Opinion Magazine
Number of visits: 9686308
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુથુવેલ કરુણાનિધિ : જો એમ.જી.આરે. નોખો ચોકો ન કર્યો હોત અને કરુણાનિધિને બે કે ત્રણ મુદ્દત રાજ કરવા મળ્યું હોત તો કદાચ તામિલનાડુના અને દેશના રાજકારણનો ચહેરો જુદો હોત

રમેશ ઓઝા|Opinion - Opinion|10 August 2018

મહારાષ્ટ્રમાં બ્રાહ્મણ વિરોધી બહુજન સમાજના નેતાઓ ગાંધીજીના આવ્યા પછી, કોંગ્રેસમાં જોડાઈ ગયા. તેમણે જોયું કે ગાંધીજી સવર્ણ હોવા છતાં બધાને બાથમાં લઈને ચાલે છે. આ બાજુ મહારાષ્ટ્રના કેટલાક બ્રાહ્મણ નેતાઓના ધ્યાનમાં પણ આવ્યું કે ગાંધીજીની બાથ હરિજનો, બહુજન સમાજ, સ્ત્રીઓ અને મુસલમાનો સહિત બધાને સમાવી શકે એવી વધારે પડતી મોટી છે. તેમને એની સામે વાંધો હતો એટલે તેઓ કોંગ્રેસથી દૂર થયા અને હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા. મદ્રાસ પ્રાંતમાં ઊંધું થયું. ત્યાં બ્રાહ્મણ કોંગ્રેસીઓ ગાંધીજીની સાથે રહ્યા એટલે બહુજન સમાજે કોંગ્રેસથી છેડો ફાડ્યો. શરુઆતના વર્ષોમાં પેરિયાર રામસ્વામી નાયકર ગાંધીજીના સિપાહી હતા અને મંદિર પ્રવેશના વાયકોમ સત્યાગ્રહમાં ભાગ પણ લીધો હતો.

આઝાદી પછી બ્રાહ્મણ વિરોધી, આર્યાવર્ત વિરોધી અને હિન્દી વિરોધી આંદોલનને આંદોલનમાંથી સત્તાના રાજકારણમાં ફેરવવાનું હતું. દ્રવિડ આંદોલનને રાજકીય ચહેરો આપવાનો હતો જે પહેલાં પણ હતો; પરંતુ એ આંદોલનનો ચહેરો હતો, સત્તાના રાજકારણનો નહોતો. પેરિયાર હવે પરવડે એમ નહોતા અને પેરિયારનું વ્યક્તિત્વ પણ લાંબો સમય સહન થઈ શકે એવું નહોતું. ક્યારે શું બોલશે અને કરશે એની કોઈ ખાતરી નહીં. અન્નાદુરાઈ, કરુણાનિધિ, નંદુ ચેળિયન, એમ.જી. રામચન્દ્રન અને બીજા દ્રવિડ આંદોલનના યુવાનોએ ગુરુ સાથે છેડો ફાડ્યો.

કેથેરિન ફ્રેન્કે લખેલા ઇન્દિરા ગાંધીના જીવનચરિત્રમાં કહ્યું છે કે કહેવાતી કામરાજ યોજનાના મૂળ તામિલનાડુમાં છે. પેરિયારના શિષ્યોએ ગુરુથી અલગ થઈને દ્રવિડ મુનેત્ર કળગમ (ડી.એમ.કે.) નામના પક્ષની સ્થાપના કર્યા પછી, તેઓ જે રીતે પક્ષની બાંધણી કરતા હતા એ જોઇને તમિલનાડુના કોંગ્રેસી મુખ્ય પ્રધાન કામરાજ નાદરને સમજાઈ ગયું હતું કે હવે તામિલનાડુમાં કોંગ્રેસના દિવસો પૂરા થઈ ગયા છે. કામરાજ નાદરે સિનિયર કોંગ્રેસીઓએ હોદ્દા પરથી રાજીનામું આપીને પક્ષ માટે કામ કરવું જોઈએ, એવી જે યોજના રાખી એની પાછળનું ખરું કારણ ત્યાગ કરીને પોતાનું કદ ઉઠાવવાનું અને રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશવાનું હતું. કામરાજની કલ્પના સાચી પડી હતી. ૧૯૬૭માં પહેલીવાર તમિલનાડુમાં દ્રવિડોની સરકાર આવી તે આજ સુધી કોંગ્રેસને સત્તામાં પાછા ફરવાનો મોકો મળ્યો નથી.

અન્નાદુરાઈ સાથે એમ. કરુણાનિધિનો આમાં હાથ હતો. પાંચ ધોરણ સુધી માંડ ભણી શકેલા કરુણાનિધિનું અદ્ભુત ભાષા પ્રભુત્વ હતું. પોતાના પ્રાંતને અને પ્રજાને તસુએ તસુ જાણે અને આકંઠ પ્રેમ કરે. પક્ષ તેમનો પરિવાર હતો. પાછળથી ત્રણ પત્નીઓ દ્વારા થયેલા છ સંતાનોને નાનો મોટો રાજકીય વારસો આપવાનું શરૂ કર્યું ત્યારે તેમના માટે કહેવાતું હતું કે હવે પરિવાર એ પક્ષ છે. પરિવારવાદમાં પણ કરુણાનિધિનો એક સ્ટેમ્પ જોવા મળશે. બાળ ઠાકરેની માફક ઝઘડતા ભાઈઓમાંથી એક ગમતાને વારસદાર તરીકે પસંદ નહોતો કર્યો, પરંતુ દાવેદારોને જાહેરમાં ઝઘડવા દીધા હતા. જેની ક્ષમતા હોય એ જીતે અને એ રીતે એમ. સ્તાલિનને અનુગામી બનાવવામાં આવ્યો છે.

૧૯૬૭માં તમિલનાડુમાં અન્નાદુરાઈની સરકાર રચાઈ જેમાં કરુણાનિધિ જાહેર બાંધકામ અને પરિવહન ખાતાના પ્રધાન હતા. તમિલનાડુમાં પરિવહન ક્રાંતિ કરીને બે વરસમાં જ તેમણે પોતાની ક્ષમતા સિદ્ધ કરી બતાવી હતી. ૧૯૬૯માં અન્નાદુરાઈનું અવસાન થયું એ પછી કરુણાનિધિને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. એ સમયે પક્ષઅંતર્ગત સત્તાસંઘર્ષમાં એમ.જી. રામચન્દ્રને કરુણાનિધિને મદદ કરી હતી. બન્ને મિત્રો હતા અને કરુણાનિધિએ લખેલી પટકથાવાળી ફિલ્મોમાં રામચન્દ્રનને એક પછી એક સફળતા મળતી હતી. કરુણાનિધિ મુખ્ય પ્રધાન બન્યા એ પછી માત્ર બે વરસમાં બન્ને વચ્ચે વાંકુ પડ્યું હતું. રામચન્દ્રન અભિનેતા હોવાના કારણે પોપ્યુલર હતા અને તેમના મનમાં મુખ્ય પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા પેદા થઈ હતી. એ પછી જે બન્યું એ ઇતિહાસ છે.

મારું એવું માનવું છે કે જો એમ.જી. રામચન્દ્રને નોખો ચોકો ન કર્યો હોત, અને કરુણાનિધિને એકધારું બે કે ત્રણ મુદ્દત માટે મુખ્ય પ્રધાન તરીકે શાસન કરવા દીધું હોત, તો માત્ર તામિલનાડુનો નહીં, દેશના રાજકારણનો ચહેરો જુદો હોત. એક તો અસ્મિતાઓના રાજકરણને અને તેનાં નામે થતા સંઘર્ષોને ક્યાં સુધી ખેંચવા તેનું તેમને વિવેકભાન હતું. અન્યાય સામેના સંઘર્ષ અન્યાય કરનારાઓને અન્યાય કરીને કરવાના ન હોય એટલી તકેદારી તેઓ ધરાવતા હતા. આમ છતાં ય તેમણે તેમની દ્રવિડ ભૂમિકા પાતળી નહોતી પાડી. દ્રવિડ અસ્મિતાવાદી અને એ રીતે પ્રાંતવાદી હોવા છતાં તમિલનાડુને દિલ્હીની નજીક લઈ જવાનું કામ કરુણાનિધિએ કર્યું હતું. અખંડ હિન્દુસ્તાનમાં દરેક પ્રાંતનો પોતાનો અવાજ હોવો જોઈએ અને છતાં દેશ અખંડ શું કામ ન હોય, એવી તેમની ભૂમિકા હતી. એટલે તો તેમણે ઈમરજન્સીનો વિરોધ કરીને ઇન્દિરા ગાંધીની ખફા વહોરી લીધી હતી જેમાં ઇન્દિરા ગાંધીએ તેમની સરકારને બરતરફ કરી હતી. એ ફેડરલ ભારત માટે ચૂકવેલી કિંમત હતી. કરુણાનિધિ દેશના એકમાત્ર મુખ્ય પ્રધાન હતા જેમની સરકારને એક નહીં, બે વખત બરતરફ કરવામાં આવી હતી. 

તેઓ ગરીબતરફી હતા, પરંતુ બુકીશ સમાજવાદી નહોતા. તામિલનાડુના ઝડપી ઔદ્યોગીકરણનો તેમણે રસ્તો ખોલી આપ્યો હતો. દેશમાં સૌથી ધાર્મિક અને અંધશ્રદ્ધાળુ પ્રજા જ્યાં વસે છે, એ તામિલનાડુમાં તેઓ નાસ્તિક હતા. તેમણે મત માટે પોતાની નાસ્તિકતા છુપાવી નહોતી કે ક્યારે ય ધર્મની કે ભગવાનની ઠેકડી ઉડાડી નહોતી. સમાધાનો કર્યા વિના નખશીખ સેક્યુલર રહીને પણ ૧૩ વખત વિધાનસભાની ચૂંટણી જીતી શકાય છે અને પાંચ વખત મુખ્ય પ્રધાન બની શકાય છે એનું ઉદાહરણ કરુણાનિધિ છે.

આ બધું એ કરુણાનિધિએ સાબિત કરી આપ્યું છે જેને પોતાના મિત્ર એમ.જી. રામચન્દ્રનના કારણે ૧૩ વરસ સુધી સત્તાથી દૂર રહેવું પડ્યું હતું. એ ૧૩ વરસ દરમ્યાન રામચન્દ્રને દરેક પ્રકારનું પોપ્યુિલસ્ટ રાજકારણ કર્યું હતું. રૂપિયે કિલો ચોખા અને મફત સાડી વગેરે એમ.જી.આર.-જયલલિતાના લ્હાણીના દિવસો યાદ હશે. તેમણે દરેક પ્રકારના રાજકીય સમાધાન કર્યા હતા. દરેક પ્રકારની ભ્રષ્ટ રીતરસમો અપનાવી હતી. કરુણાનિધિ પોતાના મિત્રના ખૂંટા વિનાના રાજકરણથી સાવ વિચલિત નહોતા થયા એમ તો ન કહી શકાય, તેમણે પણ કેટલાક સમાધાનો કર્યા હતા, પરંતુ પોતાનો મૂળ ખૂંટો પકડી રાખ્યો હતો.

હજુ એક વાત નોંધવા જેવી છે અને દેશના અને બીજા રાજ્યોના પક્ષોએ અપનાવવા જેવી છે. એમ.જી. રામચન્દ્રન અને કરુણાનિધિ અલગ થયા પછી એકબીજાનું મોઢું નહોતા જોતા. કરુણાનિધિ વિધાનસભામાં આવવાના હોય તો એમ.જી.આર. મુખ્ય પ્રધાન હોવા છતાં ગૃહમાં ન આવે. એમ.જી.આર. આવવાના હોય તો કરુણાનિધિ ન જાય. આમ છતાં એક વાતનો સંયમ કરુણાનિધિએ હંમેશ જાળવ્યો હતો. તામિલનાડુના વિકાસની યોજના હોય તો ડી.એમ.કે. તેનો ભાગ્યે જ વિરોધ કરતો. યુ.પી.એ. સરકારની દરેક યોજના આજે નરેન્દ્ર મોદી લાગુ કરી રહ્યા છે, પરંતુ ત્યારે તેઓ વિરોધ કરતા હતા. અહીં સવાલ થાય કે શાસકોને સહકાર આપવાથી શાસકપક્ષને ફાયદો થાય તો સત્તામાં પાછા કેમ ફરવું? એનો પણ જવાબ કરુણાનિધિના રાજકારણમાંથી મળે છે. પ્રાંતને અને પ્રાંતની પ્રજાને ઓળખીને. પ્રજાને આકંઠ પ્રેમ કરીને. પક્ષને પરિવાર બનાવીને. કાર્યકર્તાઓનો જુસ્સો જાળવી રાખીને અને છેલ્લે પોતાનો મૂળ ખૂંટો પકડી રાખીને.

ગંગા ગયે ગંગાદાસ અને જમુના ગયે જમનાદાસ જેવું સાવ હલકું રાજકારણ કરુણાનિધિએ નહોતું કર્યું. એટલે જ જો આગળ કહ્યું એમ એમ.જી.આરે. નોખો ચોકો ન કર્યો હોત તો કદાચ તામિલનાડુના અને દેશના રાજકારણનો ચહેરો જુદો હોત. 

કરુણાનિધિના અવસાન સાથે એક યુગ પૂરો થાય છે, જે પેરિયાર રામસ્વામી નાયકર સાથે શરૂ થયો હતો. પહેલા જયલલિતા ગયાં અને હવે કરુણાનિધિ ગયા. ઓલ ઇન્ડિયા અન્ના ડી.એમ.કે. તો સંકેલાઈ જશે, પરંતુ કદાચ સ્તાલિનના નેતૃત્વમાં ડી.એમ.કે. ટકી જશે એમ લાગે છે. સ્તાલિનમાં રાજકીય કુનેહ અને સંયમ બન્ને છે. એટલે તો તામિલ અભિનેતા રજનીકાંત અને કમલ હાસન રાજકારણમાં મોકો જોઇને પ્રવેશ્યા છે. દ્રવિડ પક્ષોમાં પેદા થયેલા શૂન્યાવકાશનો તેઓ લાભ લેવા માંગે છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 10 અૉગસ્ટ 2018

Loading

યાદ રહે કે કુદરતી બજાર જેવી જગ્યા અને ફેરિયાઓને રક્ષણ આપતો કાયદો આ દેશમાં છે

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|10 August 2018

સ્ટ્રીટ વેન્ડર્સ ઍક્ટ 2014માં સરકારની ફેરિયાઓ તરફની જવાબદારી, ફેરિયાઓના પ્રકાર, હક, ફરજ, પુનર્વસન અંગે વંચિત-તરફી અભિગમ જોવા મળે છે. સરકારો તેનું શું કરે છે ?

અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશન અને પોલીસ ખાતાએ ચલાવેલી શહેર સુધારાની ઝુંબેશથી રોજનું કમાઈને રોજનું ખાનારા લારી-ગલ્લાવાળા અને પાથરણાંવાળાની પથારી ફરી ગઈ છે. તો બીજી તરફ – નોટિસો ફટકારવી, સીલ મારવાં, દંડ ઉઘરાવવા, દબાણો હઠાવવાં જેવાં  પગલાંની શહેરીઓને છક કરતી છબિઓ, બહાદુરીભર્યાં ભાસતાં બયાનો અને આનંદ આપતા આંકડાથી છાપાં છલકાય છે. અદાલતની અંદરની સુનાવણીઓના અહેવાલો અને અધિકારીઓની મુલાકાતો મુગ્ધતાપૂર્વક વંચાય છે. ખુલ્લા રસ્તા પરથી સડસડાટ દોડી રહેલી મોટરોમાં બેસીને શહેરી વિકાસનાં ફળ ચખાય છે. પૉઝિટિવિટીથી ઊભરાતાં આવા માહોલની વચ્ચે પેલા હજ્જારો ફેરિયા, લારી-ગલ્લા અને પાથરણાંવાળાની હાલત તો લગભગ ભૂલાઈ જ ગઈ છે. આ મહેનતકશોની જિકર લગભગ પહેલી વખત, આખી ય ઝુંબેશના આશરે સવા મહિના પછી, હમણાં મંગળવારે થઈ. તેમના સંગઠને, આ ઝુંબેશને કારણે ઊભી થયેલી બેરોજગારી અંગે રજૂઆત કરી. તેને પગલે અદાલતે સરકારને એવી ટકોર કરી કે એમને અન્યાય કે નુકસાન ન થાય એ જરૂરી છે. એટલે એમની પાસેથી ટોકન રકમ લઈને કાયદેસર જગ્યા ફાળવીને વેચાણનો સમય નક્કી કરવો જોઈએ.

ગુજરાતની વડી અદાલતે બતાવેલું આવું ન્યાયપૂર્ણ વલણ સર્વોચ્ચ અદાલતે છેક 1985 માં અપનાવ્યું હતું. તેણે મુંબઈ ફેરિયા સંગઠન વિરુદ્ધ મુંબઈ કૉર્પોરેશનની સુનાવણીમાં કહ્યું  હતું કે દરેક શહેરે ફેરિયા માટેના અને એમના માટે પ્રતિબંધિત એવા વિસ્તારો જાહેર કરવા જોઈએ જેથી ફેરિયાઓ પોતાનું કામ નિર્વિઘ્ને કરી શકે. બે વર્ષ બાદ સર્વોચ્ચ અદાલતના સૌદાનસિંહ વિરુદ્ધ નવી દિલ્હી મ્યુિનસિપલ કૉર્પોરેશનના મુકદ્દમાના ચૂકાદા મુજબ ફેરિયાઓનો વેપાર એમનો બંધારણીય અધિકાર છે. એ ચૂકાદામાં આ પણ નોંધવામાં આવ્યું છે: ‘રસ્તા કે શેરીઓ માત્ર આવનજાવન માટે છે એવી રજૂઆતને આધારે ફેરિયાઓને વેપાર ધંધો કરવાનો અધિકાર, બંધારણની કલમ 19(1)જી અનુસાર નકારી ન શકાય. યોગ્ય રીતે નિયમન કરવામાં આવે તો પરિસ્થિતિની માંગ મુજબ ફૂટપાથ પરના નાના વેપારીઓ સામાન્ય પ્રજા માટે સગવડરૂપ છે. રોજબરોજની જરૂરિયાતો તેઓ પ્રમાણમાં ઓછી કિંમતે વેચે છે.’ આ ચૂકાદા ઉપરાંત, ફેરિયાઓની રોજીરોટીના રક્ષણ માટે ભારતમાં એક આખો કાયદો છે. તેને સ્ટ્રીટ વેન્ડર્સ (પ્રોટેક્શન ઑફ લાઇવલિહૂડ ઍન્ડ રેગ્યુલેશન ઑફ સ્ટ્રીટ વેન્ડિંગ) ઍક્ટ, 2014 અને હિન્દીમાં પથ વિક્રેતા (જીવિકા સુરક્ષા એવમ્‌ પથ વિક્રય વિનિયમન) અધિનિયમ 2014, તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં લેવાયેલાં કેટલાંક અગત્યનાં પ્રગતિશીલ પગલાંમાં આ એક છે.

સ્ટ્રીટ વેન્ડર્સ ઍક્ટમાં પાયાની વાત એ છે કે તે ફેરિયાઓના રોજીરોટી મેળવવાના અધિકારને સ્વીકારે છે અને તેને રક્ષણ આપવું એ સરકારની કાનૂની ફરજ ગણાવે છે. તે મુજબ શાસકોએ ટાઉનવેન્ડિન્ગ કમિટી એટલે કે નગરના ફેરિયાઓ માટેની સમિતી બનાવવાની છે જેના ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ હોવી જરૂરી છે. આ કમિટીએ દર પાંચ વર્ષે ઓછામાં ઓછી એક વખત શહેરના ફેરિયાઓનો સર્વે કરવાનો છે. સર્વેમાં આવતા બધા ફેરિયાઓને સરકારે નક્કી કરેલા વેન્ડિન્ગ ઝોનમાં અનુસૂચિત જાતિ, જનજાતિ, મહિલાઓ, વિકલાંગો, અશક્ત વ્યક્તિઓ, લઘુમતીઓને પહેલી પસંદગી આપીને સમાવવાનાં છે. વેન્ડર્સ પાસેથી નિયત શુલ્ક અને જાળવણી ખર્ચ લેવાનું છે. જેમને તેમના પોતાના ઝોનમાં જગ્યા ન મળે તેમને અન્ય ઝોનમાં સમાવવાના છે. જ્યાં સુધી સર્વે પૂરો ન થાય અને પ્રમાણપત્રો ન અપાય ત્યાં સુધી કોઈ ફેરિયાને તેની જગ્યા ખાલી કરાવવાની નથી. પોલીસે કે અન્ય કોઈએ અધિકૃત ફેરિયાને વેપાર કરતાં રોકવાનો નથી. કોઈ પણ ફેરિયાને જગ્યા ખાલી કરાવતાં પહેલાં ત્રીસ દિવસની નોટિસ આપવાની છે. જો તેનો માલ જપ્ત કરવામાં આવે તો તેની અધિકૃત યાદીની નકલ તેને આપવાની છે. તદુપરાંત નિયત દંડ આકારીને વધુમાં વધુ ત્રણ દિવસમાં તે માલ પરત કરવાનો રહે છે.

ફેરિયાઓએ પણ અનેક શરતો અને નિયમોનું પાલન કરવાનું રહે છે. તેમાં તેણે બાંહેધરી આપવાની છે કે ફેરિયા તરીકેના કામ ઉપરાંત તેની પાસે આવકનું બીજુ કોઈ સાધન નથી. તેણે ફેરિયાઓ માટેના પ્રતિબંધિત વિસ્તારમાં વેપાર કરવાનો નથી. તેના વિસ્તારમાં તેણે સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી કરવાની છે. નિયમો તોડનાર કે ગેરરીતિ કરનાર ફેરિયા સામે, તેની રજૂઆત પછી જ, પગલાં લેવાની જોગવાઈ પણ આ કાયદામાં છે. સરકાર ફેરિયાઓ માટે ધીરાણ, વીમો, શિક્ષણ તાલીમ અને વિકાસ કાર્યક્રમોનું આયોજન કરે તે અપેક્ષિત છે. કમનસીબે સરકારો એમનો વિનાશ કરે છે, કોઈના કહેવાતા વિકાસ માટે ! સ્ટ્રીટ વેન્ડર્સને ખસેડવાનું બને ત્યાં સુધી ટાળવાની ભલામણ પણ આ  કાયદાના સેકન્ડ શિડ્યુલમાં કરવામાં આવી છે. વળી, જો અનિવાર્ય સંજોગોમાં એ કરવું જ પડે એમ હોય તો તેના માટે ખૂબ માનવતાભર્યાં, ન્યાયપૂર્ણ અને લોકતરફી સૂચનો કરવામાં આવ્યાં છે.

વેન્ડર્સ ઍક્ટના અમલીકરણનો એક ખૂબ મહત્ત્વનો અભ્યાસ દિલ્હીના સેન્ટર ફૉર સિવિલ સોસાયટીએ ગયાં વર્ષે બહાર પાડ્યો છે. તે જણાવે છે કે લગભગ બધી જ રાજ્ય સરકારોએ  અમલીકરણમાં બેપરવાઈ અને નિષ્ક્રિયતા દાખવી છે. વળી, તેમાં ન્યાયતંત્રનાં  ઢીલાં વલણનો  ઉમેરો થતાં, ફેરિયાઓ વધુ અસલામત બન્યા છે એવું પણ નોંધવામાં આવ્યું છે. ઇલાબહેન ભટ્ટે લખેલાં ‘ગરીબ, પણ છૈયે કેટલાં બધાં !’ પુસ્તકમાં શ્રમજીવીઓનાં અર્થતંત્રની મહત્તા વાચકના મનમાં ઉજાસ ફેલાવે છે.

વેન્ડર્સ ઍક્ટમાં ‘નૅચરલ માર્કેટ’ શબ્દપ્રયોગ અનેક વાર કરવામાં આવ્યો છે. તેની વ્યાખ્યા ‘ઉત્પાદનોનાં ખરીદ-વેચાણ માટે જ્યાં લોકો પરંપરાગત રીતે વર્ષોથી એકઠા થતા હોય તેવાં બજારો’ એમ કરવામાં આવી છે. રસ્તા પર ફરતા કે  બેસતા વેપારીઓની બનેલી  આ બજારો એ દેશ અને દુનિયાભરનાં બહુ જ મોટાં અનૌપચારિક અર્થતંત્રનો મહત્ત્વનો હિસ્સો છે. છતાં ય શાસકોની નજરે તે મોટેભાગે નડતરરૂપ, પછાત અને બિનશોભાસ્પદ હોય છે. પરંપરાગત બજારના વિક્રેતાઓની જિંદગી કષ્ટભરી હોય છે. પણ તેમની પાસેથી લોકોને રહેઠાણની નજીકમાં વ્યાજબી ભાવે તાજાં શાકભાજી અને અન્ય સંખ્યાબંધ વસ્તુઓ મળે છે. આપણા લોકોને ચમકદાર કારમાંથી ફૂટપાથ પર ભાવ કરાવીને વસ્તુઓ લેવી છે, પાર્કિંગ કે સ્વચ્છતાના નિયમો પાળ્યા વિના લૉ ગાર્ડનની વાનગીઓ ખાવી છે. પણ જ્યારે આવી જગ્યાના આપણા બાંધવો પર બુલડોઝર ફરી વળે છે ત્યારે આપણામાંથી એક વર્ગને તેમાં કાયદાપાલન અને કાર્યક્ષમતા દેખાય છે.

અલબત્ત, કૉર્પોરેશનની ઝુંબેશ પૂરેપૂરી લોકવિરોધી છે એમ કહેવાનો અહીં આશય નથી. પણ અદાલતે સત્તાવાળાને જે કંઈ આદેશો આપ્યા તેના અખબારી અહેવાલો ધ્યાનથી વાંચતા એક બાબત ધ્યાનમાં આવે છે. અદાલતે દબાણો હઠાવવાનું કહ્યું જ છે પણ લારી-ગલ્લા છિનવીને રોજી આંચકી લો એમ નથી કહ્યું. અદાલતના આદેશોના અખબારી અહેવાલોમાં અધિકારીઓની અકાર્યક્ષમતા અને બેદરકારી, પાર્કિંગ નહીં પૂરાં પાડવામાં બિલ્ડરોની દાંડાઈ, રોડ કૉન્ટ્રાક્ટરોનો ભ્રષ્ટાચાર અને રખડતાં ઢોરોના ત્રાસ અંગે ઘણાં ઉલ્લેખો-આદેશો છે. લારી-ગલ્લા કે ફેરિયા તેને અભિપ્રેત નથી એવું નથી. પણ કૉર્પોરેશને તો લારી-ગલ્લા-પાથરણાંવાળાને, ઝુંબેશનું એક ખાસ  નિશાન બનાવી દીધું છે. જાણીતા લોકગીત ‘મેંદી લેશું મેંદી લેશું, મેંદી મોટાં ઝાડ’માં સાસુના ત્રાસથી ઓણનું ચોણ વેતરનારી વહુ કહે છે :

‘મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મ્યેલ
મેં ભોળીએ એમ માન્યું કે ચૂલા ખોદી મેલ્ય ….’  

********

9 ઑગસ્ટ 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 0 ઑગસ્ટ 2018 

Loading

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|9 August 2018

હૈયાને દરબાર

મોર બની થનગાટ કરે…ની ગીતકથા અને મેઘાણીને અગાઉની કોલમમાં યાદ કર્યા પછી, મન જઈ પહોંચ્યું છે હવે મારા સ્કૂલ જીવન સુધી.

મેઘાણીની મોહિનીમાંથી મુક્ત થવું આસાન નથી. મેઘાણીની કેવી ઊંડી અસર શાળાજીવનથી હતી એ પ્રસંગની વાત કરવી છે. અમદાવાદના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ લાલભાઈ શેઠે એમનાં માતાનાં સ્મરણાર્થે શાળા સ્થાપી, જેનું નામ મોહિનાબા કન્યા વિદ્યાલય. અમદાવાદની ચાર-પાંચ અતિ પ્રતિષ્ઠિત સ્કૂલોમાં એનું નામ આવે. સી.એન. વિદ્યાલય અને મોહિનાબામાં ૧૩ વર્ષની ઉંમરે આઠમા ધોરણના એડમિશન માટે અમે ફોર્મ ભર્યાં હતાં, જેમાં ઍડમિશન મળ્યાનો પહેલો પત્ર મોહિનાબામાંથી આવ્યો. કવિ સ્નેહરશ્મિ જે સ્કૂલના આચાર્યપદે હતા એ સી.એન. વિદ્યાલયમાં દાખલ થવાનાં ઓરતાં ઘણાં હતાં, પણ પહેલો પત્ર મોહિનાબામાંથી આવ્યો, એટલે મમ્મી ત્યાં લઇ ગઈ. એ સ્કૂલ વિશે ખાસ જાણકારી નહીં એટલે મોઢું વકાસીને ચૂપચાપ મા સાથે પ્રવેશની ઔપચારિકતા પતાવવા સ્કૂલમાં ગઈ. આ સ્કૂલ આશ્રમ રોડના સાબરમતીના પટ પર હતી એટલી જ માત્ર ખબર.

સ્કૂલના મુખ્ય દરવાજામાં પ્રવેશતાં જ કોઈક અજબ પ્રકારની તાજગી ઘેરી વળી. શાળાના મકાન સુધી પહોંચતાં પહેલાં પાંચેક મિનિટનો રસ્તો વટાવવાનો આવે. એ રસ્તાની બન્ને બાજુ આસોપાલવની હારમાળા. ચોગાનમાં આવેલાં ઘટાટોપ વૃક્ષોમાંથી ચળાઈને આવતો મંદ મંદ પવન અને નદીનું મોહક સૌંદર્ય આ સ્કૂલના પહેલી નજરના પ્રેમમાં પડી જવા માટે પૂરતાં હતાં.

આ વાત આજે એટલા માટે કરવી છે કે ઘર અને સ્કૂલનું વાતાવરણ સંતાનોને સાહિત્ય-સંગીતમાં રસ લેતાં કરવામાં કેટલાં ઉપયોગી છે. એટલું જ નહીં, આજે ‘ઓગસ્ટ ક્રાંતિ દિન’ છે, ત્યારે મેઘાણીનાં એવાં ગીત યાદ કરવાં છે, જે સાંભળીને આપણાં રૂંવાડાં ખડાં થઈ જાય. એમાં ય સ્કૂલમાં શીખેલા મેઘાણીના એક ગીતે મારામાં સંગીતનાં બીજ રોપ્યાં હતાં એ સંદર્ભે સ્કૂલની વાત કરવી જરૂરી છે.

અમારી શાળાનું મકાન સ્થાપત્યનો અદ્ભુત નમૂનો. આજ દિન સુધી શાળાનું આવું સુંદર મકાન મેં જોયું નથી. મોહિનાબા સ્કૂલમાં મેં પ્રવેશ મેળવી લીધો. આચાર્ય દોલતભાઈ દેસાઈ મુંબઈની ન્યુ એરા સ્કૂલમાંથી આવ્યા હતા, એટલે એમણે અમારી આ સ્કૂલમાં ન્યુ એરા મોડલ જ અપનાવ્યું હતું. ચોખ્ખીચણક સ્કૂલ. પગથિયું ચડતાંની સાથે ચપ્પલ કે શૂઝ હાથમાં લઈને સીધા ક્લાસની બાલ્કનીમાં મૂકવાનાં. દરેક વિશાળ ક્લાસરૂમ સાથે બાલ્કની હોય જ. પ્રવેશદ્વારમાં એક તરફ મા સરસ્વતી અને મધ્યમાં મોરનું કાષ્ઠશિલ્પ. એસેમ્બલીમાં દરરોજ સર્વધર્મ પ્રાર્થના થાય. શિક્ષકો પણ કેવા સજ્જ! સંસ્કૃત, ગુજરાતી, હિન્દીનાં શિક્ષકો આદરણીય દોલતભાઈ, ચારૂબહેન વૈદ્ય અને જયશ્રીબહેન મહેતાનો મારી સાહિત્ય-સંગીતરૂચિમાં ઊંડો પ્રભાવ. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અમારાં સાયન્સ ટિચર. ખૂબ કડક છતાં હંમેશાં વિદ્યાર્થિનીઓનાં હિતેચ્છુ. મિનાક્ષીબહેન, દિનેશ આચાર્ય, કુંજબાળાબહેન, ક્રિશ્નાબહેન પણ વિદ્યાર્થીઓમાં ખૂબ રસ લે.

નવા દાખલ થયેલા વિદ્યાર્થીઓ માટે સત્રારંભે જ ટેલન્ટ હન્ટ કોમ્પિટિશન થાય. ફ્રી પિરિયડની અંતાક્ષરી દરમ્યાન ચારૂબહેને મારી કલારૂચિને પારખી લીધી અને ગીતસ્પર્ધા માટે મને ઝવેરચંદ મેઘાણીનું ગીત સૂના સમદરની પાળે … શિખવાડ્યું. શબ્દોના ઉચ્ચાર, કવિતાનો ભાવ એવા સરસ રીતે સમજાવ્યા હતા કે એ ગીત રજૂ કર્યું તો આખા એસેમ્બલી હોલમાં દરેકની આંખ ભીંજાઈ ગઈ હતી. કુંજબાળાબહેન સહિત કેટલાક તો ચોધાર આંસુએ રડ્યાં હતાં. બેશક, મેઘાણીના હૃદયદ્રાવક ગીતની જ એ કમાલ હતી. દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહ્યો છે. એની પાસે જ એક જીવિત સાથી ઊભો છે, મૃત્યુશૈયા પર સૂતેલો યુવાન છેલ્લો સંદેશ આપે છે :

સૂના સમદરની પાળે
          રે આઘા સમદરની પાળે,
                       ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક બાળુડો રે
                                                              સૂના સમદરની પાળે.
નો’તી એની પાસે કો માડી,
          રે નો’તી એની પાસે કો બે’ની:
                      વ્હાલાના ઘાવ ધોનારી, રાત રોનારી કોઈ ત્યાં નો’તી રે
                                                                  સૂના સમદરની પાળે.
વેગે એનાં લોહી વ્હેતાં’તાં
        રે વેગે એનાં લોહી વ્હેતાં’તાં,
                     બિડાતા હોઠના છેલ્લા બોલ ઝીલન્તો એક ત્યાં ઊભો રે
                                                                  સાથી સમદરની પાળે.
વીરા ! મારો દેશડો દૂરે,
           રે વીરા! મારું ગામડું દૂરે,
                        વા’લીડાં દેશવાસીને સોંપજે, મોંઘી તેગ આ મારી રે
                                                                 સૂના સમદરની પાળે.

http://www.jhaverchandmeghani.com/voice/PD-soonasamadar.mp3

જાહેરમાં ગાયેલું ઝવેરચંદ મેઘાણીનું આ પહેલવહેલું ગીત મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની ગયું. ચારૂબહેનના કહેવાથી જ મેં સંગીતની પદ્ધતિસરની તાલીમ શરૂ કરી અને એ પછી તો અનેક ગુરુઓના આશીર્વાદ વરસતા રહ્યા છે, આજ સુધી. ગુરુપૂર્ણિમા તાજેતરમાં જ ઉજવાઈ અને ઑગસ્ટ મહિનો આપણે માટે ત્રણ રીતે અગત્યનો છે. નવમી ઑગસ્ટે ક્રાંતિ દિન છે, પંદરમીએ સ્વાતંત્ર્ય દિવસ અને અઠ્યાવીસ ઑગસ્ટ મહાન લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનો જન્મદિન. આ બધી જ ઘટનાઓને સાંકળી લઈને આ લેખ આપણા સૌના જીવનમાં જેઓ જે કંઈ પણ આપણને શીખવી ગયા એ તમામ ગુરુઓ, સ્વાતંત્ર્યસેનાનીઓ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સમર્પિત છે.

મહાત્મા ગાંધી બીજી ગોળમેજી પરિષદમાં લંડન જવાના હતા તેના એક કલાક પહેલાં જ મેઘાણીએ ‘છેલ્લો કટોરો’ કાવ્ય રચી, દોડીને ગાંધીજીને આપ્યું. પાછળથી ગાંધીજીએ વાંચ્યું અને નોંધ્યું કે: આ કવિતા તો મારા મનનાં જ વિચારો છે, તે મારા હૃદયસોંસરવી ઊતરી ગઈ છે. ત્યાર બાદ તરત જ ગાંધીજીએ એમને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરૂદ આપી દીધું. ગાંધીજીના રાષ્ટ્રીય શાયરનો અર્થ એ હશે કે રાષ્ટ્રના જે બે વિભાગો પડી ગયા છે – ભણેલા અને અભણ – એ બેને સાંકળી શકે તે રાષ્ટ્રીય શાયર. એ બે વચ્ચેની દીવાલ, મેઘાણીની ભાષામાં કહીએ તો :

હે જી ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી
મનડાની આખરી ઉમેદ

વર્ગભેદ, જાતિભેદની જે ખોટી દીવાલ ઊભી હતી, તે દીવાલ એમને તોડી નાખવી હતી. તારા નામમાં ઓ સ્વતંત્રતા, મીઠી શી વત્સલતા ભરી … જેવાં ગીતો દ્વારા દેશભરમાં મેઘાણીએ ગાંધીજીના આદર્શોની અખંડિતતા રજૂ કરી છે. મારાં માતા-પિતાને મેં કોઈનો લાડકવાયો એટલે કે રક્ત ટપકતી સો સો ઝોળી તથા પરદેશી ભૂખ્યા ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં જેવાં ગીતો બહુ ગર્વભેર ગાતાં સાંભળ્યાં છે. ‘મુંબઈ સમાચાર’ના વરિષ્ઠ વાચકોએ પણ આ ગીતો ગાયાં જ હશે.

દેશભક્તિનો આ જ સમૃદ્ધ વારસો આપણે સંગીત-સાહિત્ય અને નાગરિક ધર્મ દ્વારા આપણાં સંતાનોને આપી જવાનો છે. મહાત્મા ગાંધી કે મેઘાણીની કલમ દરેક યુગમાં પ્રસ્તુત બની શકે એવી અમર છે. સરદાર પટેલે તો મેઘાણીને ભારતની સ્વતંત્રતાના યુદ્ધના એક અગ્રગણ્ય સૈનિક ગણાવ્યા હતા. તેમની વાણીમાં વીરતા હતી અને સરહદના જવાનોની વીરગાથા એ વખતે એમનાં કેટલાંય ગીતોમાં પ્રગટી હતી. યોગાનુયોગે આજે ‘ભારત છોડો’ (ક્વિટ ઈન્ડિયા) અથવા ક્રાંતિ દિન છે. રક્ત ટપકતી સો સો ઝોળીથી વધુ ઉત્તમ કોઈ ગીત આજે હોઈ ન શકે. Marie R. de la Coste કૃત Somebody’s Darling નામના ગીતનું મેઘાણીએ કરેલું ગુજરાતી રૂપાંતર એટલે આ ગીત. મારી રેવનલ ડી લાકોસ્ટે અમેરિકન કવયિત્રી, નર્સ અને ફ્રેન્ચ ટિચર હતાં. ‘સમબડી’ઝ ડાર્લિંગ’ કવિતાથી પ્રખ્યાત એ થયાં હતાં. ૧૮૬૪માં પ્રગટ થયેલું આ હૃદયદ્રાવક કાવ્ય યુદ્ધનો અસલી ચહેરો છે. અમેરિકન આંતરિક વિગ્રહ (સિવિલ વોર) દરમ્યાન લખાયેલા આ કાવ્યને મેઘાણીએ એટલું પોતીકું બનાવીને અનુવાદિત કર્યું છે કે કોઈને અણસાર સુધ્ધાં ન આવે કે રક્ત ટપકતી … ગીત પરભાષાનું છે.

કોઈનો લાડકવાયો ગીતના શબ્દો એટલા તો વીંધી નાખે એવા છે કે વાત નહીં. યુદ્ધભૂમિમાંથી લાશનો ખડકલો આવે છે, તેમાં એક લાશ હજુ કોઈએ ઓળખી નથી એટલે એમ જ પડી છે. એ પણ કોઈ માતાનો લાડકવાયો છે એ વ્યથા આ કાવ્યનું સંવેદનકેન્દ્ર બને છે. શહીદો-ક્રાંતિવીરોની દેશસેવા અને સમર્પણને યાદ કરીને નતમસ્તકે એમને વંદન કરી આ ગીત આજે જરૂર ગાજો અથવા સાંભળજો. મેઘાણીના હજુ એક લાજવાબ ગીતની કથા આવતા અંકે.

——————————

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે:

ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે.

કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી,

મુખથી ખમા ખમા કરતી
માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોદ્ધા જોવાને,
શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાને:

નિજ ગૌરવ કેરે ગાને
જખ્મી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલો:

અણપૂછયો અણપ્રીછેલો
કોઈનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઈ જનેતા ના’વી,
એને સીંચણ તેલ-કચોળાં નવ કોઈ બહેની લાવી:

કોઇના લાડકવાયાની
ન કોઈએ ખબર પુછાવી.

ભાલે એને બચીઓ ભરતી  લટો  સુંવાળી  સૂતી,
સનમુખ ઝીલ્યા ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી:

કોઈના લાડકવાયાની
આંખડી અમૃત નીતરતી.

કોઈના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં
આખરની સ્મૃિતનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં:

આતમ-દીપક ઓલાયા
ઓષ્ઠનાં ગુલાબ કરમાયાં.

કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એના હૈયા ઉપર કર-જોડામણ કરજો:

પાસે ધૂપસળી ધરજો,
કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે
એને ઓષ્ઠ-કપોલે-ભાલે  ધરજો ચુંબન ધીરે:

સહુ માતા ને ભગિની રે!
ગોદ  લેજો  ધીરે  ધીરે!

વાંકડિયાં એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા:

રે! તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી
એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી,

ઉરની એકાંતે રડતી
વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ઘોળી છેલ્લું તિલક કરંતા,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા:

વસમાં વળામણાં દેતાં,
બાથ ભીડી બે પળ લેતા.

એની કૂચકદમ જોતી અભિમાનભરી મલકાતી,
જોતી એની રુધિર-છલક્તી ગજ ગજ પહોળી છાતી,

અધબીડ્યાં બારણિયાંમાંથી
રડી હશે કો આંખ બે રાતી.

એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે:

કોઈના લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;

લખજો: ‘ખાક પડી આંહીં
કોઈના લાડકવાયાની.’

કવિ : ઝવેરચંદ મેઘાણી [‘યુગવંદના’ મુજબનો સમૂળો પાઠ]

http://www.jhaverchandmeghani.com/voice/IS-laadakavaayo.mp3

http://www.jhaverchandmeghani.com/voice/PD-laadakavaayo.mp3

ઝવેરચંદ મેઘાણીને નામે ચાલક વેબસાઈટ પરેથી સ-આભાર આગવાયેલાં ગીતોની કડી લીધી છે. પહેલી કડીમાં મેઘાણીનાં પુત્રી, ઇન્દુબહેન શાહનો અવાજ છે. જ્યારે બીજીમાં પ્રફુલ્લભાઈ દવેનો કંઠ છે.

—————————————

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 09 અૉગસ્ટ 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=436147

Loading

...102030...3,0743,0753,0763,077...3,0803,0903,100...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved