Opinion Magazine
Number of visits: 9579800
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અલવિદા, કરુણાનિધિ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 August 2018

દ્રમુક નેતા કરુણાનિધિ, ચેન્નાઈના મરીના બીચ પર દરિયા સાથે હરીફાઈ કરતી માનવભરતીની સાખે તિરંગામાં લપેટાઈ ગયા : ક્યારેક ભાગલા સુધી જઈ શકી હોત એવી ચળવળના નેતા રાષ્ટ્રધ્વજથી આવૃત્ત થઈ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ગયા એનો માયનો હાલના હુકમરાનો સહિત સૌએ કાળજે ધરવા જોગ છે.

વાત એમ છે કે આઝાદ તો થયા, રાષ્ટ્રભાનને હિંડોળે ઝૂલ્યા ને ઝૂલશું; પણ એક અર્થમાં આપણી પ્રજાસૂય નિયતિ (જેમ બીજા મુલકોનીયે હોઈ શકે છે) એક તૈયાર ફોટો ફિનિશ નૅશન કરતાં વધુ તો ‘ઍ નૅશન ઇન મેઇકિંગ’ નિત્ય રાષ્ટ્રમાન એવી એક પ્રક્રિયાની છે. આ બાબતે જે સભાનતા અને સૂઝ સ્વરાજસંગ્રામના સુદીર્ઘ ઉછેરગત આપણે દાખવી અને કેળવી શક્યા તેનું વિત્ત ને કૌવત કેવું ને કેટલું હશે એનું એક માપ આપણી સાથે જ આઝાદ થઈ અસ્તિત્વમાં આવેલ પાકિસ્તાને એક નવા રાષ્ટ્રને સ્વીકારવાની જે નોબત આવી તે બાંગલા ઘટનાના ઉજાસમાં તરત સમજાઈ રહેશે.

નવી દિલ્હીમાં ગોરા સાહેબો ગયા અને બ્રાઉન કે બ્લૅક સાહેબો આવ્યા, એ જો સ્વરાજ આંદોલનમાં ઉછરેલા ન હોત તો એમણે સાંસ્થાનિક ગાદીની જેમ એક ઇમ્પિરિયલ સિટ ઑફ પાવર તરીકે બધું રોડવ્યું હોત. જેણે બાંગલા રાષ્ટ્રીયતાને હવા ને ખાણદાણ પૂરાં પાડ્યાં એવું પાક પંજાબી મિલિટરી માનસ અહીં ગાદીનશીન હોત તો આજે નેહરુપટેલનું જે એકસૂત્ર રાજકીય ભારત અશોક અને અકબરને વટીને બની આવ્યું છે એ ક્યાંથી હોત?

નવી દિલ્હીએ સાંસ્થાનિક માનસ અને ખાલસા અભિગમ દાખવી આંધ્ર અસ્મિતાના ભાને તેલુગુ દેશમ્ ‌સારુ ભોંય તૈયાર કરી. દક્ષિણમાં દ્રવિડ ઓળખનું રાજકારણ તો એક તબક્કે દેશથી છૂટા પડવાની હદે કાઠું કાઢી ચૂક્યું હતું. કરુણાનિધિ જે દ્રવિડવાદની, અલગ ઓળખના રાજકીય-સાંસ્કૃિતક ભાનની નીપજ હતા એમાંથી તમે જુઓ કે આગળ ચાલતાં એ કેન્દ્રવિરોધી લાગે ત્યારે પણ દ્રવિડ પ્રાથમિકતાપૂર્વક એક સમવાયી ભારતના ઝુઝારુ જણ બની રહ્યા. યુનિટરી સ્ટેટ અને એકલઠ્ઠ રાષ્ટ્રવાદને બદલે નવી દિલ્હી જેટલી હદે સર્વસમાવેશી લવચીકતા ને સમવાયી મોકળાશ દાખવી શક્યું એટલે અંશે કથિત અલગતાવાદી છેડેથી પણ સૌની સાથે રહેવાની શક્યતા ઊભી થઈ શકી.

રાજાજી જેવા, એક અર્થમાં તો સંસ્કૃિતપુરુષ સમા જે દક્ષિણદેશને દિલ્હી તખતે પ્રતિનિધિત કરતા હતા એ દક્ષિણદેશને દિલ્હી બધો વખત પોતાનું લાગતું હતું એવું તો નહોતું. પણ ચેન્નઈની જે પ્રગતિશીલ માનવતાની ધારાએ નટેસન જેવા મારફતે દૂર આફ્રિકેથી ઊતર્યા ગાંધીના પ્રત્યક્ષ આગમન આગમચ એમને સારુ સ્વાગત, સમજ અને સહયોગની  હવા બાંધી એ ધારા પણ પોતે થઈને પૂરતી નહોતી. તમિલનાડુમાં સામાજિક ઊંચનીચ, બ્રાહ્મણ-બ્રાહ્મણેતરનો જે દૂરાવ હતો એણે કૉંગ્રેસથી અલગ જસ્ટિસ પાર્ટી રૂપે દેખા દીધી હતી. પેરિયાર રૂપે જે પ્રતિભા ઉભરી એણે દ્રવિડ હોવા સાથે એક સેક્યુલર ને રેશનલિસ્ટ ઉગ્રસુધારવાદી ભૂમિકાનો માહોલ બનાવ્યો. કૉંગ્રેસની સર્વસમાવેશી હોઈ શકતી તાસીરે આ ઘટનાક્રમનો જાણે કે પોતાને છેડેથી કોઈ પ્રતિભાવ હોય તેમ રાજાજીના નેતૃત્વ સામે પણ કૉંગ્રેસની અંદર કામરાજ ધરીને સારુ અવકાશ કીધો. બીજી બાજુ, પેરિયાર ધારાની રાજનીતિ અન્નાદુરાઈથી કરુણાનિધિ જેવા મારફતે પ્રગટ થઈ. વચમાં એમ.જી.આર. અને જયલલિતા પણ, એમ તો, આ ધારામાં જ આવી ગયાં. તેઓ અલબત્ત રાજકારણી વધુ અને ઉગ્ર સમાજસુધારવાદી ઓછાં (કેટલીકવાર તો બિલકુલ નહીં) એવો ઘાટ હતો. કરુણાનિધિ પણ જુવાન લેખક તરીકે અને અચ્છા સ્ક્રિપ્ટકાર તરીકે પોસ્ટર કામ પૂર્વકની પાયદળ તાલીમ વેળાએ હતા તે પાછળથી નહોતા પણ દ્રવિડ રાજનીતિ વ્યાપક ભારત સમવાય સાથે મેળને ધોરણે નવેસરથી ગોઠવાઈ એમાં એ યથાપ્રસંગ અગ્રભાગી / સહભાગી હોઈ શકતા હતા.

તેર તેર મુદતનું એમએલું, પાંચવારનું મુખ્યમંત્રીપદું અને તેર વરસની વિપક્ષભૂમિકા, વારાફરતી યુ.પી.એ. અને એન.ડી.એ. સાથે સત્તાભાગિતા, આ લાંબા પટ પર કરુણાનિધિના રાજકીય જીવનની એ એક ચોક્કસ જ સુવર્ણક્ષણ હતી જ્યારે ઇંદિરાઈ કટોકટી સામે ચેન્નઈમાં એમણે લોકશાહી સ્વાતંત્ર્યની ધજા ફરકતી રાખવાનો – કથિત ‘રાષ્ટ્રીય પ્રવાહ’માં નહીં જોડાવાનો – નિર્ણય લીધો અને એને વળગી રહ્યાઃ અધિકારવાદના અશ્વને રોકતા લવકુશની ભૂમિકા ત્યારે તમિલનાડુ અને ગુજરાતની હતી. આઠમી ઑગસ્ટે એ જ્યાં પોઢ્યા એ જ મરીના બીચ પર કટોકટી વિરોધનું જે વક્તવ્ય એમણે પ્રચંડ મેદની સમક્ષ આપ્યું હતું એ આ અસાધારણ વક્તાના જીવનનું જ નહીં પણ દેશભરનાં કટોકટીવિરોધી વક્તવ્યો પૈકી ઉત્તમોત્તમના ખાનામાં જઈ શકે એવું હતું.

‘રાષ્ટ્રીય પ્રવાહ’માં ભળવાનું દબાણ જેમ દિલ્હી દરબારમાંથી તેમ ઘરઆંગણેથી નહોતું એવું તો નથી. કરણાનિધિએ કામરાજ જોડે આ મુદ્દે પરામર્શ પણ કર્યો હતો. એક સૂચન, વિરોધમાં સરકારે રાજીનામું આપી દેવું જોઈએ એવું પણ હતુ.ં સિન્ડિકેટ-ઈન્ડિકેટ વચ્ચે શરૂમાં ઇન્ડિકેટની નજીક જણાઈ છેવટે દૂરી બનાવી ચૂકેલા કામરાજે સ્વાધીનતાનો ટાપુ આમ જવા ન દેવાય તેવી સલાહ આપી હતી. બે આજન્મ પ્રતિપક્ષીઓનું આ રીતે મળવું! પણ મુદ્દો મજબૂત હતો, અને એવું માનવું લગારે અસ્થાને નથી કે રાજાજી હયાત હોત તો એ પણ ૧૯૭૫-૭૭માં કરુણાનિધિ અને કામરાજની સાથે જ હોત.

પાટનગરીનું જે રાજકીય હુઝહુ આઠમી ઑગસ્ટે ચેન્નઈમાં ઊતરી પડ્યું હતું તે શિષ્ટાચારગત જ માત્ર નહીં પણ સામી ચૂંટણીએ નવજોડાણનાં ચરિયાણના ખયાલે પણ પરિચાલિત હશે જ. પુત્ર સ્તાલિનને પક્ષ ભળાવી કરુણાનિધિએ જયલલિતાના એ.આઈ.ડી.એમ.કે. કરતાં પોતાના ડી.એમ.કે.ને મુકાબલે સારી સ્થિતિમાં જરૂર મૂક્યો છે. સ્તાલિન વિશે કરુણાનિધિએ એક વાર કહ્યું હતું કે મેં એને તક જરૂર આપી, પણ એને નિંભાડો ને અખાડો તો ઇંદિરા ગાંધીએ કટોકટીના જુલમોથી પૂરો પાડ્યો.

દક્ષિણ દેશની એક વિશેષતા અભિનેતાઓ અને પટકથાલેખક સહિતના ફિલ્મકારણીઓની રહી છે. જયલલિતા અને કરુણાનિધિ વગરના રાજકારણમાં રજનીકાન્ત-કમલ હાસન વગેરેને સારુ સીધાં ચરિયાણ બાબતે કલ્પનાનો કનકવો ચગાવી તો શકાય. પણ ફિલ્મી હોવું પોતે થઈને, અંતે તો, અપૂરતું છે. તેર તેર વરસના રાજકીય અરણ્યવાસને જીરવી પક્ષબાંધણીમાં પરોવાવું એ સામાન્ય વાત નથી.

પણ હમણાં તો દેશ કેમ કરતાં નંદવાતો લાગવા છતાં ભાંગતો નથી, એની આ થોડીકેક નુક્તેચીની, કરુણાનિધિની વિદાયસાખે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 02-03

Loading

આસામઃ શું વિનાયક, શું વાનર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 August 2018

આસામમાં રહી ગયેલાં નામો અંગેની તેમ જ આનુષંગિક કારવાઈ બાબતે આગામી ૧૬મી ઑગસ્ટે સુપ્રીમ કોર્ટ સુનવાઈ કરશે પણ જે માહોલ બન્યો છે તે વ્યાપક રાષ્ટ્રીય નિસબતની બાબત છે. ‘તો ગૃહયુદ્ધ થશે’ એ મતલબના મમતા બેનરજીના ઉદ્‌ગારો અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સને પરબારા રાષ્ટ્રીય સુરક્ષા સાથે સાંકળતી અમિત શાહની વીરવાણી : લાગે છે, ૨૦૧૯ના ચુનાવી જંગનો પૂર્વરંગ નાના પડદા થકી આપણાં દીવાનખાનાઓમાં ખાબકી પડ્યો છે.

આ એન.આર.સી. આખરે છે શુ? નાગરિક નોંધણીપત્રકનો મુદ્દો આ ક્ષણે અગત્યનો એ વાસ્તે છે કે આસામ વર્ષોથી, ‘વિદેશી નાગરિકો’ના પ્રશ્ને, ખરું જોતાં વ્યાપક અને મૂળગામી સમજના ધોરણે તો ૧૯મી સદીથી કંઈક અસ્વસ્થ રહેલ છે. હજુ થોડા દસકાઓ પૂર્વે ‘વિદેશી’ સંજ્ઞા અસમિયા ઉદ્‌ગારોમાં આસામ બહારના હર હિંદુસ્તાની સુધ્ધાં માટે છૂટથી વપરાતી હતી. પરપ્રાંતીયો આવ્યા અથવા એમને લાવવામાં આવ્યા, એથી આપણું સમાજજીવન ડહોળાયું અને અસ્તવ્યસ્ત થયું છે, એવી એક લાગણી પણ કેટલેક અંશે રહેતી આવી છે. ૧૯મી સદીના સાંસ્થાનિક વારામાં આાસમમાં જ ‘પ્લાન્ટેન્શન ઇકોનોમી’નો દોર શરૂ થયો અને પ્રદેશની પ્રમુખ પ્રવૃત્તિ પેઠે ઊંચકાયો એને સારુ છોટા નાગપુર વગેરે વિસ્તારોના આદિવાસીઓથી માંડીને બંગાળના મુસ્લિમ ખેડૂતો સહિતના ખાસા હિસ્સાને આસામમાં વસાવાયો હતો. સરહદી વિસ્તાર અને સંયોગવશ પડેલા ભાગલા પણ સીમાપારની અવરજવરનો એક સંદર્ભ પૂરો પાડે છે, અને બાંગલાદેશના મુક્તિસંઘર્ષગત નિર્વાસિતોનો (અહીં એમના પુનર્વસન સહિતનો) પણ ચોક્કસ સંદર્ભ છે.

આસામની આ અસ્વસ્થતા, અજંપાને વટીને આક્રોશ અને આંદોલન સ્વરૂપે આજથી સાડા ત્રણ દાયકા પર એક નિર્ણાયક મોડ પર પ્રગટ થઈ અને ૧૯૮૫માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ આ આંદોલનના નેતાઓ સાથે સમાધાનની એક ફોર્મ્યુલા ઘડી કાઢી. આસુ (ઑલ આસામ સ્ટુડન્ટ્‌સ યુનિયન) અને આસામ ગણ પરિષદે ત્યારે ‘વિદેશી ઘૂસણખોરો’ને શોધી કાઢી હાંકી મૂકવાની રીતે આ સમજૂતી પર ભાર મૂક્યો હતો, અને રાજીવ ગાંધી તેમ જ કૉંગ્રેસની જેમ ભા.જ.પ. સહિત અન્ય પક્ષો એ મુદ્દે એક એકંદરમતી પર પહોંચ્યા હતા. આસામ ગણ પરિષદે રાજ્યમાં સત્તા ભોગવી છે, તો એન.ડી.એ.ના ઘટક તરીકે તે ચોક્કસ સમય કેન્દ્ર સરકારમાં પણ સત્તા-સહભાગી રહેલ છે. ૧૯૮૫ પછી ૧૯૯૮-૨૦૦૪ના એન.ડી.એ. દોર સહિતના તબક્કાઓમાં વિદેશીઓની નોંધણીને મુદ્દે અને હકાલપટ્ટીને મુદ્દે કોઈ નિર્ણાયક કામગીરી નથી થઈ એ ઇતિહાસવસ્તુ છે, પણ ૨૦૧૪ની ચૂંટણીમાં ભા.જ.પે. આસામમાં આને એક મહત્ત્વનો મુદ્દો બનાવ્યો હતો એ પણ હકીકત છે.

દરમિયાન, હમણેનો ઉપાડો એક અર્થમાં સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરીને આભારી છે. સર્વોચ્ચ અદાલતે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એન.આર.સી.) તૈયાર કરવા કહ્યું અને એ પ્રક્રિયા શરૂ તો થઈ, પણ આ પ્રશ્નનાં બીજાં કેટલાંક પાસાં હજુ વણઉકલ્યાં છે અને તે માટે ખુદ સર્વોચ્ચ અદાલતે બૃહત્તર બૅન્ચની જરૂરત પ્રમાણી છે. હવે આ જે રજિસ્ટર બન્યું એની મર્યાદાઓ પણ સમજવી જોઈએ હાલ એનો જે ડ્રાફ્ટ પ્રગટ થયો છે. તે પૂર્વે ૨૦૧૭ ઊતરતે /૨૦૧૮ બેસતે જે ડ્રાફ્ટ બહાર પડ્યો હતો એમાં રાજ્યની અરધોઅરધ, રિપીટ, અરધોઅરધ કરતાં વધુ વસ્તી ગાયબ હતી. પછીના મહિનાઓમાં અરજીમારા સહિતની કારવાઈ પછી હજુ થોડા દિવસ પર જે સુધારેલો ડ્રાફ્ટ આવ્યો તે છેક અગાઉની હદે ગયેલ નથી, પણ ખાસા ચાલીસ લાખ લોકોને (રાજ્યની વસ્તીના દસ ટકાથી પણ વધુ લોકોને) એમાં બાદ રખાયા છે. એક જ કુટુંબના કેટલાક સભ્યો અંદર તો બીજા બહાર હોય એવું બન્યું છે, જેમને વૉર વેટરન કહી શકાય એવા લોકો પણ બહાર રહી ગયા છે, અને પૂર્વરાષ્ટ્રપતિનાં સગાં પણ!

અહીં જરી સબૂરી અને સાવધાનીના બે બોલ પણ નોંધી લેવા જોઈએ. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે કહ્યું છે કે આ કોઈ આખરી યાદી નથી. વાંધા અરજીઓ સહિત પુનર્વિચાર અને સુધારાની પ્રક્રિયા તરતમાં શરૂ થશે. સંબંધિત સૌને પોતાનો કેસ મૂકવાની પૂરી સહુલિયત પછી જ આ યાદીને આખરી ઓપ અપાશે. (જો કે, સર્વોચ્ચ અદાલતના મોનિટરિંગ છતાં હાલના નોંધણી મિકેનિઝમ વિશે ખાસી ફરિયાદો છે, એ જુદી વાત છે.) ચૂંટણી પંચે પણ વધુમાં એક મહત્ત્વની સફાઈ એ આપી છે કે રજિસ્ટરમાં ન હોય છતાં મતદાર યાદીમાં હોય એ સૌ મતદાન કરી શકશે.

આટલી સફાઈ છતાં તનાવ બરકરાર છે. એનું સહસ્ય શેમાં હશે, એ સવાલનો જવાબ શોધવા લાંબે જવું પડે એમ નથી. અમિત શાહે સુરક્ષાનો મુદ્દો આગળ કરીને જે આક્રમક ભૂમિકા લીધી છે એમાં તેલંગણના ભા.જ.પ. ધારાસભ્ય રાજસિંહની પેઠે માત્ર એટલું જ કહેવાનું બાકી રાખ્યું છે કે કોઈ રજિસ્ટર્ડ ન થયેલ હોય અને દેશ ન છોડી જાય તો એને ગોળીએ દેવો જોઈએ. અહીં એક નિર્ણાયક જળથાળનિર્દેશ મોડું કર્યા વગર કરી નાંખવો જોઈએ – અને તે એ કે આસુ -આસામ ગણ પરિષદ સઘળાં બાંગલાદેશી ઘૂસણખોરોને શોધી કાઢી રવાના કરવાની વાત કરતા હતા, પણ ભા.જ.પ. ઘૂસણખોરો પૈકી કેવળ મુસ્લિમોને અલાયદા તારવવાનું કહે છે.

૨૦૦૬માં એણે નાગરિક અને મતદાર યાદીમાંથી કોને સ્વીકારવા અને કોને નકારવા તે અંગે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતા જે કાનૂની સુધારાની પ્રક્રિયા શરૂ કરી છે એની વિગત જોતાં મુસ્લિમોને અલગ તારવવાની એની ગણતરી બાબત બેમતને સ્થાન નથી. જે પણ ખ્રિસ્તી, જૈન, શીખ વગેરે આપણે ત્યાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગલાદેશમાંથી આવી છ વરસથી રહેતાં હોય તે સૌને નાગરિક તરીકે સ્વીકારવા તૈયાર છે. મતલબ, જે મુસ્લિમ છે તે વ્યાખ્યાગત રીતે કેવળ અને કેવળ ઘૂસણખોર છે, જે મુસ્લિમ નથી તે શરણાર્થી છે.

સાંસ્થાનિક સમયથી આસામમાં બહારથી વસવા અને વસાવવાની જે પ્રક્રિયા શરૂ થઈ હતી, અને ૧૯૪૭ના ભાગલા તેમ જ ૧૯૭૧ની બાંગલા ઘટના સાથે જેમાં ઉમેરો થયો છે એ આખા ઘટનાક્રમમાં તમને મુસ્લિમ હોવાને નાતે જુદા પાડવાનું અને ‘ધ અધર’ લેખે નિશાન બનાવવાનું તથાકથિત રાષ્ટ્રવાદી વલણ હવે મુખ્ય થઈ પડ્યું છે. છતે ભાગલે, ૧૯૫૧ના એન.આર.સી.માં જે વાનું નહોતું, આસુ અને આસામ ગણ પરિષદની જે માંગ નહોતી, એવું આ પરિમાણ છે. ૨૦૧૯ની સામી ચૂંટણીએ વિકાસમતનો દાવો જેમ જેમ પાછો પડતો જાય છે તેમ તેમ કોમી દૃઢીકરણ અને કોમી ધ્રુવીકરણની રાજનીતિ ભા.જ.પ.ને માટે ‘પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ’ એ ન્યાયે એક તરણોપાય તરીકે ઉભરતી માલૂમ પડે છે.

આસામમાં (જેમ બીજે પણ) કારવાઈ જરૂરી નથી એવું નથી. પણ એ કારવાઈ રાષ્ટ્રવાદની હાલની સત્તાપક્ષી તરાહ અને તાસીર પ્રમાણે કરવા  જતાં જે ભય છે તે સૂંઢના સ્થાનફેરે હાથીને બદલે વાનરના નિર્માણનો છે. (વિનાયકઃ પ્રકુર્વાણઃ રચયામાસ વાનરં.)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 03-04

Loading

ચલણી નોટો પાછી ફરી !

રમેશ બી. શાહ|Opinion - Opinion|20 August 2018

નોટબંધીનાં પગલાંની યાદ આપતી એક માહિતી સમાચાર રૂપે અખબારોમાં જુલાઈના આરંભમાં પ્રગટ થઈ. પ્રજામાં ફરતી ચલણી નોટો જૂનના આરંભે રૂ. ૧૯.૩૨ લાખ કરોડની થઈ. આ આંકડો સમાચારનો વિષય બન્યો, તેનું કારણ સમજીએ. ૨૦૧૬ના નવેમ્બરની આઠમી તારીખે વડાપ્રધાને લોકો માટે સાવ અણધારી રીતે રૂ. ૫૦૦ અને હજારની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી, ત્યારે પ્રજામાં ફરતી ચલણી નોટો રૂ. ૧૭.૧૭ લાખ કરોડની હતી. નોટબંધીનાં પરિણામે ૬-૧-૧૭ના રોજ પ્રજામાં ફરતી ચલણી નોટો ઘટીને ૮.૭૮ લાખ કરોડની થઈ હતી. ૨૦૧૭માં પ્રજામાં ફરતી ચલણી નોટોનું પ્રમાણ જી.ડી.પી.ના ટકા રૂપે ૯.૫ ટકા થઈ ગયું હતું, જે ૨૦૧૫માં ૧૨ ટકા હતું, ત્યારે વડાપ્રધાનશ્રીએ નોટબંધીની સફળતા વર્ણવતાં સગર્વ જાહેરાત કરી હતી કે ચલણી નોટોનું પ્રમાણ જી.ડી.પી.ના ટકા રૂપે ઘટીને નવ ટકા થઈ ગયું છે. હવે ચલણી નોટો મૂલ્યમાં રૂ. ૨.૧૫ લાખ કરોડ વધીને ૧૯.૩૨ લાખ કરોડ પર પહોંચી છે અને જી.ડી.પી.ના ટકા રૂપે ૧૧.૨૭ ટકા પર પહોંચી છે. આમ, ચલણી નોટો ઘટાડી નાખવાનો નોટબંધીનો ઉદ્દેશ જો હોય, તો  પાર પડ્યો નથી. તેેથી પ્રજામાં ફરતી ચલણી નોટોનો આ આંકડો સમાચારોનો વિષય બન્યો.

પ્રજામાં ફરતી ચલણી નોટોને એક અનિવાર્ય અનિષ્ટ સમજવાના મૂળમાં કાળાં નાણાં અંગેની (ગેર)સમજ રહેલી છે. રોકડ નાણાંમાં થતા વ્યવહારોમાં કરચોરી કરવાનું સરળ થઈ જાય છે, જેથી એક બાજુ સરકારની કરની આવક ઘટે છે અને બીજી બાજુ કાળાંનાણાંનાં ધારી લીધેલાં અનિષ્ટો સર્જાય છે. આ રોકવાનો એક અસરકારક ઉપાય, આ તર્ક પ્રમાણે ચલણનું પ્રમાણ ઘટાડી નાખવાનો છે, જેથી લોકોને ચુકવણીઓ કરવાના અન્ય વિકલ્પો અપનાવવાની ફરજ પડે, પણ આ વિચારધારામાં કોઈ તથ્ય નથી.

રશિયામાં પ્રજામાં ફરતું ચલણ જી.ડી.પી.ના ૮.૮ ટકા છે, જ્યારે સિંગાપુરમાં એ પ્રમાણ ૯.૩ ટકા છે. રશિયામાં ચલણનું પ્રમાણ, સિંગાપુરની તુલનામાં ઓછું છે, પણ રશિયામાં ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં પ્રવર્તે છે, જ્યારે સિંગાપુર ભ્રષ્ટાચારથી મુક્ત રાષ્ટ્ર ગણાય છે. આ બાબતમાં જાપાન એક આત્યંતિક સ્વરૂપનું રાષ્ટ્ર છે. આ એક અત્યંત વિકસિત દેશેમાં ચલણનું પ્રમાણ જી.ડી.પી.ના લગભગ ૨૧ ટકા જેટલું મોટું છે. રોકડ નાણાંનું આટલું મોટું પ્રમાણ હોવા છતાં જાપાનમાં કાળાં નાણાં કે અન્ય ભ્રષ્ટાચારોની કોઈ અસામાન્ય સમસ્યા પ્રવર્તતી નથી. મુદ્દો એ છે કે કરચોરી અને લાંચરુશ્વત જેવા ભ્રષ્ટાચારોને અર્થતંત્રમાં ફરતાં નાણાંના પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી. દુનિયાના દેશોમાં ચલણનું પ્રમાણ જી.ડી.પી.ના છ ટકાથી માંડીને વીસ ટકા જેટલું જોવા મળે છે. ચલણના પ્રમાણનો આધાર લોકોની આદત અને અર્થતંત્રના સ્વરૂપ ઉપર છે. ચલણ ઘટાડી નાખીને લોકોને ડિજિટલ ચુકવણી કરવાની ફરજ પાડી શકાતી નથી, એ ભારતના અનુભવ પરથી સમજાય છે.

ભારતમાં નોટબંધી કરવામાં આવી, ત્યારે જે ચલણ હતું (રૂ.૧૭.૧૭ લાખ કરોડ) તેને દોઢેક વર્ષમાં જ વટાવી જવામાં આવ્યું, તે હકીકત થોડી ચર્ચાનો વિષય બની છે. એના બે ખુલાસા આપવામાં આવ્યા છેઃ એક, લોકો નાણું સંઘરવા માંડ્યા છે. અને બીજું, ચૂંટણીઓ નજીક હોવાથી રાજકીય પક્ષો નાણું સંઘરવા માંડ્યા છે. રોકડ નાણાંના ઉપયોગ અંગે ઉપર લોકોની આદતનો જે ઉલ્લેખ કર્યો છે, તેનાં આ બે ઉદાહરણો છે. ભારતમાં બૅંકોમાં રહેલું નાણું જે હૂંફ આપે છે, સલામતીનો જે અનુભવ કરાવે છે. તેની તુલનામાં હાથ પર રહેલાં નાણાંમાં લોકો વધારે સલામતી અનુભવે છે. એ.ટી.એમ.ની સગવડ થયા પછી પણ અણધાર્યા ખર્ચ માટે લોકો ગજા પ્રમાણે નાણું ઘરમાં રાખવાનું પસંદ કરે છે. નોટબંધી કરવામાં આવી ત્યારે ગૃહિણીઓની એક આદત ઊપસી આવી હતી : ઘણી ગૃહિણીઓ પતિ ન જાણે તેમ કેટલુંક નાણું પોતાની પાસે છુપાવી રાખે છે. એનો હેતુ પણ સાવચેતીનો જ હોય છે. અર્થતંત્રમાં જેને અસંગઠિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. તેનો મોટા ભાગનો વ્યવહાર રોકડ નાણાં દ્વારા થાય છે. તેનું મોટું ઉદાહરણ ખેતીનું છે, જેની આવકને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે, તેથી તેના રોકડ વ્યવહારોને કારણે કરચોરીનો પ્રશ્ન ઊભો થતો નથી.

કરચોરીને રોકડ નાણાં અને અર્થતંત્રના અસંગઠિત ક્ષેત્ર સાથે સાંકળવાનું કેટલું યોગ્ય છે, તે જી.એસ.ટી.ના અનુભવના આધારે તપાસવા જેવું છે. નાણાપ્રધાને જોરશોરથી પ્રચાર કર્યા પ્રમાણે જી.એસ.ટી.ના અમલ પછી કરદાતાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે, અર્થાત્‌ કરપાલનમાં વધારો થયો છે. કરપાલનમાં આ સુધારો કરના વહીવટી સુધારાનું પરિણામ છે એ સ્પષ્ટ છે. વધારામાં નવા કાયદાનો સફળ અમલ કરવા સાથે સરકારની પ્રતિષ્ઠા સંકળાયેલી છે. તેથી વહીવટીતંત્રને સતત સાબદું રાખવામાં આવ્યું છે. આ અનુભવનો બોધ સ્પષ્ટ છે : કરચોરી કરના અસરકારક વહીવટની ખામીમાંથી ઉદ્‌ભવતું અનિષ્ટ છે, એ કેવળ કરદાતાઓની અપ્રામાણિકતામાંથી ઉદ્‌ભવતું અનિષ્ટ નથી. તે કરના વહીવટની અણઘડતા અને કરના વહીવટીતંત્રમાં બેઠેલાઓની અપ્રામાણિકતા સાથે સંકળાયેલું અનિષ્ઠ પણ છે. મુદ્દો એ છે કે અર્થતંત્રમાં થતી કરચોરીને અર્થતંત્રમાં ફરતા નાણાંના પ્રમાણ સાથે સંબંધ નથી, કરના વહીવટીતંત્રની કાર્યક્ષમતા સાથે તે સંકળાયેલી છે.

લોકોને એમની આદતો બદલવાની ફરજ પાડી શકાતી નથી તે આ કિસ્સામાં પણ જોઈ શકાયું છે. અર્થતંત્ર એની ગતિએ ડિજિટલ ચુકવણીઓ તરફ આગળ વધી રહ્યું છે. પાંચેક વર્ષમાં ૬૦ ટકા જેટલી ચુકવણીઓ ડિજિટલ પ્રથા દ્વારા થશે, એવો અંદાજ પણ છે. નોટબંધીથી લોકોને રોકડ નાણાંની અછતને કારણે ડિજિટલ પ્રથાનો આશ્રય લેવાની ફરજ પડી, તેથી નોટબંધી પછીનાં દોઢેક વર્ષ દરમિયાન ડિજિટલ ચુકવણીઓમાં મોટો વધારો થયો, પરંતુ ચલણી નાણું પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતાં લોકો તેમની આદત પ્રમાણે રોકડેથી વ્યવહાર કરતા થઈ ગયા છે અને ડિજિટલ ચુકવણીઓની પ્રથા પોતાની રીતે વિસ્તરી રહી છે.

નોટબંધી કાળાં નાણાં પકડી પાડવાના જે ઉદ્દેશથી કરવામાં આવી હતી, તેમાં કોઈ સફળતા સાંપડી નહીં, પણ તેની મોટી કિંમત અર્થતંત્રને ચૂકવવી પડી. તથાપિ એ પગલું સદંતર નિષ્ફળ નીવડ્યું નથી, તે દેખાડવા માટે તેની સાથે બીજા ઉદ્દેશો જોડવામાં આવ્યા. એ ઉપજાવી કાઢવામાં આવેલા ઉદ્દેશોની બાબતમાં પણ કોઈ સફળતા સાંપડી નથી, તે પ્રજામાં ફરતાં ચલણમાં થયેલી મોટી વૃદ્ધિના દાખલામાં જોઈ શકાય છે. અર્થતંત્રમાં ફરતાં કાળાં નાણાંના જંગી જથ્થા અંગે તેમ જ તેનાં અનિષ્ટો અંગે લોકોમાં જે ભ્રામક માન્યતાઓને પોષવામાં આવી હતી, તેનો રાજકીય લાભ નોટબંધી દ્વારા વડાપ્રધાન લઈ શક્યા. લોકોની નજરમાં કાળાં નાણાંના અસુરનો વધ કરવા વડાપ્રધાન સંગ્રામ ખેલી રહ્યા છે, એવી તેમની પ્રતિમા ઊપસી આવી અને લોકોએ નોટબંધીએ સર્જેલી હાડમારી ભોગવી લીધી. મજૂર કાયદાઓમાં સુધારા અને ઍર ઇન્ડિયા જેવા જાહેરક્ષેત્રના ધોળા હાથીઓનું ખાનગીકરણ કરવા જેવા મોટા સુધારા કરવાની રાજકીય હિંમત દાખવવાના વિકલ્પે નોટબંધીનું નાટાકીય પગલું ભરવામાં આવ્યું હતું.

પાલડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 04-05

Loading

...102030...3,0273,0283,0293,030...3,0403,0503,060...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved