Opinion Magazine
Number of visits: 9582822
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભયગ્રસ્ત માનસિકતાની આપકમાઈ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 January 2018

સંઘનું સમર્થન હટી જાય – એની સંગઠનાત્મક પકડ છૂટી જાય તે પછી વગદાર પક્ષ તરીકે ભાજપનું વજૂદ કેટલું ?

એ પણ દિવસો હતા; આ પણ દિવસો છે: પ્રવીણ તોગડિયાના એક શબ્દે ‘બંધ’ જડબેસલાક ઝળહળતો. આજે એ પોતે એન્કાઉન્ટરનો ભોગ બનવાની આશંકા અનુભવે છે. ક્યારેક હર એન્કાઉન્ટર હર હર મહાદેવની ઘાટીએ દેશભક્તિની ધડબડાટી બનીને આવતો. ક્યારેક, કોઈ પણ સંજોગોમાં અંતિમ અટ્ટહાસ્ય એમને સારુ આરક્ષિત મનાતું. આજે ચાલુ પ્રેસ મીટે અનાયાસ અશ્રુધાર અપરંપાર રેલાય છે. એ પણ દિવસો હતા જ્યારે કથિત પલાયન અગર ગેરિલા ગુમનામી પ્રવીણના પરાક્રમમાં ખતવાઈ હોત; અને આ પણ દિવસો છે જ્યારે એ તોગડિયાના તરકટ કે ત્રાગામાંયે ખતવાઈ શકે છે.

ના, તોગડિયાની દયા ખાવા અગર હાંસી ઉડાવવા વાસ્તે આ ઉપાડ ને ઉઘાડ નથી કીધો. માત્ર, જે પ્રકારની રાજનીતિ સંઘ પરિવારે એંશીનાં વરસો ઉતરતે શરૂ કરી તે દિલ્હી પહોંચતે પહોંચતે પણ (અને પહોંચવાની પ્રક્રિયામાં પણ) એક પછી એક નવું પાતાળ કેવી રીતે હાંસલ કરી શકે છે એનું એક ચિત્ર આપવાનો ખયાલ ખસૂસ છે.

હવે એ હકીકત ખાસ છાની નથી રહી કે સંઘ શ્રેષ્ઠીઓ વિશ્વ હિંદુ પરિષદના શીર્ષસ્થાનેથી તોગડિયા અને એમના ભિલ્લુ રાઘવ રેડ્ડીને હટાવવા ઇચ્છે છે. ડિસેમ્બર ઉતરતે વી. કોકજેને વિ.હિં.પ.ના અધ્યક્ષ બનાવી તોગડિયા મુક્તિમાં આગે બઢવાની સંઘ શ્રેષ્ઠીઓની ગણતરી હતી. હવે ફેબ્રુઆરી ઉતરતે ફેંસલો થઈ જશે, અને એ ઓપરેશન વાસ્તે સર્જરી અને એનેસ્થેિસયા સહિતનો તામઝામ બધો વિશ્વ હિંદુ પરિષદની બોર્ડ મિટિંગમાં સરકાર્યવાહ ભૈયાજી જોશી વગેરે હસ્તક હોવાનો છે. માત્ર વિ.હિં.પ. જ નહીં પણ ભારતીય મજદૂર સંઘે અને ભારતીય કિસાન સંઘે પણ પોતપોતાના સંદર્ભમાં આવી કારવાઈ સારુ તૈયાર રહેવાનું છે એમ જાણકારો કહે છે.

કારણ એટલું જ કે 2019ની લોકસભાની ચૂંટણી આગમચ નાગપુર ઠીક ઠીક વેળાસર મોદી ભા.જ.પ. વિરોધી હોઈ શકતા ચાવીરૂપ સંગઠન-સાથીઓને ખસેડવા માગે છે. મે 2014માં જે હાંસલ થયું તે મે 2019માં જળવાઈ રહે એટલું જ નહીં પણ આગળ વધે એમાં અવરોધરૂપ હોઈ શકતાં વ્યક્તિત્વોને ટાળવાની ગણતરી છે. જનસંઘના વારામાં મૌલિચંદ્ર શર્માથી માંડીને બલરાજ મધોક સહિતનાઓને અને ભા.જ.પ.ના વારામાં ખુદ અડવાણીને ઘેર બેસવાનો કે સાઇડલાઇન થવાનો સિલસિલો આ ક્ષણે સાંભરે તે સ્વાભાવિક છે.

જૂના કેસો અને કિસ્સાઓની તપસીલમાં નહીં જતાં હમણાં તો એટલું જ કહીશું કે સત્તાનો સીધો સ્વાદ લીધા પછી નાગપુર દિલ્હી ખોવા તૈયાર નથી અને આ ક્ષણે આગળ કરી શકાય એવો જે ચહેરો છે એની સગવડ સાચવવા તોગડિયા આદિને ખસેડવા બાબતે એ ચોક્કસ છે. ભારતીય મજદૂર સંઘને હાલના હુકમરાનો સામે કામદારોની છટણી અને બીજી હાલાકીઓ બાબત ફરિયાદ હોય કે ભારતીય કિસાન સંઘ ખેડૂતોની આત્મહત્યા લગીની બેહાલી બાબતે સચિંત હોય અગર તો તોગડિયા ભવ્ય રામ મંદિરના નિર્માણને મુદ્દે આશંકિત અને લાલાયિત હોય, આ ક્ષણે 2019 સંદર્ભે મોદી-અમિતનો રસ્તો સાફ કરવો એ નાગપુરની પહેલી (અને અત્યારે તો એકમાત્ર જેવી) પ્રાથમિક્તા છે. દેખીતું છે કે, 2018ના વરસમાં પ્રવીણ તોગડિયા જો ‘સેફ્રોન રિફ્લેક્શન્સ: ફેઇસિઝ ઍન્ડ માસ્ક્્સ’ લઈને આવવાના હોય તો છેલ્લા અઢી દાયકાનું આરપાર દર્શન એવી વિગતોએ ભરેલું અને ભારેલું હશે જે હિંદુત્વ રાજનીતિના અંતરંગ આટાપાટાની અંગત અંગત વાત સાથે મોહભંગવત્ સોપો પાડી દે.

દેખીતી રીતે જ, ‘હિંદુ’ દૃઢીકરણ અને વિકાસનો વરખ મળીને એકત્રીસ ટકે દિલ્હી સર કરવાની હાલની પરિસ્થિતિમાં ગુજરાતનો તાજો પરચો જોયા પછી – મોદી ભા.જ.પ. કે નાગપુર કોઈ જોખમ લેવા માગતા નથી. રામ મંદિર આદિ પર વધુ ભાર મૂકવાનું વ્યૂહાત્મક રીતે કેટલી હદે પાલવે ન પાલવે (અને આ મુદ્દો કેટલી યારી આપે ન આપે) એ ખબર ન હોય ત્યારે મુદ્દાને ખપ જોગો સળગતો અને ખપ જોગો માપમાં રાખવા રહે. વિ.હિં.પ.-બજરંગ તત્ત્વો વ્યૂહાત્મક સંયમ કેટલો રાખી શકે?

સંઘની મુશ્કેલી એ છે કે ભા.જ.પ.ને કંઈક મોકળાશ આપ્યા વગર ચાલે એમ નથી, અને વિ.હિં.પ.-બજરંગનાં લુમ્પન તત્ત્વો બધો વખત કહ્યામાં રહી શકે એમ નથી. 2002-03 પછી કોઈક તબક્કે શરૂ થયેલું મોદી-તોગડિયા અંતર હવે એક અંતિમે પહોંચવામાં છે એમાં કોઈ જો વિ.હિં.પ.નિરપેક્ષ એવો ભા.જ.પ.વિકાસ કલ્પે અથવા ભા.જ.પ. સંઘ સાથેનો નાભિસમ્બન્ધ તોડી નવેસર વિચાર કરતો થાય એવી શક્યતા કલ્પે તો એ સમજી શકાય એમ છે. પણ કટ્ટર વિચાર અને સુદૃઢ સંગઠન જોતાં આ નાભિનાતો ઢીલો પડતો લાગે તો પણ કોઈ મૂળભૂત પરિવર્તનથી શક્યતા અસંભવવત્ છે.

પૂર્વે બલરાજ મધોક, પછી અડવાણી અને હવે પ્રવીણ તોગડિયા, આ સૌના ઓછાવત્તા દૂરાવ અગર હટાવ પછી અને છતાં આખી ચર્ચામાં પાયાનો વિગતમુદ્દો એ રહે છે કે ત્રણે હિંદુત્વ પરત્વે પ્રતિબધ્ધ છે. એમણે, અડવાણીએ ‘સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ’નું રૂપાળું ઝભલું સજાવ્યું ત્યારે સુધ્ધાં, આ બાબતે કોઈ મૂળભૂત પુનર્વિચારની જરૂરત પ્રમાણી નથી. વાજપેયીએ પ્રસંગોપાત કેટલાંક ઇંગિત કર્યાં હશે, પણ વાત આગળ ચાલી નથી. સંઘનું સમર્થન વાસ્તવમાં હટી જાય અને એની સંગઠનાત્મક પકડ (મધોકે જેને ‘ફાસીવાદ’નું નામ આપ્યું હતું) છૂટી જાય તે પછી ભા.જ.પ.નું એક વગદાર પક્ષ તરીકેનું કોઈ વજૂદ ભાગ્યે જ બચી શકે.

પ્રવીણ તોગડિયા જો ભય અનુભવતા હોય તો એમને એ ખયાલ હોવો જોઈએ કે એક પ્રજા તરીકે આપણે ત્યાં ભયનું અને કેમ જાણે બધો વખત ઘેરામાં (અંડર સીજ) હોઈએ તેવું સમૂહ માનસ એમના પોતાના સંઘ પરિવાર હસ્તક ખાસું બનેલું છે. તે સાથે, લાંબી ચર્ચામાં નહીં જતાં અહીં એ એક નિરીક્ષણ પણ નોંધીશું કે હિંદુ બહુમતી જાણે કે કશાકનો ભોગ બની રહી હોય એવો એક વિક્ટિમાઇઝ થયાનો તેમ જ પરસિક્યુશન કૉમ્પ્લેક્સ કારગતપણે સ્થાયી ભાવ જેવો બની ગયો છે.

મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિને, પછીથી, વાસ્તવિક્તાની ગરજ રહેતી નથી. વસ્તુત: આ પરિવારની પોતાની કમાણી છે. આવું માનસ જેમ બહારનાઓને, બીજાઓને આક્રાન્ત કરે છે તેમ અંદરનાઓને, પોતાનાઓને પણ આક્રાન્ત કરે છે. વણઝારા તોગડિયાની ખબર પૂછવા ગયા હોવાના હેવાલો છે. એમની વચ્ચેની વાતચીત આપણે જાણતા નથી, પણ ફેક એન્કાઉન્ટરો અને દેશભક્તિના રસાયણે ભયના માહોલને કેવો આમળો ચઢાવ્યો કે આથો આપ્યો એની થોડી પર્યાવરણી ચર્ચા એમની વચ્ચે થઈ હોય તો કેવું સારું!

ખબર પૂછવા એમ તો હાર્દિક પટેલ અને અર્જુન મોઢવાડિયા પણ ગયા હતા. બીજાં સમીકરણોનું તો સમજ્યા મારા ભૈ, પણ તોગડિયા અને એમની વચ્ચે હિંદુત્વ રાજનીતિની મર્યાદાઓ વિશે થોડીકે દિલખુલાસ બહસ હમણાં નહીં તો પણ આ ગાળામાં વહેલી તકે થાય તે ઈષ્ટ છે. એક જ રાજનીતિના બે ભાગિયા, ક્યારેક તો બિલકુલ બરોબરીના, આજે એક ટોચ પર ને બીજો પાતાળે ચંપાતો, એવું કેમ. અને હા, નકરું પટેલ દૃઢીકરણ કે મંદિરે મંદિરે ઢૂંકતું સૉફ્ટ હિંદુત્વ, એ પણ ચર્ચાનો વિષય તો ખરો જ ખરો.

સૌજન્ય : ‘નાભિસંબંધ’, “દિવ્ય ભાસ્કર”, 20 જાન્યુઆરી 2018

1કાર્ટૂન સૌજન્ય : 'Business as Usual', EP Unny, "ઇન્ડિયન એક્સપ્રેસ", 18 જાન્યુઆરી 2018

Loading

ઉના-આંદોલનના નેતૃત્વ નિમિત્તે – ખુલ્લી ચર્ચા માટે

હિરેન ગાંધી|Samantar Gujarat - Samantar|20 January 2018

ઉના-આંદોલન. ગુજરાતમાં લગભગ દોઢેક વર્ષ પહેલાં ચાલેલું ‘દલિત અત્યાચારવિરોધી’ આંદોલન. આજે તો એ ‘રાષ્ટ્રીય દલિત અધિકારમંચ’નું સ્વરૂપ લઈ ચૂક્યું છે. અત્યારે આપણે એ આંદોલનની ગતિવિધિઓ અને પરિણામો વિશે ચર્ચા નથી કરવી. ચર્ચા કરવી છે એ આંદોલન નિમિત્તે ઊભરેલા નેતૃત્વ અને એના નિમિત્તે થયેલી માંગણીઓ વિશે. આપણે જાણીએ છીએ કે દલિત અત્યાચારવિરોધી આંદોલનો દેશમાં જ્યારે જ્યારે થાય છે, ત્યારે સામાન્ય રીતે પીડિતોને ન્યાયની માંગણી જ મુખ્ય અને આખરી બની રહે છે. ઉના-આંદોલન દરમિયાન શરૂઆતમાં જ ‘ન્યાય’ ઉપરાંત પણ એક નવી માંગ ઊઠી. એ માંગ હતી જમીન-સુધારણા સમયે દલિતોને ફાળવાયેલી અને ત્યાર બાદ પણ વધેલી જમીનો દલિતોને ફળવાય, એ સંદર્ભની માંગણી. આ માંગ માટે સલામ છે એ આંદોલનના નેતૃત્વને. એણે તત્કાલ ‘ન્યાય’ની સાથે સાથે દલિતો પ્રત્યેની અસ્પૃશ્યતા અને સામાજિક, આર્થિક ક્ષેત્રે છેવાડે રહી ગયેલ દલિત-સમુદાય સાથે થતાં અન્યાય અને અત્યાચારનાં કારણોના મૂળ આધારને નાબૂદ કરવાની માંગણી ઉઠાવી.

આમતૌર પર દલિતો ઉપર થતાં અત્યાચારો, અન્યાયો માટે માત્ર સમાજની સામાજિક-સાંસ્કૃિતક વ્યવસ્થાને જવાબદાર ગણવામાં આવે છે. પરંતુ બ્રાહ્મણવાદી વર્ણવ્યવસ્થાના મૂળમાં (આધાર સમી) માત્ર સામાજિક-સાંસ્કૃિતક વ્યવસ્થા નથી; પરંતુ અર્થવ્યવસ્થા અને તેના દ્વારા ઉપલા વર્ગોને મળતી સત્તા સ્વહસ્તક રાખવાની નેમ છે. જો કે, સામાન્ય રીતે દલિત અત્યાચારવિરોધી આંદોલનો આ સૌથી મૂળગત મુદ્દાને ઉજાગર કરવાનું ચૂકી જતાં હોય છે; પરંતુ ‘ઉના-આંદોલન’નું યુવાનેતૃત્વ એ ન ચૂક્યું. એણે આંદોલન શરૂ કરતાં જ આ મુદ્દાને જોરશોરથી સમાજ સામે મૂક્યો. અહીં આપણે અન્ય એક અપવાદરૂપ દલિત-આંદોલનનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. એ આંદોલન હતું લગભગ સાઠના દાયકાની મધ્યમાં, દેશનાં કેટલાંક રાજ્યોમાં ઊભરેલું અને લગભગ એકાદ દાયકા લગી ચાલેલું – ‘દલિત પેન્થર્સ’નું આંદોલન; ગુજરાતમાં પણ એ આંદોલન ચાલેલું. એ આંદોલન દરમિયાન (સ્વ.) રમેશચન્દ્ર પરમાર,  વાલજીભાઈ પટેલ જેવા તે સમયના યુવા નેતાઓએ ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. એ આંદોલને પણ દલિતોના ‘જમીન-અધિકાર’ના સવાલને આક્રોશપૂર્ણ રીતે બહાર આણેલો.  વાલજીભાઈ તથા રાજુ સોલંકી જેવા દલિત કર્મશીલો આજે પણ પોતાની રીતે આ મુદ્દા ઉપર ખાસ્સું કામ કરી રહ્યા છે.

ફરી આપણે ઉના-આંદોલનના યુવાનેતૃત્વ અને માંગણીઓ ઉપર આવીએ. અન્ય અત્યાચારવિરોધી આંદોલનોની જેમ એ આંદોલન પણ ક્રમશઃ શમવા માંડ્યું. એમાં દોષ એના નેતૃત્વનો હતો. આંદોલનમાંથી ઊઠેલી ‘જમીન-અધિકાર’ની માંગણીને વ્યવસ્થિત રીતે આગળ કરીને, આંદોલનને વિકસાવવાને બદલે, તે સમયે ગુજરાતમાં ચાલતાં અન્ય યુવા નેતાઓનાં બે આંદોલનો – ‘પાટીદાર અનામત-આંદોલન’ અને ઓ.બી.સી.(અન્ય પછાતવર્ગો)નું ‘અનામત બચાઓ આંદોલન’ – સાથે ગઠબંધનની તજવીજમાં એ નેતૃત્વ પડ્યું. કેમ કે – ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હતી. ત્રણેય આંદોલનોના યુવાનેતૃત્વની નજર પોતાનાં આંદોલનોની માંગણીઓ પરથી હટવા માંડી અને પોતાની વ્યક્તિગત રાજનૈતિક સત્તાની એષણા ભણી ઢળવા માંડી. ‘દલિતોના જમીન-અધિકાર’ની ક્રાંતિકારી માંગ ઉઠાવનાર આક્રોશભર્યા દલિત- આંદોલનના યુવા નેતાએ, ઓ.બી.સી. આંદોલનમાં એના નેતાએ ઉઠાવેલી એક માંગ હતી ગુજરાતમાં ‘દારૂબંધીનો કડક અમલ’; એ માંગને સમર્થન જાહેર કર્યું અને એને પોતાના એજન્ડામાં સામેલ કરી.

આશ્ચર્યજનક અને આઘાતજનક હતી ઉના-આંદોલનના નેતાની આ વર્તણૂક. ક્યાં દલિતો માટે ‘જમીન-અધિકાર’ની ક્રાંતિકારી માગણી અને ક્યાં ‘દારૂબંધીના કડક અમલ’ માટેની કાનૂની વ્યવસ્થા સુધારણાની માગણી. હા, દલિતો ઉપર થતાં અત્યાચારો સંબંધે બનેલ કાનૂનોના ચુસ્ત અમલ સંદર્ભે કાનૂની વ્યવસ્થા-સુધારણાની માંગ થઈ હોત તો બરાબર; પરંતુ આ તો દારૂ જેવા સામાજિક-સાંસ્કૃિતક દૂષણ અને ‘દારૂબંધી’ના કાયદાના અમલ સંદર્ભે ચાલતા ભ્રષ્ટાચારનો મુદ્દો હતો. વળી, આવી દલિત-અત્યાચાર સાથે અસંબદ્ધ માંગણી મૂળ મુદ્દાથી ધ્યાન હટાવનારી પણ હતી. આવું એટલા માટે બન્યું કે અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ આ ત્રણેય વાજબી આંદોલનોના યુવાનેતૃત્વના દિલમાં આંદોલનના મૂળમાંના મુદ્દાઓ કરતાં વ્યક્તિગત રાજનૈતિક કારકિર્દી, વધારે મહત્ત્વની હતી. આ વાસ્તવિકતા કદાચ એકવીસમી સદી દરમિયાન આપણા ગુજરાત અને દેશમાં ઊભરેલાં મોટા ભાગનાં આંદોલનોના નેતૃત્વની કરુણતા છે.

વિધાનસભાની ચૂંટણીઓમાં આ ત્રણેય આંદોલનોના યુવા નેતાઓમાંથી બે ચૂંટણી લડ્યા. (ત્રીજા નેતા ઓછી ઉંમરને કારણે ઉમેદવારી કરી શકે તેમ નહોતા) બન્ને ચૂંટણી જીત્યા. એક વિરોધપક્ષના ઉમેદવાર બનીને અને બીજા વિરોધપક્ષના પ્રત્યક્ષ સમર્થનથી. ‘ઉના આંદોલન’ના નેતાની પ્રસિધ્ધિ માધ્યમોને કારણે સમગ્ર દેશમાં ફેલાઈ ચૂકી હતી. ધારાસભ્ય તરીકેની જીત પછી દલિત યુવા નેતાએ પોતાના ગ્રામીણ મતવિસ્તારના જિલ્લામથકે કલેક્ટરને વિસ્તારના રોડ-રસ્તા સુધારવા નિવેદન આપ્યું અને પછી તરત જ અમદાવાદ જેવા શહેરના બે શ્રમજીવી, નિમ્ન અને મધ્યમવર્ગના વિસ્તારોમાં એમની સ્વાગત-સભાઓ દરમિયાન અણધારી રીતે એ વિસ્તારોમાં ચાલતાં દારૂના અડ્ડાઓ વિરૂદ્ધ નાનકડાં આંદોલનો છેડ્યાં; તેમ જ અમદાવાદ શહેરના ઉપરી પોલીસ-અધિકારીને દારૂના અડ્ડા બંધ કરવાની ઉગ્ર રજૂઆતો કરી.

આ જ અરસામાં મહારાષ્ટ્રના કોરેગાંવમાં બસ્સો વર્ષ પહેલાં સન ૧૮૧૮ની ૧ જાન્યુઆરીએ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સૈન્ય અને ત્યાંના રાજકર્તા બ્રાહ્મણ પેશ્વાની વચ્ચેના યુદ્ધમાં, કંપની સૈન્યના દલિત સૈનિકોનાં અપ્રતીમ પરાક્રમો અને બહાદુરીને કારણે કંપની (બ્રિટિશ) સૈન્યની જીત થઈ હતી. સમય જતાં, છેલ્લાં ઘણાં વર્ષોથી ત્યાંના દલિતો, બ્રાહ્મણો ઉપરની પોતાની એ જીતને ‘વિજય દિવસ’ તરીકે ઊજવે છે. ઉના-આંદોલનના યુવા દલિત નેતા આ ‘વિજય દિવસ’ના સંમેલનમાં મહેમાન તરીકે ગયા. અલબત્ત, ઊના-આંદોલનને એ ઉજવણી સાથે કોઈ લેવાદેવા નહોતી, પરંતુ એ આંદોલને સર્જેલા નેતૃત્વનાં વલણો સમજવા આ ઘટના મહત્ત્વની છે.

થોડા ધ્યાનથી જોઈએ તો – ભારતને સંસ્થાન (ગુલામ) બનાવવાની પ્રક્રિયાના ભાગ રૂપે બ્રિટિશર્સ(ઈસ્ટ ઇન્ડિયા કંપની)નું સૈન્ય, ભારતમાં અલગ-અલગ પ્રદેશોમાં શાસનકર્તાં રજવાડાંઓ સાથે યુદ્ધો કરી, તેમને હરાવી એ પ્રદેશોને પોતાની સત્તા નીચે લાવતા હતા; પેશ્વા સાથે પણ કંપનીસૈન્યે કોરેગાંવનું યુદ્ધ કરી પેશ્વાને હરાવ્યા અને એમના રાજ્યને પોતાનું ગુલામ બનાવેલું. હવે જો કંપની સૈન્યમાં મહાર (દલિત) સૈનિકો હતા તો એ તો પોતાની રોજગારી માટે સૈનિક તરીકે નોકરી કરતા હતા. વળી યુદ્ધ તો કંપનીના સ્વાર્થ અને ભારતને ગુલામ બનાવવાના ભાગરૂપે હતું. એ યુદ્ધ દરમિયાન કંપની જીતી અને પેશ્વા હાર્યા તો એને દલિતોનો બ્રાહ્મણો ઉપર વિજય કઈ રીતે માની શકાય? અને આમ છતાં, ત્યાંના દલિતો એ દિવસને ‘વિજય દિન’ તરીકે જોરશોરથી, ઢોલ-નગારાં સાથે રંગેચંગે ઊજવે છે. આ ઉજવણીને યોગ્ય ઠેરવવા ત્યાંના આયોજકો ડૉ. બાબાસાહેબ આંબેડકરે એક વખત દલિતોના આ વિજયને બિરદાવ્યાનો હવાલો આપે છે. બની શકે કે બાબાસાહેબનો સમય અલગ હતો. દેશભરના દલિતોના ઉત્થાન માટે એમણે આંદોલનો છેડ્યાં હતાં, લખાણો લખ્યાં હતાં, ચિંતન-મનનો કર્યાં હતાં. મહારાષ્ટ્રમાં દલિતોને એકત્રિત અને જાગૃત કરવાની રણનીતિના ભાગ રૂપે એમણે દલિત વિજય તરીકે એ યુદ્ધમાં વિજયને બિરદાવ્યો હોય. બાબાસાહેબના જીવનચરિત્રના આલેખક ધનંજય કીરે એક સ્થળે નોંધ્યું છે કે – “આંબેડકરે આ વર્ષ(૧૯૨૭)ના કાર્યની શરૂઆત કોરેગાંવ યુદ્ધસ્મારકની સામે યોજાયેલ સભાથી કરી.” એ સભામાંના ભાષણ દરમિયાન ડૉ. આંબેડકરે કહ્યું કે – “… મહાર સૈનિકો બ્રિટિશરો તરફથી લડે એ કાંઈ ખાસ ગૌરવ લેવા જેવી વાત નથી, એ સાચું, પણ એ લોકોએ અંગ્રેજોને મદદ શા માટે કરી? અસ્પૃશ્ય હિન્દુઓએ એમને નીચ ગણીને કૂતરાં – બિલાડાને આપે તેના કરતાં ખરાબ વર્તણૂક આપી, એટલા માટે! પેટ ભરવા માટે કોઈ સાધન ન હોવાને કારણે એ લોકો મજબૂરીથી અંગ્રેજોની ફોજમાં ભરતી થયા એ ધ્યાનમાં રાખવું પડશે …”

આપણે ફરી આપણી મૂળ વાત ઉપર આવીએ. ઉના-આંદોલનથી ઊભરેલા ગુજરાતના યુવા દલિત નેતાને મહેમાન તરીકે આમંત્રણ મળ્યું; અને એમણે ત્યાં વક્તવ્ય આપ્યું. આ સમગ્ર ઘટનામાં વિવાદાસ્પદ મુદ્દો એ છે કે એક સુશિક્ષિત યુવા નેતાએ આ પ્રકારની ઉજવણીમાં ભાગીદારી કરવી જોઈએ? આ ‘વિજય દિવસ’ પોતે જ એક વિવાદાસ્પદ ઘટના નથી? જો કે ઇતિહાસને એના પૂરા પરિપ્રેક્ષ્યમાં નાણ્યા-જાણ્યા વિના આવી ઉજવણીઓ કરવી દલિત અથવા કોઈ પણ શોષિત સમુદાય માટે એ ભાવનાત્મક બાબત છે; પરંતુ શિક્ષિત, જાગૃત, બુદ્ધિજીવીઓ માટે એ ચર્ચા-વિવાદોનો મુદ્દો છે જ. વળી, રાજનૈતિક નેતાઓ માટે તો એ શોષિત સમુદાયની ભ્રમિત ભાવનાઓના તુષ્ટિકરણનો મુદ્દો પણ બની રહે છે. ઉના-આંદોલનના નિમિત્તે એની માંગણીઓ અને યુવા નેતાનાં વલણો વિશે આ બે-ત્રણ મુદ્દા લાંબી અને વિષદ ચર્ચાઓ માટે જરૂરી લાગ્યા, તેથી આ લખાણ. અપેક્ષા છે કે આ સંદર્ભે જરૂરી ચર્ચાઓ થાય, મતમતાંતરો, અભિપ્રાયોની જાહેરમાં આપ-લે થાય.

E-mail : darshan.org@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2018; પૃ. 05-06 

Loading

દાસ્તાં લાખોકરોડો હિંદવાસીઓની, કર્ટસી સાઈનાથ

રજની દવે|Opinion - Opinion|20 January 2018

જાહેરજીવનના કવિ તરીકે સુપ્રતિષ્ઠ અક્ષરકર્મી, સ્વાતંત્ર્યસૈનિક, શિક્ષણકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદમાં લોકશાહી નવસંચારથી માંડીને સ્વાયત્ત અકાદમી-આંદોલનના અગ્રયાયી ઉમાશંકર જોશીના શતાબ્દી-વર્ષથી સ્મૃિતવ્યાખ્યાનનો જે એક સિલસિલો કવિની વ્યાપક સમાજનિસબત ફરતે ગંગોત્રી ટ્રસ્ટે શરૂ કર્યો છે, એ પરંપરામાં આ વખતનું વ્યાખ્યાન ‘હિંદુ’ના ગ્રામીણ તંત્રી રહી ચૂકેલા પી. સાઈનાથે ગઈ ૨૯-૧૨-૨૦૧૭ના રોજ અમદાવાદમાં એ.એમ.એ. ખાતે આપ્યું હતું. ઇન્દુકુમાર જાનીની અધ્યક્ષતામાં યોજાયેલ આ વ્યાખ્યાન પ્રસંગે નેવું નાબાદ નિરંજન ભગતની વિશેષ ઉપસ્થિતિમાં વક્તવ્યની માંડણી સાથે એકતાર એવું ખીચોખીચ સભાગૃહ આજના પડકારભર્યા માહોલમાં નાગરિક-નિસબતના સદ્‌ભાવસંકેત રૂપે આશ્વસ્તકારી એટલો જ આશાપ્રદ અવસર હતો. અહીં ‘ભૂમિપુત્ર’ના તંત્રી રજની દવેએ ઝીલેલી અક્ષરછબી પ્રસ્તુત છે.

ગંગોત્રી ટ્રસ્ટનાં સ્વાતિ જોશીએ મેગ્સેસે અને પી.યુ.સી.એલ. હ્યુમન રાઇટ્‌સ ઍવૉર્ડથી વિભૂષિત પી. સાઈનાથને આવકારવા સાથે ગૃહને એમનો પરિચય કરાવ્યો. તે પછી સભાના અધ્યક્ષ ઇન્દુકુમાર જાનીએ પ્રાસંગિક સંબોધનમાં શરદ જોશીને યાદ કરીને બે શબ્દો સંભાર્યા હતા. India અને ભારત. સાઈનાથ ભારત અંગેનું પત્રકારત્વ કરી રહ્યા છે. તેઓ વર્ષમાં ૩૦૦ દિવસ ભારતનાં ગામડાંઓમાં પત્રકારત્વ માટે વિતાવે છે. સાઈનાથ કહે છે, જ્યારે એક બાજુ ગામડાંઓમાં હજારો ખેડૂત આપઘાત કહી રહ્યા હતા, ત્યારે Lakme Fashion Week માટે ૫૧૨ જર્નલિસ્ટ્‌સ ખડેપગે ઊભા હતા અને પોતાના કૅમેરાની ઘોડી મૂકવાની જગ્યા માટે ઝઘડતા હતા. આ પત્રકારોને ગામડાંના સમાચાર-આપઘાતના સમાચારમાં કંઈ કવરેજ કરવા જેવું લાગતું ન હતું. મૉડેલનાં કપડાં કોટનનાં છે, તેની નોંધ લે છે, પરંતુ આ કોટન-કપાસ ઉગાડનાર ખેડૂતને તેનો ભાવ નથી મળતો તે તરફ પત્રકારોનું ધ્યાન નથી જતું. આજે ન્યુઝનો જમાનો નથી રહ્યો, એન્ટરટેઈનમેન્ટવાળું પત્રકારત્વ બની ગયું છે.

દેશનાં પાંચ રાજ્યોના સૌથી વધુ ગરીબ જિલ્લાઓમાં તેમણે એક લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો, જેમાં ૫૦૦૦ કિલોમીટર તો પગપાળા પ્રવાસ કર્યો. આ પ્રવાસમાંથી પુસ્તક તૈયાર થયું, ‘Everyday Loves a good Drought’, જે ૧૯૯૬માં પ્રગટ થયું હતું. આ પુસ્તક ખૂબ વખણાયું હતું.

પી. સાઈનાથ દલિતો અંગે એક પુસ્તક તૈયાર કરવા માગે છે, જેમાં ૧૫ રાજ્યોની વિગતોનો સમાવેશ કરવામાં આવશે. એક લાખ પચાસ હજાર કિલોમીટર વિસ્તારની વિગતો તેમણે ભેગી કરી છે. પાંચ રાજ્યોમાં જવાનું બાકી છે. આ પ્રોજેક્ટ પતાવવા પોતાના ગજવાના પૈસા વાપરવાનું ચાલુ કર્યું છે. છેલ્લાં ૩૦ વર્ષમાં વિવિધ રીપોર્ટિંગ માટે જે ફોટોગ્રાફ લીધા છે, તેમાંથી એક પ્રદર્શન તૈયાર કર્યું છે. નામ આપ્યું ‘Visible Work, Invisible Women : Women and Work In Rural India.’ આ પ્રદર્શન કારખાનાના દરવાજે, ગામડાંઓમાં બસ-રેલવે સ્ટેશન પાસે બતાવવામાં આવે છે. છ લાખ લોકોએ આ પ્રદર્શન જોયું છે.

પી. સાઈનાથના પત્રકારત્વનો આગવો મિજાજ છે. આજકાલ જે પત્રકારો-મીડિયાના માણસો એમ કહેતા ફરે છે કે લોકો જે માગે છે, તે અમે આપીએ છીએ. ત્યારે સાઈનાથ કહે છે, તેમના વતી કહેવાની સત્તા તમને ક્યારે આપી? દેશમાં ચારે બાજુ મીડિયામાં ઇન્ડિયા શાઇનિંગ છવાયેલું હતું, ત્યારે ભારતના ૬૦ કરોડ મતદાતાઓએ વર્ષ ૨૦૦૪-૦૫ની ચૂંટણીમાં જે પરિણામ દર્શાવ્યું, તે મીડિયાની નજરમાં જ આવ્યું ન હતું?

સાઈનાથ કહે છે, આજે મીડિયા ખુદ એક સ્થાપિત હિત ધરાવતો એકમ બની ગયું છે. કૉર્પોરેટ જગત તેને ચલાવે છે. આવા પ્રિન્ટમીડિયા કે વિઝ્‌યુઅલ મીડિયાને પત્રકારોની નહીં, CEO(ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર)ની જરૂર હોય છે. આમાં એડિટોરિયલ લખાણની શું સ્થિતિ થાય તે વિચારવાનું રહે!

સાઈનાથને અંગ્રેજી ભાષામાં બોલતા સાંભળવા એ એક લહાવો છે. તેઓ પાંચ ભાષા બોલી શકે છે. તેમણે હિંદી-અંગ્રેજી મિક્સ ભાષામાં વક્તવ્ય આપ્યું.

શરૂઆતમાં કહ્યું કે આપણે ત્યાં શબ્દ વપરાય છે નૅશનલ ન્યૂઝપેપર. તો શું બાકીનાં છાપાંને આપણે ઍન્ટિ-નૅશનલ કહીશું?

આ નૅશનલ છાપાં પોતાના પહેલા પાનામાં ગ્રામીણ જનતાના પ્રશ્નો માટે કેટલી જગ્યા ફાળવે છે? પાંચ વર્ષની એવરેજ તપાસતાં જવાબ મળે છે માત્ર ૦.૬૭ ટકા! આ દેશમાં ગામડાની જનસંખ્યા ૬૯ ટકા જેટલી છે. નૅશનલ છાપું ત્યારે ગણાય જેમાં સમગ્ર દેશનું ચિત્ર પ્રમાણસર ઝિલાતું હોય.

નવી દિલ્હીનું બાંધકામ આર્કિટેક Edwin Lutyensની દૃષ્ટિ પ્રમાણે કરવામાં આવ્યું હતું. કેટલાક લોકો Lutyens’ Delhi શબ્દપ્રયોગ કરે છે. આ Lutyens Delhiનો શહેરો માટેનો પક્ષપાત જાણીતો છે. નોટબંધી વખતે પ્રજાની હાડમારી દર્શાવવા શહેરોમાં એ.ટી.એમ. પાસેની લાંબી લાઇનો ટીવીમાં બતાવવામાં આવતી હતી. ગામડાંની સ્થિતિનું કોણ કવરેજ કરે? ગામડાંમાંથી શહેરોમાં મજૂરીકામ માટે આવતા લોકોના હાથમાં પૈસા આવતા બંધ થતાં કફોડી સ્થિતિમાં મુકાયા હતા. તેમનું દર્દ કોણે ઉજાગર કર્યું?

છાપાંઓમાં ૬૦ ટકા કવરેજ દિલ્હી-મુંબઈને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. બોલીવુડ, દલાલ સ્ટ્રીટના સમાચારો વધુ આવે છે.

સાઈનાથ પ્રવચનોમાં દેશના ૮૩૩ મિલિયન લોકો, જે ગામડામાં રહે છે તેના અંગે વધુ ભાર મૂકતાં તેમની ભાષા અંગે વાત કરતા રહ્યા છે. આ લોકો ૭૮૦ ભાષા બોલે છે. તેમની પાસે ૮૬ લિપિ પણ છે. શહેરી લોકો આ જાણતા નથી. (આપણાં ગણેશ દેવીએ પણ આ દિશામાં ઘણું કામ કર્યું છે.) સાઈનાથ કહે છે, હું મુંબઈમાં રહું છું. મુંબઈમાં પચરંગી પ્રજા આવીને રહે છે. અહીં ૨૯ પ્રકારની ભાષા બોલવાવાળા રહે છે. દરેક ભાષામાં જુદાજુદા કલ્ચરની વાતો સમાયેલી હોય છે. આ બધાના માથે એકબે ભાષા થોપી દેતાં આ કલ્ચર અંગેની ઘણી વાતો ખતમ થઈ જશે. આપણે ભાષાની વિવિધતા પર ધ્યાન ન આપ્યું. આ વિવિધતાનો વૈભવ ખતમ થવાના આરે છે. ત્રિપુરામાં એક ભાષાના માત્ર સાત જાણકાર રહ્યા છે. આંદામાનમાં એક ભાષા બોલનાર માત્ર એક જ વ્યક્તિ બચી છે. તેના મૃત્યુ બાદ તે ભાષા સદાને માટે ભૂંસાઈ જશે. ઓરિસ્સામાં કાલાહાંડી-કોરાપુટ વિસ્તારમાં Minral Transport માટે ૨૮૦ કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો છે. રોડની આજુબાજુ ગ્રામહાટ ભરાય છે. આ બજારમાં આવનારા લોકો ૧૬ ભાષામાં પોતાની વાત રજૂ કરતા હોય છે. એકબીજાની ભાષા ન જાણવાવાળા વચ્ચે વિશ્વાસ આધારિત ખરીદ-વેચાણ ચાલે છે.

સાઈનાથ કહે છે, દેશમાં છેલ્લાં ૨૫ વર્ષમાં આર્થિક અસમાનતા ખૂબ જ વધી ગઈ છે. જોવાની વાત એ છે કે દેશમાં સુનામી જેવી કુદરતી આફત આવે, ત્યારે શૅર બજારમાં સેન્સેક્સ ઊંચો જાય છે. આ દેશમાં કેટલાક લોકોનો ધંધો-નફો ઘણા બધા લોકોની ગરીબી, મજબૂરી પર આધારિત છે. તેમણે Global Wealth Data રિપોર્ટમાંથી કેટલીક વાતો કહી હતી. આ રિપોર્ટમાંની કેટલીક વિગતોમાં જણાવ્યા પ્રમાણે દેશના ગરીબ એવા ૩૦ ટકા લોકો પાસે દેશની માત્ર ૧.૪ ટકા સંપત્તિ છે. (દેશની સ્થિતિ સમજવા પિરામિડની કલ્પના કરવામાં આવે છે, જેના પાયામાં અસંખ્ય ગરીબ લોકો છે. પિરામિડની ટોચ પર અબજોપતિ છે. બિલિયોનેર છે.) ટોચના ૧ ટકા લોકો પાસે ૪૯ ટકા સંપત્તિ છે. પાંચ ટકા પાસે ૬૫.૫ ટકા અને ટોચના ૧૦ ટકા લોકો પાસે ૭૪ ટકા સંપત્તિ છે. વર્ષ ૨૦૦૦માં નવ બિલિયોનેર હતા, તે ૨૦૧૭માં ૧૦૧ બિલીયોનર થઈ ગયા છે. બીજી બાજુ વિશ્વના Human Development Indexમાં ૧૮૮ દેશોની યાદીમાં ભારતનું સ્થાન ૧૩૧માં સ્થાને છે. (India Slips in Human Development Index)

આર્થિક અસમાનતા દર્શાવવા માટે Gini Coefficient આંક દર્શાવવામાં આવે છે, જે ૦-૧૦૦માં હોય છે. ૦ સંપૂર્ણ સમાનતા, ૧૦૦ સંપૂર્ણ અસમાનતા, ભારતમાં આ આંક ૫૧.૪ ટકા છે. આ વાતની પણ આપણે અહીં નોંધ લેવા જેવી છે – કોઈ સોસાયટી આવી આર્થિક અસમાનતામાં ટકી ન શકે, સમાજ તૂટી પડવા તરફ જાય, તેમ સાઈનાથ ભાર મૂકીને કહે છે.

સાઈનાથે આ વિષયની માંડણી કરતાં ગુજરાતના ચીફ સેક્રેટરી જે.એન. સિંગની વાત મૂકી હતી. ગુજરાતમાં છેલ્લે થયેલી વિધાનસભાના ચૂંટણીમાં BJPની સીટો ૧૧૫માંથી ઘટીને ૯૯ થઈ તેનાં કારણો અંગે જણાવતાં બે મુદ્દા જણાવ્યાઃ (1) Farmer Distress (2) Lack of Employment among youth. આ કારણોસર લોકોનો ગુસ્સો પ્રગટ થયો અને તેથી Voting against Ruling Partyની સ્થિતિ સર્જાઈ હતી.

મહારાષ્ટ્રમાં ખેડૂતોના આપઘાતના પ્રશ્ને ૩૦ જેટલા કમિશન-રિપોર્ટ તૈયાર થયા હશે. કદાચ સરકાર પોતાને અનુકૂળ આવે તેવા રિપોર્ટની રાહ જોતી હશે! ૨૦ વર્ષમાં મહારાષ્ટ્રમાં ૬૫,૦૦૦ ખેડૂતોએ અને સમગ્ર દેશમાં વર્ષ ૧૯૯૫થી ૨૦૧૪ સુધીમાં ત્રણ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. સાઈનાથ ખેડૂતોની આત્મહત્યા અંગે સતત લખતા રહે છે. સરકારને આ ખૂંચે છે. ખેડૂતો મરે તે ખૂંચવાની જગ્યાએ આ લખાણો ખૂંચે છે! ડૉ. જાદવ કમિશને સાઈનાથ અંગે આઠ પાનાંની નોંધ મૂકી છે. કેટલાક લોકો કહે છે, ખેડૂત દારૂ પીએ છે. (બેવડો છે) માટે મરે છે. આ વાત ધ્યાનમાં લઈએ તો અન્ય ક્ષેત્રોમાં પણ ઘણાં મોત થવાં જોઈએ. (મજાકમાં કહ્યું – આમ હોય તો કાઈ જર્નલિસ્ટ બચ્યા ન હોત!) પ્રશ્નોત્તરી સમયે સાઈનાથે જણાવ્યું, મહારાષ્ટ્રના એક વખતના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખે તો ત્યાં સુધી કહી નાંખ્યું હતું ‘અમારો આભાર માનો કે અમે ખેડૂતો પર કેસ નથી કર્યા. કારણ કે આપઘાત એ ગુનો છે.’ આ વાત હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રગટ થઈ હતી.’

સાઈનાથે ખેતી અંગેના એમ.એમ. સ્વામીનાથના વડપણ તળે બનેલ નૅશનલ કમિશન ઑન ફાર્મરના રિપોર્ટ અંગે વાત કરી હતી. વર્ષ ૨૦૦૬માં સંપૂર્ણ રિપોર્ટ પ્રગટ થઈ ગયો હતો. આમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે સરકારે મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) ટેકાના ભાવ ખેત- પેદાશ ઉત્પન્ન કરવામાં થયેલ કુલ ખર્ચમાં ૫૦ ટકાનો વધારો ઉમેરીને જાહેર કરવા જોઈએ. આ વાત ભારતીય જનતા પક્ષે તેના ચૂંટણીઢંઢેરામાં પણ મૂકી હતી. પક્ષ સત્તા પર આવ્યો, ત્યાર પછી તેણે પલટી મારી. સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ આપીને જણાવ્યું કે સરકાર આ પ્રમાણેની ગણતરી પ્રમાણે ભાવ નહીં આપી શકે. સરકાર અનાજની મોટા પાયે ખરીદી કરતી હોય છે. સાઈનાથે કહ્યું, સરકાર પાસે ‘નેનો’ને ફાળવવા માટે પૈસા છે, પરંતુ ખેડૂતો માટે નથી. લોકોએ નેનો કારને અપનાવી નથી માટે તેનું નામ No-No રાખવા જેવું છે! સરકારી બૅંકો મર્સિડીસ કાર ખરીદવા છ ટકા વ્યાજે પૈસા આપે છે, જ્યારે ટ્રૅક્ટર માટે ૧૬ ટકા વ્યાજે લોન આપે છે.

પીપલ્સ આર્કાઇવલ ઑફ રૂરલ ઇન્ડિયા(પારી)એ પી. સાઈનાથનો એક મસમોટો ખજાનો છે. આમાં સાઈનાથની ફોટોજર્નલિસ્ટ તરીકેની સૂઝબૂજનાં દર્શન થાય છે. પ્રવચન દરમિયાન આમાંના કેટલાક ફોટોગ્રાફ દર્શાવ્યા. આજના કૉમ્પ્યૂટર અને ગુગલયુગમાં આવું પત્રકારત્વ એક સફળ સાધન બની શકે છે. આમાં સાઈનાથની એક વિશિષ્ટ દૃષ્ટિએ માણી શકાય છે. દેશમાં કલ્ચરની વિવિધતા, એકએક વ્યક્તિનું આગવું વ્યક્તિત્વ, ભાષાની – બોલીની પ્રચુરતા, દેશના ખૂણે-ખૂણે વસતા લોકોની વિશેષતા, આત્મવિશ્વાસ, દેશભક્તિ, સઘળું આમાં પ્રગટ કરવામાં આવ્યું છે. આઝાદી વખતના યુવાનોમાં આજે ૯૦-૯૫ વર્ષની ઉંમરે પણ દેશ માટેનો પ્રેમ કેવો ધબકી રહ્યો છે, તે વાત વિવિધ ઇન્ટરવ્યૂઝ દ્વારા દર્શાવામાં આવી હતી. અંગ્રેજ સરકાર ભારતને લૂંટતી હતી. તે વખતે સરકારનો ખજાનો લૂંટીને ભૂખ્યા ખેડૂતોને-ગ્રામજનોને પહોંચાડનારા કૅપ્ટન આજે જ્યારે વર્તમાન સરકાર લોકોને લૂંટીને પૈસા બૅંકમાં જમા કરીને માલેતૂજાર ઉદ્યોગપતિઓને આપે છે, ત્યારે દુઃખી છે. સવારના પહોરમાં ઘંટી ચલાવતા-ચલાવતા બાબાસાહેબ આંબેડકરનાં ગીતો ગાતી, બંધારણની રચનાની વાતોને ગીતોમાં સમાવતી બહેનોની વાત તેમણે રજૂ કરી હતી. દક્ષિણ કોરિયાની પોસ્કો કંપની સામે લડનાર આદિવાસી લોકો ગીતો દ્વારા લડતનો ટેમ્પો કેવો જાળવી રાખે છે, તે દર્શાવ્યું. Book of Bandipurની વાત રજૂ કરતાં ૩૫ વર્ષની બહેનની સૂઝબૂજ અને હોશિયારીની વાત કરતાં તેમણે કહ્યું, જયમ્મા બાંદીપુર નૅશનલ પાર્કમાં ફોટોગ્રાફ દ્વારા તે એકદમ નજીકથી દીપડાનો ફોટો લે છે અને તેનાં બાળકો જે રસ્તે ભણવા જાય છે, ત્યાં વાઘનાં પગલાંનાં નિશાન ‘Tiger Pug Markનો સુંદર ફોટોગ્રાફ લે છે. સાઈનાથે માત્ર તેને કૅમેરો કેવી રીતે ક્લિક કરવો તે જ શીખવ્યું હતું. આવા ફોટોગ્રાફ દ્વારા તે પોતાના પ્રશ્નોની રજૂઆત કરે છે. વિવિધ રાજ્યની સરકારો પણ સાઈનાથને આવી તાલીમ આપવા આજે આમંત્રણ આપે છે.

આજે ગામડાંની સ્થિતિ, ત્યાંના કારીગરોની સ્થિતિ દયનીય છે. સરકારે તો જાણે તેની ભાષા, તેની વિવિધતા, તેની કલાકારીગરીની આવડતને અવગણીને તેને ખતમ થવા તરફ ધકેલ્યું છે. ‘Skill India’ આ વાત સમજી શકે તેમ નથી. માત્રા કારખાનાં-ઉદ્યોગ કે કૉર્પોરેટ-જગતના વિકાસ માટેની સ્કિલ માટેનો ખ્યાલ કરે છે. લાકડાની હોડી-બોટ બનાવનારાનું કામ સાથેનું સંગીત અનોખું હોય છે. ભારતના શ્રમજીવી લોકોના જીવનમાં સંગીત વણાયેલું હોય છે.

આ બધાનો ધબકાર સાઈનાથના પત્રકારત્વમાં ઝિલાયો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2018; પૃ. 10-11 

Loading

...102030...3,1903,1913,1923,193...3,2003,2103,220...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved