Opinion Magazine
Number of visits: 9582389
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોસ્ટા રીકા પાસેથી પાઠ શીખીએ

આશા બૂચ|Opinion - Opinion|9 January 2018

21મી સદીના પ્રારંભે, આતંકવાદે નવા વેશમાં દુનિયાભરમાં વિનાશના વાવેતર કરવાની શરૂઆત કરેલી, એ વાવણી હજુ પૂરી નથી થઈ તેમ ઉત્તર કોરિયાના ફૂંફાડા અને અમેરિકાના વિચાર વિનાના ધમપછાડા પરથી પ્રતીત થાય છે. વિશ્વ આખીની આમ જનતાને તો માત્ર અને માત્ર શાંતિ ખપે છે. જાણે એ શાંતિ નામની કોઈ રમણીનું અપહરણ થઇ ગયું છે, તો શાંતિને ફરી માનવ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપવા સામે પડકારો કયા છે એ વિચારીએ. આજે નિર્દોષો પર થતા જુલમ, તેમને સહેવી પડતી પીડા અને વૈરભાવનાથી થતી હિંસા સામે લોકો પોતાને લાચાર અને સત્તા વિહોણાં અનુભવે તે સ્વાભાવિક છે. પરંતુ આંતરધર્મીય અને આંતરરાષ્ટ્રીય શાંતિમય સહઅસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવનારોએ હતાશા અને લાચારીના ભાવને શરણે ન જવું જોઈએ, પણ દુઃખી પ્રજાને મલમપટ્ટા લગાવવા અને આખી દુનિયાને સાચો રાહ બતાવવા કટિબદ્ધ થવું રહ્યું. ભલે આપણે કોઈ મોટા રાજકીય પગલાં ન ભરી શકીએ, પણ નાનાં નાનાં અનેક પગલાંઓ દ્વારા સમાજને દર્દમાંથી રાહત આપી શકીએ. આપણે જરૂર દુનિયાને બદલવા રાહ બતાવી શકીએ.

આ રહી એવી એક આશા ઉપજાવે તેવી સત્ય કહાણી. શાંતિ પ્રિય અને પ્રવાસના શોખીન એવા એક કર્મશીલ જ્હોન એન્ડ્રુઝ કોસ્ટા રીકાની સફરે ગયેલા, જ્યાં તેમણે જે જોયું અને અનુભવ્યું તેના પરથી શીખેલ પાઠ વિષે જાણવા જોગ છે જે અહીં ધરું છું.

શ્રીમાન જ્હોને કોસ્ટા રીકામાં બે ટી શર્ટ ખરીદ્યાં. એક પર ઓટોમેટિક રાઇફલના નાળચામાંથી ફૂલ નીકળેલ હતું જેના પર રક્ત રંગે ‘No Army’ લખેલ અને બીજા પર શસ્ત્ર પર ‘No Army since 1948’ એવું ચિત્રણ કરેલું. વાત એમ છે કે 1948ની ક્રાંતિ બાદ, કોસ્ટા રીકાના આર્ષદ્રષ્ટા નેતા જોસે ફિગરેસ ફરેરે એક મોટું કામ કર્યું – પોતાના દેશના લશ્કરને વિખેરી નાખ્યું! જ્યારે દુનિયા આખીમાં સૈન્ય અને લશ્કરી સરંજામ દરેક દેશમાં ખડકાતા જતા હતા, ત્યારે આ દેશની સલામતી જોખમાઈ હશે તેમ જ સહુ માને તેમાં નવાઈ નથી, પણ બધાની એ માન્યતાને જૂઠી પાડે તેવી હકીકત તો એ છે કે 1948માં લેવાયેલ એ નિર્ણય બાદ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહી હોય તેવો એ એકમાત્ર દેશ છે! કેવી કરુણતા કે ભારત તેનાથી બિલકુલ વિપરીત દિશામાં ગતિ કરી રહ્યું છે!  

લશ્કરને વિખેરી નાખવાને પરિણામે  કોસ્ટા રીકા આરોગ્ય અને સ્વાસ્થ્ય, શિક્ષણ અને દેશના તમામ નાગરિકો માટે પેન્શનની જોગવાઈ કરી શક્યું કે જે દુનિયાના એ ભાગોમાં તદ્દન અજાણ્યો વિચાર છે. આ પગલાંને કારણે તેઓ લગભગ કાર્બન ન્યુટ્ર્લ એનર્જી પૂરી પડી શકે છે અને મહાકાય મિલકતો ઊભી કરનારી બાંધકામની કંપનીઓ દ્વારા થતા વિનાશથી પ્રાકૃતિક જળ, જંગલ અને જમીનની રક્ષા કરી શક્યા છે. આમાનું મોટા ભાગનું નાણું તેઓને લશ્કર પાછળ ન કરવા પડતા ખર્ચમાંથી મળી રહે છે. આપણે જાણીએ છીએ કે સ્વીત્ઝર્લેન્ડ પાસે પણ કાયમી ધોરણે કોઈ લશ્કર નથી, અને છતાં તેની આસપાસના યુદ્ધગ્રસ્ત દેશોથી ઘેરાયેલું હોવા છતાં તે પોતે લગભગ છેલ્લાં બસો વર્ષથી સલામત રહ્યું છે.

આ હકીકત શું સૂચવે છે? શાંતિ અને સમૃદ્ધિ લશ્કર અને શસ્ત્રોના ખડકલા કરવાથી જળવાય? કે શસ્ત્રોના ભરાવાથી ભય અને શીત યુદ્ધ કાયમ રહે અને તેના વપરાશથી બંને પક્ષોની તારાજી થાય? દુનિયાને લશ્કરની જરૂર નથી; ખાસ કરીને આજના યુગમાં. એ તો એક શાપ છે, વરદાન નહીં. જેમ મોટા ભાગના લોકોની જીવન પદ્ધતિ બદલી છે, તેમને થતા રોગો અને માંદગીઓના પ્રકાર બદલ્યા છે, તેમ મરવા અને મારવાની રીતો પણ બદલાયાં છે. લશ્કર રાખવાનો મૂળ હેતુ હંમેશ સામા પક્ષને લૂંટવાનો રહ્યો છે અને હજુ આજે પણ તેનો એ જ ઉપયોગ છે. જો કે માનવજાતના ઇતિહાસમાં એવું પણ નોંધાયું છે કે લશ્કરથી સલામતી પણ પૂરી પાડી શકાય છે. પરંતુ 1948માં યુનાઇટેડ નેશન્સની રચના કર્યા બાદ, લશ્કરની સતત હાજરી અને જરૂરિયાતને નકારવામાં આવી હતી. યુ.એન. દ્વારા આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને કોર્ટની રચના થવાથી લશ્કર રાખવાનું જરૂરી ન રહ્યું કેમ કે અન્ય દેશ પર હુમલો કરવો એ તો ગેરકાયદેસર ગણાવા લાગ્યું.

કોસ્ટા રીકાએ એ વાતનું મહત્ત્વ સમજીને પોતાના દેશના લશ્કરને વિદાય આપી દીધી, તો જુઓ, એ દેશ શાંતિમાં આળોટ્યો અને જે દેશોએ શસ્ત્રો વધાર્યાં એ બધા પાયમાલ થયા! યુ.એન. તેના સભ્ય દેશો પાસે આ કાયદાઓનું પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યું તેમાં માત્ર તેની જ ત્રુટિ નથી, એ તો શસ્ત્રો બનાવનાર મોટી મોટી કંપનીઓ એ કાયદાઓનું પાલન કરવા જે તે દેશોની સરકારોને ટેકો આપવા મંજુર નથી હોતા તે છે. શા માટે તેઓ યુ.એન.ના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે? કેમ કે યુદ્ધ એ એક વેપાર છે – મોતનો વેપાર. તેનાથી અમેરિકાના અને તેના જેવા બીજા અતિ ધનાઢ્ય લોકોને પુષ્કળ કમાણી થાય, ભલે ને કરોડો નિર્દોષ લોકોના જાન  લેવાય અને પર્યાવરણનો દાટ વળે.

આમ તો કોસ્ટા રીકાની માફક બ્રિટનને પણ 1948 બાદ લશ્કરની જરૂર નથી. જરા કલ્પના કરો, જે અબજો પાઉન્ડ લશ્કર અને યુદ્ધને લગતી સેવાઓ જેવી કે જાસૂસી સેવા, અણુ સબમરીનો અને અન્ય શસ્ત્ર સરંજામ પાછળ ખર્ચાયા, તે પ્રજાનાં સ્વાસ્થ્ય, શિક્ષણ, આવાસ, વાહન વ્યવહાર અને renewable ઊર્જા પાછળ વાપરી શકાયા હોત, અને તો બ્રિટનની પ્રજાને કેટલો લાભ થયો હોત? આંતરરાષ્ટ્રીય ફલક પર માનવતા વિરુદ્ધ યુદ્ધ છેડનારા ગુનેગારોના સાગરીત થવાને બદલે બ્રિટન શાંતિના ખરા દૂત તરીકે પંકાયું હોત – કોસ્ટા રીકાની માફક.

શસ્ત્ર વિહીન રાજ્ય વહીવટનો ઉપર ઉલ્લેખ કર્યો તેના અનુસંધાનમાં એ પણ જાણી લઈએ કે યુનાઇટેડ નેશન્સનો અણુશસ્ત્રો પરનો પ્રતિબંધ લાવતો ખરડો 7 જુલાઈ 2017ને દિવસે પસાર થયો જેમાં દુનિયાના 122 દેશોએ અણુશસ્ત્રો પરના પ્રતિબંધના કરાર પર સહી સિક્કા કર્યા. નોંધ લેવા જેવી બાબત એ છે કે અણુશસ્ત્રો ધરાવનાર નવ દેશોએ તે કરાર પર સહી કરવાનો વિરોધ કર્યો. અને ભારત તેમાંનું એક રાષ્ટ્ર હતું. તે બેઠકના પ્રેસિડન્ટ કોસ્ટા રીકાના Elayne Whyte Gomez કહેલું, “આપણે અણુશસ્ત્રોથી મુક્ત જગત બનાવવા માટેનાં પહેલાં બીજ વાવી દીધાં છે. આપણે આપણી આવનારી પેઢીને આ દ્વારા  કહીએ છીએ કે અણુશસ્રોથી મુક્ત એવું વિશ્વ વારસામાં મૂકી જવું શક્ય છે.” સવાલ એ છે કે ભારતે આ કરાર પર સહી કેમ ન કરી? જે દેશોએ આ સમજૂતી પર સહી નથી કરી તે દેશની પ્રજાની ફરજ બને છે કે તે પોતાની સરકારોને માનવે શોધેલા આવા વિનાશક શસ્ત્રોને અને તેવી ઘાતક વિચારધારાને ખતમ કરે. વધુ રસ ધરાવનાર આ કરાર www.un.org/disarmament/ptnw પર વાંચી શકશે.

અહિંસાના છેલ્લા મસીહા જેવા ગાંધીજીના શસ્ત્રો – ખાસ કરીને અણુશસ્ત્રો વિશેના વિચારો જાણવા રસપ્રદ થઈ પડશે. ગાંધીજીના જીવનના લગભગ અંત સમયે અણુશસ્રોની શોધ થઈ જેના વિષે તેઓએ કહેલું, “જ્યાં સુધી મને દેખાય છે ત્યાં સુધી કહી શકું કે એટમ બોમ્બે માનવીની ઉત્તમોત્તમ લાગણીઓને મૃતપ્રાયઃ કરી નાખી છે જેના પર માનવતા યુગોથી ટકી છે. પહેલાં યુદ્ધના કેટલાક નિયમો હતા, જેને કારણે તે સહ્ય બનતું. હવે આપણી નજર સામે યુદ્ધનું નગ્ન સત્ય ઉઘાડું પડ્યું. લડાઈ એક પણ કાયદો કે નિયમ નથી જાણતી, સિવાય કે પાશવી તાકાત.” તેમણે એમ પણ કહ્યું કે, “બોમ્બની અંતિમ કરુણાંતિકામાંથી એક શીખ પ્રામાણિક પણે લેવા જેવી છે કે એવા સંહારનો જવાબ બીજા બોમ્બથી નહીં વાળી શકાય. જેમ હિંસાને વળતી હિંસાથી ન ખાળી શકાય. માનવજાતે હિંસાના વિષ ચક્રમાંથી માત્ર અહિંસાથી જ બહાર નીકળવાનું રહેશે. હું માનું છું કે જેઓએ એટોમિક બોમ્બની શોધ કરી છે તેઓએ વૈજ્ઞાનિક જગત સામે ભયાનક પાપ કર્યું છે. દુનિયાને બચાવવા માટે જો કોઈ એક માત્ર શસ્ત્ર હોય તો તે અહિંસા જ છે. દુનિયાની હાલની સ્થિતિ જોતાં કોઈને હું મૂર્ખ ભાસું. પણ મને તે વિષે જરા પણ દિલગીરી નથી. હું તો ભગવાનનો પાડ માનું છું કે તેણે મને એટોમિક બૉમ્બ બનવવાની ક્ષમતા ન આપી.”

30 જાન્યુઆરી 1948 – ગાંધીજીના અંતિમ દિવસે અમેરિકાના પ્રખ્યાત ફોટોગ્રાફર માર્ગારેટ બ્યોર્ક વ્હાઇટે તેમને પૂછ્યું, “તમે અમેરિકાને એટોમિક બૉમ્બ બનાવવાનું છોડી દેવાની સલાહ આપો ખરા?”  ગાંધીનો ઉત્તર હતો, “નિશ્ચિત પણે. હાલ જે પરિસ્થિતિ છે તે જુઓ. યુદ્ધનો અંત બહુ ખરાબ રીતે આવ્યો અને વિજેતાઓ ઈર્ષા અને સત્તા લોલુપતામાં વિલુપ્ત થઈ ગયા. ત્રીજા વિશ્વ યુદ્ધના પ્રચારનો પ્રારંભ થઈ ચુક્યો છે. અહિંસા એટોમિક બૉમ્બ કરતાં અનેકગણું વધુ શક્તિશાળી શસ્ત્ર છે.”   ગાંધીજીનાં આ વિધાનો પર વિશ્વાસ ન બેસતો હોય તો છેલ્લાં 75 વર્ષનો દુનિયાનો ઇતિહાસ જોઈને કહો કે કયા યુદ્ધથી કાયમી શાંતિ અને પરસ્પર વિશ્વાસની લાગણી સ્થપાઈ છે?

ગાંધી નિર્વાણને 70 વર્ષ થવા આવ્યાં અને આજે વિશ્વ શાંતિ ખરેખર જોખમાઈ રહી છે ત્યારે કોસ્ટા રીકાને વિનંતી કરીએ કે તે દુનિયાના બીજા દેશોને શસ્ત્રો બનવવાની અને તેના ઉપયોગની વિફળતા વિષે સમજ આપવામાં આગેવાની કરે અને માનવ જાતને મહા વિનાશ તરફ ધસી જતી અટકાવે.

e.mail : 71abuch@gmail.com

Loading

જલધિતટે કવિ

પી.કે. દાવડા, પી.કે. દાવડા|Opinion - Literature|9 January 2018

મારી પેઢીના 40sના લોકોએ કદાચ એક પ્રાર્થના સ્કૂલમાં ચોક્કસ કરી હશે …'અસત્યો માંહેથી …’ —  આ પ્રાર્થનાના સર્જક કવિ એટલે શ્રી નાન્હાલાલ … PK Davda સાહેબની એક પોસ્ટમાંથી એક અદ્દભુત ફોટોગ્રાફ, અને પાછળની કલાત્મક સ્ટોરી, જાણવા મળી. તેમના જ શબ્દો કૉપી-પેસ્ટ કરું છું …

− અનિલ વ્યાસ

૧૯૩૬-‘૩૭ની આસપાસની આ વાત છે.

એક દિવસ જગન મહેતા જૂહુના દરિયા કિનારે લટાર મારતા હતા અને એમની નજર એક વૃદ્ધ દંપતી ઉપર પડી. જગન મહેતાના મનમાં એકાએક ‘ફ્લૅશ’ થયો, આ તો કવિ નાનાલાલ અને માણેકબા! એમનાં પત્ની! અહીં જૂહુના દરિયાકિનારે ક્યાંથી? એમની આ જીવનસંધ્યા છે અને સંધ્યાકાળે જ ‘સખી’ સાથે સમુદ્રકિનારે ફરવા આવે છે. એમની આ તસવીર પાડી લીધી હોય તો?

એ સંધ્યા તો વીતી ગઈ, પણ બીજી સંધ્યાએ જગન મહેતા કૅમેરા લઈને હાજર થઈ ગયા. સારી વાર રાહ જોયા પછી, કવિ ધીમી ચાલે આવતા દેખાયા. એક હાથમાં વૉકિંગ સ્ટિક અને બીજો હાથ વૃદ્ધા પત્નીના ખભે.

કવિએ સ્મિત કર્યું : ‘અરે ભાઈ, હવે આ ઉંમરે અમારા ફોટા કેવા ! હવે તો અમે …’ એમણે ડૂબતા સૂરજ તરફ લાકડી ચીંધી. ભીની રેતી પર કવિના પગલાંના નિશાન બરાબર ઊઠે તેવી રીતે, અને ડૂબતા સૂરજના તેજને લીધે પાછળ તરફ પડતા પડછાયાને ઝડપી લેવા, જગન મહેતાએ પાછળથી એમની તસવીરો લીધી. પછી નામ આપ્યું, “જલધિતટે કવિ.”

‘કુમાર’માં એ ફોટો છપાયો અને આ ચિત્ર અમર બની ગયું. કવિની જીવનસંધ્યા અને આકાશી સંધ્યાનું એવું તો અદ્દભુત સંયોજન એ ફોટોગ્રાફમાં ઊતર્યું, એ માત્ર નિર્જીવ ચિત્રને બદલે કાગળ પર છાયાંકિત કવિતા બની ગઈ. ખુદ કવિ નાનાલાલ અને માણેકબા રાજી થયાં.

ઉઘાડા પગે અને લાકડીના ટેકે દરિયા કિનારાની ભિની રેતીમાં ચાલતા કવિ શ્રી નાનાલાલની આ ઐતિહાસિક તસ્વીર છે. તસ્વીરમાં રેતીનો વિશાળ પટ ખાસ ધ્યાન ખેંચે છે. જે સમયની આ તસ્વીરો છે, એ સમયમાં કેમેરા આજના જેવા શક્તિશાળી ન હતા. એ સમયે તસ્વીરોને Edit કરવાની પણ કોઈ ટેકનીક ન હતી. ત્યારે હોમાયબાનુ અને જગન મહેતાએ લીધેલી તસ્વીરો જોઈ વાહ વાહ બોલી જવાય છે.

(સૌજન્ય : પી.કે. દાવડાના વર્ડપ્રેસ બ્લોગ ગાંધીજીના ફોટોગ્રાફર : જગન મહેતા પરથી)

https://davdanuangnu.wordpress.com/2017/12/27/ગાંધીજીના-તસ્વીરકાર-જગન-2/

27 ડિસેમ્બર 2017

Loading

નિકાસ આધારિત વિકાસ

પલક વ્યાસ, પલક વ્યાસ|Opinion - Opinion|8 January 2018

નિકાસ એ રાજ્યની આર્થિક પરિસ્થિતિને મજબૂત બનાવતું પરિબળ છે. એનો સુંદર રીતે ઉપયોગ કરીને ચીન વિકાસ પામ્યું છે. ચીનની એ નીતિ અને વલણને સમજીને ભારત પણ પોતાના વિકાસનો માર્ગ નિકાસને આધારિત બનાવી શકે છે. આ લેખમાં ચીનની નીતિ ઉપરથી ભારત શું કરી શકે છે, એના વિષેની ટૂંકમાં ચર્ચા કરેલ છે.

ભારતદેશના વિકાસની વાત, જ્યારે કરવાની હોય ત્યારે અર્થવ્યવસ્થાના અમુક વિશેષ પરિબળોની ચર્ચા કરવી જોઈએ, કારણ કે હાલના વિકસિત દેશોએ વિકાસ કરતી વખતે અર્થવ્યવસ્થાને અત્યંત મહત્ત્વ આપ્યું છે, એની સાથે વિકાસનાં બીજા પરિબળોને પણ ધ્યાનમાં રાખીને દુનિયામાં પોતાનું મહત્ત્વ વધારવામાં સફળ થયા છે. આ જોતાં ભારતના વિકાસ માટે તેની અર્થવ્યવસ્થામાં આયાત અને નિકાસ દ્વારા વિકાસ કેમ કરી શકાય, એ જાણવું આપણા માટે જરૂરી બની જાય છે.

ચીન જ્યારે વિકાસ કરતું હતું, ત્યારે તેણે એક નીતિ અપનાવી હતી, ‘આયાતઅવેજી નીતિ’. આ બહુ જૂની નીતિ છે. આ નીતિ એટલે આયાતની અવેજીમાં નિકાસ વધારે કરવાની. આ માટે ચીને પહેલાં દ્વિપક્ષીય સંબંધોથી પોતાના દેશના લોકો માટે ઉત્પાદનનું કામ યુરોપ અને અમેરિકા પાસેથી મેળવ્યું. એના માટે એમની જ પાસેથી નાણાંની વ્યવસ્થા કરી, જેથી તે કાચો માલ ખરીદી શકે. હવે વધારે ઉત્પાદન માટે કાચા માલની જરૂર પડે, તે ક્યાંથી લીધો? તે કાચો માલ તેણે  પોતાના પાડોશી દેશો પાસેથી ખરીદ્યો. જેમ કે તેલ એણે કિર્ઘીસ્તાન પાસેથી લીધું/ખરીદ્યું. બીજો કાચો માલ તેણે ઉત્તરપૂર્વીય એશિયાનાં રાજ્યો પાસેથી સસ્તા ભાવમાં લીધો, પોતે તૈયાર કરેલા સામાનનું સુંદર રીતે પૅંકિંગ કર્યું અને વિકસિત દેશોને મોંઘા ભાવે મોકલતું રહ્યું. ચીનની આ નીતિએ એને સફળતા અપાવી. આ રીતે ચીન આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરતું રહ્યું. હાલમાં જ અમેરિકાના પ્રમુખ ચીનની મુલાકાતે ગયા હતા, ત્યારે ૮૦૦ વિમાનોનો કરાર કરી ચીને ફરીથી નાણાં ઊભાં કરી લીધાં. ટૂંકમાં, ચીને ઉત્તરપૂર્વીય એશિયન રાજ્યો પાસેથી પોતાની વિશાળ ઉદ્યોગની ભૂખને સંતોષવા કાચો માલ મેળવ્યો અને તૈયાર માલ યુરોપિયન દેશો અને અમેરિકાને વેચ્યો. આમાં, ચીનને લાભ થયો.

હવે ભારતદેશે પણ આપણા નાના પાડોશી દેશો એટલે કે દક્ષિણ એશિયાનાં રાજ્યો સાથે સારા સંબંધ સ્થાપિત કરવા જોઈએ અને ત્યાંથી સસ્તા ભાવે આપણા ઉદ્યોગોને જરૂરી માલ ખરીદવો જોઈએ, જેથી એ રાજ્યોને પણ પ્રોત્સાહન મળે અને આપણા પાડોશી દેશો સાથે સંબંધ પણ સુધરી શકે. આપણે ત્યાં ઉત્પાદિત થતો સામાન છે, તેની પણ નિકાસ ક્યાં કરવી જોઈએ, એના માટે આપણે વિકસિત દેશની બજારનો અભ્યાસ કરવો જોઈએ અને આનાથી આપણે ‘આયાતઅવેજી નીતિ’થી આપણી નિકાસ પણ વધારી શકીશું.

આ તૈયાર થયેલો સામાન કયા દેશને વેચવો એની પણ એક અલગ નીતિ ચીને અપનાવેલી છે. આપણે જ્યારે ઉત્પાદન કરીએ, ત્યારે સૌથી વધારે અગત્યતા-બજારમાં કઈ વસ્તુની માંગ છે, એના પર આધારિત છે. જેની માંગ વધારે હોય તેનું ઉત્પાદન કરવું જોઈએ. ચીનના એક્સપર્ટ્‌સે (નિષ્ણાતોએ) બીજા દેશોમાં ક્યા તહેવારો ઊજવાય છે અને ત્યાં કઈ વસ્તુની માગ છે, તેનો અભ્યાસ કર્યો. આજે આપણે ત્યા ચીન દિવાળી વખતે સમયસર લાઇટ્‌સ, પાવરવાળા દીવા, આવી અનેક વસ્તુઓ ઉત્પાદન કરીને આપણને મોકલી આપે છે. અને આપણા જ દેશમાં બનેલા માટીના દીવા (કોડિયા) ધૂળ ખાતા પડી રહે છે. માટે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરવા માંગીએ છીએ, એનો પહેલાં અભ્યાસ કરવો પડે કે આપણા દેશની બજાર સિવાય બીજા કયા દેશમાં એ વસ્તુની માંગ છે.

આ વસ્તુનું મહત્ત્વ એટલા માટે છે કે વિકાસ માટે વિદેશ વ્યાપાર અત્યંત જરૂરી છે. ચીન વિદેશ વ્યાપારના આધારે પોતાનો નંબર ૩૨થી ઉપર લઈ જઈને નંબર-૩ સુધી પહોંચી ગયું છે. પણ આ અંતર કાપતાં તેને ૨૭ વર્ષ લાગ્યાં છે – ૧૯૭૮ થી ૨૦૦૫. આપણે ‘ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ’ અને ‘મૂડીઝ’ના રેટિંગ પ્રમાણે પહેલું પગથિયું ચડ્યા છીએ. આગળ જતાં આ બધા ફેરફારો ભારતને ચોક્કસ લાભ કરાવશે. ચીનમાં પણ શરૂઆતના વર્ષમાં ૫૬ ટકા ટેરિફ રેટ હતો. ધીમે ધીમે ૨૦૦૫ સુધીમાં તેનો ટેરિફ રેટ ૯.૯ ટકા સુધી નીચે આવી ગયો. એમ ભારતમાં પણ અત્યારે જે જી.એસ.ટી. બધાને આકરો લાગે છે તે જ પછીથી આપણા દેશવાસીઓને ફાયદાકારક સાબિત થશે, એવું ચીનની હાલની પરિસ્થિતિ જોતા લાગે છે.

ચીનની બીજી વિશેષતા એ છે કે પોતાની આર્થિક સ્થિતિને સુધારવા તે દુનિયાથી પ્રતિકૂળ વિચારસરણી ધરાવવા છતાં પરિસ્થિતિને સુધારવા માટે ખૂબ અનુકૂળ બની ગયું. એક સામ્યવાદી રાજ્ય પોતાના કાયદાઓમાં કોઈ ફેરફાર ન કરે, પણ જ્યારે ચીનને ૧૫ વર્ષના પરિશ્રમ પછી ડબલ્યુ.ટી.ઓ.માં સ્થાન મળ્યું, ત્યારે પોતાના દેશના વ્યાપારના નિયમો ડબલ્યુ.ટી.ઓ. પ્રમાણે બદલાવ્યા. ચીનના આવા બદલાવ અને તેના સતત આગળ વધતા વિકાસ ને કારણે એક સમયે દુનિયામાં ચીન માટેનો ભય ઉત્પન્ન થયો. ખાસ કરીને અમેરિકાને લાગ્યું કે હવે ચીન તેનાથી પણ આગળ નીકળી જશે. ત્યારે ચીને પોતાના કોઈ પણ કાર્યમાં ફેરફાર કર્યા વગર અમેરિકાનો વિશ્વાસ જીતવા માટે નરમાશભર્યું વર્તન દાખવ્યું. આમ, ચીને પોતે અમેરિકાને public diplomacy દ્વારા સાંત્વના આપી કે એને દુનિયાના વડા દેશ બનવાની કોઈ ઇચ્છા નથી. બસ, પોતાના દેશની પ્રજાને સારી જિંદગી આપવાની ઇચ્છાથી એ આર્થિક રીતે સધ્ધર થવા માંગે છે.

આજે ભારતદેશમાં પણ વસ્તી ઘણી છે અને ભારતના વિકાસથી ચીનની ચિંતા વધી છે. તો આ સમયે ભારતના નેતાઓએ ચીનને સાંત્વના આપવી જોઈએ કે આપણે એમના લોકોની રોજગારી એમની પાસેથી છીનવી લેવા માંગતા નથી. ભારતે પણ પબ્લિક ડિપ્લોમસી દ્વારા ચીનને સાંત્વના આપવાની જરૂરત જણાય છે. અમે ભારતના વિકાસ અને લોકો તંદુરસ્ત જીવન જીવી શકે, એના માટે પર્યાવરણના સુધાર અને સ્વચ્છ જીવન માટે અમારી આર્થિક સ્થિતિને થોડીક સુધારવા માંગીએ છીએ. એ જો ભારત સ્પષ્ટતા કરી દે તો ચીનને શાંતિ થાય અને બોર્ડર ઉપર પોતાના સૈનિકોને હંમેશાં તૈનાત રાખે છે, એમાં પણ થોડી હળવાશ આવી શકે.

ચીનનો વિકાસ નિકાસ પર આધારિત હતો અને જેમજેમ પરિસ્થિતિ બદલાતી ગઈ તેમતેમ ચીનની નીતિ એ જ રહી પણ સ્વભાવને અનુકુળ રાખીને આગળ વધતું રહ્યું. આ પ્રકારના ચીનના અનુકૂળ સ્વભાવના કારણે આજે ચીન દુનિયામાં સધ્ધર અને એક વિકસિત દેશની હરોળમાં પહોંચી ચૂક્યું છે. આમ, અનુકૂળ વલણ અને ‘આયાતઅવેજી નીતિ’ ભારતને આગળ વધારવા માટે ચોકકસ મદદરૂપ થઇ શકે છે, પરંતુ ભારતને આ નીતિને અપનાવવા માટે અમુક પડકારોને પહોંચી વળવું આવશ્યક છે. જેમ કે, ચીન પહેલેથી જ દુનિયાની બજારમાં પોતાનો માલ સસ્તા ભાવે વેચે છે, તો ભારતીય વેપારીઓએ કઈ વસ્તુની દુનિયામાં માંગ છે, જે ભારત ઉત્પાદન કરી શકે છે અને ચીન જેનો વ્યાપાર નથી કરતું, એવી વસ્તુઓની નિકાસ દ્વારા ભારત પોતાનું સ્થાન દુનિયામાં બનાવી શકે છે.

ભારત સામે બીજો પડકાર એ છે કે ચીનને દ્વિપક્ષીય સંબંધોની તક મળી હતી, કારણ કે ત્યારે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પણ દ્વિધ્રુવીય હતી. અત્યારની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા બહુધ્રુવીય છે, જેથી ભારતને બહુપક્ષીય સંસ્થાઓ દ્વારા પોતાનાં વિવિધ પરિબળોને મજબૂત બનાવવા પડે છે. આમ, ભારતે આર્થિક તથા રાજકીય પડકારોને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને અનુકૂળ સ્વભાવથી ‘આયાતઅવેજી નીતિ’ ઘડવી આવશ્યક લાગે છે.

E-mail : vyapalak112@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2018; પૃ. 12-13

Loading

...102030...3,1993,2003,2013,202...3,2103,2203,230...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved