Opinion Magazine
Number of visits: 9583590
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટ્રિપલ તલાકના વિરોધમાં છેક ૧૯૬૬માં સરઘસ કાઢનાર સેક્યુલર સમાજ સુધારક હમીદ દલવાઈ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|12 January 2018

ટ્રિપલ તલાક નાબૂદ કરવા માટેનું બિલ હવે સંસદના બજેટ સેશનમાં મૂકાવાની સંભાવના છે …

માંડ પિસ્તાળીસ વર્ષની જિંદગી જીવનાર રોમેરોમ કર્મશીલ રૅશનલ ચિંતક હમીદ દલવાઈએ ૧૮ એપ્રિલ ૧૯૬૬ના દિવસે ટ્રિપલ તલાકની કુરૂઢિના વિરોધમાં અને સમાન નાગરિક ધારાની તરફેણમાં  મુંબઈના મંત્રાલયની સામે સરઘસ કાઢ્યું હતું. એમાં તેમના પત્ની મહેરૂન્નિસા સહિત સાત મુસ્લિમ મહિલાઓ પણ સામેલ હતાં. હમીદ(1932-1977) મુસ્લિમ સમાજને નીડરપણે પાયાના સુધારાની હાકલ કરતા રહ્યા.

તે દિશામાં કામ કરવા માટે તેમણે ‘મુસ્લિમ સત્યશોધક મંડળ’ની સ્થાપના કરી જે મહારાષ્ટ્રમાં આજે પણ કાર્યરત છે. હમીદના વિચારો એ મૂળભૂત  ફેરફારોનું નિશાન તાકનાર અને વ્યાપક સેક્યુલર લોકશાહી સમાજવ્યવસ્થાને વ્યાખ્યાયિત કરનારા હતા. એ તેમનાં આ ત્રણ મરાઠી પુસ્તકોમાં પણ વાંચવા મળે છે : ‘ઇસ્લામનું ભારતીય ચિત્ર’, ’રાષ્ટ્રીય એકાત્મતા અને ભારતીય મુસલમાન’ અને ‘ભારતીય મુસ્લિમ રાજકારણ’. આ ત્રીજા પુસ્તકનો અંગ્રેજી અનુવાદ જાણીતા કવિ દિલીપ ચિત્રેએ કર્યો છે. તેના વિષયો છે : ભારતીય મુસ્લિમોની ઐતિહાસિક પાર્શ્વભૂમિ, ‘રાષ્ટ્રવાદી’ અને ‘કોમવાદી’ મુસ્લિમો, સામ્યવાદીઓ અને કોમવાદીઓની વિચિત્ર સોબત, મુસ્લિમ એકતાના માર્ગમાંની અડચણો, ધર્મનિરપેક્ષતા સામે મુસ્લિમોનો વિરોધ, માનવતાવાદી આધુનિકતાવાદ, બાદશાહ ખાનની મુલાકાતની ફલશ્રુતિ અને બાંગલાદેશનો અર્થ.

તેમાં તેમણે મુસ્લિમોની સાફ ટીકા કરતી જે બાબતો કહી છે તેમાંથી નમૂના દાખલ કેટલીક આ મુજબ છે : મુસ્લિમો પોતાના મજહબના સવાલો માટે તેઓ હિંદુઓને દોષ દેતા રહ્યા છે, ભારતીય મુસ્લિમ બુદ્ધિવાદી વર્ગે ક્યારે ય આત્મનિરીક્ષણ કર્યું જ નથી, પાશ્ચાત્ય શિક્ષણના ઇન્કારે મુસ્લિમોને પછાત રાખ્યા, તેઓ ધર્મની ઘરેડનો પુરસ્કાર અને આધુનિકતાનો પ્રતિરોધ કરતા રહ્યા, આઝાદીની ચળવળમાં તે અવરોધો ઊભા કરતા રહ્યા, વિભક્ત મુસ્લિમ રાષ્ટ્રવાદનો એમણે સ્વીકાર કર્યો. અલબત્ત, હિન્દુ સમાજની મર્યાદાઓ હમીદ નજરઅંદાજ કરતા નથી, હિંદુ-મુસ્લિમ પ્રશ્નની બહુઆયામી સંકીર્ણતાનો તેમને પૂરતો ખ્યાલ છે. પણ તેમનો એકંદર ઝુકાવ પોતાના મજહબીઓની સમજને દુરસ્ત કરવા તરફ છે. હમીદના વિચારોના વ્યવહારુ પાસાની ઝલક મરાઠી માસિક ‘મનોહર’ ના ૨૬ ઓગસ્ટ ૧૯૭૩ના અંકમાં પ્રસિદ્ધ થયેલી એક મુલાકાતમાં પણ મળે છે.

આ મુલાકાતમાં  તેમની મુસ્લિમ ઓળખ વિશેના એક પ્રશ્નના જવાબમાં હમીદ કહે છે : ‘હું નમાઝ પઢતો નથી, રોજા રાખતો નથી, કારણ કે એ બાબતો ઇશ્વરે નહીં પણ મહંમદે સર્જેલી છે એમ હું માનું છું. એટલે એમાં એ પણ આવી જાય કે હું આખીરતમાં માનતો નથી. છતાં ય હું મુસલમાન છું, કારણ કે હું મુસ્લિમ સમાજમાં જન્મ્યો છું. નહેરુ નિરીશ્વરવાદી હતા અને છતાં પણ જે અર્થમાં હિન્દુ હતા, એ અર્થમાં હું મુસલમાન છું. કારણ કે મુસ્લિમ અથવા હિન્દુ હોવાની પોથીનિષ્ઠ વ્યાખ્યા મને મંજૂર નથી. એ વધુ વ્યાપક છે એમ હું માનું છું.’

ઇસ્લામ એ સહુથી વધુ લોકશાહીવાદી અને સમાનતાપ્રધાન ધર્મ હોવાની માન્યતા વિશે પૂછતાં હમીદ કહે છે : ‘કોઈ પણ ધર્મ આવો નથી, અને એમાં ઇસ્લામ પણ અપવાદ નથી. ધર્મો સામાજની રચના અધ્યાત્મિકતાના પાયા પર કરે છે. ધર્મો મધ્યયુગીન છે, જ્યારે સ્વાતંત્ર્ય-સમાનતા આધુનિક વિભાવનાઓ છે. હવેના સમયમાં ધર્મના પાયા પર સુસંસ્કૃત સમાજવ્યવસ્થા સર્જી શકાશે નહીં એ હિંદુ અને મુસ્લિમ બધાએ ઓળખી જવું જોઈએ.’ ‘કુરાન’માં ‘મૂર્તિપૂજકોનો મૂળમાંથી સફાયો કરો’ એ મતલબનું વિધાન હોવાનું કહેવાય છે. એ અંગે હમીદ કહે છે કે કુરાન આમ કહેતું નથી, પણ મૂર્તિપૂજકોને અવમાનિત કરવા માટે એમની પર કર લાદો એવી એક વાત એમાં છે. હમીદ માને છે કે ‘કુરાન’માં શું કહ્યું છે એના કરતાં અત્યારે માનવીય સંબંધો કયા સ્તર પર છે એ સવાલ વધારે મહત્ત્વનો છે. આવાં અસામાનતાવાદી વિધાનો બધાં ધર્મશાસ્ત્રોમાં મળશે. ‘મનુસ્મૃિત’એ પણ સ્ત્રીઓ અને કેટલાક  વર્ગોને સમાન સ્થાન આપ્યું નથી. પણ હવે પછીનો ભારતીય સમાજ મનુસ્મૃિત કે કુરાનના આદેશો પર આધારિત નહીં હોય, એ બધી વ્યક્તિઓની સમાનતા પર આધારિત હશે એ બધાએ સમજી લેવું પડશે.

અત્યારના ભારતીય જનતા પક્ષ(ભાજપ)ના મૂળ ભારતીય જનસંઘ પક્ષમાં છે. એની સાથેના મતભેદો અંગે હમીદે કહ્યું: ‘ગોહત્યાબંધી હું બિલકુલ સ્વીકરતો નથી. દેશમાં વસુકી ગયેલાં ઢોરની સંખ્યામાં પદ્ધતિસર રીતે ૩૩% ઘટાડો કરવાની જરૂર છે એવું મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ કહેતા હોય ત્યારે ગોહત્યાબંધી અપનાવી એ દેશની પ્રગતિમાં આડખીલી બને છે. અલીગઢ અને બનારસ યુનિવર્સિટીઓનાં નામોમાંથી અનુક્રમે મુસ્લિમ અને હિન્દુ શબ્દો દૂર કરીને એમને રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયો જાહેર કરવાં જોઈએ. સ્ત્રીઓને પુરુષો જેટલા જ અધિકારો મળે તે માટે ગયાં કેટલાં ય વર્ષોથી કોશિશો કરતો રહ્યો છું. દેશની સરકારના  નિર્ણયો કોઈ પણ ધર્મસમુદાયની પસંદગી કે નાપસંદગીને ધ્યાનમાં રાખ્યા વિના કરોડોની જનતાની આર્થિક અને સામાજિક ઉન્નતિ માટે શું જરૂરી છે એનો વિચાર કરીને લેવા જોઈએ. બધાએ કુટુંબનિયોજન કરવું જોઈએ એટલું જ નહીં પણ એ બધા માટે ફરજિયાત હોવું જોઈએ.’

હમીદે તેની રોજીરોટી વિશેના સવાલના જવાબમાં કહ્યું : ‘કોમવાદી મુસ્લિમો માને છે કે મને અમેરિકન જાસૂસી તંત્ર સી.આઈ.એ., રશિયન જાસૂસી તંત્ર કે.જી.બી., ખ્રિસ્તી ધર્મગુરુઓ, આર.એસ.એસ., જનસંઘ તેમ જ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી જેવી પરસ્પર વિરોધી વિચારસરણી ધરાવતી સંસ્થાઓ તેમ જ વ્યક્તિઓ પાસેથી પૈસો મળે છે. કેટલાક હિન્દુત્વવાદીઓ એવી ગુસપુસ કરતા હોય છે કે હું પાકિસ્તાનનો છૂપો સાગરિત હોઈ યાહ્યાખાન અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો મને પૈસો પૂરો પાડે છે. પણ હકીકત એ છે કે હું ‘ઇન્ડિયન સેક્યુલર સોસાયટી’નો પૂરા સમયનો કાર્યકર્તા છું આ સંસ્થા મને આજિવિકા માટે જરૂરી માનદ વેતન પૂરું પાડે છે. મારી પત્ની નોકરી કરે છે અને અમે મુંબઈના પરામાં એક ચાલી જેવા સંકુલમાં ડબલ રૂમમાં રહીએ છીએ.’ મેહરૂન્નિસા હમીદના કાર્યસાથી રહ્યાં. હમીદના અવસાન બાદ ચાળીસ વર્ષ સુધી સંગઠનનું કામ ચલાવીને તે છ મહિના પૂર્વે અવસાન પામ્યાં. તેમણે ‘મી ભરૂન પાવલે આહે’ (હું પરિતૃપ્ત છું) નામના  સ્વકથનમાં સહજીવનનું વાચનીય ચિત્ર આલેખ્યું છે. હમીદે હિન્દુ-મુસ્લિમ તાણાવાણાની સંકુલતા નિરૂપતી પચીસ વાર્તાઓ ઉપરાંત ‘ઇંધન’નામની નવલકથા લખી છે. તેનો શશિન ઓઝાએ ‘ઇંધણ’ નામે કરેલો ગુજરાતી અનુવાદ દિલ્હીની સાહિત્ય અકાદમીએ બહાર પાડ્યો છે.

મુસ્લિમોમાં કાફિર અને હિન્દુઓમાં યવન ગણાયેલા હમીદની જિંદગી અછતો અને જોખમોમાં વીતી. તેમને મુંબઈ-પુનામાં પ્રગતિશીલ સમર્પિત સાથીદારો મળ્યા. પણ કોકણના ચિપળુણ પાસેના મુસ્લિમબહુલ વતન મિરજોળી ગામે તેમનો હંમેશાં વિરોધ કર્યો. સિગરેટ, સિનેમા, સાહસના શોખીન હમીદે ચાર પત્નીઓ કરનાર પોતાના પિતાના ઘણાં સંતાનોને ટેકો પણ કર્યો. કૉલેજનું શિક્ષણ નહીં પામવા છતાં એમનો અભ્યાસ ગહન હતો, ચિંતન મૌલિક અને અચૂકપણે માનવતાવાદી હતું. તેમના જીવનકાર્યમાં મુસ્લિમ સમાજસુધારા થકી સાચા અર્થમાં સેક્યુલર દેશ માટેની આરત હતી. આપણા સમયના અગ્રણી સમકાલીન ઇતિહાસકાર રામચન્દ્ર ગુહાના ‘મેકર્સ ઑફ મૉડર્ન ઇન્ડિયા’ના ઓગણીસ સ્ત્રી-પુરુષ અગ્રણીઓમાં હમીદ એક છે. અંધશ્રદ્ધા નાબૂદીના ભેખધારી ડૉ.નરેન્દ્ર દાભોલકરની ચળવળ આગળ ચલાવી રહેલા તેમના પુત્રનું નામ છે હમીદ !

+++++

૧૦ જાન્યુઆરી ૨૦૧૮

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 12 જાન્યુઆરી 2018

Loading

બે કાવ્યો

નવ્યાદર્શ|Poetry|11 January 2018

– 1 –

તારી છાયામાં 

તને ક્યાંથી ખબર હોય
મેં બે જિંદગી જીવી લીધી છે
એક તારામાં અને એક મારામાં.
તારું પાસે હોવું એ તો સ્વપ્ન છે મારું
અને તારું દૂર હોવું સહી નથી શકાતું.
મને ખબર છે
તારી અંદર અને તારી બહાર જીવું છું હું તારામાં.
મને ખબર છે
હું છું તારા શબ્દોમાં, કવિતાઓમાં, તારા સ્વપ્નોમાં
સ્વપ્નાઓ હંમેશાં પોતાના હોય છે
મારા હોય કે તારા.
ક્યારેક થાય છે કે,
સૂરજમુખીનું હોવું કે ન હોવું સૂરજને શું ફર્ક પડે ?
કોઈ મુસાફર આવે કે ન આવે વિસામો લેવા
વૃક્ષને શું ફર્ક પડે ?
બસ
મને ખબર છે એટલી
મારું હોવું જરૂરી નથી તારા માટે
તારું હોવું સર્વસ્વ છે મારા માટે.
બસ
થોડીવાર તારી છાયામાં બેસી જાઉં ?
બહુ થાકી ગઈ છું
તને પ્રેમ કરી કરીને.

••••• 

– 2 –

ભૂલી જવું

 
હું તને કહી તો દઉં છું કે
‘ભૂલી જા મને’
અને તું પણ સ્વીકારી લે છે તે સહજ જ.
ભૂલી જવાનું કહ્યા પછી પણ શા માટે તું યાદ બની આવે છે ?
તારે અહીં નહીં આવવાનું,
તારા કોઈ માર્ગ પર હું નથી,
મારી અનુભૂતિ નથી,
જે પ્રેમને ખાતર તું મારી પાસે આવતો હતો
આજે એ પ્રેમ પણ નથી.
મિત્રતા …
બસ આ જ બાકી રહ્યું છે તારી-મારી વચ્ચે.
એનો તાંતણો પણ બહુ નાજુક છે.
હું તારો ગુસ્સો સહી નથી શકતી,
તારો પ્રેમ પામી નથી શકતી,
મિત્રતા પ્રેમનો માર્ગ બની જાય છે
એટલે તારી સાથે ચાલી પણ શકતી નથી.
હું શું કરું કે,
હું તારાથી બહુ દૂર જઈ શકું
અને તું મારાથી ?

Email : navyadarsh67@outlook.com

Loading

ગરીબી હટાવવાની એક નવીન રોમાન્ટિક ઊપજ

મૂળ લેખક – રાજકુમાર કુમ્ભજ|Opinion - Opinion|11 January 2018

યુનિવર્સલ બેઝિક ઇન્કમની અવધારણાનાં મુદ્દા પર દેશ અને દુનિયામાં ખૂબ ચર્ચા થઈ છે. પણ, શું આ વ્યવસ્થા લાગુ કરવાથી ક્યાંક સરકાર ઘૂસણખોરી અને કામચોરીને પ્રોત્સાહન તો નથી આપી રહી ને? આ કેવી રીતે શક્ય છે કે દેશનાં માત્ર થોડાં લોકો પાસે સંપત્તિનું નિરંતર કેન્દ્રિયકરણ થતું રહે અને બાકીનાં નાગરિકો પાસે વિપદા સિવાય કશું જ ના બચે? આ યોજનાનાં તમામ પાસાંનાં સંદર્ભમાં સમીક્ષા કરતો પ્રસ્તુત છે આ લેખ:

યુનિવર્સલ બેઝિક ઇન્કમ એટલે કે યુ.બી.આઈ.નો વિચાર ભારતીય અવધારણા નથી. ગરીબી હટાવવાની આ એક વિકસિત દેશોની નવીન રોમાન્ટિક ઊપજ છે. યુનિવર્સલ બેઝિક ઇન્કમ એટલે કે સાર્વભૌમિક મૂળ વેતનની આ રોમાન્ટિક ઊપજનાં મુદ્દે દેશ અને દુનિયામાં ખૂબ ચર્ચા થઈ છે. ઓગણીસમી સદીનાં પ્રૂસિયાથી લઈને અત્યારસુધી જનકલ્યાણ સંદર્ભમાં જેટલી પણ આર્થિક અવધારણાઓ આવી છે તે તમામ અવધારણાઓમાં લગભગ આ જ વાત ચર્ચાઈ રહી છે. જેમાં તમામ નાગરિકને ઓછામાં ઓછી એટલી આવકની ગેરંટી ચોક્કસ મળે કે જેથી તે રોજિંદા જીવનની સામાન્ય જરૂરી ચીજવસ્તુઓથી વંચિત ના રહી જાય. સાથે તે નાગરિક સન્માનીય જીવન જીવી શકે. આર્થિક અસંતુલનથી વિરુદ્ધ ‘મનરેગા’ બાદ યુ.બી.આઈ.ની અવધારણા કદાચ અહીં જ સ્થાપિત થઇ રહી છે.

કેટલાંક અર્થશાસ્ત્રીઓનું એવું કહેવું છે કે આ અવધારણાને ભારત જેવાં વિકાસશીલ દેશમાં પણ લાગુ કરવી જોઈએ. કોલંબિયા વિશ્વવિદ્યાલયના અર્થશાસ્ત્રી પ્રણવ વર્ધન કહે છે કે જો ભારતમાં વર્ષ ૨૦૧૪-૧૫ની કિંમત આધારિત ફુગાવાનું અનુમાન કરતાં પ્રત્યેક વ્યક્તિદીઠ દસ હજાર રૂપિયા આપવામાં આવે તો જી.ડી.પી. પર આ અનુમાનની દસ ટકા અસર થશે કે જેની ભરપાઈ બિનજરૂરી સબસીડી અને ચૂકી ગયેલા કરની રાહત હટાવીને ખૂબ જ સરળતાથી કરી શકાય છે. જ્યારે અર્થશાસ્ત્રી વિજય જોષી, ટેન્ડુલકર સમિતિ આ માનદંડના આધાર પર પ્રતિ વ્યક્તિ સાડા ત્રણ હજાર રૂપિયા આપવાના પક્ષમાં છે, જેનો જી.ડી.પી. પર પણ સાડા ત્રણ ટકા ભાર પડશે. એક અન્ય ત્રીજી ભલામણ એવી છે કે નાગરિકોને એક ચોક્કસ ઇન્કમ આપવાની જગ્યાએ તેમને જી.ડી.પી.નો એક ચોક્કસ હિસ્સો આપી શકાય છે. જેનાથી ભારતીય અર્થવ્યવસ્થા અસરકારક બની રહેશે.

કેન્દ્ર સરકારનાં તાજેતરનાં આર્થિક સર્વેમાં એક સંપૂર્ણ અધ્યાય રજૂ કરવામાં આવ્યો કે જેમાં યુ.બી.આઈ. તર્કસંગત છે તે વાત રજૂ થઈ છે. ગરીબોનું જીવનધોરણ ચોક્કસપણે સુધારવા માટે ભારત સરકારનાં આર્થિક સર્વેક્ષણ વર્ષ ૨૦૧૬-૧૭માં યુ.બી.આઈ.નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે આ વ્યવસ્થાથી દેશમાં ગરીબીને ઓછી કરી શકાશે. નાણામંત્રી અરુણ જેટલીએ પણ આ પક્ષમાં પોતાની રજૂઆત કરતાં કહ્યું કે યુ.બી.આઈ.ને વિવિધ તબક્કામાં લાગુ કરવી જોઈએ, કારણકે આ થકી આર્થિક સુધારામાં મદદ મળશે અને તેનો ફાયદો તમામ સ્તર સુધી પહોંચશે.

અને આદર્શ સ્થિતિમાં યુનિવર્સલ બેઝિક ઇન્કમની યોજના એ એક એવી યોજના છે કે તેમાં કોઈપણ પ્રકારની શરત જોવા મળતી નથી. આ બિનશરતી યોજના હેઠળ તમામ લોકોને ચૂકવણી કરવામાં આવે છે કે જેનાથી દરેક નાગરિકને પોતાનાં દૈનિક જીવનની જરૂરિયાત પૂરી કરવા માટે ‘બેઝિક ઇન્કમ’નો અધિકાર પ્રાપ્ત થઈ શકે. સંક્ષેપમાં આ યોજનાનો મતલબ એ છે કે યુ.બી.આઈ. એ એક એવી આવક છે કે જે તમામ લોકો માટે છે અને બિનશરતી તમામનાં ખાતામાં પહોંચી જાય છે. અને અહીં સુધી કે આ યોજનાનાં લાભ માટે કોઈ ન્યૂનતમ યોગ્યતાની પણ જરૂરિયાત રહેતી નથી. આ આવકને નાગરિકોનાં ખાતાઓ સુધી પહોંચાડવી પણ સરળ છે. જ્યારે આ યોજના તમામ લોકો માટેની છે એટલે આ યોજનામાં કોને સામેલ કરવા અથવા કોને સામેલ કરવા નહિ તે સમસ્યાથી છૂટકારો મળે છે. કેટલાંક ખાસ તબક્કામાં ગરીબી રેખા હેઠળ જીવતાં લોકોને પૂરી પાડવામાં આવતી સુવિધાને પાર્શિયલ બેઝિક ઇન્કમ એટલે કે પી.બી.આઈ. કહેવામાં આવે છે.

ભારત સરકારનું માનવું છે કે યુ.બી.આઈ. થકી ગરીબી હટાવવામાં ભરપૂર મદદ મળશે. કારણ કે આ ખાસ યોજના હેઠળ એવો નિર્ણય કરવામાં આવે છે કે દેશનાં પ્રત્યેક નાગરિકને, દર મહિને એક ચોક્કસ ધનરાશિ ચોક્કસપણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગરીબોને મળનારી તમામ પ્રકારની સબસીડીને એકઠી કરીને એક સમગ્ર વિકલ્પ તરીકે યુ.બી.આઈ. યોજના લાગુ કરી શકાય છે. યુ.બી.આઈ.ની જરૂરિયાતને સાચી સાબિત કરતાં આર્થિક સર્વેક્ષણમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ યોજના દેશનાં આર્થિક વિકાસને વિસ્તાર આપવા માટેની ખાસ જરૂરિયાત છે. આ યોજના સામાજિક ન્યાય અને ઉત્પાદક અર્થવ્યવસ્થા એમ બંને માટે એક ક્રાંતિકારી પરિવર્તનનું ઉદાહરણ છે. નાણાકીય નૈતિકતા અને બદલાઈ રહેલાં વિશ્વનાં આ સમયમાં આપણે જાણીએ જ છીએ કે નાણાકીય સમજદારીયુક્ત ખુલ્લી અર્થવ્યવસ્થા થકી જ આગળ વધી શકાય છે. અર્થ વિશેષજ્ઞોનું કહેવું છે કે ભારત જેવો દેશ આર્થિક અસ્થિરતા(મેક્રોઈકોનોમિક)ને સહન કરવાની સ્થિતિમાં નથી.

યુ.બી.આઈ.ની એક ખાસ વાત એ કહી શકાય કે સરકાર પોતાના નાગરિકો પર વિશ્વાસ સ્થાપિત કરે છે. સરકાર પોતાના નાગરિકોનાં ખાતાઓમાં રોકડ ધનરાશિ જમા કરાવીને એ વિશ્વાસ અપાવે છે કે આ ધનરાશિથી તેઓ પોતાની મનપસંદ ચીજવસ્તુઓ ખરીદી શકશે. આ યોજના લાવવા પાછળ સરકારનો એ હેતુ હોઈ શકે કે આ યોજના લાગુ પાડવાથી રોજગારીનાં મુદ્દાનું નિરાકરણ આવી શકે. કોઈ પણ સરકાર આજે એ નિર્ણય કરવામાં સક્ષમ નથી કે તમામ બેરોજગાર લોકોને કામ મળી જ જશે. આમ જોવા જઈએ તો આધુનિક મશીનીકરણનાં આ યુગમાં ઘણા માનવીય રોજગાર છીનવાઈ ગયા છે. ઉદાહરણ તરીકે આપણે રોબોટ અને કમ્પ્યુટરનું નામ લઇ શકીએ છીએ. કોર્પોરેટ કંપનીઓનો નફો વધી રહ્યો છે પણ તેની સરખામણીમાં કંપનીઓનાં કર્મચારીઓની સંખ્યા ઘટી રહી છે.

આપણા સંવિધાન ઘડવૈયાઓએ સામાજિક, આર્થિક ન્યાય, અવસરની સમાનતા અને વાક્તિગત નાગરિક સન્માનની વાત કરી છે. સંવિધાન, રાજ્યનાં આપવામાં આવેલ દિશા-નિર્દેશક તત્ત્વ પણ જનકલ્યાણની યોજનાઓ અંતર્ગત રાજનૈતિક, સામાજિક અને આર્થિક સમતા સ્થાપિત કરવાની વાત કરે છે. પરંતુ, એ વાત કોણ નથી જાણતું કે દેશની તમામ જનકલ્યાણકારી યોજનાઓમાં ખૂબ જ ભ્રષ્ટાચાર જોવા મળે છે. જે લોકો સુધી જનકલ્યાણકારી યોજનાઓ પહોંચવી જોઈએ તે લોકો સુધી તો ક્યારે ય પહોંચી જ શકતી નથી. દેશનાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ દેશની આ ભ્રષ્ટાચારી વ્યવસ્થા પ્રત્યે ખેદ વ્યક્ત કરતાં જે એક બ્રહ્મ વાક્ય કહ્યું હતું તે આજે પણ એટલું જ પ્રાસંગિક છે. રાજીવ ગાંધીએ ત્યારે કહ્યું હતું કે દિલ્હીથી કાર્યરત કલ્યાણકારી એક રૂપિયો ગામડાં સુધી પહોંચતા-પહોંચતા માત્ર દસ પૈસા જ બનીને રહી જાય છે. દેશની નેવું ટકા ધનરાશિ ભ્રષ્ટાચારની ભેટ ચઢી જાય છે.

તેવામાં એ જોવું ખૂબ જ જરૂરી થઈ પડે છે કે દેશના ગરીબોનો ગરીબી થકી ઉદ્ધાર કેવી રીતે થાય? કારણ કે કોઈ પણ યોજનાનાં પૈસા ગરીબો સુધી પહોંચી જ નથી શકતા અને તેને વચેટિયાઓ થકી વચ્ચે જ પચાઈ પાડવામાં આવે છે. ત્યારે સરકારે કોઈ વૈકલ્પિક વિચાર તો કરવો જ ઘટે. એટલા માટે કદાચ યુ.બી.આઈ. પર વિચાર કરવામાં આવ્યો છે કે જેથી વિવિધ યોજનાઓ માટે પૈસા ખર્ચ કરો તેના કરતાં નિર્ધન તબક્કાનાં ખાતાઓમાં સીધા જ પૈસા પહોંચાડવામાં આવે. એવું કહેવાય છે કે વિવિધ જનકલ્યાણ યોજનાઓના સમગ્ર ગૃહ ઉત્પાદનનો લગભગ પાંચ ટકા ખર્ચ આવે છે. અને જો તમામ ન્યૂનતમ આવક યોજના શરૂ કરવામાં આવે તો પણ આટલો જ ખર્ચ આવશે.

જો આ પ્રકારની વ્યવસ્થા લાગુ કરવાથી જો એવો વિચારણીય પ્રશ્ન ઉપસ્થિત થાય કે શું આ વ્યવસ્થાથી સરકાર ઘૂસણખોરી અને કામચોરીને પ્રોત્સાહન પૂરું પાડે છે? અને બીજી બાજુ આ પણ કોઈ ઓછો વિકટ પ્રશ્ન નથી કે તમામ લોકોને ઓછામાં ઓછી ન્યૂનતમ આવક તો મળવી જ જોઈએ ને? કોઈ પણ લોકતાંત્રિક વ્યવસ્થામાં એક લાંબા સમયગાળા સુધી આ કેવી રીતે શક્ય છે કે દેશના માત્ર થોડા લોકો પાસે સંપત્તિનું નિરંતર કેન્દ્રિયકરણ થતું રહે અને બાકીના નાગરિકો પાસે વિપદા સિવાય કશું જ ના બચે? શું લોકતંત્રમાં આના કરતાં વધારે ઘાતક સ્થિતિ બીજી કોઈ હોઈ શકે અને શું તેનાં વિસ્ફોટક નિષ્કર્ષ પરિણમે?

એવું યાદ રાખવું જોઈએ કે આર્થિક સર્વેક્ષણમાં આ વિવાદિત અસંતુલન પર પણ વિચાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ યુ.બી.આઈ.ના પ્રબળ સમર્થક છે, જ્યારે નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયા કહી ચૂક્યા છે કે ભારત જેવા વિશાળ દેશ માટે આ પ્રકારની કોઈ પણ યોજના વ્યવહારિક નથી. થશે એવું કે યુ.બી.આઈ. જેવી કોઈ પણ યોજના લોકોને ખરાબ દાનત સંલગ્ન કાર્ય કરવા માટે વધુ પ્રેરિત કરશે. અહીં ખરાબ દાનતની પ્રશંસામાં અગાઉ કહેવામાં આવેલ એક પરમ પ્રેરણાદાયી કહેવતને પણ અહીં ખાસકરીને મૂકી શકાય કે જેમાં કહેવાયું છે કે જ્યારે ઈશ્વર ખાવાનું પીરસે તો કમાવવા માટે કોણ જાય?

આંતરરાષ્ટ્રીય સ્તર પર દક્ષિણપંથી અને વામપંથી વિચારધારા માન્યતા પ્રાપ્ત અર્થશાસ્ત્રી યુ.બી.આઈ.નું સમર્થન કરતા આવ્યા છે. આ યોજનાઓના સમર્થકોનું એવું પણ કહેવું છે કે ભારત જેવાં સૌથી અધિક અસમાન આવક ધરાવતા દેશ માટે આ યોજના ખૂબ જ સહાયક સાબિત થઈ શકે છે અને દેશની ગરીબી પણ નાબૂદ કરી શકાય છે. આ યોજનાથી દેશની લગભગ વીસ કરોડ જેટલી ગરીબ આબાદીને સીધો જ લાભ પ્રાપ્ત થઈ શકે છે.

લંડન વિશ્વવિદ્યાલયનાં પ્રોફેસર ગાય સ્ટેિન્ડંગે ગત કોંગ્રેસયુક્ત યુ.પી.એ. સરકારને આ યોજનાની વાત કરી હતી, પણ યુ.પી.એ. સરકાર ત્યારે હિંમત એકઠી કરી શકી નહોતી. ત્યારે એવો તર્ક આપવામાં આવ્યો હતો કે જ્યારે રોજગારી જ નથી આપી શકતા તો સીધી આવક કેવી રીતે આપી શકીએ? પણ જો વર્તમાન ભા.જ.પ.યુક્ત એન.ડી.એ. સરકાર આ યુ.બી.આઈ. યોજનાને અમલમાં મૂકે તો તેમને અચૂક તે પ્રમાણે રાજનૈતિક ફાયદો મળી શકે કે જે પ્રમાણે કોંગ્રેસયુક્ત યુ.પી.એ. સરકારને મનરેગા થકી મળ્યો હતો.

અનુવાદ – નિલય ભાવસાર

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

...102030...3,1973,1983,1993,200...3,2103,2203,230...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved