Opinion Magazine
Number of visits: 9583870
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક પંડિત પત્રકાર વિશેનો સ્મૃિતગ્રંથ

દીપક મહેતા|Opinion - Literature|15 January 2018

અભ્યાસ

[અરુણ ટિકેકર. – સંપાદક: શુભદા ચૌકર, શ્રીકાંત બોજેવાર, સુહાસ ગાંગલ. – પદ્મગંધા પ્રકાશન, મુંબઈ. ૧ – આવૃત્તિ, ૨૦૧૭. – ૧૯૦ પાનાં, સચિત્ર. – રૂ.૪૫૦]

રોકડા બે શબ્દમાં ઓળખાણ આપવી હોય તો ડો. અરુણ ટિકેકર એટલે પંડિત પત્રકાર. પણ એનો અર્થ પંડિત અને પત્રકાર એટલો જ નહિ, પણ પંડિત છતાં પત્રકાર, અને પત્રકાર છતાં પંડિત એવો પણ ખરો. આ બંને બેધારી તલવારને તેમણે સફળતાથી એક મ્યાનમાં રાખી જાણી.

૧૯૪૪ના ફેબ્રુઆરીની પહેલી તારીખે જન્મ. એક રાતની ટૂંકી માંદગી પછી ૨૦૧૬ના જાન્યુઆરીની ૧૯મી તારીખે અણધાર્યું અવસાન. કુલ ૪૦ પુસ્તકો. તેમાંનાં ૧૫ અંગ્રેજી, બાકીનાં મરાઠી. તેમની સ્મૃિતમાં આ વર્ષના ફેબ્રુઆરીની ત્રીજી તારીખે મોટા કદનાં ૧૯૦ પાનાંનો ગ્રંથ પ્રગટ થયો. સીધું સાદું નામ: ‘અરુણ ટિકેકર’.

ટિકેકર હાડોહાડ ક્રિયાપદના માણસ હતા, વિશેષણોના નહિ. એટલે તેમની સ્મૃિતમાં પ્રગટ થયેલા ગ્રંથને આવું વિશેષણ-વિરહિત નામ જ શોભે. છેલ્લાં ઘણાં વર્ષોથી તેમણે કમ્પ્યુટર સાથે ઘરોબો કેળવ્યો હતો, છતાં લખવા માટે તો ફાઉન્ટન પેન જ વાપરતા – બોલપેન પણ નહિ જ. પુસ્તકના કવર પર સફેદ પછીત પર તેમની સહી સાથે બસ, તેમની એક ફાઉન્ટન પેન મૂકી છે, બીજું કશું નહિ. ટિકેકર અગ્રણી મરાઠી દૈનિક ‘લોકસત્તા’ના ૧૧ વર્ષ સુધી તંત્રી હતા ત્યારે બહુ કડક રીતે એક નિયમ સ્વેચ્છાએ પાળેલો: કોઈ પણ સંજોગોમાં તેમનો ફોટો ‘લોકસત્તા’માં છપાવો ન જ જોઈએ. આ પુસ્તકમાં છેક છેલ્લે માત્ર એક જ ફોટો છાપ્યો છે. બીજે બધે લેખો સાથે દત્તાત્રેય પાડેકરે કરેલાં ટિકેકરનાં  સુરેખ રેખાંકનો મૂક્યાં છે. સાદગીની સમૃદ્ધિ ધરાવતા આ પુસ્તકનાં મુખપૃષ્ઠ, સજાવટ, માંડણી, અને સુલેખન પણ તેમનાં જ છે. ટિકેકર સાત ગળણે ગાળ્યા પછી કોઈ કામ હાથમાં લેતા. પણ એક વાર હાથમાં લે પછી આદુ ખાઈને તેની પાછળ મંડી પડતા. શુભદા ચૌકર, શ્રીકાંત બોજેવાર, અને સુહાસ ગાંગલ પણ એ જ રીતે આ પુસ્તક તૈયાર કરવા આદુ ખાઈને મંડી પડ્યા હશે. નહિતર આટલા ટૂંકા સમયગાળામાં આવું પુસ્તક આવી સુભગ રીતે તૈયાર થાય નહિ.

પુસ્તકમાં કુલ ૪૧ લેખ છે, જેમાંના ચાર અંગ્રેજીમાં છે. બાકીના મરાઠીમાં. મરાઠીમાં લખનારા લેખકોનાં નામ જોતાં જ થાય કે કેટલા જુદા જુદા ક્ષેત્રના માણસોએ અહીં ઉમળકાપૂર્વક, આત્મીયતાથી ટિકેકર વિષે લખ્યું છે. અહીં રામદાસ ભટકળ, આનંદ લિમયે, અરુણ જાખડે, પ્રદીપ ચંપાનેરકર, જેવા પ્રકાશકોએ લખ્યું છે તો કુમાર કેતકર, દિનકર ગાંગલ, સદા ડુંબરે, હેમંત કુલકર્ણી, પ્રશાંત દીક્ષિત, જેવા અગ્રણી પત્રકારોએ પણ લખ્યું છે. અહીં મોનિકા ગજેન્દ્રગડકર, મીના વૈશંપાયન, સુધીર ગાડગીળ, મુકુન્દ ટાકસાળે, જેવાં લેખક-લેખિકાના લેખો છે. આ પુસ્તક માટે લખનારાઓમાં ન્યાયાધીશ, ઉદ્યોગપતિ, ચિત્રકાર, સંગીતકાર, અખબાર-વિતરક, વ્યવસ્થાપક, કમ્પ્યુટર નિષ્ણાત, વગેરેનો પણ સમાવેશ થાય છે.

પહેલા તેર લેખોમાં મુખ્યત્વે અંગત અનુભવોની અને ટિકેકરના સ્વભાવ-વૈવિધ્યની વાત થઈ છે. તે પછીના છ લેખો વાંચતાં અભ્યાસી અને સંશોધક ટિકેકરનો પરિચય થાય છે. કારકિર્દીની દૃષ્ટિએ ‘લોકસત્તા’ના તંત્રી તરીકેનાં ૧૧ વર્ષ એ તેમનો સુવર્ણકાળ હતો. એ વખતના તેમના ૧૩ જેટલા સાથીઓએ સંપાદક અને પત્રકાર ટિકેકરનાં સૂઝ, નિષ્ઠા, દૂરદર્શિતા, જાતે પરસેવો પાડવાની અને બીજા પાસે પરિશ્રમ કરાવવાની ટેવ, નિર્ભયતા, વગેરે વિષે ઉમળકાપૂર્વક લખ્યું છે. ટિકેકર ‘લોકસત્તા’ના તંત્રી હતા એ વખતે મુંબઈમાં અને મહારાષ્ટ્રમાં બાળાસાહેબ ઠાકરેનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો. પણ તેમનાં અમુક વિચાર, વાણી અને વર્તનની ટિકેકરે પોતાના અખબારમાં આકરી ટીકા કરી હતી. બાળાસાહેબ છંછેડાય નહિ તો જ નવાઈ. ‘તારે માથે જાનનું જોખમ છે’ એવી ધમકી ટિકેકરને મળી. અનિચ્છાએ પોલિસ પ્રોટેક્શન સ્વીકારવું પડ્યું. પણ જે માનતા હતા તે લખવાનું બંધ ન જ કર્યું. તો ક્યારેક પોતાની ભૂલ થઈ હોય તો જાહેરમાં તેનો એકરાર કરતાં ટિકેકર અચકાતા નહીં.

તંત્રી તરીકે તેમણે કેટલાયે બિન-લેખકોને લખતા કર્યા હતા. વધુમાં વધુ કલમોનો લાભ વાચકોને મળે એવા આશયથી કોઈ પણ કોલમ – પોતાની સુદ્ધાં – એક વર્ષ કરતાં વધુ સમય ચલાવતા નહિ. દર વર્ષે જાન્યુઆરીમાં બધી જૂની કોલમ બંધ થાય અને નવી શરૂ થાય. ક્યારેક અધવચ્ચે કોઈ નવી કોલમ શરૂ કરવાની જરૂર લાગે તો તેને માટે જગ્યા કરવા પોતાની કોલમ બંધ કરી દે. મુંબઈ સિવાયનાં શહેરોમાં અને ગામોમાં ‘લોકસત્તા’ પહોંચતું અને વંચાતું થાય એ માટે તેમણે પુષ્કળ પ્રવાસો કર્યા. સભાઓ ભરી વાચકોના અભિપ્રાયો, અપેક્ષાઓ જાણ્યાં. જુદા જુદા વિસ્તારો માટેની ખાસ પૂરવણીઓ શરૂ કરી. એક વાર તેમણે જાતે એક જાહેર ખબર તૈયાર કરીને લાગતા વળગતા વિભાગને મોકલી અને સૂચના આપી કે આ જાહેર ખબર આવતી કાલે પહેલા પાના પર છપાવી જોઈએ. એ જાહેરાતમાં માધુરી દીક્ષિત અને શરદ પવારના ફોટા હતા અને નીચે લખ્યું હતું: ‘આ બંને વચ્ચે શું સરખાપણું છે? જવાબ આવતી કાલે.’ બીજે દિવસે બીજી જાહેર ખબર. તેમાં ફરી એ જ બંનેના ફોટા. નીચે લખ્યું હતું: ‘આ બંને રોજ નિયમિત રીતે ‘લોકસત્તા’ વાંચે છે’. થોડા દિવસ પહેલાં એ બન્નેએ અલગ અલગ મુલાકાતોમાં એ પ્રમાણે કહ્યું હતું તેનો લાભ લેવાનું સરકયુલેશન વિભાગને ન સૂઝ્યું, પણ તંત્રીને સૂઝ્યું!

તંત્રી તરીકે અત્યંત સફળ થયા, પણ ટીકેકર ખરા ખીલ્યા અને ખુલ્યા તે તો અભ્યાસ, સંશોધન, વિવેચનને ક્ષેત્રે. જ્યાંથી મળે ત્યાંથી ‘દુર્મિળ’ (રેર) પુસ્તકો એકઠાં કરવા પાછળ અડધી જિંદગી અને અડધા કરતાં વધારે આવક ખર્ચી નાખી. જો કે તેમાંનો મોટો ભાગ થોડાં વર્ષો પહેલાં મુંબઈ યુનિવર્સિટીને બિનશરતી દાનમાં આપી દીધો. ઓગણીસમી સદીનો મુંબઈ ઇલાકો એ એમના અભ્યાસ અને રસનો ખાસ વિષય. આજના ભગવા વાતાવરણ સાથે બંધબેસતો ન થાય એવો અને એટલો અંગ્રેજો અને તેમણે કરેલાં કામો માટે અભ્યાસપ્રેરિત આદર. અંગ્રેજ અમલદારો, પાદરીઓ, વગેરેએ મુંબઈ ઈલાકાનાં સમાજ, સંસ્કૃિત, શિક્ષણ, ભાષા, સાહિત્યને ઘડવામાં જે ફાળો આપ્યો તેનો દૃષ્ટિપૂર્વકનો અભ્યાસ. ઝીણામાં ઝીણી વિગત ચોકસાઈથી તપાસીને પછી જ લખવાનો આગ્રહ. રોજિંદા જીવનની નાની નાની વિગતો પણ સમાજમાં આવતા પરિવર્તનની કઈ રીતે દ્યોતક હોય છે તે તેમણે ‘જન-મન’ જેવા વિલક્ષણ, વિચક્ષણ અને સચિત્ર પુસ્તક દ્વારા બતાવ્યું. મુંબઈ યુનિવર્સિટીનો વિસ્તૃત, સંશોધનમૂલક, છતાં અત્યંત સુવાચ્ય એવો ઇતિહાસ અંગ્રેજી અને મરાઠી બંને ભાષામાં લખ્યો. ઓગણીસમી સદીનાં લેખકો, પુસ્તકો, સંસ્થાઓ, સામયિકો, અખબારો, પ્રવૃત્તિઓ વિષે સતત લખતા રહ્યા. એટલું જ નહિ, બીજાઓને પણ ઓગણીસમી સદીનો અભ્યાસ કરવા પ્રેરતા રહ્યા અને જરૂર પડ્યે મદદ કરતા રહ્યા. પુસ્તકના છ લેખોમાં તેમના આ ક્ષેત્રના કામ વિષે વિગતે વાત થઇ છે.

ટિકેકરમાં રહેલા સંશોધક-અભ્યાસી અને પત્રકાર એકબીજાને માટે સતત પરસ્પર પૂરક બની રહ્યા. અભ્યાસને કારણે તેમનું પત્રકારત્વ ઉપરછલ્લું કે કેવળ સમસામયિક ન બની રહેતાં ઊંડું, ઠરેલ અને ગંભીર બની રહ્યું. તેમના આ પ્રકારના લેખો ‘તારતમ્ય’ના પાંચ ભાગમાં એકઠા થયા. આધાર વગર કશું લખાય જ નહિ એ શિસ્ત તેમણે પત્રકારત્ત્વમાં પણ પાળી અને બીજા પાસે પળાવી. તો બીજી બાજુ, તેમનામાં રહેલા પત્રકારને કારણે અભ્યાસ લેખો શુષ્ક, ભારેખમ, અટપટા, ક્યારે ય ન બન્યા, પણ સુવાચ્ય અને સુખવાચ્ય બની રહ્યા. તેમના સંશોધન, અભ્યાસ કે વિવેચનના લેખોમાં પણ ફૂટ નોટ, એન્ડ નોટ, સંદર્ભસૂચિ, વગેરેના ઠઠારાનો ભાર ભાગ્યે જ જોવા મળે. એ બધું ન હોય એમ નહિ, પણ બને ત્યાં સુધી તેને સળંગ લખાણમાં જ અસ્તર રૂપે મૂકવાની ટેવ અને ફાવટ. એ માટે એમનામાં રહેલો સજાગ પત્રકાર જવાબદાર. મોટા ભાગના વાચકોને જેમાં ગતાગમ ન પડે તે જ ઊંચા માયલું વિવેચન એમ માનનારાઓમાંના એક તેઓ નહોતા.

એક જ વ્યક્તિ વિષે એકતાલીસ વ્યક્તિ જ્યારે લખે ત્યારે માહિતી, વિગતો, સ્વભાવ કે વર્તનની ખાસિયતો, વગેરે વિષે કેટલુંક પુનરાવર્તન થાય તે સ્વાભાવિક છે. પણ જેમણે અહીં લખ્યું છે તેમણે સાચા ઉમળકા અને આદર સાથે લખ્યું છે. જન્મભૂમિ સોલાપૂર અને ત્યાંની નિશાળ, કોલેજ, તેમાંના શિક્ષકો પ્રત્યેનો છેવટ સુધી રહેલો આદર અને ઉમળકો, શાસ્ત્રીય સંગીત અને જૂનાં ફિલ્મી ગીતો સાંભળવાનો શોખ, ક્રિકેટ માટેની લગન, અમુક અંશે નાકમાંથી બોલવાની ટેવ, વગેરે વિષે એક કરતાં વધુ લેખોમાં લખાયું છે. તો તેમનાં ટીખળ અને રમૂજના દાખલા પણ ઘણાએ નોંધ્યા છે. ‘મહારાષ્ટ્ર ટાઈમ્સ’માં કામ કરતા હતા ત્યારે ટિકેકર તેના તંત્રી ગોવિંદ તળવળકરનો જમણો હાથ હતા અને તેમના ઉત્તરાધિકારી મનાતા હતા. પણ પછી કોઈક કારણસર બંને વચ્ચે બોલવાનો વ્યવહાર પણ રહ્યો નહિ અને ટિકેકર મહારાષ્ટ્ર ટાઈમ્સ છોડી ‘લોકસત્તા’માં ગયા. પણ આ આખી ઘટના અંગેનો ખુલાસો ભાગ્યે જ કોઈ લેખમાં જોવા મળે છે. જો કે આજે લગભગ ૯૦ વર્ષની ઉંમરે તળવળકર આપણી વચ્ચે છે એટલે એમ થયું હોય.

પુસ્તકમાંનો લગભગ દરેક લેખ ટિકેકરના કોઈ ને કોઈ પાસાને ઉજાગર કરે છે. પણ એ બધામાંથી જો કોઈ એક જ લેખ પસંદ કરવાનો હોય તો? કશી અવઢવ વગર તેમનાં વિદૂષી પત્ની ડો. મનીષા ટિકેકરે અત્યંત સંયમપૂર્વક, લાગણીવેડાથી સદંતર દૂર રહીને લખેલો, પણ ટિકેકરનો લગભગ સર્વાંગીણ અને  અંતરંગ  પરિચય આપતો લેખ પસંદ કરું. એક વ્યક્તિ, એક પતિ, એક પુત્ર, એક પિતા, એક દાદા તરીકે ટિકેકરને અહીં આપણે ઓળખી શકીએ છીએ. તો તેમનાં વિશાળ મિત્રવર્તુળ, સહકાર્યકરો, આદરણીય મુરબ્બીઓ, વગેરે વિષે પણ સાચકલી ઉષ્માથી વાત થઈ છે. લેખક, સંશોધક, અભ્યાસી, વિવેચક, પત્રકાર, ગ્રંથપ્રેમી, એમ ટિકેકરનાં જીવન અને વ્યક્તિત્વનાં લગભગ બધાં પાસાંને તેમણે સ્પર્શ કર્યો છે. કેટલીક વાતો તો એવી છે કે જે બીજું કોઈ લખી ન શકે. પૌત્ર યશ થોડો મોટો થયો તે પછી ટિકેકર તેને ફરવા લઈ જતા. ક્યાં? સ્ટ્રેન્ડ બુક સ્ટોલ કે ‘કિતાબખાના’ જેવી પુસ્તકોની દુકાનોમાં! તો બીજી બાજુ પૌત્રને કંપની આપવા  ખાતર તેની સાથે બેસીને રોજ રાતે ટીવી પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ સિરિયલ જોતા. લખવા બેસે ત્યારે બાજુમાં ચંદનની અગરબત્તી કે ધૂપ જલાવવાની અને ખારી શીંગ અને ચેવડાની રકાબીઓ રાખવાની ટેવ. અને સિગારેટનો સાથ તો હોય જ! લેખનાં છેલ્લાં વાક્યોમાંથી દાબી રાખેલું ડૂસકું સંભળાયા વગર ન રહે: “હું બહાર જાઉં છું, નાટક-સિનેમા જોઉં છું, રોજિંદુ જીવન ચાલુ જ છે. યશની સોબત પણ છે. પણ એ પણ બરાબર જાણું છું કે Life will not be the same again!

XXX XXX XXX

Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Loading

સમયની માંગ છે કે સર્વ કલાઓ સાથે જોડાઈએ; એ માટે બદ્ધચિત્ત સાહિત્યકારોના સાહિત્યથી વહેલી તકે છૂટા થઈ જઈએ

સુમન શાહ|Opinion - Literature|13 January 2018

ફિલ્મ ‘ધાડ’ આવકાર્ય છે. એક સારી વાર્તા પરથી બનેલી ફિલ્મ ૧૮ વર્ષના સમયગાળા પછી સૂર્યપ્રકાશમાં મુકાઈ છે

ફિલ્મ ‘ધાડ’-ને આવકાર

અહીં અમેરિકામાં જાણ્યું કે આ ૨૦૧૮-ના વર્ષમાં સાહિત્યકૃતિઓ પર આધારિત ઓછામાં ઓછી ૩૫ ફિલ્મો રજૂ થવાની છે. બીજે દિવસે જાણ્યું કે પાંચ જાન્યુઆરીએ જયન્ત ખત્રીની ‘ધાડ’ નવલિકા પરથી બનેલી ફિલ્મ ગુજરાતમાં અનેક થીએટરોમાં રજૂ થવાની છે. (હવે રજૂ થઈ ગઈ છે). આ શુભારમ્ભથી લાગે છે કે સાહિત્ય અને ફિલ્મના રસિયાઓને અમેરિકામાં અને આ નરવી ગુજરાતી ફિલ્મથી ગુજરાતમાં સાહિત્યકારોને તેમ જ ફિલ્મ-મેકરોને જરૂર આનન્દ થવાનો. કેટલાક, સાહિત્યને ગ્રેટ ગણશે; કેટલાક, ફિલ્મને. જો કે અમુકો, બન્નેમાં રહેલી કલાને ગ્રેટ ગણશે.

૧૯૯૯-માં શરૂ થયેલી ફિલ્મ ‘ધાડ’-નું અનેક વિટંબણાઓ પછી થયેલું અવતરણ આવકાર્ય છે કેમ કે એ એક સારી વાર્તા પરથી બની છે અને ૧૮ વર્ષના લાંબા સમયગાળા પછી સૂર્યપ્રકાશમાં મુકાઈ છે. નિર્માતા કીર્તિ ખત્રી અને દિગ્દર્શક પરેશ નાયકની ખુશીમાં ગુજરાતને અભિનન્દનપૂર્વક સહભાગી થવાનો અવસર સાંપડ્યો છે.

જયન્ત ખત્રીએ ‘ધાડ’ ૧૯૫૩-માં ‘આરસી’ સામયિકમાં બે હપતે છપાવેલી. ખાસ ફેરફાર વગર ૧૯૬૮-માં ગ્રન્થસ્થ કરેલી. એ પરથી પરેશે ફિલ્મ બનાવી. વીનેશ અંતાણીએ પટકથા લખી. વીનેશે નવલકથા પણ લખી. એ દરેકનું શીર્ષક, ‘ધાડ’ ! સાહિત્યકારો આમે ય ધાડપાડુ તો ખરા જ ! એકબીજામાંથી શુંયે લૂંટી લેતા હોય. પણ જોનારા કહેશે કે વીનેશે અને પરેશે જે લૂંટ્યું એને સવાયું કરીને પાછું વાળ્યું છે. ખત્રીને ભણાવતી વખતે મેં હમેશાં ‘ધાડ’ વિશે ચર્ચા કરી છે. વીનેશની નવલકથા વિશે વ્યાખ્યાન કર્યું છે, લેખ કર્યો છે. ફિલ્મ જોવી બાકી છે. ખત્રી (1909-1968) કચ્છના. વ્યવસાયે ડૉક્ટર. પેઇન્ટિન્ગ પણ કરતા. પોતાની વાર્તાઓ માટે ચિત્રો કરેલાં. વીનેશ પણ મૂળે કચ્છના; નવલકથાકાર, નવલિકાકાર. પરેશ અમદાવાદના; નવલકથાકાર, નવલિકાકાર, દિગ્દર્શક; જરૂર પડ્યે અભિનય પણ કરી જાણે. મેં જોયું છે કે એમની પાસે આગવી કલાસૂઝ છે. આ ફિલ્મ ઘાંચમાં પડેલી એની વ્યથા અમે શૅઅર કરી છે અને સાહિત્ય, ફિલ્મ કે કલામાત્ર બાબતે આપણે કેટલા તો ઊણા ઊતરીએ છીએ એવા બળાપા કર્યા છે.

નવલકથા, પટકથા અને મૂળાધાર નવલિકા, ત્રણેયને સર્જન કહેવાય. એ-ને-એ કથાવસ્તુ પરનાં આ કામને સર્જનાન્તર કહેવાય. ફિલ્મમાં તો અભિનેતાઓની સર્જકતા પણ દાખલ થવાની. આમાં, કે.કે. મૅનન, ઘૅલો છે. નંદિતા દાસ, મૉંઘી. સંદીપ કુલકર્ણી, પ્રાણજીવન. સુજાતા મહેતા, ધનબાઈ. રઘુવીર યાદવ, જુસબ. સિનેમૅટોગ્રાફી કોની હશે? મને ખબર નથી. સંગીત વનરાજ ભાટિયાનું છે. આ બધાં સો-કૉલ્ડ સ્ટાર નથી, સીઝન્ડ આર્ટિસ્ટ છે. પોતપોતાની સર્જકતા સાથે એ સૌ અને બીજાં સહયોગીઓ ‘ધાડ’-માં ભાગીદાર બન્યાં છે. ખત્રી હયાત હોત તો એમને અ-કલ્પ્ય આનન્દ થયો હોત. ૪૧ વાર્તાઓના વાર્તાકાર. બીજી આઠેક વાર્તાઓ સામયિકોમાં પ્રગટેલી. એક ધારાવાહી નવલકથા લખેલી. મંગલ પાંડે પર એકાંકી લખેલું. પહેલો વાર્તાસંગ્રહ ‘ફોરાં’ ૧૯૪૪-માં પ્રકાશિત થયેલો. બીજો, ’ખરા બપોર’ ૧૯૬૮-માં. પોતાની સૃષ્ટિમાં એમણે મુખ્યત્વે કચ્છના રણપ્રદેશની પાર્શ્વભૂ પરથી માનવીય સુખદુ:ખની રાગિણીઓ પ્રગટાવી છે. એમની કલમમાં દૃશ્યો ઊભાં કરવાની ક્ષમતા છે. આ નવલિકા પણ એ ગુણે શોભે છે. ફિલ્મસર્જનને પ્રેરનારો મુખ્ય ગુણ પણ એ જ છે.

કથાનાયક ઘૅલો ધાડપાડુ છે. એની જિન્દગીનો પરિવેશ પણ એ જ છે, કચ્છ. ‘વાંઝણી નિર્વીર્ય અને જેને ધાવણ નથી આવતું એવી ધરતી’. ધાડનો ધંધો એને વારસામાં મળેલો. માણસ માથાભારે છે. માને છે કે માથાભારે હોઇએ તો જ જીવતરનો ભેદ અને એના ઉકેલનો માર્ગ મળી આવે. માણસજાત જુલમને સહેલાઈથી વશ થાય છે, સમજાવટને નહીં. આવી ફિલસૂફી ધરાવતો ઘૅલો દાજી શેઠને ત્યાં ધાડ પાડે છે. ખત્રીનો કથાકસબ, નવલિકાની એ મુખ્ય ઘટના લગી પ્હૉંચવામાં અને પ્હૉંચ્યા પછી તેના જરૂરી નિર્વહણમાં ખરચાયો છે. ઘટના ખાસ્સી નાટ્યાત્મક પણ છે. ઘૅલો પક્ષાઘાતના હુમલાથી પછડાય છે. મ્હાત્ થાય છે. કારકિર્દીને હારી જાય છે. ધાડને ત્રીજે દિવસે એનું મૃત્યુ થયું હોય છે. એનો સાથી પ્રાણજીવન લૂંટેલી વસ્તુઓ શેઠના લાભમાં પાછી ફૅંકી દે છે. પ્રાણજીવનને ઘૅલાએ બૅળેબૅળે સાથમાં લીધેલો. છતાં એ જ સાથી અને એ જ ધાડી-ઊંટ ઘેલાના ભાંગી પડેલા શરીરને લઈ, ગામ-ઘરે પાછાં ફરે છે. એ બધું વિપરીત જોઈને ઘૅલાની પત્ની મૉંઘી બઘવઈ જાય છે. એક ઝુઝારુ, ખૂંખાર અને ઝિંદાદિલ પુરુષના આપોપા જીવન-તન્તનું આમ કરુણ પરિણામ આવે છે.

વિષમ પરિવેશ અને પરિસ્થતિ પર માણસ ગુમાનથી ઝનૂનપૂર્વક વર્તીને કદાચે ય વિજય મેળવી શકે પણ કુદરત બીજી રીતે ય વીફરે છે. પરિણામમાં ઘોર પરાજય મળે છે. જો કે વાર્તાને ખત્રીએ એવા સ્પષ્ટ પૉઇન્ટ ઑફ વ્યૂ-થી નથી ચલાવી. છતાં એક અન્ડરટોન પકડાય તો એ પકડાય કે પ્રકૃતિ અને મનુષ્યપ્રકૃતિ પાસે માણસ લાચાર સ-મર્યાદ પ્રાણી છે. અગાઉના પાઠમાં ખત્રીએ મૉંઘીને ત્રીજી વારની પત્ની કહેલી. એટલે પહેલી પત્ની રૂપે ધનબાઈ અને બીજી રૂપે રતની, વીનેશનાં ઉમેરણ છે. જુસબ પણ ઉમેરણ છે. એ ઘૅલાનું પૂરક-પાત્ર છે. ઘૅલો રંજાડમાં માને, જુસબ હળવાશમાં. વેરાન પટ વચ્ચે મોરચંગનો સ્થિર સૂર, ચામડી બાળી નાખે એવો તડકો, ખારાપાટની ગન્ધ, વગેરે સંકેતો વચ્ચે, મૉંઢે ઢાંકેલું ફાળિયું ખસેડીને ઘૅલો આપણને સમક્ષ થાય છે. પરેશની ફિલ્મમાં ઘૅલાની ઍન્ટ્રી કેવી હશે અને સમગ્ર ફિલ્મ કેવી બની હશે, જોયા પછી કહેવાય; માટે, અટકું.

આ પ્રસંગે મને અધ્યાપકમિત્રો માટે કેટલાંક બીજાં સર્જનાન્તરોનો ઉલ્લેખ કરવો ઉચિત સમજાય છે : મહાભારત’-ના ‘નલોપાખ્યાન’-ને આધારે શ્રીહર્ષે મહાકાવ્ય કર્યું, ‘નૈષધીયચરિતમ્’. પ્રેમાનન્દ વગેરે ગુજરાતી આખ્યાનકારોએ કર્યાં, ‘નળાખ્યાન’. સુરેશ જોષીએ રચી ટૂંકીવાર્તા, ‘નળદમયન્તી’. ચિનુ મોદીએ રચ્યું ‘બાહુક’. મધુ રાયે પોતાના ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો’ નાટક પરથી નવલકથા કરી, ‘કામિની’. મણિલાલ હ. પટેલે રાવજીની રચનાને ‘લલિતા’ રૂપે અવતારી. અધ્યાપકો આ રચનાઓનો તુલનાત્મક અભ્યાસ કરે તો સમજાય કે સાહિત્યજાળ જુદા જુદા સર્જકો વડે કેવી ગુંથાતી આવે છે અને સાહિત્યપદાર્થનો અવનવી રીતે ને ભાતે કેવો તો ઉછેર થતો હોય છે.

સાહિત્ય અને ફિલ્મનો સંગમ કરવા માગતા સાહસિકોને જણાવું કે એ માટે રઘુવીર ચૌધરીની નવલકથા ‘અમૃતા’ કે ચન્દ્રકાન્ત બક્ષીની ‘આકાર’ સક્ષમ છે. અનેક આધુનિક નવલિકાઓ પરથી કલાકેકની લઘુ ફિલ્મો બની શકે એમ છે. આગળ આવો અને આપણા સાચકલા કથાસાહિત્યને જાણો. એના દૈવતને ઓળખો, અને પ્રસરાવો.

વાચકોને ખાસ કહું કે ‘ધાડ’ વાર્તા વાંચીને ફિલ્મ જોવા જજો અથવા જોયા પછી વાર્તા જરૂર વાંચી લેજો. સમજાશે કે કલાનો જાદુ પ્રગટે એ માટે શબ્દની તાકાતને અને ચલચિત્રની વિશેષતાને, બેયને સાચવવા દિગ્દર્શકને કેવાં કેવાં સરવાળા-બાદબાકી કરવાં પડ્યાં છે. ૨૧-મી સદીનો બીજો દાયકો પૂરજોશમાં પ્રગતિશીલતા તરફ ધપી રહ્યો છે. સમયની માંગ એ છે કે સર્વ કલાઓ સાથે જોડાઈએ અને એ માટે બદ્ધચિત્ત સાહિત્યકારોના સાહિત્યથી વહેલી તકે છૂટા થઈ જઈએ. ક્યાં લગી બીજી કલાઓથી છેટા રહીને બંધિયાર સાહિત્યથી ખુશ રહેવું છે? મૉડું થઈ રહ્યું છે, યાર…

= = =

સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 13 જાન્યુઆરી 2018

Loading

સાંગપો, ઝાંગબો, સિઆંગ ઉર્ફે બ્રહ્મપુત્ર

વિશાલ શાહ|Opinion - Opinion|13 January 2018

બ્રહ્મપુત્ર. ભારતની એકમાત્ર પુરુષ નામ ધરાવતી નદી. છેલ્લા બે મહિનાથી બ્રહ્મપુત્ર ચર્ચામાં છે કારણ કે, ચીનમાંથી ભારતમાં પ્રવેશતી બ્રહ્મપુત્રનું વહેણ અસામાન્ય રીતે કાળું પડી ગયું છે. ચીનનું આધિપત્ય ધરાવતા તિબેટમાંથી ભારતમાં પ્રવેશતી નદી અચાનક કાળી પડી જાય એટલે ચીન પર શંકા જવી સ્વાભાવિક છે. ભારતની પૌરાણિક નદીઓ પૈકીની એક ગણાતી બ્રહ્મપુત્ર ચીનમાં પણ આશરે બે હજાર કિલોમીટરનો પ્રવાસ કરે છે. એટલે ભારતને શંકા ગઈ કે, ચીન બ્રહ્મપુત્રના કિનારા પર લશ્કરી હેતુથી ક્યાંક બાંધકામ કરતું હશે! જો કે, એવું કશું નહોતું. બ્રહ્મપુત્રનું પાણી અત્યંત નિર્જન પહાડી પ્રદેશોમાં શક્તિશાળી ભૂકંપ આવવાના કારણે કાળું પડી ગયું હતું.

બ્રહ્મપુત્ર તિબેટમાં યારલૂંગ સાંગપો, ચીનમાં યારલૂંગ ઝાંગબો અને અરુણાચલ પ્રદેશમાં સિઆંગ તરીકે જાણીતી છે. આ ત્રણેય નદીનું મૂળ એક જ છે, એ વાત ૧૮૮૪-૮૬ સુધી કોઈ જાણતું ન હતું. ચીન, ભારત અને બાંગ્લાદેશમાં વહેતી બ્રહ્મપુત્રની કુલ લંબાઈ ૩,૮૪૮ મીટર છે. આ ત્રણેય દેશના અનેક વિસ્તારોમાં બ્રહ્મપુત્ર બીજાં પણ અનેક નામે ઓળખાય છે. ભારતની બ્રહ્મોઝ મિસાઈલનું નામકરણ આ જ નદી પરથી કરાયું હતું. બ્રહ્મોઝ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક મિસાઈલ છે. એવી જ રીતે, સેનાના એક જહાજને પણ બ્રહ્મપુત્ર નામ અપાયું છે.

પાણીના જથ્થાની દૃષ્ટિએ બ્રહ્મપુત્ર દુનિયામાં દસમા નંબરની અને લંબાઈની રીતે ૧૫મી સૌથી લાંબી નદી છે. બ્રહ્મપુત્રના ૭,૧૨,૦૩૫ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા તટપ્રદેશનો મોટા ભાગનો હિસ્સો હિમાલયના દૂરદરાજના જંગલોમાં છે. આ વિસ્તારોમાં થતાં ભૌગોલિક ફેરફારો જાણવા અત્યારે તો ઉપગ્રહ અને એરિયલ ફોટોગ્રાફી જેવી ટેક્નોલોજી છે, પરંતુ આવા હાઇટેક સાધનો નહોતા ત્યારે કેટલાક સાહસિકોએ બ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવા હિમાલયમાં વર્ષો સુધી પગપાળા અને ઘોડા પર જીવના જોખમે પ્રવાસ કર્યો હતો.

એ વિશે વાત કરતાં પહેલાં બ્રહ્મપુત્ર વિશે થોડી વાત.

બ્રહ્મપુત્ર વિશે આપણને ઓછી જાણકારી કેમ?

આપણે ગંગા, યમુના, નર્મદા, સરસ્વતી, સિંધુ, ચિનાબ, બિયાસ, ક્ષિપ્રા કે ગોદાવરી વિશે જેટલું જાણીએ છીએ એટલું બ્રહ્મપુત્ર નદી વિશે નથી જાણતા. શું હશે કારણ? બ્રહ્મપુત્ર નદી ઉત્તર પૂર્વીય ભારતમાં વહે છે એટલે? નવી દિલ્હીથી ઓપરેટ થતાં રાષ્ટ્રીય મીડિયામાં આખી દુનિયાની પંચાત થાય છે પણ ઉત્તરપૂર્વીય રાજ્યોને લગતી ગમે તેવી મોટી ઘટનામાં 'લેક ઓફ ઈન્ટરેસ્ટ' સ્પષ્ટ દેખાઈ આવે છે. ઉત્તરપૂર્વીય રાજ્યો વિશે એક સરેરાશ ભારતીય પાસે સચોટ માહિતી ઓછી અને પૂર્વગ્રહો વધારે હોય છે.

તિબેટના દક્ષિણ-પશ્ચિમ  લ્હાસાના ઊંચાઈવાળા વિસ્તારોમાં અંશતઃ થીજેલી સાંગપો, જે ધીમે ધીમે પીગળીને ત્રણ દેશનો પ્રવાસ કરે છે

તિબેટના બુરાંગ પ્રાંતના ઉત્તરી હિમાલયમાં કૈલાશ પર્વત નજીક આવેલા આંગસી ગ્લેિશયરમાંથી એક વહેણ ઉત્પન્ન થાય છે, જે હિમાલય પર્વતમાળામાંથી પૂર્વ તરફ (તિબેટ-ચીન) આગળ વધે છે. આ વહેણ એટલે ત્રણ દેશના અત્યંત નિર્જન વિસ્તારોને ભેદીને આગળ વધતી તિબેટની સાંગપો, ચીનની ઝાંગપો અને ભારતની બ્રહ્મપુત્ર. આ વહેણ તિબેટના ગ્યાલા પેરી અને નામચા બારવા નામના પર્વતને કાપીને વિશ્વની સૌથી મોટી ખીણનું સર્જન કરે છે, જે યારલૂંગ સાંગપો ગ્રાન્ડ કેન્યોન (ખીણ) તરીકે ઓળખાય છે. વિશ્વની સૌથી ઊંડી આ ખીણની લંબાઈ ૫૦૪.૬ કિલોમીટર છે. (અમેરિકાની કોલોરાડો નદી પરની ગ્રાન્ડ કેન્યોનની લંબાઈ ૪૪૬ કિલોમીટર છે). 

૧૭મી નવેમ્બરે વહેલી સવારે ચાર વાગ્યે આ ખીણના કિનારે આવેલા ગ્યાલા પેરીના પર્વતીય વિસ્તારમાં ૬.૪ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો. એ પછીના ૩૨ કલાકમાં એ પ્રદેશે સરેરાશ ચાર રિક્ટર સ્કેલના બીજા પાંચ આફ્ટરશૉક્સ પણ ઝીલ્યા. આ ભૂકંપના કારણે થયેલા ભૂસ્ખલનને કારણે તિબેટમાં વહેતી સાંગપો નદીમાં હજારો ટન માટી-પથ્થરોનો કચરો ઠલવાયો અને બ્રહ્મપુત્રનું વહેણ પણ ગંદુ થઈ ગયું. ભારત સરકારે ઉપગ્રહોથી લીધેલી તસવીરોમાં પણ સાબિતી મળી કે, ભૂકંપના આંચકાની સાંકળ રચાવાના કારણે આશરે ૧૦૦ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું.

યારલૂંગ સાંગપો ગ્રાન્ડ કેન્યોનમાંથી ધસમસતી આગળ વધીને ઝીગઝેગ પર્વતમાળામાં એક જગ્યાએ 'યુ' ટર્ન લઈને પશ્ચિમ (ભારત) તરફ આગળ વધે છે. હિમાલયના અનેક દુર્લભ વિસ્તારોને ભેદીને સાંગપો ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. ત્યાં સાંગપોને નવું નામ મળે છે, સિઆંગ. સિઆંગ આસામ ખીણ તરફ વહીને દિહાંગ અને લોહતી નદીને મળે છે. એ પછી સિઆંગને પણ નવી સંસ્કૃિત પ્રમાણે નવું નામ મળે છે, બ્રહ્મપુત્ર. આ નદી અરુણાચલ પ્રદેશ અને આસામની જીવાદોરી છે અને એટલે જ તેનું વહેણ કાળું પડી જતાં ભારત સરકાર હરકતમાં આવી ગઈ હતી.

દેશની એકમાત્ર પુરુષ નામ ધરાવતી નદી

બ્રહ્મપુત્ર એટલે બ્રહ્મનો પુત્ર. બ્રહ્મપુત્ર દેશની એકમાત્ર પુરુષ નામ ધરાવતી નદી હોવાનું રહસ્ય એક પૌરાણિક વાર્તામાં મળે છે. બ્રહ્મપુત્ર નદીના જન્મની આ રસપ્રદ વાર્તામાં કહેવાયું છે કે, પ્રાચીન સમયમાં શાંતનુ નામના એક ઋષિ થઈ ગયા. શાંતનુ હિમાલયમાં આવેલા બ્રહ્મકુંડ નામના સરોવર નજીક આશ્રમ બાંધીને રહેતા હતા. શાંતનુ પરીણિત હતા અને તેમની પત્ની અમોઘા અત્યંત સૌંદર્યવાન સ્ત્રી હતી. એકવાર શાંતનુના તપથી ખુશ થઈને ખુદ બ્રહ્મા તેમના આશ્રમે આવે છે. અમોઘા બ્રહ્માની આગતાસ્વાગતા કરે છે અને તેમની સંપૂર્ણ કાળજી લે છે. આ દરમિયાન બ્રહ્મા અમોઘા પર મોહી પડે છે અને તેઓ કામુક થતાં સ્ખલિત થઈ જાય છે. ત્યાર પછી બ્રહ્મા તો જતા રહે છે, પરંતુ શાંતનુ જમીન પર વીર્યનું ટીપું જુએ છે અને આખી વાત સમજી જાય છે. જો કે, તેઓ ગુસ્સે થવાના બદલે બ્રહ્માના વીર્યનું અમોઘાના ગર્ભમાં આરોપણ કરે છે. એ પછી અમોઘાની કુખે જે પુત્ર જન્મે છે, એ બ્રહ્મપુત્ર કહેવાય છે.

૫૦૪.૬ કિલોમીટર લાંબી યારલૂંગ સાંગપો ગ્રાન્ડ કેન્યોન (ખીણ)

હિંદુ પૌરાણિક સાહિત્યમાં બ્રહ્મપુત્ર નદી સાથે સંકળાયેલી અનેક વાર્તાઓ મળે છે, ક્યાંક વિરોધાભાસી  ઉલ્લેખો પણ છે, પરંતુ બ્રહ્મપુત્રના જન્મની આ સૌથી પ્રચલિત વાર્તા છે. એવું પણ કહેવાય છે કે, ભારતીય ઉપખંડની સૌથી મોટી નદી બ્રહ્મપુત્ર છે અને એટલે સદીઓ પહેલાં તેને પુરુષ નામ અપાયું હતું. આ નદી પણ ગંગા જેટલી જ પવિત્ર મનાય છે અને તેમાં સ્નાન કરવાથી મોટામાં મોટું પાપ પણ ધોવાઈ જાય છે. પરશુરામે બ્રહ્મપુત્રમાં સ્નાન કરીને જ માતાની હત્યાનું પ્રાયશ્ચિત કર્યું હતું.

બ્રહ્મપુત્રમાં સ્નાન કરી પરશુરામનું પ્રાયશ્ચિત

ભગવાન વિષ્ણુના અવતાર એવા પરશુરામના પિતા ઋષિ જમદગ્નિએ એકવાર હવનનું આયોજન કર્યું હતું. આ હવન માટે પવિત્ર જળ લેવા જમદગ્નિએ પત્ની રેણુકાને ગંગા કિનારે મોકલ્યા. જો કે, ગંગામાં અપ્સરાઓ સાથે મજાક મસ્તી કરી રહેલા ગંધર્વરાજ ચિત્રરથને જોઈને રેણુકા પણ આસક્ત થઈ ગયાં. એ પછી રેણુકા પણ થોડી વાર ત્યાં જ રોકાઈ ગયાં. બીજી બાજુ, જમદગ્નિનો હવન કાળ વીતી ગયો અને તેઓ ખૂબ જ ગુસ્સે થયા.

જમદગ્નિએ આર્ય મર્યાદા વિરોધી આચરણ અને માનસિક વ્યભિચારના આરોપસર રેણુકાને સજા કરવાનું નક્કી કર્યું. જમદગ્નિના પાંચ પુત્ર હતા. તેમણે આ પાંચેય પુત્રને માતાનો વધ કરવાનો હુકમ કર્યો, પરંતુ પરશુરામ સિવાય એકેય પુત્ર આ મહાપાપ કરવા તૈયાર ના થયો. પરશુરામે પિતાની આજ્ઞાને પગલે માતાનો શિરચ્છેદ કરી દીધો અને માતાને બચાવવા વચ્ચે પડેલા ચાર ભાઈની પણ હત્યા કરી. આ આજ્ઞાપાલનથી પ્રસન્ન થઈ જમદગ્નિએ પરશુરામને વરદાન માંગવા કહ્યું. પરશુરામે પિતા જમદગ્નિ પાસે બધાને જીવતા કરી દેવાનું અને પોતાના દ્વારા કરાયેલી હત્યાની સ્મૃિત પણ ભૂંસાઈ જાય એવું વરદાન માંગ્યું.

સાંગપો ઉર્ફે બ્રહ્મપુત્રનો નકશો

જમદગ્નિએ કહ્યું, તથાસ્તુ. જો કે, એ પછી પરશુરામ ઘરેથી નીકળી ગયા અને માતાની હત્યાના મહાપાપનું પ્રાયશ્ચિત બ્રહ્મપુત્રમાં સ્નાન કરીને કર્યું. બ્રહ્મપુત્ર એ બ્રહ્માનો પુત્ર છે અને એટલે તેમાં સ્નાન કરવાથી ઘોર પાપ પણ ધોવાઈ જાય છે. આ તો પુરાણોની વાત થઈ, હવે વાત કરીએ એ સાહસિકોની જે પગપાળા અને ઘોડા પર બેસીને બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચ્યા હતા.

અજાણતા જ પહોંચી ગયા બ્રહ્મપુત્રના મૂળ નજીક

વાત છે, ૧૬મી સદીમાં થઈ ગયેલા ઈટાલીના પાદરી ઇપોલિતો દેસીદેરીની. તેઓ તિબેટમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાના હેતુથી સપ્ટેમ્બર, ૧૭૧૩માં ઈટાલીથી જળમાર્ગે ગોવા આવ્યા હતા. ગોવામાં થોડો સમય રોકાઈને દેસીદેરી વાયા સુરત, અમદાવાદ, રાજસ્થાન, દિલ્હી, કાશ્મીર, લદાખ થઈને તિબેટ જવા નીકળ્યા. આ પ્રવાસમાં દેસીદેરીએ અનેક સ્થળે ખ્રિસ્તી ધર્મનો ઉપદેશ આપ્યો, પરંતુ ઉંમર અને વાતાવરણના કારણે આંતરડાના રોગોનો ભોગ બન્યા. આ કારણસર દેસીદેરી છ મહિના મોડા કાશ્મીર પહોંચ્યા, પરંતુ ત્યાંના ખુશનુમા વાતાવરણમાં થોડા દિવસ આરામ કરી દેસીદેરી ફરી એકવાર બિસ્ત્રોપોટલા લઈને લેહ જવા નીકળ્યા. દેસીદેરીનો નાનકડો કાફલો ૨૫મી જૂન, ૧૭૧૫ના રોજ લેહ પહોંચ્યો હોવાની ઐતિહાસિક સાબિતી છે.

ઈપોલિતો દેસીદેરીના બે દુર્લભ પુસ્તક ‘એન એકાઉન્ટ ઓફ તિબેટ’ અને  ‘મિશન ટુ તિબેટ’ના કવરપેજ

‘એન એકાઉન્ટ ઓફ તિબેટ’માં ૩૨૯માં પાને દેસીદેરીએ ગુજરાતનો સ્પેિલંગ કંઈક આવો (સ્ક્રીન શોટ જુઓ ) કર્યો હતો. એ પછીની આવૃત્તિઓમાં કૌંસમાં સાચો સ્પેિલંગ લખાયેલો છે

યુરોપથી આવેલા ખ્રિસ્તી ધર્મગુરુનું લદાખના રાજાએ સ્વાગત કર્યું, પરંતુ તેમણે દેસીદેરીના ઉપરી તરીકે પોર્ટુગીઝ પાદરી મેન્યુઅલ ફ્રેયરેની નિમણૂક કરી. દેસીદેરીએ ફ્રેયરેની આજ્ઞાનું પાલન કરવું ફરજિયાત હતું. લેહમાં સંપૂર્ણ તૈયારી સાથે ઇપોલિતો દેસીદેરી અને મેન્યુઅલ ફ્રેયરેએ હિમાલયની હાડ ઓગાળી દેતી ઠંડીમાં એક નાનકડા કાફલા સાથે તિબેટ પ્રવાસ શરૂ કર્યો. આ બંને પાદરી સાત મહિનાના અતિ જોખમી પ્રવાસ પછી તિબેટ પહોંચ્યા. આ દરમિયાન તેઓ માન સરોવરની દક્ષિણ પૂર્વે આવેલા માયૂમ લા નામના માઉન્ટેઇન પાસ નજીક પણ રોકાયા હતા. માયૂમ લા પાસના કારણે જ આંગસી ગ્લેિશયરમાંથી નીકળતું વહેણ બે જુદી જુદી દિશામાં ફંટાય છે, જે આગળ જઈને બ્રહ્મપુત્ર અને સિંધુ જેવી બે મહાકાય નદીનું સર્જન કરે છે. જો કે, દેસીદેરી કે ફ્રેયરે જાણતા ન હતા કે, તેઓ સાંગપો કે બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચી ગયા છે.

દેસીદેરીએ 'એન એકાઉન્ટ ઓફ તિબેટ', 'મિશન ટુ ધ તિબેટ: ધ એક્સ્ટ્રાઓર્ડિનરી એઈટીન્થ સેન્ચુરી એકાઉન્ટ' અને 'એ મિશનરી ઈન તિબેટ' જેવાં અનેક પુસ્તકોમાં કરેલી નોંધોની ખરાઈ પછી સાબિત થઈ ગયું છે કે, દેસીદેરીએ જુદી જુદી દિશાઓમાંથી વહેતી નદીઓ અને સરોવરોનું વર્ણન કર્યું છે તે  સાંગપો જ હતી. 

***

દેસીદેરી પહેલાં કોઈ યુરોપિયન તિબેટમાં આટલા અંતરિયાળ વિસ્તારમાં પહોંચ્યો ન હતો. દેસીદેરી બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચ્યા ખરા, પરંતુ તેમનો હેતુ તિબેટમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો હતો, બ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવાનો નહીં. આ ઘટનાની દોઢ સદી પછી કેટલાક સાહસિકોએ બ્રહ્મપુત્રનું મૂળ શોધી સમગ્ર નદીનો નકશો તૈયાર કરવા તેના કિનારે કિનારે પગપાળા પ્રવાસ શરૂ કર્યો.

શું તેઓ સફળ થયા? એ રસપ્રદ સાહસકથા વાંચો આવતા અંકે.

——

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.co.uk

Loading

...102030...3,1953,1963,1973,198...3,2103,2203,230...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved