Opinion Magazine
Number of visits: 9583712
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખન્તીલા તન્તીલા અને એટલા જ આત્મશ્રદ્ધાળુ વ્યક્તિત્વની ઓળખ મળે એવા આસ્વાદ્ય કથનસૂરમાં આ કથા કહેવાઇ છે

સુમન શાહ|Opinion - Literature|7 January 2018

આ આત્મકથામાં જીવનલીલા જ છે, છતાં સર્જનાત્મક અભિવ્યક્તિની કલા રૂપે અનુભવાય છે ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ વિશે

ગાંધીજી જગજાણીતા; એટલી જ જાણીતી એમની આત્મકથા – સત્યના પ્રયોગો. પણ, મારે આજે જેની વાત કરવી છે એ આત્મકથાનું નામ છે, ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’. (ઇમેજ, ૨૦૧૬). એ ‘અજાણ્યા’ તે, નટવર ગાંધી. મૂળે સાવરકુંડલાના. ૧૯૪૦માં જન્મ. કેટલોક સમય મુમ્બઈમાં રહીને વરસોથી અમેરિકામાં વસ્યા છે. બી.કોમ., ઍલ.ઍલ.બી., ઍમ.બી.એ. અને પીએચ.ડી. અમેરિકામાં નાનીમોટી નોકરીઓ અને થોડો વખત પ્રોફેસરી કરેલી. પણ પછી તો રાજધાની વૉશિન્ગ્ટનના ટૅક્સકમિશ્નર-પદે અને છેલ્લે નાણાપ્રધાનની ઑફિસમાં સી.ઇ.ઓ.-પદે હતા. ૨૦૧૩-માં નિવૃત્ત થયા. ત્યારે ‘વૉશિન્ગ્ટનિયન’-ના પત્રકારને નિવૃત્તિ ચાર વર્ષ વહેલાં લેવાનું અનોખું કારણ આપેલું. કહેલું :

‘I have a new love in my life’ : એ ન્યૂ લવ તે આપણાં માનીતાં કવિ, પન્ના નાયક. પતિ નિકુલભાઈના અવસાન પછી, ૫૦ વર્ષના સહવાસ પછી, પન્નાબહેન; અને પત્ની નલિનીબહેનના અવસાન પછી, ૪૭ વર્ષના સહવાસ પછી, નટવરભાઈ, બન્ને, ૨૦૧૩-થી સાથે રહેવાનું નક્કી કરે છે, ને રહે છે. ત્યારે પન્નાબહેન ૮૦-નાં હતાં અને નટવરભાઈ ૭૩-ના. આ વિરલ પણ સુન્દર ઘટનાને સમાજ નહીં સમજી શકેલો. મિશ્ર પ્રતિભાવો જન્મેલા. જો કે નટવરભાઈનો પ્રતિ-પ્રતિભાવ એ હતો કે -I don’t give a damn…

આ વીગતો ૨૯૭-મા પાને એમણે પોતે આપી છે. પણ સાવરકુંડલાથી શરૂ થયેલી એમની વિકાસશીલ કારકિર્દી મને એમ સૂચવે છે કે નટવરભાઈનો first love તો બહુ પહેલેથી જાતના આત્મઘડતર સાથે હતો. હું ધારું છું, મૂજી અતડા એકાકી છોકરાએ ૭૬-ની ઉમ્મરે ૩૪૪ પાનની આત્મકથા પ્રકાશિત કરી તે એ ચકાસી જોવા કે જાતના ઘડતર માટે જીવનમાં પોતે અસાધારણ પરિશ્રમ કરેલો કે કેમ; કરેલો તો શું મળ્યું. વાંચ્યા વગર બોલનારા કહેવાના – આમાં વ્યાવસાયિક કારકિર્દીની વાતો હશે. ના. હું માનું છું કે એ first love-ને ચરિતાર્થ કરવા નટવરભાઈએ વ્યક્તિ તરીકે કેવીક પસંદગીઓ કરી, કેવાંક સામર્થ્યોને કામે લગાડ્યાં; પોતા પાસેથી શું લીધા કર્યું અને સામે, આસપાસના સંસારને શું આપ્યા કર્યું; એ નિરન્તરના વિનિમયની જાતતપાસનો આ આત્મકથા, જાહેરમાં મૂકેલો પાકો અંગત હિસાબ છે. પણ જિન્દગીની એવી લૅણાંદેણીનો આત્મકથાકારે શો સાર મેળવ્યો છે? એ કે સાધના અધૂરી છે. નટવરભાઈ જીવનજોદ્ધાની જેમ જિન્દગીને એ જ તિતિક્ષાથી તાકી રહ્યા છે. આટઆટલી સિદ્ધિઓ પછી પણ એમના આત્માને જાણે હાશ નથી થઈ. એવા ન-લૌકિક અસંતોષની નોંધ લેતાં મને સારું લાગ્યું છે. કેમ કે એ જ તો છે આત્મકથા કથવા માટેનું ખરું પ્રયોજન ! એ જ તો છે આત્મકથા વાંચવા-જાણવા માટેનું કારણ. બાકી, પદપ્રતિષ્ઠા ને પૈસાથી ધરાયેલા તો શુંયે લખે ને વાચકો શુંયે પામે !

કૉલમની મર્યાદામાં પૂરું નહીં કહી શકું. સ-વીગત વિવરણ પણ નહીં કરી શકું. પણ મારાં મન્તવ્યો હમેશાં સુચિન્તિત હોય છે. એને શ્રદ્ધેય ગણવાં. બુકટાઇટલ પરની છબિઓ સૂચવે છે કે આ માણસના કાળા વાળ ધોળા થઈને હાલ ટાલ પડી છે તે ધ્યેયસિદ્ધિ માટેના એના પ્રામાણિક સંઘર્ષનું પરિણામ હશે. ઇન્ડિયા અને અમેરિકામાં વ્હૅંચાઈ ગયેલી કારકિર્દીની કથા નટવરભાઈએ એવા બે ભાગમાં કરી છે. ઠેર ઠેર પેટાશીર્ષકોથી સમગ્ર કથાને રેખાન્કિત કરી છે. એથી વાચનયાત્રીને મુકામે મુકામે થોભ્યાની રાહત અને વિશ્રામ મળે છે. મને ખાતરી છે કે આ પછીના વાક્યમાં હું સૂચવીશ એ શીર્ષકોમાં મુકાયેલાં નિરૂપણોને વાંચી જનારા વાચકો આખું પુસ્તક વાંચી નાખશે : વાર્તા લાગે એ હદે પ્રસંગોને આલેખવાની લેખકની સૂઝબૂઝ માટે અનેક શીર્ષકો સૂચવી શકું, પણ આ એક અનિવાર્ય છે : (પિતાશ્રીના મોટાભાઈ) બાપુજીનું ગાંડપણ : સાવરકુંડલાનિવાસ દરમ્યાન આશાએષણાઓ અને ભાગી છૂટવાની ઝંખના જાગી, તાલાવેલી લાગી, એ માટે : નીરસ બાળપણ. રેઢિયાળ ઉછેર. મારો વિચિત્ર સ્વભાવ : મુમ્બઈનિવાસ દરમ્યાન કૉલેજમાં ગયા, નોકરીઓની હાડમારીઓ વેઠી, એ માટે : હું કૉલેજિયન થયો. નોકરી મળી, પણ પગાર વગરની. ડેડ એન્ડ નોકરી : સાહિત્ય તેમ જ રાજકીય પરિવેશની જાણકારીથી ઉઘાડ અનુભવ્યો એ માટે તેમ જ મિત્રો વિશે : રતિભાઈ. જારેચા અમેરિકા ઉપડ્યા. સાહિત્યનો શોખ લાગ્યો. મુમ્બઈનું વિશાળ સાંસ્કૃિતક જગત : નલિનીબહેન સાથેનો ગૃહસ્થાશ્રમ જાણવા : માથેરાનમાં હનીમૂન. એક ઓરડીનો અમારો ગૃહસ્થાશ્રમ : દામ્પત્યજીવનની કઠિન પરિસ્થિતિઓ અને પતિના ખુલ્લા દિલના એકરાર માટે : નલિનીનું દુ:ખદ અવસાન : અમેરિકા-ગમન તેમ જ ઍટલાન્ટા અને વૉશિન્ગ્ટનનિવાસ દરમ્યાનની બૃહદ્ જીવનરસકહાણી માટે : પ્લેનની પહેલી મુસાફરી. કાળા લોકોની યુનિવર્સિટી. ગોરી પ્રજાનો પહેલો પરિચય. મિસફિટ. વૉશિન્ગ્ટન – જી.એ.ઓ.(આખું પ્રકરણ). હું સી.ઍફ.ઓ. થયો : એ ઉચ્ચ પદે પ્હૉંચ્યા અને મુશ્કેલીઓનો જિગરથી સામનો કર્યો એ આત્મશક્તિના પરિચય માટે : વૉશિન્ગ્ટનનું ટૅક્સકૌભાંડ – મારા જીવનની મોટી કસોટી. વાહ વાહ અને હુરિયો : છેલ્લે, નિવૃત્તિ લેવાનો નિર્ણય.

આત્મકથાનું સાહિત્યિક મૂલ્ય છે. એ ઇતિ-હ-આસ નથી, સર્જનાત્મક લેખન છે. આ કથા પણ દસ્તાવેજ કે વહીવંચો નથી. હકીકતસમૃદ્ધ જીવનલીલા જ છે, છતાં સતત સર્જનાત્મક અભિવ્યક્તિની કલા રૂપે અનુભવાય છે. સાહિત્યિક મૂલ્યનો અર્થ એ પણ ખરો કે આત્મકથામાં ક્યાંક ટૂંકીવાર્તા અને નવલકથાની અસરો પણ પ્રગટતી હોય. આમાં, બનાવો પ્રસંગો પરિસ્થિતિઓ અને ઘટનાઓથી એવો સંમિશ્ર કથારસ પ્રગટ્યો છે. સુજ્ઞ વાચક અનુભવશે કે પોતાની સામે એક દીર્ઘ કથા આળેખાતી ભજવાઈ રહી છે. ગુજરાતી અને દેશીવિદેશી સાહિત્યકારો ચિન્તકો ને રાજનીતિજ્ઞોના ઉલ્લેખોની સાથોસાથ, એમણે પોતાના વિચારજગતની પણ ઝાંખી કરાવી છે. લાગે કે નટવરભાઈ તેજસ્વી વિચારક વ્યક્તિ છે. હું ભૂલી ગયેલો કે પૃથ્વીછંદ-પ્રભુ એઓ ત્રણ કાવ્યસંગ્રહોના કવિ છે; પણ પછી યાદ આવી ગયેલું. ‘અનંતસ્પર્શીય આદર્શની પ્રાપ્તિ’ જેવો સુ-સંસ્કૃત પ્રયોગ કરી શકે છે. તેમ છતાં એમની કહેણી – સ્ટાઇલ ઑફ નૅરેશન – સરળ છે.

ખાસ તો મારે એ કહેવું છે કે એમણે એમના ખન્તીલા તન્તીલા અને એટલા જ આત્મશ્રદ્ધાળુ વ્યક્તિત્વની ઓળખ મળે એવા આસ્વાદ્ય કથનસૂરમાં આ કથા કહી છે. એ સૂર ઊર્મિલ અને રસપ્રદ છે. એમાં રણકાર છે, સાચકલાઇ છે. ત્રુટિઓના નિખાલસ એકરાર છે. નાનીમોટી લબ્ધિઓના આછાપાછા સંતોષોની ઝલક છે. નટવરભાઈએ આત્મનિરીક્ષાપૂર્વક પોતાનું હૃદય ઠાલવી દીધું છે. લાગે કે બધું આત્માની સાક્ષીએ બોલ્યા છે. છતાં, જીવનપુરુષાર્થ વિશે તુષ્ટ નથી દીસતા. પણ, ના; સાવરકુંડલાના પારિવારિક લાડ-પ્યાર વિહોણા ઉત્સાહ-ઉલ્લાસહીન વાતાવરણમાંથી જે જણ સર્વ વાતે સજ્જ થવાને આત્મશ્રદ્ધાપૂર્વક ભાગ્યો, એટલે કે, મારી દૃષ્ટિએ in the making-માં પરોવાયો, કઠિનતર American Dream-માં જોતરાયો અને જીવનસત્યો પામ્યો, એ આત્મબોધની આ એક સાફલ્યગાથા છે. મને કહેવું ગમે છે કે કથાનાયકે meaningless જીવનચક્રને meaningful-ની દિશામાં પૂરા આત્મબળથી ઘુમાવી જાણ્યું છે. એને અવલોકવાથી સાહિત્યનો રસસંતર્પક અનુભવ મળે છે. વિલક્ષણ જીવનપ્રેરણા મળે છે.

પુસ્તકોની આવી સીમિત ઓળખ આપ્યા પછી હારીછૂટીને હું કહેતો હોઉં છું – દોસ્તો, જાતે વાંચી લેજોને; પ્રસન્ન થઈ જશો. ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ માટે પણ એમ જ કહું છું. પણ જણાવું કે એને આપણા પ્રસિદ્ધ આત્મકથા-સાહિત્યમાં ઝડપથી ઉમેરી લઇએ. આપણા યુનિવર્સિટી-અભ્યાસક્રમોમાં વહેલી તકે દાખલ કરી દઈએ.

શનિવાર, તારીખ ૬/૧/૨૦૧૮-ના રોજ, “નવગુજરાત સમય” દૈનિકમાં પ્રકાશિત આ લેખ, પ્રેસના સૌજન્યથી અહીં મૂક્યો છે.

e.mail : suman.g.shah@gmail.com

Loading

આંતરજાતીય લગ્ન અને સ્ત્રીના ધર્મની દ્વિધા

રંજના હરીશ|Opinion - Opinion|7 January 2018

વિશ્વભરમાં સ્ત્રીનું લગ્ન એટલે જાણે તેનો પુનઃ જન્મ. લગ્ન સાથે તેનું નામ, અટક, ઘર, પરિવેશ અને ધર્મ બધું જ બદલાઈ જાય ! સ્ત્રી જે પુરુષને પરણે તે પુરુષનો ધર્મ તે જ તેનો ધર્મ બની જાય ! આ પિતૃસત્તાક પ્રથા સદીઓથી વિશ્વભરમાં પ્રવર્તે છે. ખાસ કરીને ભારતમાં તો ખરી જ.

હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કે પારસી, જેવા ભારતના બધા જ ધાર્મિક સમાજોમાં લગ્ન પછી સ્ત્રીના નિર્વિવાદપણે ધર્મપરિવર્તનને સ્વીકારી લેવાયું છે. ટૂંકમાં સમાજ આખો સ્ત્રીને પુરુષના નામે, પુરુષના ધર્મે, અને પુરુષના સંદર્ભે જ ઓળખતો રહ્યો છે. અને તેનાં માઠાં પરિણામો સ્ત્રીએ સહન કર્યાં છે. જ્યાં લગભગ કોઈ જ સ્ત્રી આવા અન્યાયનો વિરોધ સુદ્ધાં કરતી નથી, જ્યાં લગ્ન બાદ નવું નામ, નવી અટક અને નવો ધર્મ આંતરજાતીય લગ્નની પરિણીતા પોતાના ભાગ્યરૂપે સ્વીકારે છે, ત્યાં આવા પિતૃસત્તાક ધાર્મિક વલણની વિરુદ્ધમાં થોડા જ સમય પહેલાં એક પારસી સ્ત્રી મેદાને પડી. શ્રીમતી ગુલરુખ એમ. ગુપ્તા નામની જન્મે પારસી, પરંતુ લગ્ન બાદ હિન્દુ બનેલી તથા ગુપ્તા અટક ધરાવતી સ્ત્રીએ વલસાડના પારસી ટ્રસ્ટ સામે કાનૂની ફરિયાદ નોંધાવી.

ફરિયાદ એવી હતી કે પારસી સમાજ દ્વારા ચલાવાતા વલસાડ પારસી ટ્રસ્ટના હોદ્દેદારોએ પોતાના સમાજના નિયમોને ધ્યાનમાં રાખતા નોન પારસી પુરુષને પરણેલ આ યુવતીને પારસી અગિયારી કે પારસી સ્મશાનગૃહમાં જવા પર નિષેધ ફરમાવ્યો હતો. પારસી સમાજના નિયમ પ્રમાણે તેમના ધાર્મિક સ્થળોમાં પ્રવેશવાનો હક ફક્ત પારસીઓને જ હોય છે. નોન પારસીમાં પરણેલ દીકરીઓને લગ્ન બાદ ધર્મસ્થાનમાં પ્રવેશવાનો હક રહેતો નથી. દેખીતું જ છે કે ગુલરુખનો લગ્ન બાદ ધર્મ બદલાઈ ગયો હતો. તેણે પતિનો ધર્મ અંગિકાર કર્યો હતો. અને તેથી હવે તે પારસી રહેતી નથી. પારસી ન હોવાને કારણે હવે તેને પારસી ધર્મસ્થાન કે પારસી સ્મશાનગૃહમાં પ્રવેશવાનો હક રહેતો નથી. અને તેથી ગુલરુખ પોતાના વૃદ્ધ માતા-પિતાની અંતિમક્રિયા કરી શકશે નહીં ! પારસી ટ્રસ્ટના આ નિર્ણય વિરુદ્ધ ગુલરુખે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી. સુનાવણીને અંતે ગુલરુખના પ્રતિપક્ષીઓ જીતી ગયા. હાઈકોર્ટે ગુલરુખને સ્મશાનગૃહમાં પ્રવેશીને માતા-પિતાની અંતિમક્રિયાના હક ન આપ્યા !

હાઈકોર્ટનો આ ચુકાદો ગુલરુખને સ્વીકાર્ય ન હતો. તેનો તર્ક હતો કે જે ધર્મમાં તે જન્મી હતી તે ધર્મમાં આજીવન રહેવાનો અધિકાર તેને મળવો જોઈએ. પોતાની આ માન્યતાને સાચી ઠેરવવા ગુલરુખે એક ઓર ન્યાયિક જંગ લડવાનો નિર્ણય કર્યો. અને તેણે હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો. નામદાર સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયમૂર્તિઓની બેન્ચે આ કેસને સાંભળ્યો અને તેમણે ગુલરુખની તરફેણામાં ચુકાદો આપતાં જણાવ્યું કે, લગ્ન બાદ પત્નીએ પતિનો ધર્મ ફરજિયાતપણે સ્વીકારવો પડે તે આગ્રહ ન્યાયિક નથી. સ્ત્રીની પોતાની ઇચ્છા પ્રમાણે તે જે ધર્મ સ્વીકારે તે સ્વીકારવાનો તેને હક છે … તેથી આ કેસ કરનાર ગુલરુખ ગુપ્તા નામની હિન્દુ પુરુષને પરણેલી પારસી સ્ત્રીને પારસી પંચાયત કે ટ્રસ્ટ 'ટાવર ઓફ સાયલન્સ'(પારસી સ્મશાનગૃહ)માં પ્રવેશતી અટકાવી શકે નહીં. નામદાર સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ફક્ત ગુલરુખ નામની એક સ્ત્રીને જ ન્યાય આપતો નથી, પરંતુ આખી પારસી સ્ત્રી જાતને એક વિશેષ ધાર્મિક હક આપે છે. આ ચુકાદાથી ગુલરુખ ખુશ છે, તે જીતી ગઈ છે. હવે તે તથા નાતબહાર પરણેલી બે બહેનો પોતાના 84 વર્ષનાં માતા-પિતાની અંતિમક્રિયા કરી શકશે.

સ્ત્રીઓને ન્યાય આપવા માટે પ્રતિબદ્ધ અદાલતના નિર્ણયનું સ્વાગત છે. આ નિર્ણય સ્ત્રીને પોતાની માલિકી ગણનાર પિતૃસત્તાક સમાજના માઈન્ડ સેટથી હઠકે વિચારવાની સ્વસ્થ શરૂઆત કરે છે. પરંતુ સહેજ ગંભીરતાથી વિચારીએ તો સમજાય કે આવો ચુકાદો સ્ત્રીને બે ધર્મો વચ્ચે વહેંચાયેલું જીવન જીવવાની છૂટ આપી રહ્યો છે. ગુલરુખે પોતાના પતિનો ધર્મ તથા અટક અપનાવ્યા છે. લગ્ન બાદ તે ગુલરુખ ગુપ્તા બની છે. એટલે કે હવે તે હિન્દુ છે, અને હિન્દુ રહીને, હિન્દુ ધર્મ ઉપરાંત હવે નામદાર કોર્ટ તેને પારસી ધર્મનો પણ હક આપી રહી છે. અને અન્ય ધર્મ અંગિકાર કરી ચૂકેલ મૂળ પારસી સ્ત્રીને ન્યાયાલય પારસી ધર્મમાં પોતાની આસ્થા ધરાવવાનો હક આપી રહી છે.

આ પ્રમાણે આંતરજાતીય લગ્ન કરનાર પારસી સ્ત્રીને હિન્દુ બની હોવા છતાં પારસી ધાર્મિક હકો મળી રહ્યા છે. તો પછી પારસી પુરુષને પરણેલ હિન્દુ સ્ત્રીનું શું ? તેનો વિચાર પણ કરવો જોઈશે. આવી, હિન્દુમાંથી પારસી બનેલ, સ્ત્રીની પરિસ્થિતિ શું છે તે પણ જોવું પડશે. આવી સ્ત્રીઓને પારસી ધર્મ અપનાવતો નથી. તેમને અગિયારી કે ધાર્મિક સ્થળોમાં પ્રવેશનો હક હોતો નથી. અલબત્ત, પારસી પતિથી જન્મેલ એ હિન્દુ સ્ત્રીના બાળકોને પારસી પંચાયત પારસી તરીકે ચોક્કસ સ્વીકારે છે અને હકો પણ આપે છે.

લગ્ન બાદ પારસી બનેલી આવી હિન્દુ સ્ત્રીઓના ધાર્મિક હક વિશે વિચારતા મને વર્ષો પહેલાંની મારી એક બહેનપણીનું સ્મરણ થયું. મારી એ બહેનપણીએ આઈ.આઈ.એમ.માંથી એમ.બી.એ. કર્યું હતું. અને અભ્યાસ દરમિયાન જ પોતાના એક સહાધ્યાયી પારસી પુરુષ સાથે તેને પ્રેમ થયો હતો. બંને પક્ષોની અસંમતિને ઉપરવટ થઈ, તે બંનેએ આંતરજાતીય લગ્ન કરી લીધેલાં. અને ભારત છોડી યુ.એસ.માં સ્થાયી થવા નિર્ણય કરેલો. મને જાણવા મળેલું કે યુ.એસ.માં મારી બહેનપણીએ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી પીએચ.ડી. કરેલ. અને હવે તે કોઈ સારી કંપનીમાં સી.ઈ.ઓ. છે. તેના પારસી પતિએ પણ આગળ અભ્યાસ કર્યો ને ત્યારબાદ કોઈ યુનિવર્સિટીમાં ફેકલ્ટી તરીકે જોડાયો હતો. વર્ષો બાદ તેની ભારતયાત્રા દરમિયાન જ્યારે અમે મળ્યાં ત્યારે મને બે સોહામણા પુત્રોની માતા એવી મારી અત્યંત સફળ બહેનપણીને જોઈને ખૂબ આનંદ થયો. દોમદોમ સાહ્યબીમાં મ્હાલતી મારી એ બહેનપણી લોકોની ઇર્ષાનું કારણ હતી. પરંતુ અમે બંને એકલા મળ્યાં, ત્યારે તેણે પોતાના મનની વાત મને કરી. તેણે કહ્યું કે અલબત્ત તે એક સફળ સી.ઈ.ઓ. હતી. એક સારી પત્ની હતી. બે પુત્રોની માતા હતી અને તેના પતિ અમેરિકાની નામાંકિત યુનિવર્સિટીમાં પ્રેસિડેન્ટ (કુલપતિ) પદે બિરાજતા હતા. આ બધું જોતા લોકો માનતા હતા કે તે સુખી હતી. પણ વાસ્તવમાં તે તદ્દન એકલવાયી હતી.

મને આશ્ચર્ય થયું. આવી ભરી ભરી જિંદગીમાં તે એકલવાયી કઈ રીતે ? તેણે મને કહ્યું, 'મારી એકલતા સામાન્ય નથી. એ એક આધ્યાત્મિક એકલતા છે.' આસપાસના લોકોને અત્યંત સુખી દેખાતી મારી બહેનપણીના મનમાં ઊંડે ઊંડે દુઃખ હતું. અમેરિકામાં વસતા તેના નાનકડા પરિવારમાં ત્રણ વિરુદ્ધ એકની આ એકલતા હતી. કુલ ચાર જણના પરિવારમાં ત્રણ જણ પાક્કા પારસી હતા. જેણે પોતાનો હિન્દુ ધર્મ ત્યજીને પતિનો પારસી ધર્મ અપનાવ્યો હતો, તેવી મારી બહેનપણી પોતાના પરિવારના ત્રણ સભ્યની જેમ પારસી નહોતી ! પારસી હોવા છતાં તેને હિન્દુ માનવામાં આવતી ! મહિને એકાદ વાર પોતાના નિવાસસ્થાનથી સાંઈઠએક માઈલની દૂરી પર આવેલ પારસી અગિયારી જવાનો ક્રમ જીવનભર ચાલ્યો. પણ જ્યારે પણ અમેરિકામાં સ્થિત આ પારસી કુટુંબ અગિયારીએ જતું ત્યારે કુટુંબના ત્રણ સભ્યો એટલે કે મારી બહેનપણીનો પતિ અને તેના બે પુત્રો તેને મૂકીને અગિયારીમાં પ્રાર્થના કરવા જતા. પારસી પંચાયતના નિષેધને કારણે પારસી ધર્મમાં ન જન્મેલ તેવી તેને ધર્મસ્થાનમાં પ્રવેશવાનો હક નહોતો ! 'દર મહિને અગિયારીની બહાર જીવનની એકલતાનો આ અનુભવ જીરવવો મારે માટે કપરો છે. એ મને સતત યાદ અપાવે છે કે હિન્દુ ધર્મ ત્યજીને હું પારસી પતિ ખાતર પારસી બની, પરંતુ ત્યાં મારો સ્વીકાર પૂર્ણપણે ન થતાં મારી સ્થિતિ ધોબીના કૂતરા જેવી છે, ન ઘરનો કે ન ઘાટનો' તે બોલી.

મારી બહેનપણીની આવી સૂક્ષ્મ આધ્યાત્મિક એકલતાની વાતે મને અંગ્રેજી કવિ ટેનિસનના લોકપ્રિય કાવ્ય 'ફોરસેકન મરમેન'(ત્યજાયેલ મત્સ્યપુરુષ)ની યાદ અપાવી. આ કાવ્યમાં એક સ્ત્રી પોતાનું સર્વસ્વ ત્યાગીને સમુદ્રના જીવ એવા એક મરમેનના પ્રેમમાં પડે છે. સ્ત્રી પતિના વિશ્વમાં જઈને વસે છે. અને તેના બાળકોની માતા પણ બને છે. પરંતુ તેને સતત અજંપો રહે છે. આ સ્ત્રીને લાગ્યાં કરે છે કે તેનું અંતરમન કંઈક ઓર જ ઝંખી રહ્યું છે. છેવટે એકવાર સમુદ્રના પેટાળમાંથી પત્નીના વિશ્વને જોવા દરિયાકાંઠે આવેલ મરમેન તથા તેના બાળકોને ત્યજીને તે સ્ત્રી સુદૂર દેખાતા દેવળોમાં પ્રાર્થના કરવા પહોંચી જાય છે. પતિ તેને રોકે છે, પરંતુ પેલી તેને કહે છે, 'મારા વિશ્વમાં ઈસ્ટરનો સમય એટલે દેવળમાં જવાનો સમય. પ્રભુને પ્રાર્થના કરવાનો સમય. મને જવા દે.' અને બસ એ પોતાના પતિ તથા બાળકોને ત્યજીને પોતાની આધ્ચાત્મિક એકલતાનો તોડ શોધવા પોતાના લોકો તથા પોતાના ઈશ્વરને મળવા ચાલી જાય છે.

'ફોરસેકન મરમેન'ની નાયિકા સ્ત્રી અને મારી બહેનપણીના જીવનમાં સામ્ય પણ છે અને ભિન્નતા પણ. મરમેનને પરણેલ સ્ત્રી પોતાની ઇચ્છા મુજબ પોતાના ધર્મસ્થાનમાં જઈને પ્રાર્થના કરવા બેસી જઈ શકી, પરંતુ પારસીને પરણેલ મારી હિન્દુ બહેનપણી આજે પણ ધર્મસ્થાનની બહાર જ રાહ જોતી એકલી બેઠી છે !

તા.ક. સ્મૃિતનું કામ પણ અવળચંડુ. સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે વાંચતાંની સાથે મને મારી વર્ષો જૂની બહેનપણી સ્મરી. જાણે એ મને કહી રહી હતી 'મને પણ ન્યાય જોઈએ. મને પણ અગિયારીમાં પ્રવેશ જોઈએ.'

E-mail : ranjanaharish@gmail.com

Loading

દશ કાવ્યો

દેવીકા ધ્રુવ|Poetry|7 January 2018

– 1 –

દરિયાને થાય

દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય, બનું દરિયો.
કાંઠા તો બેઉ કહે આંગળી ચિંધીને કે તારો ખજાનો છે ભરિયો ..

મર્કટ આ મનડું તો આમતેમ ભટકે,
     સઘળું હો પાસ પણ ક્યાંક્યાં જઈ અટકે.
ઊંચેરાં વાદળની આંખ છે ધરા પર,
ને ધરતીની વરાળ જાય આભ પર.
સદીઓ વીતી, ના જાણે કોઈ ક્યારે આ ભીતરનો દરિયો.
દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય, બનું દરિયો.

છે મઝધારે રહેવાનું આકરુંઅકારું,
ને કિનારે પહોંચવાને હામ હું ન હારું.
જો સમંદર, અંદરથી ફીણ-ફીણ થાતો,
અડકી રેતીને વળી પળમાં વળોટાતો.
‘નથી’ તે પામવાની ઝંખનાએ એને તળિયેથી ઊંચકીને ફેરવ્યો.
દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય, બનું દરિયો

– 2 –

શબ્દોની નાવ

‘શબ્દોની નાવ’ લઈ ચાલી સવારી, સંવેદનાના સાગરમાં તરતી,
ભાવો-અભાવોના કાંઠાની વચ્ચે, આ ‘અક્ષર હલેસે’થી સરતી,
મારા, તારા ને કદી આપણાયે રસ્તાઓ, છેદી-ભેદીને બસ,
મસ્તીથી આગળ ને આગળ, સમયની ધારે વિહરતી … શબ્દોની નાવ લઈ ચાલી સવારી

ધાર્યું’તું, ઊંડે જઈ, ડૂબકી મારીને પછી, ભીતરનાં મોતી લઈ ધરશું,,
ફૂલ સમી કોમળ ખૂબ માળાઓ ગૂંથી, આ હૈયાના હારને પહેરાવશું.
પણ ખેવનાના હાથમાં અક્ષરનું જ હલેસું, ધસમસતાં ભાવ-પૂર નાથતી,
લો, કવિતા સિવાય કંઈ બીજું ના ધરતી…શબ્દોની નાવ લઈ ચાલી સવારી

કહે છે કે પાંખ હોય તો ઉડાય ને દૂર ઊંચે વાદળને ય અડાય,
ને પંખીની જેમ મન ફાવે ત્યાં જવાય ને ફૂલ જેવાં હળવા રહેવાય
કલમ સહેલી આ વાત પાડે ખોટી ને ખેંચે આંગળીઓને ઝાલતી,
એ તો દોડે, ઊડે, અરે! સૂરજ ને ચાંદ લગી પહોંચે, નીતરતી …. શબ્દોની નાવ લઈ ચાલી સવારી ..

– 3 –

સોનેરી રજકણ

વાદળદળની ધારે ફરતી, સોનેરી કોર સળવળસળવળ,
નાની શી એક રજકણ ખોલે, આભલું આખું ઝળહળઝળહળ.

કોઈ આવી પીંછી લઈને, ચીતરે સુંદર રંગ અનોખા,
દિવ્ય મનોહર દૃશ્ય અનુપમ, નિખરે સઘળા વિશ્વે હરપળ.

શાંત પડેલી લાગણીઓના, ધુમ્મસ-છાયા પડળો ઘેરા,
કંકર પડતાં વલયો રચતા, જળનાં તળ તો ખળભળખળભળ..

ખોલે અચાનક મનના દ્વારે, દૂરથી પ્રેમે હાથ પસારી,
સમજણ કેરી રજકણ ખોલે, નયને અશ્રુ ઝળઝળઝળઝળ.

પાંપણના પલકારા સરખી, પળની અહીં છે આવન-જાવન,
આદિ-અંત છે નોખા–અનોખા, જડ-ચેતનના નિશ્ચય પ્રતિપળ.

– 4 –

અલ્લડ આ મેઘ

અલ્લડ આ મેઘને થયું શું સવારે? કે સૂરજની બત્તી બુઝાવીને આવે!
છેડ્યો હશે મલ્હાર કોઈ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે!

પાગલ પવનનાં અંગ મહીં સૂરો,
ફૂંકી ભરીને લીલાં પાનને નચાવે !
શ્વેત આ પ્રભાત પર શ્યામરંગી ચાદર
પાથરીને પ્રેમભીની રમઝટ મચાવે.
અલ્લડ આ મેઘને થયું શું સવારે? કે સૂરજની બત્તી બુઝાવીને આવે!

પંખીના કલરવને મબલખ આ ધાર,
ગગનની ગરજનને નવલખ આ ઝાર,
મખમલી ઊર્મિને મનભરી અડકે ને છેડે,
ને ધરાનો કુદરતી રાસ એ રચાવે !
અલ્લડ આ મેઘને થયું શું સવારે? કે સૂરજની બત્તી બુઝાવીને આવે!

રોમરોમ જાગે ને વાગે શરણાઈઓ,
ભીતરના જીવ મહીં શિવને જગાડે,
હૈયાના મંદિરમાં મૌનનો ઘુમ્મટ લઈ,
અનંતના આનંદની ધ્વજા ફરકાવે.
અલ્લડ આ મેઘને થયું શું સવારે? કે સૂરજની બત્તી બુઝાવીને આવે!

– 5 –

મેળો

મનના મેદાને આ જામ્યા છે મેળા ને મેળામાં લોક નવા આવ્યાં છે ભેળા.

સગપણનાં ચક્ડોળ તો હારે ને હારે,
બચપણથી ફરતાં રોજ રેશમને તારે.
વળગણ થઈ ઘૂમતાં સૌ સાથે ને માથે,
ને ગણગણતા ઊમટે જેમ સાગરકિનારે.
લઈ મોજાં સમ ઘેલાં આ જામ્યા છે કેવાં, લો, મનના માંડવડે આ ઉમટ્યા છે મેળા.

ક્યાંક ઇચ્છાના રંગીન બે ફુગ્ગાઓ ફૂટે,
ને બર્ફીલા ઠંડાગાર ગોળાઓ છૂટે.
આ ફૂટવા, છૂટવાની વચ્ચે એક હાલતો,
લોલક શો હીંચકો તો હૈયું હલાવતો,
ટકરાતા ટોળાંથી, અળગા સવેળા, તો ઠમકારે મહાલે ભીતરના આ મેળા..

વાળુ વેળાએ મેળો વિખરાતો જાય,
ગોળ ગોળ ચકરાવો વિરમાતો થાય,
પલમાં તો લોક સૌ અલોપ થતાં જાય,
બાંધેલી ધમણો પણ ઓસરતી થાય,
ત્યાં હળવા મૂકેલા મારગ અલબેલા, ત્યાગી જે માણે માયાના આ મેળા….

– 6 –

પલના પલકારે

રોજ રોજ નજરોની સામે જ દિવસ ને રાત, કેવું હરતું ને ફરતું,
સાવ કાચી માટીનું સજેલું આ પૂતળું, ક્યારે કાયાને બદલતું.
કાલ તો કરતી’તી રેતીની નાની શી ઢગલી,
ને ફરતી’તી આંગણ લઈ મખમલી પગલી.
યુગ તણાં વહેણમાં આ ક્ષણ મહીં સરતી,
એકાએક જાત તો યુવાન થઈ ઊછળતી.
પૂછો તો પૂછો, કોઈ કોને કે કેવી રીતે ને કોણ કરતું?
કોની કરામત ને કેવાયે તારથી જાદુઈ ખેલ બધા રચતું…..સાવ કાચી

પાનખર-વસંત ને ઋતુઓની રીત સમી,
ચડતી જવાનીનાં પૂર જાય ઓસરી.
એક દિન દર્પણ દેખાડે કરચલીનાં જાળાં,
ને અંગો સહુ માંગતાં સમારકામ આળાં.
ત્યારે દેહમાં પુરાયેલ નાનકડું હંસલું ભીતર ને ભીતર ફફડતું,
ઊડી જઈ પંખીની જેમ એમ પાછું, કોઈ નવા પીંજરમાં જઈ વસતું.
આ નર્તન અનંતનું પલના પલકારે, ક્યારે ને કોણ હશે કરતું?
સાવ કાચી માટીનું સજેલું આ પૂતળું ક્યારે કાયાને પલટતું.

– 7 –

કૃષ્ણ-રાધા પ્રેમસંવાદ

પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, વ્હાલપથી કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
સાચુકડું કે’જે, શું ચાહત તું શ્યામ?
પૂછે કાં રાધા, આમ અણગમતું કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
સાચુકડું કહેજે, તું જાણે ના જવાબ?

પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, ધીરેથી કાનમાં,
અગર જો હોત ના ગાયો ને ગોપી,
તો મથુરામાં વાસ કરી, ખેલત તું હોળી ?
પૂછે કાં રાધા, આમ, અમથું  સાવ કાનમાં,
અગર જો હોત, ના ગાયો ને ગોપી,
તો સઘળું સરજીને હા, ખેલત હું હોળી !

પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, હળવેથી કાનમાં,
અગર જો હોત ના છીદ્ર આ વાંસળીમાં,
વિંધ્યા વીણ સૂર, શું રેલત તું વાંસળીના?
પૂછે કાં રાધા, આમ ખોટું ખોટું કાનમાં,
અગર જો હોત, ના છીદ્ર આ વાંસળીમાં,
વિંધ્યા વીણ સૂર, શું પામત તું વાંસળીના?

પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, સ્નેહેથી કાનમાં,
અગર જો મોરપીંછ હોત જરા પીળુંપચ,
સાચુકડું કે’જે, શું રાખત તું શીર પર?
અગર જો મોરપીંછ, હોત આ પીત્તરંગ,
રુદિયાનો રંગ ભરી, રાખત હું શીર પર!

પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, વ્હાલપથી કાનમાં,
અગર જો રાધા હોત જરા શ્યામ,
સાચુકડું કે’જે, શું ચાહત તું શ્યામ?

પૂછ ના, પૂછ ના ગોરી, મનમાની, તું આવ જરા ઓરી,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
શ્યામ રંગ, શામ સંગ, આમ દિસત એકાકાર!

– 8 –

અતિ સ્નેહ

બન્ને હાથની નાજુક હથેળીમાં મૃદુતાથી મુજને પકડે છે તું,
ને સાચવી સાચવીને ખુદની નીકટ ખૂબ જકડે છે તું.

પાંદડી સમ પલભર સહેજ જ જો સરકું,
તો ગભરાય છે મન તારું પારેવા સરખું,
પછી ફૂલ જેવી હળવાશે અડકે,
અતિ કોમળતાથી ઝટ દઈ પકડે,
સાચવી સાચવીને ખુદની નીકટ ખૂબ જકડે છે તું.

આપે છે ધ્યાન અવિરત દિવસ–રાત
મુજમાં જુએ છે વળી ખુદની તું જાત,
હું ના હોઉં સાથ, તો સૌ સાથ ઝઘડે,
રાતોચોળ ચહેરો લઈ સૌની પર બગડે.
સાચવી સાચવીને ખુદની નીકટ ખૂબ જકડે છે તું.

પ્રેમમાં પાગલ દીઠાં ઘણાંયે રોઈ, ધોઈને,
આવો તે સ્નેહ કદી કોઈએ, કીધો છે કોઈને?
ચેતન હરાતું જ્યાં લાગે ને સાદ જરા રગડે,
ક્ષણના વિલંબ વગર પ્રાણ પૂરી ખુશ થાય મનડે
સાચવી, સંભાળીને ખુદની નીકટ ખૂબ જકડે છે તું.

િલ. તારો પ્રિય મોબાઇલ …

– 9 –

કુદરત

ધરતી લીલી સાહેલી ને સૂરજ તો જગ સાજન,
કોમળ કુણો તડકો વીંટે અંગઅંગ મનભાવન.
નૂતન ફૂટતી કળીઓ આણે મનમાં થનગન ફાગણ,
વાયુ લાવે સંદેશાઓ વાદળ જાણે વ્હાલમ.
ઊંચા અદકા પરવત ભરતા ચિંતનની કો’ ગાગર,
તળિયે ખળખળ વ્હેતાં ઝરણાં લાગે પગનાં ઝાંઝર.
નીર નદીનાં નિર્મલ રાખે અંતરતલને પાવન,
પંખી મધૂરાં ગીતો ગાતાં તરુવર જાણે પાગલ.
તેજ સમેટી સૂર્ય સુવાડે દઈને શ્યામલ ચાદર,
પરમ શાન્તિ શીર પર જ્યારે ટમકે ટમટમ તારક.
ચાંદ રેશમી રાતની સાથે કરતો સરતા કામણ,
આભ ઝળુંબી ચૂમે ધરાને, દર્પણ જાણે સાગર.
મૌન કુદરત કહે શબદને મને હવે તું સાંભળ,
રૌદ્ર-રમ્ય, કરાલ–કોમલ, જીરવ યુગયુગ માનવ.

– 10 –

જાગ્યા ત્યાંથી સવારે

એક સમી સાંજને ટાણે, આ સાગરને મઝધારે, અમે ચઢી ગયા વિચારે,
જરા ડોલતી નાવની ધારે, જોઈ સામે કિનારે, અમે ચઢી ગયા વિચારે.
પાર કરી છે પોણી ને પા જેટલી બાકી,
આજ લગી આ નૌકા વેગે હાંકી;
બન્ને હલેસાં હવે ગયાં છે હાંફી,
ને પહેલાં કરતાં ચાલે થોડી વાંકી.
સમય આવ્યો સમજી લેવા આબોહવાને તાલે, એકમેકને ઈશારે,
એક સમી સાંજને ટાણે, આ સાગરને મઝધારે, અમે ચઢી ગયા વિચારે.

તારું–મારું, મારું–તારું, કરતાં કરતાં ચાલ્યાં,
આગળ-પાછળ, પાછળ-આગળ દોડ્યાં;
ખાડા-ટેકરા, તડકા-છાંયા રસ્તાઓ વટાવ્યાં,
ખારાં-તૂરાં, કડવાં-મીઠાં પીણાં સઘળાં ચાખ્યાં.
રહ્યું કશું ના બાકી, લાગે ઝબકી તંદ્રાવસ્થે, પરસ્પરને સહારે,
એક સમી સાંજને ટાણે, જાગ્યા ત્યાંથી સવારે, અમે ચઢી ગયા વિચારે.

*****

સર્જક–સમ્પર્ક: 11047, North Auden Circle, Poet’s Corner, Missouri City, TX 77459-USA 

 eMail – ddhruva1948@yahoo.com 

પ્રકાશિત કાવ્યસંગ્રહ : (1) ‘શબ્દોને પાલવડે’ (પ્રાપ્તિસ્થાન: કવયત્રીને એમની ઉપરોક્ત આઈ.ડી. પર ઈ.મેલ લખવી. મૂલ્ય ભારતમાં રૂપિયા 250 + પોસ્ટેજ, ભારત બહાર ડૉલર 10 + પોસ્ટેજ.)

સૌજન્ય :  ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષ : તેરમું – અંક : 391 – 07 January, 2018

Loading

...102030...3,2033,2043,2053,206...3,2103,2203,230...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved