Opinion Magazine
Number of visits: 9583450
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મિસ યુ, ગોલ્ડા માયર

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|7 March 2018

કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે 1969માં આજની તારીખે વડાંપ્રધાન તરીકે ચૂંટાયેલાં ગોલ્ડા માયરને યાદ કરી લઈએ



ગોલ્ડા માયર, ઇઝરાયેલનાં પ્રથમ અને એકમાત્ર મહિલા વડાંપ્રધાન અને વડાપ્રધાન પદ સુધી પહોંચનાર વિશ્વની ત્રીજી મહિલા. વિશ્વ ઇતિહાસમાં ગોલ્ડા માયરનું નામ એક સન્માનનીય નેતા તરીકે સોનેરી અક્ષરે અંકિત થયેલું છે. આવતી કાલે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઊજવાશે. યુવતીઓ-મહિલાઓ માટે પ્રેરણાદાયક અને રોલમૉડલ સમી મહિલાઓને યાદ કરવામાં આવશે, જેમાં ગોલ્ડા માયરનું નામ પણ ચોક્કસ લેવાશે. જો કે, આજે તેમને યાદ કરવાનું નિમિત્ત મહિલા દિવસ ઉપરાંત તેમના જીવનનો મહત્ત્વપૂર્ણ પ્રસંગ પણ છે.

ઈ.સ. 1969માં 7મી માર્ચના રોજ લેબર પાર્ટીની સેન્ટ્રલ કમિટીના 70 સભ્યોએ એક સૂરે ગોલ્ડા માયરને નવા વડાંપ્રધાન તરીકે ચૂંટ્યાં હતાં. ઇઝરાયેલના ત્રીજા વડાપ્રધાન લેવી એસ્કોલના નિધન બાદ સ્થિતિ એવી હતી કે સામાન્ય ચૂંટણીને માત્ર આઠ જ મહિનાની વાર હતી. શાસક પક્ષ માટે વડાપ્રધાન પદ કોને સોંપવું, એ નિર્ણય ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો. વડાપ્રધાન પદના દાવેદારો એકથી વધારે હતા, પરંતુ પક્ષને સત્તાનું સુકાન 71 વર્ષનાં ગોલ્ડા માયરને સોંપવું જ મુનાસિબ લાગ્યું હતું. ગોલ્ડા માયરે 17મી માર્ચ, 1969ના રોજ વિધિવત્ રીતે ઇઝરાયેલનું વડાંપ્રધાન પદ સંભાળ્યું હતું.

વડાપ્રધાન બન્યાં પહેલાં ગોલ્ડા માયર અગાઉની સરકારોમાં શ્રમ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને આંતરિક બાબતોનું મંત્રાલય સંભાળી ચૂક્યાં હતાં, એ તો ખરું જ, પરંતુ ઇઝરાયેલની સ્થાપનામાં તેમની કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી, એ જાણવા જેવું છે. ઇઝરાયેલની આઝાદીનું જે જાહેરનામું બહાર પડ્યું, તેમાં કુલ 24 લોકોના હસ્તાક્ષર હતા, જેમાં માત્ર બે મહિલા હતી, એમાંનાં એક હતાં ગોલ્ડા માયર. આમ, તેઓ ઇઝરાયેલના અસ્તિત્વ કરતાં પહેલાં પણ એક નેતા તરીકે સ્થાપિત થઈ ચૂક્યાં હતાં.

યુક્રેનમાં (તે વખતે રશિયાના તાબા હેઠળનો પ્રદેશ) 3 મે, 1898ના રોજ જન્મેલાં અને અમેરિકામાં ઉછરેલાં-ભણેલાં ગોલ્ડા માયર 20 વર્ષની વયથી જ જાહેરજીવનમાં સક્રિય બની ગયાં હતાં. કરિયાણાની દુકાન ધરાવતા પિતાની દીકરી તરીકે દુકાન સંભાળનારાં ગોલ્ડા માયરે પોતાના દેશને એટલી સારી રીતે સંભાળેલો કે આજે પણ તેમનું નેતૃત્વ જાહેરજીવનમાં આવનારી દુનિયાભરની મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. દૃઢ મનોબળ ધરાવતાં તથા એક ઘા ને બે કટકામાં માનનારાં આ સ્પષ્ટવક્તા નેતા ઇઝરાયેલનાં ‘આયર્ન લેડી’ તરીકે પણ જાણીતાં છે. ગોલ્ડા માયર પરના લોકોના અતૂટ વિશ્વાસને કારણે તેમના નેતૃત્વમાં તેમનો પક્ષ એક નહિ, બે બે સામાન્ય ચૂંટણીઓ જીતી શક્યો હતો.


ગોલ્ડા માયરના કાર્યકાળ દરમિયાન જ મ્યુિનક ઓલિમ્પિકના હત્યાકાંડમાં ઇઝરાયેલના 11 ખેલાડીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ગોલ્ડા માયરે મોસાદના માધ્યમથી ખેલાડીઓના એકેએક હત્યારાને આખી દુનિયામાં શોધી શોધીને પતાવી દીધા હતા. મ્યુિનક હત્યાકાંડનો બદલો ગોલ્ડા માયરે જે સાહસ અને સપાટાભેર લીધો હતો, તેને કારણે પણ તેઓ દુનિયામાં ચર્ચામાં રહ્યાં હતાં. ઇઝરાયેલના અસ્તિત્વ સામે ખતરો પેદા કરનારાઓને ગોલ્ડાએ છોડ્યા નહોતા.

જો કે, તેમણે ઇઝરાયેલની ફરતે આવેલા આરબ દેશો સાથે સંબંધો સુધારવા અને શાંતિ સ્થાપના માટે પ્રશંસનીય પ્રયાસો કર્યા હતા. ગોલ્ડાનું એક ખૂબ જાણીતું મરમી વાક્ય છે, ‘શાંતિ ત્યારે સ્થપાશે જ્યારે આરબ લોકો ઇઝરાયેલને નફરત કરવા કરતાં પોતાનાં સંતાનોને વધારે પ્રેમ કરશે.’


આજે આતંકવાદની સમસ્યા વિશ્વભરને સતાવી રહી છે ત્યારે બોલબચ્ચન નેતાઓ તો ઘણા છે, પરંતુ ગોલ્ડા માયર જેવા ખરા અર્થમાં પોલાદી નેતાઓની ખોટ સાલી રહી છે.

મિસ યુ, ગોલ્ડા માયર!

સૌજન્ય : ‘કળશ’પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 07 માર્ચ 2018

Loading

ગાંધીજી અને શસ્ત્રોનો આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર

આશા બૂચ|Opinion - Opinion|7 March 2018

Defence and Security International Exhibition – Excel Centre London ખાતે યોજાઈ રહ્યું છે. તેના થોડા સમય અગાઉ આ પ્રદર્શનથી માત્ર બે માઈલની દૂરી પર આવેલ કિંગ્સલી હોલ (કે જ્યાં ગાંધીજી ગોળમેજી પરિષદ દરમ્યાન રહેલા) ખાતે ગાંધી ફાઉન્ડેશનની સામાન્ય બેઠક થયેલી. તે બેઠકની પૂર્ણાહુતિ બાદ ગાંધી ફાઉન્ડેશનના ખજાનચી Mr. Graham Davey નામના મહાનુભાવે એક વક્તવ્ય આપેલું તેની ઝાંખી અહીં પ્રસ્તુત છે. કિંગ્સલી હોલથી તદ્દન નજદીક આટલા વિશાળ પાયા પર શસ્ત્રો અને તેના વ્યાપારનું પ્રદર્શન ભરવામાં આવવાનું હોવાથી તેમણે બ્રિટન મોટાં શસ્ત્રોની નિકાસ કરે છે, તે વિષે માહિતી આપીને સરકારના સંરક્ષણ ખાતા માટે શસ્ત્રો અને તેને લગતા સરંજામ બનાવવાના ઉદ્યોગના વિકલ્પ વિષે વાત કરી. તેમાંથી કેટલીક માહિતી જાણવી રસપ્રદ થશે.

Campaign Against Arms Trade (CAAT) છેલ્લાં ચાળીસેક વર્ષથી શસ્ત્રોના વ્યાપારની વિરુદ્ધમાં ચળવળ ચલાવી રહ્યા છે. તેમની મુખ્ય દલીલો નીચે મુજબની છે:

1 ઘણું ખરું વિકાસ પામતા દેશો આ શસ્ત્રો ખરીદે છે. પોતાના દેશની મોટા ભાગની પ્રજા મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રહેતી હોય, ત્યારે તેમની શસ્ત્રો ખરીદવાની નીતિ એ પોતાની પાસેના સંસાધનોનો નર્યો દુરુપયોગ છે તેમ સહુ સ્વીકારી શકે. આમ થવા પાછળ કઇંક અંશે બ્રિટિશ સરકારની લશ્કરી સાધનોનો ઝગમગાટ બતાવવાની રીત અને શસ્ત્રો બનાવતી કંપનીઓની આક્રમક વેપારી વૃત્તિને જવાબદાર ઠેરવી શકાય. આ હકીકત જાણ્યા પછી વિમાસણ થાય; પોતાના દેશના નાગરિકોને આજીવિકા આપવાની કેવી વિધ્વંસક રીત!

2 જ્યારે દમનકારી શાસન તંત્રને શસ્ત્રો વેચવામાં આવે છે, ત્યારે એ વ્યાપારથી એવા શાસનકર્તાઓને માનવ અધિકારોનું ખંડન કરવામાં સહાય મળતી હોય છે. 2015-16ના એક અહેવાલ મુજબ 28 દેશો માટે માનવ અધિકારોની રક્ષા બાબતે સંદેહ ધરાવવામાં આવેલો. તેમાંના 18 જેટલા દેશોમાં શસ્ત્રોની નિકાસ કરવામાં આવી હતી, જેમાં ઇઝરાયેલ, લિબિયા, સાઉદી અરેબિયા અને ઈરાકનો સમાવેશ થાય છે. તમામ પ્રકારનાં શસ્ત્રો અને યુદ્ધ સામગ્રીઓ વેચવાથી એ દમનકારી સરકારોને તેમની હિંસક નીતિને આંતરરાષ્ટ્રીય અનુમતિ મળતી હોય છે. આ હકીકત જાણતા હોવા છતાં આપણે કહીએ છીએ કે બીજા દેશોએ લડાઈ અટકાવવી જોઈએ (તેને શસ્ત્રો વેંચનાર આપણો જ દેશ છે છતાં) અને એ ભયંકર સંહારથી બચી જવા પામેલ શરણાર્થીઓને આ દેશમાં પ્રવેશવા પરવાનગી નથી આપવી કેમ કે તેનાથી આપણી જીવન પ્રણાલીનાં સ્તરને ઠેસ પહોંચે! આ છે આપણી માનવતા!

3 જ્યાં કોમી કે ધાર્મિક તણાવ હોય ત્યાં શસ્ત્ર સરંજામ ઉપલબ્ધ હોય તો લડાઈ ફાટી નીકળવાની શક્યતા વધુ રહે, સંહાર અને યાતના અકલ્પ્ય પ્રમાણમાં વધે. 80% કે તેથી વધુ પ્રમાણમાં જાનહાનિ પ્રજાની થાય છે. કરુણતા તો જુઓ, સાઉદી અરેબિયાને હાલમાં સહુથી વધુ શસ્ત્રો વેચવામાં આવે છે અને તે પણ ‘The Dove’ અને ‘Peace’ શીર્ષકના પ્રોગ્રામ હેઠળ! સાઉદી અરેબિયા યમનના તેમની પરિભાષા અનુસાર ‘વિપ્લવ’ કરનાર Houthi પર આક્રમણ કરે ત્યારે સાઉદી અરેબિયાને વખોડીએ છીએ, પરંતુ બૉમ્બ અને મિસાઇલથી ભરેલા ટોર્નેડો અને ટાઈફૂન એરક્રાફ્ટ કયા કયા દેશ પૂરા પાડે છે? યુ.એન.નો અંદાજ છે કે યમનના આ સશસ્ત્ર સંગ્રામમાં આશરે દસ હજાર લોકોએ જાન ગુમાવ્યા અને ત્રણ મિલિયન વિસ્થાપિત થયા. શું બ્રિટિશ સરકાર એ નિરાશ્રિતોને આશ્રય આપશે? અર્ધા લાખ જેટલા લોકો કોલેરાના ભોગ બન્યાનો અંદાજ છે અને બે હજારથી વધુ દરદીઓએ એ રોગથી જાન ગુમાવ્યા. યમનમાં લડાઈ 2015માં શરૂ થઈ, ત્યારથી કરીને આજ સુધીમાં £3.3 બિલિયનનાં શસ્ત્રો સાઉદી અરેબિયાને વેંચ્યા તેનું ન્યાયીપણું પડકારવા CAATએ યુનાઇટેડ કિંગ્ડમની સરકાર પર હાઇકોર્ટમાં દાવો માંડ્યો છે. કોર્ટે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો, જેની નવાઈ ન લાગવી જોઈએ, પણ  CAAT હજુ અપીલ કરશે.

4 હજુ આ પૂરતું ન હોય તેમ શસ્ત્રોના વ્યાપારમાં લાંચ-રુશ્વત પારાવાર અપાય છે. આપણે જાણીએ છીએ કે BAE એ બ્રિટનની સહુથી મોટી અને દુનિયાની સહુથી વિશાળ કંપનીઓમાંની એક એવી ડિફેન્સ પેઢી છે. તેના પર એવો દાવો છે કે તેણે બ્રિટનના રાજકારણીઓ અને ઓફિસરોને સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોને શસ્ત્રો વેંચવા સગવડ કરી આપવા તગડી લાંચ આપી છે. આમ પ્રજાને મન તો શસ્ત્રો બનાવતાં કારખાનાંઓમાં કામ કરતા કારીગરો, એ મહાકાય પેઢીના વાણોતરોથી માંડીને ઉચ્ચતમ અધિકારીઓ, સરકારી અમલદારો, પ્રધાનો સહુ સરખે ભાગે જવાબદાર (અને સાબિત થાય તો માનવ હત્યાના ગુનેગાર પણ) ઠરે.

CAAT દ્વારા થયેલ આટઆટલી દલીલો છતાં સરકાર શસ્ત્રોની નિકાસ માટે મારગમાં આવતા તમામ સંકુલોને ટેકો આપે છે. જ્યાં વાડ ચીભડાં ગળે ત્યાં કોને ફરિયાદ કરવી? સરકારના આંતરરાષ્ટ્રીય વેપાર વિભાગમાં સંરક્ષણ અને સલામતી સંકુલમાં 180 કર્મચારીઓ શસ્ત્રોનો વેપાર વધારવા માટે કામ કરે છે, જ્યારે બીજા બધા વિભાગો મળીને માત્ર 142 કર્મચારીઓ કામ કરે છે. રોયલ વિક્ટોરિયા ડોક પાસે આવેલ એક્સેલ સેન્ટરમાં દર એકાંતરે વર્ષે યુદ્ધ સરંજામનું પ્રદર્શન કરવાની જવાબદારી સંરક્ષણ અને સલામતી સંકુલની છે. આ વર્ષે લગભગ 1500 શસ્ત્રો બનાવતી પેઢીઓ પોતાની બનાવટોનું પ્રદર્શન દુનિયા આખીમાંથી આવેલ પ્રતિનિધિઓ પાસે કરશે. આ શસ્ત્રો બનાવતી પેઢીઓને સરકારના સંરક્ષણ ખાતાની સહાય મળે અને લાખોની સંખ્યાની સામાન્ય પ્રજા મોતના વેપારની વિરુદ્ધમાં હોવા છતાં મૌન રહી પોતાની નજર તળે ચાલતા દેખાડા અને વેપાર જોયા કરે. શસ્ત્રો બનાવવાં, વેંચવાં અને વાપરવાં એ જો હિંમતવાળાનું કામ ગણાતું હોય તો હિંસામાં ન માનતા હોવા છતાં તેને મૂંગે મોઢે જોયા કરવું તે જરૂર કાયરતાની નિશાની ગણાવી શકાય. CAAT દાયકાઓથી શસ્ત્રોના વ્યાપારનો સખત વિરોધ કરે છે, જેનું પરિણામ સૂન્ય આવ્યું, તો હવે તે માટેની રીત બદલીને વધુ અસરકારક પદ્ધતિ ખોલાવી રહી જેથી આ પાતકી ઉદ્યોગ અને વ્યાપાર અટકે.

સરકારની શસ્ત્રો વેંચવા પાછળની ઉત્સુકતાનો હજુ એક વધુ નમૂનો જોઈએ. વિદેશોમાં બ્રિટિશ એલચી કચેરીઓમાં લશ્કરના એક અમલદાર પણ આ જ સેવા ખાતર નીમવામાં આવે છે એટલું જ નહીં, વિદેશ પ્રવાસે જતા મંત્રીઓને શસ્ત્રોના વેપારને ઉત્તેજન આપવા માટે ખાસ પ્રોત્સાહિત કરવામાં આવે છે. લશ્કરી અમલદારોનો ઉપયોગ તો ગ્રાહકો સમક્ષ શસ્ત્ર સામગ્રી પ્રદર્શિત કરવામાં આવે જ છે, પણ જરૂર જણાય તો રાજ પરિવારના સભ્યોને પણ તેમાં શામેલ કરવામાં પાછું વળીને જોતા નથી. કેવી પ્રજાવત્સલ સરકાર!

આ રીતે કરવેરા ભરનાર પ્રજાની મૂડીમાંથી થોડો ઘણો ભાગ શસ્ત્રો બનાવવામાં અને વેંચવામાં તો વપરાય જ છે, વધારામાં શસ્ત્રોને કેમ વધુ સંહારક બનાવવાં એ અંગેના સંશોધન કાર્યમાં પણ પ્રજાના કરવેરામાંથી થયેલ આવક તેમની મંજૂરી વિના વપરાય છે. બ્રિટનના કરદાતાઓમાંથી કેટલા ટકા લોકો આ ખર્ચ સાથે સહમત હશે તે જાણવા મળે તો ખ્યાલ આવે. અને જો એ બધા પોતાના કરમાંથી શસ્ત્રો બનાવવા પાછળ લેવાતી રકમ આપવાની ‘ના’ પાડે તો સરકાર શું કરી શકવાની? તેને માટે ડેવિડ હેન્રી થોરો જેવું મનોબળ અને જાન ફના કરવાની ખુમારી જોઈએ.

કોઈ પણ સત્તાધારી અમલદાર એમ કંઈ સસ્તામાં પોતાની ટીકા સંભાળી ન લે. બ્રિટિશ સરકારનો બચાવ પક્ષ કહે છે, શસ્ત્રોની નિકાસ કરવાથી આ દેશના લશ્કરને શસ્ત્રો અને અન્ય યુદ્ધ સામગ્રીનો પુરવઠો સતત મળતો રહે તેવી જોગવાઈ થઈ શકે છે. દેશની આર્થિક પ્રગતિમાં પણ શસ્ત્રોની નિકાસનો ફાળો છે, એવો ગૌરવપૂર્વક દાવો કરાય છે. BAEની શાખાઓ 40 દેશોમાં છે અને ઘણી વિદેશી કંપનીઓ આ દેશમાં વિવિધ પૂર્જાઓ બનાવીને સંરક્ષણ ખાતાને માલ પૂરો પાડે છે, તો આવો ફાયદેમંદ વ્યાપાર કોણ હાથથી જતો કરે? વિદેશ મંત્રાલય તો એટલી હદે દલીલ કરે છે કે જે દેશોમાં શસ્ત્રોની નિકાસ થાય છે તે દેશોમાં બ્રિટનનો પ્રભાવ પડે છે; જો કે સાઉદી અરેબિયાના કિસ્સામાં આ સાબિત કરવું મુશ્કેલ છે. જ્યારે જ્યારે કોઈ રાજકારણીને સાણસામાં પકડવામાં આવે, ત્યારે તેઓ ડ્રગ્સ વેચનારાઓ પેઠે દલીલ કરીને કહે છે, જો આપણે નહીં વેંચીએ તો બીજા દેશો વેંચશે.

સરકાર દેખાવ તો એવો કરે છે કે માનવ અધિકારનો ભંગ ન થાય અને જ્યાં સંઘર્ષ થવાની વકી હોય તેવા જૂથ કે સરકારને શસ્ત્રો ન વેંચાય તેવી જોગવાઈ અસ્તિત્વમાં છે, પણ વાસ્તવિકતા એ છે કે સરકારની નીતિ એવી છે કે ગમે તે પ્રકારે વેપાર થતો હોય તો કરવો, સિવાય કે એમ કરવાથી કોઈ રાજનૈતિક કારણોસર નીચાજોણું થવા સંભવ હોય. તાજેતરમાં શસ્ત્રોના નિકાસ માટે 9,760 પરવાનાઓ અપાયા અને માત્ર 220ને મંજૂરી ન મળી. ભારત અને પાકિસ્તાને શસ્ત્રોના વ્યાપાર માટે 900 અરજીઓ કરી જેમાંની એક પણ નામંજૂર કરવામાં ન આવી. એ બે દેશો વચ્ચે ચાલતા અખંડ દીવા જેવા સંઘર્ષોથી શું બ્રિટિશરો અજાણ હોઈ શકે? એક વખત શસ્ત્રો વેંચી દેવામાં આવે પછી બ્રિટિશ સરકારની જવબદારી નથી એ કેમ વપરાય છે તે જોવાની. આ તો, તમને ઘાસ આપું, કેરોસીન આપું, દીવાસળી આપું; પછી કોનું ઘર સળગાવો તે તમે જાણો એવો ઘાટ થયો.

Democracy is for the People, by the People and to the People એવું એ શાસન પ્રણાલીના શ્રીગણેશ થયા ત્યારે પ્રજાને કહેવા આવેલું. આજે અહેસાસ થાય છે કે લોક્શાહીની ચોટલી કોર્પોરેટ જગતના મોટા મોટા ઉદ્યોગપતિઓ અને મલ્ટી નેશનલ વ્યાપારીઓના હાથમાં છે. બ્રિટન એમાંથી શા માટે બાકાત રહે? શસ્ત્રોના વ્યાપારને આટલો બધો ટેકો આપવા પાછળ એક બીજું કારણ છે; BAE સિસ્ટમની ડાઉનીંગ સ્ટ્રીટમાં અને હાઉસીસ ઓફ પાર્લામેન્ટમાં ધારાભ્યોને શસ્ત્રોના વ્યાપારની તરફેણમાં કામ કરતા કરવા માટેની સતત પેરવી. એ ઉદ્યોગના પ્રતિનિધિઓ વ્હાઇટ હોલ અને પાર્લામેન્ટની મિટીંગોમાં અવારનવાર હાજરી આપતા હોય છે.

સરકાર તરફથી શસ્ત્રોના નિકાસની તરફેણમાં એક છેલ્લી દલીલ કરવામાં આવે છે તે એ છે કે જો એના પર નિયંત્રણ મુકવામાં આવે તો રોજગારીની તકો ઓછી થઈ જાય! મારો રોટલો બીજા દેશની નિર્દોષ પ્રજાના મૃતદેહોની ચેહ પર પકવવા જેવી વાત છે. વાલિયા લૂંટારાને નારદે તેના પાપમાં તેના મા-બાપ, પત્ની કે બાળકો ભાગીદાર થશે કે કેમ એમ પૂછવા મોકલેલો. બ્રિટિશ સરકારના અધિક્ષકો, શસ્ત્રો બનવાતી કંપનીના માલિકો અને કર્મચારીઓએ ઘેર જઈને પોતાના પરિવારજનોને આ સવાલ પૂછ્યો હશે? શું આજીવિકા રળવાનો બીજો કોઈ વિકલ્પ નથી?

રોજગારીની તકો ગુમાવવાની શક્યતા ઊભી થાય તેવા ઉદ્યોગો બંધ કરવાનું કોઈ મુનાસીબ ન જ માને, પછી ચાહે તે ઉદ્યોગ શસ્ત્રો અને તેને લગતા સરંજામ બનાવવાનો કેમ ન હોય. ઈ.સ. 1976ની આ વાત છે. બ્રિટન સ્થિત લ્યુકસ નામની કંપનીમાં 18,000 કારીગરોને 17 ફેકટરીઓમાં કામ મળેલું. હવે એ કંપનીનું 70% ઉત્પાદન લશ્કરી વિભાગ માટે હતું. થયું એવું કે તેમાંના 20% કારીગરોને રોજગારીની તક ગુમાવવાનો ભય સતાવતો હતો. સરકાર એ કંપનીનું રાષ્ટ્રીયકરણ કરીને તેને દેવાળું કાઢતા બચાવી શકે તેમ નહોતી તેથી તેના કારીગરોને પોતાની કુશળતાઓ અને પોતાની પાસેના સાધનોની નોંધ કરી તેને સમાજોપયોગી વસ્તુઓના ઉત્પાદનમાં કેવી રીતે રોકી શકાય તેની મોજણી કરવા સૂચવ્યું. લશ્કરી સાધનો ઓછાં બનાવવાનું પરિણામ બેરોજગારીમાં જ આવે તે જરૂરી નથી, એ સાબિત કરવાનો તેનો હેતુ હોઈ શકે. એ કારીગરો પાસેથી તેઓ બીજી કઈ કઈ વસ્તુઓનું ઉત્પાદન કરી શકે તેની સૂચિ મળી તે રસપ્રદ હતી. સ્પાઈના બીફીડા(કરોડમાં થતો રોગ કે જેનાથી અપંગ બની જવાય)નો ભોગ બનેલ બાળકો માટે હોબક્રાફ્ટ બનાવવું, રસ્તા અને રેઇલવે લાઈન બંને પર ચલાવી શકાય તેવી બસ બનાવવી, હીટ પમ્પ બનાવવા, ડાયાલિસીસ મશીન બનાવવા (કિડની નિષ્ફળ જવાથી વર્ષે આશરે 3,000 મૃત્યુ નીપજે છે), વાહનોમાં ઇંધણનો વપરાશ અને પ્રદૂષણ ઘટાડવા હાઈબ્રીડ પાવર પેક બનાવવા, આ અને એવા અનેક નાનાં મોટાં સાધનો બનાવવાની એક મોટી યાદી એકઠી થઈ જે સૂચવે છે કે સંહારક સાધનો બનાવવાનો વિકલ્પ છે માનવને ઉપયોગી થાય, સહાયભૂત થાય તેવાં સાધનો બનાવવાં.

દુઃખની વાત એ છે કે લ્યુક્સ યોજના તરીકે ઓળખાયેલી આ યોજનાને ખાસ કોઈની સહાનુભૂતિ ન મળી, પરિણામે તેમાંની એક પણ વસ્તુના ઉત્પાદનનું સાહસ કરવા કોઈ આગળ ન આવ્યું. માનવીનું દિમાગ ચીલાચાલુ ઘરેડમાં કેવું ફસાઈ જાય છે એ સાબિત જરૂર થયું. દલીલ એવી થઈ કે જાણે કંપનીના માલિકો કહેતા ન હોય, ‘આ કંપની કોણ ચલાવે છે, તમે કે અમે?’

ગાંધી આજે હયાત હોત તો આ વિષે શું કહેત અને કેવાં પગલાં લેત? એક વાત નિશ્ચિત છે કે ગાંધીજીએ ઉપર કહ્યાં તે તમામ કારણોસર શસ્ત્રોનાં ઉત્પાદન અને વ્યાપારને સખત રીતે વખોડી કાઢ્યો હોત. ‘સર્વોદય’ની વિચારધારા આપનારા ગાંધીજીને ભારતને દુનિયાના સહુથી મોટા શસ્ત્રોની આયાત કરનાર દેશ – 2011-2015 દરમ્યાન દુનિયાના કુલ શસ્ત્ર વ્યાપારના 14% શસ્ત્રો ખરીદનાર તરીકે જોઈને તેમને કલેજે અકથનીય આઘાત લાગ્યો હોત. સત્યના એ પરમ ઉપાસકે પૂછ્યું હોત કે રાષ્ટ્ર શાનાથી મહાન બને? તેની નૈતિક આગેવાનીથી કે શસ્ત્ર બળથી? સ્વદેશી અને ગ્રામોદ્યોગના આગ્રહી તેવા મહાત્માએ સમાજને અને તે પણ સાવ છેવાડેના જન જનને જીવન નિભાવવા, જીવનને ઉત્કૃષ્ટ કરવા ઉપયોગી થાય તેવા સાધનો બનાવવા માટે પાયાનું કામ કરતા સંગઠનોને જ ટેકો આપ્યો હોત, નહીં કે શસ્ત્રો બનાવનારને.

દુનિયા અન્યાય અને યાતનાઓથી ભરપૂર છે. બ્રિટન અને તેના જેવા અન્ય દેશોની શસ્ત્ર વ્યાપાર નીતિનો માનવ જાતની હિતની તરફેણમાં પરિણામ ન આવે ત્યાં સુધી વિરોધ કરવો એ એક પુણ્યનું કામ બની રહેશે.

e.mail : 71abuch@gmail.com

Loading

આઝાદી પહેલાંનું એક ભૂલાયેલું આંદોલન

વિશાલ શાહ|Opinion - Opinion|5 March 2018

૧૮મી ફેબ્રુઆરી, ૧૯૪૬ના રોજ બોમ્બે ડોકયાર્ડમાં લાંગરેલા રોયલ ઈન્ડિયન નેવીના જહાજ ‘એચ.એમ.આઈ.એસ. તલવાર' પર તૈનાત ભારતીય સૈનિકોની સવાર વહેલી પડી ગઈ હતી. તલવાર એક સિગ્નલ ટ્રેઇનિંગ શિપ હતું. એ દિવસની સવારનો ઉચાટિયો માહોલ કંઈક અસામાન્ય થવાના સંકેત આપી રહ્યો હતો. ત્યાં તો બપોર થતાં જ ભારતીય સૈનિકોએ બ્રિટિશરો સામે આક્રમકતાથી વિરોધની ચિનગારી ફૂંકી અને થોડા સમયમાં આખું બોમ્બે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું. બોમ્બેમાં ફાટી નીકળેલી એ આગ જોતજોતામાં અખંડ હિંદુસ્તાનના કરાચીથી કોલકાતા અને વિઝાગ, મદ્રાસ અને કોચિન સુધી ફેલાઈ ગઈ. ક્રાંતિના એ હુતાશને આઝાદીના ભભૂકતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ થોડો સમય ગરમી આપવાનું કામ કર્યું હતું.

માંડ છ દિવસ ચાલેલા એ આંદોલને મહાન સંગીતકાર-ગીતકાર સલીલ ચૌધરીથી લઈને સલમાન રશદી જેવા લેખકના સર્જનને પણ પ્રભાવિત કર્યું હતું. ઉત્પલ દત્તે તો એ ઘટના પરથી એક નાટક લખીને જેલવાસ પણ ભોગવ્યો હતો. હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર આનંદ બક્ષી તેમ જ જેમ્સ બોન્ડના સર્જક ઇયાન ફ્લેમિંગે જેમના પરથી બોન્ડના બોસ 'એમ'નું પાત્ર સર્જ્યું હતું એ બ્રિટિશ લશ્કરી અધિકારી પણ આ ઘટનાનો સાક્ષી હતો.

કઈ હતી એ ઘટના?

બોમ્બે ટુ કરાચી, કોલકાતા અને મદ્રાસ

આઝાદી પહેલાંના ભારતના બીજા વિભાગોની જેમ રોયલ ઈન્ડિયન નેવીમાં પણ સૈનિકોથી માંડીને નાના-મોટા અધિકારીઓ ભારતીયો હતા, પરંતુ એ બધાના ઉચ્ચ અધિકારી તરીકે તુમાખીબાજ બ્રિટિશરો હતા. ઉચ્ચ બ્રિટિશ અધિકારીઓ ભારતીય સૈનિકો સાથે ખુલ્લેઆમ રંગભેદી વર્તન કરતા, તેમને ભોજન પણ બ્રિટિશરો કરતાં ઊતરતી કક્ષાનું પીરસાતું અને ભારતીય સૈનિકોની રહેવાનાં સ્થળ પણ ગંદાં-ગોબરાં રહેતાં. આ દરમિયાન ૧૬મી જાન્યુઆરી ૧૯૪૬ના રોજ થાણેમાં તૈનાત ‘એચ.એમ.આઈ.એસ. અકબર' યુદ્ધજહાજના ૬૭ સૈનિકો સ્વયંભૂ ભેગા થયા. તેમણે ફોર્ટ મુંબઈના મિન્ટ રોડ પર આવેલા કેસલ બરાકમાં જઈને ઉચ્ચ બ્રિટિશ અધિકારીઓને ઊતરતી કક્ષાનાં ભોજન સહિત વિવિધ ફરિયાદો કરી, પરંતુ બ્રિટિશરોએ હંમેશાંની જેમ તેમને ઉડાઉ જવાબ આપીને રવાના કરી દીધા. બ્રિટિશરો સામાન્ય રીતે આવું જ વર્તન કરતા, અને, તેના કારણે ભારતીય સૈનિકોમાં ધીમે ધીમે અન્યાયની ભાવના ઘર થઈ ગઈ હતી.

બોમ્બે ડોકયાર્ડ પર લાંગરેલા એચ.એમ.આઈ.એસ. અકબર, એચ.એમ.આઈ.એસ. હિંદુસ્તાન. (નીચે) મુંબઈના કોલાબામાં એ છ દિવસના આંદોલનની યાદમાં મૂકેલું ભારતીય સૈનિકનું પૂતળું અને છેલ્લે સ્વાતંત્ર્યસેનાની મદન સિંઘ

આ ઘટનાના એકાદ મહિના પછી ૧૮મી ફેબ્રુઆરી, ૧૯૪૬ના રોજ બોમ્બે ડોકયાર્ડમાં તૈનાત ‘એચ.એમ.આઈ.એસ. તલવાર' પર તૈનાત સૈનિકોએ હડતાળ પાડી. ત્યાં ફરજ બજાવતા મોટા ભાગના સૈનિકો સમાજના ઉચ્ચ વર્ગમાંથી આવતા હતા. તેમણે હડતાળ સુવ્યવસ્થિત રીતે ચલાવવા તાત્કાલિક એક સમિતિની પણ રચના કરી. એ સમિતિના પ્રમુખ અને ઉપ પ્રમુખ તરીકે લેફ્ટનન્ટ એમ.એસ. ખાન અને ટેલિગ્રાફિસ્ટ મદન સિંહની સર્વાનુમતે વરણી કરાઈ. આ હડતાળને બોમ્બે સહિત અનેક શહેરોમાં સામાન્ય લોકોનું પણ સમર્થન મળ્યું કારણ કે, બહાદુરીના પ્રતીક એવા ભારતીય સૈનિકોએ બ્રિટિશરો સામે અવાજ ઉઠાવ્યો હતો. સામાન્ય લોકો માટે તેઓ હીરો હતા, જેથી એ લોકોએ પણ સૈનિકોના સમર્થનમાં આખા મુંબઈમાં ઠેર ઠેર તોડફોડ અને આગચંપી કરી.

આ દરમિયાન સૈનિકોએ આઝાદ હિંદ ફોજના ધરપકડ કરાયેલા દસ હજાર સૈનિકોને છોડવાની માંગ સાથે બુચર આઈલેન્ડનો કબ્જો લઈ લીધો. ત્યાં બ્રિટિશ સેનાએ આખી બોમ્બે પ્રેસિડેન્સીનો દારૂગોળો સાચવ્યો હતો. આ ઘટનાના પ્રત્યાઘાત એટલા પ્રંચડ હતા કે, બોમ્બેની પશ્ચિમે ૮૮૦ કિલોમીટર દૂર કરાચીમાં ભારતીય સૈનિકોએ રોયલ ઈન્ડિયન નેવીના યુદ્ધજહાજ ‘એચ.એમ.આઈ.એસ. હિંદુસ્તાન'નો રીતસરનો કબજો લઈ લીધો. કરાચીના મનોરા બિચ નજીકની બ્રિટિશ લશ્કરી છાવણીઓમાં પણ સૈનિકો હડતાળના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા. બે-ત્રણ દિવસમાં બોમ્બેની હડતાળ વધુ ઉગ્ર બનતા કરાચીમાં ‘એચ.એમ.આઈ.એસ. બહાદુર' તેમ જ 'હિમાલય' અને 'ચમક' નામનાં જહાજોમાં સૈનિકોએ ‘એચ.એમ.આઈ.એસ. હિંદુસ્તાન' તરફ કૂચ શરૂ કરી અને ત્યાંના શસ્ત્રાગાર પર પણ કબ્જો કરી લીધો.

આ ક્રાંતિકારીઓમાં આનંદ બક્ષી નામનો એક ક્રાંતિકારી યુવાન સૈનિક પણ હતો, જે પાછળથી હિન્દી ફિલ્મોના ગીતકાર તરીકે પ્રસિદ્ધ થયા. એવી જ રીતે, કોલકાતા, વિઝાગ, મદ્રાસ અને કોચિનના રોયલ ઈન્ડિયન નેવી સ્ટેશનો પર પણ સૈનિકોએ દેખાવો કરીને બ્રિટિશરોને ભીંસમાં લીધા. બોમ્બે ડોકયાર્ડની સૈનિકોની એક સામાન્ય હડતાળમાં જોતજોતામાં ૨૦ હજાર ભારતીય સૈનિકો અને ૬૬ જહાજ જોડાઈ ગયા. આ આંદોલન ફક્ત છ દિવસ – ૨૩મી ફેબ્રુઆરી ૧૯૪૬ સુધી ચાલ્યું પણ ભારતના આઝાદીના આંદોલનમાં પ્રાણ ફૂંકવામાં તે મહત્ત્વનું સાબિત થયું.

સામાન્ય હડતાળે ઉગ્ર રૂપ કેવી રીતે ધારણ કર્યું?

આ આંદોલને થોડા કલાકોમાં જ ઉગ્ર રૂપ કેવી રીતે ધારણ કર્યું એ સમજવા ત્યારનો માહોલ જાણવો જરૂરી છે. આ આંદોલન માટે એકથી વધુ પરિબળો જવાબદાર હતા, પરંતુ આપણે મુખ્ય પરિબળોની વાત કરીશું. વાત એમ હતી કે, બીજી સપ્ટેમ્બર, ૧૯૪૫ના રોજ બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું હતું. એ ભીષણ યુદ્ધમાં ૨૫ લાખ ભારતીય સૈનિક બ્રિટિશ સેનાની આગેવાનીમાં જુદા જુદા દેશોમાં યુદ્ધ મોરચે ગયા હતા અને ૮૭ હજારથી વધુ સૈનિકે શહીદી વ્હોરી હતી. ભારતના અનેક સૈનિકોએ દેશદાઝથી પ્રેરાઈને નહીં પણ બ્રિટિશ સેનામાં નોકરી કરતા હોવાના કારણે યુદ્ધમાં લડવા જવું પડ્યું હતું. વિશ્વયુદ્ધ પછી સ્વદેશ આવેલા લાખો સૈનિકોને 'બ્રિટિશરોએ આપણો ઉપયોગ કરી લીધો' એવી લાગણી થઈ રહી હતી.

રોયલ ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવ્યા પછી હિન્દી ફિલ્મોના ગીતકાર તરીકે કાઠું કાઢનારા આનંદ બક્ષી

આ કારણસર યુદ્ધ મોરચે જઈ આવેલા યુવાન સૈનિકોમાં અન્યાયી બ્રિટિશ શાસન પ્રત્યે અસંતોષ, અજંપો અને ગુસ્સો વધી રહ્યો હતો. વિશ્વ યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે અછત સર્જાઈ હતી, જેથી જીવનજરૂરી ચીજવસ્તુઓમાં કાપ મૂકાયો હતો. એ માહોલમાં સૌથી બદતર હાલત સૈનિકોની હતી. આ દરમિયાન ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની આગેવાનીમાં આઝાદીનું આંદોલન પણ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. લાખો યુવાનો કોંગ્રેસ સહિત અનેક નાનાં-મોટાં જૂથોમાં આઝાદીના આંદોલનમાં વ્યસ્ત હતાં અને મોટા ભાગના મજબૂરીના માર્યા બ્રિટિશ શાસનમાં નોકરીઓ કરતા હતા. યુવાનો પાસે જીવનની ચોક્કસ દિશા ન હતી.

અરાજકતાના એ માહોલમાં મોટા ભાગના ભારતીયો સ્વતંત્રતા માટે અધીરા બની ગયા હતા. ભારતીયોના દિલોદિમાગમાં 'આઝાદીથી ઓછું કશું નહીં' અને 'હિંદ છોડો'ના નારા છવાયેલા હતા. બ્રિટિશ સેનામાં ફરજ બજાવતા સૈનિકો પણ તેમાંથી બાકાત ન હતા. અહીં બીજી પણ એક મહત્ત્વની વાત નોંધવા જેવી છે. આ બળવો થયો તેના એકાદ મહિના પહેલાં, જાન્યુઆરી 1946માં, રોયલ ઈન્ડિયન એરફોર્સના સંખ્યાબંધ બ્રિટિશ એરમેને બળવો (ભારતીય એરમેને નહીં, બ્રિટિશરોએ. બ્રિટિશરો સામે બ્રિટિશરોની લડાઈ બળવો જ કહેવાય) કરી દીધો હતો. એ બળવાના કારણે રોયલ ઈન્ડિયન નેવીના ભારતીય સૈનિકોને ઉચ્ચ બ્રિટિશ અધિકારીઓ સામે આંદોલન છેડવાનું પ્રોત્સાહન મળ્યું હતું. તત્કાલીન વાઇસરોય આર્ચિબાલ્ડ વેવેલે પણ આ વાતની સત્તાવાર નોંધ લીધી હોવાના પુરાવા છે.

રોયલ ઈન્ડિયન નેવીના સૈનિકોએ હડતાળ પાડીને કબજે કરી લીધેલા જહાજો પર કોંગ્રેસ, મુસ્લિમ લિગ અને કોમ્યુિનસ્ટ પાર્ટીના લાલ ધ્વજ એકસાથે ફરકતા હતા, પરંતુ ગાંધીજી, સરદાર પટેલ અને મોહમ્મદ અલી ઝીણાએ આ હડતાળ કડક શબ્દોમાં વખોડી કાઢી હતી.

હડતાળ સામ્યવાદીઓનું બહુ મોટું કાવતરું હતું?

લાલ કિલ્લા, દિલ્હીના સ્વાતંત્ર્ય સેનાની મ્યુિઝયમમાં મૂકેલી કર્નલ પ્રેમકુમાર સહગલ, મેજર જનરલ શાહનવાઝ ખાન અને કર્નલ ગુરુબક્ષ સિંઘની તસવીર

‘રાગ દેશ’નું પોસ્ટર

રોયલ ઈન્ડિયન નેવીમાં બળવો થયો ત્યારે નેતાજીએ આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી દીધી હતી. એ દિવસોમાં રોયલ ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા સૈનિકો સહિત કોઈ પણ ભારતીય પાસેથી આઝાદ હિંદ ફોજનું સાહિત્ય મળે તો દેશદ્રોહનો કેસ ચલાવાતો. બોમ્બે ડોકયાર્ડમાં પણ બળવાખોર સૈનિકોએ સૌથી પહેલાં બી.સી. દત્ત નામના સૈનિકને તાત્કાલિક મુક્ત કરવાની માગ કરી હતી. બી.સી. દત્ત પર પણ આઝાદ હિંદ ફોજનું સાહિત્ય રાખવાનો તેમ જ સેનાના જહાજો પર છુપી રીતે 'જય હિંદ' અને 'ક્વિટ ઇન્ડિયા' જેવા સૂત્રો ચીતરી નાંખવાનો આરોપ હતો. જો કે, બ્રિટિશરોની સેનામાં તો બી.સી. દત્ત જેવા લાખો યુવાનો ઘૂસી ગયા હતા. કેવી રીતે? એ સમજીએ.

બીજા વિશ્વ યુદ્ધની શરૂઆતમાં બ્રિટિશરોએ બ્રિટિશ સેનામાં ખૂબ ઝડપથી જવાનોની ભરતી શરૂ કરી. આ સ્થિતિનો લાભ લઈને કોમ્યુિનસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતાઓએ, ૧૯૪૨થી ૧૯૪૫ વચ્ચે, એક સાથે હજારો યુવાનોની ભરતી કરવા બ્રિટિશરોને ભરપૂર મદદ કરી. આ સામ્યવાદી નેતાઓ પણ બ્રિટિશ ઇન્ડિયન આર્મી અને રોયલ ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતા હતા. સામ્યવાદીઓનો હેતુ બ્રિટિશ સેનાની સાથે રહી નાઝી જર્મનીને હરાવવાનો હતો. આ કારણસર ૧૯૪૫માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધી રોયલ ઇન્ડિયન નેવીના સૈનિકોની સંખ્યા ૧૯૩૯માં હતી તેના કરતાં દસ ગણી વધી ગઈ હતી. જો કે, બીજું વિશ્વયુદ્ધ પૂરું થતાં બ્રિટિશ સેનામાં ફરજ બજાવતા લાખો ભારતીય સૈનિકો બ્રિટિશ શાસનના વિરોધી થઈ ગયા. વળી, હજારો સૈનિકો બ્રિટિશ સેના છોડીને સુભાષચંદ્ર બોઝે સ્થાપેલી આઝાદ હિંદ ફોજમાં જોડાઈ ગયા. આ કારણસર બ્રિટિશરોને લાગ્યું હતું કે, બ્રિટિશ શાસન સામે થયેલો ‘બળવો’ સામ્યવાદીઓનું કાવતરું છે.

એ વખતે દેશભરના ક્રાંતિકારી યુવાનોમાં આઝાદ હિંદ ફોજનું સાહિત્ય વાંચવાનો અને નેતાજીના ભાષણ સાંભળવાનો જુવાળ હતો. રોયલ ઇન્ડિયન નેવીના સૈનિકોની અત્યંત આક્રમક હડતાળ પાછળ આ કારણ પણ જવાબદાર હતું. રોયલ ઇન્ડિયન નેવીનો બળવો થયો ત્યારે બીજી પણ એક મહત્ત્વની ઘટના બની. બ્રિટિશ શાસને આઝાદ હિંદ ફોજના જનરલ શાહનવાઝ ખાન, કર્નલ પ્રેમ સહેગલ અને કર્નલ ગુરુબક્ષ સિંઘ ધિલોનને ઝડપીને કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી હતી. નેતાજીના આ ત્રણેય લશ્કરી અધિકારીઓ સામે 'બ્રિટિશ શાસન સામે યુદ્ધ છેડવાનો' તેમ જ આઝાદ હિંદ ફોજની 'વિધ્વંસક પ્રવૃત્તિ'માં સામેલ થવાનો ગંભીર આરોપ મૂકાયો હતો. આ ત્રણેય ભારતીય સૈનિકો સામે લાલ કિલ્લાની અંદર અદાલતી ટ્રાયલ ચાલે ત્યારે બહાર હજારો લોકો તેમની એક ઝલક મેળવવા ભેગા થતાં. ભારતીયો માટે એ ત્રણેય અધિકારી 'દેશપ્રેમી' હતા, જેમણે અંગ્રેજ શાસન સામે અવાજ ઉઠાવ્યો હતો. આઝાદી ઇતિહાસ લખવામાં-ભણાવવામાં કંઈક એવી ગરબડ થઈ કે, આપણે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને યાદ રાખ્યા, પરંતુ આઝાદ હિંદ ફોજના આ ત્રણેય બહાદુરોને આપણે ભૂલી ગયા! શું એ માટે નેતાજીના કોંગ્રેસ સાથેના મતભેદો જવાબદાર છે?

ટૂંકમાં, આઝાદ હિંદ ફોજના એ ત્રણેય સૈનિકોની ટ્રાયલના કારણે બ્રિટિશરો સામે જબરદસ્ત લોકજુવાળ ઊભો થયો હતો. તિગ્માંશુ ધુલિયાની જુલાઈ ૨૦૧૭માં રિલીઝ થયેલી 'રાગ દેશ' ફિલ્મ આ જ ઘટના પર આધારિત છે.

ઉત્પલ દત્તને આંદોલન પરથી નાટક લખવા બદલ જેલ

રોયલ ઇન્ડિયન નેવીના સૈનિકોનું આંદોલન બ્રિટિશરો માટે 'બળવો' હતું, પરંતુ ભારતીય સૈનિકો માટે હક માટેનું આંદોલન કે અન્યાય સામેની લડાઈ હતું. આ આંદોલનના સમાચાર તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીને મળતા તેમણે રોયલ ઇન્ડિયન નેવીના કમાન્ડર જ્હોન હેનરી ગોડફ્રેને 'સૈનિકોનો બળવો' તાત્કાલિક ડામી દેવાનો આદેશ કર્યો. હેનરી ગોડફ્રે લશ્કરી નેવિગેશનના ખેરખાં હતા. જેમ્સ બોન્ડ જેવા મહાન પાત્રના સર્જક ઇયાન ફ્લેમિંગે બીજા વિશ્વયુદ્ધમાં નેવલ ઇન્ટેિલજન્સમાં હેનરી ગોડફ્રેના હાથ નીચે કામ કર્યું હતું. ફ્લેમિંગે કહ્યું હતું કે, મેં સર્જેલું જેમ્સ બોન્ડના બોસ 'એમ'નું પાત્ર હેનરી ગોડફ્રેથી પ્રેરિત છે.

(ક્લોકવાઈઝ) રોયલ બ્રિટિશ નેવીના કમાન્ડર જ્હોન હેનરી ગોડફ્રે, જેના પરથી જેમ્સ બોન્ડના સર્જક ઇયાન ફ્લેમિંગે બોન્ડના બોસ ‘એમ’નું પાત્ર રચ્યું. બોન્ડ જેવા જ ડેશિંગ લેખક ઇયાન ફ્લેમિંગ, પોતાને મજાકમાં બીજા મોઝાર્ટ ગણાવતા ધુરંધર સંગીતકાર સલીલ ચૌધરી અને ઉત્પલ દત્ત

https://www.youtube.com/watch?v=a0E_Alsj7ME

રોયલ ઇન્ડિયન નેવીના આંદોલનનો ભારતના પોપ કલ્ચર પર ખાસ્સો પ્રભાવ પડ્યો હતો. હિન્દી, બંગાળી અને મલયાલમ ફિલ્મોના ધુરંધર સંગીતકાર સલીલ ચૌધરીએ રોયલ ઇન્ડિયન નેવીના આંદોલન પરથી પ્રેરણા લઈને 'ધેઉ ઉથ્ચે, કારા તુચ્છે' જેવું યાદગાર બંગાળી ગીત રચીને તેને સંગીતબદ્ધ પણ કર્યું હતું. સલમાન રશદીની ૧૯૯૫માં પ્રકાશિત 'ધ મૂર્સ લાસ્ટ સાઇ' નામની નવલકથામાં પણ આ આંદોલનનું વર્ણન આવે છે. હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા ઉત્પલ દત્તે આ આંદોલનમાંથી પ્રેરણા લઈને 'કલ્લોલ' નામનું નાટક લખ્યું હતું, જે ૧૯૬૫માં સૌથી પહેલીવાર ભજવાયું હતું. આ નાટક લખવા બદલ બ્રિટિશ ભારતના જૂનાપુરાણા ઇન્ડિયા ડિફેન્સ એક્ટ હેઠળ તેમની ધરપકડ થઈ, અને, કેટલાક મહિના જેલવાસ પણ ભોગવવો પડ્યો.

***

૧૮મી ફેબ્રુઆરીએ શરૂ થયેલું એ આંદોલન બ્રિટિશરોએ ૨૩મી ફેબ્રુઆરીએ સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધું. કોંગ્રેસ અને મુસ્લિમ લિગે પણ સૈનિકોની સમિતિને હડતાળ સમેટી લેવા દબાણ કર્યું. હડતાળ પૂરી થયેલી પણ જાહેર થઈ, પરંતુ 'બળવો' કરવા બદલ ૪૭૬ સૈનિકોને કોર્ટમાર્શલ કરાયા.

ત્યાં સુધી તો બધુ ઠીક હતું, પરંતુ દેશ આઝાદ થઈ ગયા પછી ભારત કે પાકિસ્તાની સેનામાં કોર્ટમાર્શલ કરાયેલા સૈનિકોને નોકરીઓ ના અપાઈ. કારણ કે, આઝાદ ભારતના ‘મહાન’ રાજકારણીઓ એ આંદોલનને 'બળવો' જ ગણતા હતા.

——

http://vishnubharatiya.blogspot.co.uk/2018/03/blog-post_5.html

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

Loading

...102030...3,1563,1573,1583,159...3,1703,1803,190...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved