Opinion Magazine
Number of visits: 9456494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવું વર્ષ ‘હોપ ઈઝ ઍ ડિસીઝન’ની પ્રેરણા સાથે શરૂ કરીએ …

સોનલ પરીખ|Opinion - Opinion|3 January 2025

મારા થોડા નિયમ હતા – મેં નક્કી કર્યું હતું કે ભલે ચીંથરેહાલ હોઉં, ઊંચાં માથે ચાલીશ. જિંદગીને પૂર્ણપણે જીવીશ અને જ્યાંથી આશાનું કિરણ મળશે તેને સ્વીકારીશ. ગમે તે સ્થિતિમાં હોઉં, મેં મારાથી બનતું કરવાનું ચાલુ રાખ્યું છે કેમ કે પોતે માણસ તરીકે શ્રેષ્ઠ આપ્યું તેની પ્રતીતિ એ જ અંતિમ વિજય છે …   

— દાઇસાકુ ઇકેડા

વધુ એક વર્ષ વિદાય થવાની તૈયારીમાં છે. સુખોની, દુ:ખોની એક દાસ્તાન પૂરી થશે. આપણે ઘણું પામ્યા હોઈશું અને એક કે બીજા રૂપે કપરી પરિસ્થિતિનો સામનો પણ કર્યો હશે. ધૈર્ય, કરુણા, સાદગી અને સંબંધોની કદર શીખ્યા હોઈશું. કોરોનાનાં વર્ષે પણ આપણને ઘણું આપ્યું નહોતું? એ વર્ષે આપણે ભૂલોને સમજ્યા ને સમસ્ત પૃથ્વીવાસીઓ સાથે અલગ રીતે એક થયા હતા. એટલે વીતેલા વર્ષ પ્રત્યે આદરનું ભાથું બાંધી નવા વર્ષ માટેની આશાને આપણી સફરની સાથી બનાવીએ.

દાઇસાકુ ઇકેડા

આશા માટે અંગ્રેજીમાં હોપ શબ્દ છે. જૂના અંગ્રેજીમાં હોપા, ડચ ભાષામાં હૂપ અને જર્મનમાં હોફના શબ્દો છે. ઓપ્ટીમિઝ્મ, એસ્પિરેશન જેવાં શબ્દો પણ વપરાય છે. આશાનો અર્થ બધા જાણે છે, પણ તેના જબરજસ્ત વ્યાપ અને ઊંડાણ સુધી બહુ ઓછા પહોંચે છે. હમણાં એક પુસ્તક વાંચ્યું, ‘હોપ ઈઝ ઍ ડિસીઝન’. આ પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે આશાની ક્ષિતિજોના ખરા વિસ્તારનો ખ્યાલ આવે.

આ પુસ્તકમાં જાપાનના બૌદ્ધ ચિંતક દાઇસાકુ ઇકેડા(1928–2023)એ પ્રસંગોપાત આપેલાં થોડાં વ્યાખ્યાનો સમાવાયાં છે. તેઓ કહે છે કે આશા જ આદિ છે અને આશા જ અંત છે. એનાથી જ માણસ જાગે છે, સંકલ્પબદ્ધ થાય છે, આંતરિક શક્તિઓ પર એકાગ્ર થાય છે અને પોતાનામાં વસતા બુદ્ધ સુધી પહોંચી શકે છે. બુદ્ધ કોઈ વ્યક્તિનું નહીં, એક અવસ્થાનું નામ છે. માણસના મનમાં પશુત્વ પણ છે અને બુદ્ધત્વ પણ છે. એ બેની વચ્ચે પણ આઠ અવસ્થાઓ છે. પોતાના પશુત્વને ક્રમશ: બુદ્ધત્વ સુધી પહોંચાડવું તેને જ ઇકેડાના ગુરુ જોસાઈ તોડા ‘હ્યુમન રિવોલ્યુશન’ કહેતા અને આ હ્યુમન રિવોલ્યુશન એ જ સાકા ગોકાઈ ઇન્ટરનેશનલ નામના જાપાની બૌદ્ધ મહાયાન પંથનો મુદ્રાલેખ છે. દાઇસાકુ ઇકેડા તેના પ્રમુખ છે.

ઇકેડા કહે છે કે અન્યને પ્રોત્સાહિત કરવાથી પોતાને પણ આશા અને આનંદનો અનુભવ થાય છે. સાચું પ્રોત્સાહન યોગ્ય વ્યક્તિ સાથે પીડા અને સમસ્યા વહેંચવાથી મળે છે. કોઈ કોઈની પીડા લઈ શકે નહીં, કોઈ કોઈની સમસ્યા ઉકેલી આપી શકે નહીં – પણ સાથ અને પ્રોત્સાહનથી માણસનો ઉદ્વેગ શમે અને એથી તે પોતાનામાં જ રહેલી શક્તિ પર એકાગ્ર થઈ શકે. આ એકાગ્રતા એક તરફ ધ્યેય સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે અને બીજી તરફ આંતરયાત્રાને બુદ્ધત્વ પ્રાપ્તિની દિશામાં આગળ વધારે છે. બહાર પણ વિકાસ, અંદર પણ વિકાસ. આ જ છે હ્યુમન રિવોલ્યુશન.

પણ આશાની વાત લેખક માત્ર સિદ્ધાંત તરીકે નથી કરતા, એ એમની અનુભવવાણી છે. વિશ્વયુદ્ધ, તેમાં ચાર ચાર ભાઈઓનું ઓરાઈ જવું, ગરીબી, તારાજી, પિતાની પથારીવશ સ્થિતિ, માની અસહાયતા, પોતાને થયેલો ટી.બી. – આ બધું તરુણ વયમાં જ ભોગવી લીધા પછી તેમણે કહ્યું છે, ‘આશા બધું બદલી નાખે છે અને એની શરૂઆત પોતાની જિંદગીથી થાય છે. આશા આપણને સક્રિય અને સક્ષમ કરનારું બળ છે. આશામાં શિયાળાને વસંતમાં ને ઉજ્જ્ડને પુષ્પિતમાં પરિવર્તિત કરવાની તાકાત છે. આશાન્વિત વ્યક્તિ દુનિયા કરતા બે ડગલાં આગળ ચાલે છે. આશા કુદરતે જ આપણામાં પ્રગટાવેલી જ્યોત છે પણ તેને પ્રજ્વલિત રાખવા માટે સંકલ્પની હવા આપણે આપવાની છે. આશા એટલે પોતાની અને અન્યની અંદર રહેલી અનંત શક્યતાઓમાં શ્રદ્ધા રાખવી અને તેના પર એકાગ્ર થવાનો સંકલ્પ કરવો.’

એમણે મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપ્યું છે : અનેક વિઘ્નો વચ્ચે મહાત્મા ગાંધી સફળ થતા રહ્યા તેનું કારણ તેમનો અદમ્ય આશાવાદ હતો. ગાંધીજી પોતાને ‘ઈરરિપ્રેસિબલ ઓપ્ટીમીસ્ટ’ કહેતા. એમની આશા સંજોગો પર, વ્યક્તિઓ પર, સફળતા-નિષ્ફળતા પર કે ચડઉતર પર નિર્ભર ન હતી. એમની આશા માનવીની સારપ, ક્ષમતા અને પુરુષાર્થ પરની અચળ શ્રદ્ધા પર નિર્ભર હતી. આ શ્રદ્ધાનો એમણે એક પળ માટે પણ ત્યાગ કર્યો ન હતો. અન્યની સારપ પર શ્રદ્ધા અને પોતાની સારપ માટે પુરુષાર્થ એ બે ગાંધીજીની ચાવીઓ હતી.

મહાન માણસોનાં ચરિત્રો આ જ કહે છે – કસોટીઓ તેમને હરાવી ન શકી, આફતો તેમને અટકાવી ન શકી. તેઓ તૂટ્યા નહીં કારણ કે તેમની આશા જ્વલંત હતી. અને આ આશા માત્ર પોતાની ઈચ્છાપૂર્તિ કે પોતાના વિકાસ માટે ન હતી, એ સમગ્રના સુખ માટેની હતી. ‘એટલે, સમજો’, ઇકેડા કહે છે, ‘સાચી આશા વિશાળ ધ્યેય માટે માણસને પ્રતિબદ્ધ કરે છે – જેમ કે યુદ્ધ વિનાનું વિશ્વ, સૌને ગરિમાપૂર્વક જીવવા મળે એવું વિશ્વ.’

પણ પરિસ્થિતિ અંધકારમય હોય, અને વધારે અંધકારમય થવાના જ એંધાણ હોય ત્યારે આશા કેવી રીતે રાખવી? ઇકેડા કહે છે કે એવે વખતે આશા સર્જવી પડે અને તેને માટે પોતાની જાતમાં ઊંડે, વધુ ઊંડે, વધુ ને વધુ ઊંડે ઊતરવું પડે. એમણે ડીગીંગ શબ્દ વાપર્યો છે – ડીગીંગ ડીપર વિધીન. જે આશાની કસોટી નથી થતી તે સુંદર મનગમતા સ્વપ્નથી વિશેષ કંઈ નથી – તરત તૂટી જાય. મુશ્કેલ સંજોગોમાં આશા વધુ શક્તિશાળી, વધુ વિસ્તૃત બનતી જાય છે. ખરી કરુણતા શરીરનો અંત નથી; ખરી કરુણતા આશાનો અંત, પોતાની શક્યતાઓ પરના વિશ્વાસનો અંત છે.

અને નિષ્ફળતા – એનાથી કદી ન ડરવું. એનાથી માનવી બચી નથી શકતો એ સાચું છે, પણ એ આપણને એવા અનુભવ આપે છે જે દસ હજાર પુસ્તકો વાંચવાથી પણ ન મળે. દુઃખ અને પીડાનો પણ એક ઉપકાર હોય છે. એમાંથી પસાર થયા પછી માણસ વધારે નમ્ર, વધારે પરિપક્વ બને છે. જિંદગી એક લાંબી પ્રક્રિયા છે. તમે ગમે તેટલું લાંબુ જીવો, પણ અંતે પરાજય અને દુઃખ અનુભવતા હો તો તેનો કોઈ અર્થ નથી. નિર્ભય બનો, નિષ્ફળતામાંથી શીખો અને જે પણ બને તેની જવાબદારી પોતે જ લો. અન્ય પર દોષ ન નાખો.

ઇકેડા યુવાનોને કહે છે, ‘યુદ્ધ, ગરીબી, તારાજી, બીમારી આ મારી તરુણાવસ્થાનું વર્ણન છે. પણ એ બધાને લીધે ત્યારે પણ મને શરમ કે હતાશાનો અનુભવ નહોતો થતો. હું પોતાને નાટકના એક પાત્ર તરીકે જોતો. એક તરુણ, જે હસતા હસતા લડી રહ્યો છે. મને ગૌરવનો અનુભવ થતો. અત્યારે હું જે છું તેનાં મૂળ ત્યાં છે. પણ મારા થોડાં નિયમ હતા – મેં નક્કી કર્યું હતું કે ભલે ચીંથરેહાલ હોઉં, ઊંચાં માથે ચાલીશ. જિંદગીને પૂર્ણપણે જીવીશ અને જ્યાંથી આશાનું કિરણ મળશે તેને સ્વીકારીશ. હું જે પણ સ્થિતિમાં હોઉં, મેં મારાથી બનતું કરવાનું ચાલુ રાખ્યું છે કેમ કે પોતે માણસ તરીકે શ્રેષ્ઠ આપ્યું તેની પ્રતીતિ એ જ અંતિમ વિજય છે.’

ભલે આજે બેજવાબદારીની બોલબાલા છે, પણ માનવસમાજ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી વિશ્વસનીયતા આદરને પાત્ર રહી છે. વિશ્વાસઘાતી અંતે હાર્યો છે, ફેંકાઇ ગયો છે. કોઈનો વિશ્વાસ જીતવો એ સૌથી મોટી સંપદા છે અને શક્તિ પણ. આજે ભૌતિકવાદની પણ બોલબાલા છે, પણ તેણે આપણને પરમ ચૈતન્યની વિશાળતા અને ગહનતાથી વિખૂટાં પાડ્યા છે. પરમ ચૈતન્ય સાથે જોડાનાર એક વધુ ઊંચાઈ પર, એક વધુ જાગૃતિમાં અને સમસ્ત સૃષ્ટિ સાથેની એક આગવી નિકટતામાં જીવે છે.

એક વ્યક્તિ વધુ સમજદાર, વધુ શક્તિશાળી, વધુ સંવેદનશીલ બને ત્યારે શાંતિમય સહઅસ્તિત્વ તરફની યાત્રાના પૈડાનું પહેલું ચક્ર ફરે. આશાપ્રેરિત માનવી તોફાનો વચ્ચે સ્થિર પ્રકાશતી શાંત જ્યોત જેવો હોય છે. જે બીજા માટે મશાલ હાથમાં લે છે તેનો પોતાનો માર્ગ પણ પ્રકાશિત થતો આવે છે. નવા વર્ષે સ્વના અને સર્વના કુશળક્ષેમ પર એકાગ્ર થઈએ, અને સક્રિય પણ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 29 ડિસેમ્બર  2024

Loading

‘સંઘ’ કાશીએ પહોંચશે કે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 January 2025

રવીન્દ્ર પારેખ

‘હિન્દુ-મુસ્લિમ’, ‘હિન્દુ-મુસ્લિમ’ કરતાં કરતાં બંધારણનાં 75 વર્ષ (અમૃત પર્વ) સુધી આવી પહોંચ્યા, પણ નથી હિંદુઓને જપ વળતો કે નથી મુસ્લિમોને નિરાંત થતી. મંદિર-મસ્જિદ મુદ્દે પણ વિવાદ ચાલ્યા કરે છે ને એનો પણ છેડો દેખાતો નથી એટલે નિરાંત ક્યારે થશે એ નક્કી નથી. સંઘના રાષ્ટ્રીય સંચાલક મોહન ભાગવત પણ વિવાદો નોતરતા રહે છે. વચમાં હિન્દુઓ વધુ બાળકો પેદા કરે એવું વિધાન કરી બેઠેલા ને તેણે ચર્ચા જગાવેલી. અયોધ્યા મંદિર બન્યું એ પછી બીજા મંદિરો પણ મસ્જિદોની નીચે હોવાની શંકાએ કેટલીક મસ્જિદો તપાસવાની ચર્ચાએ જોર પકડ્યું, ત્યારે ભાગવતે ઠાવકાઈથી આવી તપાસ પડતી મૂકવાનો અનુરોધ કર્યો, તો બીજી તરફ સંત સમાજ બધી મસ્જિદો નીચેથી શિવલિંગ ન શોધવાની ભાગવતની સલાહની સામે પડ્યો છે. એનું ઠેકાણું પડે ત્યાં અસદુદ્દીન ઓવૈસીએ સુપ્રીમમાં અરજી કરીને 1991નો કાયદો લાગુ કરવાની માંગ કરી છે. આવી ચર્ચાઓ, માંગણીઓ ચાલ્યા જ કરશે કે એનો કોઈ ઉકેલ પણ આવશે એ ખબર નથી.

19 ડિસેમ્બરે મોહન ભાગવતે પુણેમાં કહ્યું કે રામ મંદિરનાં નિર્માણ પછી કેટલાકને એવું લાગે છે કે નવી જગ્યાએ મંદિરના મુદ્દા ઉઠાવીને હિન્દુ નેતા બની જવાશે. રોજ જ આવા મુદ્દાઓ સામે આવતા હોય તો તેને મંજૂરી કેવી રીતે આપી શકાય? ભારતે એ બતાવવાની જરૂર છે કે બધાં એકબીજા સાથે રહી શકે છે. ઉગ્રવાદ, આક્રમકતા, અન્ય દેવતાઓનું અપમાન એ ભારતીય સંસ્કૃતિ નથી. આ દેશમાં હિન્દુને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે એ જ રીતે બીજાને પણ તેનો ધર્મ પાળવાની છૂટ છે. સાચું તો એ છે કે રામ મંદિર વિવાદ અંગ્રેજો દ્વારા ઊભો કરવામાં આવેલો. ‘ડિવાઈડ એન્ડ રૂલ’ની ઘાતક અસરો હજી દેશમાં છે. આયોધ્યાથી મંદિર-મસ્જિદ વિવાદ થયો ને એ પછી તો બીજા નવ વિવાદો સામે આવ્યા છે. 2019માં સુપ્રીમ કોર્ટે મંદિરનું અસ્તિત્વ પ્રમાણ્યું ને રામ મંદિર થયું, પણ તે જ વખતે કાશી-મથુરાની મસ્જિદો પણ ચર્ચામાં આવી. અહીં પણ મંદિરો તોડીને મસ્જિદો બનાવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે ને હાલ મેટર કોર્ટમાં છે. હિન્દુ મંદિરોની ઉપર મસ્જિદો બાંધવામાં આવી હોવાનો દાવો કરતી અરજીઓ સંદર્ભે ભાગવતની ટિપ્પણી આવી હતી, પણ ભાગવતની વાતોથી સંત સમાજ ખાસો નારાજ થયો હતો. 

ઉત્તર પ્રદેશના સંભલમાં મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે સંઘના વડાના નિવેદનનો જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યને વાંધો પડ્યો ને તેમણે કહ્યું કે ભાગવત અમારા અનુશાસનવાદી નથી, અમે છીએ. ભાગવત સંઘના વડા છે, ધર્મના વડા નથી. સ્વામીનું માનવું છે કે ભાગવતે મંદિરોની તપાસ રોકવાનું કહીને સારી વાત કરી નથી. એ તેમનું અંગત મંતવ્ય છે. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ ટીકા કરતાં કહ્યું કે ભાગવત સત્તા મેળવવા માંગતા હતા ત્યારે મંદિરો સુધી ગયા ને હવે સત્તા મળી ગઈ તો મંદિરો ન શોધવાની સલાહ આપી રહ્યા છે. હિન્દુ સમાજ, મંદિરોને પુનર્જીવિત કરવા માંગતો હોય તો એમાં ખોટું શું છે? ભૂતકાળમાં આક્રમણખોરોએ જે મંદિરો તોડી પાડ્યાં તેની યાદી બનાવવી જોઈએ ને સર્વે કરાવીને મંદિરોની પુન:સ્થાપના કરવી જોઈએ. અખિલ ભારતીય સંત સમિતિના મહાસચિવ સ્વામી જિતેન્દ્દ્રાનંદે તો ત્યાં સુધી કહ્યું કે ધર્મગુરુઓ જે નિર્ણય લે તેને સંઘે અને વિશ્વ હિન્દુ પરિષદે સ્વીકારવો પડશે. સ્વામીએ એ પણ ઉમેર્યું કે ભાગવતની ટિપ્પણીઓ વચ્ચે 56 નવાં સ્થળે મંદિરોની સંરચનાઓ મળી આવી છે. એ વખતે સવાલ થાય કે ધાર્મિક સંગઠનો રાજકીય એજન્ડાને મહત્ત્વ આપે કે જાહેર જનતાની લાગણીને?

એ પછી સંઘના મુખપત્ર ‘પાન્ચજન્યે’, મંદિર-મસ્જિદ વિવાદ પર ભાગવતની ટિપ્પણીનું, તંત્રી હિતેશ શંકરે, ‘મંદિરો પર આ કેવું હુલ્લડ’ શીર્ષકવાળા લેખમાં સમર્થન કર્યું હતું. લેખમાં એમ પણ નોંધ્યું કે કેટલાક લોકો પોતાના રાજકીય હેતુસર મંદિરોનો પ્રચાર કરે છે ને પોતાને હિન્દુ વિચારક ગણાવે છે, પણ મંદિરોનો રાજકીય ફાયદા માટે ઉપયોગ સ્વીકાર્ય નથી. ભાગવતનું નિવેદન દીર્ઘ દૃષ્ટિ અને સામાજિક વિવેકનું આહ્વાન છે. 

એ પણ છે કે આર.એસ.એસ.ના અંગ્રેજી મુખપત્ર ‘ઓર્ગેનાઇઝર’નો મત ભાગવતના મતથી અલગ પડ્યો. તેનું કહેવું હતું કે ભાગવતનો મત ઐતિહાસિક સત્ય અને સભ્યતાના ન્યાયને જાણવાની લડાઈ માત્ર છે. ‘પાન્ચજન્ય’નું માનવું છે કે ભાગવતનાં નિવેદન પછી મીડિયામાં લડાઈ જેવી સ્થિતિ સર્જાઇ તે ઉપજાવવામાં આવી હતી. કેટલાંક અસામાજિક તત્ત્વો પોતાને સામાજિક રીતે બૌદ્ધિક ગણાવે છે, પણ  તેઓ સોશિયલ મીડિયા પર સમાજની લાગણીઓનો દુરુપયોગ કરી રહ્યા છે. આવા વિચારોથી અંતર જાળવવું જોઈએ. વિવિધતામાં એકતાના ભારતીય સિદ્ધાંતથી આવા વિચારો વિપરીત છે. આજના સમયમાં મંદિરો સંબંધિત મુદ્દાઓને રાજકીય શસ્ત્ર તરીકે ઉપયોગમાં લેવા યોગ્ય નથી. સંઘના રાષ્ટ્રીય વડાએ એ મુદ્દે ટકોર કરી છે કે હિન્દુ સમાજે તેના સાંસ્કૃતિક વારસાને જાળવીને વ્યક્તિગત મહિમા અને રાજકીય વિવાદોથી દૂર રહેવું જોઈએ. ઇતિહાસના ઘા પર ઘા મારવાને બદલે સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જવું જોઈએ. ‘ઓર્ગેનાઇઝર’ના સંપાદક પ્રફુલ્લ કેતકરનું કહેવું છે કે ઐતિહાસિક સત્યને જાણવાની આ લડાઈ ધાર્મિક સર્વોપરિતાની નથી. આ લડાઈ રાષ્ટ્રીય ઓળખને પુન: પુષ્ટિ આપવાની અને સભ્યતાના ન્યાય માટેની છે.

મોહન ભાગવત

સંઘની નીતિ રીતિ પણ ચર્ચામાં રહી છે. એ પણ દેખાય છે કે સંઘ અને ભા.જ.પ. વચ્ચેનો મેળ ઘટતો જાય છે. ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયીએ કહેલું કે હું છેલ્લા શ્વાસ સુધી સંઘનો સ્વયંસેવક રહીશ. તો, મહંમદ અલી ઝીણાને બિનસાંપ્રદાયિક ગણાવવા બદલ સંઘે લાલકૃષ્ણ અડવાણીનું ભા.જ.પ.ના અધ્યક્ષ પદેથી રાજીનામું લઈ લીધેલું, એટલું જ નહીં, તે વખતના સંઘના વડા સુદર્શને વાજપેયી અને અડવાણીને ભા.જ.પ.માંથી રિટાયર થઈ જવાનું પણ કહેલું. 

તો, આ પરિસ્થિતિ છે. લાગે છે એવું કે ક્યાં ય એકવાક્યતા નથી. ભાગવતના નિવેદન અંગે સંઘનાં જ હિન્દી મુખપત્ર ‘પાન્ચજન્ય’ અને અંગ્રેજી મેગેઝીન ‘ઓર્ગેનાઇઝર’ના તંત્રીઓના મત જુદા પડે છે. સંઘને જરૂર હતી ત્યારે રામ મંદિરનો મુદ્દો ખપમાં લઈને સત્તા હાંસલ કરી ને હવે સત્તા છે તો ધાર્મિકોની એ જ ધોરણે અન્ય મંદિરોને ઉગારવાની વાતને ભાગવત અટકાવવાનું કહે છે. જો કે, ભાગવતનાં નિવેદન અગાઉ સુપ્રીમ કોર્ટે તો 12 ડિસેમ્બરે જ કહી દીધેલું કે 18થી વધુ વિવાદિત જ્ગ્યાઓના કેસ ચાલી રહ્યા છે ત્યારે તેની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી નવી અરજી કરવી નહીં અને કોઈ પણ જગ્યા, મંદિર છે કે મસ્જિદ, એ સુપ્રીમ કોર્ટ પોતે નક્કી કરશે. 

આટલું ઓછું હોય તેમ AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ 17 ડિસેમ્બરની અરજીમાં પૂજા સ્થળ કાયદો લાગુ કરવાની માંગ કરી છે. ઓવૈસીના વકીલે હવાલો આપતા જણાવ્યું કે ઘણી કોર્ટે કેટલીક અરજીઓ સંદર્ભે મસ્જિદોનું સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. ઓવૈસીએ મસ્જિદોની વર્તમાન સ્થિતિ જાળવી રાખવા 1991ના પૂજા સ્થળ કાયદાને લાગુ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પૂજા સ્થળ (વિશેષ જોગવાઈ) એક્ટ 1991 કોઈ પણ ધાર્મિક સ્થળના સ્વરૂપમાં આવતું પરિવર્તન રોકે છે. આ કાયદા હેઠળ કોઈ પણ પૂજા સ્થળ 15 ઓગસ્ટ, 1947ને રોજ જેવું હતું, તેવું જ રહેશે. એ હિસાબે મસ્જિદ નીચે મંદિર હોય તો પણ તેને સ્પર્શી ન શકાય, કારણ 1991ના કાયદા મુજબ તો 15 ઓગસ્ટ, 1947 પછી કોઈ પણ ધાર્મિક સ્થળને છે તેથી જુદું સ્વરૂપ આપવાનું શક્ય જ નથી.

લાગે છે તો એવું કે આવું જ ચાલ્યા કરશે. બીજું કૈં થાય કે ન થાય મંદિર-મસ્જિદ વિવાદ ચાલ્યા કરે એવું બને. અંગ્રેજોની ‘ડિવાઈડ એન્ડ રૂલ’ની નીતિને 75 વર્ષનાં પોતીકાં બંધારણ છતાં ભારતીયો ખોટી પાડવા જ નથી માંગતા. એ અત્યંત દુ:ખદ છે કે કોઈ વિદેશી આક્રમણોને તે વખતના રાજા-મહારાજાઓએ ખાળ્યું જ નહીં. એટલે કોઈ વિદેશી પ્રજા ભારતમાં પ્રવેશતી રોકી શકાઈ જ નહીં ! એ રોકાઈ હોત તો કોઈ પણ મસ્જિદને કેટલો અવકાશ હોત તે પ્રશ્ન જ છે. મસ્જિદ જ ન હોત તો મંદિરોને તોડવાનો સવાલ જ ન હોત, પણ ત્યારે હિન્દુ રાજાઓ વિદેશી પ્રજાઓ સાથે ટકરાવાને બદલે અંદરોઅંદર ટકરાવામાં જ વ્યસ્ત હતા. અંગ્રેજી સલ્તનતનો પાયો નાખનાર રોબર્ટ ક્લાઇવને ભારતમાં શાસનનું નિમંત્રણ આપનાર અમીચંદ અને મીરજાફર ભારતના જ હતા. મોગલોએ ઢગલો મંદિરો તોડીને મસ્જિદો બાંધી તે રાતોરાત કે અંધારામાં તો નહીં જ બંધાઈ હોય, તે ભારતીય રાજાઓ રોકી શકતા હતા. એ બાંધકામ રોકાયું હોત તો આજે મસ્જિદ નીચે મંદિર ખોળવાનો વારો આવ્યો ન હોત ને હવે ઢોળાયેલા દૂધ પર અફસોસ કરવાનો સમય આવ્યો છે. 

અત્યારની પરિસ્થિતિ એવી છે કે સુપ્રીમ કોર્ટ જ આનો નિર્ણય લઈ શકે. એમાં કોઈ શંકા નથી કે મંદિરોને બહાર લાવવાં હોય તો ન્યાયની રાહ જોવી પડે ને ન્યાય થવા દેવો પડે. આટલું થાય તો લાંબે ગાળે દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય, મગર વો દિન કહાં કિ … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 જાન્યુઆરી 2025

Loading

ઇસ્લામિક શરિયત કાનૂન સામે કશું બોલવાનું કે નહિ?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|3 January 2025

હેમંતકુમાર શાહ

એક આખી ટ્રક બેફામ ચલાવીને અમેરિકામાં ન્યૂ ઓર્લિન્સમાં મધરાતે માણસોને ચગદી નાખનાર અમેરિકામાં જ જન્મેલો એક મુસ્લિમ નાગરિક ઇસ્લામિક સ્ટેટ(IS)નો ઝંડો એની ટ્રકમાં લગાડે છે. આવી ઘટનાઓ છેલ્લા કેટલાક સમયમાં બની છે. ટ્રક અને કાર ઇસ્લામિક આતંકવાદનાં સાધનો બનાવી દેવાયાં છે. 

આ ઇસ્લામિક સ્ટેટ નામનું આતંકવાદી જૂથ ઇસ્લામી શરિયત કે શરિયા કાનૂન આખી દુનિયામાં કે પછી દુનિયામાં જ્યાં પણ મુસ્લિમો રહેતા હોય તે બધા મુસ્લિમોને લાગુ પડે એમ ઈચ્છે છે. તેને એમ લાગે છે કે એ અલ્લાહે આપેલો કાનૂન છે અને તેનું પાલન થવું જ જોઈએ. 

ટ્રક ચલાવનાર ઝનૂની મુસ્લિમ અમેરિકન નાગરિક શમસુદ્દીન જબ્બરે ૧૩ વર્ષ સુધી અમેરિકન લશ્કરમાં સૈનિક તરીકે કામ કરેલું અને પાછો અફઘાનિસ્તાનમાં ધર્મઝનૂની તાલિબાન સામે લડેલો.

એનું મગજ ફેરવી નાખ્યું ISના ધર્મઝનૂની પ્રચારે. સવાલ એ છે કે એવું શું શિખવાડે છે એ IS કે જેથી એ શીખનાર લોકો બીજા લોકોને કે અન્ય ધર્મીઓને મારી નાખવા અને જાતે મરી જવા તૈયાર થઈ જાય છે? એમને એમ કહેવામાં આવે છે કે તેઓ અલ્લાહ માટે કામ કરી રહ્યા છે ને જો તેઓ એ કામ કરતાં કરતાં મરશે તો તેમને જન્નત મળશે. આ મારવા અને મરવાનો ધંધો કરનારાને કેમ સમજાતું નથી કે મનુષ્યની જિંદગી સૌથી કીમતી ચીજ છે, તેમ જ મનુષ્ય આ કહેવાતા ધર્મ કરતાં પણ મોટો છે?

ધાર્મિક કાયદા જેવી બધી બોગસ વાતો હેઠળ જ ધિક્કારનું માનસ ફેલાય છે અને એમાં માનવ જિંદગી હોમાય છે. હકીકત એ છે કે અલ્લાહ, ઈશ્વર, ગોડ વગેરે તો મનુષ્યની કલ્પના છે અને જન્નત કે જહન્નુમ પણ એવી કલ્પનાઓ માત્ર છે. કશું પણ આખરી હોઈ શકે જ નહિ. 

છેલ્લાં ચારસો વર્ષમાં મનુષ્યની જીવન શૈલી બદલાઈ ગઈ. રાજાશાહીમાં અને ખેતીને આધારે જીવતો માણસ હવે રહ્યો નથી. એટલે એ જમાનામાં લાગુ કરવામાં આવેલા ધાર્મિક કે અન્ય કાયદા આજે કેવી રીતે લાગુ પડી શકે? 

જો હિંદુઓની મનુસ્મૃતિ ખરાબ હોય, ભેદભાવ પ્રેરનારી હોય, માનવ અધિકારોના ભંગને પ્રોત્સાહન આપનારી હોય; રામ કે કૃષ્ણની જાતજાતની કથાઓની જો ટીકાઓ થઈ શકે તો ઇસ્લામની વાર્તાઓની પણ આલોચના થઈ શકે એ સ્વીકારવાની આવશ્યકતા છે. શરિયત કાનૂન કે ઇસ્લામના કોઈ પણ ગ્રંથ વિશે પણ ટીકા હોઈ શકે એ મુસ્લિમોએ સમજવાની જરૂર છે. ઇસ્લામ એટલે શાંતિ એવું કહેવામાં આવે છે, તો પછી એના નામે આતંકવાદ કેમ? 

ભણેલોગણેલો મુસ્લિમ વર્ગ જરા વિચારે અને ધર્માંધતામાંથી પોતે બહાર આવે, તેમ જ પોતાના ભાઈઓ-બહેનોને બહાર કાઢવાનું શરૂ કરે. કુરાન, શરિયત કે હદીથમાં જે કંઈ એવું છે કે જે આજે ન જ ચાલે; તો એ ખોંખારીને કહેવું જ પડે. મદ્રેસાઓમાં એ યુવાનોને ભણાવતા રહેવું કેટલું વાજબી કહેવાય? પોતે ધર્માંધ રહેવું છે, અને બીજાને ધર્મનિરપેક્ષ રાખવા છે એવું નહિ ચાલે. જો એ નહિ થાય તો ધર્મનું રાજકારણ બધાને લઈને ડૂબશે, મારશે અને રક્તપાત થયા કરશે. જે જ્યાં તાકાતવાળા હશે તેઓ ત્યાં બીજાઓની દશા બગાડશે.

માનવ અધિકારોને કેન્દ્રમાં રાખીને, સમાનતા, ન્યાય, લોકશાહી અને સ્વતંત્રતાનાં મૂલ્યો જો ધર્મો ના સ્વીકારતા હોય તો એ બધા ધર્મો અને એમના ગ્રંથો કચરાપેટીમાં ફેંકવા જેવા જ કહી શકાય.

૨૦૨૫માં દુનિયામાં બધા થોડા બુદ્ધિપૂર્વક વર્તતા થાય એવી શુભકામના.

તા. : ૦૩-૦૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...301302303304...310320330...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved