Opinion Magazine
Number of visits: 9581143
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મનખો રમતો ચલકચલાણું

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|12 April 2018

હૈયાને દરબાર

૧૯૬૯માં એક સરસ ફિલ્મ આવી હતી. ગોરી-માંજરી આંખોવાળી અભિનેત્રી અને ફિલ્મનું અદ્ભુત સંગીત મનમાં અમીટ છાપ છોડી ગયાં હતાં. ફિલ્મ હતી ‘કંકુ’. આ ફિલ્મ આવી ત્યારે તો અમારી ઉંમર પૂરી દસની ય નહોતી, પરંતુ નેશનલ એવૉર્ડ જીતેલી આ ફિલ્મનો સ્પેિશયલ શો પાંચેક વર્ષ પછી એ વખતે બહુ પ્રતિષ્ઠિત ગણાતા અમદાવાદના નટરાજ સ્ટુડિયોમાં રાખવામાં આવ્યો, ત્યારે જોવાની તક મળી હતી. એ વખતે ફિલ્મમાં શું સમજાયું હશે ભગવાન જાણે, પણ હમણાં એનું એક ગીત સાંભળવા આખી ફિલ્મ ફરી જોઈ અને હું છક્કડ ખાઇ ગઈ. શું બોલ્ડ વિષય છે એ ફિલ્મનો! જે ફિલ્મ આજથી ૪૮ વર્ષ પહેલાં રજૂ થઈ હોય અને જેની વારતા ૧૯૩૬માં એટલે કે ૮૦ વર્ષ પૂર્વે લખાઈ હોય એ ફિલ્મમાં સ્ત્રીનાં પુનર્લગ્નની, વિધવાવિવાહની વાત સાવ સાહજિક અને સક્ષમ રીતે કહેવાઈ હોય એ જ કેટલી આશ્ચર્યજનક ઘટના!

પ્રસિદ્ધ વાર્તાકાર પન્નાલાલ પટેલે લખેલી ૨૦ પાનાંની આ વાર્તા ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક કાન્તિલાલ રાઠોડના હાથમાં આવી. એમણે પન્નાલાલ પટેલને વારતાનો વિસ્તાર કરવા કહ્યું જેમાંથી લઘુનવલ રચાઈ, એ પછી આ ફિલ્મ બની.

આપણે મૂળ વાત કરવાની છે અહીં પ્રસ્તુત થયેલા એક લાજવાબ ગીતની અને તેમાં પ્રગટ થતી નારી સંવેદનાની. કંકુ નામની રૂપાળી કન્યા (પલ્લવી મહેતા) ગામમાં પરણીને આવી છે. પતિ ખૂમો માના (કિશોર જરીવાલા – સંજીવકુમારના નાના ભાઈ) કંકુને ખૂબ પ્રેમ કરતો હોય છે. બેઉ જણ સુખેથી જીવન ગુજારતાં હોય છે એ દરમ્યાન કંકુને સારા દિવસો જાય છે. જતે દહાડે કંકુ કેલૈયા કુંવરને જન્મ આપે છે, જેનું નામ પાડવામાં આવે છે હીરો. ધણી-ધણિયાણી એ ય ખેતરે જાય, મોજ-મસ્તી કરતાં વાવણી કરે, ગીત્યું ગાય ને લહેર કરે. પણ કહેવાય છે ને કે, એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી …!

શ્રાવણી રાતે મુશળધાર વરસાદ પડે છે, ગામમાં પૂર આવે છે ને કંકુનો પતિ ખૂમો સજ્જડ માંદગીમાં પટકાય છે. કંકુની કેટકેટલી સેવા છતાં પતિ સ્વર્ગે સિધાવે છે. કંકુની કઠણાઈ અહીં શરૂ થાય છે. સાવ નાનકડા, ઘોડિયું ય હજી છૂટ્યું નથી એવા વ્હાલુડા બાળક હીરાના ઉછેરમાં કંકુ જોતરાઈ જાય છે. પણ, એ એવી કોમમાંથી આવી છે જ્યાં સ્ત્રી નાતરું કરી શકે. અર્થાત્‌, પતિના મૃત્યુ બાદ બીજે પરણી શકે. બસ, પછી તો ગામની સ્ત્રીઓ, સગાં-વહાલાં કંકુને બીજે પરણી જવા સલાહસૂચનોનો મારો ચલાવે છે. પણ, કંકુ ખુદ્દાર સ્ત્રી છે. "આંગળિયાતને લઈને પારકે ઘેર જાઉં તો મારો હીરિયો ઓશિયાળો ના થઈ જાય? એ વિચારે કંકુ ગામના ભાયડાઓની મશ્કરીનો ભોગ બનતી હોવા છતાં અંતરના જખમ જીરવીને દીકરાને ઉછેરવા માંડે છે. જરૂર પડ્યે પુરુષોને રોકડું પરખાવી દે એવી હિંમતવાન કંકુ સુખે-દુખે દહાડા વિતાવતી હોય છે. આમ ને આમ સમય વીતતો ગયો અને દીકરો હીરો જુવાનજોધ થઈ ગયો. કંકુએ એનાં લગન લેવાનું વિચાર્યું. સુંદર કન્યા શોધી કાઢી, પરંતુ લગનનો ભારે ખર્ચ ઉઠાવવા પૈસા ક્યાંથી લાવવા? આ મૂંઝવણમાં એને ગામનો શાહુકાર મલકચંદ (કિશોર ભટ્ટ) યાદ આવ્યો. કંકુ પહોંચી મલકચંદની પેઢીએ. "આવ આવ કંકુ, હજુ તો તારા ધણીનો ય હિસાબ બાકી છે, પણ ચિંતા ન કરીશ, દીકરાના લગન ટાણે હું તને બધી ય મદદ કરીશ. પછી તો લગન નિમિત્તે વાત-વહેવાર કરવામાં કંકુનો ય મલકચંદ સાથે મનમેળાપ વધવા લાગ્યો હતો. કંકુ પ્રત્યે કૂણું વલણ ધરાવતા મલકચંદે દીકરાની વહુ માટે સાડી, વાસણો, દાગીનાની વ્યવસ્થા માટેનાં નાણાં ધીરવા કંકુને ઘરે બોલાવી.

એ રાત્રે કંકુ નાણાં અને વાસણકૂસણ લેવા મલકચંદને ઘેર ગઈ અને દુન્યવી દૃષ્ટિએ ‘ન કરવાનું’ કરી બેઠી. અંધારી રાતના ઉન્માદક એકાંતમાં કંકુએ મલકચંદને શરીર સોંપી દીધું. એક બાજુ દીકરાના લગન લીધાં હતાં ને બીજી બાજુ મા પોતે જ પગલું ચૂકી ગઈ હતી! કેવો જબરજસ્ત વિરોધાભાસ અને કેવી વિટંબણા? આ સિચ્યુએશનમાં જે ગીત આવે છે એ ભલભલાની આંખમાં પાણી લાવી દે એવું ચોટદાર છે.

એ ગીત છે, પગલું પગલામાં અટવાણું કે મનખો રમતો ચલકચલાણું … બરાબર એવી સિચ્યુએશન પર ફિલ્મમાં આવે છે કે એ તમારી તમામ સંવેદનાઓને ઢંઢોળી દે છે. દિલીપ ધોળકિયાના અદ્ભુત સ્વરાંકન અને હંસા દવેના મીઠા કંઠે ગવાયેલું વેણીભાઈ પુરોહિત રચિત આ લાજવાબ ગીત ગુજરાતી ફિલ્મ સંગીતનાં શિરમોર ગીતોમાં સ્થાન પામ્યું છે.

સાત સાત સાચાં પગલાં ને ખોટું પગલું એક ….

સાત સાત આ જન્મારાની અધવચ તૂટી મેખ …

ઊકલશે ક્યાંથી હવે ઉખાણું … કે મનખો રમતો ચલકચલાણું ..!

મનુષ્ય સ્વભાવની વિવશતા અહીં ભારોભાર પ્રગટે છે. એક ખોટું પગલું ભરાય ત્યારે લોકો સાત સાચાં પગલાંને કેવાં સિફતપૂર્વક ભૂલી જાય છે એની વિડંબના ગીતમાં વ્યક્ત થઈ છે. કહાનીમાં ટ્વિસ્ટ તો હવે આવે છે. કંકુ તો વિધવા છે, એટલે વિધવા થઇને દીકરાના લગનમાં કેવી રીતે જવાય?

એ જમાનામાં તો એ અપશુકન ગણાય. તેથી કંકુ જાન લઈને જતા દીકરાને કહે છે, "બેટા, વહુરાણીને વાજતેગાજતે લઈ આવજે. આમ કહીને જીવનનાં અંધારાં-અજવાળાંનાં લેખાંજોખાં કરતી કંકુ ઘરમાં એકલી વિચારે ચડે છે! માનસિક પરિતાપે શરીર તાવથી ધગધગવા માંડ્યું છે.

બીજે દિવસે સવારે દીકરો નવી વહુને પરણીને લાવે છે. કંકુ હજુ સૂતેલી જ હોવાથી વહુ આશ્ચર્ય પામી ખબરઅંતર પૂછે છે. મન વિક્ષુબ્ધ અને શરીર તાવથી તપતું હોવા છતાં કોઈને કશી ગંધ ના આવે એટલે કંકુ કામે વળગે છે. અહીં દૃશ્ય બદલાય છે. દીકરા હીરાના લગનને ચાર મહિના વીતી ગયા છે. કંકુ પાણી ભરવા ગઈ છે, તેની બદલાયેલી ચાલ જોઈને ગામની સ્ત્રીઓને કૈંક વહેમ જાય છે. ગામની જે કાકીએ કંકુની સુવાવડ કરી હતી એ જ અનુભવી કાકી એને પોતાના ઘરની અંદર લઇ જઈને પૂછે છે કે "અલી કંકુ, હાચું બોલજે, આ તારી ચાલ કેમ બદલાયેલી છે? કંકુ કંઈ જવાબ નથી આપતી, નીચું જોઈ જાય છે. "હાચું બોલીશ તો બચી જઈશ, કહી દે વાત શું છે? ચાર મહિનાની સગર્ભા કંકુ નતમસ્તકે કહે છે, કાકી મને ઝેર આપી દો, મારો પગ લપસ્યો, મોટી ભૂલ થઇ ગઈ છે! આ વખતે પીઢ અને અનુભવી કાકીનો જવાબ તમને સ્તબ્ધ કરી દે છે. "કંકુ, તેં વૈધવ્યનાં સોળ વર્ષ સુધી સંયમ રાખ્યો એ જ બહુ મોટી વાત છે. બાકી જુવાન દેહની ઈચ્છા શી ના હોય? બસ, એ કાળમુખાનું નામ કહી દે એટલે તને એના નામનાં લૂગડાં પહેરાવી દઈશું.

આ લૂગડાં પહેરાવવાં એટલે એ પુરુષની સાથે પરણાવી દેવાની જેથી લગ્ન વગર થયેલા બાળકનાં મહેણાં અને ‘પાપ’થી બચી જવાય. પણ જે કહેવાતું ‘પાપ’ પોતે સામે ચાલીને, પોતાની મરજીથી, સ્વેચ્છાએ કર્યું હતું એ પુરુષનું નામ કેમ લેવાય? બીજું કે એ પુરુષ, નામે મલકચંદ તો પાક્કો મરજાદી વિધુર હતો. પરનાતની કન્યા, એ ય પાછી એક દીકરાની માતા એવી વિધવાને પરણીને પોતાના ઘરમાં લાવવાનો તો પ્રશ્ન જ નહોતો! કંકુએ નામ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી. પણ વાર્તાની ખૂબી એ છે કે પગલું ચૂકી ગયેલી સ્ત્રીને વખોડવાને બદલે આગેવાન ગામવાસીઓ એની વહારે આવીને કહે છે, "આપણી કંકુને માથે લાંછન ના લાગવું જોઈએ કે એ પરપુરુષ સાથે રાત વિતાવી આવી છે. બીજી તરફ પેલી કાકીની નિર્ભયતા જુઓ: એ કંકુને કહે છે, "તારે ઝેર કેમ ખાવાનું? જુવાન દેહને આ વાયરો ક્યારેક તો લાગવાનો જ હતો. કોઈ મેણું મારે તો કહી દેજે કે એક વરસ તો સંસારની બહાર રહીને જુએ! સાપનો ભારો પંદર વરહ હુંધી માથે મૂકીને હાલ્યા છો કોઈ દિ? પછી મેણું મારજો, અરે સફેદ પળિયાં આવી ગયાં હોય ને એવા પુરુષોની નજર તારા પર બગડતી. પણ વાઘણ સામે કોઈની હિમ્મત નહોતી. તારું તપ કોણ નથી જાણતું કંકુ ? તપેશરીના તપ ખૂટ્યાં તો આ મનેખનાં શાં લેખાં? સ્ત્રીનો અવતાર જ એવો કે જરાક પગ લપસ્યો તો આબરૂ રાખ પાણી ને જીવતર ધૂળધાણી. ફિલ્મના આ સંવાદો ખરેખર વિચારતાં કરી મૂકે એવાં છે.

પગલું ચૂકી ગયેલી એક સ્ત્રીની પડખે આમ બીજી સ્ત્રી ઊભી રહે? એ ય પાછી ગામની વડીલ! કાકીએ ઘણું સમજાવી છતાં કંકુ નામ આપ્યા વગર ચાલી ગઈ. આ બાજુ ગામના કેટલાક મુખિયાઓ અને કાકીએ કંકુ માટે વર શોધવાની કવાયત શરૂ કરી. ગામમાં વાતો થવા મંડી હતી ને દીકરા હીરાના કાને ય પહોંચી હતી. દીકરો-વહુ મનમાં સોસવાતાં હતાં કે, "બાએ આ ઉંમરે ભવાડો કર્યો છે તે મોં શું બતાવશું? ત્યારે ય કાકી આ કંકુની મદદે આવે છે ને કહે છે કે હીરિયાને ગામલોકને જવાબ આપતા ના આવડે એમાં કંકુનો શો વાંક? કંકુના ગુણ જુઓ ગુણ! કાળા માથાનો માનવી છે તે ભૂલ પણ થાય. લાખનો ઘોડો ય ઠોકર ખાઈ જાય છે, તો એક જવાન નારીહૃદયની શી વિસાત? આમ છતાં, કંકુ માટે વર શોધવાનો વિકટ પ્રશ્ન સર્જાયો હતો. સમાજમાં સુવાવડીની લાજ રાખવા એને પરણાવવી તો પડે જ. પણ બીજાનું પાપ લેવા કોણ તૈયાર થાય? એટલે કોઈ ગરીબગુરબાંને જ પરણવા માટે ઊભો કરવાનો હતો. છેવટે દેખાવે સારા પણ ગરીબ ઘરના દાધારંગા એવા કાળુ(આપણા લાડીલા નાટ્યકાર અરવિંદ જોશી)ને તૈયાર કરવામાં આવ્યો. સમાજને ખબર ના પડે એમ રાતોરાત ઘડિયા લગન લેવાયાં. કંકુની આબરૂ બચી ગઈ ને થોડા સમય પછી પૂરે મહિને કંકુએ દીકરાને જન્મ આપ્યો. ઘાટ ઘાટનાં પાણી પી ચૂકેલી કાકી ખબર કાઢવા ને દીકરાને જોવા આવી પહોંચી.

ફાનસના અજવાળે દીકરાનું મોઢું જોયું તો છળી મરી, "અલી કંકુ, આ તો મારો પીટ્યો મલકો! આબેહૂબ મલકચંદ. શા સારું એની આબરૂ તેં બચાવી હશે? એવો છણકો કરીને મોં મીઠું કર્યા વિના જ એ ચાલી જાય છે. અંતમાં, પતિ કાળુ પુત્રજન્મની ખુશીમાં કંકુનું મોઢુું મીઠું કરાવે છે ને ફિલ્મ પૂરી થાય છે. એક સ્ત્રીનાં નાજુક હૃદય, સંવેદનાને કેવી આબેહૂબ ઝીલી છે આ કથામાં! જમાનાની ખાધેલ કાકી ય છેલ્લે કંકુને નિસાસો નાખતાં કહે છે, "એ પીટ્યા મલકાનું નામ આપ્યું હોત તો બીજું કંઈ નહીં તો એની પાસેથી દામ તો વધારે કઢાવી શકત!!”

આ એ સ્ત્રીનું સાંસારિક-સ્વાભાવિક રીએક્શન હતું, જ્યારે કંકુએ પુરુષનું નામ ન જ આપ્યું એ એની ખાનદાની હતી, કદાચ વ્યક્ત ન થઈ શકેલો પ્રેમ હતો. ભલે દીકરાનો ચહેરો કંકુના લાગણીના ઊભરા કે ક્ષણિક આવેગની ચાડી ખાતો હતો, પણ એ તો ચૂપ જ રહી હતી! કાળુની ઉદારતા ય કેવી કે પોતાનો સગો દીકરો ના હોવા છતાં પત્નીને એ પ્રેમથી મોં મીઠું કરાવે છે!

એ જમાના પ્રમાણે પરિવર્તનની લહેર સમી આ ફિલ્મ અને અભિનેત્રી પલ્લવી મહેતા નેશનલ એવૉર્ડનાં હકદાર બને એમાં નવાઈ શી? શિકાગો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૧૯૬૯માં પલ્લવી મહેતાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવૉર્ડ મળ્યો હતો. નાગરાણી જેવું સૌંદર્ય અને સ્પષ્ટ ભાષા ઉચ્ચારણ ધરાવતાં પલ્લવી મહેતા અત્યારે ક્યાં છે એની કોઈને ખબર નહોતી. વ્યક્તિગત તપાસ કરી તો ય જાણવા ના મળ્યું, છેવટે ગૂગલ પર ખાંખાખોળા કરતાં નાટ્યકાર હસમુખ બારાડીની એક લિન્ક મળી જેમાં આ અભિનેત્રી સાથેની ટૂંકી વાતચીત હતી. તરત એમની દીકરી મન્વિતાને ફોન લગાડ્યો અને એમની પાસેથી પલ્લવી મહેતાનાં સગડ મળ્યાં.

પલ્લવી મહેતા સાથે વાત કરતાં અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરતાં એમણે જણાવ્યું કે આજે ય લોકો કંકુને અને મને યાદ કરે છે એ ખૂબ આનંદની વાત છે. "એ વખતે હું દિલ્હી રહેતી હોવાથી અને શૂટિંગ ગુજરાતમાં થતાં હોવાથી વધુ કોઈ ફિલ્મો કરી શકી નહોતી, પરંતુ આ ફિલ્મે મને આખા જીવનનું ભાથું બાંધી આપ્યું. ફિલ્મની કથા અને સંગીત બંને લાજવાબ હતાં, કહે છે પલ્લવી મહેતા. પલ્લવીબહેન હવે અમદાવાદમાં સ્થાયી થયાં છે અને પરિવાર સાથે સુખરૂપ જીવન જીવી રહ્યાં છે.

‘કંકુ’ ફિલ્મનો સંદેશ એ જ છે કે સ્ત્રી માનવ ખોળિયું જ છે, એની ય લાગણીઓ છે ને કોક વાર એ ભૂલ પણ કરી બેસે. નારીના નાજુક હૃદયને પરિવાર અને સમાજ સમજે તો એનામાં જાત સમર્પી દેવાની શક્તિ ઈશ્વરે આપી છે. બસ, એની ભાવનાની કદર કરી જુઓ, ભૂલ થાય તો માફ કરી દો. એ તમારી જ થઈને રહેશે. છે કોઈ શક? રાગ ભૈરવની છાંટ ધરાવતું આ મીઠું અધૂરું ગીત સાંભળવાનું યાદ છે ને? અહીં જે ગીતોની વાત થાય છે એ સર્વગુણ સંપન્ન છે. મોંઘી મિરાંત છે ગુજરાતી ભાષાની, એટલું યાદ રાખજો.

——————————–

પગલું પગલામાં અટવાણું
કે મનખો રમતો ચલકચલાણું …

તનનાં પગલાં તો ધરતી પર પાડે એની છાપ
મનનાં પગલાંની માયા
ને મનડું જાણે પાપ
ભટકતાં ભવમારગ ભરવાણું …

કે મનખો ..

સાત સાત સાચાં પગલાં ને ખોટું પગલું એક
સાત સાત આ જન્મારાની અધવચ તૂટી મેખ
ઊકલશે ક્યાંથી હવે ઉખાણું …
કે મનખો ..

કવિ : વેણીભાઈ પુરોહિત

• સંગીતકાર : દિલીપ ધોળકિયા          • ગાયિકા : હંસા દવે          • ફિલ્મ : કંકુ

http://www.hungama.com/song/paglu-paglaman-atvanun/23037572/

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 12 અૅપ્રિલ 2018

Loading

શિક્ષણમાં સીધું અંગ કયું?

રોહિત શુક્લ|Samantar Gujarat - Samantar|12 April 2018

પેલા શિયાળ અને ઊંટનો વાર્તાલાપ કવિ દલપતરામે ઠીક વર્ણવ્યો છે. ઊંટ ફરિયાદ કરતાં કૂતરાની વાંકી પૂંછડી, ભેંસના વાંકાં શિંગડાં અને વાઘના વાંકા નખની ટીકા કરે છે. ઊંટને દુનિયામાં બધું જ વાંકું દેખાય છે. પણ શિયાળ ધીમે રહીને કહે છે, ‘અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.’ જેના બધાં જ અંગ વાંકાં છે તેવું ઊંટ બીજાની ટીકા કરે છે. શિક્ષણની બાબતમાં આપણા આ ‘વાઈબ્રન્ટ’, ‘ગતિશીલ’ અને ‘પ્રગતિશીલ’ ગુજરાતમાં દેશનાં અન્ય રાજ્યો અને અન્ય પક્ષોની સરકારના મુકાબલે જે ‘વાંકાપણું’ વર્તે છે તે જોતાં દલપતરામની આ કવિતા યાદ આવે તે સ્વાભાવિક છે.

પ્રાથમિક શિક્ષણમાં પૂરતી સંખ્યામાં સલામત ઓરડા નથી. ઘણી શાળાઓને કંપાઉન્ડ વોલ નથી અને ઘણામાં છોકરીઓ માટેનાં અલગ શૌચાલયો પણ નથી. વોટરએઈડ નામની સંસ્થાએ ૨૦૧૭નો અહેવાલ સમગ્ર દેશ માટે પ્રકાશિત કર્યો છે. તે કહે છે કે ભારતમાં સંડાસની સગવડ વગરના કુલ ૭૩.૨ કરોડ લોકો છે. લગભગ ૩૫.૫ કરોડ સ્ત્રીઓ અને બાળાઓએ ખુલ્લામાં જ કુદરતી હાજતે જવું પડે છે. આ રિપોર્ટ લખે છે કે જો આ બધા કતારબંધ ઊભા રહે તો પૃથ્વીના ચાર આંટા થાય! જુલાઈ ૨૦૧૭નો ‘ઇન્ડિયા સ્પેન્ડ’નો અહેવાલ જણાવે છે, છોકરીઓ શાળામાં પ્રવેશ લેતી નથી અથવા વહેલી છોડી દે છે તેનું કારણ સંડાસની સગવડનો અભાવ છે. ગ્રામીણ ભારતની ૨૩ ટકા કન્યાઓએ શાળા છોડવાનું કારણ આ સગવડનો અભાવ ગણાવ્યું છે. ભારતની આ એકંદર પરિસ્થિતિ કરતાં ગુજરાત વધારે ખુશી ઉપજે તેવી હાલતમાં નથી.

જરૂરી અને પૂરતા શિક્ષકોની ભરતી ન કરવી, જેમની ભરતી કરાય તે કચડાઈ જાય તેવો ઓછો અને બાંધ્યો પગાર આપવો. જાત-જાતનાં કારણો ઊભાં કરી સભાઓમાં સંખ્યા-ટોળાં સર્જી પોતાની લોકપ્રિયતા બતાવવી, મેલેરિયા, વસતિ ગણતરી, ચૂંટણી, રોગ નાબૂદી, ટીકાકરણ, મતદાર યાદી સુધારણા વગેરે જેવાં કામોમાં આ કચડાયેલા શિક્ષકોને જોતરવા તે બધું હવે સામાન્ય ગણાય છે. પણ પછી ‘ગુણોત્સવ’ થાય ત્યારે સ્વાભાવિક જ સાંપડતાં ચિંતાજનક પરિણામોને ચર્ચા માટે મૂકવાને બદલે સંતાડવામાં આવે છે.

૨૮મી માર્ચ, ૨૦૧૮ના સમાચાર છે કે આરટીઈનાં સાત વર્ષ પૂરા થવા નિમિત્તે યોજાયેલ એક કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી લોકરે કહ્યું છે કે ભારતમાં માત્ર ૪ ટકા શાળાઓ આરટીઈનાં ધોરણોનો અમલી કરી શકી છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુણવત્તા અને જરૂરી સગવડો સિવાયનો ફી અને સંચાલકોની જોહુકમીનો પણ ગંભીર મુદ્દો છે. છેલ્લા લગભગ એક વરસથી ફીના મુદ્દે સરકાર શાળા સંચાલકો સામે કડક થઈ શકતી નથી. ધરણા કે શાંત દેખાવો કરવા વાસ્તે એકઠા થવા માંગનાર ઉપર કડક પગલાં ભરતી સરકારને, વધારે તો સામેની સેનામાં શાળા સંચાલકો દેખાય ત્યારે હાથમાંથી ગાંડીવ ધનુષ સરી જતું લાગે છે, સરકારને ‘અર્જુન વિષાદ યોગ’ થઈ આવે છે. શાળા સંચાલકોમાં ‘મામકા’ જોઈને સરકારનું શૂરાતનપણું કોકડું વળી જાય છે. આખા રાજ્યની અનેક શાળાઓનાં વાલી મંડળોએ ફીના નામે ચાલતી લૂંટનો વિરોધ કર્યો છે. પણ તેમાં ઉકેલની દિશામાં કોઈ પગલાં ભરવાને બદલે સરકાર બને તેટલો સમય વેડફે રાખે છે. કેન્દ્ર કક્ષાએ રાતોરાત નોટબંધી કે જી.એસ.ટી. દાખલ કરવામાં પાવરધી સરકારને શિક્ષણના આ તમામ પ્રશ્નોની બાબતમાં ‘કાન પે જૂ નહીં રેંગતી’ જેવો ઘાટ થાય છે.

આ સાથે છેલ્લાં ઘણાં વર્ષોથી, અનુદાનિત સંસ્થાઓ પ્રત્યેના વલણને પણ જોડવું રહ્યું. ખાનગી સંસ્થાઓ માત્ર નફાખોરી વાસ્તેના પોતાના મામકાઓની બની રહે અને તેની સામે મજબૂત વિકલ્પ આપી શકે તેવી અનુદાનિત સંસ્થાઓને તોડી પડાય, તે આ સરકારનો, હવે છૂપો નહીં રહેલો એજન્ડા છે.

કૉલેજ અને યુનિવર્સિટીના શિક્ષણમાં તો આ વલણ માત્ર પ્રત્યાઘાતી જ નથી રહ્યું, આત્મઘાતી બની ચૂક્યું છે. હમણાં જ રાજ્યમાં શિક્ષણની ત્રણ કૉલેજોને તાળાં મારવાની નોબત આવી ત્યારે આ સરકારને લાગ્યું હશે કે ‘હા, હોં થોડાક અધ્યાપકોની ભરતી તો કરવી પડશે.’ પ્રિન્સિપાલો વગરની કૉલેજો હવે કોઈ નવાઈની વાત નથી. ગ્રંથપાલો વગરનાં ગ્રંથાલયો, વ્યાયામ શિક્ષક વગરનાં મેદાનો અને ખેલ-મહાકુંભો, અધ્યાપકો વગરના સેમેસ્ટર અભ્યાસો, પટાવાળા કે કારકુન વગરની વ્યવસ્થા એ કોઈ નવાઈની બાબત નથી. પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીના આખા ક્ષેત્રમાં નહીં પુરાયેલાં સ્થાનોની સંખ્યા ૫૦,૦૦૦ને આંબી જાય છે.

આ પ્રકારના નીંભર મૌન સાથેના અને સંવેદનહીન વલણને કારણે ગુજરાતના યુવાધનની એક આખી પેઢી ખતમ થઈ ગઈ છે. યુવાઓમાં ઘેરી હતાશા ફરી વળી છે. મોટાં શહેરોમાં મનોચિકિત્સક ડૉક્ટરોનાં દવાખાનાં આવા રોગીઓથી ઊભરાઈ રહ્યાં છે. પણ સરકાર જેનું નામ …! આમ છતાં, સરકાર તરફથી આટઆટલા અવરોધો છતાં કેટલીક સંસ્થાઓ હજુ પણ શિક્ષણને પૂર્ણપણે સમર્પિત રહીને સમાજનું કાર્ય કરી રહી છે.

સવાલ ઉઠાવવો હોય તો એવો પણ ઉઠાવી શકાય કે આ નીંભરતા સરકારના કયા પાસાંની દેન છે. સત્તાધારી પક્ષની ચૂંટાયેલી પાંખના મહાનુભાવો સેમેસ્ટર પ્રથા નાબૂદ કરવા બાબતે વિચારતા જણાયા છે, પરંતુ તેનો અમલ થઈ શકતો નથી. પ્રધાન ઇચ્છે છતાં અમલ ન થાય તે માટે કોણ કારણભૂત હોઈ શકે તે સમજવું અઘરું નથી. આ મહાનુભાવો ગુજરાતની ભાવિ પેઢીના હિતનો જ વિચાર કરતી હશે ને! ગુજરાતના યુવાધનને સારું શિક્ષણ ન મળે, શિક્ષણ ખૂબ ખર્ચાળ અને મોંઘું બને અને શિક્ષક કે અધ્યાપકો વગર જ શિક્ષણ થાય તેને જ ઉત્તમ શિક્ષણ ગણવામાં આવી ગયું છે. આવા તંત્ર અને આવા મહાનુભાવો શિક્ષણની કોફિન ઉપર ખીલા ઠોકતા જ જાય છે.

પ્રાથમિક, ઉચ્ચ અને ટેક્‌નિકલ એવી વિવિધ શાખા-પ્રશાખામાં ફેલાયેલા આ શિક્ષણ નામના પ્રાણીનું એક પણ અંગ સીધું કે સુરેખ નથી. જો ગુજરાતના વિકાસના મોડલની અંતર્ગત એવી આ પદ્ધતિનો રાષ્ટ્ર કક્ષાએ વિનિયોગ થશે તો માત્ર નિરાશા જ વધશે. તાજેતરમાં એક અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ ભારતના એન્જિનિયરો રશિયા અને ચીનના એન્જિનિયરોની તુલનાએ નવા વિચારો અને નવોન્મેષોની બાબતમાં સાવ પછાત છે.

સમગ્ર દેશમાં અને વિશેષ કરીને ગુજરાતમાં શિક્ષણને આધુનિકતા અને તેની સાથેના સામાજિક નિસ્બતના વિચારથી ખાસ્સું વિખૂટું પાડી દેવાયું છે. ભારતના સ્તરે જે.એન.યુ., ટિસ ઇન્સ્ટિટ્યૂટ, જાધવપુર યુનિવર્સિટી, હૈદરાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટી અને હવે ટિસ બાબતમાં સરકારના જે ઈરાદાઓ બહાર આવી રહ્યા છે તે શિક્ષણ માટે ઉત્સાહવર્ધક નથી. અને આ બધું અપૂરતું હોય તેમ ભારતીય રાષ્ટ્ર ભાવનાના પર્યાયરૂપે વિજ્ઞાન વિશેની અવૈજ્ઞાનિક બાબતોના, સરકારના ઉચ્ચ કક્ષાના મહાનુભવોનાં ઉચ્ચારણોનો છે. ભારતની પ્રાચીન ભવ્યતામાં આધુનિક વિજ્ઞાન કરતાં, પણ ભારતનું વિજ્ઞાન આગળ હતું એમ કહેવાનો કે તેવો પ્રચાર કરવાનો પ્રયાસ હવે હાંસીને પાત્ર ઠરતો જાય છે. પણ શિક્ષણ અને નવી પેઢીને જે નુકસાન થયું તે તો થયું જ ને!

અને આ બાબતે તાજતરમાં જ રાજ્ય સરકારને સાવધ કરવાનો એક પ્રયાસ ખુદ કેન્દ્રીય નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે કર્યો પણ અન્યના જ ‘વાંકા’ દેખનારી સરકાર એમ શેની સ્વીકારે? હવે ‘કેગ’ – કમ્પ્ટ્રોલર ઍન્ડ ઍડિટર જનરલનો અહેવાલ (૨૫મી માર્ચ, ૨૦૧૮) રાજ્યની વિધાનસભામાં પેશ થયો છે. આ તટસ્થ સંસ્થા જણાવે છે કે ૨૦૧૨-૧૩માં દેશનાં રાજ્યોનો સરાસરી શિક્ષણ ખર્ચ રાજ્યોની જી.ડી.પી.ના ૧૭.૭૦ ટકા હતો. પરંતુ આ ‘વિકાસશીલ’, ‘ગતિશીલ’ ઇત્યાદિ ઇત્યાદિ રાજ્યનો ખર્ચ ૧૫.૨૮ ટકા હતો. ૨૦૧૬-૧૭માં સ્થિતિ સહેજ ‘સુધરી’ છે. અન્ય રાજ્યોનો સરાસરી ખર્ચ ઘટીને ૧૫.૨૦ ટકા થયો અને ગુજરાતનો ખર્ચ ૧૫.૬૦ ટકા થયો. આખા દેશની લીટી નાની કરી ત્યારે આપણી લીટી મોટી બની.

બીજી તરફ, ખેદજનક બાબત છે કે સરકારની અનુદાનિત અનેે અન્ય સરકારી શાળાઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ગુજરાતનું શિક્ષણ આટલી દયાપાત્ર સ્થિતિમાં ક્યારે ય ન હતું!

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અૅપ્રિલ 2018; પૃ. 02 – 04 

Loading

ગાંધીજીના જીવનમાં હિંદુ-મુસલમાન સંબંધોઃ ભારત પાછા ફરતાં પહેલાં

ઉર્વીશ કોઠારી|Gandhiana|12 April 2018

હિંદુ-મુસલમાન એકતા ગાંધીજીના જીવનનાં મહત્ત્વનાં ત્રણ કાર્યોમાંનું એક ગણાય છે (બાકીનાં બેઃ અસ્પૃશ્યતાનિવારણ અને સ્વરાજ.) હિંદુ મુસલમાન વિખવાદના મુદ્દે ગાંધીજીને સફળતા ઓછી ને નિષ્ફળતા ઘણી મળી છે. એક હિંદુ અંતિમવાદી દ્વારા થયેલી તેમની હત્યા એ હકીકતની પરાકાષ્ઠા છે. હિંદુ-મુસલમાન સંબંધો અંગેના ગાંધીજીના ઘણા અભિપ્રાય હવામાંથી ઉપાડી લેવાયેલા અથવા ઇરાદાપૂર્વક ફેલાવાયેલાં જૂઠાણાં છે. એ સંદર્ભે ગાંધીજીની અહિંસાનાં પણ સગવડિયાં અર્થઘટન હજુ થતાં રહે છે. પરંતુ આ મુદ્દે ગાંધીજીનો અભિગમ સમજવા માટે તેમના ઘડતરની પ્રક્રિયા પર નજર નાખવી જરૂરી છે.

ગાંધીજી ૧૯૧૫ના જાન્યુઆરીમાં ભારત આવ્યા, ત્યારે તેમની ઉંમર ૪૬ વર્ષની હતી. જીવનના આ સાડા ચાર દાયકામાં તેમના મન પર હિંદુ-મુસલમાન સંબંધોને લઈને અનેક છાપ અને સંસ્કાર પડ્યાં હતાં અને અભિપ્રાયો પણ બંધાયા હતા. સ્વદેશાગમન પછી તેમણે ૧૯૧૯માં ’નવજીવન’ સાપ્તાહિક શરૂ કરવાના મુખ્ય ઉદ્દેશોમાં એક તેમણે હિંદુ-મુસલમાન એકતાનો પણ દર્શાવ્યો હતો.1

‘નવજીવન’માં જ હપ્તાવાર શરૂ થયેલી આત્મકથામાં વાતનો આરંભ ગાંધીજીએ તેમના દાદા ઉત્તમચંદ ઉર્ફે ઓતા ગાંધીથી કર્યો છે અને તે ટેકીલા હોવાનું નોંધ્યું છે.2 તેમની સાથે બનેલો એક પ્રસંગ પ્રભુદાસ છગનલાલ ગાંધીએ ‘જીવનનું પરોઢ’માં નોંધ્યો છે. "ગાંધીજીના દાદા, પોરબંદરના દીવાન ઉત્તમચંદ – ઓતાબાપાને એક વાર રાજ સાથે સંઘર્ષનો પ્રસંગ આવ્યો અને રાણીએ ઓતાબાપાના ઘરે લશ્કરી ટુકડી મોકલી, ત્યારે ઓતાબાપાના ઘરના દરવાજે આરબ અંગરક્ષકોની ટુકડી હતી. આરબોએ બાપાને કહી દીધું કે અમારા બધાનાં માથાં વધેરાયાં પછી જ આપને કોઈ હાથ અડાડી શકશે.”3

ગાંધીજીનું કુટુંબ વૈષ્ણવ, પણ તેમનાં માતા પૂતળીબાઈ પ્રણામી સંપ્રદાયનાં હતાં. આ સંપ્રદાય હિંદુ અને ઇસ્લામધર્મોના સમન્વય જેવો ગણાય છે. કેટલાક રૂઢિચુસ્તો પ્રણામી સંપ્રદાયના અનુયાયીઓને પ્રચ્છન્ન મુસ્લિમ પણ કહેતા હતા. તેમની પ્રાર્થના કરવાની રીત મુસ્લિમોની બંદગી કરવાની રીત સાથે મળતી આવતી હતી.4 અલબત્ત, ગાંધીજીએ આત્મકથામાં તેમની માતાના પ્રણામી સંપ્રદાયની કે પોતાના પર તેની કોઈ છાપ પડી હોય એવું લખ્યું નથી.

ચોથા ધોરણમાં તેમને સંસ્કૃત અને ફારસી એ બંનેમાંથી એક વિષય પસંદ કરવાનો પ્રશ્ન આવ્યો. વિષય સહેલો ધારીને વિદ્યાર્થી મોહનદાસ એક દિવસ ફારસીના વર્ગમાં જઈને બેઠા, ત્યારે તેમના સંસ્કૃતના શિક્ષકે દુઃખી થઈને મોહનદાસને બોલાવ્યા અને કહ્યું, “તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા નહીં શીખે? તમને જે મુશ્કેલી હોય તે મને બતાવ …”5 શરમાઈને ગાંધીજી ફરી સંસ્કૃતના વર્ગમાં બેઠા. તે બહુ આગળ ન વધી શક્યા, પણ એટલું તો નોંધ્યું, “પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ.” એ જ પ્રકરણમાં ઉચ્ચશિક્ષણમાં અરબી-ફારસી શીખવવી જોઈએ, એવી હિમાયત પણ કરી હતી.6

બાળપણમાં શેખ મહેતાબ સાથે મોહનદાસની દોસ્તી એકથી વધુ દુઃખદ પ્રસંગ માટે કારણભૂત બની. તેમાં માંસાહાર, વેશ્યાવાડે ગયા પછી શરમાઈને પાછા આવવાની ઘટના તથા પત્ની પ્રત્યે વહેમાઈને તેને દુઃખ દેવાનો સમાવેશ થાય છે.7 આત્મકથામાં ગાંધીજીએ એ મિત્રનું નામ લખ્યું નથી અને મિત્રના આ પ્રકારના વલણને તેમના મુસલમાન હોવા સાથે સાંકળ્યું નથી. આ જ શેખ મહેતાબ દક્ષિણ આફ્રિકામાં થોડો સમય તેમની સાથે, તેમના ઘરમાં રહ્યા, ત્યારે તેમનો માઠો અનુભવ ગાંધીજીને થયો. આત્મકથામાં તેમણે ‘ઘરકારભાર’ પ્રકરણમાં ‘એક સાથી’ તરીકે શેખ મહેતાબના નામ વિના એ અનુભવ લખ્યો છે. આ જ મહેતાબ પછી સત્યાગ્રહમાં ગાંધીજીના ખરા સાથી બન્યા.’ ઇન્ડિયન ઓપિનિયન’માં સત્યાગ્રહ અને સત્યાગ્રહીઓ વિશેની તેમની કવિતાઓ પ્રગટ થતી હતી9 અને મહેતાબનાં પત્ની ૧૯૧૩ના સત્યાગ્રહમાં ભાગ લેનાર પહેલાં મુસ્લિમ મહિલા હતાં.10

પિતા કરમચંદ ગાંધી સપરિવાર પોરબંદરથી રાજકોટ સ્થાયી થયા, ત્યારે તેમના મુસલમાન અને પારસી મિત્રો પણ હતા. તે ઘરે આવે, પોતપોતાના ધર્મની વાતો કરે. કરમચંદ ગાંધી એ ‘માનપૂર્વક’ અને ‘રસપૂર્વક’  સાંભળે. “આ બધા વાતાવરણની અસર મારા ઉપર એ પડી કે સર્વ ધર્મો પ્રત્યે મારામાં સમાનભાવ પેદા થયો.’11

બ્રિટનથી બૅરિસ્ટર બનીને પાછા આવ્યા પછી મુંબઈમાં ને પછી રાજકોટમાં સ્વમાન અને સ્વતંત્રતા જાળવીને વકીલાત કરવાનું અઘરું લાગતું હતું, ત્યારે તેમને દક્ષિણ આફ્રિકામાં મોટો વેપાર ધરાવતા મેમણ દાદા અબ્દુલ્લાની પેઢીનું કાનૂની અને કંઈક અંશે નવોદિત માટે હોય એવું કામ મળ્યું. દાદા અબ્દુલ્લાના ભાગીદાર શેઠ અબદુલ કરીમ ઝવેરીએ બૅરિસ્ટર મોહનદાસને કહ્યું કે તમારે રહેવાનું અમારા બંગલામાં જ થશે.12 એ વખતે એક મુસલમાનના ઘરમાં રહેવા અંગેનો કોઈ ખચકાટ મનમાં ઊગ્યો હોય એવું ‘આત્મકથા’માં નોંધાયું નથી. દાદા અબ્દુલ્લાને "ઇસ્લામનું અભિમાન હતું … અરબી ન આવડતું, છતાં કુરાનશરીફની અને સામાન્ય રીતે ઇસ્લામી ધર્મસાહિત્યની માહિતી સારી ગણાય. દૃષ્ટાંતો તો હાજર હોય. તેમના સહવાસથી મને ઇસ્લામનું વ્યાવહારિક જ્ઞાન ઠીક મળ્યું. અમે એકબીજાને ઓળખતા થયા, ત્યાર પછી તે મારી સાથે ધર્મચર્ચા પુષ્કળ કરતા.”13

દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તી મિત્રોની સાથે મુસલમાન સંપર્કો પણ હતા. દાદા અબ્દુલ્લા તેમને ઇસ્લામનો અભ્યાસ કરવા લલચાવતા હતા. એટલે, પહેલી વાર તેમણે “સેલનું કુરાન ખરીદીને તે વાંચવાનું ચાલુ કર્યું.”14 દક્ષિણ આફ્રિકાથી ૧૮૯૬માં છ મહિના માટે ભારત પાછા આવતાં સ્ટીમરમાં ડેકના ઉતારુઓમાંથી એક મુનશી શોધીને તેની પાસે ઉર્દૂ શીખવાનો પ્રયાસ કર્યો.15

નાતાલ(દક્ષિણ આફ્રિકા)માં ભારતીયોની મતાધિકારની માગણીના મુદ્દે અંગ્રેજ સરકારે ફૂટ પડાવવાની કોશિશ કરી, ત્યારે પણ ગાંધીજીએ તેનો સાફ વિરોધ કર્યો હતો. અને લખ્યું હતું કે "હિંદુઓને મુસલમાનોની સામે લડાવવાનો આ સૌથી તોફાની પ્રયાસ" છે.16 દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ જનરલ સ્મટ્‌સ સાથે સમાધાન કર્યું, ત્યારે તેમને કેટલાક પઠાણોની નારાજગીનો ભોગ બનવું પડ્યું હતું. એ સિલસિલામાં જાહેરજીવનમાં ગાંધીજી પર પહેલો હુમલો ૧૯૦૮માં મીર આલમખાન નામના પઠાણે કર્યો હતો.17 એ જ મીર આલમખાન પછી દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના સત્યાગ્રહનો સાથી બન્યો, તેની ધરપકડ થઈ અને તેને ભારત પાછો મોકલી આપવામાં આવ્યો.18

૧૯૦૮માં બ્રિટનથી દક્ષિણ આફ્રિકા પાછા ફરતી વખતે સ્ટીમર-મુસાફરીમાં તેમણે ‘હિંદ સ્વરાજ’નું લખાણ લખ્યું, જે તેમના પત્રકારત્વના પહેલા સાહસ, ‘ઇન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિકમાં હપ્તાવાર છપાયું. ભારતની જમીની સ્થિતિથી ઝાઝા પરિચિત નહીં એવા ગાંધીજીનો હિંદુ-મુસલમાન સંબંધો અંગેનો પરિચય ત્યારે મુખ્યત્વે દક્ષિણ આફ્રિકાકેન્દ્રી હતો, ત્યારે પણ તેમણે વ્યક્ત કરેલા અભિપ્રાયો પાકા હતા. પછીનાં વર્ષોમાં હિંદુ-મુસલમાન સંબંધો અને વિખવાદ અંગે ગાંધીજીનાં મોટા ભાગનાં મહત્ત્વનાં વલણનું દર્શન ‘હિંદ સ્વરાજ’ના પ્રકરણ ‘હિંદુસ્તાનની દશા(ચાલુ)’માં થાય છે. જેમ કે,

‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીએ લખ્યું હતું, “… આપણને પસંદ ન પડે એવો ધર્મ સામેનો માણસ પાળતો હોય તો પણ આપણે તેની સામે વેરભાવ ન રાખવો ઘટે; આપણે તેની સામે જબરદસ્તી ન કરીએ.”19 પણ ૧૯૧૪માં તેમણે દક્ષિણ આફ્રિકા છોડ્યું ત્યારે મુસલમાનો સાથેના તેમના સંબંધોનું સરવૈયું મિશ્ર રહ્યું. તેમણે ઘણા મુસલમાન શુભેચ્છકો, સાથીદારો મેળવ્યા, તો મુસલમાનો દ્વારા તેમની હત્યાનાં કાવતરાં ઘડાયાંની વાતો પણ ત્યાં બની. ૧૯૦૯માં જોહાનિસબર્ગમાં કેટલાક પઠાણોએ તેમની હત્યાનું કાવતરું કર્યું હોવાનું તેમણે જાણ્યું, ત્યારે મગનલાલને તેમણે લખ્યું હતું કે તેમના દેશવાસીના હાથે મળનારા મોતને તે આવકારશે. કારણ કે તે "હિંદુઓ અને મુસલમાનોને જોડશે.”20

૧૯૧૪ના માર્ચમાં કેટલાક મુસલમાનો તરફથી તેમની હત્યાનું કાવતરું ઘડાયું હોવાની પણ વાત આવી. ત્યાં આવેલી તપાસસમિતિ ફક્ત એક જ પત્નીને મંજૂરી આપશે, એવું ટ્રાન્સવાલના મુસલમાન વેપારીઓને જાણવા મળ્યું. તેમાં એમને પોતાના ધર્મનો ભંગ થતો લાગ્યો અને ગાંધીએ તેમનાં હિતો તથા તેમના ધર્મના મામલે છેતરપિંડી કરી હોય એવું લાગ્યું. ગાંધીજીએ ૧૧ માર્ચ, ૧૯૧૪ના રોજ તેમના ભત્રીજા છગનલાલ ગાંધીને એક પત્રમાં આ સંભવિત કાવતરા વિશે જાણ કરી અને લખ્યું કે "એવું થાય તો એ મારા જીવનનો આવકાર્ય અને યોગ્ય અંત બની રહેશે." પોતાની હત્યા થાય. તો કુટુંબીજનોએ શું કરવું, તેની સૂચનાઓ સુધ્ધાં તેમણે આપી દીધી હતી.21

વિવિધ ધર્મો વિશેની વ્યાખ્યાનમાળામાં ઇસ્લામ વિશેના તેમના વ્યાખ્યાનમાં નીચલી ગણાતી જ્ઞાતિના હિંદુઓને મુસલમાન બનાવવામાં આવ્યા હતા, એ મતલબના તેમના નિવેદનથી ઘણા મુસલમાનો નારાજ થયા હતા. ગાંધીજીએ તેમના વિરોધને ઇન્ડિયન ઓપિનિયનના પાને પ્રગટ કર્યો અને પોતાનું વલણ પણ પકડી રાખ્યું કે નીચલી જ્ઞાતિના હિંદુઓએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હોય, તો તે ઇસ્લામ માટે ગૌરવ લેવા જેવું ગણાય.22

કોમી એકતા વિશે બ્રિટન અને આફ્રિકાનાં વર્ષોના પોતાનાં વલણ વિશે તેમણે પછીથી લખ્યું હતું, "૧૮૮૯માં હું જુવાનિયા તરીકે વિલાયત ગયો, ત્યારે પણ મને એને વિશે આજે જેટલી જાગૃત શ્રદ્ધા છે, તેટલી જ હતી. ૧૮૯૩માં દક્ષિણ આફ્રિકા ગયો, ત્યારે પણ મેં મારા જીવનનું પ્રત્યેક પગલું એ ઐક્યને કેન્દ્રમાં રાખીને ઘડ્યું હતું. આવો દૃઢમૂળ પ્રેમ આખા જગતનું રાજ્ય મળતું હોય તો પણ ત્યજી શકાય એમ નથી.”23

બાળપણથી તે આ બાબતે કેવા સભાન હતા એ પણ તેમણે કહ્યું હતું, “હિંદુ-મુસ્લિમ એકતા કંઈ નવી વાત નથી. લાખો હિંદુઓ અને મુસલમાનો એ ઝંખે છે. છેક બાળપણથી હું એને માટે મથતો આવ્યો છું. હું જ્યારે નિશાળમાં હતો, ત્યારે મેં મુસલમાન અને પારસી છોકરાઓની દોસ્તી ચાહીને કરી હતી. તે કુમળી વયથી હું માનતો થયો હતો કે હિંદુસ્તાનમાં હિંદુઓએ બીજી કોમો સાથે સુલેહસંપથી રહેવું હોય, તો તેમણે પાડોશીધર્મનું બરોબર પાલન કરવું જોઈએ. હિંદુઓ સાથે મહોબ્બત કરવા હું ખાસ કશું ન કરું તોયે વાંધો નહીં, પણ થોડાઘણા મુસલમાનો જોડે તો મારે મિત્રાચારી હોવી જ જોઈએ, એવું હું સમજતો હતો.”24

દક્ષિણ આફ્રિકામાં મુખ્ય અસીલ દાદા અબ્દુલ્લાથી માંડીને બીજા ઘણા મુસલમાનો સાથે તે કામ પાડી ચૂક્યા હતા. એ સંદર્ભે હિંદુ-મુસલમાન સંબંધોનું મૂલ્યાંકન કરતાં ગાંધીજીએ લખ્યું હતું,

“હિંદુ-મુસલમાન વચ્ચે ખરી મિત્રાચારી નથી એ તો હું દક્ષિણ આફ્રિકામાં જ સમજી ગયો હતો. બંનેની વચ્ચેની ખટાશ મટે તેવો એક પણ ઉપાય હું ત્યાં જતો ન કરતો. ખોટી ખુશામત કરી કે સ્વત્વ ગુમાવી તેમને કે કોઈને રીઝવવા એ મારા સ્વભાવમાં નહોતું. પણ ત્યાંથી જ હું સમજતો આવ્યો હતો કે મારી અહિંસાની કસોટી ને તેનો વિશાળ પ્રયોગ આ ઐક્યને અંગે થવાનાં છે.”25

સંદર્ભ :

1. ગાંધી, મોહનદાસ. ૭ સપ્ટેમ્બર, ૧૯૧૯. ‘અમારો ઉદ્દેશ’ નવજીવન. પૃ.૩

2. ગાંધી, મોહનદાસ. ૨૦૧૪. સત્યના પ્રયોગો અથવા આત્મકથા. અમદાવાદ : નવજીવન પ્રકાશનમંદિર. પૃ.૩

3. ગાંધી, પ્રભુદાસ. ૧૯૪૮. જીવનનું પરોઢ. અમદાવાદ : નવજીવન પ્રકાશનમંદિર. પૃ.૧૪  

4. દેસાઈ, નારાયણ. ૨૦૧૩. મારું જીવન એ જ મારી વાણી. (પ્રથમ ખંડ). અમદાવાદ : નવજીવન પ્રકાશનમંદિર. પૃ.૧૩

5. ગાંધી, મોહનદાસ. ૨૦૧૪. સત્યના પ્રયોગો અથવા આત્મકથા. અમદાવાદ : નવજીવન પ્રકાશનમંદિર. પૃ.૧૫

6. એજન. પૃ.૧૬

7. એજન. પૃ.૧૯-૨૧

8. એજન. પૃ.૧૩૯-૧૪૨

9. Guha, Ramchandra. 2013. Gandhi Before India.  London : Allen Lane p.૩૨૩

10. ibid, p . ૪૭૦

11. ગાંધી, મોહનદાસ. ૨૦૧૪. સત્યના પ્રયોગો અથવા આત્મકથા. અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર. પૃ.૨૯

12. એજન. પૃ.૮૯

13. એજન. પૃ.૯૪

14. એજન. પૃ.૧૨૦

15. એજન. પૃ.૧૪૨

16. Guha, Ramchandra. 2013. Gandhi Before India.  London : Allen Lane p. ૯૮

17. ibid, p. ૨૭૪

18. ibid, p. ૩૨૮

19. ગાંધી, મોહનદાસ. ૨૦૦૬ હિંદસ્વરાજ. અમદાવાદઃ નવજીવન પ્રકાશનમંદિર પૃ.૨૮

20. Guha, Ramchandra. 2013. Gandhi Before India.  London : Allen Lane p.૫૪૪

21. ibid, p . ૫૧૨

22. ibid, p. ૧૮૨

23. ગાંધી, મોહનદાસ. ૨૩ ફેબ્રુઆરી, ૧૯૩૦. ‘પ્રશ્નોત્તરી’ નવજીવન.

24. ગાંધી, મોહનદાસ. ???? ગાંધીજીનો અક્ષરદેહ ૭૬. અમદાવાદ : નવજીવન પ્રકાશનમંદિર. પૃ. ૪૦૫

25. ગાંધી, મોહનદાસ. ૨૦૧૪. સત્યના પ્રયોગો અથવા આત્મકથા.

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અૅપ્રિલ 2018; પૃ. 08 – 10 અને 11

Loading

...102030...3,1303,1313,1323,133...3,1403,1503,160...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved