Opinion Magazine
Number of visits: 9582496
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પંડિત કુમારગંધર્વનું કબીરગાન

અમર ભટ્ટ|Opinion - Opinion|28 April 2018

‘સપ્તક’ શાસ્ત્રીય સંગીતસંમેલન (પહેલીથી તેરમી જાન્યુઆરી ૨૦૧૮) દરમિયાન એક સાંજે અગ્રગણ્ય શાસ્ત્રીય ગાયક પદ્મવિભૂષણ પંડિત કુમારગંધર્વ (જન્મ : ૮-૪-૧૯૨૪, અવસાન : ૧૨-૧-૧૯૯૨) ઉપર એક ફિલ્મ પ્રદર્શિત થઈ ‘હંસ અકેલા – કુમારગંધર્વ’. એકે ક્ષણ ગુમાવવાનું મન ન થાય એવી સુંદર ફિલ્મ્સ ડિવિઝનની આ દસ્તાવેજી ફિલ્મ યુ-ટ્યુબ પર પણ છે (https://www.youtube.com/watch?v=Fv4ynjy8m04)

૧૯૪૭થી લગભગ પાંચસાત વર્ષ ટીબીના જીવલેણ બીમારીને લીધે ફેફસાં પર વધુ શ્રમ ન પડે માટે ડોક્ટરોએ એમને ગાન બંધ કરવાની સલાહ આપી હતી અને સૂકી આબોહવાવાળા પ્રદેશમાં રહેવા સૂચવ્યું હતું, એટલે મધ્યપ્રદેશમાં દેવાસમાં વસવાટ કરતા હતા. ગાન બંધ થયું પણ મૌનવાસ દરમિયાન ‘કાનનો રિયાઝ’ અને નિર્ગુણ સ્વરૂપનો વિચાર સતત ચાલતો રહ્યો. કુદરતનું સંગીત, પક્ષીના અવાજ, પવનનો સુસવાટ, ફકીરોનું ગાન, ત્યાં લોકસંગીતમાં ગવાતાં કબીરનાં પદો – આ બધું જ કુમારજીએ મૌન રહીને ગ્રહ્યું. ૧૯૫૨માં ભારતમાં ટીબીની દવા પ્રાપ્ત બનતાં એમનો ઈલાજ શક્ય બન્યો. ગાન પુન: શરૂ થયું.

કબીરનાં નિર્ગુણી ભજનો એમણે સ્વરબદ્ધ કરીને પોતાના કાર્યક્રમોમાં રજૂ કરવા માંડ્યાં અને એ રીતે પરંપરાથી ઉફરા જઈને શબ્દ અને સંગીતની દિવ્યતા અને ભવ્યતાનો અનુભવ કરાવ્યો. ફિલ્મનું નામ યથાર્થ રીતે કબીરસાહેબના એક પદ ઉપરથી છે – ‘ઉડ જાયેગા હંસ અકેલા’.

આજે કુમારજીએ ગાયેલાં કબીરનાં બે પદો વિશે વાત કરવી છે. ‘ઝીની ઝીની બીની ચદરિયા’ (https://www.youtube.com/watch?v=YLNBGWpodww) અને બીજું છે ‘સુનતા હૈ ગુરુજ્ઞાની, ગગનમેં આવાજ હો રહી ઝીની ઝીની’ (https://youtu.be/ordi4e72nVY). બંનેમાં ‘ઝીની ઝીની’ શબ્દપ્રયોગ છે.

એકમાં ચાદર વણવા માટે અને બીજામાં ગગનગેબી અવાજ માટે. ગાન સાથે માત્ર તાનપુરા અને તબલાં છે, હાર્મોનિયમની સંગત નથી.

પ્રથમ પદમાં કબીર એમનો વણાટકામનો અનુભવ કવિતામાં લાવે છે.

કહે છે કે કુમારજીએ વણાટકામની સાળનો લય સાંભળીને આત્મસાત કર્યો અને એ લય આ પદમાં છે. (કવિ કલાકારોને ક્યાં ક્યાંથી લય મળે છે? ઉમાશંકર જોશીનાં ‘નિશીથકાવ્યો’માં મુંબઈની લોકલ ટ્રેનનો લય છે.) સાત માત્રાનો અનોખો તાલ છે. પણ એ સાત માત્રાનો પરંપરાગત વાગતો રૂપક તાલ નથી કે નથી એમાં ભરી ભજન ઠેકાનો દીપચંદી. ‘ચદરિયા’ શબ્દનું સ્વરાંકન ઝીણવટથી સાંભળીશું તો એમાં – ‘સા’ અને ‘કોમળ રે’ – નાનકડી તાન રૂપે લીધા છે ને એ રીતે સૂરની ચાદર વણી છે. અંતરામાં ‘ઇંગલાપિંગલા’માં સહેજ ચઢેલો ‘કોમળ ધૈવત’ – બે ધૈવત વચ્ચેનો સ્વર જરૂર ધ્યાન ખેંચે છે. હાર્મોનિયમના શુદ્ધ ધૈવત અને કોમળ ધૈવતની વચ્ચેનો કોઈ ધૈવત, હાર્મોનિયમમાં ક્યાંથી મળે? વળી કોમળ ધૈવત ચઢેલો ને એની સંગતિમાં તારસપ્તકનો કોમળ રિષભ (રે) પણ. એક ઉલ્લેખ કરવાનું મન થાય છે – કવિવર ટાગોર અને ગાન સરસ્વતી કિશોરી અમોનકર સંગત માટે હાર્મોનિયમ પસંદ નહોતાં કરતાં.

બીજું પદ છે ‘ગગન મેં અવાજ હો રહી ઝીની ઝીની’. નરસિંહનું ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’ જરૂર યાદ આવશે. ‘અવાજ હો રહી’ના શુદ્ધ સ્વર પછી ‘ઝીની ઝીની’ કોમળ ધૈવત પર કેવી સુંદર રીતે લીધું છે અને ‘ઝીની અવાજ’નો ભાવપ્રદર્શિત કર્યો છે ! કેરવા તાલનો એકધારો ઠેકો, ગાનમાં ‘હોજી’ના પ્રયોગથી પ્રગટ થતી લોકસંગીતની મસ્તી અને કબીરના શબ્દોમાં ને કુમારજીના ગાનમાં વ્યક્ત થતી બ્રહ્માંડનાં રહસ્યોની ખોજ બે સ્વરો વચ્ચેના અવકાશમાં રહેલા કોઈ સ્વરની શોધમાં થઈ રહેલી સાંગીતિક યાત્રા આપણને જુદા જ સ્તરે લઈ જાય છે.

‘ઝીની ઝીની’ પ્રયોગ અન્ય કેટલી કવિતાઓની યાદ અપાવે છે ! ‘રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર’ (મીરાંબાઈ), ‘જંગી ઢોલ ઘણા ગડગડે, ઝીણી વાત કાને નવ પડે’ (અખો), ‘ઝીણા ઝરમર વરસે મેહ કે ભીંજે મારે ચૂંદલડી (ન્હાનાલાલ), ‘ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયાં’ (અનિલ જોશી) …..

જેમ એકમાંથી બીજી કવિતામાં તેમ જ એકમાંથી બીજાં ગીતમાં સરી પડવું ગમે છે. કુમારજીની અસરમાં મેં આપણી ભાષાનાં કેટલાંક કાવ્યો સ્વરબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો. ‘અમને ગુરુ મળ્યા છે ગરવા’ (મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’), ‘વજન કરે તે હારે રે મનવા ભજન કરે તે જીતે’ (મકરન્દ દવે), ‘ખાટી રે આંબલીથી કાયા રે મંજાણી’ (રાજેન્દ્ર શાહ) પણ જ્યારે ગાવા જાઉં ત્યારે કુમારજીનું ગાન યાદ આવે છે અને સાથે સાથે ટાગોરની આ કવિતા પણ –

‘હે ગુણીજન તમે કેવી રીતે ગાઓ છો ? હું તો અવાક થઈને સાંભળી રહું છું તમને’. એમ થાય છે કે હું એવા સૂરે ગાઉં પણ મારા કંઠમાં સૂર શોધ્યો ય જડતો નથી … મારી ચોતરફની જાળ ગૂંથીને મને તમે કેવા ફંદામાં ફસાવ્યો છે ?’

ઓમકારનાથ ઠાકુરે કહ્યું છે કે શાસ્ત્રીય સંગીતનું મૂળ લોકસંગીતમાં છે. કુમારજીનાં આ પદોમાં શાસ્ત્રીય અને લોકસંગીતનું ઐક્ય સાંભળો, નાદબ્રહ્મ અને શબ્દબ્રહ્મનો શુભયોગ માણો. આપણે આ ‘ગંધર્વગાન’ને ‘મૌનના ટહુકા’ કહીશું ? આદિલ મન્સૂરીનો શેર છે :

   ‘સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને ‘આદિલ’,
    જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.

સૌજન્ય : “વિશ્વવિહાર”, ફેબ્રુઆરી 2018; પૃ. 20-21

Loading

અમારા ગિજુભાઈ

ધીરુબહેન પટેલ|Opinion - Opinion|28 April 2018

૧૯૨૦થી ૧૯૩૦ના અરસામાં જેમનું બાળપણ વીત્યું હશે તેવા કોઈ પણ ગુજરાતીને માટે ગિજુભાઈનું નામ અજાણ્યું હોય જ નહીં. લગભગ એ સમયે જ ગિજુભાઈની બાળવાર્તાઓની નાની નાની પુસ્તિકાઓ શ્રેણીસ્વરૂપે પ્રસિદ્ધ થતી હતી અને લખતાંવાંચતાં શીખેલાં બાળકો પર એની મોહિની એવી છવાઈ ગઈ હતી કે ગિજુભાઈએ રજૂ કરેલાં પાત્રો એમને જીવતાંજાગતાં મિત્રો જ લાગતાં. એમાં આવતાં જોડકણાં મોંએ થઈ જતાં અને વાર્તાઓ તો એક એવા નિરાળા દેશમાં લઈ જતી કે જ્યાં માબાપનો ઉપદેશ અને શિક્ષકોની શિસ્તનો વાયરોયે ન વાય.

આમ જોવા જઈએ તો વળા(ચિત્તળ, જિ. અમરેલી)માં ૧૫ નવેમ્બર, ૧૮૮૫માં જન્મેલા ગિરજાશંકર ભગવાનજી બધેકા શાલેય શિક્ષણ પતાવીને ભાવનગરની શામળદાસ કોલેજમાં ગયા પણ ડિગ્રી મળે એની રાહ જોયા વગર કમાણી કરવા આફ્રિકા ગયા, પરંતુ વતનનો સાદ એવો પ્રબળ કે પાછા મુંબઈમાં આવીને વકીલ થયા. વઢવાણમાં વકીલાત પણ કરવા માંડી પરંતુ વિધિના લેખ જુદા હતા. વસોના સુપ્રસિદ્ધ કેળવણીકાર મોતીભાઈ અમીનના સંપર્કમાં તેઓ આવ્યા અને એમની પાસેથી મેડમ મારિયા મોન્ટેસોરીનાં પુસ્તકો મળ્યાં તે વાંચીને એમની જીવનનૌકાને સાચી દિશા સાંપડી.

બાળકોને ઓળખવાં, તેમને માટે યોગ્ય કેળવણી શોધવી અને તે માટેની સંસ્થાઓ ઊભી કરવી એ એમના રસનો વિષય બન્યો. પછી તો કુદરતી રીતે જ સાહિત્ય તરફ વળ્યા અને પુસ્તકો દ્વારા માત્ર પ્રત્યક્ષ સંપર્કમાં આવનાર બાળકો જ નહીં પણ જ્યાં જ્યાં ગુજરાતી વંચાતું કે બોલાતું હોય તેવાં તમામ સ્થળોમાં બાળકોના માનીતા અને વહાલસોયા મિત્ર બની ગયા.

તેઓ જ્યારે કોઈક પ્રસંગે સાન્તાક્રૂઝ આવ્યા ત્યારે મેં એમને પહેલી વાર જોયા હતા. લાંબી, હોઠની બે બાજુ જરા ઢળતી મૂછો, ગોરો વાન અને ચશ્માંના કાચ પાછળથી દેખાતી એમની સ્નેહભીની આંખો. જોતાંવેંત એક નૈસર્ગિક આત્મીયતા બંધાઈ જાય. ઓહો ! આ તો આપણા ગિજુભાઈ ! એમની બાળવાર્તાઓ એટલે આપણો આગવો ખજાનો !

વળી નસીબજોગે મેં એક વાચનખોર બાળક તરીકે ઠીક ઠીક નામ મેળવેલું એટલે કોઈએ મને એમની સમક્ષ ધરી. બે સમોવડિયા વચ્ચે જામે એવી સરસ ગોષ્ઠી મંડાઈ. એ જેટલા પ્રશ્નો પૂછે તેના હું ફટાફટ જવાબ આપું અને એ માથું હલાવે – ક્યારેક વિરોધ કરે, ક્યારેક સંમતિ દર્શાવે. આ અત્યંત આનંદજનક પ્રસંગે મેં એકાએક એમને કહ્યું, ‘પણ ગિજુભાઈ ! તમે તો સાવ કેવા છો !’

‘કેમ ? તને નથી ગમતો ?’

‘ગમો તો છો, પણ આવું કેવું કરો છો ?’

‘શું કરું છું ?’

‘બધી ચોપડીઓ કાળા ને કાળા અક્ષરમાં કેમ છાપો છો ?’

‘કાગળ તો સફેદ હોય છે ને બહેન, શાહી તો કાળી જ હોય !’

‘બીજા લોકો છો ને કાળી શાહીથી છાપે, તમે તો અમારા ગિજુભાઈ છો.’

‘એટલે મારે શું કરવું જોઈએ ?’

‘ઓહોહો, કેટલા બધા રંગો હોય છે આપણી પાસે ! તમે એવી ચોપડી છાપો ને, જેનું એક પાનું લાલ રંગમાં હોય, બીજું લીલામાં, ત્રીજું પીળામાં એમ જુદા જુદા રંગમાં કેમ નથી કરતા ?’

ગિજુભાઈ થોડી ક્ષણો મારી સામે જોઈ રહ્યા. પછી પૂછ્યું, ‘તને એવી ચોપડી વાંચવાની ગમે ?’

‘હા – બહુ જ ગમે.’

અમારો સંવાદ સાંભળનાર વડીલ શ્રોતાઓમાંથી કોઈએ મને ટપારી, ‘એ બેબી, ગિજુભાઈને આમ હેરાન ના કરાય. ખસ હવે. એમને બહુ કામ હોય.’

ઘરમાંથી સભ્ય વર્તન શેને કહેવાય એ તો જાણવા મળ્યું હતું એટલે હું તરત ખસી ગઈ અને જરાક શરમાઈ પણ ગઈ – તોયે ગિજુભાઈ મનમાંથી ખસ્યા નહોતા

અને જુઓ, કમાલની વાત ! બેએક મહિના પછી ટપાલમાં મારે માટે એક નાનકડું પુસ્તક આવ્યું. શીર્ષક હતું ‘વાઘોનું વન’ અને એનાં પૃષ્ઠ જુદા જુદા રંગની શાહીમાં છપાયેલાં હતાં !

એ હતી મારા ગિજુભાઈની ભેટ. આવડા મોટા બાળકેળવણીકાર, લેખક, અનેક સંસ્થાઓ અને યોજનાઓના ઘડવૈયા, રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા – એ.એસ. નીલની ‘રખડુટોળી’ પણ ગુજરાતી બાળકોને સુલભ કરી આપનાર અત્યંત વ્યસ્ત મહાનુભાવ એવા ગિજુભાઈએ એક નાનકડી છોકરીની ઘેલી ઈચ્છા યાદ રાખીને પૂરી કરી એ પ્રસંગ કંઈ જેવોતેવો ગણાય ?

મારા સદ્દભાગ્યનું એ સંભારણું – એનો રોમાંચ આજે પણ મને આનંદના મહાસાગરમાં લીન કરે છે.

સૌજન્ય : “વિશ્વવિહાર”, ફેબ્રુઆરી 2018; પૃ. 18-19

Loading

મિ. ઇન્ડિયા

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|28 April 2018

‘બેટા, શું નામ છે તારું?’ સંતોષે લાગણીભર્યા, કોમળ અવાજે બગીચાની બેન્ચ પર એની સાથે બેઠેલા બાળકને પૂછ્યું.

‘તમારે મારું નામ જાણીને શું કામ છે? ને પહેલાં તમે તમારું નામ કહો તો હું તમને મારું નામ કહીશ.’ બાળકને જરાયે અજાણ્યું નહોતું લાગતું. સંતોષ હસી પડ્યો. પણ એણે જોયું કે એ સુન્દર, નાનકડા બાળકની આંખોમાં જાણે દુનિયાભરની ઉદાસી ઠલવાયેલી હતી. સાત–આઠ વર્ષના એ માસુમ બાળકના શરીર પર સફેદ શર્ટ અને વાદળી રંગની ચડ્ડીનો યુનિફોર્મ તો હતો; પણ એની પાસે સ્કૂલ–બેગ, પાણીની બોટલ કે લંચબૉક્સ કશું દેખાતું નહોતું. બાળક તરફ મિત્રતાનો હાથ લમ્બાવતાં એણે કહ્યું :

‘મારું નામ છે સન્તોષ અને હવે તારું નામ મને જાણવા મળશે?’

‘ગોપી.’

‘અત્યારે સાંજે ચાર–સાડાચાર વાગ્યે તું સ્કૂલને બદલે અહીં બગીચામાં કેમ છે?’

‘કેમ કે સ્કૂલમાં લઈ જવાની મારી બધી ચીજ–વસ્તુઓ ઘરમાં પડી છે અને ઘરને તાળું છે. કહો, હું સ્કૂલે કેવી રીતે જાઉં?’

એનો જવાબ સાંભળી સન્તોષને નવાઈ લાગી; પણ એની સાથે મૈત્રી કેળવવાના ઈરાદાથી એણે હસીને કહ્યું :

‘હું એક સાઈકિયાટ્રીસ્ટ છું. એટલે શું તે ખબર છે? જેમ ડૉક્ટર આપણા શરીરની માંદગીનો ઉપાય કરે, એમ અમે સાઈકિયાટ્રીસ્ટ મગજની બીમારીનો ઈલાજ કરીએ.’ ધીમે ધીમે એને વિશ્વાસમાં લેતાં સન્તોષે પૂછ્યું :

‘તારાં મમ્મી–પપ્પાનું નામ શું?’

ગોપીનો ચહેરો આ પ્રશ્ન સાંભળતાં જ ઝાંખો ધબ્બ થઈ ગયો. જાણે ખુલ્લા આકાશમાં અચાનક કાળું વાદળ ધસી આવ્યું ન હોય! કડવો ઘૂંટડો ગળે ઊતારતો હોય એવું મોં કરીને એણે કહ્યું : ‘જો એમ કહું તો નવાઈ ન પામશો કે મારા પપ્પા ‘અલ્શેિશયન’ છે અને મારી મમ્મી ‘પોમેરિયન’ છે.’

સન્તોષને આંચકો લાગ્યો. આ તે કેવી વાત? ગોપીને પોતાની નજીક વધુ ખેંચીને પ્રેમથી એના વાળમાં હાથ ફેરવતાં એણે કહ્યું,

‘ગોપી, સારાં છોકરાંઓ પોતાનાં મા–બાપને કૂતરાં કહે? આવું ન બોલાય, બેટા!’

ગોપીએ સન્તોષનો હાથ ઝટકાથી દૂર કર્યો અને રોષથી કહેવા લાગ્યો,

‘કેમ ન કહેવાય? એ બન્ને રોજેરોજ કૂતરાંની જેમ જ ઝઘડે છે. કૂતરાં એકબીજાં સામે ભસે, તેમ ભસે છે ને કૂતરાંની જેમ જ એકમેકને નખોરિયાં ભરે છે.’

આટલું બોલતાં તેની આંખમાં આંસુ ઉભરાયાં. વાત બદલવાના ઈરાદાથી સન્તોષે પૂછ્યું,

‘તેં સવારથી કશું ખાધું છે કે ભૂખ્યો જ છે?’

સવારે એક ગ્લાસ બોર્નવીટા પીધા પછી, અત્યારે પાંચ વાગ્યા સુધી એણે કંઈ ખાધું જ નથી એ જાણીને, સન્તોષે એને સામેની રેસ્ટોરાંમાં લઈ જઈને સેન્ડવીચ ખવડાવી અને કૉફી પીવડાવી. હવે ગોપીને એની પર ભરોસો બેઠો હોય એમ પોતાની મેળે જ કહેવા લાગ્યો,

‘આજે સવારે શું થયું, ખબર છે? હજી તો હું પથારીમાંથી ઊભો પણ નહોતો થયો, ત્યાં મને રસોડામાં કાચનાં વાસણો ફૂટવાનો અને મા–પાપા બન્નેનો જોરજોરથી ઝઘડવાનો અવાજ સંભળાવા લાગ્યો.

‘અલ્શેિશયન – સોરી, પાપા કહેતા હતા કે તારાથી થાય એ કરી લે. હું તો જેમ રહેતો આવ્યો છું, એમ જ રહીશ અને જેવું વર્તન કરું છું, એવું જ કરીશ.

‘પાપા આવું બોલ્યા, એટલે મા સખત ગુસ્સે થઈને હાથમાં સાણસી લઈને બહાર આવી અને ડાઇનિંગ ટેબલ પર સાણસી પછાડીને કહેવા લાગી, બસ, હવે મારાથી એક દિવસ પણ તારા જેવા બેકાર અને મુફલીસ માણસ સાથે રહેવાશે નહીં. આજે ને આજે મારું આ ઘર ખાલી કરીને જા.’

‘તમે રહો છો એ ઘર તારી મમ્મીનું છે?’

‘હા, આ ઘર મમ્મીને એના પિતાજી તરફથી લગ્નની ભેટ તરીકે મળ્યું છે.’ આટલું કહેતાં ગોપી ડૂસકાં ભરીને રડવા લાગ્યો.

એને આશ્વાસન આપતાં સન્તોષે કહ્યું, ‘ચિન્તા ન કર. બધું ઠીક થઈ જશે. પતિ–પત્ની વચ્ચે નાના–મોટા ઝઘડા તો દરેક ઘરમાં ચાલતા હોય છે.’

‘ના, મને ખબર છે. હવે કશું ઠીક નહીં થાય. આજે મા ઘરમાંથી નીકળતી વખતે બોલી હતી કે હું આજે જ વકીલ પાસે જવાની છું. મારે છૂટા .. કે એવું કંઈક જોઈએ છે. આ છૂટા .. એટલે શું, અંકલ?’

સન્તોષનું મન ભરાઈ આવ્યું. મા–બાપના ઝઘડામાં બાળકના કૂમળા મનની શી હાલત થાય છે તે જોવાની એમને પડી જ ન હોય? આંખો લૂંછીને ગોપી બોલ્યો,

‘ગુસ્સામાં ને ગુસ્સામાં પાપા એની કારમાં બેસી જતા રહ્યા અને બારણે તાળું મારીને મમ્મી એના સ્કુટર પર ચાલી ગઈ. મારું દફતર, પાણીની બૉટલ બધું જ ઘરમાં રહી ગયું; પણ કોને કહું? જતી વખતે બેમાંથી કોઈએ મારી સામે જોયું પણ નહીં. પછી હું ચાલતો ચાલતો અહીં આવીને બેઠો.’

એક મનોચિકિત્સક હોવા છતાં આ બાળકને અત્યારે શું કહેવું એ સન્તોષને સમજાયું નહીં. મુંઝાયેલા ગોપીએ ચિન્તાતુર અવાજે એને પૂછ્યું,

‘રાત સુધી પણ જો એ બન્ને ઘરે નહીં આવે તો હું ક્યાં જઈશ, અંકલ? જેમ જેમ અંધારું વધતું જાય છે એમ મને બહુ ડર લાગે છે.’

‘ડરવાની જરાયે જરુર નથી. તને હું મારે ઘરે લઈ જઈશ. ખબર છે? મારા ઘરે તારા જેવા આઠ દોસ્તો છે. હું પણ એક વખત તારી જેમ જ એકલો–અટુલો હતો. અનાથાશ્રમમાં મોટો થયેલો અને ભણેલો. ભણીગણીને કમાતા થયા પછી, આપણા જેવા ભાઈબન્ધો માટે એક નાનકડું ઘર લીધું છે. એમાં અમે બધા સાથે રહીએ છીએ અને મઝા કરીએ છીએ.’

આ સાંભળીને ગોપીને પોતે જોયેલી ફિલ્મ યાદ આવી ગઈ. એના ઉદાસ મુખ પર હાસ્ય પ્રગટ્યું અને એ બોલ્યો,

‘અચ્છા, તો તમે ‘મિસ્ટર ઇન્ડિયા’ છો?’ એને ગળે વળગાડતાં સન્તોષે કહ્યું,

‘હા, તેં મને બરાબર  ઓળખ્યો, દોસ્ત. હું સન્તોષ નહીં; પણ ‘મિ. ઇન્ડિયા’ છું.’

(‘ગિરિરાજ શરણ અગ્રવાલ’ની ‘હિન્દી’ વાર્તાને આધારે)

સર્જક–સમ્પર્ક : બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર , વલસાડ– 396 001

ઈ–મેઈલ : avs_50@yahoo.com

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંકઃ 399 –April 29, 2018

Loading

...102030...3,1153,1163,1173,118...3,1303,1403,150...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved