Opinion Magazine
Number of visits: 9685945
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ છે અટલ બિહારી વાજપેયીની 5 શ્રેષ્ઠ કવિતાઓ, જેનો તેઓ હંમેશાં ઉલ્લેખ કરતા હતા.

?, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|18 August 2018

અટલ બિહારી વાજપેયી ભારતના પૂર્વ પી.એમ. હોવાની સાથે સાથે એક સાહિત્યકાર પણ છે. અટલજીએ પોતાના જીવનકાળ દરમિયાન સંખ્યાબંધ કવિતાઓ લખી છે. આ કવિતાઓનો તે હંમેશાં પોતાના ભાષણ દરમિયાન ઉલ્લેખ કરતા હતા. તેમના પુસ્તક 'મેરી ઈક્યાવન કવિતા'માંથી પસંદ કરેલી આ છે પાંચ શ્રેષ્ઠ કવિતાઓ ..


1. કદમ મિલાકર ચલના હોગા

બાધાએં આતી હૈ આએં
ઘિરે પ્રલય કી ઘોર ઘટાએં,
પાવોં કે નીચે અંગારે,
સિર પર બરસે યદિ જ્વાલાએં,
નિજ હાથોં મેં હંસતે-હંસતે
આગ લગાકર જલના હોગા
કદમ મિલાકર ચલના હોગા

હાસ્ય-રુદન મેં, તૂફાનો મેં
અગર અસંખ્ય બલિદાનોં મેં,
ઉદ્યાનો મેં, વીરાનોં મેં,
અપમાનો મેં, સમ્માનો મેં,
ઉન્નત મસ્તક, ઉભરા સીના,
પીડાઓ મેં પલના હોગા
કદમ મિલાકર ચલના હોગા

ઉજિયારે મેં, અંધકાર મેં
કલ કહાર મેં, બીચ ધાર મેં
ઘોર ઘૃણા મેં, પૂત પ્યાર મેં
ક્ષણિક જીત મેં, દીર્ઘ હાર મેં
જીવન કે શત-શત આકર્ષક
અરમાનોં કો ઢલના હોગા
કદમ મિલાકર ચલના હોગા

સમ્મુખ ફૈલા અગર ધ્યેય પથ
પ્રગતિ ચિરંતન કૈસા ઈતિ અબ
સુસ્મિત હર્ષિત કૈસા શ્રમ શ્લથ
અસફલ, સફલ, સમાન મનોરથ
સબ કુછ દેકર કુછ ન માંગતે
પાવસ બનકર ઢલના હૌગા
કદમ મિલાકર ચલના હોગા

કુછ કાંટો સે સજ્જિત જીવન
પ્રખર પ્યાર સે વંચિત યૌવન
નીરવતા સે મુખરિત મધુબન,
પરહિત અર્પિત અપના તન-મન
જીવન કો શત શત આહુતિ મેં,
જલના હોગા, ગલના હોગા
કદમ મિલાકર ચલના હોગા

2. દો અનુભૂતિયાં

– પહલી અનુભૂતિ

બેનકાબ ચેહરે હૈ, દાગ બડે ગહરે હૈ
ટૂટતા તિલિસ્મ આજ સચ સે ભય ખાતા હું
ગીત નયા ગાતા હું

લગી કુછ એસી નજર બિખરા શિશે સા શહર
અપનોં કે મેલે મેં મીત નહીં પાતા હું
ગીત નયા ગાતા હું

પીઠ મે છુરી સા ચાંદ, રાહુ ગયા રેખા ફાંદ
મુક્તિ કે ક્ષણો મેં બાર બાર બંધ જાતા હું
ગીત નયા ગાતા હું

– દૂસરી અનુભૂતિ

ગીત નયા ગાતા હૂં

ટૂટે હુએ તારોં સે ફટે બાસંતી સ્વર
પત્થર કી છાતી મેં ઊગ આયા નવ અંકુર
ઝરે સબ પીલે પાત કોયલ કી કુહુક રાત

પ્રાચી મે અરુણિમ કી રેખ દેખ પાતા હું
ગીત નયા ગાતા હું

ટૂટે હુએ સપનો કી કૌન સુને સિસકી
અંતર કી ચીર વ્યથા પલકોં પર ઠિઠકી
હાર નહીં માનૂંગા, રાર નહીં ઠાનુંગા

કાલ કે કપાલ પે લિખતા મિટાતા હૂં
ગીત નયા ગાતા હું

3. દૂધ મેં દરાર પડ ગઈ

ખૂન ક્યોં સફેદ હો ગયા ?

ભેદ મેં અભેદ ખો ગયા
બંટ ગયે શહીદ, ગીત કટ ગએ,
કલેજે મેં કટાર દડ ગઈ
દૂધ મેં દરાર પડ ગઈ

ખેતો મેં બારુદી ગંધ,
તૂટ ગયે નાનક કે છંદ
સતલુજ સહમ ઉઠી, વ્યથિત સી બિતસ્તા હૈ
વસંત સે બહાર ઝડ ગઈ
દૂધ મેં દરાર પડ ગઈ

અપની હી છાયા સે બૈર
ગલે લગને લગે હૈ ગૈર
ખુદકુશી કા રાસ્તા, તુમ્હેં વતન કા વાસ્તા
બાત બનાએં, બિગડ ગઈ
દૂધ મેં દરાર પડ ગઈ

4. એક બરસ બીત ગયા

ઝુલસાતા જેઠ માસ
શરદ ચાંદની ઉદાસ
સિસકી ભરતે સાવન કા
અંતર્ઘત રીત ગયા
એક બરસ બીત ગયા

સીકચોં મેં સીમટા જગ
કિંતુ વિફલ પ્રાણ વિહગ
ધરતી સે અંબર તક
ગૂંજ મુક્તિ ગીત ગયા
એક બરસ બીત ગયા

પથ નિહારતે નયન
ગિનતે દિન પલ છિન
લૌટ કભી આએગા
મન કો જો મીત ગયા
એક બરસ બીત ગયા

5. મનાલી મત જઈયો

મનાલી મત જઈઓ, ગોરી
રાજા કે રાજ મેં

જઈઓ તો જઈઓ,
ઉડિકે મત જઈઓ,
અધર મેં લટકીહૌ,
વાયુદૂત કે જહાજ મેં

જઈયો તો જઈઓ,
સંદેશા ન પડ્યો,
ટેલિફોન બિગડે હૈ,
મિર્ધા મહારાજ મેં

જઈઓ તો જઈઓ
મશાલ લે કે જઈઓ
બિજુરી ભડ બૈરિન
અંધેરિયા રાત મેં

જઈયો તો જઈયો,
ત્રિશૂલ બાંધ જઈયો,
મિલેંગે ખલિસ્તાની,
રાજીવ કે રાજ મેં

મનાલી તો જઈયો
સુરગ સુખ પડ્હોં
દુઃખ નીકો લાગે, મોહે
રાજા કે રાજ મેં

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 17 અૉગસ્ટ 2018

http://www.gujaratimidday.com/news/national/these-are-the-atal-bihari-vajpayee-poetry-whom-he-always-used-to-sang-at-stage-2

Loading

વાજપેયી વહાલનો દરિયો

રમેશ ઓઝા|Opinion - Opinion|17 August 2018

વાજપેયીનું જાહેર જીવન આજીવન કોયડા સમાન તહ્યું છે; એ ત્યાં સુધી કે તેમની માંદગી અને મૃત્યુ પણ એક કોયડો બની રહ્યાં

સાંભળીએ તો સાંભળતા જ રહેવાનું મન થાય. વ્યક્તિત્વ એવું મૃદુ કે તેઓ સંઘપરિવારમાંથી આવતા હોવા છતાં અને પ્રસંગોપાત સંઘનો બચાવ કરતા હોવા છતાં નફરત કરતાં શરમ અનુભવાય. મનમાં થઈ આવે કે આવો માણસ આમ કેમ કરી શકે? કોયડાસમાન લાગે છે નહીં? જી હા, વાજપેયીનું જાહેરજીવન આજીવન કોયડા સમાન રહ્યું છે તે ત્યાં સુધી કે તેમની માંદગી અને મૃત્યુ પણ એક કોયડો બની રહ્યું.

કોઈ કહેતું કે અટલ બિહારી વાજપેયી ભલા માણસ છે, પણ ખોટા પક્ષમાં છે. કોઈ કહેતું કે એ ધૃતરાષ્ટ્રની સભામાં ભીષ્મપિતામહ હતા. લાચાર અને હતપ્રભ. કોઈ કહેતું કે વાજપેયી તો નટસમ્રાટ છે. સંઘપરિવાર માટે યોગ્ય સમયે કામમાં લઈ શકાય એવો કામનો માણસ. અવસર જોઇને ભૂમિકા ભજવે અને ચપટી વગાડતાં ભૂમિકા બદલે અને લોકો જોતા રહી જાય. કોઈ કહેતું કે એક પરિવારમાં જિંદગી વિતાવ્યા પછી તેઓ પરિવાર તરફના સ્નેહના શિકાર છે. કોઈ કહેતું કે તેમનામાં એકલા ચાલવા જેટલું મનોબળ અને ખંતનો અભાવ છે, એટલે સંઘની ફિલસૂફી સ્વીકાર્ય ન હોવા છતાં તેઓ હળવો વિરોધ કરીને પાણીમાં બેસી જાય છે. સંઘપરિવારમાંથી કોઈ કહેતું કે અટલ બિહારી વાજપેયી તો સંઘનું મહોરું છે અને ખરી સત્તા તો લાલકૃષ્ણ અડવાણી ધરાવે છે તો કોઈ વળી કહેતું કે વાજપેયી તો સંઘમાં ઘૂસી ગયેલા છદ્મવેશી કોંગ્રેસી છે. આમાંથી તમે જે વાજપેયીને પસંદ કરતા હો તેને લઈ શકો છો અને તમે સાવ ખોટા પડશો એવો ભય નહીં રહે.   

આવું સંકુલ વ્યક્તિત્વ બહુ ઓછા લોકો ધરાવતા હોય છે અને જે આવું વિરોધાભાસી વ્યક્તિત્વ ધરાવતા હોય એ કમસેકમ આદરને પાત્ર તો નથી જ નીવડતા, પરંતુ વાજપેયી તો પાછા આદરને પાત્ર પણ નીવડ્યા. ધરાર વહાલ ઉપજે એવું વ્યક્તિત્વ. રામચન્દ્ર ગુહા કહે છે એમ નરેન્દ્ર મોદી અને અમિત શાહને જોઇને જે લોકો વાજપેયીને વહાલ નહોતા કરતા એ પણ હવે વહાલ કરતા થઈ ગયા હશે. આને કહેવાય કોયડો. અટલ બિહારી વાજપેયી ભારતીય રાજકારણનો કોયડો હતા.

અટલ બિહારી વાજપેયીનો જન્મ મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર નજીક થયો હતો અને તેઓ બહુ નાની વયે રાષ્ટ્રીય સેવક સંઘમાં જોડાયા હતા. ગ્વાલિયરના રાજા અને રાજમાતા હિન્દુત્વવાદી હતા અને છાને ખૂણે સંઘને મદદ કરતા હતા. એટલે તો ગાંધીજીના હત્યારાઓમાંનો એક ગ્વાલિયરનો હતો. જન સંઘ/ભાજપને રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સૌથી પહેલાં પ્રવેશ મળ્યો એનું કારણ કેટલીક રિયાસતોનો ટેકો હતો. આ સ્થિતિમાં વાજપેયી પણ સંઘના સંપર્કમાં આવ્યા હતા અને રાષ્ટ્રવાદના રંગે રંગાયા હતા. એ પછી તો બીજાઓની સાથે બન્યું એવું તેમની સાથે પણ બન્યું અને આજીવન સંઘસહોદર બની રહ્યા. તેમણે ક્યારે ય સંઘની નીતિ અને ફિલસૂફીની ઉઘાડી ટીકા કરી નથી, ઊલટું સંઘી હોવા માટે ગર્વની લાગણી પ્રગટ કરી છે, પરંતુ પોતાને અને પક્ષને જ્યારે માફક ન આવે ત્યારે બાજુમાંથી સરકી જવાનો રસ્તો પણ શોધી લે. દૂર પણ ન જાય અને આંખ વીંચીને આંગળી પકડીને ચાલે પણ નહીં એનું નામ વાજપેયી.

મને ઘણીવાર એક પ્રશ્ન મનમાં થાય છે કે ૨૦૦૫માં લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાનની મુલાકાત વખતે પાકિસ્તાનના સ્થાપક મહમ્મદ અલી જિન્નાહને સેક્યુલર હોવાનું સર્ટિફિકેટ આપતા આવ્યા અને એ પછી તેમના પર જે પસ્તાળ પડી એ પ્રસંગ વાજપેયી સાથે બન્યો હોત તો શું પરિણામ આવ્યું હોત? અડવાણીને તો બિચારાને પક્ષના અધ્યક્ષપદેથી રાજીનામું આપવું પડ્યું હતું પણ તેમની જગ્યાએ જો વાજપેયી હોત તો કદાચ સિફતથી ઊગરી જાત. અહીં એક વાત નોંધવી જોઈએ કે એ સમયે સંકટમાં મુકાઇ ગયેલા અડવાણીના પડખે વાજપેયી નહોતા આવ્યા. તેમણે મભમ નિવેદન કર્યું હતું અને અડવાણીને મજા ચાખવા દીધી હતી. જો એ સમયે વાજપેયી-અડવાણીએ મળીને સંઘનિરપેક્ષ બી.જે.પી.ની ભૂમિકા લીધી હોત તો કદાચ સંઘ અને બી.જે.પી. વચ્ચેના સંબંધનું નવું સ્વરૂપ આકાર પામ્યું હોત. કદાચ. ખાતરી નથી, પણ વાજપેયીએ મદદ નહીં જ કરી.

આનું કારણ એ હતું કે હજુ બે વરસ પહેલાં અડવાણીએ વેંકૈયા નાયડુને આગળ કરીને અડવાણીએ પોતાને લોહપુરુષ તરીકે ઓળખાવડાવ્યા હતા અને એ રીતે ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી પછી વડા પ્રધાનપદ માટેની ઉમેદવારી આગળ કરી હતી. એ સમયે વાજપેયીએ ‘ન ટાયર ન રિટાયર અગલા ચુનાવ લાલજી કે નેતૃત્વ મેં લડા જાએગા’ એમ કહીને અડવાણીને ભોંઠપમાં મૂકી દીધા હતા. એ પછી અડવાણીએ શરમાઈને કહેવું પડ્યું હતું કે વાજપેયી તેમના નેતા છે અને તેઓ જ ૨૦૦૪ પછી બીજી મુદ્દત માટે વડા પ્રધાન બનશે. અટલ બિહારી વાજપેયી તેમના આજીવન સાથી, મિત્ર, હનુમાન કે લક્ષ્મણ જે કહો તે અડવાણી માટે પણ કોયડો હતા. 

ગાંધીજીની હત્યા પછી આર.એસ.એસ. પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે સંઘના નેતાઓને લાગ્યું હતું કે આપણો પણ પક્ષ હોવો જોઈએ, જે સંકટ સમયે સંઘની મદદ કરે. સંઘે હિંદુ મહાસભાના નેતા શ્યામા પ્રસાદ મુખર્જીને લઈને ભારતીય જન સંઘની સ્થાપના કરી હતી. સંઘે પોતાના તરફથી દિન દયાળ ઉપાધ્યાય, નાનાજી દેશમુખ અને અટલ બિહારી વાજપેયીને પક્ષનું કામ કરવા શ્યામબાબુને આપ્યા હતા. સંઘ પાસે ત્યારે મોટી હેડીના કોઈ નેતા જ નહોતા. પક્ષની સ્થાપના પછી તરત જ ડૉ. મુખર્જીનું અવસાન થયું અને એ પછીથી સંઘને એક પછી એક બહારથી અધ્યક્ષોને લાવીને કામ ચલાવવું પડતું હતું. કેટલાક અધ્યક્ષો તો એવા હતા જેમના તમે નામ પણ નહીં સાંભળ્યા હોય. છેલ્લા ઉછીના અધ્યક્ષ બલરાજ મધોક હતા. બલરાજ મધોકે જ્યારે સંઘની ઉપેક્ષા કરવા માંડી ત્યારે તેમને બહાર કાઢવાનું ઓપરેશન કરવું પડે એમ હતું. એ ઓપરેશન વાજપેયીએ કર્યું હતું. બલરાજ મધોકે પોતે મને કહ્યું હતું કે વાજપેયી બિનભરોસાપાત્ર ઊંડા માણસ છે. તેમના પેટમાં કેટલા વળ છે એની ખબર જ ન પડે. આમ બલરાજ મધોકને પણ વાજપેયી કોયડારૂપ લાગ્યા હતા. વાજપેયીના કારણે જન સંઘ સ્વતંત્ર થયો હતો.

અટલ બિહારી વાજપેયી પહેલીવાર ૧૯૫૭માં લોકસભામાં ચૂંટાયા હતા. લોકસભામાં વાજપેયીનું છટાદાર ભાષણ સાંભળીને જવાહરલાલ નેહરુ પ્રભાવિત થઈ ગયા હતા. કોઈ પ્રમાણ નથી, પરંતુ એમ કહેવાય છે કે વાજપેયીનું ભાષણ સાંભળીને નેહરુએ તેમની બાજુમાં બેઠેલા તેમના પ્રધાનના કાનમાં કહ્યું હતું કે આટલો સ્વસ્થ અને વિવેકી માણસ કોંગ્રેસમાં કેમ નથી! નેહરુ માટે વાજપેયીને ઊંડો આદર હતો અને સંસદની અંદરના સંસદીય રાજકારણમાં નેહરુ તેમનો આદર્શ હતા. એટલે તો ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયી જfયારે ૧૩ દિવસ માટે પહેલીવાર વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે નેહરુને અંજલિ આપતા કહ્યું હતું કે જે જગ્યાએ નેહરુ બેસતા એ જગ્યાએ આજે મને બેસવા મળ્યું એ માટે હું ગર્વ અનુભવું છું.

૧૯૬૪માં નેહરુ ગુજરી ગયા ત્યારે વાજપેયી રાજ્યસભામાં હતા. તેમણે નેહરુને જે અંજલિ આપી હતી તેનો નેહરુને અપાયેલી શ્રેષ્ઠ અંજલિઓમાં સમાવેશ થઈ શકે. તેમણે કહ્યું હતું: દલિતોએ તેનો તારણહાર ગુમાવ્યો છે અને દેશની જનતાએ આંખનો તારો ગુમાવ્યો છે. શાંતિએ તેનો સમર્થક ગુમાવ્યો છે અને વિશ્વએ એક રાહબર ગુમાવ્યો છે. નેહરુ અશક્યને શક્ય બનાવી શકતા હતા અને અકલ્પનીયને મૂર્તિમંત કરી શકતા હતા. સ્વતંત્ર વિચારના અધિકારી અને ગમે તેને સંચારિત કરી શકે એવું અદ્ભુત વ્યક્તિત્વ. ખુલ્લાપણું અને મોકળાશ. પ્રચંડ વ્યક્તિત્વ હોવા છતાં ય હળવાશ. દુશ્મન સાથે પણ મિત્ર જેવો વહેવાર રાખવાની ઉદારતા રાખનારા નખશીખ જેન્ટલમૅન હવે પછી કદાચ ભારતને નહીં મળે.

આ અવતરણ અહીં ટાંકવા પાછળના બે કારણો છે. એક તો અબુધ ભક્તોને જાણ થાય કે નેહરુ શું હતા અને એ પણ કોંગ્રેસના આજીવન વિરોધી વાજપેયીના મોઢે અને બીજું કારણ એ છે કે વાજપેયીએ પોતે જ પોતાને ખોટા સાબિત કર્યા. વ્યક્તિત્વને લાગેવળગે છે ત્યાં સુધી વાજપેયીમાં નેહરુના ઘણા ગુણ હતા. ભદ્રતામાં વાજપેયી બીજા નહેરુ હતા.

એટલે તો ૧૯૭૭માં જનતા પાર્ટીની સરકારમાં વિદેશ પ્રધાન બનેલા વાજપેયીએ પાકિસ્તાન અને ચીન સાથે સંબંધો સુધારીને નવી ઊંચાઈએ લઈ ગયા હતા. સંઘ માટે આ બે દેશો દુશ્મનની યાદીમાં સ્થાન ધરાવે છે. ભારતના શ્રેષ્ઠ અને સફળ વિદેશ પ્રધાનોમાં વાજપેયી સ્થાન ધરાવે છે. ૧૯૯૮માં ભારતે પોખરણમાં બીજું અણુ પરીક્ષણ કર્યું હતું. એ સમયે ઉત્સાહમાં સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીસે બફાટ કર્યો હતો કે ભારતે ચીનને ધ્યનમાં રાખીને અણુપરીક્ષણ કર્યું છે. વાજપેયીએ તરત જ વાત સંભાળી લીધી હતી, એટલું જ નહીં અમેરિકાએ મૂકેલા પ્રતિબંધો પણ ઉઠાવડાવી લીધા હતા. વડા પ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવામાં કોઈ કસર નહોતી છોડી. તેમના વખતમાં કારગીલની ઘટના બની હતી. તેમના વખતમાં સંસદભવન પર હુમલો થયો હતો, તેમના વખતમાં વિમાનનું અપહરણ થયું હતું અને એ છતાં દોસ્તીની પહેલ દરેક વખતે વાજપેયીએ કરી હતી. તારું મોઢું નહીં જોઉં નો અભિગમ શાસનમાં નથી ચાલતો કારણ કે દુનિયા આપણી રાહે નથી ચાલતી. આટલું ભાન હોય એ સફળ વિદેશ પ્રધાન કે વડા પ્રધાન બની શકે બાકી વિદેશ યાત્રાઓ કરવાથી કે પરાણે કોઈને વળગવાથી સંબંધો સુધરતા નથી.

અહીં પોખરણનો ઉલ્લેખ આવ્યો તો વાજપેયીની ખેલદિલીનો ઉલ્લેખ કરવો જોઈએ. ભૂતપૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવ ગુજરી ગયા ત્યારે તેમને અંજલિ આપતા વાજપેયીએ કહ્યું હતું કે પોખરણના બીજા અણુ પરીક્ષણનો શ્રેય નરસિંહ રાવને જાય છે. તેમણે બધી જ તૈયારી કરી લીધી હતી, પરંતુ ભારતની તૈયારીની જાણ અમેરિકાને થઈ જતા, અમેરિકાના દબાણ હેઠળ પરીક્ષણ પડતું મુકવું પડ્યું હતું. આમ ભારતના અણુ પરીક્ષણનો ૯૦ ટકા શ્રેય નરસિંહ રાવને જાય છે. આજે આપણને એવા વડા પ્રધાન મળ્યા છે જે છડેચોક બીજાના શ્રેયને પોતાના ખિસ્સામાં મૂકવામાં શરમ નથી અનુભવતા.

જનતા પાર્ટીના વિભાજન પછી જન સંઘીઓએ પાછો પોતાનો પક્ષ સ્થાપવાનો નિર્ણય લીધો હતો. અટલ બિહારી વાજપેયીએ જૂના જન સંઘને પાછો જીવતો કરવાની જગ્યાએ ભારતીય જનતા પક્ષની સ્થાપના કરવા નેતાઓને સમજાવ્યા હતા. તેઓ એમ માનતા હતા કે ભારતમાં લેફ્ટ ઓફ ધ સેન્ટર મધ્યમમાર્ગી પક્ષને લોકો સ્વીકારે છે અને પચરંગી ભારતમાં એની જ પ્રાસંગિકતા છે. બી.જે.પી.એ ગાંધીવાદી સમાજવાદની ફિલસૂફી અપનાવી હતી. સ્થાપના તો સરસમજાની થઈ પણ ૧૯૮૪માં મોટું વિઘ્ન આવ્યું. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને એ પછી તરત જ લોકસભાની ચૂંટણી યોજાઈ એમાં વિપક્ષો સાફ થઈ ગયા હતા. બી.જે.પી.ને કુલ મળીને લોકસભાની બે બેઠક મળી હતી અને ખુદ અટલ બિહારી વાજપેયી હારી ગયા હતા. એ પછી તેમને સંઘ અને બી.જે.પી.એ હાંસિયામાં ધકેલી દીધા હતા અને બી.જે.પી.એ જૂનો હિન્દુત્વનો કોમવાદી રાજકારણનો માર્ગ અપનાવ્યો હતો. એક દાયકાનો અરણ્યવાસ હતો. તેમને કોઈ પૂછતું નહોતું કે સલાહ લેવા જતું નહોતું. હવે બી.જે.પી.ને ઠાવકાઈનો ખપ નહોતો. રથયાત્રાથી લઈને બાબરી મસ્જિદ તોડવા સુધીની ઘટના તમે જાણો છો. જાએ તો કહાં જાએ એ વાજપેયીની જાણીતી કવિતા એકલતાના દિવસોમાં લખાયેલી કવિતા છે.

બી.જે.પી.ને વાજપેયી ત્યારે યાદ આવ્યા જ્યારે ઊભી કોમી તિરાડ પાડ્યા પછી પણ સત્તા સુધી પહોંચવા ન મળ્યું. જો ભારતના ઉદારમતવાદી હિંદુઓના મત મેળવવા હોય તો ઉદારમતવાદી ચહેરાની જરૂર છે. પેલો પ્રશ્ન તો પાછળ રહે જ છે કે વાજપેયી ખરેખર ઉદાર હતા કે ગોવિન્દાચાર્યએ કહ્યું હતું એમ ચહેરો (મુખોટા) હતા. હું આજે પણ ખાતરીપૂર્વક કહી શકતો નથી, કારણ કે વાજપેયીએ ક્યારે ય સંઘના ઝેરી રાજકારણની ખોંખારો ખાઈને ટીકા કરી નથી તો ખુલ્લું ઉઘાડે છોગ સમર્થન પણ કર્યું નથી. આમ ૧૯૯૫માં વાજપેયીને બી.જે.પી.ના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. કહો કે કરવા પડ્યા. એ પછી ૧૯૯૬માં ૧૩ દિવસની સરકાર અને ૧૯૯૮માં ૧૩ મહિનાની સરકાર વિષે તમે જાણો છો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વાજપેયી માટે એટલો બધો પ્રેમ શા કારણે છે એ પણ એક કોયડો છે. ૨૦૦૨માં વાજપેયીએ તો મોદીને રાજધર્મ પાળવાની શિખામણ આપીને નાક કાપ્યું હતું.

એ સમયે ગોવામાં મળેલી બી.જે.પી.ની કાર્યસમિતિ વખતે અટલજીએ આગ્રહ રાખ્યો હતો કે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને હુલ્લડોની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવાનું કહેવામાં આવે. પક્ષમાં નિર્ણય લેવાઈ ગયો હતો, પરંતુ જ્યારે કાર્ય સમિતિ મળી ત્યારે નરેન્દ્ર મોદીને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું નહોતું. ઊલટું લાલકૃષ્ણ અડવાણીએ નરેન્દ્ર મોદીનો બચાવ કર્યો હતો. વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ જ્યારે અડવાણી સામે જોયું ત્યારે તેમણે મોઢું ફેરવી લીધું હતું. મોદીને ત્યારે બચાવનારા અડવાણી તરફ નરેદ્રભાઈને અણગમો છે, કારણ કે તેમની વડા પ્રધાનપદની ઉમેદવારીનો અડવાણીએ વિરોધ કર્યો હતો.

૧૯૯૬માં ૧૩ દિવસની સરકારે રાજીનામું આપવું પડ્યું એ પછી અટલ બિહારી વાજપેયીએ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ નામનો મોરચો રચ્યો હતો. એન.ડી.એ.માં એક સમયે ૨૪ પક્ષો હતા. આ ૨૪ પક્ષોએ રાજકારણમાં અછૂત તરીકે ગણતા બી.જે.પી.ને સાથ આપ્યો એનું કારણ વાજપેયીની ઉદારતા હતું. દરેકને એમ લાગતું હતું કે વાજપેયી મર્યાદા નહીં ઓળંગે. એન.ડી.એ.ની રચના પછી વાજપેયીની સરકારે પૂરી મુદત ભોગવી હતી. આ રીતે અટલ બિહારી વાજપેયી ભારતના પહેલા વડા બન્યા જે ક્યારે ય કોંગ્રેસમાં નહોતા. તેમની પહેલાંના બધા જ ગેર-કોંગ્રેસી વડા પ્રધાનો ક્યારેકને ક્યારેક કોંગ્રેસમાં હતા. આ સિવાય વાજપેયીની સરકાર પહેલી બિન કોંગ્રેસી સરકાર હતી જેણે મુદત પૂરી કરી હતી. એન.ડી.એ.ના જવાબરૂપે કોન્ગ્રસે યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સની રચના કરી હતી અને એ રીતે દેશને સ્થિર મિશ્ર સરકારો મળવા લાગી હતી. આમ દેશમાં મિશ્ર સરકારોને સ્થિરતા આપવાનો શ્રેય પણ વાજપેયીને જાય છે.

છેલ્લે રામચન્દ્ર ગુહાના શબ્દોમાં આજના નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ઝેરીલું અને ડંખીલું રાજકારણ જોતાં વાજપેયી એ જ પરિવારના હોવા છતાં મીઠા જળની વીરડી નહીં પણ મીઠા પાણીના દરિયા જેવા લાગે છે. કવિ અનિલ જોશીની ભાષામાં કહીએ તો વાજપેયી વહાલનો દરિયો!

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની દૈનિક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 17 અૉગસ્ટ 2018

કાર્ટૂન સૌજન્ય : "ધ ઇન્ડિયન અૅક્સપ્રેસ", 17 અૉગસ્ટ 2018

Loading

એમ. કરુણાનિધિ, તમિલ સિનેમા અને રાજનીતિ

નિલય ભાવસાર|Opinion - Opinion|16 August 2018

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડી.એમ.કે. પાર્ટીના અધ્યક્ષ એમ. કરુણાનિધિનું તારીખ ૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ નિધન થયું, તેઓ ૯૪ વર્ષના હતા.

તેઓ કુલ પાંચ વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને ૧૩ વખત વિધાનસભાની ચૂંટણી લડીને તે તમામ ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા છે. કરુણાનિધિને લોકો પ્રેમથી કલાઇગ્નર એટલે કે કલાકાર તરીકે સંબોધતા હતા. તમિલનાડુને સામાજિક અને આર્થિક રીતે પ્રગતિશીલ રાજ્ય બનાવવામાં તેઓનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે, ભારતીય રાજનીતિમાં પણ તેઓનું યોગદાન અતુલનીય છે.

મુથુવેલ કરુણાનિધિને બાળપણથી જ લેખનકાર્યમાં રુચિ પેદા થઇ ગઈ હતી. પણ, જસ્ટિસ પાર્ટીના નેતા અલાગિરિસામીના ભાષણોએ તેમનું ધ્યાન રાજનીતિ તરફ કેન્દ્રિત કર્યું. કરુણાનિધિએ તેમની કારકિર્દીની શરૂઆત એક કુશળ ફિલ્મલેખક તરીકે કરી હતી અને તેમણે સૌપ્રથમ તમિલ ફિલ્મ ‘રાજકુમારી’ માટે સંવાદ લખ્યા હતા, ફિલ્મક્ષેત્રે તેમણે લખેલા સંવાદોમાં સામાજિક ન્યાય અને પ્રગતિશીલ સમાજની વાત રજૂ થતી હતી. તેમણે વર્ષ ૧૯૪૭થી લઈને વર્ષ ૨૦૧૧ સુધી એટલે કે લગભગ ૬૪ વર્ષ સુધી ફિલ્મ્સ માટે લેખનકાર્ય કર્યું છે અને તે સિવાય તેઓ ટેલિવિઝન માટે પણ લેખનકાર્ય કરી ચૂક્યા છે. તમિલ ફિલ્મ ‘પરાશક્તિ’(૧૯૫૨)માં કરુણાનિધિએ ફિલ્મના સંવાદો થકી અંધવિશ્વાસ, ધાર્મિક કટ્ટરતા અને તે સમયની સામાજિક વ્યવસ્થા પર પ્રશ્નો ઊઠાવ્યા હતા.

પોતાના વિચારોનો મોટાપાયે પ્રચાર કરવા માટે કરુણાનિધિએ ‘મુરાસોલી’ નામના એક અખબારનું પ્રકાશન પણ શરૂ કર્યું હતું, આ અખબાર બાદમાં DMK પાર્ટીનું મુખપત્ર બન્યું હતું. મલાઈકલ્લન, મનોહરા જેવી અનેક ફિલ્મ્સમાં પોતાના શાનદાર સંવાદલેખન થકી કરુણાનિધિ તમિલ ફિલ્મ ઉદ્યોગમાં સૌથી મોટા સંવાદ લેખક બની ચૂક્યા હતા. લેખક અને પત્રકાર તરીકે તેમનું યોગદાન અસાધારણ રહ્યું છે. તેમણે લગભગ ૨ લાખ કરતા પણ વધારે પાનાંનું લેખનકાર્ય કર્યું છે. કરુણાનિધિ ફિલ્મ કથા, પટકથા અને સંવાદ લેખક હોવાની સાથે-સાથે ગીતકાર પણ હતા, તેમણે તમિલ ફિલ્મ્સ માટે ૧૦થી ૧૫ જેટલાં ગીતો પણ લખ્યા છે. જે પૈકી વર્ષ ૧૯૬૬માં આવેલી તમિલ ફિલ્મ મરાક્કા મુદિયામા (How Can We Forget?) ફિલ્મમાં તેમણે લખેલાં ગીતના શબ્દો કંઇક આ પ્રમાણે હતા, “ગરીબોને રહેવા માટે કોઈ જગ્યા નથી, મંદિરમાં કોઈ ભગવાન નથી”.

કરુણાનિધિ ફિલ્મ લેખનના ક્ષેત્રમાંથી રાજનીતિમાં કેવી રીતે આવ્યા તે જાણવાનો આપણે અહીં પ્રયાસ કરીશું. વર્ષ ૨૦૧૪માં પ્રકાશિત લેખક એમ. માધવ પ્રસાદના CINE-POLITICS Film Stars and Political Existence in South India નામક પુસ્તકના દ્વિતીય પ્રકરણ MGR and the Roots of Cine-Politicsમાંથી કેટલીક વિગતો અહીં રજૂ કરવામાં આવી છે.

તમિલ રાષ્ટ્રવાદી રાજકારણની વાર્તામાં દ્રવિડ મુન્નેત્ર કઝાગમ કેન્દ્રસ્થાને રહેલ છે. વર્ષ ૧૯૪૯માં સી.એન. અન્નાદુરાઈ, એમ. કરુણાનિધિ તથા અન્ય બૌદ્ધિકો-કાર્યકરો દ્વારા DMK (દ્રવિડ મુન્નેત્ર કઝાગમ) પાર્ટીની શરૂઆત કરવામાં આવી હતી. આ પૂર્વે તેઓ DK (દ્રવિડ કઝાગમ) નામની પાર્ટી સાથે જોડાયેલા હતા, કે જેના નેતા ઈ.વી. રામાસ્વામી ઉર્ફે પેરિયાર હતા. પેરિયાર એક સમયે કોંગ્રેસી હતા અને મહાત્મા ગાંધીના અનુયાયી હતા, અને જ્યારે પેરિયારને લાગ્યું કે સુધારાનાં કાર્ય કરવામાં સ્થાનિક નેતાગીરી અડચણરૂપ બની રહી છે, ત્યારે તેમણે કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પેરિયારે પાર્ટીના પ્રમુખ તરીકે એક અલગ તમિલ રાષ્ટ્ર માટેની ઝુંબેશ પણ ચલાવી હતી, અને વર્ષ ૧૯૪૪માં તેમણે સ્વતંત્ર પાર્ટી DK(દ્રવિડ કઝાગમ)ની સ્થાપના કરી હતી. આ પાર્ટીએ તમિલનાડુમાં મોટાપાયે સામાજિક સુધારા માટેની ચળવળ ચલાવી હતી. DK પાર્ટીની સ્થાપનામાં પેરિયારના સૌથી નજીકના સહાયક સભ્ય અને લેખક એવાં અન્નાદુરાઈએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, અને બાદમાં તેઓ DMK પાર્ટી તરફથી તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

તે સમયે DMK (દ્રવિડ મુન્નેત્ર કઝાગમ) પાર્ટીના નેતાઓ કુશળ વક્તા, સાહિત્યકાર, નાટ્યલેખક અને કવિઓ હતા. પોતાની પાર્ટીનો પ્રચાર કરવાના હેતુસર DMKના નેતાઓએ સિનેમાનાં માધ્યમમાં ઝંપલાવ્યું હતું. એવું કહેવાય છે કે સોવિયેતના અનુભવોથી આકર્ષાઈને તેઓએ આ નિર્ણય લીધો હતો. પણ, આ ક્રાંતિકારી નેતાઓએ જનતા માટે કોઈ નવા પ્રકારના સિનેમાનો વિચાર નહોતો કર્યો પરંતુ, પોતાની પાર્ટીનો પ્રચાર અને વિચાર જનતા સુધી પહોંચાડવા માટે તેઓ સિનેમા ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા. આમ, તે સમયે રજૂ થયેલી અને ‘DMK ફિલ્મ્સ’ તરીકે ઓળખાતી ફિલ્મ્સમાં સામાજિક મુદ્દાઓ નાટકીય ઢબે રજૂ કરવામાં આવતા હતા. તે સમયે ‘DMK ફિલ્મ્સ’માં સામાન્યપણે પ્રચલિત માન્યતાઓનું ખંડન કરનાર વિચાર રજૂ કરતાં દ્રશ્યો, સમતાવાદી સિદ્ધાંતોનું નાટ્યાત્મક આલેખન, પ્રગતિશીલ સૂચનોની વ્યાપક રીતે ભજવણી, અને સાથે-સાથે ફિલ્મમાં ક્યાંક પાર્ટીના નેતાઓનું ડોક્યુમેન્ટરી ફૂટેજ રજૂ કરીને પાર્ટીનો પ્રચાર કરવામાં આવતો હતો. આ સિવાય ‘DMK ફિલ્મ્સ’માં પાર્ટીનો ધ્વજ અથવા તેના રંગ દર્શાવવા તથા પાર્ટીનું ચૂંટણી ચિહ્ન દર્શાવવું, આ સિવાય કેટલીક ફિલ્મ્સમાં પાર્ટીનો મૌખિક ઉલ્લેખ કરીને પાર્ટીનો મતપ્રચાર કરવામાં આવતો હતો.

વર્ષ ૧૯૫૨માં રજૂ થયેલી તમિલ ફિલ્મ ‘પરાશક્તિ(દેવી)’એ DMKની સૌથી વખણાયેલી ફિલ્મ હતી અને આ ફિલ્મના લેખક મુથુવેલ કરુણાનિધિ હતા. આ ફિલ્મના મુખ્ય અભિનેતા સિવાજી ગણેસન હતા, કે જેઓ DMK પાર્ટીના સ્થાપક સભ્ય હતા અને અભિનેતા MGR (એમ.જી. રામચંદ્રન)ના હરીફ હતા. ‘પરાશક્તિ’એ DMKની સફળ ફિલ્મ હતી. આ ફિલ્મમાં લંપટ પૂજારીનું નિરૂપણ અને તેના કલોપકારક સંદેશાની વાત રજૂ કરવામાં આવી હતી. પરંતુ, તે કહેવું પણ થોડું મુશ્કેલ છે કે પરાશક્તિ ફિલ્મ થકી તેઓએ પોતાની પાર્ટીનો પ્રચાર કેવી રીતે કર્યો હશે. આ સમયબિંદુ પછી MGR (એમ.જી. રામચંદ્રન) પણ DMK લેખકોના પ્રિયતમ બની ગયા હતા. લેખક અન્નાદુરાઈ અને કરુણાનિધિ દ્વારા તે સમયની ફિલ્મ્સમાં નવા પ્રકારની સામાજિક વિવેચનાનો પ્રચાર કરવામાં આવ્યો હતો, કે જેના સ્ટાર પ્રતીક સમાન અભિનેતા સિવાજી ગણેસન વર્ષ ૧૯૫૫ સુધી તેમની પાર્ટી સાથે જોડાયેલા રહ્યા હતા. ત્યારબાદ વર્ષ ૧૯૬૧માં તેઓ કોંગ્રેસ પાર્ટીની સાથે જોડાયા અને DMK પાર્ટીની સાથેનો પોતાનો ભૂતકાળ ભૂલવા માટે તેઓ ધાર્મિક ફિલ્મ્સમાં અભિનય કરવા માંડ્યા અને પોતાની છબી બદલવા માટે તેમણે કેટલીક પૌરાણિક ફિલ્મ્સમાં પણ કામ કર્યું હતું.

DMK ફિલ્મ્સનો ઈતિહાસ કુલ બે તબક્કામાં વહેંચાયેલો છે. પ્રથમ તબક્કો વર્ષ ૧૯૪૮માં શરૂ થાય છે અને આગામી દસ વર્ષ સુધી તેમાં અન્નાદુરાઈ, કરુણાનિધિ અને અન્ય લેખકોનું પ્રભુત્વ જોવા મળે છે. આ પ્રથમ તબક્કાનો સમય સામાજિક વિવેચનાનો હતો અને ત્યારે ફિલ્મકથામાં લેખકો પોતાનો અંગત દ્રષ્ટિકોણ રજૂ કરતા હતા. આ તબક્કા દરમિયાન ફિલ્મનો નાયક પણ સામાજિક વિવેચનાની સમજણ રજૂ કરતો હતો અને તેના પર ક્યારે ય સ્ટાર તરીકેનો ભાર મૂકવામાં આવતો નહોતો. DMK ફિલ્મ્સના બીજા તબક્કામાં વર્ષ ૧૯૫૭થી ૧૯૭૭ દરમિયાન અભિનેતા MGRનું પ્રભુત્વ રહ્યું. આ દરમિયાન ફિલ્મમાં સમગ્ર ચર્ચા માત્ર ફિલ્મના નાયકની આસપાસ જ વીંટળાયેલી જોવા મળતી હતી. MGRએ ફિલ્મ સ્ક્રીન પર પાર્ટીના એકમાત્ર પ્રવક્તા તરીકેનું સ્થાન જમાવ્યું અને તમામ લોકોનું ધ્યાન તેમનાં નેતૃત્વ તરફ કેન્દ્રિત કર્યું. MGRએ તેમની કારકિર્દીની શરૂઆતમાં લોકકથા આધારિત ઘણી એવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું, અને આ ફિલ્મ્સમાં એક્શન રજૂ કરવાની તક પણ પુષ્કળ પ્રમાણમાં હતી. લોકકથા આધારિત MGRની એક મુખ્ય ફિલ્મ મલાઈક્કલ્લન (૧૯૫૪) હતી અને આ ફિલ્મના સંવાદો કરુણાનિધિએ લખ્યા હતા, આ ફિલ્મ થકી MGRની સુપરહીરો તરીકેની છબી લોકમાનસમાં પ્રસ્થાપિત થઇ હતી.

વર્ષ ૧૯૭૧માં DMK પાર્ટીની તમિલનાડુમાં પ્રચંડ સફળતા બાદ કરુણાનિધિએ પોતાનું પદ મજબૂત કરવા માટે મોટા પ્રમાણમાં ફંડ એકત્રિત કરવાનું અને લોકોને પાર્ટીના સભ્ય બનાવવાનું શરૂ કર્યું. જેના કારણે MGRની લોકપ્રિયતા અને તેમની શક્તિને અસર થઇ રહી હોય તેવું જોવા મળ્યું. પોતાની જ પાર્ટીમાં MGRની સામે ટક્કર લેવા માટે કરુણાનિધિએ તેમના પુત્ર મુથુને ફિલ્મ ક્ષેત્રમાં ઉતાર્યો કે જેથી અભિનેતા MGRને મળતા ફિલ્મ કોન્ટ્રાક્ટ અટકી શકે. કરુણાનિધિએ રાજકીય સમાજશાસ્ત્રની સમજણ અનુસાર MGRની ઘટનાને એક એવું ઉત્પાદન ગણાવ્યું કે MGR એ એક એવી શક્તિ છે કે જે આધુનિક યંત્રોનો પ્રચાર કરે છે અને આ રીતે કરુણાનિધિએ પ્રજાના ભોળપણનો લાભ ઉઠાવ્યો. આ પ્રયાસ થકી MGRને લાગ્યું કે હવે સરકાર તેઓને ભ્રષ્ટાચારના આરોપ સહિત હાંસિયામાં ધકેલવા માંગે છે અને આ માટે MGRએ એવી માંગ ઉઠાવી કે નેતાઓ તેમની સંપત્તિ જાહેર કરે, પરંતુ, MGRને જ્યારે લાગ્યું કે હવે પાર્ટીના નેતાઓ જ તેમની શરતોને નકારી રહ્યા છે અને તેઓને પાર્ટી વિરોધી ગણાવી રહ્યા છે, ત્યારે MGRએ પોતાની નવી પાર્ટી ADMK શરૂ કરી.

હવે DMK પાર્ટીને જ્યારે એવું લાગ્યું કે MGRની નવી પાર્ટી ADMKની લોકપ્રિયતા વધી રહી છે ત્યારે DMKના નેતાઓએ MGRને પરદેશી કહેવાનું શરૂ કર્યું કારણકે તેઓ મૂળ મલયાલી હતા. અને MGR પર DMK દ્વારા એવા આરોપો પણ લગાવવામાં આવ્યા કે તેઓ હવે તમિલનાડુને કેરાળા બનાવવા જઈ રહ્યા છે. પણ, આ અને આ સિવાયના પણ અનેક આરોપ હોવા છતાં MGRની પ્રતિષ્ઠાને કોઈ નુક્સાન પહોંચ્યું નહિ અને વર્ષ ૧૯૭૭માં તેમની પાર્ટી AIADMK બહુમતી સાથે ચૂંટણી જીતી અને વર્ષ ૧૯૮૭ સુધી સતત ૧૧ વર્ષ રાજ કર્યું. આ ૧૧ વર્ષોને તમિલનાડુનો અંધકારમય સમય ગણવામાં આવે છે.

DMKના ભાગલા પડ્યા તેનો રાજકીય મર્મ જણાવતા લેખક નોંધે છે કે DMK એક ક્ષેત્રિય પાર્ટી હતી કે જેમાં તમિલનાડુના ચોક્કસ વર્ગ / જાતિના પ્રશ્નોને રજૂ કરવ માટે મંચ પૂરો પાડવામાં આવતો હતો. પાર્ટીની સામાજિક સુધારણાની પૃષ્ઠભૂમિ અને પોતાના વિચારોના પ્રચાર માટે સિનેમા માધ્યમનો ઉપયોગ કરીને તેમણે અપેક્ષા કરતાં વધુ લોકોને તૈયાર કર્યા હતા. પરંતુ, તેના પર અસર ત્યારે થઇ કે જ્યારે પાર્ટીનો ખરેખરો ઉદ્દેશ કે જે પાર્ટીમાં પ્રબળપૂર્વક અસર કરી રહ્યો હતો અને પાર્ટીના બહોળા અનુયાયીઓ વચ્ચે મોટું અંતર ઊભું થયું, અને આ ગતિશીલતાના પરિણામનો સામનો કરવાનો પાર્ટીનો મનોભાવ નહોતો. તેઓ અંકુશમાં રહે તેવી રાજ્યવ્યવસ્થામાં રસ ધરાવતા હતા અને તેઓ ક્યારે ય પાર્ટીને ક્રાંતિના વિષય તરીકે જોઈ શક્યા નહિ, અને પ્રજાના પણ પોતાના વિચારો હોય છે. ત્યારબાદ વર્ષ ૧૯૮૯માં MGRનું મૃત્યુ થતા કરુણાનિધિ અને DMK ફરી એકવખત રાજકીય સત્તા પ્રાપ્ત કરે છે. વર્ષ ૨૦૦૫માં કરુણાનિધિ પાંચમી વખત તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા અને જૂન ૨૦૧૮માં તેમણે તેમના ૯૪મા જન્મદિનની ઉજવણી કરી.

વર્ષ ૧૯૯૭માં આવેલી દિગ્દર્શક મણિરત્નમ્‌ની તમિલ ફિલ્મ ‘ઈરૂવર’ એ તમિલ અભિનેતા MGR અને લેખક કરુણાનિધિના સંબંધ આધારિત માનવામાં આવે છે. આ ફિલ્મમાં મલયાલમ અભિનેતા મોહનલાલ અને પ્રકાશરાજ મુખ્ય ભૂમિકામાં હતા.

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

...102030...3,0693,0703,0713,072...3,0803,0903,100...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved