત્યાર ધરાવો. પાવર એટલે તમે આજ્ઞા કરી શકો, લોકો એનું પાલન કરે અને તમને સલામ ભરે. પાવર એટલે વર્ચસ્વ, નિયંત્રણ એવું બધા માને છે.

જૂના જમાનાના રાજાઓ હોય, સામંતો હોય કે આજના નેતાઓ હોય, એ પોતાને અધિપતિ માને છે, સેવક નહીં.

આપણા વડાપ્રધાન પોતાને સેવક ગણાવે છે, પણ એમના અનુયાયીઓ એમને સિંહ માને છે. એ વિદેશ જાય ત્યારે ત્યાંના ગુજરાતીઓ નારા લગાવે છે, ‘દેખો દેખો કૌન આયા, ગુજરાત કા શેર આયા.’ જંગલમાં સિંહ પાવરના ક્રમમાં સૌથી ઉપર હોય છે. દુનિયાભરમાં બધે જ મહાન લીડર માટે સિંહ પ્રતીક ગણાય છે. એના ઉપરથી ‘સિંહ ભાગ’ શબ્દ છે. સિંહની જગ્યા મોટી હોય, સિંહનો શિકાર મોટો હોય.

સારનાથમાં અશોકે જે સ્તંભ બનાવ્યા હતા એમાં ચાર સિંહ છે. બાંગ્લાદેશના યુદ્ધ પછી વાજપેયીએ ઇન્દિરાને ‘મા દુર્ગા’ સાથે સરખાવ્યાં હતાં. (વાજપેયીએ પાછળથી ‘મેં આવું નોતું કહ્યું,’ અને ‘હું ઇન્દિરા જ છું અને ઇન્દિરા જ રહેવા માગું છું’ એવું ઇન્દિરાએ કહ્યું હતું એ આડવાત છે.) ઘણા લોકો ઇન્દિરા માટે ‘સંસદમાં એક માત્ર મર્દ’ એવી જોક કરતા હતા. ઇન્દિરા મોસ્ટ પાવરફુલ લીડર ગણાય છે, કારણ કે એમનામાં સિંહણની તાકત હતી.

સિંહ શારીરિક પાવરનું પ્રતિરૂપ છે. જંગલમાં શારીરિક પાવરના આધારે જીવન ચાલે છે. સિંહ એના તાકાતના જોરે બાકીનાં પ્રાણીઓ ઉપર રાજ કરે છે. કંઇક એ જ રીતે, માનવ જીવનમાં પણ આપણે લીડરને ‘સિંહ’ તરીકે સ્વીકારતા થયા છીએ. રાજાઓ અને સામંતો એટલે જ લાંબી મૂછો અને દાઢી રાખતા હતા. મૂછ એટલે જ મર્દાનગી અને તાકાતનું પ્રતીક છે.

લીડર હોવું એટલે ડરાવવું, ધમકાવું અને ‘કડક હાથે’ કામ લેવું. ફરક એટલો જ છે કે, જંગલમાં સિંહને પાવર માટે પ્રેરણા કે પ્રયોજન નથી હોતું. એ પ્રકૃતિથી પાવરફુલ છે, એટલે એને વધુ પાવરફુલ થવાની જરૂર કે ખ્વાહીશ નથી હોતી. એનો પાવર (કોઈ કારણસર) ઓછો થયો તો, એ હાર પણ માની લે. સિંહમાં પાવરનું ગૌરવ નથી, અને હારની શરમ નથી. એ અર્થમાં સિંહ રામાયણના રામ જેવો છે. પાવરથી એ ચલિત કે વિચલિત થતો નથી. એ એને વાપરે ય છે, અને ત્યાગી પણ દે છે.

માનવ સમાજમાં એવું નથી. અહીં પાવર પકડી રાખવાનો છે, એનો સંચય કરવાનો છે. ઇન્દિરાએ કટોકટી લાદી હતી, તે પાવરને જતો નહીં કરવાની જીદ હતી. દુનિયામાં જે આતતાયીઓ થયા છે તે, માલિક બની રહેવા માટે, લોકોને નિયંત્રણમાં રાખવા પાવરનો ઉપયોગ કરે છે એટલું જ નહીં, એ વધુ પાવરફુલ થવા પ્રયાસ કરે છે. અમર્યાદ સત્તા એટલે જ માણસને નિરંકુશ બનાવે છે. લોકતંત્રમાં એટલા માટે જ વિપક્ષની વ્યવસ્થા છે, જે સત્તાનું પલડું નમી જવા ન દે.

મોટાભાગના લીડરો પાવર માટે ચૂંટણીથી લઈને વિરોધીને પાડી દેવા સુધીની લડાઈઓ લડે છે, પણ એમને એ ભાગ્યે જ ખબર છે કે, એ પાવર મળી જાય પછી એનું કરવાનું શું? એટલે એ લીડરો પાવર વહેંચવાને (ઉપયોગ કરવાને) પાવરનો સ્ટોક વધારતા જાય. તે મોટા ને મોટા, ઉપર ને ઉપર જતા રહે છે. રામમનોહર લોહિયા કહેતા હતા, રામ પાવરના વર્તુળની અંદર રહે છે. એ વર્તુળમાં વ્યવસ્થા (ઓર્ડર) છે, શિસ્ત છે, શિરસ્તો છે, અનુક્રમ (હાઇરાર્કી) છે. એટલા માટે રામ મર્યાદા પુરુષોતમ કહેવાય છે. અને એટલા માટે જ ભારતીય જનજીવન ઉપર રામનો પ્રભાવ છે ( કૃષ્ણનો નહીં, જે વ્યવસ્થાના વિરોધી છે, નિયમ વિરોધી છે).

સાચો પાવર એ છે, જેનો જનમાનસ ઉપર પ્રભાવ (influence) હોય. તમારાથી પ્રભાવિત થઈને જનતા જ્યારે તમારી દૃષ્ટિ, તમારા ચિંતનમાં ભાગીદાર બને એ મહાન લીડર કહેવાય. પ્રભાવ અને અધિકારમાં આ ફરક છે. લીડરશિપ એ છે જેમાં સંબંધ અને સન્માન હોય, અંકુશ અને આજ્ઞા નહીં. લીડર એ નથી જે અનુયાયીઓ બનાવે, લીડર એ છે જે બીજા લીડર બનાવે. લીડર એ નથી જેની પાસે ભીડ છે, લીડર એ છે જેની પાસે રિઝલ્ટ છે.

(મહા) ભારતને આ રામાયણની જરૂર છે.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 17 ડિસેમ્બર 2017

Loading

અધ્યાત્મ અને લોકશિક્ષણનો વિરલ સમન્વયઃ નાનાભાઈ

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|18 December 2017

સ્વામી આનંદ જેવા પ્રખર દેશભક્ત, ટિળક-ગાંધીના અનુયાયી, અધ્યાત્મપુરુષે નાનાભાઈ ભટ્ટ માટે ‘યાજ્ઞવલ્ક્ય સમા’ એવું વિશેષણ વાપર્યું હતું. સ્વામી ગુણગ્રાહી ખરા, પણ વિશેષણો વહેંચનારા નહીં. બલકે, આકરાપણા માટે ઠીક ઠીક જાણીતા. છતાં, નાનાભાઈ માટે તેમણે લખ્યું હતું, ‘સૃષ્ટિ તેમ જ જીવનવિષયક વિચારણાઓમાં નાનાભાઈ ઉપનિષદ કાળના ઋષિ યાજ્ઞવલ્ક્યની યાદ અપાવતા.’

દક્ષિણામૂર્તિ અને લોકભારતી જેવી શૈક્ષણિક સંસ્થાઓ થકી વધુ જાણીતા નાનાભાઈ પોતાની જાતને ‘સનાતની હિંદુ’ તરીકે ઓળખાવતા. પરંતુ સાવ પાકટ વયે તેમણે સ્વામી આનંદ અને બીજા સ્નેહીઓના સવાલોના જે જવાબ આપ્યા હતા (‘બે જીવન મર્મીઓનો સંવાદ’), તે વાંચ્યા પછી અને તેમના જીવનપ્રસંગો વિશે જાણ્યા પછી થાય કે ગાંધીજીના મનમાં ‘સનાતની હિંદુ’નો ખ્યાલ કેવો હશે અને એ પણ વધુ સ્પષ્ટ રીતે સમજાય કે રાજકીય હિંદુત્વ સનાનતી હિંદુ ધર્મનું કેટલું બધું વિરોધી છે.

ઉપનિષદમાં આજની વૈજ્ઞાનિક શોધોની ઝાંખી થાય છે, એવી માન્યતામાં વજૂદ ખરું? એવા સ્વામી આનંદના સવાલનો નાનાભાઈએ આપેલો જવાબ ભાવાવેશ કે ધર્માવેશ વગરનો હતો. ‘બધું-આપણે-ત્યાં-શોધાઈ-ગયું-હતું’ પ્રકારની માન્યતાના ઝનૂની સમર્થકોએ અને તેના ઝનૂની વિરોધીઓએ પણ તેને ખાસ ગાંઠે બાંધવા જેવો છે. નાનાભાઈએ કહ્યું હતું, ‘આપણા દેહમાં સાંભળવું એ કાનનો વિષય છે … પણ એ જ કાનને પદાર્થને જોવામાં આપણે પ્રમાણભૂત ગણતા નથી … આ રીતે જોતાં ઉપનિષદોનો પ્રધાન સૂર પરાવિદ્યાનો છે, એટલે પરાવિદ્યાના વિષયમાં ઉપનિષદોનું કથન પ્રમાણભૂત ગણાવું જોઈએ, પણ પરાવિદ્યા સિવાયની બીજી વિદ્યાઓમાં –દાખલા તરીકે ભૌતિકવિદ્યામાં, સમાજવિદ્યામાં, અર્થશાસ્ત્રમાં, ખગોળવિદ્યામાં વગેરેમાં આ ઉપનિષદો પ્રમાણભૂત ન ગણી શકાય … રામાયણમાં રાવણના પુષ્પક વિમાનની વાત આવે છે.

આ પુષ્પક વિમાન એ જમાનાની કઈ વર્કશોપમાં બન્યું હશે, કેવાં સાધનોથી બન્યું હશે વગેરે કશી માહિતી આપણને નથી. તેમ આવું પુષ્પક વિમાન માત્ર કોઈ કવિની કલ્પના જ હશે કે ખરેખરું વિમાન હશે તે પણ આપણે જાણતા નથી. પણ આવા પુષ્પક વિમાનની કલ્પના એ જમાનાના લોકોને સાચી લાગી એટલે અંશે સમાજના માનસમાં એ કલ્પના ખરેખર પડી જ હતી એમ જ આપણે કહેવું ઘટે.

પરંતુ આવાં તેવાં રડ્યાંખડ્યાં વિધાનોથી જો આપણે એમ માનવા લલચાઈ જઈએ કે આજના વિજ્ઞાનયુગમાં જે ભાતભાતની શોધો થાય છે અને થશે તે બધાનું જ્ઞાન આપણા ઋષિમુનિઓને પણ હતું .. (તો) તેમ કહેવું એ તદ્દન અયથાર્થ છે. માનવી જેમ જેમ આ પૃથ્વી ઉપર મોટો થતો જાય છે તેમ તેમ તેની દૃષ્ટિમર્યાદા વધારે ને વધારે વિશાળ થતી જાય છે અને તે પોતે વિશ્વનાં બળોને વધારે ને વધારે સમજતો જાય છે.

પરંતુ સમગ્ર વિશ્વના પાયામાં પડેલ પરમસત્તાનો આપણા ઋષિમુનિઓએ જે સાક્ષાત્ અનુભવ કર્યો તે અનુભવ એમને થયો તે દિવસે જેટલો સાચો હતો તેટલો આજે પણ સાચો છે અને ભવિષ્યમાં પણ સાચો રહેશે તેમાં મને શંકા નથી … આ જગત જેનામાંથી ઉત્પન્ન થયું છે, જેનાથી ટકે છે અને જેમાં લય પામે છે તે પરમસત્તા એ એક જ જીવનવિદ્યાનો પરમ વિષય છે. આ સિવાયના બીજા બધા વિચારો એક યા બીજી રીતે અપરાવિદ્યાના એટલે લૌકિક-પારલૌકિક વિદ્યાના વિષયો છે … (તે) ઉપનિષદકારનાં પ્રધાન વિધાનો નથી, પણ એ યુગમાં ચાલતી માન્યતાઓનાં એ વિધાનો છે, એમ આપણે સમજવું.’

આવું કહેનાર નાનાભાઈનો ઉપનિષદ વિશે વાત કરવા માટે કેવા અધિકારી હતા, તેનો ખ્યાલ સ્વામી આનંદની વાતમાંથી આવે છે. તેમણે લખ્યું છે કે ‘ઇશાવાસ્ય ઉપનિષદનો સમશ્લોકી ગુજરાતી અનુવાદ નાનાભાઈની આજ્ઞાથી મેં સને 1957-58માં કર્યો … આ ઉપનિષદના 9થી 14 મંત્રોના સંદર્ભો સમજવામાં પડતી મુશ્કેલી અંગે એ દિવસોમાં મેં ખાસી મથામણ કરેલી. વિનોબાજી, રાજાજી (ચક્રવર્તી રાજગોપાલાચારી) જોડે લખાપટી પણ કરી. પણ મનની ઘડ બેઠી નહિ. અંતે નાનાભાઈએ આપેલ ખુલાસા તેમ જ અરથ મેં સ્વીકાર્યા.’    

આવા અભ્યાસી નાનાભાઈ કર્મકાંડ વિશે શું માનતા હતા? ઐતિહાસિક સંદર્ભે તેમણે કહ્યું કે કર્મકાંડે આર્યોના પ્રીમિટિવ (આર્ષ) માનસને કમાવીને કેળવીને કૂણું કર્યું … તેમાં શિસ્ત દાખલ કરી, તેનાં શક્તિસામર્થ્ય ખીલવ્યાં, ગોત્રોના સમૂહ જીવનવહેવારનું ટેક્નિક વિકસાવ્યું. કર્મકાંડનો બીજો ફાળો તેમણે એ ગણાવ્યો કે કર્મનું ફળ તે કરનારને જ મળે એવો સિદ્ધાંત અફરપણે કર્મકાંડે બેસાડ્યો.

તેમાંથી જ આગળ જતાં વિશાળ અને અટલ એવો કર્મનો સિદ્ધાંત વિકસ્યો. આટલું કહ્યા પછી તેમણે એમ પણ કહ્યું કે ‘કર્મકાંડ એટલે … વિધિ-નિષેધની બહાર કશું જ કરવાની મનાઈ. જિંદગીનાં સ્વાભાવિક કર્મો, પ્રવૃત્તિઓ, માનવી સંસારવહેવારનાં કર્મો, સામાજિક કર્તવ્યો–કશાની નોંધનોટિસ કર્મકાંડના કાળવાળાઓએ સમ ખાવાય ન લીધી. આથી જ એ કર્મો બધાં મૂઢ, જડ, ફોસિલ્ડ (અશ્મિભૂત), દીવીના દાંડા કે ચાડા જેવાં હાંસીપાત્ર કાંડ બની ગયાં.’

‘મૂળે તો કર્મકાંડ પોતે પણ ઋગ્વેદનાં નકરાં રુચાગાન, પ્રાર્થનાઓ તેમ જ આશ્ચર્ય ઉન્માદના ઉદ્રેકો સામે એક પ્રકારના બળવારૂપે જ ઉપજેલો. નકરાં ગાન-ઉન્માદથી આગળ જઈને કંઈક કરવું, જેનાથી સ્વર્ગ-સુખ ઉપભોગ વગેરે મળે. આમાંથી સૂર્ય, વરુણ, અગ્નિ, ઇન્દ્ર (પર્જન્ય) આદિ દેવોને કશું નૈવેદ્ય અર્પણ કરીને પ્રસન્ન કરવાથી મનના મનરથો જોગું માગ્યું હોય તે મળે જ મળે. માટે દેવતાઓને આવાહ્્ન (આમંત્રણ), પૂજન, હવિશાન્ન (માણસનો બધો જ ખોરાક), દક્ષિણા આદિથી પ્રસન્ન કરવા જોઈએ, વગેરે માન્યતાઓ રૂઢ થઈ અને પ્રચારમાં આવી.’

નાનાભાઈ પોતે કર્મકાંડથી જડતાથી મુક્ત રહ્યા અને સંસારવહેવારનાં જ નહીં, નાગરિક તરીકેનાં કર્તવ્યો વિશે પણ સભાન-સજાગ રહ્યા. લોકશાહી વિશેની તેમની સમજ પાકી હતી, જે (તેમની ધાર્મિક સમજની જેમ જ) અત્યારે પણ પ્રસ્તુત છે. તેમણે કહ્યું હતું, ‘રાજ્યતંત્ર ગમે તેવું હોય —તંત્રનું બાહ્ય કલેવર રાજાશાહી હોય, લોકશાહી હોય, આપખુદ હોય, કૉમ્યુિનસ્ટ હોય, ગમે તે હોય— પણ પ્રજા પોતે જ જો તેજસ્વી હોય તો કોઈ પણ સરકારને પોતાના અંકુશમાં રાખી શકે છે.

પ્રજામાં-પ્રજાના મોટા ભાગના લોકોમાં જો આખરે ખુવાર થઈ જવાની પણ તાકાત હોય તો કોઈ પણ રાજ્યસત્તાનો ભાર નથી કે પ્રજાને પીડી શકે. પરંતુ રાજતંત્ર લોકશાહી હોય તો પણ જો પ્રજા નિર્માલ્ય હોય અને સત્તાધારીઓ સેવાભાવી હોવાને બદલે સત્તાલોલુપ હોય તો લોકશાહીના બહારના માળખાની અંદર પણ બીજી કોઈ શાહી ઢાંકેલી રહી શકે છે.’

ધર્મ અને રાજકારણ-લોકકારણને આ રીતે સમજાવાનારી ખોટ અને જરૂરિયાત સમય જતાં ઓછી થવાને બદલે વધી છે. તેનાથી પણ નાનાભાઈના વિચારોનું મૂલ્ય વધે છે.

સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 17 ડિસેમ્બર 2017

Loading

...102030...3,2153,2163,2173,218...3,2303,2403,250...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved