Opinion Magazine
Number of visits: 9686476
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શમા ઝૈદી: ભારતનું ગૌરવ

નિલય ભાવસાર|Opinion - Opinion|18 June 2018

આજે એકવીસમી સદીમાં આપણા દેશમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું મોખરાનું સ્થાન બનાવી રહી છે અને સોશિયલ મીડિયાના માધ્યમ થકી પોતાનો અવાજ પણ ઊઠાવી રહી છે ત્યારે સિનેમાનાં ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહિલા એવાં શમા ઝૈદી અને તેમનાં કાર્ય વિશે આપણે અહીં વિગતે ચર્ચા કરીશું.

ભારતીય લેખિકા (કથા, પટકથા અને સંવાદ), કોસ્ચ્યુમ (પોશાક) ડિઝાઇનર, આર્ટ ડિરેક્ટર, કળા વિવેચક, ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર, સંશોધક તેમ જ રંગભૂમિનાં ક્ષેત્રે પણ મહત્ત્વનું યોગદાન આપનાર એવાં બહુમુખી પ્રતિભા ધરાવતાં શમા ઝૈદીનો જન્મ ૨૫ સપ્ટેમ્બર, ૧૯૩૮ના રોજ ઉત્તર પ્રદેશના રામપુરમાં થયો હતો. તેઓ દેશના એક સમયના જાણીતા રાજકારણી અને શિક્ષણવિદ બશીર હુસૈન ઝૈદીનાં પુત્રી છે. શમા ઝૈદીનાં માતા નાટ્યકાર હબીબ તન્વીરની સાથે દિલ્હીમાં નાટકોમાં કામ કરતાં હતાં, એટલે શમા ઝૈદી બાળપણથી જ ઉર્દૂ ભાષા સાથે સંકળાયેલાં છે અને ભાષા પ્રત્યેનો આ પ્રેમ તેઓને માતા તરફથી વારસામાં પ્રાપ્ત થયો છે. શમા ઝૈદીનાં માતાપિતા દેશમાં જે-તે સમયે શરૂ થયેલી સામ્યવાદી વિચારધારાની ચળવળ સાથે જોડાયેલાં હતાં અને તેમનો ઉછેર પણ ડાબેરી વિચારધારા ધરાવતાં વાતાવરણમાં થયો છે.

દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષયની સાથે સ્નાતક થયા બાદ, તેઓ ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયાં હતાં. તેઓ જ્યારે દિલ્હીની મિરાન્ડા હાઉસ કોલેજમાં અભ્યાસ કરી રહ્યાં હતાં ત્યારથી જ તેઓને કોસ્ચ્યુમ ડિઝાઇન અને આર્ટ ડિરેક્શનમાં રસ પડ્યો હતો અને ત્યારથી જ તેમણે થિયેટર ક્ષેત્રે કાર્ય કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તેમણે લંડનની Slade School of Artsમાંથી ડિપ્લોમા ઇન સ્ટેજ ડિઝાઇનનો અભ્યાસ કર્યો. ત્યાંથી પરત દિલ્હી આવીને તેમણે હિન્દુસ્તાની થિયેટર માટે કોસ્ચ્યુમ્સ ડિઝાઇન કરવાનું શરૂ કર્યું અને વર્ષ ૧૯૬૫માં તેઓ મુંબઈ સ્થળાંતરિત થયાં.

મુંબઈમાં તેઓ Indian People’s Theatre Association (IPTA) સાથે જોડાયાં. તેઓ તેમની કારકિર્દીનાં પ્રારંભમાં એક પત્રકાર તરીકે દિલ્હીથી પ્રકાશિત થતાં સમાચારપત્રો અને સામયિક માટે એક કળા વિવેચક તરીકે લેખનકાર્ય પણ કરી ચૂક્યાં છે. પરંતુ, તેમનું સૌથી મહત્ત્વનું યોગદાન અને ઉત્કૃષ્ટ કાર્ય દેશમાં એક સમયે શરૂ થયેલી સમાંતર સિનેમા અથવા અર્થપૂર્ણ સિનેમાની ધારા તરીકે પ્રચલિત ફિલ્મ્સમાં જોવા મળે છે. તેઓએ સૌથી વધુ કાર્ય દેશનાં જાણીતા દિગ્દર્શક શ્યામ બેનેગલની સાથે કર્યું છે અને આ સિવાય સત્યજીત રાય, એમ.એસ. સથ્યુ જેવા આર્ટહાઉસ સિનેમા સાથે જોડાયેલાં દિગ્દર્શક સાથે તેઓ કાર્ય કરી ચૂક્યાં છે. તેઓના લગ્ન દિગ્દર્શક એમ.એસ. સથ્યુ સાથે થયાં છે અને વર્ષ ૧૯૭૩માં એમ.એસ. સથ્યુએ ‘ગર્મ હવા’ નામની ક્લાસિક હિન્દી ફિલ્મ બનાવી હતી અને આ ફિલ્મમાં શમા ઝૈદીએ લેખિકા તેમ જ કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકેની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ લેખિકા ઈસ્મત ચુગતાઈની એક ટૂંકી વાર્તા પર આધારિત હતી.

વર્ષ ૧૯૭૫માં આવેલી દિગ્દર્શક શ્યામ બેનેગલની બાળફિલ્મ ચરણદાસ ચોરની લોકકથા આધારિત પટકથા લેખનનું કાર્ય શમા ઝૈદીએ હાથ ધર્યું હતું, કે જેમાં નાટ્યકાર હબીબ તન્વીરનાં નાટ્ય ગીતોનો આધાર લેવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૭૬માં આવેલી શ્યામ બેનેગલની ફિલ્મ મંથનનું આર્ટ ડિરેક્શન શમા ઝૈદીએ કર્યું હતું, અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની આધારભૂમિ ગુજરાત હતી અને આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતનાં રાજકોટ પાસેના એક ગામડામાં કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૭૭માં આવેલી સત્યજીત રાયની પ્રેમચંદ મુનશીની વાર્તા આધારિત એક માત્ર હિન્દી ફિલ્મ શતરંજ કે ખિલાડીની પટકથાના સંશોધન અને ઉર્દૂ સંવાદ લેખનનું કાર્ય શમા ઝૈદીએ કર્યું છે. વર્ષ ૧૯૭૭માં આવેલી શ્યામ બેનેગલની મહત્ત્વપૂર્ણ ફિલ્મ ભૂમિકા કે જે મરાઠી અભિનેત્રી હંસા વાડકરના જીવન પર આધારિત હતી તે ફિલ્મનું આર્ટ ડિરેક્શન શમા ઝૈદીએ કરેલું છે. આ સિવાય દિગ્દર્શક મુઝફ્ફર અલીની ક્લાસિક ફિલ્મ ઉમરાવ જાનની કથા, પટકથા અને સંવાદ તેમ જ વર્ષ ૧૯૮૦માં આવેલી હિન્દી આર્ટ ફિલ્મ ચક્રની કથા, પટકથા અને સંવાદનું કામ શમા ઝૈદીએ કર્યું છે, અહીં એક વાત એ નોંધવી રહી કે આ બંને ફિલ્મની વાર્તા નવલકથા આધારિત હતી. આ સિવાય શ્યામ બેનેગલની અન્ય ફિલ્મ્સ જેવી કે આરોહણ (૧૯૮૨), મંડી (૧૯૮૩), સુસ્માન (૧૯૮૬), ત્રિકાલ (૧૯૮૬), અંતરનાદ (૧૯૯૩), સૂરજ કા સાતવાં ઘોડા (૧૯૯૪), મમ્મો (૧૯૯૫), ધ મેકિંગ ઓફ મહાત્મા (૧૯૯૬), સરદારી બેગમ (૧૯૯૭), હરીભરી (૨૦૦૦), ઝુબૈદા (૨૦૦૧), નેતાજી સુભાષચંદ્ર બોઝ (૨૦૦૪)માં શમા ઝૈદીનું કથા, પટકથા અને સંવાદ લેખિકા તરીકેનું અભૂતપૂર્વ યોગદાન રહેલું છે.

અહીં મુખ્ય વાત એ છે કે શમા ઝૈદીએ લખેલી મોટાભાગની ફિલ્મ્સ કોઈને કોઈ નવલકથા અથવા તો ટૂંકી વાર્તા પર આધારિત છે અને તે દેશના ઐતિહાસિક તેમ જ સામાજિક મુદ્દાઓ સાથે સંકળાયેલી જોવા મળે છે. આ સાથે જ શમા ઝૈદીનું લેખન કાર્ય પણ ભારતીય સિનેમાના ઇતિહાસનું એક મહત્ત્વનું અંગ છે. ફિલ્મ્સ સિવાય ટેલિવિઝનના ક્ષેત્રમાં પણ તેમનું મહત્ત્વનું યોગદાન રહેલું છે જેમાં શ્યામ બેનેગલની વર્ષ ૧૯૮૮માં આવેલી ટેલિવિઝન શ્રેણી ‘ભારત એક ખોજ’ અને વર્ષ ૨૦૧૪માં આવેલી ટેલિવિઝન શ્રેણી ‘સંવિધાન’ માટેનાં સંશોધન અને લેખન કાર્યમાં શમા ઝૈદીનો ઐતિહાસિક ફાળો રહેલો જોવા મળે છે.

ફિલ્મ ‘ગર્મ હવા’ વિશે વાત કરતાં શમા ઝૈદી એક ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે હું આ ફિલ્મ પૂર્વે રાજેન્દ્ર સિંઘ બેદીની નવલકથા ‘એક ચાદર મૈલી સી’ આધારિત નાટક માટેનું કાર્ય કરી રહી હતી અને તે દરમિયાન તેમણે (રાજેન્દ્ર સિંઘ બેદીએ) ફિલ્મ સ્ક્રીપ્ટ લખવા માટેનું સૂચન કર્યું, અને શમા ઝૈદીએ લેખિકા ઈસ્મત ચુગતાઈને વાર્તા લખવા માટે કહ્યું અને આ રીતે ફિલ્મ ‘ગર્મ હવા’ની વાર્તાને આકાર મળ્યો, આ ફિલ્મનું શીર્ષક ગર્મ હવા, કૈફી આઝમીની પ્રખ્યાત કવિતા ‘મકાન’ની પંક્તિ ‘આજ કી રાત બહુત ગર્મ હવા ચલતી હૈ’માંથી લેવામાં આવ્યું છે.

આ ઇન્ટરવ્યૂમાં તેઓ આગળ જણાવે છે કે હિન્દી સિનેમામાં સંસ્કૃિતની ઝલક નથી જોવા મળતી અને આ ઝલક સાહિત્ય તેમ જ લોકોની જીવનશૈલીમાંથી આવે છે પરંતુ, તે હવે સિનેમામાં ક્યાં ય નથી. શમા ઝૈદીની ઈચ્છા લેખક શ્રીલાલ શુક્લાની નવલકથા ‘રાગ દરબારી’ આધારિત ફિલ્મ બનાવવા માટેની છે. અહીં એક વાત નોંધવી રહી કે શ્યામ બેનેગલની લેખક ધર્મવીર ભારતીની નવલકથા આધારિત ફિલ્મ ‘સૂરજ કા સાતવાં ઘોડા’ કે જેની પટકથા અને સંવાદ શમા ઝૈદીએ લખ્યાં છે, તે ફિલ્મની શરૂઆતમાં જે ચિત્રો બતાવવામાં આવ્યાં છે તે ગુજરાતી ચિત્રકાર ગુલામ મોહમ્મદ શૈખના છે.

અમે કળાની કદર કરીએ છીએ તેવી વાત કરનાર આ દેશનાં લોકોને ક્યારે ય પણ પ્રતિભાવાન એવાં શમા ઝૈદીની થોડી પણ નોંધ લેવાનું સુઝ્યું નથી કે શું? પદ્મ પુરસ્કાર અને તે સિવાયનાં પણ મહત્ત્વના એવોર્ડ મળે તેવી અમૂલ્ય પ્રતિભા ધરાવતાં શમા ઝૈદીને ભારત સરકાર તરફથી કેટલાં એવોર્ડ આપવામાં આવ્યા અને તેમનું કેટલું સન્માન કરવામાં આવ્યું તે પણ એક પ્રશ્ન છે. એવોર્ડ એ કોઈ પ્રતિભાનો માપદંડ નથી છતાં પણ બહુમુખી પ્રતિભા ધરાવતાં લેખિકા શમા ઝૈદીની અને સિનેમા ક્ષેત્રે તેમનાં ઉત્કૃષ્ટ યોગદાનની દેશ-વિદેશમાં નોંધ લેવાય તે પણ તેટલું જ જરૂરી છે.

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

પુણેનું પાઘડી પુરાણ અને વિતંડા

રમેશ ઓઝા|Opinion - Opinion|18 June 2018

૧૯૧૯ની ૧૨મી જુલાઈએ ગાંધીજી પૂનામાં હતા અને લોકમાન્ય તિલક જે વાડામાં રહેતા હતા એ ગાયકવાડવાડાની બહાર તેમણે તિલકની હાજરીમાં જાહેરસભાને સંબોધી હતી. ગાંધીજીએ પૂના શહેરના બૌદ્ધિક વારસા વિષે કહ્યું હતું કે પૂના જે આજે વિચારે છે એ દેશ બીજા દિવસે વિચારે છે. એ પછી ગાંધીજીએ પુણેકરોના કાન આમળતા કહ્યું હતું કે પૂના અને મહારાષ્ટ્ર વિતંડાની બીમારી ધરાવે છે. કોઈ કાંઈ બોલ્યું અને સામે મોરચો ન ખૂલે તો એ મહારાષ્ટ્ર અને પૂના નહીં. ઘણીવાર તો નિરર્થક વાદ-વિવાદ થતો હોય છે જેને ટાળી શકાય છે. એનાથી શક્તિ ક્ષીણ થાય છે, વગેરે વગેરે અને એ પછી અંતમાં ગાંધીજીએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર અને પૂના વિતંડાગ્રસ્ત ન હોત તો દેશને મારા જેવાની જરૂર જ ન પડી હોત. મહારાષ્ટ્ર બધું જ આપી શકે એમ છે.

આ ગાંધીજીએ સો વરસ પહેલાં પૂનામાં કહ્યું હતું. કોઈ બોલ્યું અને સામે મોરચો ન ખૂલે તો મહારાષ્ટ્ર નહીં. ગયા અઠવાડિયે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરદ પવારને આનો પરિચય થઈ ગયો. આમ તો શરદ પવાર જોખી જોખીને બોલવા માટે જાણીતા છે. તેમણે માફી તો ઠીક ખુલાસો કરવો પડ્યો હોય એવું જાણમાં નથી. આમ છતાં પવાર ફસાઈ ગયા હતા, કારણ કે કારણ ભલે નજીવું હોય પણ પુણે મહારાષ્ટ્રમાં વિવાદ થઈ શકે છે.

બન્યું એવું કે ગયા અઠવાડિયે રાષ્ટ્રવાદી પક્ષનું પુણેમાં હલ્લા બોલ સંમેલન બોલાવવામાં આવ્યું હતું. એ સંમેલનમાં જેલમાંથી છુટ્યા પછી છગન ભુજબળ પણ હાજર હતા. શરદ પવારે છગન ભુજબળનું ફુલે પાઘડી (મહાત્મા જ્યોતિબા ફુલે પહેરતા એવી શૈલીની પાઘડી, પાઘડી પણ નહીં ફેંટો) પહેરાવીને સન્માન કર્યું હતું અને એ પછી પવારે પોતાના ભાષણમાં પક્ષના નેતાઓને સલાહ આપી હતી કે હવે પછી પુણે પાઘડી (લોકમાન્ય તિલક કે ગોપાલ કૃષ્ણ ગોખલે પહેરતા એવી ચાંચવાળી પાઘડી)ની જગ્યાએ ફુલે પાઘડી પહેરાવીને મહેમાનોનું સન્માન કરવામાં આવે.

બસ. પવાર મહા અપરાધ કરી બેઠા. શરદ પવારે પૂનાનું અપમાન કર્યું છે, ચિત્પાવન બ્રાહ્મણોનું અપમાન કર્યું છે, લોકમાન્ય તિલક અને ગોખલેનું અપમાન કર્યું છે, પુણે પાઘડી મહારાષ્ટ્રની અસ્મિતાનું પ્રતીક છે વગેરે. છગન ભુજબળ મહાત્મા ફુલેની માળી કોમમાંથી આવે છે એટલા સારુ ફુલે પાઘડીથી સન્માનવામાં આવ્યા હતા. હવે પછીથી ફુલે પાઘડીથી જ મહેમાનોને સન્માનવામાં આવે એવી સલાહ આપવા પાછળનો ઉદ્દેશ એટલો જ હતો કે ફુલે બહુજન સમાજના નેતા હતા, એટલે ફુલે પાઘડી દ્વારા પક્ષ બહુજન સમાજ સાથે સેતુ બાંધી શકે. બીજું, પુણે પાઘડી એ પુણેના અઢી ટકા ચિત્પાવન બ્રાહ્મણોની પાઘડી છે, પુણેના તમામ સમાજના લોકો કહેવાતી પુણે પાઘડી નહોતા પહેરતા કારણ કે તેમને એ પહેરવાની છૂટ નહોતી.

જી હા, છૂટ નહોતી. ઉજળી જ્ઞાતિના લોકો જેવી પાઘડી પહેરે એવી પાઘડી લોક વરણને પહેરવાની છૂટ નહોતી. ધોતીમાં પણ ભેદભાવ હતો. તમને કદાચ જાણ નહીં હોય, પરંતુ માત્ર અને માત્ર બ્રાહ્મણો જ બેવડી પાટલીવાળી ધોતી પહેરી શકતા. વૈશ્યોને એક પાટલીવાળું ધોતિયું પહેરવાની છૂટ હતી અને બાકીની પછાત કોમોએ કાછડી વાળવાની. આમ વેશભૂષા પરથી એ યુગમાં માણસની જ્ઞાતિનો પરિચય થઈ જતો. મહારાષ્ટ્રમાં અઠરા પગડ જાતિ એવી કહેવત છે. ૧૮ પગડ એટલે ૧૮ પ્રકારની પાઘડી જેમાં મહારાષ્ટ્રની તમામ પ્રજા સમાઈ જતી. અજાણ્યો માણસ ગામમાં પ્રવેશે કે તરત ગામના લોકોને ખબર પડી જાય કે એ કઈ જાતિનો હશે. ધોતિયું અને પાઘડીની શૈલી પરિચય આપી દેતાં.

શરદ પવારની માફક મહાત્મા ગાંધીને પણ પાઘડીના વળનો કડવો અનુભવ થયો હતો. મહારાષ્ટ્ર વિતંડાવાદી છે એમ ગાંધીજીએ કહ્યું એ જ અરસામાં ગાંધીજીએ કાઠિયાવાડી ફેંટો પહેરવાનું બંધ કરીને ટોપી પહેરવાનું શરુ કર્યું હતું, જે ગાંધી ટોપી તરીકે ઓળખાવા લાગી હતી. ગાંધીજીએ કહ્યું હતું કે ફેંટા જ્ઞાતિવાચક છે. ફેંટો જોઇને માણસની જ્ઞાતિ પહેલાં નજરે ચડે છે, માણસમાં રહેલો માણસ નજરે ચડતો નથી. આપણે જ્ઞાતિઓની ટૂંકી ઓળખો ખતમ કરીને દેશને જોડવાનો છે. પાઘડી તેમ જ ફેંટાઓને તિલાંજલિ આપવા પાછળનો બીજો તર્ક એ હતો કે પાઘડી અને ફેંટામાં ખૂબ કપડું ખર્ચાય છે. એક ફેંટામાંથી ૨૦થી ૨૫ ટોપી બની શકે. ઉદ્દેશ જો માથું ઢાંકવાનો જ હોય તો પાંચ ગજ કપડાંની જરૂર શું છે, પા ગજની ટોપીથી પણ કામ ચાલી શકે છે.

આખા દેશમાં ગાંધી ટોપીને અને ગાંધી ફિલસૂફીને વધાવી લેવામાં આવી, પરંતુ પૂનામાં યુદ્ધ જામ્યું. ગાંધી ટોપીની ઠેકડી ઉડાડનારા પ્રહસનો લખાવા લાગ્યાં. પાઘડી કેટલી મહાન અને ટોપી કેટલી ક્ષુલ્લક એનાં ગીતો લખાયાં અને નાટકોમાં પાઘડી વિરુદ્ધ ટોપીના સંવાદ બોલાવા લાગ્યા. પુણેના બ્રાહ્મણોને ગાંધીજી સામે બે વાતે વાંધો હતો. એક તો તેમને એમ લાગતું હતું કે ગાંધીજીએ પુણે અને મહારાષ્ટ્ર પાસેથી દેશનું નેતૃત્વ છીનવી લીધું હતું. રાષ્ટ્રીય રાજકારણનું નેતૃત્વ કરવાનો જન્મસિદ્ધ અધિકાર પુણેના અને મહારાષ્ટ્રના બ્રાહ્મણોનો છે એવું તેમને લાગતું હતું. તેમને ગાંધીજી સામે બીજો વાંધો એ વાતનો હતો કે ગાંધીજીએ રાજકારણમાં તેલી-તંબોળી, મુસલમાન, દલિત અને સ્ત્રીઓ સહિત બધાંને સ્થાન આપ્યું હતું જેને કારણે બ્રાહ્મણોએ વર્ચસ ગુમાવી દીધું હતું.

ગાંધીજીની હત્યા પુણે/મહારાષ્ટ્રના બ્રાહ્મણોએ કરી હતી. એ પહેલાં ગાંધીજીની હત્યા કરવાના દરેક પ્રયાસ મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના મહારાષ્ટ્રમાં થઈ હતી, અને તેનું નેતૃત્વ આજે પણ મહારાષ્ટ્રના બ્રાહ્મણો કરી રહ્યા છે. આમ મહારાષ્ટ્રના બ્રાહ્મણો પહેલેથી જ ગાંધી વિરોધી રહ્યા છે. અહીં પણ પાછી ટોપી આડી આવી. મહારાષ્ટ્રના બ્રાહ્મણો પાઘડીપરસ્ત ગાંધીવિરોધી હતા, એટલે બહુજન સમાજે કચકચાવીને ગાંધી ટોપી અપનાવી હતી અને કોંગ્રેસમાં જોડાયા હતા. આજે નવી પેઢી ગાંધી ટોપી પહેરતી બંધ થઈ ગઈ છે, પરંતુ મહારાષ્ટ્રમાં તમને ગાંધી ટોપી પહેરનારા સૌથી વધુ મળશે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 18 જૂન 2018

Loading

બુક–કેઇસ

પન્ના નાયક|Opinion - Short Stories|18 June 2018

‘ના, ના, મને સારું છે. સાચે જ સારું છે. તમે કોણ?’

‘મહેશ. પપ્પા, હું મહેશ છું.’

ઉમેશભાઈને એ નામ સાથે કોઈ લેવાદેવા હોય એવું ન લાગ્યું. વેગમાં જતી ટ્રેનમાં સ્થિર ઊભા રહેવા કોઈ દાંડો પકડવા જાય એમ ઉમેશભાઈ એ નામને વળગવા મથી રહ્યા.

અમેરિકામાં વસતા ભારતીયોનાં પપ્પા-મમ્મી દર ઉનાળામાં ચાર મહિના દીકરા-દીકરી સાથે રહેવાં ને પૌત્ર-પૌત્રીને રમાડવાં આવે એમ જ ઉમેશભાઈ એમની પત્નીના અવસાન પછી ફરી એક વાર મહેશ સાથે રહેવા આવ્યા.

એક શનિવારે ઉમેશભાઈ નવ વાગ્યા સુધી નીચે ચા પીવા ન આવ્યા. મહેશે એના દીકરા સૌરભને દાદાજીને બોલાવવા મોકલ્યો. સૌરભ દાદાજીને ન લાવ્યો એટલે મહેશ પોતે જ ઉપર ગયો. ઉમેશભાઈ ભરઉનાળામાં કફની પર બંડી પહેરી શાલ ઓઢી પથારીમાં બેઠા હતા.

‘પપ્પા, ચા થઈ ગઈ છે.’

‘શું?’

‘ચા, પપ્પા.’

‘ચા?’

‘તમને સારું નથી લાગતું?’

‘ના, ના, સારું છે. તમે કોણ?’

‘મહેશ. પપ્પા, હું મહેશ છું.’

મહેશ ઓરડાની બહાર આવી દાદરનાં બબ્બે પગથિયાં કૂદી નીચે આવ્યો. નીચે સરલા અને સૌરભ ચા માટે સજાવેલા ટેબલ પર વાતો કરતાં હતાં. સરલાએ એને જોયો.

‘પપ્પા બરાબર છે ને?’

‘ના.’

‘ગયા વખત જેવું?’

‘ના, ના, એવું નથી.’

ગયા ઉનાળામાં ઉમેશભાઈ આવ્યા ત્યારે એમની પત્ની કમલબહેનનું અવસાન થયું હતું. દિવસે એમનો સમય વાચનમાં ગાળતા. બપોરે સૌરભ સાથે વાતો કરતા. ઇલેક્ટ્રિક ટ્રેન અને કમ્પ્યુટર ગેઈમ વિશે કુતૂહલ બતાવતા. સાંજે મહેશ અને સરલા ઘેર આવે ત્યારે પુસ્તકો વિશે ચર્ચા કરતા. પુત્ર મહેશ ન્યૂજર્સીમાં ચેરી હિલમાં રહેતો હતો. પુત્રી માયા લૉસ ઍન્જલસમાં. ઉમેશભાઈ થોડા દિવસ માયાને ત્યાં જવાના હતા. નક્કી કરવા એક દિવસ માયાનો ફોન આવ્યો. મહેશ આજની જેમ જ બેડરૂમમાં બોલાવવા ગયેલો. બેડરૂમમાં પપ્પા પથારીમાં બેભાન અવસ્થામાં જોર જોરથી શ્વાસ લેતા હતા. એણે માયાને બેચાર વાક્યોમાં સમાચાર આપી ફોન મૂકી દીધો. ડૉક્ટરને બોલાવ્યા. ઘરનાં બધાં પપ્પાની પથારીની આસપાસ ભેગાં થયાં. બે દિવસ પર જ એમને એટલાન્ટિક સિટીનો કસીનો જોવા જવું હતું. પોતે કહી દીધેલું કે નહીં ફાવે. પપ્પા બર્ટ્રાન્ડ રસેલની વાત કરે તો સાંભળી ન સાંભળી કરે. એમની વાત કાપી નાંખી એ ને સરલા વાત કરે ત્યારે પપ્પા મૂગા મૂગા જમ્યા કરે. સૌરભ સાથે ઇલેક્ટ્રિક ટ્રેનની વાત કરતા હોય ત્યારે નાહકના ટોકેલા એ યાદ આવ્યું. એને માટે ખાસ મુંબઈથી લીલી ચા લાવેલા. પપ્પા આમ ચાલી નીકળવાના છે એવી ખબર હોત તો જરૂર એમને એટલાન્ટિક સિટી લઈ ગયો હોત.

ડૉક્ટર આવે ત્યાં સુધી શું કરવું? પપ્પાને એમના એમ પથારી પર રહેવા દેવા? મહેશે પપ્પાના મોઢામાંથી ચોકઠું કાઢી લીધું. ચોખ્ખી હવા માટે બારી થોડી ખોલી. ઓશીકું ઠીક કર્યું. પગ ઢાંક્યા. એણે પપ્પાના ખાટલા પાસે ખુરશી ખેંચી. બેઠો.

થોડી વાર પછી ઉમેશભાઈનો શ્વાસ થોડો હળવો થયો. ભાન આવતું લાગ્યું. આંખો થોડી ખૂલી. બોખા મોંમાંથી અસ્પષ્ટ પણ શબ્દો બહાર આવવા લાગ્યા.

ડૉક્ટર આવ્યા. ઉમેશભાઈને તપાસ્યા. સ્પેસમની દવા આપી. ઉમેશભાઈ ડૉક્ટરની હાજરીમાં જ બેઠા થયા. ચા માગી. કલાકેક પછી તો એમનું પ્રિય પુસ્તક વાંચતા હતા અને ગમેલાં વાક્યો નીચે લાલ પેનથી અન્ડરલાઇન કરતા હતા. મહેશને થયું કે પપ્પા આમ જ હોવા જોઈએ. કફની પહેરીને ખાટલા ઉપર બેઠા બેઠા વાંચતા હોય એ જ ચિત્ર બરાબર છે.

મહેશે હાશનો શ્વાસ લીધો. એને થયું કે તબિયત સારી ન થઈ હોત તો કદાચ હૉસ્પિટલમાં ખસેડવા પડત. હૉસ્પિટલના ખર્ચનો વિચાર કરતાં મહેશને ધ્રુજારી થઈ. કદાચ ખર્ચને તો પહોંચી વળાય, પણ હૉસ્પિટલમાં જવાઆવવાનો સમય ક્યાંથી કાઢવો? હૉસ્પિટલમાં ન ખસેડવા પડ્યા એ જ સારું થયું. પપ્પાએ વસિયતનામું કર્યું હશે? એમના મૃતદેહને અહીં જ અગ્નિસંસ્કાર કરવાનો કે ભારત મોકલવાનો? ફ્યુનરલ હોમમાં ક્રિમેશનની પણ તપાસ કરી રાખવી જોઈએ. હમણાં તો પપ્પાને જીવતદાન મળ્યું છે. એમને સમજવાની બીજી તક મળી છે. મહેશે વિચાર્યું, એ એના વર્તનમાં ફેર કરશે જ.

બીજા દિવસથી એણે સૌરભ સૂઈ જાય પછી પપ્પાના ઓરડામાં જવા માંડ્યું. એ ચોરપગલે જતો. પપ્પા વાંચતા હોય તો ધીમેથી બહાર સરકી જતો. પપ્પા સૂઈ ગયા હોય તો રજાઈ ઓઢાડતો. સાંજે જમતાં જમતાં આખા દિવસનો અહેવાલ પૂછતો. થોડા દિવસ આમ ચાલ્યું. ઉમેશભાઈને સારું થવા માંડ્યું. એમ એમનો જૂનો દમામ પાછો આવવા માંડ્યો.

‘આપણે મર્સીડીઝ બેન્ઝ કેમ નથી લેતા? મજબૂત અને ટકાઉ તો ખરી ને?’

‘પપ્પા, હવે ફૉર્ડ પણ સારી ગાડી બનાવે છે.’

ફોનની ઘંટડી વાગી. મર્સીડીઝની વાત અટકી.

બે અઠવાડિયાં પછી ઉમેશભાઈની ડૉક્ટર સાથે અપૉઇન્ટમેન્ટ હતી. રોજ મહેશને યાદ કરાવ્યું. જવાને દિવસે ઉમેશભાઈ બારણાની બહાર ગરાજ પાસે ઊભા હતા.

‘પપ્પા, કેમ બહાર ઊભા છો?’

‘ડૉક્ટરને ત્યાં જવાનું છે ને?’

‘એ તો આઠ વાગ્યે. હજી સાડા પાંચ થયા છે.’

ઉમેશભાઈનો જમવામાં જીવ નહોતો. સાત વાગ્યે પાછા તૈયાર થઈ બારણા પાસે ગયા.

‘પપ્પા, હજી વાર છે. અહીંથી પાંચ જ મિનિટ થાય છે.’

પોણા આઠે નીકળ્યા. મહેશ ઑફિસથી થાકીને આવેલો. ઑફિસમાં કંઈક મુશ્કેલીઓ હતી. મોટી તો બજેટની. થોડા પૈસા બચાવવા એના હાથ નીચેના માણસને છૂટો કરવાનો હતો. મહેશને એ બાબતનું ખૂંચતું હતું. એ બિચારાને બૈરીછોકરાં છે. બૈરી કામ નથી કરતી. ઘરનું મૉર્ટગેજ ભરવાનું. છોકરાંને ભણાવવાનાં. ગાડીના હપતા ભરવાના.

‘કેમ ચૂપ છે?’

‘ના, કંઈ નહીં.’

‘મોઢા પર ચિંતા છે ને મને કહે છે, કંઈ નહીં.’

મહેશ હસી ન શક્યો.

‘મારે લીધે તને કેટલી દોડાદોડી થાય છે.’ ઉમેશભાઈ બોલ્યા.

મહેશને થયું. મમ્મી જલદી ચાલી ગઈ એ જ સારું થયું. પપ્પા ભારે કરકસરિયા. મમ્મીને વૅકેશન લેવાનો, બહાર જમવા જવાનો ભારે શોખ, પણ પપ્પા કહ્યા જ કરે કે એ રિટાયર થાય પછી પ્રૉવિડન્ટ ફંડના પૈસા આવશે એમાંથી કોણાર્ક અને મહાબલિપુરમ્ જશે. પપ્પા રિટાયર્ડ થતાં જ મમ્મી ચાલી ગઈ. એ પપ્પાને સમજી શક્યો નહોતો.

ડૉક્ટરે ઉમેશભાઈને તપાસ્યા. એ ઉમેશભાઈની પ્રગતિથી ખુશ હતા. દવા ચાલુ રાખવા કહ્યું.

પાછા ફરતાં ગાડીમાં મહેશે ઉમેશભાઈ માટે પ્રસ્તાવ મૂક્યો. એક ગુજરાતી ત્રૈમાસિક શરૂ થાય છે. એમાં સંપાદક-તંત્રીની જરૂર છે. પપ્પા જરૂર મદદ કરી શકે.

‘મને ત્રૈમાસિકનો વિચાર જ ગમતો નથી.’

‘કેમ?’

‘દેખીતું તો છે.’

‘શું દેખીતું છે?’

‘અમેરિકામાં ગુજરાતીની પડી છે કોને? આ તમારાં છોકરાં તો પટપટ અંગ્રેજી બોલે છે ને રાતદિવસ ટીવી, વીડિયો જુએ છે. ગુજરાતી કોણ મારો બાપ વાંચવાનો છે?’

‘પણ અહીં જે ગુજરાતીઓ વસ્યા છે એમને માટે. કદાચ ઊગતી પેઢી માટે …’

મહેશ મૂગો મૂગો ગાડી ચલાવતો હતો. ઉમેશભાઈએ વાત શરૂ કરી.

‘બાબુભાઈના દીકરાનાં લગ્ન છે ને? શું નામ એનું?’

‘વિકાસ.’

‘હા, વિકાસ. કેટલો ચાંલ્લો કરવાનો છે?’

‘એક સો ને એક.’

‘અધધધ. એટલા બધા કેમ? ત્રણ હજાર રૂપિયા થયા.’

‘પણ પપ્પા, એમ ગણતરી ન થાય. અહીં અમેરિકામાં રહેતાં હોઈએ ને સારો સંબંધ હોય તો એ પ્રમાણે ચાંલ્લો કરવાનો ને!’

‘તો પછી મારી સાળીના દીકરાને એનાં લગ્નમાં પાંચ સો એક રૂપિયા આપેલા એનું શું? માંડ સત્તર જ ડૉલર?’

‘હા પપ્પા, મુંબઈમાં મુંબઈનો રિવાજ.’

‘એકવીસ ડૉલરથી વધુ ચાંલ્લો ન જ કરાય. ડૉલરનાં કાંઈ ઝાડ નથી ઊગતાં.’

મહેશ અંદરથી ઊકળતો હતો. પપ્પાની ઉંમર, એમના સ્વભાવ, એમની રહેણીકરણી અને વિચારસરણીથી પરિચિત હતો.

મહેશે માથું ધુણાવ્યું.

‘પપ્પા, તમારા વાળ કપાવી લો ને.’

‘અહીં વાળ કપાવું?’ ઉમેશભાઈ તાડૂક્યા.

‘હા, કેમ?’

‘દસ ડૉલર કપાવવાના ને ઉપરથી ટિપ. કપાવીશ ઇન્ડિયા જઈને.’

અને પછી આ શનિવારની સવાર. જ્યારે ઉમેશભાઈ ચા પીવા નીચે ન આવ્યા અને મહેશ બોલાવવા ગયો ત્યારે ઓરડામાં સભાન બેઠા હતા, પણ મહેશને ઓળખ્યો નહોતો.

મહેશે પપ્પાને પરિસ્થિતિ સમજાવી. એ અમેરિકામાં મહેશ અને સરલાને ત્યાં છે. આઠ વરસનો સૌરભ નીચે ઇલેક્ટ્રિક ટ્રેન સાથે રમે છે. માયા લૉસ ઍન્જલસ રહે છે, જ્યાં એ જવાના છે. એમને સાહિત્ય અને ફિલસૂફીનો શોખ છે. કૃષ્ણમૂર્તિ એમને ખૂબ પ્રિય છે.

‘એમ, એમ? સારું.’

મહેશને થોડી ધરપત થઈ.

‘તારી મમ્મીને કહે કે આવતે અઠવાડિયે વૅકેશન લઈએ. ખજૂરાહો જઈએ.’

‘પપ્પા, મમ્મી તો ગુજરી ગયાં છે.’

‘મમ્મી ગઈ? મને કેમ યાદ નથી? અને તારી પત્ની? શું નામ એનું?’

‘સરલા.’

‘અને તારો બાબો?’

‘સૌરભ.’

‘સૌરભ. એને શેનો શોખ છે?’

ઉમેશભાઈ ઊભા થયા. ડેસ્કનું ખાનું ખોલ્યું. બંધ કર્યું.

‘પપ્પા, શું શોધો છો?’

‘મારી … મારી ચોપડીઓ.’

‘એ તો આ રહી. બુક-કેઇસ પર.’

ઉમેશભાઈ બુક-કેઇસ પાસે ઊભા રહ્યા. એક ચોપડી કાઢી. જૂના પૂંઠાની હતી. ડાબા હાથમાં મૂકી જમણા હાથથી ટપારી. સહેજ ધૂળ ઊડી. પછી જમણા હાથમાં લીધી.

‘મહેશ, લે આ તારાં કાવ્યો. મેં તારા દીકરા માટે સાચવી રાખ્યાં’તાં …’

મહેશ ભૂલી ગયેલો કે એ અઢાર વર્ષનો હતો ત્યારે અઢાર સૉનેટ લખી વ્યવસ્થિત હસ્તપ્રત બનાવેલી.

મહેશ પપ્પાને વળગી પડ્યો.

Posted on જૂન 17, 2018

સૌજન્ય : https://davdanuangnu.wordpress.com/category/

%e0%aa%b0%e0%aa%b5%e0%aa%bf%e0%aa%aa%e0%ab%82%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf/

Loading

...102030...3,1153,1163,1173,118...3,1303,1403,150...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved