Opinion Magazine
Number of visits: 9583036
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવે આપણે, નાગરિકોએ નક્કી કરવાનું છે કે આ આધાર નામની બલાનું શું કરવું?

રમેશ ઓઝા|Opinion - Opinion|10 January 2018

બે દિવસ પહેલાં (08 જાન્યુઆરી 2018) મેં આ કૉલમમાં લખ્યું હતું કે દેશમાં બે વાતે આંદોલન કરવાની જરૂર છે.

એક, મોતની સજા રદ કરવામાં આવે, કારણ કે આપણે ત્યાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ફૂહડ છે. કોઈ નિર્દોષનો જાન જાય એ બરાબર ન કહેવાય. બે, ચૂંટણી માટે EVMનો ઉપયોગ બંધ કરવામાં આવે, કારણ કે મશીન માત્ર બગડી શકે છે અથવા એની સાથે ભાંગફોડ કરી શકાય છે અને માણસ માત્ર ડરી શકે છે અથવા વેચાઈ શકે છે. આમાં હવે એક ત્રીજી ચીજ પણ ઉમેરવી જરૂરી છે. સરકારે એક હાથ ઊંચો કરનારું ડિસ્ક્લેમર તૈયાર કરવું જોઈએ જેમાં દેશના નાગરિકોને જણાવી દેવામાં આવે કે સરકારને આપવામાં આવેલી માહિતીની ગોપનીયતા જાળવવાની જવાબદારી જે-તે વિભાગની કે અધિકારીની નથી. અર્થાત્‌ તમારે તમારા જોખમે માહિતી આપવી જેવી રીતે કેટલાંક મકાનોની લિફ્ટમાં લખેલું જોવા મળે છે કે લિફ્ટનો ઉપયોગ તમારા હિસાબે અને જોખમે કરવો.

૨૦૦૩ની સાલની વાત છે, જ્યારે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા અને આઠ લેનના રાષ્ટ્રીય મહામાર્ગ બાંધવાના પ્રોજેક્ટને તેમણે પોતાનો ગણીને પ્રાથમિકતા આપી હતી. સત્યેન્દ્ર દુબે નામનો એક યુવક એન્જિનિયર નૅશનલ હાઇવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયામાં પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નોકરી કરતો હતો. બિહારમાં હાઇવેના બાંધકામમાં જે ભ્રષ્ટાચાર હતો અને એમાં ઉપર સુધીના લોકો સંડોવાયેલા હતા એનો એને રોજ અનુભવ થતો હતો. સત્યેન્દ્ર દુબેએ આની વિગતો આપતો એક ગોપનીય પત્ર વડા પ્રધાનને લખ્યો હતો. એ પત્રમાં વારંવાર કહેવામાં આવ્યું હતું કે આમાં મોટાં માથાં સંડોવાયેલાં છે, આંતરરાજ્ય મોટું કૌભાંડ છે, તેમની જિંદગી પર જોખમ છે, તેઓ રાષ્ટ્રહિત માટે જોખમ ઉઠાવી રહ્યા છે માટે આ પત્ર લખનારનું નામ જાહેર ન થાય એની તાકીદ રાખવામાં આવે અને જરૂરી કારવાઈ કરવામાં આવે.

એ પછી શું થયું? પત્ર ઍક્નૉલેજ કરવામાં આવ્યો અને સત્યેન્દ્ર દુબેને જણાવી દેવામાં આવ્યું કે આપના પત્રને સંબંધિત વિભાગને જરૂરી કારવાઈ માટે મોકલી આપવામાં આવ્યો છે. સત્યેન્દ્ર દુબેને પત્ર મળતાંની સાથે જ સમજાઈ ગયું હતું કે હવે તે ગણતરીના દિવસોનો મહેમાન છે અને એવું જ બન્યું. વડા પ્રધાનને લખવામાં આવેલા ગોપનીય પત્રની ગોપનીયતા જળવાવાની કોઈ ગૅરન્ટી નથી, ત્યાં આધાર કાર્ડ માટે આપેલી વિગતોની ગોપનીયતા જળવાઈ રહે એ તો બહુ દૂરની વાત થઈ. ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું છે કે આધારની વિગતો ચણામમરાની માફક વેચાઈ રહી છે અને સરકાર નાગરિકના અંગત જીવનની સુરક્ષાની જે વાતો કરે છે એ પોકળ છે. નાગરિકે નક્કી કરવાનું છે કે કહેવાતા રાષ્ટ્રયજ્ઞમાં પોતાની આહુતિ આપવી કે નહીં, કારણ કે વહીવટી તંત્ર ફૂહડ છે અને શાસકો બોલબચન છે.

જે કહેવામાં આવતું હતું એ હવે સિદ્ધ થઈ ગયું છે. ચંડીગઢના ‘ધ ટ્રિબ્યુન’ નામના અખબારનાં રિપોર્ટર રચના ખૈરાએ આધારનું રૅકેટ ઉઘાડું પાડ્યું છે. માત્ર ૫૦૦ રૂપિયા આપો, તમને વૉટ્સઍપ પર એક પાસવર્ડ મોકલવામાં આવશે જેના દ્વારા તમે આધારના પોર્ટલને ખોલી શકશો અને ઇચ્છો એટલા નાગરિકોના ડેટા મેળવી શકશો. માત્ર ૫૦૦ રૂપિયામાં દેશના એક અબજ નાગરિકોના ડેટા ઉપલબ્ધ થતા હોય અને એ પણ વૉટ્સઍપ દ્વારા તો કલ્પના કરો આપણું જીવન કેટલું સસ્તું છે.

સરકારની પહેલી પ્રતિક્રિયા દેશના નાગરિકોને અભય વચન આપવાની હતી. ચિંતા નહીં કરો તમારી વિગતો સલામત છે. સરકારને જ્યારે ખાતરી થઈ ગઈ કે બચાવ થઈ શકે એમ જ નથી અને અભય વચનની કિંમત કોડીની છે, ત્યારે ‘ધ ટ્રિબ્યુન’ અને એનાં પત્રકાર સામે FIR દાખલ કરવામાં આવ્યો. ગોપનીય ડેટા ચોરવા માટેનો ગુનો. બૅન્કના સ્ટ્રૉન્ગરૂમમાંથી પૈસા ચોરાય તો ચોર ગુનેગાર કે બૅન્કના અધિકારી ગુનેગાર? અધિકારીઓની ભાગીદારી વિના કોઈ ચોરી કરી શકે ખરું? આધારના કેસમાં ચોરી દલાલોએ સરકારી અધિકારીઓ સાથે મળીને કરી હતી અને રિપોર્ટરને એ વેચવામાં આવી હતી. પત્રકાર ખરીદનાર છે, ચોરનાર નથી. આ દેશમાં ખરીદ-વેચાણનો ધંધો એટલો વ્યાપક અને રાબેતાનો છે કે આખેઆખા પાસવર્ડની બજારકિંમત માત્ર ૫૦૦ રૂપિયા છે.

એક તો આધાર જેવી પવિત્ર ગાય, એમાં સરકારનાં અભય વચનો, દરેક ચીજને આધાર સાથે લિન્ક કરવાની ઘાઈ, એવા દરેક પ્રસંગે નવાં અભય વચનો, સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરેલાં સોગંદનામાંઓ દ્વારા ગોપનીયતાના કરવામાં આવેલા દાવાઓ માત્ર ૫૦૦ રૂપિયામાં ઉઘાડાં પડી ગયાં. સત્તાવાળાઓને જ્યારે સમજાઈ ગયું કે ભરબજારે નાક કપાઈ ગયું છે અને ‘ધ ટ્રિબ્યુન’ના એડિટર અને એનાં રિપોર્ટર રચના ખૈરાને દેશદ્રોહી ઠેરવવામાં અર્નબ ગોસ્વામીઓની સેવા લેવામાં આવે તો પણ આબરૂ બચી શકે એમ નથી, ત્યારે સરકારે સૂર બદલ્યો હતો અને આધારનો હવાલો સંભાળનારા કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કૌભાંડની તપાસ કરવામાં ‘ધ ટ્રિબ્યુન’ની મદદ માગી હતી અને ફરી એક વાર ફ્રીડમ ઑફ પ્રેસની દુહાઈ આપી હતી.

તમને કદાચ ભક્તોના મેસેજ આવવા લાગ્યા હશે કે જે માહિતી ઉપલબ્ધ થઈ રહી છે એ માત્ર પ્રાથમિક સ્વરૂપની છે બાકી આંખના ડોળાની અને હાથના અંગૂઠાની પ્રિન્ટ સુરક્ષિત છે. આપણે તેમને ત્રણ સવાલ પૂછવા જોઈએ. એક, જે વિગતો ઉપલબ્ધ થઈ રહી છે એની સુરક્ષાની જવાબદારી સરકારની નથી એવો ખુલાસો સરકારે કર્યો હતો? ઊલટું સરકારે તો કહેવાતી પ્રાથમિક માહિતીની પણ સુરક્ષાની ગૅરન્ટી આપી હતી. બે, જે માહિતી ઉપલબ્ધ થઈ રહી છે એ ઓછી મહત્ત્વની નથી. તમારી આર્થિક હેસિયત જોઈને કોઈ પણ તમારી પાછળ પડી શકે છે. ત્રણ, જો સુરક્ષામાં જ ફાંકું હોય અને સુરક્ષિત કસ્ટડીમાં પ્રવેશી શકાતું હોય તો બાયોમેટ્રિક ડેટા કઈ વિસાતમાં? અંદર ઘૂસેલો ચોર ડિમાન્ડના આધારે નક્કી કરશે કે કઈ ચીજની ચોરી કરવી. આવતી કાલે કોઈ ત્રાસવાદી સંગઠનને, ફાર્મા કંપનીઓને કે બાયોટેક કંપનીઓને જો ચોક્કસ બાયોમેટ્રિક ડેટાની જરૂર પડશે તો એ પણ ઉપલબ્ધ થઈ જશે. કદાચ થતા પણ હશે, કોને ખબર છે. એનો ભાવ વધારે હશે અને એની લેવડદેવડ સરેઆમ નહીં થતી હોય એટલું જ.

હવે સરકારે કાંઈ કરવાનું નથી, એની નાદારી ઉઘાડી પડી ગઈ છે. હવે આપણે, નાગરિકોએ નક્કી કરવાનું છે કે આ આધાર નામની બલાનું શું કરવું? શંકા કરો, પ્રશ્ન પૂછો, ઊહાપોહ કરો, સૂચનો કરો અને સૂચનોની ચકાસણી કરો એમાં આગળ વધવાની અને સુરક્ષિત રહેવાની ચાવી છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 10 જાન્યુઆરી 2018

Loading

શશી કપૂર: ધ હાઉસહોલ્ડર, ધ સ્ટાર

મૂળ લેખક – મિહિર પંડ્યા, મૂળ લેખક – મિહિર પંડ્યા|Opinion - Opinion|9 January 2018

માયાનગરી મુંબઈનાં સૌથી હેપ્પનિંગ વિસ્તાર એવાં જૂહુનાં સાંસ્કૃિતક કેન્દ્ર ‘પૃથ્વી થિયેટર’ની વ્યસ્તતા વચ્ચે વ્હીલચેયર પર એક સ્થિતપ્રજ્ઞ સિતારો. ભીડમાં અનુપસ્થિત. અભિનેતા શશી કપૂરની આ અંતિમ છબિ તેમનાં અનેક ચાહકોનાં હૃદયમાં અંકિત થઇ જશે. પણ, આ છબિની સાથે શશી કપૂર તે સિનેમાવૃત્ત પણ પૂર્ણ કરીને ગયા કે જે થકી ક્યારેક સુંદર કળા ફિલ્મોને સંપૂર્ણતા પ્રાપ્ત થતી હતી.

પિતા પૃથ્વીરાજ કપૂર દ્વારા રચવામાં આવેલા આ ‘પૃથ્વી થિયેટર’નાં હરતાં ફરતાં ટોળાંની સાથે પચાસનાં દાયકામાં તરુણ શશીએ પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તેઓ સિનેમાની દુનિયામાં એક મજબૂરીનાં કારણે વર્ષ ૧૯૬૦ના દાયકામાં પ્રવેશ્યા અને માયાનગરીનો સૌથી ચમકતો સિતારો બન્યા. પણ, થિયેટર હંમેશાં તેમનો પ્રથમ પ્રેમ રહ્યું અને વર્ષ ૧૯૭૮માં પત્ની જેનિફર કેન્ડલની સાથે મળીને તેમણે ‘પૃથ્વી’ થિયેટરની ફરી વખત સ્થાપના કરી. શશી કપૂર જ્યાં સુધી સ્વસ્થ રહ્યા, ત્યાં સુધી પોતાનાં રંગમંચમાં ભજવાતાં દરેક નવા નાટકના પ્રથમ દર્શક બનીને રહ્યા.

‘વિજય’નો ‘રવિ’

થિયેટરની દુનિયાથી બહાર લોકપ્રિય સિનેમા જગતમાં શશી કપૂરને અમિતાભ બચ્ચનની સાથે ભજવેલી જોડીદાર ભૂમિકાઓ થકી ઓળખ પ્રાપ્ત થઈ. જેમાં અમિતાભ મુખ્ય પ્રદર્શનકારી ‘વિજય’ની ભૂમિકામાં હતા અને શશી કપૂર તેમના ‘અન્ય’ નૈતિક હતા. સલીમ-જાવેદ લિખિત ‘દીવાર’ ખરેખરમાં વધુ એક જૂની સિનેમા ક્લાસિક ‘મધર ઇન્ડિયા’ની વાર્તાને નવી પરિસ્થિતિઓમાં ફરી વખત રજૂ કરવામાં આવી છે કે જેમાં સુનીલ દત્તે ભજવેલું વિદ્રોહી પાત્ર ‘બિરજૂ’ અમિતાભના ભાગમાં આવ્યું હતું. પણ, અહીં નરગિસનાં પાત્રની નૈતિક દુવિધાઓને શશી કપૂરના ‘રવિ’એ ઓઢી લીધી હતી.

ફિલ્મ ‘દીવાર’માં શશી કપૂરે ભજવેલું ‘રવિ’નું પાત્ર અને અમિતાભે ભજવેલું ‘વિજય’નું પાત્ર એ ખરું જોતાં તો એક જ સિક્કાની બે બાજુઓ છે. ‘દીવાર’ની કથાને તેની સંપૂર્ણતામાં જ જોઈ અને સમજી શકાય છે. આ ફિલ્મ તે વ્યવસ્થાનું ખોખલાપણું રજૂ કરે છે કે જેમાં શાળાએ જવા માટે આતુર એવા બાળક ‘રવિ’ની નૈતિકતા ત્યારે જ સુરક્ષિત રીતે બચાવી શકાય છે કે જ્યારે તેનાથી થોડો મોટો કિશોરવયનો ‘વિજય’ પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરે. ‘રવિ’નું શાળાએ જવાનું માત્ર ત્યારે જ શક્ય બને છે કે જ્યારે ‘વિજય’ ગુનાની દુનિયા તરફ પોતાનાં પગલાં માંડે છે.

‘દીવાર’ની પટકથા તે વાત રજૂ કરે છે કે આ વ્યવસ્થામાં ગરીબોને એટલી ઓછી તક પ્રાપ્ત થાય છે કે તેની ‘નૈતિકતા’ સાથે જીવવાની પસંદગી પણ તેની પાસે નથી. જો કોઈ એક રવિને ગરીબીના કાદવમાંથી ‘યોગ્ય’ રસ્તા પર નીકળવું છે, તો સાથે એ જરૂરી છે કે અન્ય વિજય અનૈતિક માર્ગ પસંદ કરે અને તે ઝેર પી જાય. હાં, દર્શકો પણ જે સત્ય ‘રવિ’માં બચી ગયું છે તેનાં કરતાં તેને બચાવવાનાં પ્રયાસમાં જે ઝેર ‘વિજય’ પીવે છે તેને વધારે આઇડેન્ટિફાઈ કરે છે. માટે વિજય તેમના માટે દિવારનો હીરો બન્યો.

ઘણાં વર્ષો બાદ આ પાત્રો વચ્ચેની તિરાડને વિધુ વિનોદ ચોપરાએ ફિલ્મ ‘પરિંદા’માં જેકી શ્રોફ અને અનિલ કપૂરની જોડીએ જીવંત કરી. જેમાં ‘કિશન’ની ભૂમિકામાં જેકીએ ઝેર પીધું અને ‘કરણ’ની ભૂમિકામાં નાના ભાઈ એવા અનિલ કપૂરને અન્યાયી સિસ્ટમથી બચાવ્યો. પણ, ૧૯૮૦ના દાયકાના અંતમાં વાર્તા ફરી વળાંક લે છે. આ વખતે ભોળપણ અને સારાપણાનું સિસ્ટમના હસ્તક મૃત્યુ થાય છે. ‘દીવાર’માં વિજય માર્યો ગયો હતો, પણ ‘પરિંદા’માં કરણ માર્યો જાય છે અને તેની સાથે એ અંતિમ આશાનો પણ બલિ ચઢે છે કે જેમાં એક આખી પેઢીને શશી કપૂરે ભજવેલા ‘રવિ વર્મા’ના પાત્રએ બચાવી હતી.

નિર્દેશકના નિર્માતા

આ સફળ અભિનેતાના વ્યવસાયિકરૂપે ‘નિષ્ફળ નિર્માતા’વાળા કરિયર પર જ્યારે પણ એક નજર નાખો ત્યારે માત્ર આ વાત નોંધી લેજો કે કેવા પ્રતિભાશાળી લેખકોને તેમણે સિનેમાનાં પડદે સન્માનીય મંચ પૂરું પાડ્યું. શ્યામ બેનેગલ નિર્દેશિત ‘જુનૂન’માં રસ્કિન બોન્ડ, ઈસ્મત ચુગતાઈ અને સત્યદેવ દુબે જેવાં નામો લેખકની યાદીમાં જોડાયેલાં હતાં. મહાભારતની કથા પર આધારિત ‘કલયુગ’ની પટકથા ગિરીશ કર્નાડ અને શ્યામ બેનેગલે સાથે મળીને લખી હતી.

અપર્ણા સેનને ’૩૬ ચૌરંગી લેન’ની સાથે લેખક અને નિર્દેશક તરીકે પ્રથમ બ્રેક આપનાર શશી કપૂર જ હતા. બાદમાં ફિલ્મ ‘વિજેતા’માં કવિ દિલીપ ચિત્રે, પંડિત સત્યદેવ દુબેની સાથે લેખકની ભૂમિકામાં આવ્યા. અને શૂદ્રકનાં નાટક ‘મૃચ્છકટીકમ’ આધારિત ‘ઉત્સવ’ બનાવતી વેળાએ શરદ જોષી જેવા નામ આ ફિલ્મનાં લેખનકાર્ય સાથે જોડાયા. શશી કપૂરની સાથે કાર્ય કરનાર નિર્દેશકોમાં શ્યામ બેનેગલ, ગોવિંદ નિહાલાની, ગિરીશ કર્નાડ, અપર્ણા સેન વગેરે છે. લાંબા કરિયરવાળા આ તમામ નિર્દેશકોએ શશી કપૂરને જ પોતાના સૌથી વધુ દિલદાર નિર્માતા કહ્યા.

મર્ચન્ટ-આઈવરીની સાથે જુગલબંદી

લગભગ છ દાયકામાં ફેલાયેલાં અભિનેતા શશી કપૂરનાં ફિલ્મી કરિયરમાં તેમણે મર્ચન્ટ-આઈવરીની સાથે કરેલી અનેક ફિલ્મ્સ પૈકી બે તદ્દન અલગ ફિલ્મો એ મારી પસંદગીની ફિલ્મો છે. અને જો તમે ધ્યાનથી જુઓ તો આ બંને ફિલ્મ્સનાં પાત્રોની મધ્યમાં શશી કપૂરનું સમગ્ર ફિલ્મી જીવન સમાયેલું છે. જે પૈકી પ્રથમ, જેમ્સ આઈવરી નિર્દેશિત વર્ષ ૧૯૬૩માં આવેલી ‘ધ હાઉસહોલ્ડર’માં યુવા શશીએ અભિનેત્રી લીલા નાયડુની સાથે મળીને તે તરુણ નાયકને પડદા પર જીવંત કર્યો છે, કે જેને હજુ દાંપત્ય જીવનનો પ્રથમ પાઠ શીખવાનો છે. આ ફિલ્મનાં લગભગ ત્રીસ વર્ષ બાદ, વર્ષ ૧૯૯૪માં આવેલી ઈસ્માઈલ મર્ચન્ટ નિર્દેશિત ફિલ્મ ‘મુહાફિઝ’ એ શશી કપૂરની સિનેમાઈ પડદા પરની અંતિમ ઉપસ્થિતિઓ પૈકીની એક છે.

પણ, આ માત્ર શશી કપૂરની સિનેમાઈ જીવનયાત્રાનાં બે ભાગ જ નથી, પરંતુ આ આઝાદી બાદ આપણા આધુનિક હિન્દુસ્તાની શહેરની દુઃખદાયી વાર્તાનાં પણ બે ભાગ છે. રૂથ પ્રવર ઝાબવાલા લિખિત ‘ધ હાઉસહોલ્ડર’ એક નવાં બનતાં આધુનિક મૂલ્યોવાળાં શહેરનું પ્રેમગીત છે. તે તરુણ પેઢીની વાર્તા, જેણે નહેરુના હિન્દુસ્તાનમાં આઝાદીનું સ્વપ્ન જોયું અને એક સંભાવનાઓ ભરેલાં શહેરને પોતાની બાજુઓમાં સમેટીને દિલથી પ્રેમ કર્યો. આ પુરાની દિલ્હીની બંધ ગલીઓમાં પ્રેમયુક્ત ઉજળી છતની શોધ કરતાં યુવા દંપતીની વાર્તા છે. આ પરિવાર અને સમુદાયનાં જડ સામંતી માળખાંની વચ્ચે પ્રેમ, સમજદારી અને સમાનતાનાં લોકતાંત્રિક મૂલ્યોની સ્થાપના કરતી આઝાદ ભારતની પ્રથમ પેઢીની કથા છે. આ કથા આશાસ્પદ છે, ઠીક યુવા શશીની આશાસ્પદ આંખોની માફક.

આનાથી વિરુદ્ધ ‘મુહાફિઝ’ મૃત્યનું ગીત છે. તેનું ભોપાલ આપણા નષ્ટ થઇ રહેલાં, આપણી સંસ્કૃિતને ખોઈ રહેલાં ઉત્તર ભારતીય શહેરનું પ્રતીક છે. આ ઉદારીકરણ બાદ વર્ષ ૧૯૯૦નો દાયકો છે અને સહેજ સંભાળવાલાયક બધું જ નષ્ટ થઈ રહ્યું છે. આ માત્ર એક ભાષા તરીકે ઉર્દૂનું મૃત્યુ નથી. આ આપણી વિરાસતને સંભાળવામાં અક્ષમ એક શહેરનું મૃત્યુ છે, ભાષાનું મૃત્યુ છે, જીવન જીવવાની એક ખાસ શૈલીનું પણ મૃત્યુ છે. અને આધેડ વયના શાયર નૂર મિયાંની ભૂમિકામાં કદાવર કાયાની સાથે શશી કપૂરે આ ફિલ્મમાં પોતાના જીવનનો કદાચ સર્વશ્રેષ્ઠ અભિનય કર્યો છે. રસપ્રદ વાત એ છે કે અનિતા દેસાઈની મૂળ નવલકથા ‘ઇન કસ્ટડી’, ફિલ્મનું શીર્ષક અંગ્રેજીમાં હતું, જેમાં નષ્ટ થઇ રહેલું સંસ્કૃિતનું શહેર ભોપાલ નહિ પણ દિલ્હી જ છે.

ગમગીન શહેરની પ્રથમ છબી

અને આ બંને ફિલ્મ્સની વચ્ચે ‘ન્યૂ દેલ્હી ટાઈમ્સ’ પણ મારી સૌથી પસંદગીની ફિલ્મ છે. ૧૯૮૦નાં દાયકા દરમિયાન જ્યારે શશી કપૂરના સમકાલીન મહાનાયક અમિતાભ ‘મર્દ’ અને ‘જાદૂગર’ જેવી ફિલ્મ્સ કરી રહ્યાં હતાં ત્યારે શશી કપૂર એક નવાં નિર્દેશક રમેશ શર્માની સાથે ‘ન્યૂ દેલ્હી ટાઈમ્સ’ જેવી લાજવાબ ફિલ્મ કરી રહ્યાં હતાં. જો આ ફિલ્મની આપણે કુંદન શાહની કલ્ટ ક્લાસિક ‘જાને ભી દો યારોં’ની સાથે સરખામણી કરીએ તો આ બંને વર્ષ ૧૯૮૦નાં દાયકાની મોહભંગની કથા છે, જે પત્રકારિતામાં સંલગ્ન ઈમાનદાર નાયકની મારફત કહેવામાં આવી રહી છે.

‘જાને ભી દો યારોં’નાં નાયક હાંસિયાનાં પાત્ર છે, પણ ‘ન્યૂ દેલ્હી ટાઈમ્સ’નો વિકાસ પાંડે તો સત્તાનાં કેન્દ્રમાં ઊભો રહીને સત્તાનાં ખેલને દેખી રહ્યો છે. પણ તેને ખ્યાલ જ નથી આવતો કે ક્યારે હાંસિયા પર રહેલી આ હિંસાની લપેટમાં તેનો પોતાનો પરિવાર આવી ગયો છે. આ કથામાં ગેરકાનૂની સત્તાની કાનૂની સત્તામાં બદલાઈ જવાની વાત છે. અહીં ‘રાતનાં શહેર’ની કથા છે કે જ્યાં ગેરકાનૂની સત્તા જ હવે અસલ સત્તા છે. બાદમાં આ જ ગમગીન શહેરની વધુ પ્રમાણિક છબી આપણે એન. ચંદ્રાની ‘તેજાબ’ અને વિધુ વિનોદ ચોપરાની ‘પરિંદા’માં જોઈએ છીએ, જેને ઇતિહાસકારો થકી લોકપ્રિય હિન્દી સિનેમાની દિશા બદલનાર ફિલ્મ્સમાં સ્થાન મળ્યું છે.

સ્પોટલાઈટથી પર

શશી કપૂર પર લેખક અસીમ છાબરા દ્વારા લખવામાં આવેલું અદ્દભુત પુસ્તક ‘શશી કપૂર : ધ હાઉસહોલ્ડર ધ સ્ટાર’માં શશી કપૂરની સાથે કોઈ સીધો વાર્તાલાપ નથી. ગત કેટલાંક વર્ષોમાં તબિયત નાજુક હોવાને કારણે શશી કપૂરની સાથેનો અસીમ છાબરાનો સીધો સંવાદ સાધી શકાયો નથી. પણ, એક રસપ્રદ કિસ્સો કપૂર ખાનદાન પર પ્રમાણિક પુસ્તક લખનાર મધુ જૈનનાં પુસ્તક સાથે જોડાયેલો છે કે જેનો પ્રસ્તાવ લઈને તે શશી કપૂર પાસે ગઈ હતી. તે સમયની સૌથી ચર્ચિત સિનેમા પત્રકાર, ઇન્ડિયા ટૂડેની સાથે જોડાયેલી મધુ જૈન પોતાનાં ઝીણવટપૂર્વક લખેલાં પુસ્તક ‘કપૂર્સ’ની ભૂમિકામાં જણાવે છે કે તે ખરેખર તો શશી કપૂરની આત્મકથા લખવાનો પ્રસ્તાવ લઈને તેમની પાસે ગઈ હતી. પરંતુ, તરત જ શશી કપૂરે આ પ્રસ્તાવનો હસતા-હસતા અસ્વીકાર કર્યો અને કહ્યું કે પિતાજી પૃથ્વીરાજ કપૂર અને મોટા ભાઈ રાજ કપૂર જેવી પ્રતિભા આ ઘરમાં છે ત્યારે કોઈ કેવી રીતે તેમના પોતાના પર આ રીતે સ્વતંત્ર પુસ્તક લખી શકે. તેઓ જે નિસ્વાર્થથી ‘સ્પોટલાઈટ’ને છોડીને આગળ વધતા તે જ તેમના સૌથી ઉજળા પારસમણિની ચમક હતી.

આ જ પ્રમાણેનાં નિસ્વાર્થભાવનો એક ભાગ તેમનાં દ્વારા નિર્મિત ફિલ્મ્સમાં તેમનાં જ દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાઓમાં પણ જોઈ શકાય છે. ખાસ કરીને ફિલ્મ ‘જુનૂન’ અને ‘ઉત્સવ’માં. ચોક્કસપણે ફિલ્મ ‘જુનૂન’માં મુખ્ય ભૂમિકા તેમની હતી, પણ ફિલ્મની સૌથી ચમકદાર ‘એન્ગ્રી યંગ મેન’વાળી ભૂમિકા તેમણે તે સમયનાં સૌથી કાબિલ અભિનેતા નસીરુદ્દીન શાહને આપી હતી. શશી કપૂરની પોતાની ભૂમિકા આ ફિલ્મમાં ગ્રેય શેડ્સ માટે હતી, અને આ નિભાવવા માટે ઉમદા અભિનય પ્રતિભાની જરૂરિયાત હતી. આજે ‘જુનૂન’ ફિલ્મનાં જાવેદ ખાનને જોતાં જ મને ફિલ્મ ‘પિંજર’ના મનોજ બાજપેયી અને ફિલ્મ ‘૧૯૪૭ અર્થ’ના આમિર ખાનની ભૂમિકા યાદ આવે છે. બીજી બાજુ ફિલ્મ ‘ઉત્સવ’માં શશી કપૂર સૌથી ખરાબ દેખાતા છીછરા આધેડની ભૂમિકા સ્વીકારે છે અને તેને સુંદરતાથી ભજવે છે. યાદ રાખવું જોઈએ કે આ ફિલ્મ માટે તેમણે પ્રથમ વખત પોતાનું વજન વધાર્યું હતું, નહીં તો અન્ય કપૂર નાયકથી વિરુદ્ધ શશી કપૂરની છબી હંમેશાં એક આકર્ષક કાયાવાળા નાયક તરીકેની રહી છે. પણ, પત્નીનાં મૃત્યુ બાદ ઉદાસ શશી કપૂરની બગડેલી જીવનશૈલીનાં કારણે તેમનું સુડોળ શરીર હંમેશાં માટે છીનવાઈ ગયું.

સંગતકાર

મને હંમેશાં લાગે છે કે કવિ મંગલેશ ડબરાલની કવિતા ‘સંગતકાર’ શશી કપૂરનાં સિનેમાઈ કરિયરની સામે રાખીને વાંચવી જોઈએ. જે તન્મયતા અને ખામોશીની સાથે તેમણે ૧૯૭૦નાં દાયકામાં મુખર નાયકોની સામે ખામોશીથી ઊભા રહીને પોતાના ‘નૈતિક અન્ય’ પાત્ર ભજવ્યા, તેમાં જ તેમનું આદરપણું છુપાયેલું હતું.

‘મુખ્ય ગાયકનાં પહાડ જેવાં ભારે સ્વરનો સાથ આપતો
આ અવાજ સુંદર ધીમે કાંપી રહ્યો હતો
તે મુખ્ય ગાયકનો નાનો ભાઈ છે
અથવા તેનો શિષ્ય
અથવા ચાલીને શીખવા આવનાર દૂરનો કોઈ સંબંધી
મુખ્ય ગાયકની ગરજમાં
પણ પ્રાચીન કાળની સાથે પોતાની ગૂંજ મેળવતો આવ્યો છે
પણ ગાયક જ્યારે અંતરાનાં જટિલ સ્વરનાં જંગલમાં
ખોવાઈ ગયેલો હોય છે
અથવા તો પોતાની જ સરગમની સાથે
નીકળી પડે છે ભટકતો એક અનહદમાં
ત્યારે સંગતકાર જ સ્થાયીને સંભાળી રાખે છે
કે જે રીતે મુખ્ય ગાયકનો પાછળ રહી ગયેલો સામાન એકઠો કરતો હોય
જે રીતે તેને તેનું બાળપણ યાદ આવતું હોય
કે ત્યારે તે શીખી રહ્યો હતો
તારસપ્તકમાં જ્યારે તેનું ગળું બેસી જતું હતું
પ્રેરણા સાથ છોડે અને ઉત્સાહ અસ્ત થઈ જાય
અવાજની રાખ જેવું કશુંક પડતું હોય
ત્યારે મુખ્ય ગાયકને આશ્વાસન મળે
ક્યાંકથી ચાલી આવે છે સંગતકારનો સ્વર
ક્યારેક-ક્યારેક તે આમ જ તેનો સાથ આપે છે
તે જણાવવા માટે કે તે એકલો નથી
અને એ વાત કે ફરીથી ગાઈ શકાય છે
ગવાઈ ગયેલો રાગ
અને તેનાં અવાજમાં એક સંકોચ સાફ સંભળાય છે
અથવા પોતાનાં સ્વરને ઊંચો ન ઉઠાવવા માટેના જે પ્રયાસ છે
તેની મનુષ્યતા સમજવી જોઈએ.

– કવિ મંગલેશ ડબરાલ (સાભાર, કવિતાકોશ)

e.mail : nbhavsarsafri@gmail.com

અનુવાદ – નિલય ભાવસાર

Loading

કોસ્ટા રીકા પાસેથી પાઠ શીખીએ

આશા બૂચ|Opinion - Opinion|9 January 2018

21મી સદીના પ્રારંભે, આતંકવાદે નવા વેશમાં દુનિયાભરમાં વિનાશના વાવેતર કરવાની શરૂઆત કરેલી, એ વાવણી હજુ પૂરી નથી થઈ તેમ ઉત્તર કોરિયાના ફૂંફાડા અને અમેરિકાના વિચાર વિનાના ધમપછાડા પરથી પ્રતીત થાય છે. વિશ્વ આખીની આમ જનતાને તો માત્ર અને માત્ર શાંતિ ખપે છે. જાણે એ શાંતિ નામની કોઈ રમણીનું અપહરણ થઇ ગયું છે, તો શાંતિને ફરી માનવ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપવા સામે પડકારો કયા છે એ વિચારીએ. આજે નિર્દોષો પર થતા જુલમ, તેમને સહેવી પડતી પીડા અને વૈરભાવનાથી થતી હિંસા સામે લોકો પોતાને લાચાર અને સત્તા વિહોણાં અનુભવે તે સ્વાભાવિક છે. પરંતુ આંતરધર્મીય અને આંતરરાષ્ટ્રીય શાંતિમય સહઅસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવનારોએ હતાશા અને લાચારીના ભાવને શરણે ન જવું જોઈએ, પણ દુઃખી પ્રજાને મલમપટ્ટા લગાવવા અને આખી દુનિયાને સાચો રાહ બતાવવા કટિબદ્ધ થવું રહ્યું. ભલે આપણે કોઈ મોટા રાજકીય પગલાં ન ભરી શકીએ, પણ નાનાં નાનાં અનેક પગલાંઓ દ્વારા સમાજને દર્દમાંથી રાહત આપી શકીએ. આપણે જરૂર દુનિયાને બદલવા રાહ બતાવી શકીએ.

આ રહી એવી એક આશા ઉપજાવે તેવી સત્ય કહાણી. શાંતિ પ્રિય અને પ્રવાસના શોખીન એવા એક કર્મશીલ જ્હોન એન્ડ્રુઝ કોસ્ટા રીકાની સફરે ગયેલા, જ્યાં તેમણે જે જોયું અને અનુભવ્યું તેના પરથી શીખેલ પાઠ વિષે જાણવા જોગ છે જે અહીં ધરું છું.

શ્રીમાન જ્હોને કોસ્ટા રીકામાં બે ટી શર્ટ ખરીદ્યાં. એક પર ઓટોમેટિક રાઇફલના નાળચામાંથી ફૂલ નીકળેલ હતું જેના પર રક્ત રંગે ‘No Army’ લખેલ અને બીજા પર શસ્ત્ર પર ‘No Army since 1948’ એવું ચિત્રણ કરેલું. વાત એમ છે કે 1948ની ક્રાંતિ બાદ, કોસ્ટા રીકાના આર્ષદ્રષ્ટા નેતા જોસે ફિગરેસ ફરેરે એક મોટું કામ કર્યું – પોતાના દેશના લશ્કરને વિખેરી નાખ્યું! જ્યારે દુનિયા આખીમાં સૈન્ય અને લશ્કરી સરંજામ દરેક દેશમાં ખડકાતા જતા હતા, ત્યારે આ દેશની સલામતી જોખમાઈ હશે તેમ જ સહુ માને તેમાં નવાઈ નથી, પણ બધાની એ માન્યતાને જૂઠી પાડે તેવી હકીકત તો એ છે કે 1948માં લેવાયેલ એ નિર્ણય બાદ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહી હોય તેવો એ એકમાત્ર દેશ છે! કેવી કરુણતા કે ભારત તેનાથી બિલકુલ વિપરીત દિશામાં ગતિ કરી રહ્યું છે!  

લશ્કરને વિખેરી નાખવાને પરિણામે  કોસ્ટા રીકા આરોગ્ય અને સ્વાસ્થ્ય, શિક્ષણ અને દેશના તમામ નાગરિકો માટે પેન્શનની જોગવાઈ કરી શક્યું કે જે દુનિયાના એ ભાગોમાં તદ્દન અજાણ્યો વિચાર છે. આ પગલાંને કારણે તેઓ લગભગ કાર્બન ન્યુટ્ર્લ એનર્જી પૂરી પડી શકે છે અને મહાકાય મિલકતો ઊભી કરનારી બાંધકામની કંપનીઓ દ્વારા થતા વિનાશથી પ્રાકૃતિક જળ, જંગલ અને જમીનની રક્ષા કરી શક્યા છે. આમાનું મોટા ભાગનું નાણું તેઓને લશ્કર પાછળ ન કરવા પડતા ખર્ચમાંથી મળી રહે છે. આપણે જાણીએ છીએ કે સ્વીત્ઝર્લેન્ડ પાસે પણ કાયમી ધોરણે કોઈ લશ્કર નથી, અને છતાં તેની આસપાસના યુદ્ધગ્રસ્ત દેશોથી ઘેરાયેલું હોવા છતાં તે પોતે લગભગ છેલ્લાં બસો વર્ષથી સલામત રહ્યું છે.

આ હકીકત શું સૂચવે છે? શાંતિ અને સમૃદ્ધિ લશ્કર અને શસ્ત્રોના ખડકલા કરવાથી જળવાય? કે શસ્ત્રોના ભરાવાથી ભય અને શીત યુદ્ધ કાયમ રહે અને તેના વપરાશથી બંને પક્ષોની તારાજી થાય? દુનિયાને લશ્કરની જરૂર નથી; ખાસ કરીને આજના યુગમાં. એ તો એક શાપ છે, વરદાન નહીં. જેમ મોટા ભાગના લોકોની જીવન પદ્ધતિ બદલી છે, તેમને થતા રોગો અને માંદગીઓના પ્રકાર બદલ્યા છે, તેમ મરવા અને મારવાની રીતો પણ બદલાયાં છે. લશ્કર રાખવાનો મૂળ હેતુ હંમેશ સામા પક્ષને લૂંટવાનો રહ્યો છે અને હજુ આજે પણ તેનો એ જ ઉપયોગ છે. જો કે માનવજાતના ઇતિહાસમાં એવું પણ નોંધાયું છે કે લશ્કરથી સલામતી પણ પૂરી પાડી શકાય છે. પરંતુ 1948માં યુનાઇટેડ નેશન્સની રચના કર્યા બાદ, લશ્કરની સતત હાજરી અને જરૂરિયાતને નકારવામાં આવી હતી. યુ.એન. દ્વારા આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને કોર્ટની રચના થવાથી લશ્કર રાખવાનું જરૂરી ન રહ્યું કેમ કે અન્ય દેશ પર હુમલો કરવો એ તો ગેરકાયદેસર ગણાવા લાગ્યું.

કોસ્ટા રીકાએ એ વાતનું મહત્ત્વ સમજીને પોતાના દેશના લશ્કરને વિદાય આપી દીધી, તો જુઓ, એ દેશ શાંતિમાં આળોટ્યો અને જે દેશોએ શસ્ત્રો વધાર્યાં એ બધા પાયમાલ થયા! યુ.એન. તેના સભ્ય દેશો પાસે આ કાયદાઓનું પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યું તેમાં માત્ર તેની જ ત્રુટિ નથી, એ તો શસ્ત્રો બનાવનાર મોટી મોટી કંપનીઓ એ કાયદાઓનું પાલન કરવા જે તે દેશોની સરકારોને ટેકો આપવા મંજુર નથી હોતા તે છે. શા માટે તેઓ યુ.એન.ના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે? કેમ કે યુદ્ધ એ એક વેપાર છે – મોતનો વેપાર. તેનાથી અમેરિકાના અને તેના જેવા બીજા અતિ ધનાઢ્ય લોકોને પુષ્કળ કમાણી થાય, ભલે ને કરોડો નિર્દોષ લોકોના જાન  લેવાય અને પર્યાવરણનો દાટ વળે.

આમ તો કોસ્ટા રીકાની માફક બ્રિટનને પણ 1948 બાદ લશ્કરની જરૂર નથી. જરા કલ્પના કરો, જે અબજો પાઉન્ડ લશ્કર અને યુદ્ધને લગતી સેવાઓ જેવી કે જાસૂસી સેવા, અણુ સબમરીનો અને અન્ય શસ્ત્ર સરંજામ પાછળ ખર્ચાયા, તે પ્રજાનાં સ્વાસ્થ્ય, શિક્ષણ, આવાસ, વાહન વ્યવહાર અને renewable ઊર્જા પાછળ વાપરી શકાયા હોત, અને તો બ્રિટનની પ્રજાને કેટલો લાભ થયો હોત? આંતરરાષ્ટ્રીય ફલક પર માનવતા વિરુદ્ધ યુદ્ધ છેડનારા ગુનેગારોના સાગરીત થવાને બદલે બ્રિટન શાંતિના ખરા દૂત તરીકે પંકાયું હોત – કોસ્ટા રીકાની માફક.

શસ્ત્ર વિહીન રાજ્ય વહીવટનો ઉપર ઉલ્લેખ કર્યો તેના અનુસંધાનમાં એ પણ જાણી લઈએ કે યુનાઇટેડ નેશન્સનો અણુશસ્ત્રો પરનો પ્રતિબંધ લાવતો ખરડો 7 જુલાઈ 2017ને દિવસે પસાર થયો જેમાં દુનિયાના 122 દેશોએ અણુશસ્ત્રો પરના પ્રતિબંધના કરાર પર સહી સિક્કા કર્યા. નોંધ લેવા જેવી બાબત એ છે કે અણુશસ્ત્રો ધરાવનાર નવ દેશોએ તે કરાર પર સહી કરવાનો વિરોધ કર્યો. અને ભારત તેમાંનું એક રાષ્ટ્ર હતું. તે બેઠકના પ્રેસિડન્ટ કોસ્ટા રીકાના Elayne Whyte Gomez કહેલું, “આપણે અણુશસ્ત્રોથી મુક્ત જગત બનાવવા માટેનાં પહેલાં બીજ વાવી દીધાં છે. આપણે આપણી આવનારી પેઢીને આ દ્વારા  કહીએ છીએ કે અણુશસ્રોથી મુક્ત એવું વિશ્વ વારસામાં મૂકી જવું શક્ય છે.” સવાલ એ છે કે ભારતે આ કરાર પર સહી કેમ ન કરી? જે દેશોએ આ સમજૂતી પર સહી નથી કરી તે દેશની પ્રજાની ફરજ બને છે કે તે પોતાની સરકારોને માનવે શોધેલા આવા વિનાશક શસ્ત્રોને અને તેવી ઘાતક વિચારધારાને ખતમ કરે. વધુ રસ ધરાવનાર આ કરાર www.un.org/disarmament/ptnw પર વાંચી શકશે.

અહિંસાના છેલ્લા મસીહા જેવા ગાંધીજીના શસ્ત્રો – ખાસ કરીને અણુશસ્ત્રો વિશેના વિચારો જાણવા રસપ્રદ થઈ પડશે. ગાંધીજીના જીવનના લગભગ અંત સમયે અણુશસ્રોની શોધ થઈ જેના વિષે તેઓએ કહેલું, “જ્યાં સુધી મને દેખાય છે ત્યાં સુધી કહી શકું કે એટમ બોમ્બે માનવીની ઉત્તમોત્તમ લાગણીઓને મૃતપ્રાયઃ કરી નાખી છે જેના પર માનવતા યુગોથી ટકી છે. પહેલાં યુદ્ધના કેટલાક નિયમો હતા, જેને કારણે તે સહ્ય બનતું. હવે આપણી નજર સામે યુદ્ધનું નગ્ન સત્ય ઉઘાડું પડ્યું. લડાઈ એક પણ કાયદો કે નિયમ નથી જાણતી, સિવાય કે પાશવી તાકાત.” તેમણે એમ પણ કહ્યું કે, “બોમ્બની અંતિમ કરુણાંતિકામાંથી એક શીખ પ્રામાણિક પણે લેવા જેવી છે કે એવા સંહારનો જવાબ બીજા બોમ્બથી નહીં વાળી શકાય. જેમ હિંસાને વળતી હિંસાથી ન ખાળી શકાય. માનવજાતે હિંસાના વિષ ચક્રમાંથી માત્ર અહિંસાથી જ બહાર નીકળવાનું રહેશે. હું માનું છું કે જેઓએ એટોમિક બોમ્બની શોધ કરી છે તેઓએ વૈજ્ઞાનિક જગત સામે ભયાનક પાપ કર્યું છે. દુનિયાને બચાવવા માટે જો કોઈ એક માત્ર શસ્ત્ર હોય તો તે અહિંસા જ છે. દુનિયાની હાલની સ્થિતિ જોતાં કોઈને હું મૂર્ખ ભાસું. પણ મને તે વિષે જરા પણ દિલગીરી નથી. હું તો ભગવાનનો પાડ માનું છું કે તેણે મને એટોમિક બૉમ્બ બનવવાની ક્ષમતા ન આપી.”

30 જાન્યુઆરી 1948 – ગાંધીજીના અંતિમ દિવસે અમેરિકાના પ્રખ્યાત ફોટોગ્રાફર માર્ગારેટ બ્યોર્ક વ્હાઇટે તેમને પૂછ્યું, “તમે અમેરિકાને એટોમિક બૉમ્બ બનાવવાનું છોડી દેવાની સલાહ આપો ખરા?”  ગાંધીનો ઉત્તર હતો, “નિશ્ચિત પણે. હાલ જે પરિસ્થિતિ છે તે જુઓ. યુદ્ધનો અંત બહુ ખરાબ રીતે આવ્યો અને વિજેતાઓ ઈર્ષા અને સત્તા લોલુપતામાં વિલુપ્ત થઈ ગયા. ત્રીજા વિશ્વ યુદ્ધના પ્રચારનો પ્રારંભ થઈ ચુક્યો છે. અહિંસા એટોમિક બૉમ્બ કરતાં અનેકગણું વધુ શક્તિશાળી શસ્ત્ર છે.”   ગાંધીજીનાં આ વિધાનો પર વિશ્વાસ ન બેસતો હોય તો છેલ્લાં 75 વર્ષનો દુનિયાનો ઇતિહાસ જોઈને કહો કે કયા યુદ્ધથી કાયમી શાંતિ અને પરસ્પર વિશ્વાસની લાગણી સ્થપાઈ છે?

ગાંધી નિર્વાણને 70 વર્ષ થવા આવ્યાં અને આજે વિશ્વ શાંતિ ખરેખર જોખમાઈ રહી છે ત્યારે કોસ્ટા રીકાને વિનંતી કરીએ કે તે દુનિયાના બીજા દેશોને શસ્ત્રો બનવવાની અને તેના ઉપયોગની વિફળતા વિષે સમજ આપવામાં આગેવાની કરે અને માનવ જાતને મહા વિનાશ તરફ ધસી જતી અટકાવે.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,1983,1993,2003,201...3,2103,2203,230...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved