Opinion Magazine
Number of visits: 9579643
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રસ્તાવના

દીપક મહેતા|Opinion - Literature|28 August 2018

 

હાથ વખાણાં હોય, કે વખાણું દિલ વાણિયા,
કલમ વખાણું કોય, કે તારી જીભ વખાણું ઝવેરચંદ!

દુલા ભાયા કાગનો આ દુહો ઝવેરચંદ મેઘાણી(૧૮૯૬-૧૯૪૭)ની એક આગવી લાક્ષણિકતા તરફ આપણું ધ્યાન દોરે છે. મેઘાણી એક એવા સર્જક છે જેનાં હાથ-દિલ-કલમ-જીભ એકબીજાના સંવાદમાં રહીને જ વર્તતાં હતાં. હાથ, કલમ, અને જીભ વડે મેઘાણીએ એ જ આરાધ્ય દેવતાની ઉપાસના કરી છે જે એમના દિલને માન્ય હોય, પૂજ્ય હોય. અને આ આરાધ્ય દેવતા એટલે લોક, એમની સંસ્કૃિત, એમની ભાષા, એમનું સાહિત્ય, એમના હરખ-શોક, એમનાં આશા-અરમાન, ટૂંકમાં કહેવું હોય તો લોકહૃદયના ધબકાર.

ગુજરાતમાં જેમને વ્યાપક લોકપ્રિયતા મળી હોય, અને તે પાછી લાંબા વખત સુધી ટકી રહી હોય એવા જે ગણ્યાગાંઠ્યા સર્જકો છે તેમાંના એક મેઘાણી. પણ લોકપ્રિયતા મેળવવી એને તેમણે ક્યારે ય પોતાનું લક્ષ્ય બનાવ્યું નહોતું. પોતે જે કાંઈ લખે-બોલે તે લોકગમ્ય રહે એ અંગે મેઘાણી સભાન રહ્યા હશે, પણ લોકપ્રિયતા મેળવવા માટે થઈને તેમણે ક્યારે ય સસ્તો કે સહેલો રસ્તો અપનાવ્યો નહોતો. ‘શબદના સોદાગરને’ નામનું કાવ્ય વાંચતાં પહેલી નજરે ભલે લાગે કે મેઘાણી બીજા સર્જકોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે, પણ હકીકતમાં તો મેઘાણી પોતાની જાતને જ કહી રહ્યા હતા:

હૈયા કેરી ધારણે
તારે ઉર ઊઠે જે સૂર જી;
એ જ સૂરોના ઈમાની ભાઈ!
ગાયા કર ચકચૂર
જી-જી શબદના વેપાર.

મેઘાણીની વિશેષતા એ છે કે વ્યક્તિ તરીકે તેમ જ સર્જક તરીકે તેઓ સૌરાષ્ટ્રના લોકજીવન અને લોકસાહિત્યનો જીવ હતા. પણ તેમના પ્રત્યેની મેઘાણીની દૃષ્ટિ મુગ્ધ-રસિકની જ નહોતી, નિરીક્ષક અને પરીક્ષકની પણ હતી. આથી જ તેમણે લોકસાહિત્યના ચલણી સિક્કાને વટાવી ખાધો નહિ, પણ સંપાદક, સંશોધક, વિવેચક તરીકે પોતાની પરિષ્કૃત દૃષ્ટિથી ઘસી ઘસીને એ સિક્કાને તેમણે ઉજમાળો પણ બનાવ્યો. લોકસાહિત્યના સંશોધન અને સંપાદનનું કામ મેઘાણીએ લોકકથાઓથી શરૂ કર્યું. ડોશીમાની વાતો, સૌરાષ્ટ્રની રસધારના પાંચ ભાગ, સોરઠી બહારવટિયાના ત્રણ ભાગ, કંકાવટીના બે ભાગ, રંગ છે બારોટ, સોરઠી સંતો, અને પુરાતન જ્યોત જેવાં પુસ્તકોમાં તેમણે સૌરાષ્ટ્રની લોકકથાઓનાં વૈવિધ્ય અને વૈભવને રજૂ કર્યો છે.

તો લોકગીતોની શ્રી અને સૌરભને ઝીલતાં તેમણે જે પુસ્તકો આપ્યાં તેમાં રઢિયાળી રાતના ચાર ભાગ, ચૂંદડીના બે ભાગ, હાલરડાં, ઋતુ ગીતો, સોરઠી સંતવાણી, સોરઠિયા દુહા, વગેરેનો સમાવેશ થાય છે. પણ મેઘાણીએ લોકકથા અને લોકગીતોનું માત્ર સંશોધન અને સંપાદન જ નથી કર્યું. તેમણે સૌરાષ્ટ્રના લોકસાહિત્યનું ઊંડાં સૂઝ, સમજ અને સમભાવપૂર્વક વિવેચન પણ કર્યું છે. તેમના લગભગ દરેક સંપાદનની આગળ વિસ્તૃત પ્રવેશક તો હોય જ. આ પ્રવેશકો અને બીજા સ્વતંત્ર લેખો અને અભ્યાસો લોકસાહિત્ય: ધરતીનું ધાવણના બે ભાગ, લોકસાહિત્ય – પગદંડીનો પથ, ચારણો અને ચારણી સાહિત્ય, અને લોકસાહિત્યનું સમાલોચન જેવાં પુસ્તકોમાં સંઘરાયા છે.

મેઘાણી લોકસાહિત્યના કેવા તો કુશળ પારેખ હતા એ દર્શાવતો એક પ્રસંગ દુલા કાગે નોંધ્યો છે: “રસધાર લખાતી હતી, પોરસાવાળા દુહા થોડાક વધારે મળે તો ઠીક, એમ એમણે મને કહેલું. હું મારા દીર્ઘસૂત્રી સ્વભાવ પ્રમાણે ભૂલી ગયેલો. ઉપરાઉપર ત્રણ પત્તાં આવ્યાં, એટલે સાત દુહા ઘરના જ બનાવી મોકલી દીધા અને લખ્યું કે આટલા મળ્યા છે! વળતાં એમનો કાગળ આવ્યો કે દુલાભાઈ, આ દોહા જો તમારા લખેલા હોય તો થોડાક વધારે લખી નાખો ને! કાગળ વાંચી હું તો ઠરી ગયો કે વાહ મેઘાણી! કયા પુણ્યથી પ્રભુ માણસને આવી અક્કલ આપી દેતો હશે? પછી તો આગળના અને મારા રચેલા દુહા ઘણા કવિમિત્રોને મોકલ્યા કે આમાંથી નવા દુહા શોધી કાઢો, પણ એક મેઘાણી સિવાય કોઇથી એ બની શક્યું નથી.”

લોકસાહિત્યની મહેક મેઘાણીના શ્વાસમાં અને તેની ગહેક તેમના લોહીમાં એવી તો ભળી ગઈ હતી કે તેમણે જે કાંઈ મૌલિક લેખન કર્યું તેમાં લોકજીવનનો ધબકાર અને લોકસાહિત્યનો લય સંભળાયા વગર રહેતો નથી. તે એટલે સુધી કે રવીન્દ્રનાથ ટાગોરની કવિતાના કે યુરોપીય સાહિત્યની કોઈ કૃતિના તેઓ અનુવાદ કરે છે ત્યારે પણ મોટે ભાગે તેને સૌરાષ્ટ્રના લોકજીવન અને લોકસાહિત્યનાં ભાવ અને ભાષાના વાઘા પહેરાવીને જ આપણી સમક્ષ રજૂ કરે છે. લોકસાહિત્ય ઉપરાંત મેઘાણીને અને તેમના શબ્દને બીજા કોઈનો પાસ લાગ્યો હોય તો તે ગાંધીજી અને તેમની પ્રવૃત્તિઓ અને વિચારણાનો. એટલે ‘યુગવંદના’ એ એમના એક કાવ્યસંગ્રહનું નામ તો છે જ, પણ મેઘાણીના મોટા ભાગના મૌલિક સર્જનને પણ યુગવંદના તરીકે ઓળખાવી શકાય તેમ છે. આથી એક તરફ મેઘાણીનો શબ્દ તેમને ગાંધીજી જેવા પાસેથી ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવે છે, તો બીજી બાજુ ગાંધીજી અને ગાંધી યુગની વિદાય પછી પણ લાંબો વખત ટકી રહે એવાં થોડાંક ગીતો આપણને અપાવે છે. યુગવંદના ઉપરાંત વેણીનાં ફૂલ, કિલ્લોલ, એકતારો, બાપુનાં પારણાં અને રવીન્દ્રવીણા એ મેઘાણીના બીજા કાવ્ય સંગ્રહો છે.

લોક હૃદય પર મેઘાણી છવાઈ ગયા ભલે કવિ તરીકે, પણ તેમનું પહેલું પુસ્તક હતું રવીન્દ્રનાથના કથા ઓ કાહિનીમાંની વાર્તાઓના અનુસર્જન રૂપ કુરબાનીની કથાઓ. વખત જતાં મેઘાણીએ વાર્તાઓના બીજા સંગ્રહો પણ આપ્યા: મેઘાણીની નવલિકાઓના બે ભાગ, વિલોપન, જેલ ઓફિસની બારી, પ્રતિમાઓ, પલકારા અને દરિયા પારના બહારવટિયા, વગેરે. જો કે આ સંગ્રહોમાંની ઘણી વાર્તાઓ અનુવાદ, રૂપાંતર, કે અનુસર્જન પ્રકારની છે. તેમની મૌલિક વાર્તાઓમાં પણ મોટે ભાગે લોકજીવન અને લોકસાહિત્યનો પાસ લાગેલો દેખાય છે. આ જ વાત તેમની નવલકથાઓને પણ લાગુ પડે છે. સત્યની શોધમાં, અપરાધી, તુલસીક્યારો, નિરંજન, પ્રભુ પધાર્યા, બીડેલાં દ્વાર, વસુંધરાનાં વહાલાં-દવલાં, વેવિશાળ, સત્યની શોધમાં, સોરઠ તારાં વહેતાં પાણી જેવી તેમની નવલકથાઓમાંની કેટલીક અનુવાદ કે અનુસર્જન રૂપ છે તો બાકીની મૌલિક નવલકથાઓ લોકજીવનની ભોંય પર આલેખાયેલી છે. ગુજરાતનો જય, રા’ ગંગા જળિયો, સમરાંગણ, જેવી ઐતિહાસિક નવલકથાઓ પણ મેઘાણી પાસેથી મળી છે. તો કાલચક્ર મેઘાણીના અવસાનને કારણે અધૂરી રહી ગઈ હતી. જેને ન તો નવલિકા કહી શકાય કે ન તો નવલકથા કહી શકાય તેવા મેઘાણીના એક વિલક્ષણ પુસ્તકને પણ અહીં જ યાદ કરી લઈએ. આ પુસ્તક તે માણસાઈના દીવા. રવિશંકર મહારાજે પોતાના સ્વાનુભવો કહ્યા તે અહીં મેઘાણીએ શબ્દબદ્ધ કર્યા છે. પણ એનો અર્થ એવો નથી કે અહીં મેઘાણીએ માત્ર રિપોર્ટરનું કામ કર્યું છે. મેઘાણીમાં રહેલી સર્જકતા આ કથાઓ પર પોતાનો સુભગ પ્રભાવ પાડ્યા વગર રહેતી નથી.

આ ઉપરાંત મેઘાણીએ આત્મકથનાત્મક લેખો લખ્યા છે તો જીવન ચરિત્રો લખ્યાં છે. પ્રવાસ વર્ણનો લખ્યાં છે તો લેખો, પત્રો, પ્રવચનોના સંગ્રહો પણ આપ્યા છે. દ્વિજેન્દ્રલાલ રોય અને રવીન્દ્રનાથ ટાગોરનાં નાટકોના અનુવાદ કર્યા છે તો વંઠેલાં નામના પુસ્તકમાં મેઘાણીનાં ત્રણ મૌલિક એકાંકી સંગ્રહાયાં છે.

મેઘાણીને આયુષ્ય મળ્યું માંડ પચાસ વર્ષનું. તેમાં લેખન કાળ લગભગ પચ્ચીસ વર્ષનો. અને છતાં ૮૫ જેટલાં પુસ્તકો તેમણે આપણને આપ્યાં. એક પત્રમાં ઉમાશંકર જોશીએ મેઘાણીને લખેલું તેમ “આટલીક જિંદગીમાં તમારે હાથે લખાયેલાની નકલ કરતાં પણ બીજાની તો કેટલીય જિંદગી ચાલી જાય.” આટલું વિપુલ લેખન કરનાર મેઘાણીનાં લખાણોમાંથી આ સંપાદન માટે શું લેવું અને શું નહિ તે નક્કી કરવાનું સારું એવું અઘરું પડ્યું છે. કેટલીક લેવા જેવી કૃતિઓ તેની લંબાઈને કારણે ન છૂટકે જતી કરવી પડી છે. છતાં મેઘાણીના વૈવિધ્યસભર સાહિત્યનું ભલે આછું પણ ઓછું નહિ તેવું પ્રતિનિધિત્ત્વ જળવાઈ રહે એવો પ્રયત્ન કર્યો છે.  ઝવેરચંદ મેઘાણીની જન્મ શતાબ્દી પ્રસંગે તેમનું સમગ્ર સાહિત્ય ગ્રંથ-શ્રેણી રૂપે પ્રગટ કરવાની યોજના તેમના પુત્ર જયંત મેઘાણીએ તૈયાર કરી હતી. પણ ત્યારે ‘પ્રસાર’ દ્વારા નવ ગ્રંથો પ્રગટ થયા પછી એ કામ અટકી ગયું. ત્યાર બાદ ૨૦૦૯માં ગાંધીનગરની ગુજરાત સાહિત્ય અકાદમીએ મેઘાણીનાં ૮૫ પુસ્તકો અને કેટલીક અગ્રંથસ્થ સામગ્રીને કુલ ૧૯ ગ્રંથોમાં પ્રગટ કરવાની યોજના હાથમાં લીધી અને તેનું સંપાદન પણ જયંતભાઈને સોંપ્યું. અત્યાર સુધીમાં તેમાંથી ૧૨ ગ્રંથ પ્રગટ થઇ ચૂક્યા છે. અહીં જે કૃતિઓ (કે તેના અંશો) સમાવ્યા છે તેના પાઠ માટે મુખ્ય આધાર આ બે ગ્રંથ શ્રેણીઓ પર રાખ્યો છે. મેઘાણીની જે કૃતિઓ હજી આ બેમાંથી એકે યોજનામાં પ્રગટ થઇ નથી તેનો પાઠ જે-તે મૂળ પુસ્તકમાંથી લીધો છે. જયંતભાઈ, તેમની પ્રકાશન સંસ્થા પ્રસાર, અને ગુજરાત સાહિત્ય અકાદમીનું ઋણ કૃતજ્ઞભાવે સ્વીકારું છું. આ પુસ્તકનું સંપાદન કરવાની જવાબદારી સોંપવા માટે બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજના શ્રી હેમરાજભાઈ શાહનો આભારી છું. અને નવભારત સાહિત્ય મંદિર અને તેના અશોકભાઈ શાહે ટૂંક સમયમાં પુસ્તક તૈયાર કરી આપ્યું તે માટે તેમનો આભાર માનું છું.

આજે આપણી સામે મેઘાણીની ભવ્ય મુખાકૃતિ નથી, આષાઢી મોરલાના કંઠ જેવો તેમનો કંઠ નથી, તેમના પ્રતાપી વ્યક્તિત્વની ભૂરકી નથી. છતાં મેઘાણીની કલમ અને કિતાબનો કસુંબલ રંગ હજી આજે ય ઉપટ્યો નથી અને તેથી જ આજે પણ મેઘાણી મીઠી હલકથી સાદ પાડીને પોતાના ભાવકોને જાણે કહી રહ્યા છે:

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા: રંગીલા હો!
પીજો કસુંબીનો રંગ.

અને ભાવકો પણ મેઘાણીએ ઘોળી ઘોળીને ભરેલા કસુંબલ પ્યાલા આજ સુધી પીતા રહ્યા છે અને મેઘાણીના જ શબ્દોમાં જાણે કહી રહ્યા છે:

લાગ્યો કસુંબીનો રંગ —
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!

૧૭ જુલાઈ, ૨૦૧૫        

અષાઢનો પહેલો દિવસ

મુંબઈ

Email: deepakbmehta@gmail.com

[મેઘાણીભાઈના જન્મ દિવસ નિમિત્તે અહી રજૂ કરેલું લખાણ 'મેઘાણીની શબ્દસૃષ્ટિ' નામના સંપાદન માટે તૈયાર કર્યું હતું. આ સંપાદન આજ સુધી અપ્રગટ રહ્યું છે અને તેથી આ લખાણ પણ અપ્રગટ રહ્યું છે. આજે પહેલી વાર તેને જાહેરમાં મૂક્યું છે.]    

Loading

કાકા કાલેલકર: વરસાદી વાતો અને વિનોદવૃત્તિ

વિશાલ શાહ|Opinion - Opinion|28 August 2018

''વરસાદના દિવસ આવી ગયા છે! જ્યાં જ્યાં વરસાદ આવી ગયા છે ત્યાં ત્યાં માબાપોએ પોતાનાં બાળકોને લઇ જઇને જમીન ક્યાં કેટલી ઊંચી છે, પાણી ક્યાંથી કેવી રીતે વહે છે, પહાડ અને ટેકરા પરથી પાણી કેવી રીતે વહી જાય છે અને પાણી ઉચ્ચનીચનો ભેદભાવ દૂર કરવાનો કેવો પ્રયત્ન કરે છે એ બધું તેમને બતાવવું જોઈએ. આ ખેલમાં કેવળ બચપણનો જ આનંદ છે એમ નથી. જો છોકરાં બચપણમાં જ પાણીના વહેણનું અધ્યયન કરશે તો હિંદુસ્તાન માટે અત્યંત આવશ્યક એવી એક રાષ્ટ્રીય વિદ્યાનો એટલે કે ભગીરથવિદ્યા – નદી નહેરોને કાબૂમાં લાવવાની વિદ્યા-નો તેઓ પ્રારંભ કરશે. હિંદુસ્તાન જેટલો દેવમાતૃક છે તેટલો જ નદીમાતૃક પણ છે. તેથી જ પર્જન્યવિદ્યા (મિટીઓરોલોજી) અને ભગીરથવિદ્યા (સાયન્સ ઓફ રિવર ટ્રેનિંગ) બંને આપણી રાષ્ટ્રીય વિદ્યાઓ છે…''

કાકા કાલેલકર

આશરે આઠ દાયકા પહેલાં દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ઉર્ફ કાકા કાલેલકરે 'ચોમાસું માણીએ!' નામના લલિત નિબંધમાં આ શબ્દો લખ્યા હતા. ગુજરાતી ભાષામાં પ્રકૃતિ વિશે સૌથી વધારે અને ઉત્તમ કોણે લખ્યું હશે? જો આવો સવાલ પૂછાય તો એક ક્ષણનાયે ખચકાટ વિના કાકા કાલેલકરનું નામ આપી શકાય! ૨૧મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ કાકાની ૩૭મી પૂણ્યતિથિ ગઈ. એ નિમિત્તે કાકાના બે-ચાર વરસાદી લખાણો આજના સંદર્ભમાં યાદ કરીએ.

ઓછા શબ્દોમાં 'મોટી' વાત સરળતાથી અને વિનોદવૃત્તિથી કહેવાની કાકા પાસે જબરદસ્ત હથોટી હતી. લેખની શરૂઆતના ફકરામાં જ જુઓને. કાકાએ કેટલું બધું કહી દીધું છે! માબાપોએ સંતાનોને નજીકથી વરસાદ બતાવવો જોઈએ એવી સલાહ આપવાની સાથે તેમણે હળવેકથી એવું પણ કહી દીધું છે કે, પાણી ઉચ્ચનીચના ભેદભાવ રાખતું નથી. આ ઉપરાંત તેમણે પર્જન્યવિદ્યા (હવામાન શાસ્ત્ર) અને ભગીરથવિદ્યા નામના બે નવા શબ્દ પણ આપ્યા છે.

***

આપણો કુદરત સાથેનો નાતો દિવસે ને દિવસે ઘટી રહ્યો છે ત્યારે કાકાનાં 'ક્લાસિક' લખાણો નવાં નવાં સ્વરૂપમાં આજની પેઢી સમક્ષ મૂકાવા જોઈએ. શહેરમાં રહેતા હોઈએ એટલે કુદરતની નજીક ના રહી શકાય એ આપણી સામૂહિક આળસવૃત્તિમાંથી પેદા થયેલી ગેરમાન્યતા છે. પ્રકૃતિનો આનંદ લેવા માટે ફક્ત દૃષ્ટિ અને રસ હોવો જરૂરી છે. નદી-ઝરણાંમાં ન્હાયા હોય, પર્વતો પર ઢીંચણ ટીચ્યા હોય, ઝાડ પર ચઢ્યા હોય, જંગલમાં રાત વીતાવીને બિહામણા અવાજ સાંભળ્યા હોય અને વડની વડવાઈઓ પર લટકીને હાથ છોલ્યા હોય એવા બાળકો લઘુમતીમાં આવતા જાય છે. વરસાદ પડે ત્યારે તો વનસ્પતિઓ ખીલી ઊઠે છે અને નવાં નવાં જીવજંતુના મેળા ભરાય છે. આ બધામાં બાળકો રસ લે એ માટે જાતે જ 'ઇન્સેક્ટ સફારી'નું આયોજન કરી શકાય. ગામડાંમાં કે નાના નગરમાં રહેતા હોઈએ તો વાંધો નથી, પરંતુ શહેરમાં હોઇએ તો આસપાસના બગીચા, નાનકડાં વન-વગડાં જેવા વિસ્તારો, મેદાનો અને ખાડામાં ભરાયેલા પાણી તેમ જ ખેતરોમાં જઈને વનસ્પતિઓ અને જીવજંતુઓને નજીકથી નિહાળવાનું આયોજન કરી શકાય.

જુદી જુદી પ્રજાતિની ચેલ્સિડ વાસ્પ


મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં પુરુષવાડી જેવા અનેક સ્થળે આગિયાઓનું રંગીન વાવાઝોડું જોવાનો ઉત્તમ સમય મેથી જૂન

આ વિશે પણ કાકાએ 'ચોમાસું માણીએ!'માં સરસ વાત કરી છે. વાંચો એમના જ શબ્દોમાં. ''વનસ્પતિસૃષ્ટિની અને કીટસૃષ્ટિની સમૃદ્ધિ આ વખતે જ થવી જોઈએ. વનસ્પતિવિદ્યા અને કીટવિદ્યા જો વધારવી હોય તો દેશના નવયુવકોમાં બચપણથી જ આ વાતો પ્રત્યે પ્રેમ પેદા કરવો જોઈએ. લાલ મખમલ ઓઢેલા ઇન્દ્રગોપથી માંડીને 'જાદુઇ ટોર્ચ' સાથે રાખનાર આગિયા સુધીના બધા કીટકોનો આકાર, રંગ, એમનો સ્વભાવ, એમનો આહાર, એમનું કાર્ય – આ બધાનું નિરીક્ષણ કરવું જોઈએ. હિંદુસ્તાનની વનસ્પતિઓનું તો પૂછવું જ શું? શારદા અને અન્નપૂર્ણા, શાકંભરી અને જગધાત્રી બધી દેવીઓનું સ્મરણ કરીને વનસ્પતિવિદ્યાનો આ દિવસોમાં પ્રારંભ કરવો જોઈએ …''

આ પૃથ્વી પર કેટલી પ્રજાતિના જંતુ છે? જવાબ ચોંકાવનારો છે, આશરે એંશી લાખ. અને આજનું વિજ્ઞાન તેમાંથી કેટલા જંતુઓને ઓળખે છે? એ આંકડો તો એનાથીયે વધુ ચોંકાવનારો છે, ફક્ત ૧૩ લાખ. છેલ્લા એકાદ દાયકામાં ભારતમાંથી જીવજંતુઓની અનેક નવી પ્રજાતિ મળી છે. જેમ કે, અંજીરના ફળમાં રહેતી ૩૦ નવી પ્રજાતિ અને મેટાલિક રંગની ચળકતી મધમાખીઓ (સાયન્ટિફિક નામ ચેલ્સિડ વાસ્પ અથવા ચેલ્સીડોઈડિયા). આ ઉપરાંત કીડી અને સાયકોડિડ ફ્લાય(રુંવાટી ધરાવતી ભૂખરી માખીઓ)ની ત્રણ-ત્રણ પ્રજાતિ.

ઝૂલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ નાગાલેન્ડમાંથી વૉટર સ્ટ્રાઇડરની ૧૦૦થી પણ વધારે પ્રજાતિ શોધી કાઢી છે. અત્યાર સુધી આખા ભારતમાં ફક્ત પાંચ પ્રકારના જ વૉટર સ્ટ્રાઇડર જાણીતા હતા. આપણે અનેકવાર નદી, તળાવો, કેનાલો, કૂવા, પાણી ભરેલા ખેતરો, ખાબોચિયાં અને સ્વિમિંગ પુલમાં વૉટર સ્ટ્રાઇડર્સ  જોયા હશે, જે શરીર કરતાં ખૂબ જ લાંબા પગની મદદથી પાણીની સપાટી પર બેઠા હોય છે. કુદરતે તેને ત્રણ જોડી પગ આપ્યા હોવાથી પાણીમાં રહેતાં બીજાં જીવડાં કરતાં અલગ તરી આવે છે. કેટલાં બધાં વૈવિધ્યપૂર્ણ જીવો રહે છે આપણી આસપાસ! પરંતુ આપણે માણસો તો એકબીજાને પણ માંડ ઓળખવાનો પ્રયાસ કરીએ છીએ.

***

ભારત તો જંતુસૃષ્ટિને લઈને પણ અતિ સમૃદ્ધ છે, પરંતુ આપણા દેશમાં ક્યાં ય ઈન્સેક્ટ મ્યુિઝમય નથી. હા, કોલકાતાના ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, કોઝિકોડના વેસ્ટર્ન ઘાટ રિજનલ સેન્ટર અને બેંગાલુરુના નેશનલ બ્યુરો ઓફ એગ્રિકલ્ચરલ ઈન્સેક્ટ રિસોર્સીસમાં ઘણાં જીવજંતુઓના નમૂના સચવાયેલા છે. આ ઉપરાંત પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા બેંગલુરુના અશોકા ટ્રસ્ટે પણ એકાદ હજાર પ્રજાતિના જીવજંતુઓના એક લાખ નમૂના ભેગા કર્યા છે. ત્યાં સુધી લાંબા થવાય તો ઠીક છે, નહીં તો વરસાદી માહોલમાં કાદવમાં જઈને પણ નવા નવા જીવજંતુઓની દુનિયા જોવી જોઈએ અને બાળકોને તો ખાસ બતાવવી જોઈએ. કાકાએ તો 'કાદવનું કાવ્ય' નામે પણ એક સુંદર નિબંધ લખ્યો છે. કાદવની વાત કરતા કાકા કહેતા કે, આપણે બધાનું વર્ણન કરીએ છીએ તો કાદવનું કેમ નહીં? કાદવ શરીર પર ઊડે એ આપણને ગમતું નથી અને તેથી આપણને તેના માટે સહાનુભૂતિ નથી. એ વાત સાચી પણ તટસ્થતાથી વિચાર કરતા કાદવમાં કંઈ ઓછું સૌંદર્ય નથી હોતું.


વૉટર સ્ટ્રાઈડર

કાદવે લખેલું કાવ્ય

કાદવ વિશે વાંચો તેમના જ શબ્દોમાં : ''નદીકાંઠે કાદવ સુકાઈને તેના ચોસલાં પડે છે ત્યારે તે કેટલા સુંદર દેખાય છે! વધારે તાપથી તે જ ચોસલાં નંદવાય અને વાંકા વળી જાય ત્યારે સુકાયેલા કોપરા જેવા દેખાય છે. નદીકાંઠે માઈલો સુધી સપાટ અને લીસો કાદવ પથરાયેલો હોય ત્યારે તે દૃશ્ય કંઈ ઓછું સુંદર નથી હોતું. આ કાદવનો પૃષ્ઠભાગ કંઈક સુકાતાં તેના ઉપર બગલાં, ગીધ અને બીજા નાનાંમોટાં પક્ષીઓ જ્યારે ચાલે છે ત્યારે તે ત્રણ નખ આગળ અને અંગૂઠો પાછળ એવા તેમના પદચિહ્નો મધ્ય એશિયાના રસ્તાની જેમ દૂર દૂર સુધી કાદવ પર પડેલા જોઈ આ રસ્તે આપણે આપણો કાફલો (Caravan) લઈ જઈએ એમ આપણને થાય છે.’’

કાદવ વિશે આ બધી વાતો કરીને કાકા એક નવી જ વાત કરે છેઃ  ''કાદવ જોવો હોય તો એક ગંગા નદીને કાંઠે કે સિંધુને કાંઠે. અને તેટલાથી તૃપ્તિ ન થાય તો સીધા ખંભાવ જવું. ત્યાં મહી નદીના મુખ આગળ નજર પહોંચે ત્યાં સુધી બધે સનાતન કાદવ જ જોવાને મળે. આ કાદવમાં હાથી ડૂબી જાય એમ કહેતાં ન શોભે એવી અલ્પોક્તિ કરવા જેવું છે. પહાડના પહાડ એમાં લુપ્ત થાય એમ કહેવું જોઈએ.''

***

પહેલી ડિસેમ્બર, ૧૮૮૫ના રોજ મહારાષ્ટ્રના સતારામાં મરાઠી પરિવારમાં જન્મેલા કાકાએ આશરે ૯૬ વર્ષના આયુષ્યમાં રાજકીય-સામાજિક વ્યસ્તતા વચ્ચે પ્રચુર માત્રામાં લખ્યું. માતૃભાષા મરાઠી હતી, પરંતુ લખ્યું ગુજરાતીમાં. મરાઠી અને હિન્દીમાં પણ થોડું લખ્યું, પરંતુ ગુજરાતીની સરખામણીએ નહીં બરાબર. એટલે જ ગાંધીજીએ તેમને 'સવાઇ ગુજરાતી' કહીને બિરદાવ્યા હતા. બલવંતરાય ઠાકોરે ૧૯૩૧માં 'આપણી કવિતાસ્મૃિદ્ધ'ની પ્રસ્તાવનામાં ગુજરાતી ભાષાના દસ શ્રેષ્ઠ ગદ્યકારોની યાદીમાં કાકા કાલેલકરના નામનો ઉલ્લેખ કર્યો છે. કાકાએ સેંકડો માઈલના પ્રવાસ કરીને તેમ જ જીવનભર રાજકીય-સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યવસ્તતા વચ્ચે પ્રચુર માત્રામાં લખ્યું. 'કાલેલકર ગ્રંથાવલિ' નામના ૧૫ દળદાર ગ્રંથમાં કાકાના કાવ્યાત્મક ગદ્યનો સમાવેશ કરાયો છે. ખૂબ જ નજીવી કિંમતે ઉપલબ્ધ આ પુસ્તકોનો સેટ આચાર્યશ્રી કાકા કાલેલકર ગ્રંથાવલિ સમિતિએ પ્રકાશિત કર્યો છે.

કાલેલકર ગ્રંથાવલિનો પહેલો ભાગ

કાકાના લખાણોની પહોંચ પ્રવાસવર્ણનોથી લઈને ધર્મ, શિક્ષણ, પ્રવાસ, ચિંતન અને લલિત નિબંધો સુધી વિસ્તરેલી છે, પરંતુ ગ્રંથાવલિની પ્રસ્તાવનામાં ઉમાશંકર જોશી નોંધે છે તેમ, ''કાકાસાહેબનું ગદ્ય પ્રકૃતિચિત્રણમાં અને પ્રવાસવર્ણનમાં ખીલી ઊઠે છે. ભૂગોળના રસિયા તેવા જ ખગોળની સૌંદર્યસમૃદ્ધિના પણ તરસ્યા. ભારતયાત્રી કાલિદાસ પછી સ્વદેશની પ્રકૃતિશ્રીનું આકંઠ પાન કરનાર અને એને શબ્દબદ્ધ કરનાર કાકાસાહેબ જેવા ઓછા જ પાક્યા હશે. એમનું ગદ્ય અનેકવાર કાવ્યની કોટિએ પહોંચે છે. કાકાસાહેબને બીજી એક મોટી અને વિરલ એવી બક્ષિસ છે વિનોદવૃત્તિની…''

***

'કાદવનું કાવ્ય'માં જ વાંચો કાકાની વિનોદવૃત્તિનો એક નમૂનો ''આપણું અન્ન કાદવમાંથી જ પેદા થાય છે એનું જાગ્રત ભાન જો દરેક માણસને હોત તે કાદવનો તિરસ્કાર ન કરત. એક નવાઈની વાત તો જુઓ. પંક શબ્દ ઘૃણાસ્પદ લાગે છે અને પંકજ શબ્દ કાને પડતાં જ કવિઓ ડોલવા અને ગાવા માંડે છે. મલ(ળ) તદ્દન મલિન ગણાય પણ કમલ(ળ) શબ્દ સાંભળતા-વેંત પ્રસન્નતા અને આહ્લાદકત્વ ચિત્ત આગળ ખડાં થાય છે. કવિઓની આવી યુક્તિશૂન્ય વૃત્તિ તેમની આગળ મૂકીએ તો કહેવાના કે, તમે વાસુદેવની પૂજા કરો છો એટલે કંઈ વસુદેવને પૂજતા નથી, હીરાનું ભારે મૂલ આપો છો પણ કોલસાનું કે પથ્થરનું આપતા નથી, અને મોતીને ગળામાં બાંધીને ફરો છો પણ તેની માતુશ્રીને ગળામાં બાંધીને ફરતા નથી. કવિઓ સાથે ચર્ચા ન કરવી એ જ ઉત્તમ.''

પંક એટલે કાદવ અને પંકજ એટલે કમળ. વાસુદેવ એટલે કૃષ્ણ, જ્યારે વસુદેવ એટલે કૃષ્ણના પિતા. એવી જ રીતે, મોતીની માતા એટલે એક પ્રકારની માછલી. જો કાકાની સિક્સરો બાઉન્સર ગઇ હોય તો આ શબ્દો સમજીને બીજી વાર વાંચી જુઓ.

પાછલી ઉંમરે ઉમાશંકર જોશી અને જ્યોત્સ્ના જોશી સાથે કાકા

'પહેલો વરસાદ' નામના નિબંધમાં પણ કાકાની રમૂજવૃત્તિ કમળની જેમ ખીલી છે. વાંચો: ''વરસાદને થયું કે ધ્વનિ જો બધે પ્રસરે છે, તો હું પણ આ માનવી કીટોના દરમાં શા માટે ન પેસું? દુર્વાસાની જેમ 'અયં અહં ભો:' કરીને એણે બેચાર ટીપાં અમારી ઓરડીઓમાં નાખ્યાં. અમે બહાદુરીથી પાછળ હઠ્યા. સરસ્વતીના કમળો પાણીમાં રહ્યાં છતાં પાણીથી અલિપ્ત રહી ભીંજાતાં નથી, પણ સરસ્વતીના પુસ્તકોને એ કળા હજી પ્રાપ્ત થઈ નથી. તેમને તો દરવાજા પાસેથી ભગાડવા એ જ ઇષ્ટ હતું. પુસ્તકોને દૂર ખૂણામાં મૂકી મનમાં કહ્યું: 'કઠિણ સમય યેતાં કોણ કામાસા યેતો' એટલે કે કઠણ વખત આવી પડ્યે કોણ કામ આવે? ખૂણો (કોણ) કામ આવે ખરો! જોતજોતામાં વરસાદે હુમલો જોશમાં ચડાવ્યો. આખી ઓરડી એણે ભીની કરી મૂકી જ પણ તદ્દન ભીંતે અડીને પાથરેલી પથારીને મળવા આવવાનું પણ તેને મન થઈ આવ્યું. મેં પણ કાંબળો ઓઢીને પ્રસન્ન મને તેનું સ્વાગત કર્યું. વર્ષાની શરૂઆતની આ પહેલી સલામીની કદર કરવાનું મન કોને ન થાય?''

આટલું લખીને કાકાના શબ્દો શાંત થયા હોય એવું લાગે છે, પરંતુ બીજા જ ફકરામાં તેઓ ફરી એકવાર સૂક્ષ્મ હાસ્યથી વાચકને નવડાવી દે છે: વાંચો. ''વરસાદ ગયો કે તરત જ પાથરણાના એક કકડાથી જમીન લૂછી લીધી અને સરકારના લેણદારની જેમ ઊમરા ઉપર ઓશીકું મૂકીને નિરાંતે સૂઈ ગયો. તફાવત એટલો જ કે લેણદાર ઊમરાની બહારની બાજુએ પડી રહે છે જ્યારે હું તેની અંદરની બાજુએ સૂતો.''

***

'કુદરત મારું પ્રિય પુસ્તક છે' એવું કહેનારા કાકાએ વરસાદ કે કાદવની જેમ વાદળ, ધુમ્મસ, વીજળી, મેઘગર્જના, મેઘનૌકા, સૂરજ, ચંદ્ર, તારા, નદી, પહાડો, પથ્થર, દરિયો, પરોઢ, જુદી જુદી ઋતુઓની સવાર-સંધ્યા અને રાત્રિ, વનસ્પતિઓ, કોયલ અને ચામાચીડિયાં વિશે પણ લખ્યું છે. કાકા વિશે આપણા વિદ્વાન સાહિત્યકાર અને ગુજરાતી વિશ્વકોષના મુખ્ય સંપાદક ધીરુભાઈ ઠાકરે લખ્યું હતું કે: એમના ગદ્યમાં બાળકના જેવી મધુર છટા છે તેમ પૌરુષભર્યું તેજ પણ છે, ગૌરવ છે એટલો જ પ્રસાદ છે.

xxx

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.com/2018/08/blog-post_28.html

Loading

પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહ નર્કના દરવાજા ખોલી રહ્યા છે. રાહુલ ગાંધી સાંભળે છે?

રમેશ ઓઝા|Opinion - Opinion|27 August 2018

ભારતનું પાકિસ્તાનીકરણ થઈ રહ્યું છે ત્યારે કૉન્ગ્રેસ પણ પાકિસ્તાનીકરણની પ્રક્રિયામાં જોડાય એને તો દુર્ભાગ્ય જ કહેવું જોઈએ. એક તરફ રાહુલ ગાંધી દેશના સેક્યુલર ઢાંચા વિષે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે પંજાબમાં તેમની જ સરકાર ધર્મના અપમાનને લગતા ભારતીય દંડસંહિતામાંના કાયદાને વધારે વ્યાપક બનાવી રહી છે. દેશમાં ધાર્મિક દુર્ભાવના રોકવા અંગ્રેજ સરકારે ૧૯૨૦ના દાયકામાં ભારતીય દંડસંહિતામાં સેક્શન ૨૯૫નો કાયદો ઘડ્યો હતો. સેક્શન ૨૯૫ મુજબ સમાજમાં કોમી વિખવાદ પેદા કરવાના ઈરાદે જો કોઈ ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડે તો એ ફોઝદારી ગુનો બને છે, અને એ ગુના માટે બે વરસની જેલની સજા અને દંડ બન્ને થઈ શકે છે. આ કાયદો અસ્તિત્વમાં આવ્યો એ પછી એમાં સેક્શન ૨૯૫(એ)નો ઉમેરો કરવામાં આવ્યો હતો જે મુજબ જાણીબૂજીને કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવી એ પણ ગુનો બને છે.

હવે પંજાબ સરકારે હજુ વધુ ઉમેરો કરીને ૨૯૫(એ)એનો કાયદો ઘડવાનો નિર્ણય લીધો છે જે મુજબ ધર્મગ્રંથ સાથે છેડછાડ કે અપમાન ફોઝદારી ગુનો બનશે. પહેલાં ધર્મસ્થળ, એ પછી ધાર્મિક લાગણી અને હવે ધર્મગ્રંથ. એમ લાગે છે કે ઈશ્વર અને ધર્મ આ જગતમાં એટલા નિર્બળ છે કે તેમને ટકી રહેવા માટે દુન્યવી કાયદાઓની અને પોલીસની મદદની જરૂર પડે છે. ના, એટલી મદદ પણ પૂરતી નથી. હવે તો તેમની આણ ટકી રહે એ માટે કોમી ટોળાંઓની પણ જરૂર પડે છે. ટોળાંઓ સર્વશક્તિમાન અંતર્યામી ઈશ્વરને રક્ષણ પૂરું પાડે છે. વિનોબા ભાવેએ કહ્યું હતું કે સંગઠિત ધર્મના ઠેકેદારો અને રાજકારણીઓ મળીને બન્ને સંસ્થાનો વિનાશ નોતરશે અને એ પછી શુદ્ધ આધ્યાત્મ પાછળ રહેશે. અત્યારે આની શરૂઆત થઈ ગઈ છે. ભારત થોડું પાછળ હતું, પણ હવે એ પણ પહેલી હરોળમાં આવી રહ્યું છે. બહુ ઝડપથી ભારતનું પાકિસ્તાનીકરણ થઈ રહ્યું છે.

પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહને જાણ હોવી જોઈએ કે ધર્મ અને રાજકારણની સાંઠગાંઠના કારણે પંજાબ કેવા દોજખમાંથી પસાર થયું છે. અલગ ખાલિસ્તાન માટેનું આંદોલન શરૂ થયું અને તેમાં હજારો યુવાનો હોમાઈ ગયા એ હજુ ત્રણ દાયકા જૂની ઘટના છે. વાત એમ હતી કે ૧૯૭૨માં પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં અકાલી દળનો કારમો પરાજય થયો હતો, જે રીતે ૧૯૮૪માં લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.નો કારમો પરાજય થયો હતો. એ પછી ૧૯૭૩માં અકાલી દળે આનંદપુર સાહિબ ખાતે પક્ષનું અધિવેશન બોલાવીને કેટલાક કોમી ઠરાવ કર્યા હતા, જેનાં પરિણામે ખાલિસ્તાનનું આંદોલન શરૂ થયું હતું. ડીટ્ટો બી.જે.પી.એ ૧૯૮૭માં પાલમપુર ખાતે અધિવેશન બોલાવીને અયોધ્યાને સળગાવવાનો ઠરાવ કર્યો હતો. અલગ ખાલિસ્તાન માટેનું આંદોલન અને રામજન્મભૂમિ આંદોલન બન્ને કોમી આંદોલન હતાં જેમાં હજારો લોકોએ પ્રાણ ગુમાવ્યા છે.

મૂળમાં આ સત્તા માટેનો ખેલ છે અને ધર્મનો દુરુપયોગ કરવામાં આવે છે. ધર્મનું અપમાન, દ્વેષ, દુરુપયોગ શાસકો અને રાજકારણીઓ કરે છે; પ્રજા નથી કરતી. પ્રજા તો બિચારી એટલી ભોળી છે કે તે ક્યારે ટોળાંમાં ફેરવાઈ જાય છે તેનું તેને ભાન પણ નથી રહેતું. આ તો તેમને જોઈએ છે; પ્રજાને ટોળાંમાં ફેરવો એટલે બાકીનો રસ્તો ખૂલી જશે. અકાલી દળે ૨૦૧૬માં પંજાબ વિધાનસભાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ ફરી એકવાર સિખોને ધાર્મિક ટોળાંમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો કે જેથી અકાલી દળની ડૂબતી નૌકા ઊગરી જાય. ભારતીય દંડસંહિતાના સેક્શન ૨૯૫(એ)માં હજુ એક એ ઉમેરવા પાછળનો નિર્ણય અકાલી દળની સરકારનો હતો. ઇન્ડિયન પીનલ કોડ (પંજાબ એમેન્ડમેન્ટ બીલ) ૨૦૧૬ અકાલી દળે વિધાનસભામાં રજૂ કર્યું હતું. એ સમયે કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તા મેળવવા માટે વીંગમાં ઊભા હતા. કૉન્ગ્રેસે સિખોના મત ગુમાવવા ન પડે એ સારું ખરડાને ટેકો આપ્યો હતો અને આમ આદમી પાર્ટીએ ચુપકીદી સેવી હતી.

સેક્શન ૨૯૫ (એએ) મુજબ ગુરુ ગ્રંથસાહિબનો અનાદર કે અપમાન એ ગુનો બનતો હતો. એ ખરડો ત્યારે પસાર થઈ શક્યો નહોતો અને જો ખરડો પસાર થયો પણ હોત તો પણ અકાલી દળનો પરાજય નિશ્ચિત હતો. બાદલ પરિવારનો ભ્રષ્ટાચાર અને કેફી દ્રવ્યોના કોપના કારણે અકાલી સરકાર ઊગરી શકે એમ નહોતી. હવે કૉન્ગ્રેસ સરકારે એ ખરડામાં સુધારો કરીને ગુરુ ગ્રંથસાહિબ ઉપરાંત ભગવત ગીતા, કુરાન અને બાયબલનો પણ ઉમેરો કર્યો છે. કૉન્ગ્રેસ ધાર્મિક ભેદભાવ નહીં કરનારો સર્વસમાવેશક પક્ષ ખરોને! પંજાબમાં કૉન્ગ્રેસની સરકાર આવ્યે દોઢ વરસ થવા આવ્યું છે, પરંતુ પંજાબમાં કેફી દ્રવ્યોના વપરાશનો અંત આવ્યો નથી. ગામડાંઓમાં નવયુવાનો તેમાં હોમાઈ રહ્યા છે. પંજાબમાં કૃષિવિકાસ ઠપ થયેલો છે, અને યુવાનોમાં બેરોજગારી વધી રહી છે. પ્રકાશ સિંહ બાદલની માફક ધર્મના અફીણની કૉન્ગ્રેસી મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહને પણ જરૂર છે.

આગળ કહ્યું એમ કૅપ્ટન અમરિન્દર સિહે ખાલિસ્તાન આંદોલનના યાતનામય દિવસો જોયા છે. તેમણે પોતે ઓપરેશન બ્લ્યુસ્ટાર પછી વિરોધના ભાગરૂપે કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને અકાલી દળમાં જોડાયા હતા. અકાલી દળમાં તેમણે ધર્મની ગુંગળામણ અને ધર્મનું વરવું રાજકારણ જોયું હતું અને તે સહન નહીં થતા તેઓ કૉન્ગ્રેસમાં પાછા ફર્યા હતા. ધર્મનિંદા(બ્લેસ્ફેમી)ના કાયદાએ અને હૂદુદના કાયદાએ પાકિસ્તાનની જે હાલત કરી છે એ આખું જગત જોઈ રહ્યું છે. ધાર્મિક લાગણીઓને બહુ પંપાળવાની ન હોય, કારણ કે લાગણીઓ ધવાવાનો કોઈ અંત જ નથી. જેટલી રાજકીય જરૂરિયાત વધુ એટલો ધર્મનો દુરુપયોગ વધુ. કૅપ્ટન અમરિન્દર સિંહ પંજાબમાં નર્કના દરવાજા ખોલી રહ્યા છે. રાહુલ ગાંધી સાંભળે છે?

કાયદાશાસ્ત્રમાં સ્લિપરી સ્લોપ આર્ગ્યુમેન્ટ્સ વિષે સતત ઊહાપોહ થતો રહે છે, કારણ કે શીર્ષક સૂચવે છે એમ તેમાં લપસી પડવાનો હંમેશાં ભય રહે છે. કેટલીક દલીલો પહેલી નજરે ગળે ઊતરી જાય એવી હોય છે, પરંતુ વાસ્તવમાં એ લપસણી દલીલો હોય છે. ધાર્મિક સૌહાર્દ, અમન, દેશપ્રેમ, મૂલ્ય રક્ષણ, દેશની સુરક્ષા, કાયદાનું રાજ વગેરે આવા લપસણા પ્રદેશ છે. ભાવનાથી પ્રેરાઈને લોકો ડંડાશાહીને સ્વીકૃતિ આપે છે અને અદાલતો તેને કાયદાકીય માન્યતા આપે છે. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ સિનેમા ઘરોમાં ફરજિયાત રાષ્ટ્રગીત ગાવાનો અને તેને આદર આપવાનો ચુકાદો આપ્યો હતો, એનું કારણ સ્લિપરી સ્લોપ આર્ગ્યુમેન્ટ્સ અર્થાત્‌ મનને ભાવે એવી લપસણી દલીલો હતી. પાછળથી રિવ્યુ પિટિશન સાંભળતી વખતે સાથી જજોએ મુખ્ય ન્યાયમૂર્તિનું ધ્યાન દોર્યું હતું કે મનભાવક દલીલો લપસણી હોય છે અને દેશને અરાજકતાની ખાઈમાં ધકેલી શકે છે.

પાકિસ્તાન અને બીજા મુસ્લિમ દેશો આજે દોજખમાં ધકેલાઈ ગયા છે તો એનું મુખ્ય કારણ ધર્મઘેલછાથી પ્રેરાઈને શાસકોની મનભાવક દલીલોને આપેલી માન્યતા છે. અહીં વાચકોને એટલી જ વિનંતી કે આંખ-કાન ખુલ્લા રાખીને તમારા સંતાનોનું ભવિષ્ય સુરક્ષિત કરતા જાઓ.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 27 અૉગસ્ટ 2018

Loading

...102030...3,0173,0183,0193,020...3,0303,0403,050...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved