Opinion Magazine
Number of visits: 9579792
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિમાગના અગડમ-બગડમ આદેશને અવગણીને એ પળને વીતી જવા દો

તરુ કજારિયા|Opinion - Opinion|11 July 2018

શક્ય છે કોઈ ભયાનક વાવાઝોડું ઝાઝું નુકસાન કર્યા વગર પસાર થઈ જાય

છેલ્લા થોડા સમયથી આત્મહત્યાના બનાવો જેટલી સંખ્યામાં અને જે ઝડપે બની રહ્યા છે એ ધ્રુજાવી દે એવા છે. લગભગ દરરોજ આવા એક-બે સમાચાર તો વાંચવા-સાંભળવા મળે જ મળે. વૉટ્સઍપ અને ફેસબુક પર આત્મહત્યાના લાઇવ રેકૉર્ડિંગ ફરતાં રહે છે! નવમા ધોરણની છોકરીને બહુમાળી ઇમારતના આઠમા માળેથી પડતું મૂકતાં જોઈને ગમે તેવા પથ્થરદિલ ઇન્સાનનું પણ હૃદય ધબકારો ચૂકી ગયું હશે. આ બધામાં નવી દિલ્હીના એક પરિવારના અગિયાર સભ્યોની આત્મહત્યાના સમાચાર તો સાક્ષાત્‌ કોઈ હૉરર ફિલ્મ! અને હા, આ સંખ્યામાં પેલા દેવાના બોજ હેઠળ દબાઈ ગયેલા ગરીબ ખેડૂતની આત્મહત્યાનો આંકડો સમાવિષ્ટ નથી!

આજકાલ થતી આત્મહત્યાઓ વિશે કોઈ સંશોધન કરે તો એક વાત ચોક્કસ નોંધે કે એમાંના મોટા ભાગના લોકોને નજીકથી જાણનારા પણ તેમની આત્મહત્યાનું કારણ કળી શકતા નથી, કેમ કે તેઓની જિંદગીમાંથી તેમને ક્યારે ય પણ આ વ્યક્તિ આવું પગલું ભરે એવો કોઈ જ અણસાર મળ્યો ન હોય. તાજેતરમાં જે કેટલીક વ્યક્તિઓએ આવાં પગલાં ભર્યાં છે તેમની જિંદગીમાં દેખીતી કોઈ જ કમી નથી લાગતી. ભૌતિક દૃષ્ટિએ ખાસ્સી સુખી એવી પોતાની જિંદગી માણતા હોય અને અચાનક જાન આપી બેસે એ વાત ગળે ઊતરે એવી નથી લાગતી. કાંદિવલીની એ વિદ્યાર્થિની ભણવામાં અને અન્ય પ્રવૃત્તિઓમાં પણ હોશિયાર હતી. તેની સ્કૂલમાં બેસ્ટ સ્ટુડન્ટનું બિરુદ તેણે મેળવ્યું હતું અને તેણે એ ઘાતક પગલું ભર્યું એ દિવસે તે સ્કૂલમાં જે ટીચર્સ કે સ્ટુડન્ટ્સને મળી હતી એ સૌને તે એકદમ મજામાં જ લાગેલી! દિલ્હીના પરિવારની વાત કરીએ તો તેમની સામૂહિક આત્મહત્યાના માત્ર પંદર દિવસ પહેલાં એ પરિવારની એક દીકરીની સગાઈ થઈ હતી. એ સગાઈના ફંક્શનમાં પરિવારજનો, ઘરનાં કિશોર-કિશોરીઓ વગેરે મન ભરીને મહાલ્યાં હતાં! ટૂંકમાં જ તેનાં લગ્ન પણ હતાં. હવે આવા માહોલમાં રહેતા સુખી પરિવારના સભ્યો આમ જાન દઈ દે?

થોડા સમય પહેલાં મુંબઈમાં પોતાનું છ માળનું મકાન ધરાવતા પિસ્તાલીસ વર્ષના એક વેપારીએ બપોરે પોતાને ગોળી મારીને જીવન ટૂંકાવી દીધું. ના, તેને પણ કોઈ આર્થિક ટેન્શન નહોતું. પરંતુ હા, તે ડિપ્રેશનમાં હતો. આ ડિપ્રેશન પણ અનેક વ્યક્તિને છેલ્લે પાટલે પહોંચાડી દે છે અને જીવવા માટે કોઈ જ કારણ નથી બચ્યું એવી ખાતરી કરાવી દે છે. પરંતુ જેની જિંદગીમાં કોઈ જ કમી ન હોય તેને ડિપ્રેશન આવે? આ સવાલ સામાન્યપણે થાય. ઘણાં સંશોધનો અને કેટલીક જાણીતી વ્યક્તિઓનાં આ વિશેનાં મંતવ્યો અનુસાર આ સવાલનો જવાબ છે, હા! દીપિકા પાદુકોણે હમણાં જ એક મુલાકાતમાં આ ખુલાસો કર્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે દીપિકા એક અત્યંત સફળ અને સિદ્ધિવંત અભિનેત્રી છે. તેણે કહ્યું હતું કે ‘૨૦૧૪માં જ્યારે મને ડિપ્રેશન આવ્યું ત્યારે મારી કારર્કિદી અત્યંત સફળ અને સુંદર મુકામ પર હતી. હું કલ્પના કરું એ બધું જ મારી પાસે હતું અને છતાં હું ડિપ્રેસ્ડ હતી! ડિપ્રેશન અચાનક મારી જિંદગીનો ભાગ બની ગયું હતું!’

બહુ કડવી લાગે એવી આ વાત છે પણ એ હકીકત છે. હિન્દી ફિલ્મોના જાણીતા અને પ્રતિભાશાળી અભિનેતા જેમણે હૉલીવુડમાં પણ પોતાની અભિનયકલા અજમાવી છે એ અનુપમ ખેરને હમણાં જ આઇફાનો લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ મળ્યો. તેઓ અભિનેતા ઉપરાંત લેખક અને લાઇફકોચ પણ છે. જિંદગી જીવવાના પાઠ શીખવતી કાર્યશાળાઓ અને સેમિનાર્સ પણ યોજે છે. તેમણે કહ્યું કે બે વર્ષ પહેલાં હું ડિપ્રેશનમાં હતો! એ સાંભળીને તેમની મુલાકાત લેનાર અનુભવી પત્રકાર પણ સ્તબ્ધ થઈ ગયો હતો. તેમની વાતનો સૂર પણ લગભગ દીપિકા જેવો જ છે. હકીકતમાં અનુપમ ખેર જ્યારે સાઇકિયાટ્રિસ્ટને કન્સલ્ટ કરવા ગયા ત્યારે લાઇફકોચ તરીકે પોતે લખેલું મોટિવેશનલ પુસ્તક ‘ધ બેસ્ટ થિંગ અબાઉટ યુ ઇઝ યુ’ લઈને ગયા હતા! આવી વ્યક્તિ પણ ડિપ્રેશનમાં હોઈ શકે એની નવાઈ મારા-તમારા જેવા માણસને થાય, પણ પેલા સાઇકિયાટ્રિસ્ટને અનુપમ ખેરનું નિદાન કરવામાં સમય નહોતો લાગ્યો અને તેમને સારવાર આપવાનું શરૂ કરી દીધું હતું.

આજે દુનિયામાં થતી મોટા ભાગની આત્મહત્યાઓ માટે ડિપ્રેશન જવાબદાર હોવાનું માનવામાં આવે છે. અને ડિપ્રેસ્ડ વ્યક્તિઓમાં સુસાઇડલ ટેન્ડન્સિસ જોવા મળતી હોય છે અને એટલે જ ડિપ્રેશન વિશેની વધતી જાગૃતિ એક વાત પર અચૂક ભાર મૂકે છે કે ડિપ્રેસ્ડ વ્યક્તિઓને શક્ય હોય ત્યાં સુધી એકલી ન મૂકવી. તેમની સાથે સંવાદનો સેતુ અકબંધ રાખવો. તેમની સાથે દલીલ કરવાને બદલે તેમને શાંતિથી અને સહાનુભૂતિથી સાંભળવી. બહુ શક્ય છે કે આવા સંવાદ અને સાથના સહારે તેઓ તેમના પર સવાર થઈ જતા સુસાઇડલ વિચારોના હવાલે થતા બચી જાય. અને એક વાર એ નબળી પળ પાર થઈ જાય તો તેમના અપમૃત્યુની આપત્તિ ટળી જાય.

દિલ્હીના ભાટિયા પરિવારની સામૂહિક આત્મહત્યા પાછળ દેખીતી રીતે આ ડિપ્રેશનનો હાથ નહોતો, પરંતુ કોઈ વિચિત્ર માનસિક પરિસ્થિતિ તો ચોક્કસ હતી એવું તપાસમાં તેમના ઘરના મંદિરમાંથી મળી આવેલી ડાયરીમાં લખેલી વિગતો જોતાં જણાય છે. ઘરની તમામ વ્યક્તિઓ જે હાલતમાં મળી આવી છે એ પેલી ડાયરીમાં લખેલી સૂચના પ્રમાણે જ છે. પરિવારે કોઈ ગૂઢ તંત્ર કે ગુરુની સૂચના અનુસાર આ પગલું ભર્યું હોવાનું લાગે છે. હવે વિચાર કરો કે એક સુખી પરિવાર, જેના ઘરમાં થોડા જ સમયમાં દીકરીનાં લગ્નનો માંડવો નખાવાનો છે એ આ રીતે સાગમટે પોતાની જાતને મોતને હવાલે કરી દેવાનો નિર્ણય લે એ ઘટના શું તેમની માનસિક સ્થિતિ વિશે સવાલો નથી ઊભા કરતી? ચોક્કસ કરે છે. બુદ્ધિપૂર્વક સમજી કે સમજાવી ન શકાય એવું કોઈ તર્કવિહીન અને પોતાની જાતને જોખમમાં મૂકી દેતું એવું વર્તન કોઈ વ્યક્તિ નૉર્મલ માનસિક સ્થિતિમાં તો ન જ લઈ શકે. કોઈ ધર્મગુરુ કે તાંત્રિકના પ્રભાવમાં કે સ્વપ્નમાં આવેલી વ્યક્તિની સૂચનાથી કોઈ પરિવારના તમામ સભ્યો મોતને ગળે વળગાડી દે એ પગલું લેનાર કોઈ પણ હોય, કમ સે કમ એ વખતે તેઓ પોતાની નૉર્મલ માનસિક સ્થિતિમાં હોય એમ લાગતું નથી. આમ આત્મહત્યા તરફ લઈ જતી દરેક શારીરિક ક્રિયા આખરે તો એ પળના ઍબ્નૉર્મલ માનસિક સ્ટેટસનું અને એના આદેશનું પરિણામ છે. એ કટોકટીની પળ વીતી જાય તો કદાચ વ્યક્તિ આવું ભયંકર પગલું લેતાં બચી જાય.

આ લેખનો આશય એ જ છે કે ક્યારે ય લાગે કે આપણું દિમાગ આપણને આ પ્રકારના કોઈ અગડમ-બગડમ આદેશ આપવા માંડ્યું છે તો ચેતી જવું. થોડા ધીમા પડી જવું અને એ પળને વીતી જવા દેવી. શક્ય છે કોઈ ભયાનક વાવાઝોડું ઝાઝું નુકસાન કર્યા વગર પસાર થઈ જાય.

સૌજન્ય : ‘સોશ્યલ સાયન્સ’, “ગુજરાતી મિડ-ડે”, 10 જુલાઈ 2018

Loading

જેમાં દાવ લગાડવામાં આવે અને હાર-જીત થાય એ જુગાર એ વ્યાખ્યા અધૂરી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|11 July 2018

જેમ ભવિષ્યના ભયથી ભાગવું એ માનવસહજ વૃત્તિ છે, તો ભવિષ્ય પર દાવ લગાવવો એ પણ માનવસહજ વૃત્તિ છે. એક માણસ ધાર્મિક અને આધ્યાત્મિક તરીકે સમાજમાં શોભા પામે અને બીજો જુગારી તરીકે ઓળખાય એ અન્યાય નથી?

હવે પછી શું થશે કે શું પરિણામ આવી શકે છે એનું અનુમાન કરવાની કે જાણી લેવાની ઉત્કંઠા માનવસહજ છે. એ એટલી જૂની વૃત્તિ છે જેટલો આદિમ માનવ છે. ખરું પૂછો તો જગતનો વિકાસ જ છણાવટો, અનુમાનો અને પરિણામલક્ષી જોખમો થકી થયો છે. એટલે તો જોખમ ખેડ્યું હતું એમ કહેવા માટે ‘દાવ લગાડ્યો હતો’ કે ‘જુગાર ખેલ્યો હતો’ એમ પણ કહેવામાં  આવે છે. માણસ જ્યારે પ્રાપ્ત હકીકતોની છણાવટ કરીને અને અનુમાનો બાંધીને દાવ લગાડે ત્યારે તેને તેમાં સફળતા મળે જ એવું નથી, પરંતુ એ સિવાય બીજો વિકલ્પ પણ નથી હોતો. સુખનો રસ્તો આ માર્ગે જાય છે. વર્તમાન એક પ્રગટ વાસ્તવિકતા છે, પરંતુ વર્તમાન એક ક્ષણમાં જતો રહેવાનો અને સમયના ગર્ભમાં રહેલા અપ્રગટ ભવિષ્યમાં આપણે જીવવાનું છે, એ બીજી વાસ્તવિકતા છે, સિવાય કે આ ક્ષણે જ મૃત્યુ આવે. હું આવતીકાલે હયાત હોવાનો એ ભરોસે માણસ જિંદગી જીવે છે અને માટે પ્રયત્નો કરે છે.

બીજી વૃત્તિ છે પ્રાપ્ત હકીકતોની કોઇ પણ પ્રકારની છણાવટ કર્યા વિના પરિણામ જાણી લેવાની ઉત્કંઠા. અહીંથી જ્યોતિષનો પ્રદેશ શરૂ થાય છે. શું પરિણામ આવશે એનો આધાર પ્રાપ્ત હકીકતો, તેની છણાવટ અને અનુમાન પર આધારિત નથી; પરંતુ ગ્રહદશા પર આધારિત છે. હકીકતોની છણાવટ કરવામાં તટસ્થવૃત્તિ જોઈએ અને તેનો સામનો કરતા કેટલાક લોકો ગભરાતા હોય છે. બીજી બાજુ આ કે પેલે પાર પરિણામ તો આવવાનું જ છે તો એમાં મારું શું થશે એના ડરથી પ્રેરાઈને માણસ જ્યોતિષના શરણે જાય છે.

ત્રીજી વૃત્તિ છે પરિણામો બદલી શકાય કે કેમ એની મથામણ કરવાની. અહીંથી ગુરુઓ, બાબાઓ, તાંત્રિકોનો પ્રદેશ શરૂ થાય છે. પરિણામ બતાવનારા જ્યોતિષીઓ અને પરિણામ બદલી આપવાનો દાવો કરનારાઓ આમ તો સહોદર હોય છે. પ્રાપ્ત હકીકતો, છણાવટો, અનુમાનો સાથે સ્નાનસૂતકનો સંબંધ નહીં અને છતાં ય કેટલાક લોકો પરિણામો બદલી આપવાનો દાવો કરતા હોય છે. મંત્રકૃપા, ગુરુકૃપા, માદળિયાં, રાખની પોટલી, વીંટી, યજ્ઞો, અનુષ્ઠાનો, માનતાઓ, જાત્રાઓના ભરોસે પરિણામો બદલવા માટે કેટલાક લોકો અથાક પ્રયત્નો કરતા રહે છે.

આપણે તેમને પૂછીએ કે આટલી મહેનત પ્રાપ્ત હકીકતોની ચકાસણી કરવા પાછળ તેમ જ બુદ્ધિપૂર્વક અનુમાનો કરીને જોખમ ઉઠાવવામાં અને જોખમ ઊંધું ન પડે એ માટે શક્ય એટલું બધું જ કરી છુટવા માટે કરી હોત તો? તો તેનો શું જવાબ મળે ખબર છે? તે મર્ત્ય માનવીની અસમર્થતા અને અમર્ત્ય ગ્રહોની સમર્થતાની વાત કરશે અને પ્રશ્ન પૂછનારને અજ્ઞાની અને અભિમાની સમજીને હસી કાઢશે.

તો એક બાજુ વાસ્તવિકતાઓનો સ્વીકાર કરીને, ચકાસીને, અનુમાનો કરીને પોતાના ભરોસે જોખમ ઉઠાવનારાઓ છે અને બીજી બાજુ આવું કાંઈ જ કર્યા વિના પરિણામો જાણી લેવાની ઉત્કંઠા ધરાવનારાઓ અને પરિણામો બદલવા ઈચ્છનારાઓ છે. એક બાજુ પુરુષાર્થીઓ છે અને બીજી બાજુ કૃપાર્થીઓ છે.

આમાં કોઈક જગ્યાએ જુગાર આવે છે. આપણે જેને રૂઢાર્થમાં જુગારી કહીએ છીએ એ કૃપાર્થી કે શરણાર્થી કરતાં વધારે બુદ્ધિમાન કે હિંમતવાન હોય છે એમ મારું માનવું છે. દાવ લગાડ્યા વિના ભવિષ્ય જાણીને શું કરશો? દાવ લગાડ્યા વિના અનુકુળ ભવિષ્યની ઈચ્છા રાખનારાઓ બાબાઓના પગમાં આળોટતા હોય છે અને તેમને તેમાં ક્યારે ય અનુકુળ ભવિષ્ય હાથ લાગતું નથી. એ એવો પોસ્ટ ડેટેડ ચેક છે જે ક્યારે ય વટાવાતો નથી. કોઈ શંકા જ નથી કે તેમના કરતાં જુગારી વધારે બુદ્ધિમાન અને હિંમતવાન હોય છે. 

પણ જુગાર એ અનૈતિકતા છે એનું શું? કેટલાક પ્રકારના જુગાર કાયદાકીય રીતે ગુનો છે એનું શું? પાછા અનૈતિકતાના માપદંડ અને અને કાયદાકીય પ્રતિબંધો આખા જગતમાં એક સરખા નથી. એક જગ્યાએ જે ગુનો છે તે બીજી જગ્યાએ રમત છે. પાછા જુગારના પ્રકાર પણ આખા જગતમાં અનેક પ્રકારના છે. જેમકે ૧૯મી સદીમાં મુંબઈમાં આજે વરસાદ પડશે કે નહીં એ વાતે વરસાદનો જુગાર રમાતો હતો. માનવ સમાજમાં જેટલી ભાષાકીય અને અન્ય વિવિધતાઓ છે એટલી જ જુગારની પણ વિવિધતા છે, કારણ કે જુગાર એ અનુમાન કરીને દાવ લગાડવાની એક માનવસહજ વૃત્તિ છે અને એટલે રમત છે. તો બે વાત છે; એક છે અનુમાન કરવાની માનવસહજ વૃત્તિ અને બીજી દાવ લગાડીને નસીબ અજમાવવાની રમત. જેમ ભવિષ્યના ભયથી ભાગવું એ માનવસહજ વૃત્તિ છે, તો ભવિષ્ય પર દાવ લગાવવો એ પણ માનવસહજ વૃત્તિ છે. એક માણસ ધાર્મિક અને આધ્યાત્મિક તરીકે સમાજમાં શોભા પામે અને બીજો જુગારી તરીકે ઓળખાય એ અન્યાય નથી?

હાર-જીત એ ગુનાનો માપદંડ ન હોય શકે. જો એમ હોય તો શેર બજારમાં કે બીજા બજારોમાં કરવામાં આવતા વાયદાના સોદાઓ પણ જુગાર કહેવાય. જેમ ક્રિકેટમાં કઈ ટીમ મજબૂત છે, કોણ ખેલાડી ફોર્મમાં છે, કોણ કોચ છે, કેવી પીચ છે, ટીમ પર કેટલું પ્રેશર છે વગેરે વાસ્તવિકતાઓની છણાવટ કરીને અનુમાન બાંધવામાં આવે છે અને પૈસા લગાડવામાં આવે છે તો શેર બજારમાં કે અન્ય બજારમાં વાયદાના સોદા કરનારા પણ એ જ કરે છે. ફરક એટલો છે કે વાયદાના સોદા કોઈ જણસને લઈને થાય છે, જ્યારે અહીં જણસ નથી હોતી, માત્ર અનુમાનિત પરિણામના આધારે થાય છે અને માટે સમાજ તેને જુગાર તરીકે ઓળખે છે. વાત એક જ પણ સ્વરૂપ જુદું એટલે એક ધંધો અને બીજો જુગાર.

એટલે તો કાયદા પંચે સલાહ આપી છે કે જુગારને કાયદાકીય માન્યતા આપવામાં આવે. માનવસહજ વૃત્તિ પર પ્રતિબંધ મુકનારા કાયદા સફળ ન થાય. તમે જો કોઈ ચીજને દુર્ગુણ તરીકે ઓળખાવતા હોય અને એ નિર્વિવાદ દુર્ગુણ હોય તો પણ રાજ્ય તેના પર અંકુશ મુકવામાં સફળ ન નીવડી શકે. માણસ ત્યારે જ સુધરે છે જ્યારે તેને પોતાને સુધરવાની પ્રેરણા થાય. જો બીજા થકી માણસ સુધરતો હોત તો આપણા દેશના અસંખ્ય બાબાઓએ અને બાપુઓએ ભારતને સ્વર્ગ બનાવી નાખ્યું હોત. કાયદાઓની જરૂર જ ન પડત. ઊલટું તેમના આશ્રમોમાં તમે જે કલ્પના કરી શકો એવી દરેક પ્રકારની પાપલીલાઓ થતી હોય છે.

કાયદા પંચે બીજી ભલામણ એ કરી છે કે જુગારને કાયદાકીય માન્યતા આપીને તેનું નિયમન કરવામાં આવે. નિયમન માટેની ભલામણ પાછળનું કારણ એ છે કે આજકાલ જુગાર એ અબજો રૂપિયાનો અને પાછો વૈશ્વિક ધંધો થઈ ગયો છે. આ ધંધો છે માનવસહજ વૃત્તિને ધંધામાં રૂપાંતરિત કરવાનો ધંધો. અનુમાન કરીને દાવ લગાડનારા માટે અનુમાન કરવાનો આનંદ છે, દાવ લગાડવાની હિંમત છે, કદાચ લાલચ છે; પણ તેનું બેટિંગ લેનારા બુકીઓ માટે એ ધંધો છે. કાયદા પંચ કહે છે કે બેટિંગના આખા નેટવર્કનું નિયમન થવું જોઈએ. જેમ સેબી શેરબજારનું નિયમન કરે છે અને બીજી એજન્સીઓ વાયદાના સોદાઓનું નિયમન કરે છે એમ કોઈ એજન્સી હોવી જોઈએ જે બેટિંગનું નિયમન કરે. આનું કારણ છેતરપિંડી રોકવાનું છે. બન્ને જુગાર છે અને બન્નેનું સ્વરૂપ લગભગ એક સરખું છે. બન્નેમાં હાર-જીત થાય છે. જેમાં દાવ લગાડવામાં આવે અને હાર-જીત થાય એ જુગાર એ વ્યાખ્યા અધૂરી છે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 11 જુલાઈ 2018

Loading

જમણેરી બૌદ્ધિકોનો ટેકો શા માટે ખસી રહ્યો છે એનું આ રહ્યું તાજું ઉદાહરણ

રમેશ ઓઝા|Opinion - Opinion|9 July 2018

ગઈકાલે, રવિવારની કોલમમાં, મેં લખ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે અત્યારે જે પ્રતિષ્ઠાનું સંકટ પેદા થયું છે, એનું મુખ્ય કારણ જમણેરી બૌદ્ધિકોનો ખસી રહેલો, ખરું પૂછો તો ખસી ચૂકેલો ટેકો છે. ૨૦૧૪માં તેમણે નરેન્દ્ર મોદીની વડા પ્રધાનપદની ઉમદવારીને ટેકો આપ્યો હતો અને મોદીનો વિરોધ કરી રહેલા ડાબેરી બૌદ્ધિકોનો મુકાબલો કર્યો હતો. બી.જે.પી.ને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી એનું એક મહત્ત્વનું કારણ જમણેરી બૌદ્ધિકોએ મોદીને આપેલું સર્ટિફિકેટ હતું.

તેમને ત્યારે એમ લાગ્યું હતું કે નરેન્દ્ર મોદી વિકાસને વરેલા માણસ છે, અને જો કોઈ માણસ દેશના અટકી પડેલા વિકાસ માટે જદ્દોજહદ કરતો હોય તો તેઓ નૈતિકતાની નાની-મોટી શિથિલતા ચલાવી લેવા તૈયાર હતા. શરૂઆતના સમયમાં હિન્દુત્વવાદીઓ કાયદો હાથમાં લેતા હતા, ત્યારે પણ તેઓ વડા પ્રધાનને શંકાનો લાભ આપીને તેમનો બચાવ કરતા હતા.

પરતું હવે તેઓ ટેકો આપતા બંધ થઈ ગયા છે અને કેટલાક તો ઉઘાડી ટીકા કરવા લાગ્યા છે? શા માટે? તેમને બે હકીકત નજરે પડી છે; એક તો એ કે વડા પ્રધાન જદ્દોજહદ નથી કરતા, મીડિયા પરની હેડ લાઈનને ધ્યાનમાં રાખીને નીતનવા ખેલ પાડતા રહે છે. બીજું એના કરતાં પણ મહત્ત્વનું કારણ એ કે વડા પ્રધાનને દેશમાં કાયદાનું રાજ (રુલ ઓફ લૉ) જળવાઈ રહે એમાં પણ રસ નથી. જો કાયદાનું રાજ ન જળવાય તો વિકાસ તો બાજુએ રહ્યો, દેશમાં અરાજકતા પેદા થાય જેની કિંમત બહુમતી કોમ સહિત આખા દેશે ચૂકવવી પડે. નૈતિકતા સાથે નાના-મોટા સમાધાનો અને શિથિલતા માન્ય, પણ અરાજકતા નહીં.

ગઈકાલના લેખનો સાર અહીં ટાંકવાનો હેતુ એ છે કે રવિવારના અખબારોમાં એનું નક્કર પ્રમાણ જોવા મળ્યું. કોઈ ભક્ત કે ભાટ ઇન્કાર ન કરી શકે એવું.

કેન્દ્રીય પ્રધાન જયંત સિન્હા ઝારખંડના હઝારીબાગથી ચૂંટાયેલા લોકસભાના સભ્ય છે. ચોથી જુલાઈએ તેઓ હઝારીબાગ આવ્યા હતા અને બજારમાંથી હાર મગાવીને કોઈની રાહ જોઇને બેઠા હતા. તેમને ખબર હતી કે ગયા વરસે હઝારીબાગમાં મટનનો ધંધો કરનારા અલીમુદ્દીન અન્સારીની ટોળે મળીને હત્યા કરનારા હિદુત્વવાદી ગોરક્ષકોને આજે જામીન મળવાના છે અને તેઓ સીધા તેમના ઘરે આવવાના છે. જયંત સિન્હાએ તેમનું સ્વાગત કરવા માટે હાર મગાવી રાખ્યા હતા. અહીં એક હકીકત નોંધી લો. અલીમુદ્દીનની મારી મારીને હત્યા કરનારાઓ આરોપી નથી, તકસીરવાર (આય રિપીટ તકસીરવાર) ઠરાવવામાં આવેલા અને સજા પામેલા ગુનેગારો છે. ગુનેગારોએ રાબેતા મુજબ વડી અદાલતમાં અપીલ કરી હતી, જેમાં છ ગુનેગારોને વડી અદાલતે જામીન પર છોડ્યા હતા. જામીન પર છૂટ્યા પછી ગુનેગાર ગોરક્ષકો સીધા જયંત સિંહાના ઘરે ગયા હતા, જ્યાં કેન્દ્રીય પ્રધાને તેમને હાર પહેરાવીને સન્માનિત કર્યા હતા. હાર દ્વારા સન્માનિત ગુનેગારો સાથેની જયંત સિન્હાની તસ્વીર વાયરલ થઈ ગઈ છે, એટલે હવે બચાવ કરવા માટે કોઈ જગ્યા બચી નથી.

તમારા મનમાં કદાચ એવા વિચાર ચાલતા હશે કે જયંત સિંહાની આ ભૂલ માટે પક્ષે ઠપકો આપ્યો હશે, પક્ષના પ્રવક્તાએ ખુલાસો કર્યો હશે, ગુનેગારો હિન્દુત્વવાદી કાર્યકરો નથી એવો ખુલાસો કર્યો હશે, જયંત સિન્હાનું કૃત્ય તેમનું અંગત છે, જેવા કોઈક બચાવ કર્યા હશે કે જેથી પક્ષની પ્રતિષ્ઠા જળવાઈ રહે. ના એવું નથી. ઊલટું પક્ષની અંદર ગુનેગારોને કોણે જામીન પર છોડાવ્યા એનો શ્રેય લેવાની બાબતે ઝઘડો શરૂ થયો છે. બી.જે.પી.ના રામગઢના વિધાનસભ્ય શંકર ચૌધરીએ કહ્યું છે કે ટોળે મળીને હત્યા કરનારા ગુનેગારો જામીન મળ્યા પછી સીધા જયંત સિંહના ઘરે ગયા, એનો અર્થ એવો નથી કે તેમણે ગુનેગારોને જામીન અપાવ્યા છે. શંકર ચૌધરી દાવો કરે છે કે તેમણે ગુનેગારોને જામીન અપાવ્યા હતા અને જયંત સિન્હા પર વચ્ચેથી જશ આંચકી જવાનો આરોપ મૂક્યો છે.

બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના રામગઢ જિલ્લાના અધ્યક્ષ પપ્પુ બેનર્જીએ કહ્યું હતું કે ગુનેગારોને વડી અદાલતમાં જામીન મળે એ માટે જયંત સિન્હાએ અથાક પ્રયત્નો કર્યા હતા. જયંત સિન્હા વચ્ચેથી જશ આંચકી ગયા એ શંકર ચૌધરીનો આક્ષેપ ખોટો છે. પપ્પુ બેનર્જી ગુનેગારોને જામીન મળ્યા, એ પછી સીધા જયંત સિંહાના ઘરે લઈ ગયા હતા, જ્યાં કેન્દ્રીય પ્રધાન ગુનેગારોની રાહ જોઇને બેઠા હતા અને તેમણે ગુનેગારોનું સ્વાગત કર્યું હતું.

બોલો શરમાવાની જગ્યાએ કોણે કાયદાની ઐસીતૈસી કરી, કોણે અદાલતને પ્રભાવિત કરી, કોણે ન્યાયનું કાસળ કાઢ્યું, કોણ કાયદો હાથમાં લેનારા માતેલા સાંઢોને પોષી રહ્યું છે, એનો શ્રેય લેવાની હોડ શરૂ થઈ છે. જમણેરી બૌદ્ધિકોએ આવી કલ્પના નહોતી કરી કે કાયદાના રાજનું કાસળ કાઢવામાં આવશે અને ઉપરથી તેનો બચાવ કરવામાં આવશે, એટલું જ નહીં તેના જશના દાવા કરવામાં આવે. એટલે તો જયંત સિંહાના પિતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિન્હાએ કહ્યું છે કે ‘હું (યશવંત સિન્હા) નપાવટ પુત્રનો બાપ છું’. તેમણે કહ્યું હતું કે ૨૦૦૨માં ગુજરાત કાંડ વખતે મેં વિરોધ નહોતો કર્યો, ત્યારે હું ભલા પુત્રનો નપાવટ બાપ હતો. આજે ઊલટું છે. પોતાના પુત્રના રાજકારણ વિષે આના કરતાં વેદનાભરી પ્રતિક્રિયા ભાગ્યે જ જોવા મળશે. વરસ પહેલાં યશવંત સિન્હાએ દેશની આર્થિક સ્થિતિની ટીકા કરી, ત્યારે પક્ષે યશવંત સિન્હા સામે તેમના જ પુત્ર જયંત સિન્હા દ્વારા ટ્રોલિન્ગ કરાવ્યું હતું અને પુત્રે સત્તા ટકાવી રાખવા કર્યું પણ હતું.

થોડા દિવસ પહેલાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને પક્ષ દ્વારા કરાવવામાં આવતા ટ્રોલિંગનો અનુભવ થયો. મુસ્લિમ યુવક સાથે લગ્ન કરનાર હિંદુ યુવતીને પાસપોર્ટ ખાતાનો એક અધિકારી પાસપોર્ટ બનાવીને નહોતો આપતો. એ યુવતીએ વિદેશ પ્રધાનને ટ્વીટ કરીને અધિકારીના કોમી પૂર્વગ્રહ વિષે ફરિયાદ કરી હતી. સુષ્મા સ્વરાજે એ યુવતીને પાસપોર્ટ મળે એ માટે મદદ કરી હતી, અને ધર્મના નામે કરવામાં આવતા ભેદભાવની ટીકા કરી હતી. બસ. સુષ્મા સ્વરાજની માણસાઈ જોઇને હિન્દુત્વવાદી ટ્રોલ્સનું કટક ઊતરી પડ્યું હતું. હિંદુ રાષ્ટ્રમાં માણસાઈ? ખબર નથી રાજ કોનું છે? તેમને ભાતભાતની ગાળો આપવામાં આવી હતી અને કોંગ્રેસમાં જતા રહેવાની વણમાગી સલાહ આપવામાં આવી હતી.

દીકરા પાસે બાપ સામે ટ્રોલ કરાવવામાં આવે છે, અને કેન્દ્રીય પ્રધાન સામે ટ્રોલનું કટક ઉતારવામાં આવે છે. ૩૦મી જૂને સોશ્યલ મીડિયા ડે હતો અને વડા પ્રધાને યુવાનોને મુક્ત અભિવ્યક્તિ માટે અભિનંદન આપ્યા હતા. પહેલી જુલાઈએ ચાર્ટર્ડ એકાઉન્ટસી ડે હતો ત્યારે વડા પ્રધાને ટ્વીટ કરીને સી.એ. લોકોને અભિનંદન આપ્યા હતા. કોઈના ઘરે પારણું બંધાય તો ટ્વીટ કરીને અભિનંદન આપવા માટે વડા પ્રધાન પાસે સમય છે, પરંતુ તેમના સાથીને ટ્રોલ્સ ગાળો દેતાં હોય ત્યારે તેમને વારવા માટે તેમની પાસે સમય નથી. કેન્દ્રીય પ્રધાનોમાં માત્ર રાજનાથ સિંહ અને નીતિન ગડકરીએ ટ્રોલિંગની નિંદા કરી છે. દેશના રાષ્ટ્રપતિ અને બીજા નેતાઓએ ટીકા કરી છે. વડા પ્રધાન ચૂપ છે, કારણ કે તેઓ ટ્રોલ્સને ફોલો કરે છે.

આવી સ્થિતિમાં જમણેરી બૌદ્ધિકોનો ટેકો ખસી ન જાય તો બીજું શું થાય?

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 09 જુલાઈ 2018

Loading

...102030...3,0613,0623,0633,064...3,0703,0803,090...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved