Opinion Magazine
Number of visits: 9581753
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

… તોયે મારો સાયબો ન્યારો બેઠો સાવ સૂનમૂન

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|7 June 2018

હૈયાને દરબાર

અસહ્ય વૈશાખી ઉકળાટ પછી વરસાદની હેલી ધરતીને ભીંજવી ગઈ છે. વૃક્ષો અને પર્ણો નહાઈ-ધોઈને વર્ષારાણીને પૂર્ણપણે સત્કારવા સજ્જ થઇ ગયાં છે. ભીની માટીની મહેક દિલને તરબતર કરી રહી છે ત્યારે ફિલ્મ ‘ઝેર તો પીધાં જાણી જાણી’નું આ મસ્ત મજેદાર ગીત લીલી લીલી ઓઢણી … સાંભળવાની-ગાવાની કેવી મજા પડે!

સંબંધની પ્રગાઢ હરિયાળી પણ પ્રેમ જ છે. પ્રેમ જીવવાની તાકાત આપે છે. પરમેશ્વરે સ્ત્રી-પુરુષની રચના કરીને કમાલ કરી છે. એમાં ય હૃદય આપીને તો એણે હાથ ખંખેરી નાખ્યા છે. "જાઓ બચ્ચો, ખેલો ઇસ ખિલૌને સે, કહીને ઝીણું મરકતો એ ઉપરથી તમાશો જોયા કરે છે. સ્ત્રી-પુરુષ બંને એકબીજાંમાં ઓતપ્રોત થાય ત્યારે એવું અનુભવે જેમાં જગતની તમામ કવિતાઓ, ગીતો, કથાઓ મેઘધનુષી આકાર સર્જીને સાર્થક થાય છે.

‘ઝેર તો પીધાં જાણી જાણી’ના આ ગીતમાં નાયિકાની મીઠી ફરિયાદ છે કે ધરતી લીલીછમ ઓઢણી ઓઢીને સજી છે તો ય આ મારા સાયબા પર કુદરતની મહેરબાનીની કોઈ અસર નથી. એ તો એ ય મુગોમંતર બેઠો છે. સાયબાઓ આવા જ હોય છે, નહીં ? મોટાભાગની મહિલા વાચકો સંમત થશે. ગોપાળબાપાના પ્રયત્નોથી વગડાઉ જમીનને સ્થાને વનમાં વનરાવન ઊભું થાય છે ત્યારે લહેરાતી હરિયાળી વચ્ચે સત્યકામ અને રોહિણીની પ્રણયલીલા પૂર્ણપણે પાંગરી છે. વાંસળીના કર્ણમંજુલ મ્યુિઝકલ પીસ સાથે ’લીલી લીલી ઓઢણી’ ગીતનો ફિલ્મમાં અદ્ભુત ઉઘાડ થાય છે. સાથે આશા ભોંસલેનો કંઠ હોય પછી પૂછવું જ શું?

પરંતુ, વક્રતા એ છે કે એકબીજાનાં પ્રેમમાં ગળાબૂડ સત્યકામ અને રોહિણીનાં લગ્ન શક્ય નથી કારણ કે રોહિણીના અકાળ વૈધવ્યની પ્રખર જ્યોતિષ દ્વારા જાણ થઇ ગઈ છે. બંનેના લગ્ન શક્ય ન હોવાથી સત્યકામ રોહિણીને છોડી ખૂબ દૂર ચાલ્યો જાય છે. કોઈક કેસમાં ફસાય છે અને જેલમાંથી છૂટીને બહાર નીકળે છે ત્યારે વિરહવેદનાનું કરુણ ગીત ફિલ્મમાં આવે છે, ઝેર તો પીધાં જાણી જાણી!

અહીં સુધીની વાત આપણે ગતાંકમાં કરી હતી. એ પછી તો સંબંધોનાં તાણાવાણામાં કથા ખૂબ લંબાય છે. સત્યકામના ગયા પછી રોહિણીને હેમંત (અરવિંદ ત્રિવેદી) નામનો ઉચ્ચ ખાનદાનનો નબીરો મળે છે, જેના પિતા બેરિસ્ટર (પ્રતાપ ઓઝા) હોય છે. હેમંતની તમામ સારપનો અનુભવ છતાં રોહિણી સત્યકામની મોહિનીમાંથી મુક્ત નથી થઇ શકી. જો કે, એકવાર તબિયત બગડતાં શહેરથી હવાફેર માટે રોહિણીની વાડીમાં આવેલો હેમંત રોહિણીને કહે છે, "હું જાણું છું કે તમારું મન સત્યકામમાં છે. તમને હું બહુ માનની દ્રષ્ટિએ જોઉં છું. પણ તમે એકલાં છો. મારા જીવનમાં આવશો તો હું ધન્ય થઈ જઈશ. રોહિણીને થાય છે કે જે નજીક હતા એ સૌ છોડીને ચાલ્યા ગયા. હેમંત જેવા પુરુષ મળવા મુશ્કેલ છે. તેથી એ પરણવાની હા પાડે છે. પરંતુ, થોડા જ સમયમાં હેમંતનું ટીબીને લીધે મોત થાય છે ને રોહિણીને વૈધવ્ય આવે છે. દરમ્યાન સત્યકામ શીતળાના રોગમાં બંને આંખ ગુમાવી બેસે છે. એ કોઇક સાધુના મઠમાં જઈ પહોંચી બૌદ્ધ ભિક્ષુ બની જાય છે. હેમંતના નાના ભાઈ દ્વારા સત્યકામનો રોહિણી સાથે ફરી મેળાપ થાય છે તેમ છતાં એ ભગવા વસ્ત્ર ધારણ કરી રોહિણીથી દૂર ચાલ્યો જાય છે અને ફિલ્મ પૂરી થાય છે.

સત્યકામ કેમ ચાલ્યો જાય છે, પછી એ બન્નેનું શું થાય છે એ જોવા-જાણવા નવલકથા વાંચવી પડે કે ફિલ્મ જોવી પડે. આ તો બહુ સંક્ષિપ્તમાં આ કથા કહી છે અહીં. દર્શકની આ નોવેલમાં અનેક ઉતાર ચડાવ આવે છે જે વાચકને તીવ્રપણે જકડી રાખે છે. આ પ્રચંડ લોકપ્રિયતાને આધારે જ ફિલ્મ બની પણ દુર્ભાગ્યે ફિલ્મ બહુ ના ચાલી, અલબત્ત, ફિલ્મ અગાઉ આ જ નામે ભજવાયેલા નાટકે ભારે પ્રશંસા મેળવી હતી. નાટકમાં ઉપેન્દ્ર ત્રિવેદી સામે નાયિકા તરીકે કોણ હતું ખબર છે? વર્ષા આચાર્ય. ના ઓળખ્યાં ? અરે આપણાં લાડીલાં સાહિત્યકાર-લેખિકા વર્ષા અડાલજા. એ નાટકની કથા પણ બહુ રોચક છે. સાંભળો વર્ષાબહેનનાં મોઢે જ.

"આ નાટક મારી જિંદગીનું યાદગાર નાટક કહી શકાય. ઉપેન્દ્ર ત્રિવેદીની કરિયરની એ વખતે શરૂઆત હતી. એ વખતે કમર્શિયલ નાટકો તો થતાં નહિ. કલાકારો દિવસે નોકરી કરે ને રાત્રે રિહર્સલ. નાટકો માત્ર શનિ-રવિમાં જ થાય. ત્યારે તો નાટક જ મારો પ્રથમ પ્રેમ હતો. ઘણાં નાટકોમાં મેં ભાગ લીધો હતો એ રીતે આ નાટકમાં રોહિણીનું પાત્ર ભજવવાની તક મને મળી. મારી ઉંમર પચીસેક વર્ષની એટલે સાહિત્ય સાથે તો ખાસ કઈં નાતો નહિ. બહુ વાંચ્યું પણ ના હોય. પણ મારા પિતા ગુણવંતરાય આચાર્ય લેખક અને અમારી બાજુમાં જ અભિનેતા વિષ્ણુકુમાર વ્યાસ રહેતા હતા, એટલે લેખકો-કલાકારોની અવરજવર રહેતી.

નાટકનાં રિહર્સલ શરૂ થયાં ત્યારે મનુભાઈ પંચોળી ‘દર્શક’ અમારે ઘરે આવ્યા. પહેલી નજરે તો એમને જોઈને મને એ જ વિચાર આવ્યો કે આ ગામડિયો માણસ કોણ છે? ગ્રામ્ય પરિવેશ અને માથાના વાળ પણ સરખા ઓળેલા નહિ! કોણ જાણે એમણે શું લખ્યું હશે! પરંતુ, નાટકના રિહર્સલ જેમ જેમ થતાં ગયાં એમ હું રોહિણીના પાત્રમાં ઓતપ્રોત થતી ગઈ. સૌથી પહેલો શો સુરતમાં હતો. એ વખતે સત્યકામનો રોલ સુરેન્દ્ર શાહે કર્યો હતો અને હેમંતની ભૂમિકા ઉપેન્દ્ર ત્રિવેદીએ ભજવી હતી. આ ત્રણે પાત્રો મુખ્ય. ગોપાળબાપાની ભૂમિકા વિષ્ણુકુમાર વ્યાસે, બેરિસ્ટરનો રોલ પ્રદ્યુમ્ન બધેકાએ તથા એમનાં પત્નીની ભૂમિકા લીલા જરીવાલા(અભિનેતા દર્શન જરીવાલાનાં માતા)એ ભજવી હતી. સમ હાઉ, અમારો પહેલો જ શો નબળો ગયો.

એ પછીના બીજા રવિવારે મુંબઈના તેજપાલ ઓડિટોરિમમાં સેકન્ડ શો હતો. નવલકથા બહુ લોકપ્રિય એટલે બુકિંગ ઓપન થતાં જ શો હાઉસફુલ થઈ ગયો. અમે બધા કલાકારો ચિંતામાં કે નાટક ક્યાં નબળું પડ્યું! સુરતથી મુંબઈ પરત જવા નીકળ્યાં. ટ્રેનમાં રિઝર્વેશન જેવું કંઈ નહીં. પતરાનાં પેટી-પટારા લઈને થર્ડ ક્લાસમાં મુસાફરી કરવાની. ખાવાના ય ઠેકાણાં ન હોય ઘણીવાર. કપડાંની ગડી, ઈસ્ત્રી બધું કલાકારોએ પોતે જ કરવાનું અને પતરાંની બેગો જાતે જ ઉપાડવાની. છતાં, કોઈ કશી ફરિયાદ ન કરે. નાટક દરમ્યાન બિલકુલ કૌટુંબિક વાતાવરણ. વીલા મોઢે લોકોના ધક્કા ખાઈને અમે ટ્રેનમાં ચડ્યાં. લાકડાનાં એક પાટિયા પર માંડ જગા મળી ત્યાં બેઠાં અને આખા નાટકમાં કાપકૂપી કરીને વ્યવસ્થિત બનાવ્યું. પછી અમે મુંબઈમાં જે શો કર્યો! આહાહા…! મારી જિંદગીનો સર્વોત્તમ શો.

તત્કાલીન નાણાપ્રધાન મોરારજી દેસાઈ સહિત અનેક પ્રતિષ્ઠિતો નાટક જોવા આવ્યા હતા. નાટકની પકડ એટલી તીવ્ર હતી કે ઈન્ટરવલમાં ય કોઈ ઊભું થઈને બહાર ગયું નહોતું. અમુક દૃશ્યો તો એવાં અસરકારક હતાં કે આજે ય યાદ કરતાં રૂવાડાં ઊભાં થઈ જાય. સત્યકામ-રોહિણીનો સપનાનાં ઘરનો મધુર વાર્તાલાપ, ગોપાળબાપાનું પરમ શાંતિમય મૃત્યુ, સત્યકામનો હૃદયદ્રાવક પત્ર, હેમંતનો નિ:સ્વાર્થ અને આદરયુક્ત પ્રેમ તથા સત્યકામ-રોહિણીનું આખરી મિલન આંખ સામે તાદૃશ થાય તો આજે ય આંખ ભીંજવી જાય છે. નાટકના છેલ્લા સીન વખતે તો હું સ્ટેજ પર જ ખૂબ રડી હતી અને ફસડાઈ પડી હતી. રોહિણીની શું આ જ નિયતિ હતી કે કોઈ પુરુષ એના જીવનમાં રહ્યો જ નહીં? મારી સાથે આખું ઓડિયન્સ ધ્રૂસકે ચડ્યું હતું. નાટક પૂરું થયા પછી દર્શકો સ્ટેજ પર ધસી આવ્યા. મનુભાઈ પંચોળી પોતે પણ હાજર હતા. એ સ્ટેજ પર આવ્યા અને ઘુંટણભેર નીચે બેસી મને બાથમાં લીધી, શાંત પાડી અને કહ્યું કે તું જ મારી કલ્પનાની સંસ્કારલક્ષ્મી રોહિણી છે. એ પછી એમનાં વાત્સલ્ય અને સ્નેહ મારા ઉપર નિતરતાં જ રહ્યાં.

વર્ષાબહેન એ ભીનાં સ્મરણોમાં ખોવાઈ જાય છે.

વર્ષા અડાલજાએ બીજી સરસ વાત કરી આ નાટકના સંદર્ભમાં. નાટકનો શો જોવા આવેલા સાહિત્યકાર-ચિંતક ગુણવંત શાહે આ નાટક અને રોહિણીના સશક્ત પાત્રને જોઈને પહેલા સંતાન તરીકે દીકરીની ઈચ્છા કરી હતી, જેની ખબર એમને હમણાં વીસ વર્ષ પછી પડી હતી. યોગાનુયોગે એ વખતે ગુણવંતભાઈનાં પત્ની સગર્ભા હતાં અને નાટક જોયાના બીજે જ દિવસે ગુણવંતભાઈને ઘરે લક્ષ્મી અવતર્યાનો તાર મળ્યો હતો.

પછી તો, નાટકને જબરજસ્ત સફળતા મળી પણ ફિલ્મ ચાલી નહોતી એ સંદર્ભમાં ગુજરાતી ફિલ્મ અને નાટકોના ઍનસાઇક્લોપિડિયા ગણાતા નિરંજન મહેતાએ આ ફિલ્મના સંદર્ભમાં રસપ્રદ માહિતી આપતાં જણાવ્યું કે, "આટલી સબળ અને લોકપ્રિય નવલકથા પર આધારિત ફિલ્મ હોવા છતાં સાવ નિષ્ફળ ગઈ હતી. દર્શક પોતે એ ફિલ્મથી એટલા નારાજ હતા કે અમારે દૂરદર્શન માટે સિરિયલ બનાવવી હતી, તો ય પરવાનગી ન આપી. ફિલ્મોને કમર્શિયલ એન્ગલ આપવામાં મૂળ કથાનું પોત નબળું પડી જતું હોય છે. ઉપરાંત ઉપેન્દ્ર ત્રિવેદીની આ બીજી જ ફિલ્મ હતી એટલે તેઓ પણ લોકોમાં ખાસ જાણીતા નહોતા. અનુપમા મરાઠી અભિનેત્રી હતાં. ફિલ્મ જેસલ તોરલમાં એમને લીધાં પછી ઉપેન્દ્રભાઇએ એમને આ ફિલ્મમાં રીપીટ કર્યાં હતાં. બીજું કે, નિર્માતા-દિગ્દર્શક તરીકે નામ ઉપેન્દ્રભાઈનું હતું પરંતુ, ફાયનાન્સ કર્યું હતું સ્વદેશી માર્કેટના વેપારી રસિકભાઈએ. દિગ્દર્શન પણ એ વખતના જાણીતા ડિરેક્ટર દિનેશ રાવલનું હતું.

‘ઈપ્ટા’ નામની બહુચર્ચિત નાટ્ય સંસ્થામાંથી છૂટાં પડીને પ્રતાપ ઓઝા, દીના ગાંધી (જે લગ્ન પછી દીના પાઠક બન્યાં હતાં), લાલુભાઈ શાહ, ચંદ્રિકા શાહ, લીલા જરીવાલા, વિષ્ણુકુમાર વ્યાસ જેવાં અનેક કલાકારોએ ઈપ્ટાની રાજકીય વિચારધારા સાથે અસંમતિ દર્શાવી એમાંથી છૂટાં થઈને ૧૯૪૫ની આસપાસ ‘રંગભૂમિ’ નામની સંસ્થા સ્થાપી. આ સંસ્થાએ કેટલાંક સરસ ક્લાસિક નાટકો કર્યાં હતાં. એ વખતે ક.મા. મુનશીની ‘સાહિત્ય સંસદ’ સંસ્થા પણ નાટકો કરતી. ભારતીય વિદ્યાભવનની સ્થાપના થયાં પછી એ જ સંસ્થા ‘કલાકેન્દ્ર’માં પરિવર્તિત થઇ. ત્યાર પછી ૧૯૪૯ના અંતમાં ‘આઈ.એન.ટી.’ સંસ્થા સ્થપાઇ. એ પહેલાં ઉક્ત ત્રણ સંસ્થાઓ દ્વારા જ નાટકો થતાં હતાં. ‘ઝેર તો પીધાં ..’ નાટક ૧૯૫૬ની આસપાસ પહેલી વાર રજૂ થયું હતું.

આવી તો અનેક કથાઓ ગુજરાતી ફિલ્મો-નાટકો-ગીતો સાથે સંકળાયેલી છે. કથા-ગીતકથાઓ વરસાદની હેલી સાથે હવે દર ગુરુવારે જાણતાં અને માણતાં રહીશું. ત્યાં સુધી લીલી લીલી ઓઢણી ગીત સાંભળવાનું ચૂકતા નહીં.

https://www.youtube.com/watch?v=brL9FdO8tZc

——————————

લીલી ઓઢણી ઓઢી ધરતી ઝૂમે રુમઝુમ
ફૂલડાં ખીલ્યાં ફૂલડાં ઉપર ભમરા બોલે ગુનગુન
તોયે મારો સાયબો ન્યારો બેઠો સાવ સૂનમૂન ..

ડુંગર ડોલે મોરલા બોલે
આંબા ડાળે કોકિલા કલ્લોલે રે
પવન કેરો પાવો છેડે
મીઠી મીઠી ધૂન
તોયે મારો સાયબો ન્યારો બેઠો સાવ સૂનમૂન

પારેવડાંની જોડ જોને પેલી
સરવર પર ડોલે
કોડ ભર્યાં એનાં અંતરનાં અમી
એકબીજા પર ઢોળે
પગની પાનીએ સરી જતી
મારી પાયલ બોલે છૂમછૂમ
તોયે મારો સાયબો ન્યારો બેઠો સાવ સૂનમૂન

લીલી લીલી ઓઢણી ઓઢી
ધરતી ઝૂમે રુમઝુમ …

ગીત-સંગીત : અવિનાશ વ્યાસ  • ગાયિકા : આશા ભોસલે

————————–

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=411656

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 07 જૂન 2018

Loading

ગુજરાતની ભાષા-સંસ્કૃિતની ઉપાસનાનો યજ્ઞ પ્રજ્વલિત રાખનાર સવ્યસાચી ધીરુભાઇ ઠાકર

વી.એસ. ગઢવી|Opinion - Opinion|7 June 2018

એક હજાર પૃષ્ઠનો એક એવા પચીસ ગ્રંથોની વિપુલ સામગ્રી તૈયાર કરીને જગતના ચોકમાં તેમણે મૂકી એ જ્વલંત ઘટના છે

સંવેદના તેમ જ આત્મીયતાના ભાવ એ તો કુદરતની દેણગી છે. માનવજીવન આવા ભાવથી વૈશાખના ગુલમહોરની જેમ મહોરી ઊઠે છે. મહાત્મા ગાંધીના મતે કહેવાતા ભણેલા લોકોની સમાજ પ્રત્યેની બિનસંવેદનશીલતા એ સૌથી મોટો ચિંતાનો વિષય હતો. આજે પણ આ મંતવ્ય એટલું જ ઉચિત છે. આ સંદર્ભમાં વિશ્વકોશના જનક એવા ધીરુભાઇ ઠાકર(૧૯૧૮-ર૦૧૪)નું સ્મરણ એમની જન્મજયંતીના માસમાં થાય, ત્યારે આ ધોમધખતા તાપમાં પણ મનમાં શાંતિ તથા શીતળતાની પ્રસન્નતા થાય છે. ધીરુભાઇ ઠાકર વિશેનો આવો યાદગાર અનુભવ જયદેવ શુકલે લખ્યો છે. જયદેવ શુકલને મોડાસા કોલેજમાં અધ્યાપકની જગ્યા માટેનો ઇન્ટરવ્યુ હતો. 

સાંજે તેમનો ક્રમ આવ્યો ઇન્ટરવ્યુની વિધિ પૂરી થયા પછી જયદેવભાઇએ ઠાકર સાહેબેને પૂછયું : ‘‘વડોદરા તરફ જતી કોઇ બસ હવે સાંજના સમયે મળી શકશે ?'' ઠાકર સાહેબે સ્નેહથી જવાબ આપ્યો કે હવે આ સમયે વડોદરા તરફ જતી કોઇ બસ નથી. આટલો હકીકતલક્ષી પ્રત્યુત્તર આપીને સામાન્ય રીતે આપણે વાતચીતનો અંત લાવીએ. પરંતુ અહીં ઠાકરસાહેબ હતા, જેમને સામી વ્યકિતની સગવડ-અગવડ તરફ એક સંવેદનાનો ભાવ હતો.

ઠાકર સાહેબે જયદેવ શુકલને ચિંતામુક્ત કરતા ધરપત આપી કે મોડાસા કોલેજની હોસ્ટેલમાં તેમના રહેવાની તથા જમવાની સુવિધા થઇ જશે. હોસ્ટેલના રેક્ટરને ધીરુભાઇની સૂચના હોવાથી રહેવા-જમવા વગેરેનો ચાર્જ લીધા સિવાય જયદેવભાઇની મહેમાનગત કરવામાં આવી. ઠાકરસાહેબ જેવા વિદ્ધતજનોથી આપણે ભર્યા – ભાદર્યા છીએ એવી પ્રતિતિ થાય છે. ર૭ જૂને ધીરુભાઇની જન્મજયંતી આવે છે. તેથી અનેક લોકોને તેમનું પુણ્યસ્મરણ થવું સ્વાભાવિક છે. સંસ્થાઓનું નિર્માણ કરનાર ધીરુભાઇ આવી સંસ્થાઓનાં અનેક કાર્યો થકી આજે પણ જીવંત છે, ધબકતા છે.

સિંહગિરા સોરઠમાં ૧૯૧૮માં જન્મેલા સાક્ષર ધીરુભાઇ પ્રેમશંકર ઠાકર (તખલ્લુસ: સવ્યસાચી) ૨૦૧૪ના જાન્યુઆરીની ૨૪મી તારીખે એક જીવનમાં અનેક જીવનનાં કામ નિપટાવીને મહાપ્રયાણ કરી ગયા. ભારત સરકારે ૧૯૧૪ના વર્ષમાં જ ‘પદ્મભૂષણ'નો એવોર્ડ આપીને આ વિચારબીજના વાહકને વધાવ્યા. સુયોગ્ય સ્થળે પહોંચેલા એવોર્ડનો આનંદ અનેક લોકોના મનમાં હતો. એ સાથે જ ધીરુભાઇને ગુમાવ્યાનો ઊંડો રંજ હતો. નિરંતર કર્મની જ્યારે વાત કરીએ ત્યારે ધીરુભાઇ ઠાકરની સ્મૃિત થવી સ્વાભાવિક છે. આપણી નજર સમક્ષ હજુ ગઇકાલ સુધી ઉન્નત તથા અર્થસભર જીવતર જીવી જનાર ઠાકર સાહેબ નવા ચીલા પાડીને ગયા. થાક તથા નિરાશાનો ઓછાયો પણ તેમના જીવનમાં પડ્યો હોય તેમ લાગતું નથી.

વિશ્વકોશના આ જગનન્નાથના રથને ખેંચવા જેવું કપરું કામ નહીંતર કેવી રીતે થયું હોત ? ઇન્દુલાલ યાજ્ઞિક જેવા ઝંઝાવાતી કર્મવીર જેના સર્જન સાથે સંકળાયેલા છે તેવી ‘મોંઘેરી ગુજરાત'ની એક અલગ રાજ્ય તરીકે ૧૯૬૦માં રચના થઇ. ગુજરાતની સ્થાપના પછીના પાંચ દાયકામાં થયેલાં ઐતિહાસિક કાર્યોની સૂચિ તૈયાર કરીએ, તો તેમાં વિશ્વકોશની સ્થાપના અને તેના યોગદાનની વાત અચૂક આવે તેમ કહેવામાં સહેજપણ અતિશયોક્તિ નથી. એક હજાર પૃષ્ઠનો એક એવા પચીસ ગ્રંથોની વિપુલ સામગ્રી તૈયાર કરીને જગતના ચોકમાં મૂકવી તે ગુજરાત રાજ્યની સ્થાપના પછીનાં વર્ષોની એક જ્વલંત ઘટના છે.

વિશ્વના કોઇપણ ખૂણે વસનાર ગુર્જર આ યશસ્વી કાર્ય માટે ગૌરવનો ભાવ અનુભવી શકે છે. ઠાકર સાહેબે જાતે તો કાર્ય કર્યુ જ, પરંતુ આ કામની અવિરત પ્રગતિ માટે મજબૂત ટીમવર્ક તથા સંસ્થાગત માળખું પણ ઊભું કર્યુ. વિશ્વકોશનું ભગીરથ કાર્ય સતત ચાલતું રહે તથા અનેક વિષયોના સંદર્ભમાં જ્ઞાનઉપાસનાનો યજ્ઞ જ્વલંત રહે તે માટે આવા સંસ્થાકીય માળખાની અનિવાર્યતા ઠાકર સાહેબની દ્રષ્ટિ બહાર ન હતી.

ધીરુભાઇ જીવનની છેલ્લી ક્ષણ સુધી સક્રિય રીતે કાર્યરત રહ્યા. નારાયણ દેસાઇ ધીરુભાઇને ચિરયુવા કહેતા તે યથાર્થ છે. સાહિત્યના સર્જન વચ્ચે પણ ધીરુભાઇમાં રમૂજવૃત્તિ અને હળવાશ કાયમ રહ્યા તે વાત ધીરુભાઇના પુત્રી હીનાબહેને કરી છે, તે ઠાકરસાહેબના ભાતીગળ વ્યક્તિત્વને ઉજાગર કરે છે. વિશ્વકોષ તેમ જ હવે ખાસ બાલ વિશ્વકોષના આ અમૂલ્ય ગ્રંથો આપણા ગ્રંથાલયની શોભા વધારે તેવા છે. પડકાર આપણી સામે એ છે કે આપણે તેનો કેટલો ઉપયોગ કરવાની આદત કેળવીએ છીએ! આવી આદત કેળવવાની જવાબદારી આપણી સૌની છે, સામૂહિક છે. ધીરુભાઇ ઠાકર જેવા કર્મયોગીનું જીવન ગુજરાતની આજની તથા આવતી કાલની પેઢીઓને ચરૈવેતી….ચરૈવેતી….નો અર્થસભર સંદેશો ચિરકાળ માટે સંભળાવતું તથા પ્રેરણા આપતું રહેશે તે નિર્વિવાદ છે. જ્ઞાન ઉપાસનાનું આ કાર્ય ગુજરાતને એક નવી ઓળખ આપે તેવું છે.

વિશ્વકોશના આ મહાયજ્ઞમાં આહુતિ આપનાર પૂજ્ય મોટા, સાંકળચંદ પટેલ (વિસનગર) તથા ધીરુભાઇ ઠાકરના આપણે સૌ ગુજરાતીઓ સદાકાળ ઋણી રહીશું. મહારાજા ભગવતસિંહજીએ તેમ જ ધીરુભાઇ ઠાકરે કરેલી ગુજરાતી ભાષાની સેવા આ વિષયમાં કામ કરતાં દરેક લોક માટે સદાકાળ પ્રેરણારૂપ બની રહે તેવી છે.

સૌજન્ય : ‘વાટે…ઘાટે…’, “નવગુજરાત સમય”, 07 જૂન 2018

Loading

એક નાનકડો પણ મહત્ત્વનો, કહો કે નિર્ણાયક વળાંક ભારતની વિદેશનીતિમાં નજરે પડી રહ્યો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|7 June 2018

૧૯૯૧માં સામ્યવાદી રશિયાનું પતન થયું ત્યારે એમ માનવામાં આવતું હતું કે સામ્યવાદ સામે મૂડીવાદનો વિજય થયો છે, લોકતંત્રરહિત બંધિયાર સમાજની સામે ખુલ્લા સમાજનો વિજય થયો છે.

વડા પ્રધાન તરીકે માત્ર એક મુદતમાં સૌથી વધુ વિદેશપ્રવાસો કરવાનું માન નરેન્દ્ર મોદીને જાય છે. તેમના બધા જ પ્રવાસો સાર્થક હતા એવું નથી; પરંતુ તેમનો છેલ્લો ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરનો પ્રવાસ અત્યાર સુધીના સાર્થક પ્રવાસોમાં સ્થાન પામે છે. આનું કારણ અિનશ્ચિત આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ છે અને ભારત સરકારને ભલે થોડી મોડીથી પણ સમજાયેલી વાસ્તવિકતા છે. પહેલાં એ વાસ્તવિકતા શું છે, એ સમજી લઈએ.

આ એક પ્રકારનું સરળીકરણ હતું અથવા ભોળપણ હતું. બીજું, આનું વ્યાવહારિક અર્થઘટન એવું કરવામાં આવ્યું હતું કે સામ્યવાદી રશિયાના પતન પછી જગત એકધ્રુવીય બની ગયું છે અને એ એક ધ્રુવ અમેરિકા છે. અમેરિકા સૂર્ય છે અને બાકીના દેશો એના ગ્રહો અને ઉપગ્રહો છે. વચ્ચે ચીન એક પડકાર તરીકે નજરે પડતું હતું, પરંતુ ચીન એના સામ્યવાદી શાસન અને મૂડીવાદી અર્થતંત્રના વિરોધાભાસનું એક દિવસ શિકાર બની જશે એની ખાતરી હતી.

એ પછી ૨૧મી સદી બેઠી અને એના પહેલા જ દાયકામાં સ્પષ્ટ થઈ ગયું કે ચીન એમ જલદી તૂટે એમ નથી, અને આર્થિક સમસ્યા અમેરિકા સામે ઝળૂંબાઈ રહી છે. અમેરિકાનું કૃત્રિમ અર્થતંત્ર ટકી શકે એમ નથી. આ બાજુ ચીન આર્થિક રીતે મજબૂત બનવાની સાથે લશ્કરી રીતે પણ મજબૂત બનવા લાગ્યું. ચીને વિસ્તારવાદી નીતિ અપનાવી, જેના વિશે બહુ ઓછું વિચારવામાં આવ્યું હતું અને તૈયારી તો બહુ જ ઓછી કરવામાં આવી હતી.

આની વચ્ચે એક ભારત છે જે નથી વિકસિત કે નથી અવિકસિત. એની પાસે માનવીય સંસાધન છે, બૌદ્ધિક ક્ષમતા છે, વિશાળ બજાર છે; પણ રાષ્ટ્રીય સર્વસંમતિનો અભાવ હોવાને કારણે તક ગુમાવતું રહે છે. એવો એશિયાઈ વાઘ જે દરેક પ્રકારની શક્તિ હોવા છતાં છલાંગ મારી શકતો નથી કે શિકાર કરી શકતો નથી. ટૂંકમાં ૨૧મી સદીના બીજા દશક સુધીમાં એટલું સ્પષ્ટ થઈ ગયું કે જગત અમેરિકાકેન્દ્રિત એકધ્રુવીય નથી. જગત અમેરિકા અને ચીન એમ દ્વિધ્રુવીય પણ નથી. જગત અનેક ધ્રુવીય પણ નથી. આ જગતમાં ભારત એક પરિબળ હોવા છતાં એવું પરિબળ પણ નથી કે એ એની શરતો મૂકી શકે. પાડોશી દેશો સામે પણ ભારત લાચાર છે. આ ઉપરાંત ભારત ચીનનો પાડોશી દેશ છે અને સરહદનો દાયકાઓ જૂનો ઝઘડો છે. બે દેશ વચ્ચે એક યુદ્ધ પણ થઈ ચૂક્યું છે.

આ સ્થિતિમાં ભારતે શું કરવું જોઈતું હતું? એક રીતે કહીએ તો ૨૧મી સદીનો પહેલો દાયકો ભારત માટે લોસ્ટ ઑપોચ્યુિન ટીઝ જેવો રહ્યો છે. એનું કારણ આગળ કહ્યું એમ રાષ્ટ્રીય સર્વસંમતિનો અભાવ. દરેક પક્ષ રાષ્ટ્રીય હિત કરતાં પક્ષીય હિતને વધારે મહત્ત્વ આપતો હતો. આ બાજુ અમેરિકા ભારતને પોતાની સોડમાં લેવાનો પ્રયાસ કરતું હતું. એક તો ભારત મધ્યમ ક્ષમતાનો મોટો દેશ, ચીનનો પાડોશી અને વિશાળ માર્કેટ જોતાં આર્થિક ફાયદાઓ પણ નજરે પડતા હતા. ચીન ભારતની ઉપેક્ષા પણ કરતું હતું અને ભારત અમેરિકાની સોડમાં ન ઘૂસે એની ખબરદારી પણ રાખતું હતું. એ દરમ્યાન ચીનની વિસ્તરવાની અને ભારત ફરતે ભરડો લેવાની તૈયારીઓ ચાલતી હતી. આ બાજુ પાકિસ્તાન ચીનની સોડમાં ઘૂસવા માટે આતુર હતું.

આમ સમય વીતતો જતો હતો અને ભારત રાષ્ટ્રીય સર્વસંમતિ સાથેનો કોઈ નક્કર નિર્ણય નહોતું લઈ શકતું. મનમોહન સિંહની સરકારે હળવે હલેસે પ્રવાહની બહુ વિરુદ્ધ ગયા વિના કે પ્રવાહપતિત થયા વિના સાવધાનીપૂવર્કત ગાડું ગબડાવ્યું હતું. આ હળવે હલેસે નાવ ચલાવવાની નીતિને ભારતીય જનતા પાર્ટી યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ સરકારની નિર્બળતા તરીકે જોતી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપિત વિવેકાનંદ ઇન્ટરનૅશનલ ફાઉન્ડેશને વિદેશનીતિ વિકસાવી હતી કે ભારતે ચીનનો મુખોમુખ મુકાબલો કરવો જોઈએ. ગણતરીપૂવર્ક  ચારે બાજુ સંબંધો વિસ્તારીને ભારતે ચીનને રોકવું જોઈએ અને બને તો ચીનનો ભરડો લેવો જોઈએ. ભારત સરકારના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આ સંસ્થાના ડાયરેક્ટર હતા અને આ પોલિસી મુખ્યત્વે તેમણે વિકસાવી હતી.

એટલે તો વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી તેમને ખાસ વડા પ્રધાનના મંત્રાલયમાં લઈ આવ્યા હતા અને તેમને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવ્યા હતા. નરેન્દ્ર મોદીના વડા પ્રધાનપદના પહેલાં ચાર વરસમાં આ નીતિ અપનાવવામાં આવી હતી. ડોકલામ આનું પરિણામ છે.

હવે જાગતિક રાજકારણ પહેલાં કરતાં પણ વધુ અનિશ્ચિત છે. અમેરિકા આ જગતમાં કયારે ય ભરોસાપાત્ર નહોતું અને ડોનલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી અમેરિકાની શ્રદ્ધેયતામાં ઘટાડો થયો છે. ભારત આર્થિક કે લશ્કરી કોઈ રીતે અમેરિકા પર ભરોસો મૂકી શકે એમ નથી. અમેરિકા ચીન અને રશિયા સામે ટ્રેડ-વૉર કે બીજી કોઈ પણ વૉર કરી શકે છે, પ્રતિબંધો લાદી શકે છે અને એની શરૂઆત થઈ પણ ચૂકી છે. એ બારોબાર સંધિઓ તોડે છે. નૉર્થ કોરિયા સાથે કોઈ તૈયારી વિના શિખરપરિષદની જાહેરાત કરે છે, એને રદ કરે છે અને વળી પાછી કિમ ઉનને મળવાની જાહેરાત કરે છે. આ બાજુ ચીન સ્થિત ગતિથી આગળ વધી રહ્યું છે. ચીન ભારતને બાથમાં લેવાના સંકેત આપે છે, પરંતુ ચીનની બાથમાં જવું એ ભીમ ધૃતરાષ્ટ્રની બાથમાં જાય એવું બની શકે એ વાતે ભારત ડરે છે.

આ સ્થિતિમાં એક નાનકડો પણ મહત્વનો, કહો કે નિર્ણાયક વળાંક ભારતની વિદેશનીતિમાં નજરે પડી રહ્યો છે. વળાંક મહત્ત્વનો અને કદાચ નિર્ણાયક છે એટલે જરૂરી પૃષ્ઠભૂમિ આપ્યા પછી એની વિગતે વાત કરવી જોઈએ જે હવે પછી.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 07 જૂન 2018

Loading

...102030...3,0843,0853,0863,087...3,0903,1003,110...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved