Opinion Magazine
Number of visits: 9686448
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જંગલની જાત્રાનો જાદુ

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|4 July 2018

હેન્રી ડેવિડ થોરોએ વોલ્ડન તળાવના કાંઠે સાદું અને સૃષ્ટિમય જીવન જીવવાનો પ્રયોગ કર્યો હતો

(તસવીર ગૂગલ ઇમેજ પરથી લીધેલી છે.)

આજે ચોથી જુલાઈ એટલે અમેરિકાનો આઝાદી દિવસ છે. અમેરિકા ઈ.સ. 1776માં બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવીને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. અમેરિકામાં આ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના ઇતિહાસમાં ચોથી જુલાઈના દિવસે એક બીજી મોટી ઘટના પણ ઘટી હતી. આઝાદી દિનની ઉજવણીમાં આ ઘટના વિસરાતી જતી હોય છે. આ ઘટના માત્ર અમેરિકા માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે પણ યાદગાર ગણી શકાય એવી છે. વર્ષ 1845માં ચોથી જુલાઈના રોજ હેન્રી ડેવિડ થોરોએ સાદું અને સૃષ્ટિમય જીવન જીવવાનો પ્રયોગ શરૂ કર્યો હતો અને તેઓ વોલ્ડન તળાવના કાંઠે કુટિર બાંધીને રહેવા ગયા હતા.

વોલ્ડનના કાંઠે થોરો બે વર્ષ, બે મહિના અને બે દિવસ રહ્યા હતા. વોલ્ડન કાંઠે વિતાવેલા ગોલ્ડન પિરિયડ દરમિયાન થોરોને જે અનુભવો અને અનુભૂતિઓ થઈ તેને તેમણે પોતાના પુસ્તક ‘વોલ્ડન : લાઇફ ઇન ધ વૂડ્સ’માં શબ્દસ્થ કરેલી છે. થોરોની આ જંગલ જાત્રાની પ્રસાદી આ પુસ્તકમાંથી આપણને પ્રાપ્ત થાય છે. થોરોના વિચારો અને વોલ્ડન પુસ્તકની વાતો આજે એમના જમાના કરતાં પણ વધારે પ્રસ્તુત બની છે. આજે જ્યારે ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઇમેટ ચેઇન્જના પડકારોની ચિંતા વધતી જાય છે ત્યારે સાદું અને પર્યાવરણ-સંગત (ઇકો ફ્રેન્ડલી) જીવનની ઉપયોગિતા હવે દુનિયાને સમજાઈ રહી છે.

થોરોના જન્મને આગામી 12મી જુલાઈના રોજ 200 વર્ષ પૂરાં થશે. ગત વર્ષે થોરોની 200મી જન્મજયંતી નિમિત્તે અમેરિકામાં એક પુસ્તક પ્રગટ થયું હતું. અમેરિકન લેખિકા લૌરા દાસો વૉલ્સનાં એ પુસ્તકનું શીર્ષક છે, ‘હેન્રી ડેવિડ થોરો : અ લાઇફ’. આ પુસ્તકમાં થોરોના સમગ્ર જીવનમાંથી તેમણે વોલ્ડન તળાવના કાંઠે વિતાવેલાં બે વર્ષ કરતાં વધારે સમયને વધારે મહત્ત્વ આપ્યું છે અને થોરોના પર્યાવરણ-સૃષ્ટિ અંગેના વિચારોને વધારે અગ્રતા આપવામાં આવી છે. આજના ક્લાઇમેટ ચેઇન્જ અને ગ્લોબલ વૉર્મિંગના પડકારોના સમયમાં થોરોનું જીવન અને વિચારો કઈ રીતે ઉપયોગી-પ્રેરણાદાયી બની શકે છે, તે લોરાબહેને વિગતે સમજાવ્યું છે.

થોરો સૃષ્ટિ પ્રત્યે અનહદ ચાહના ધરાવતા હતા. ‘વોલ્ડન’માં પ્રકૃતિનાં મનોહર વર્ણનોની સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીઓના બોધપાઠ પણ મળે છે. તેમણે સાદું જીવન અને ઉચ્ચ વિચારોનું સૂત્ર ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું હતું. થોરોનું એક જાણીતું વાક્ય છે, ‘તમામ પ્રકારની લક્ઝરી અને સુવિધાઓના સન્માન સાથે સૌથી સમજદાર વ્યક્તિ વધુમાં વધુ સાદું જીવન જીવે છે અને ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવે છે.’ પ્રકૃતિ સાથે ઓતપ્રોત થવામાં સાર્થકતા સમજતા થોરો કહેતાં, ‘પ્રકૃતિ આપણી નબળાઈઓ અને ખૂબીઓ સાથે તાલમેળ સાધી લેતી હોય છે.’ મોર્નિંગ વૉક માટે પ્રેરે એવું થોરોનું એક વાક્ય છે, ‘પ્રાત:કાળે ચાલવા નીકળવું એ સમગ્ર દિવસ માટે વરદાનરૂપ છે.’

જીવન અંગેના થોરોના વિચારો પણ બહુ મનનીય છે. તેમણે એક બહુ સુંદર વાત કરેલી છે, ‘કોઈ પણ વસ્તુની કિંમત એ હોય છે કે તમે તેના બદલામાં તમારી જિંદગીનો કેટલો સમય ફાળવો છો.’ થોરોનું બીજું એક વાક્ય પણ આ સાથે યાદ આવે છે, ‘વ્યસ્ત રહેવું પૂરતું નથી, કારણ કે વ્યસ્ત તો કીડીઓ પણ રહે છે, મૂળ સવાલ એ છે કે આપણે શાના માટે વ્યસ્ત રહીએ છીએ.’ થોરોના પ્રાર્થનાની પંક્તિ સમાન એક વાક્ય સાથે લેખ પૂરો કરીએ: ‘પ્રેમ કરતાં, પૈસા કરતાં, પ્રસિદ્ધિ કરતાં મને સત્ય આપજે.’

(દિવ્ય ભાસ્કરની 4 જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Loading

ઇમરજન્સીની યાદ અપાવવામાં ફાયદો કરતાં નુકસાન વધુ છે: કૉન્ગ્રેસના પાપની સાથે સંઘપરિવારની બુઝદિલી પણ પ્રગટ થાય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|3 July 2018

ભારતની પ્રજાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટ બહુમતી આપીને સત્તા સોંપી એ કોંગ્રેસના ઉકરડા ફેંદવા માટે નહીં, પણ સાફ કરવા માટે. તેમણે એવો વાયદો પણ કર્યો હતો અને લોકોએ તેના પર ભરોસો કર્યો હતો. હવે સત્તામાં આવ્યે ચાર વરસ વીતી ગયા છે, દેશ ત્રણ મહત્ત્વપૂર્ણ રાજ્યોની અને એ પછી સામાન્ય ચૂંટણી તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે જમા બાજુ લગભગ કોરી છે. સો ટકા મૌલિક નિર્ણય નોટબંધી માટે જશ માગતા શરમ આવે છે, એટલે તેને ડરાવનારાં સપનાંની માફક ભુલવાડી દેવામાં આવે છે. હવે તો ભક્તો પણ તેનો ઉલ્લેખ કરતા નથી. જી.એસ.ટી.ની બાબતે આપણા દ્રષ્ટિસંપન્ન વડા પ્રધાનને છેક વરસે રહીને બ્રહ્મજ્ઞાન થયું કે મર્સિડીઝ અને દૂધ ઉપર એક સરખો કર ન લેવાય. જુમલાઓ હવે લોકોને અપીલ કરતા નથી અને શબ્દોની ગોઠવણી કરીને દિવસો કપાતા નથી. સાયબર સેલમાંથી પ્રગટ થતી વિકાસની મીઠી કલ્પનાઓ પેઈડમાંથી અનપેઈડ ઓર્બિટમાં પ્રવેશતાની સાથે જ મુરઝાઈ જાય છે.

તો પછી ચૂંટણી જીતવી કઈ રીતે? એક જ વિકલ્પ બચે છે; વિરોધીઓને બદનામ કરો. ૨૦૧૪માં કોંગ્રેસની અને રાહુલ ગાંધીની ઠેકડી ઉડાડવામાં આવતી હતી, રાહુલ ગાંધીનો તો અપમાન કરવા માટે નામોલ્લેખ પણ કરવામાં નહોતો આવતો અને તેની જગ્યાએ રાજકુમાર, શાહજાદા, બાળક વગેરે શબ્દોથી ઠેકડી ઉડાડવામાં આવતી હતી. વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને એ સમયના ભારતના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને મૌની સિંહ તરીકે ઓળખાવવામાં આવતા હતા. ટૂંકમાં ચૂંટણીનો માહોલ એવો હતો કે કોંગ્રેસ શાસન કરવાની લાયકાત ધરાવતી નથી, રાહુલ ગાંધી મંદબુદ્ધિ બાળક છે અને મારી પાસે (નરેન્દ્ર મોદી પાસે) વિચારપૂર્વકનો રોડ મેપ છે. દેશને શેની જરૂર છે અને ક્યાં સુધારા કરવા જોઈએ એની મને ખબર છે. કેટલાક સુધારા કરવા માટે નિ:સ્વાર્થભાવ અને હિંમતની જરૂર છે અને એ પણ હું ધરાવું છું, વગેરે વગેરે.

મતદાતાઓએ ભરોસો મૂક્યો હતો અને બી.જે.પી. કોમવાદી પક્ષ હોવા છતાં તેને સ્પષ્ટ બહુમતી આપી હતી. હવે મતદાતાને અને નરેન્દ્ર મોદીને એમ બન્નેને બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે કે ૨૦૧૪નું પુનરાવર્તન થવાનું નથી. ૨૦૧૪માં જે ૩૧ ટકા મતદાતાઓએ બી.જે.પી.ને મત આપ્યો હતો તેમાંના મોટાભાગનાની આંખ ઊઘડી ગઈ છે કે ૨૦૧૪માં તેઓ છેતરાયા હતા. વડા પ્રધાનને પણ સમજાઈ ગયું છે કે મતદાતાની નજરમાં હવે તેઓ બાથમાં લેવા જ પડે એવો દેખીતો વિકલ્પ નથી, પણ મતદાતા બીજા વિકલ્પની ખોજમાં છે. આ સ્થિતિમાં શું કરવું તેનો જવાબ તેમની પાસે છે. વિકલ્પોનો અતીત શોધી શોધીને બદનામ કરો. એટલી હદે બદનામ કરો કે અંતે તેઓ પોતે  (નરેન્દ્ર મોદી) જ વિકલ્પ તરીકે પાછળ બચે.

ટૂંકમાં ૨૦૧૪માં ઉકરડા સાફ કરવાના વચનો આપવામાં આવ્યા છે અને અત્યારે ઉકરડા ફેંદવામાં આવી રહ્યા છે. ઉકરડા તો હતા ત્યાંના ત્યાં જ છે. શું કામ ઉકરડા સાફ કરવામાં નથી આવતા, એવો પ્રશ્ન જો મનમાં ઉપસ્થિત થતો હોય તો અહીં જ જવાબ જાણી લો. આપણા માટે જે ઉકરડા છે એ શાસકો માટે સત્તા સુધી પહોંચવાની અને ટકી રહેવા માટેની સીડી અને અભયદાન બન્ને છે. આપણા માટે જે ઉકરડો છે એ શાસકો માટે સોનું પકવે છે. ૧૯૭૦ના દાયકાથી દેશ ચાતક પક્ષીની જેમ કોઈ ભડવીરની રાહ જોઈ રહ્યો છે, જે ઉકરડા સાફ કરી આપે, પણ હજુ સુધી એવો કોઈ નેતા મળ્યો નથી.

એમાં કોઈ શંકા નથી કે કૉન્ગ્રેસે અનેક પાપ કર્યા છે, જેની સજા અત્યારે તે ભોગવી રહી છે. કૉન્ગ્રેસે કરેલા પાપોમાં ચાર પાપ મુખ્ય છે. એક, દરેક લોકતાંત્રિક અને બંધારણીય સંસ્થાને કમજોર કરવાનું પાપ. બીજું, રાજકીય સભ્યતા અને નૈતિકતાની લક્ષ્મણરેખાઓને ઓળંગવાનું પાપ. હવે પછી નોંધવામાં આવનારા બે પાપ પહેલા બે પાપોનું જ પરિણામ છે. ત્રીજું પાપ હતું ઇમરજન્સી અને ચોથું પાપ હતું ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્હીમાં સીખોનો કરવામાં આવેલો નરસંહાર. આ સિવાય બીજા અનેક પાપ ગણાવી શકાય, પણ અત્યંત મહત્ત્વનો મુદ્દો એ છે કે એ દરેક પાપ પહેલા બે પાપનું પરિણામ હતું. જે ઉકરડા જમા થયા છે, હજુ થઈ રહ્યા છે અને સાફ કરવામાં નથી આવતા, એ પહેલા બે પાપોનું પરિણામ છે. પહેલા બે પાપ આજ પણ અસ્તિત્વ ધરાવે છે. આજે તો સ્થિતિ એવી છે કે એ બે પાપ એકલી કૉન્ગ્રેસના નથી રહ્યા, પરંતુ ભારતીય રાજકારણના બની ગયા છે. દરેક પક્ષ એ પાપ કરે છે.

જવાહરલાલ નેહરુ વિદ્વાન હતા, દ્રષ્ટા હતા, ગાંધીજીના ચેલા હતા, આઝાદીની લડતનો વારસો ધરાવતા હતા અને સૌથી મહત્ત્વની વાત તો એ કે તેમની સામે રાજકીય પડકારો નહોતા એટલે તેમણે લોકતાંત્રિક મૂલ્યોનું જતન કર્યું હતું. લોકતાંત્રિક સંસ્થાઓનું પોષણ કર્યું હતું. સુરક્ષિત હોવાના કારણે તેમને લક્ષ્મણરેખાઓ ઓળંગવી નહોતી પડી. ઇન્દિરા ગાંધી સામે પહેલાં કૉન્ગ્રેસની અંદર સિનિયર કૉન્ગ્રેસીઓ દ્વારા અને એ પછી ભેગા થયેલા વિરોધ પક્ષો દ્વારા પડકારો પેદા થયા હતા. ઇન્દિરા ગાંધીએ સત્તામાં તેમ જ રાજકીય રીતે ટકી રહેવા માટે નૈતિકતાની લક્ષ્મણરેખા ઓળંગી હતી અને લોકતાંત્રિક સંસ્થાઓને નબળી પાડી હતી. ૧૯૭૫માં લાદવામાં આવેલી ઇમરજન્સી આનું કલંકિત પરિણામ હતું.

બે મુદ્દા અહીં ચકાસવા જોઈએ. એક, શું થયું હતું ઇમરજન્સીમાં?

ઇમરજન્સીમાં વિરોધ પક્ષોના નેતાઓને જેલમાં ધકેલવામાં આવ્યા હતા કે જેથી સરકારની વિરુદ્ધ કોઈ ન બોલે. સંસદમાં હવે કોઈ પ્રશ્ન પૂછે એવું બચ્યું નહોતું. બીજું, ઇમરજન્સીમાં અખબારોનું સ્વાતંત્ર્ય રૂંધવામાં આવ્યું હતું. ત્રીજું, ઇમરજન્સી પહેલાંથી જ ન્યાયતંત્રની કમર તોડવાનું શરૂ થયું હતું અને ચાર, સરકારી ખર્ચે ઇન્દિરા ગાંધીની અને ઇમરજન્સીના ફાયદાઓની વાહવાહ કરવામાં આવતી હતી.

આજે આનાથી શું અલગ થઈ રહ્યું છે? ત્યારે અખબારો પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા તો આજે મીડિયાને ખરીદવામાં આવે છે અને ડરાવવામાં આવે છે. બે-ચાર અપવાદ છોડીને ત્યારે મીડિયા ડરી ગયા હતા, તો આજે બે-ચાર મીડિયાને છોડીને બાકીના ડર સાથે વેચાઈ પણ ગયા છે. ત્યારે વિપક્ષી સંસદસભ્યોને જેલમાં ધકેલી દઈને સંસદને બિનઅસરકારક બનાવવામાં આવી હતી, તો આજે સંસદના સત્ર ટૂંકાવીને અને સંસદ ચાલવા નહીં દઈને બિનઅસરકારક બનાવવામાં આવે છે. ત્યારે જે સ્થિતિ ન્યાયતંત્રની હતી એના કરતાં આજે ન્યાયતંત્ર વધારે નિર્બળ અને ગુલામ છે. ત્યારે સરકારી ખર્ચે જેટલી વાહવાહ કરવામાં આવતી હતી, એના કરતાં આજે અનેકગણી વાહવાહ કરવામાં આવી રહી છે. ત્યારે સ્વતંત્ર વિચારકો, સાહિત્યકારો, સર્જકો અને વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવતા હતા જે આજે પણ બની રહ્યું છે. એટલે તો આજની સ્થિતિને અઘોષિત ઇમરજન્સી તરીકે ઓળખવામાં આવે છે.

બીજો મુદ્દો એ છે કે કૉન્ગ્રેસે ઘણા પાપ કર્યા છે એની ના નહીં, પણ કૉન્ગ્રેસના ખાતામાં શરમાવું પડે એવી બુઝદિલી નથી. આને કારણે બી.જે.પી. ઇમરજન્સીની યાદ ન અપાવે એમાં ફાયદો છે. તમને ખ્યાલ છે? ઇમરજન્સી લાગુ કરવામાં આવી એ પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એ સમયના સરસંઘચાલક બાલાસાહેબ દેવરસે જેલમાંથી ઇન્દિરા ગાંધીને પત્ર લખ્યો હતો. તેમણે ઇમરજન્સીને આવકારી હતી અને ઇન્દિરા ગાંધીના ૨૦ મુદ્દાના કાર્યક્રમનાં વખાણ કરીને ઓફર કરી હતી કે જો અમને જેલમાંથી છોડવામાં આવશે, તો સંઘના સ્વયંસેવકો ૨૦ મુદ્દાના કાર્યક્રમના પ્રચારનું કામ ઉપાડી લેશે. જો કોઈ ભક્તો ખાતરી કરવા માગતા હોય, તો ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ તેમના પુસ્તકમાં દેવરસનો પત્ર ટાંક્યો છે.

કૉન્ગ્રેસના પાપની સાથે આપણી બુઝદિલી પણ પ્રગટ થાય છે. વડા પ્રધાને જરાક નફા-તોટાનો હિસાબ માંડવો જોઈએ. જો કે ગણતરી એવી પણ હોય કે બુઝદિલી ક્યાં જગતથી અજાણી છે. આઝાદીના આંદોલનથી અત્યાર સુધીના ઇતિહાસમાં એ પ્રગટ થઈ ગઈ છે.

સૌજન્ય : ‘કારણ તારણ’, નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 03 જુલાઈ 2018

Loading

ઈમા કિથિલ : લલ્લુપ-કાબા, નુપી લાન, ફનેક અને મનોરમા

વિશાલ શાહ|Opinion - Opinion|3 July 2018

જો બે છોકરા જણતી મા મેડલ જીતી શકે છે, તો તમે બધાં પણ આ કરી શકો છો. મારું જ ઉદાહરણ લો અને હંમેશાં ઝઝૂમતાં રહો …

આ શબ્દો છે, લિજેન્ડરી ફિમેલ બોક્સર મેરી કોમના. બે છોકરાની મા બનીને બોક્સિંગ જેવી ફૂલ કોન્ટેક્ટ ગેમમાં ચેમ્પિયન બનવું એ સ્પોર્ટ્સ હિસ્ટરીની અજોડ ઘટના છે. આજની પેઢી મણિપુરને પાંચ વાર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચનારી મેરી કોમથી ઓળખે છે. મણિપુરમાં સમૃદ્ધ આદિવાસી સંસ્કૃિતમાં ઉછરેલી છોકરીને વિમેન એમ્પાવરમેન્ટ કે મહિલા સશક્તિકરણ શું છે એ ખબર નહીં હોય, પરંતુ તેમનો જિંદગી પ્રત્યેનો અભિગમ મેરી કોમ જેવો જ લડાયક હોય છે.

ઇમા કિથિલ પર BBCની શોર્ટ ફિલ્મ

https://www.bbc.co.uk/news/av/world-asia-32793952/mother-s-market-the-indian-bazaar-run-entirely-by-women

એક સરેરાશ ભારતીય ઉત્તરપૂર્વ ભારતની અનેક જાણીતી બાબતોથી અજાણ હોય છે. આવી જ એક જાણીતી પણ અજાણી વાત એટલે મણિપુરનું ‘ઇમા કિથિલ’. ઇમા કિથિલ ઇમા કિથિલ ફક્ત મહિલાઓ દ્વારા સંચાલિત બજાર છે. મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં આવેલા આ બજારમાં પાંચેક હજાર દુકાનો છે, જે દરેકની દુકાનદાર મહિલા છે. ઇમા કિથિલ મેઇતેઇ કે મણિપુરી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ 'માતાઓનું બજાર' એવો થાય છે. સમગ્ર એશિયામાં ફક્ત મહિલાઓ દ્વારા સંચાલિત આટલું મોટું બજાર જોવા મળતું નથી. અમુક લોકોનો દાવો છે કે, વિશ્વમાં પણ ક્યાં ય મણિપુરના ઇમા કિથિલ જેવું બજાર નથી! દુનિયામાં અનેક સ્થળે મહિલાઓ દુકાન પર બેસીને માલસામાન વેચતી હોય એવાં બજારો છે, પરંતુ એ બજારમાં પુરુષો પણ હોય છે. ઇમા કિથિલમાં ફક્ત પરિણિત સ્ત્રીઓ જ દુકાનદારી કરી શકે છે. એટલે વિદેશીઓ તેને 'મધર્સ માર્કેટ' તરીકે ઓળખે છે.

કુપ્રથામાંથી આકાર પામ્યું અનોખું 'બજાર'

દુનિયાના બીજાં કોઈ પણ બજારથી ઇમા કિથિલ બિલકુલ અલગ છે. ઇમા કિથિલ દાયકાઓથી આકાર લઇ રહેલા સમૃદ્ધ ઇતિહાસના પાયા પર રચાયેલું છે. ઇસ. ૧૫૩૩માં ઇમા કિથિલની શરૂઆત થઇ હતી. આ અનોખા બજારના પાયામાં ગરીબી, ગુલામી, મજબૂરી, બહાદુરી અને શૌર્ય જેવા અનેક રંગ ભળેલા છે. ૧૬મી સદીમાં દેશના અનેક વિસ્તારોની જેમ ઉત્તરપૂર્વ ભારતમાં પણ લલ્લુપ-કાબા ઉર્ફ વેઠિયા મજૂરીનું દૂષણ ચરમસીમાએ હતું. સમાજના ઉચ્ચ વર્ગના (વાંચો, ક્રૂર-અનૈતિક ધનિકો) લોકો ગરીબોને 'વેઠ' એટલે કે મજૂરી કરાવવા રીતસરના ગુલામ બનાવતા. આ પ્રકારની મજૂરી કરવામાં ગુલામોનું જીવન વીતી જતું, પરંતુ કમાણી નહીંવત થતી. 'ભગવદ્ગોમંડળ'માં 'વેઠ' શબ્દનો અર્થ જ 'વગર દામનું વૈતરું' અને 'જેમાં કોઈ વળતર ના હોય એવી મહેનત', એવો અપાયો છે. મણિપુરના ગરીબ મેઇતેઇ લોકો પણ આ પ્રકારની વેઠમાંથી બાકાત નહોતા રહી શક્યા.

મેઇતેઇ સ્ત્રીઓ દ્વારા સંચાલિત ઇમા કિથિલ

મણિપુરના વેઠિયા મજૂરોએ ધનવાનોની જમીન-જાયદાત પર ખેતી અને બીજાં કામ કરવા મહિનાઓ સુધી ઘરેથી દૂર રહેવું પડતું. મણિપુરના લડાયક અને ખડતલ પુરુષોનો યુદ્ધોમાં પણ ઉપયોગ કરાતો. આ સ્થિતિમાં તેઓ ક્યારેક મહિનાઓ સુધી ઘરે નહોતા જઇ શકતા. એ વખતે કૌટુંબિક માલિકીની નાની-મોટી જમીન પર ખેતી કરવાનું કામ ઘરની સ્ત્રીઓ સંભાળતી. પુરુષોની ગેરહાજરીમાં મેઇતેઇ સ્ત્રીઓ પશુપાલન કરતી અને કૃષિ ઉત્પાદનો વેચવા બજારમાં પણ જતી. આમ, ઇમા કિથિલને જન્મ આપવામાં લલ્લુપ-કાબા જેવી કુપ્રથાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

મણિપુરના હજારો ઘરોનું ચૂલો બાળતું બજાર

એક સમયે વેઠિયા મજૂરોની વિધવા માતાઓ અને પત્નીઓ ગામને પાદરે કૃષિ આધારિત પેદાશો વેચતી, પરંતુ હવે ઇમ્ફાલમાં એક મહાકાય બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગમાં વેચાણ કરવાં દરેક મહિલાને નાનકડી જગ્યા ફાળવાય છે. એ જગ્યા બદલ નજીવી રકમ વસૂલાય છે. જેમ કે, થોડા સમય પહેલાં એક મહિનાનું ભાડું ફક્ત ચાળીસ રૂપિયા હતું. આજના આ સંગઠિત બજારમાં કાપડ, ધાતુ, માટી અને વાંસની કલાત્મક ચીજવસ્તુઓ, ફેશનેબલ જ્વેલરી, મસાલા, જડીબુટ્ટીઓ અને ઔષધિઓ, શાકભાજી, ફળો, સૂકા માછલાં અને 'મોરોક' ચિલી સહિત ઘણું બધું વેચાય છે. મોરોક મણિપુરની મરચાંની જાણીતી જાત છે, જે ભૂત જોલોકિયા, ઘોસ્ટ જોલોકિયા, ઘોસ્ટ પીપર, નાગા જોલોકિયા, રેડ નાગા અને નાગા કિંગ ચિલી જેવાં અનેક નામે જાણીતી છે. ૨૦૦૯માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે તેની દુનિયાના સૌથી તીખાં મરચાં તરીકે નોંધ લીધી હતી.

ઇમા કિથિલનું આજનું બિલ્ડિંગ

ઇમા કિથિલમાં મહિલાઓએ યુનિયન પણ બનાવ્યું છે. આ યુનિયન બજારનું સંચાલન યોગ્ય રીતે થાય અને કોઈ સ્ત્રીને તકલીફ ના પડે તેનું ધ્યાન રાખે છે. કોઈ પણ મહિલાને નાની-મોટી લોનની જરૂરિયાત પણ ઇમા કિથિલમાંથી પૂરી થઇ જાય છે. મહિલાઓ વધુ માલ ખરીદવા માટે પણ લોન લઇ શકે છે, જે નફો કર્યા પછી યુનિયનને પરત કરી શકાય છે. ઇમા કિથિલનાં કારણે મણિપુરના અંતરિયાળ વિસ્તારની અનેક મહિલાઓના ઘરનો ચૂલો બળે છે. મણિપુરના સ્થાનિક અર્થતંત્રને મજબૂતાઈ આપવામાં પણ ઇમા કિથિલ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

બ્રિટિશરો સામેનાં આંદોલનનું એપિસેન્ટર

ઇમા કિથિલ સાથે આઝાદીકાળની એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના જોડાયેલી છે. બ્રિટિશ રાજ વખતે મણિપુરને અન્યાય થતાં ઇમા કિથિલ આંદોલનના કેન્દ્ર તરીકે ઊભર્યું હતું. વાત એમ હતી કે, બ્રિટિશરોએ ઉત્તરપૂર્વ ભારતમાં મણિપુરની આસપાસ લશ્કરી થાણાં ઊભાં કર્યાં હતાં. ત્યાં બ્રિટિશ રાજની સેવામાં તૈનાત બ્રિટિશ સૈનિકોને કરિયાણાંની મોટા પાયે જરૂર પડતી. આ જરૂરિયાત પૂરી કરવા બ્રિટિશ અધિકારીઓ મણિપુર સહિતના અનેક પ્રદેશોના મોટા ભાગના ચોખા બ્રિટિશ સૈનિકો માટે રવાના કરી દેતા. મણિપુરના રાજાઓ પણ બ્રિટિશ રાજના રબ્બર સ્ટેમ્પ શાસકો હતા. આ સ્થિતિમાં મણિપુરી સ્ત્રીઓએ ઇમા કિથિલમાં જ બેઠકો, ચર્ચાવિમર્શ અને રેલીઓનું આયોજન કરીને બ્રિટિશરો સામે રણશિંગુ ફૂંક્યું હતું.

ઇમ્ફાલમાં આવેલું બ્રિટિશરો સામેના આંદોલનની યાદ કરાવતું સ્મારક

આ આંદોલનને કચડી નાંખવા બ્રિટિશરોએ ઇમા કિથિલનું બિલ્ડિંગ વેચી કાઢવાની યોજના બનાવી હતી, પરંતુ મણિપુરની મહિલાઓએ બ્રિટિશરોનો ઉગ્ર વિરોધ કર્યો. મણિપુરની મેઇતેઇ ભાષામાં આ આંદોલન 'નુપી લાન' તરીકે ઓળખાય છે, જેનો અર્થ 'સ્ત્રીઓનું યુદ્ધ' એવો થાય છે. એ યુદ્ધમાં મણિપુરની મહિલાઓએ છેલ્લે સુધી હાર નહોતી માની. છેવટે ૧૯૩૯માં બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળતા મણિપુર વૉર ઝોનમાં ફેરવાઇ ગયું, થોડા સમય પછી જાપાને મણિપુરનો કબ્જો કર્યો અને આ આંદોલનનો અંત આવ્યો. મણિપુરના જ નહીં, ભારતના ઇતિહાસમાં સૌથી અનોખા ગણાતા આ આંદોલનને પાઠયપુસ્તકોમાં ભણાવાતું નથી.

મણિપુરની જીવનશૈલીનું અભિન્ન અંગ

ઇમા કિથિલ એક નાનકડા વિસ્તારમાં વિકસેલી સમૃદ્ધ સંસ્કૃિત છે, જીવન જીવવાની પદ્ધતિ છે. ઇમ્ફાલમાં અંધારુ વહેલું થતું હોવાથી ઇમા કિથિલમાં બીજી પણ એક ખાસ વાત જોવા મળે છે. અહીં અનેક સ્ત્રીઓ માલસામાન બાંધીને ઘરે જતી રહે છે, જ્યારે કેટલીક મહિલાઓ પોતાની દુકાનમાં જ સાંજની રસોઇ બનાવે છે. સ્ત્રીઓ દુકાનમાં જ વાળુ કરી લે છે અને પરિવારનાં બીજા સભ્યો માટે ઘરે પણ લઇ જાય છે. ઇમા કિથિલ મણિપુરના રાજકીય, સામાજિક અને સાંસ્કૃિતક પ્રવાહો સાથે અભિન્ન રીતે વણાઇ ગયું હોવાથી મહિલાઓ માટે જ નહીં, મણિપુરી પુરુષો માટે પણ એક 'ઐતિહાસિક બજાર'થી ઘણું વધારે છે.

ફનેક : મણિપુરની ગલીઓથી બોલિવૂડ સુધી

ઇમા કિથિલમાં મણિપુરની જ નહીં, ઉત્તરપૂર્વ ભારતની પરંપરાગત ફેશનનું પણ પ્રતિબિંબ ઝીલાય છે. પૂર્વાંચલ હિમાલયની પર્વતમાળાઓ વચ્ચે આવેલા ઇમ્ફાલની ગલીઓમાં વહેલી સવારથી જ ફનેક અને ઇન્નાફિ પહેરીને ઇમા કિથિલ તરફ જતી સ્ત્રીઓનું સંગીત રેલાવા લાગે છે. ફનેક એટલે ઉત્તરપૂર્વ ભારતમાં સ્ત્રીઓ દ્વારા કમરની નીચે પહેરાતું લુંગી જેવું રંગીન વસ્ત્ર અને ઇન્નાફિ એટલે શાલ. ઇમા કિથિલ પર અનેક સંસ્થાઓએ ડોક્યુમેન્ટ્રી બનાવી છે, અને, હવે નિકિતા કાલા નામના સ્ટાઇલિસ્ટ ફેશન આધારિત ફિલ્મ પણ બનાવી રહ્યા છે. મણિપુરના આ પરંપરાગત પોષાકથી પ્રભાવિત થઇને અનેક ફેશન ડિઝાઇનરો ફનેક અને ઇન્નાફિનું મોડર્ન ફ્યૂઝન પણ કરી ચૂક્યા છે. બોલિવૂડ 'ક્વિન' કંગના રણૌતના કારણે પણ ફનેકની લોકપ્રિયતા વધી છે.

… અને બંદૂકની ગોળીઓને ફનેકથી પડકારાઈ

આ એ જ ફનેક છે, જેને 'બખ્તર' બનાવીને મણિપુરની ૧૨ 'ઇમા'(માતા)એ સંપૂર્ણ નગ્ન થઇને ભારતીય સેનાને લલકાર કર્યો હતો કે, 'ઇન્ડિયન આર્મી રેપ અસ … વી ઑલ આર મનોરમા'સ મધર … કિલ અસ, રેપ અસ …' ૧૫મી જુલાઈ, ૨૦૦૪ના એ દિવસે ફાનેક રંગીન નહોતું પણ સફેદ હતું, જેના પર લાલ શબ્દોમાં એ આક્રોશ ચીતરાયો હતો. આ બારેય માતા ૩૨ વર્ષીય મનોરમા નામની યુવતીની હત્યાથી છિન્નભિન્ન થઇ ગઇ હતી. શું થયું હતું, મનોરમા સાથે?

૧૦મી જુલાઈ, ૨૦૦૪ના રોજ ભારતીય સેનાના આસામ રાઇફલ્સ યુનિટના જવાનો મનોરમાને તેના ઇમ્ફાલના ઘરેથી પૂછપરછ માટે લઇ ગયા. મણિપુરમાં આર્મ્ડ ફોર્સીસ સ્પેિશયલ પાવર એક્ટ (આફસ્પા) હેઠળ ભારતીય સેનાને કારણ આપ્યા વિના કોઈ પણ વ્યક્તિની વૉરંટ વિના ધરપકડ કરવાનો, પૂછપરછ કરવાનો અને ગોળી મારવાનો અધિકાર અપાયો છે. મનોરમાને પણ લઇ ગયા અને બીજા દિવસે, ૧૧મી જુલાઈ, ૨૦૦૪ના રોજ તેનો ચીંથરેહાલ મૃતદેહ મળ્યો. મનોરમાના જનનાંગોમાં ૧૬ ગોળી મરાઈ હતી અને તેના શરીરના અનેક ભાગ પર છરાના ઊંડા ઘા હતા. શબ પરીક્ષણમાં માલૂમ પડ્યું હતું કે, આ જઘન્ય હત્યા પહેલાં તેના પર અનેકવાર બળાત્કાર ગુજારાયો હતો.

આસામ રાઇફલ્સના હેડ ક્વાર્ટર સામે વિરોધ મણિપુરી મહિલાઓ, મનોરમા અને આફસ્પા હટાવવા 16 વર્ષ ઉપવાસ કરીને અહિંસક આંદોલન ચલાવનાર ઇરોમ શર્મિલા

કોઈ પણ સ્ત્રી માટે જાહેરમાં સંપૂર્ણ નગ્ન થવું કેટલું કપરું હોય છે એ સમજી શકાય છે, પરંતુ મનોરમાનો ચીંથરેહાલ મૃતદેહ જોઈને ઇમા કિથિલમાં કામ કરતી ૧૨ માતા માટે નગ્ન થવું સહેલું થઇ ગયું. આ સ્ત્રીઓએ આસામ રાઇફલ્સના હેડ ક્વાર્ટર કાંગ્લા ફોર્ટ સામે પહોંચીને બધાં જ કપડાં ઉતાર્યાં. એ દિવસે જવાંમર્દો હતપ્રત થઇ ગયા અને બંદૂકો કલાકો સુધી ચૂપ થઇ ગઇ. આ અનોખા વિરોધની તસવીરોના ભારત સહિત દુનિયાભરમાં જબરદસ્ત પ્રત્યાઘાત પડયા, પરંતુ થોડા જ સમયમાં બારેય માતાઓની ધરપકડ થઇ અને ત્રણ મહિના માટે જેલમાં ધકેલી દેવાઇ. એ પછી મણિપુરમાં વિરોધ વંટોળ ફાટી નીકળ્યો અને આસામ રાઇફલ્સે કાંગ્લા ફોર્ટ ખાલી કરવો પડ્યો. ઇમ્ફાલ ખીણના સાત વિસ્તારમાંથી આફસ્પા હટાવાયો, પરંતુ આજે ય આ અન્યાયી કાયદો મણિપુરમાં લાગુ છે. આ જ કાયદો હટાવવા મણિપુરના ઇરોમ શર્મિલાએ સતત ૧૬ વર્ષ ઉપવાસ કર્યા હતાં. 

જો કે, આજે ય નથી આ કાયદો હટ્યો કે નથી મનોરમાના હત્યારા પકડાયા. 

આપણે બસ એટલું જ કહી શકીએ. ઇમા કિથિલ અમર રહો.

***

કેટલીક જરૂરી નોંધઃ- 

– આફસ્પા હટાવવા ઇરોમ શર્મિલાએ પાંચમી નવેમ્બર, ૨૦૦૦ના રોજ ઉપવાસ શરૂ કર્યાં. આ દરમિયાન તેમની અનેકવાર ધરપકડ થઇ, પરંતુ તેમની ભૂખ હડતાળ ચાલુ રહી. છેવટે ૨૬મી જુલાઈ, ૨૦૧૬ના રોજ શર્મિલાએ ભૂખ હડતાળને પૂરી થયેલી જાહેર કરી. આફસ્પા ના હટ્યો.

– ઓક્ટોબર ૨૦૧૬માં શર્મિલાએ રાજકીય પક્ષ સ્થાપ્યો, પિપલ્સ રિસર્જન્સ એન્ડ જસ્ટિસ એલાયન્સ. ૨૦૧૭માં થોબુલમાંથી કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઇબોલી સિંઘ સામે ચૂંટણીમાં ઊભા રહ્યા. એ ચૂંટણીમાં ઇબોબી સિંઘના ૧૮,૬૪૯ સામે શર્મિલાને ફક્ત નેવું (૯૦) મત મળ્યા.

– મણિપુરની પ્રજા માટે વિશ્વની સૌથી લાંબી ભૂખ હડતાળ કરનારા ‘આયર્ન લેડી’ને મણિપુરની જ પ્રજાએ ફગાવી દીધા. કેમ? આફસ્પા હટાવવાની એ અહિંસક લડતમાં મણિપુરીઓને વિશ્વાસ નહોતો રહ્યો? કાશ એવું ના હોય!

– દેશપ્રેમનો અર્થ લશ્કર અને ‘ભારત માતા કી જય’ની નારેબાજીથી ઘણો વધારે છે. સેનાના જવાનો દેશની રક્ષા કરે છે એટલે તેમને ગુનાખોરી કરવાનો હક નથી મળતો. દેશના બીજા વિભાગોની જેમ સેનામાં પણ ભ્રષ્ટાચાર અને બીજા દૂષણો છે જ. દેશના કાયદા-બંધારણ બધાને સમાન રીતે લાગુ પડે છે. આવી સીધી સાદી વાત સમજવા રોકેટ સાયન્ટિસ્ટ હોવું જરૂરી નથી. અને હા, મણિપુરના લોકો પણ ભારતીયો જ છે.

– મણિપુરની ૧૨ મહિલા મનોરમા માટે નગ્ન થઈને વિરોધ કરવા તૈયાર થઇ ત્યારે તેમની મનોસ્થિતિ કેવી હશે? અત્યારે આ મહિલાઓ શું કરી રહી છે? એ ઘટનાને આજે એ મહિલાઓ કેવી રીતે જોઈ રહી? આશરે ૬૦ વર્ષની આસપાસની આ મહિલાઓને જોઈને એક યુવાન સ્ત્રી પણ નગ્ન થઇને વિરોધ કરવા તૈયાર થઇ ગઇ હતી. આ વાત કોઈ સ્ત્રીએ ઘરે નહોતી જણાવી. એ ખૂબ જ હિંમતપૂર્વકનો નિર્ણય હતો. એ દિવસે અમુક સ્ત્રીઓ તેમના પતિને પગે લાગીને પણ આવી હતી. 

આ સામાન્ય મહિલાઓની અસામાન્ય હિંમત વિશે રજેરજની વિગત જાણવી હોય તો એવોર્ડ વિનિંગ મહિલા પત્રકાર ટેરેસા રહેમાનનું પુસ્તક ‘ધ મધર્સ ઓફ મણિપુરઃ ટ્વેલ્વ વિમેન હુ મેડ હિસ્ટરી’ મસ્ટ રીડ છે.

સૌજન્ય : ‘ફ્રેન્કલી સ્પિકીંગ’ નામક લેખકની કોલમ, ‘શતદલ’ પૂર્તિ, “ગુજરાત સમાચાર” 27 જૂન 2018

http://vishnubharatiya.blogspot.com/2018/07/blog-post.html

Loading

...102030...3,1053,1063,1073,108...3,1203,1303,140...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved