Opinion Magazine
Number of visits: 9579033
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જો શહેરી નકસલવાદીઓ અસ્તિત્વમાંહોત તો ક્રોની કૅપિટાલિસ્ટોની અને દેશને લૂંટનારાઓની હત્યાઓ થતી હોત

રમેશ ઓઝા|Opinion - Opinion|3 September 2018

સશસ્ત્ર ક્રાંતિનો દાવો કરનાર કોઈ આંદોલન ક્રાંતિ કર્યા વિના ,પાંચ પાંચ દાયકા સુધી ટકી શકે એ શક્ય જ નથી. ૧૮મી મે ૧૯૬૭ના રોજ પશ્ચિમ બંગાળના નક્સલબાડી નામના ગામમાં રેડિકલ સામ્યવાદી યુવકોએ શોષિત કિસાનો સાથે મળીને હિંસક વિદ્રોહ કર્યો હતો. આનું મુખ્ય કારણ એ હતું કે ભારતીય સામ્યવાદી પક્ષે સંસદીય રાજકારણ અપનાવ્યા પછી તેની ક્રાંતિની ધાર બુઠ્ઠી થઈ ગઈ હતી અને તેલંગાણાની કહેવાતી સશસ્ત્ર ક્રાંતિ તો ક્યારની ય વિસરાઈ ગઈ હતી. બીજું કારણ એ હતું કે ચીન સાથેના યુદ્ધ પછી ભારતીય સામ્યવાદી પક્ષમાં વિભાજન થયું હતું અને એ રીતે સામ્યવાદી આદોલન વધારે નબળું પડ્યું હતું. ભારતમાં સામ્યવાદી પક્ષો હતા, જેઓ સત્તાનું રાજકારણ કરતા હતા, પરંતુ સામ્યવાદી આંદોલન સમાપ્ત થઈ ગયું હતું એવો રેડિકલ સામ્યવાદી યુવકોનો આરોપ હતો. તેમણે ભારતીય સામ્યવાદી પક્ષ (માઓઇસ્ટ-લેનિનિસ્ટ) નામના પક્ષની સ્થાપના કરી હતી.

એ ઘટના પછી રેડિકલ કોમ્યુિનસ્ટ મુવમેન્ટ નક્સલ આંદોલન તરીકે ઓળખાય છે. પાંચ દાયકા થઈ ગયા એ વાતને જેમાં સશસ્ત્ર ક્રાંતિ કરવામાં નક્સલવાદીઓને કોઈ સ્થળે આજ સુધી સફળતા મળી નથી. પહેલાં બંગાળ. એ પછી બિહાર અને મુખ્યત્વે ઝારખંડ. એ પછી તેલંગાણા. ત્યાંથી આગળ વધીને છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં ગડચિરોલી. થોડા પ્રમાણમાં ઓરિસ્સા પણ ખરું. દેશના આવડા મોટા ક્ષેત્રમાં નકસલવાદીઓ પ્રભાવ ધરાવે છે એમ કહેવાય છે, પરંતુ તેઓ જે રીતની ક્રાંતિ ઈચ્છે છે અને જે રીતનું વ્યવસ્થા પરિવર્તન ઈચ્છે છે એ એક પણ જગ્યાએ થયું નથી.

તો સવાલ એ છે કે સશસ્ત્ર ક્રાંતિ દ્વારા ભારતમાં મૂળભૂત વ્યવસ્થા પરિવર્તન કરવા ઈચ્છનારાઓ અને પ્રસ્થાપિત ભારતીય રાજ્ય વ્યવસ્થાને તોડી પાડવા ઈચ્છનારાઓ પાંચ પાંચ દાયકા સુધી કોઈ પણ પ્રકારનું મોટું પરાક્રમ કર્યા વિના ટકી શકે એવું બને ખરું? નવયુવકો શું બેવકૂફ છે કે પરિણામ વિનાની વાંઝણી ક્રાંતિ માટે મૂલ્યવાન જિંદગી હોમી દે? આમ છતાં હકીકત એ છે કે ભારતમાં નકસલવાદીઓ અસ્તિત્વ ધરાવે છે અને નક્સલવાદી આંદોલન પણ અસ્તિત્વ ધરાવે છે. કોઈ મોટી ક્રાંતિ કર્યા વિના કે કોઈ મોટો મીર માર્યા વિના અસ્તિત્વ ધરાવે છે. આ એક રહસ્ય છે અને ખરું પૂછો તો રહસ્ય ઉઘાડું પણ છે, માત્ર તેનો સ્વીકાર કરવામાં આવતો નથી.

ઉઘાડું રહસ્ય એ છે કે કહેવાતું નક્સલવાદી આંદોલન એક પ્રકારના સ્થાપિત હિતમાં ફેરવાઈ ગયું છે. નકસલવાદીઓ લોકતંત્રમાં વિશ્વાસ નથી ધરાવતા, પણ નક્સલી પ્રભાવક્ષેત્રોમાં લોકસભાથી લઈને પંચાયત સુધીની દરેક ચૂંટણી નિર્વિઘ્ને યોજાય છે. આદિવાસીઓ મોટા પ્રમાણમાં મતદાન કરે છે. કોઈ ઉમેદવાર સામે જંગલ પ્રવેશબંધી મુકવામાં આવી હોય એવી એક પણ ઘટના બની નથી. નકસલવાદીઓ શોષણનો વિરોધ કરે છે, પરંતુ જંગલની પેદાશો સુખેથી જંગલની બહાર જાય છે. જંગલ કપાય છે, લાકડું બહાર જાય છે, બામ્બુ બહાર જાય છે, તેંદુ પત્તા બહાર જાય છે. નક્સલવાદી પ્રભાવ ક્ષેત્રોમાં પેપર મિલો ચાલી રહી છે, વગેરે. ઉગ્ર નકસલવાદીઓએ કોઈ ઠેકેદારની હત્યા કરી હોય કે પેપર મિલને આગ લગાડી હોય કે તેના સંચાલકની હત્યા કે અપહરણ કર્યું હોય એવી ઘટના તમે ક્યારે ય સાંભળી છે? કોઈ ખાણિયા ઠેકદારને સતાવવામાં આવ્યો હોય અને તે જીવ બચાવવા ખાણ છોડીને જતો રહ્યો હોય એવું તમે સાંભળ્યું છે? જો નકસલવાદીઓનો ભય હોત તો ખાણકૌભાંડ ન થયું હોત.

તો પછી નકસલવાદીઓ કરે છે શું? આ એક રહસ્ય છે પણ એ ઉઘાડું રહસ્ય છે. તેઓ સ્થાપિત હિતો પાસેથી પૈસા લઈને કમાય છે અને તેમની મુવમેન્ટમાં વચ્ચે આવતા પોલીસોને જરૂર પડે તો મારે છે.

રહી વાત શહેરી નકસલવાદીઓની, તો ભારતના કયા શહેરમાં શહેરી નકસલવાદીઓએ કોઈ ક્રોની કેપિટાલિસ્ટની કે ભ્રષ્ટ ઠેકેદારની હત્યા કરી છે? શું તેમને ખબર નથી કે શોષણનું સ્વરૂપ કેવું છે અને કોણ એના લાભાર્થી છે? કોણ બેન્કોને અને બીજા સરકારી સંસાધનોને લૂંટીને માલામાલ થઈ ગયા છે એની શું તેમને ખબર નથી? શહેરી નકસલવાદીઓ તરીકે જેમની ધરપકડ કરવામાં આવી છે કે ભૂતકાળમાં જેની ધરપકડ કરવામાં આવી હતી એ દેશપ્રેમી ભક્તો કરતાં ઘણા વધારે બુદ્ધિશાળી છે. જો તેઓ હિંસક ક્રાંતિ કરવા માંગતા હોત, તો તેમણે શહેરમાં ક્રોની કેપિટાલિસ્ટોની, ભ્રષ્ટ ઠેકેદારો અને રાજકારણીઓની હત્યા કરી હોત. આવું ભારતના એક પણ શહેરમાં આજ સુધી બન્યું નથી.

તો શું નકસલવાદનો હાઉ જીવતો રાખવામાં આવી રહ્યો છે? યસ. એમાં માત્ર નકસલવાદીઓનું જ સ્થાપિત હિત છે એવું નથી, શાસકોનું અને રાજકારણીઓનું પણ સ્થાપિત હિત છે. ચૂંટણી નજીક આવવાની હોય ત્યારે નકસલવાદીઓ વડા પ્રધાનની હત્યા કરવાની તૈયારી કરી રહ્યા છે, એમ કહેવા માટે તેનો ખપ છે. નકસલવાદને ડામવા માટે ખાસ ફંડ મેળવીને તેને ચાંવ કરવામાં આવે છે. લોકોને ડરાવવા માટે તેનો ખપ છે. જ્યાં વિપુલ કુદરતી સંપદા પડી છે એ જંગલોમાં નકસલવાદીઓને જેર કરવાના નામે અમર્યાદિત સત્તા મેળવવા માટે તેનો ખપ છે. એ સત્તાનો કુદરતી સંપદા લૂંટવા માટે ઉપયોગ કરવામાં આવે છે. દેશ પર ખતરો છે એમ કહીને દેશપ્રેમીઓને બેવકૂફ બનાવવા માટે તેનો ખપ છે. નકસલવાદનો હાઉ જીવતો રાખવામાં અનેક પ્રકારના લાભ છે.

કહેવાતી નકસલવાદી પ્રવૃત્તિ એ મૂળભૂત રીતે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન છે એટલે નકસલવાદીઓ અને પોલીસો વચ્ચે અથડામણો થતી રહે છે. નકસલવાદીઓ સહિત બધા જ સંપીને જંગલો લૂંટે છે, માત્ર પોલીસ તેની કિંમત ચુકવે છે. આને કારણે પોલીસ આક્રમક બને છે અને ગુસ્સામાં જરૂર કરતાં વધારે પ્રમાણમાં જવાબી હિંસા કરે છે. આને કાયદાના રાજમાં શાસકીય હિંસા (સ્ટેટ વાયોલન્સ) કહેવામાં આવે છે.

અહીં કહેવાતા શહેરી નકસલવાદીઓનો પ્રવેશ થાય છે. તેમાંના કેટલાક નકસલવાદને સમજવાનો પ્રયાસ કરે છે. એવું શું છે કે પાંચ પાંચ દાયકા સુધી કોઈ મોટી સફળતા મળી નહીં હોવા છતાં આંદોલન ટકી રહ્યું છે? તેઓ આનો ઉત્તર શોધવા બદલતી નક્સલવાદી વિચારધારાનો અભ્યાસ કરે છે અને તેમનો સંપર્ક કરે છે. જંગલમાં પણ જાય છે. કેટલાક પાંચ પાંચ દાયકા સુધી ટકી રહેલા નકસલવાદીઓને ખરેખર ઈમાનદાર સમજે છે અને સહાનુભૂતિ ધરાવે છે. કુતૂહલ, વિસ્મય અને સહાનુભૂતિ એ ગુનો નથી. કેટલાક રાજ્ય દ્વારા કરવામાં આવતી હિંસાનો વિરોધ કરે છે. તેમનું કહેવું એવું છે કે રાજ્ય જવાબદાર હોવું જોઈએ અને એ અમર્યાદ પ્રમાણમાં કાયદો પોતાના હાથમાં ન લઈ શકે. રાજ્યની હિંસાનો વિરોધ કરવો એટલે નક્સલી હોવું એવો એનો અર્થ ન થઈ શકે. કેટલાક સેક્યુલર ડાબેરી વિચારધારા ધરાવે છે અને મૂડીવાદી વિકાસના વિરોધી છે એટલે વર્તમાન શાસકોને આંખના કણાની માફક ખૂંચે છે. આવા લોકોને આજકાલ શહેરી નક્સલવાદી તરીકે ઓળખાવીને સતાવવામાં આવે છે.

પુણેની પોલીસે જે સાહસ કર્યું છે એ આવું છે અને યોગ્ય રીતે જ સર્વોચ્ચ અદાલતે તેની રેવડી દાણાદાર કરી નાખી છે. એજન્ડા નરેન્દ્ર મોદીને અને સરકારને તારવાનો છે, તેને શહેરી નકસલવાદ સાથે કોઈ લેવાદેવા નથી. જો શહેરી નકસલવાદીઓ અસ્તિત્વ ધરાવતા હોત તો ક્રોની કેપિટાલિસ્ટોની હત્યાઓ થતી જોવા મળતી હોત.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 03 સપ્ટેમ્બર 2018

Loading

પહેલાં એમ લાગતું હતું કે નોટબંધી એ તઘલખી છબરડો છે, પણ હવે એમ લાગે છે કે એ એક કૌભાંડ હતું

રમેશ ઓઝા|Opinion - Opinion|2 September 2018

રિઝર્વ બેન્કનો આ ધડાકો છે. એકદમ ઓફિશિયલ. રિઝર્વ બેન્કના ગવર્નરે એક વરસ અને નવ મહિના નોટબંધી પછી પાછી ફરેલી નોટ ગણવામાં લીધા, પછી છેવટે સત્ય જાહેર કરવું પડ્યું છે. શું થાય સત્ય છુપાવી શકાય એમ નહોતું, કારણ કે ચલણી નોટની સર્જનથી લઈને વિનાશની યાત્રા એટલી ચોકસાઈવાળી હોય છે કે તેની અનેક જગ્યાએ નોંધ થતી હોય છે. આ સ્થિતિમાં નોટની સંખ્યા છુપાવવી મુશ્કેલ બને છે. વધુમાં વધુ નોટ ગણવામાં આવી રહી છે, એવા ઠાગાઠૈયા કરીને જાઓ, કાબરબાઈ, કાલ સવારે આવું છું એમ કહી શકાય. રિઝર્વ બેન્કના ગવર્નર ડૉ. ઊર્જિત પટેલ એક વરસથી નોટ ગણવામાં આવી રહી છે એમ કહીને સરકારને સમય આપતા હતા.

હવે રિઝર્વ બેન્કે કબૂલ કર્યું છે કે ૨૦૧૬ના નવેમ્બરની આઠમી તારીખે નોટબંધી જાહેર કરવામાં આવી એ દિવસે પાંચસો અને હજાર રૂપિયાની જેટલી નોટ દેશમાં ફરતી હતી તેમાંથી ૯૯.૩ ટકા નોટ પાછી આવી ગઈ છે. માત્ર ૦.૭ ટકા નોટ એટલે કે દસ હજાર કરોડ રૂપિયા પાછા ફર્યા નથી. રિઝર્વ બેન્કે આ સિવાય પણ કેટલીક વિગતો આપી છે. સાત હજાર કરોડ રૂપિયા નવી નોટ છાપવા પાછળ ખર્ચાયા હતા અને તેને ટાઈટ સિક્યુરિટી વચ્ચે બેંકો સુધી પહોંચાડવામાં આવ્યા એની પાછળ જે ખર્ચો થયો હોય એ જુદો. આ સિવાય એ.ટી.એમ.ના રીકેલિબ્રેશન (એટલે કો નવી નોટની સાઈઝ મુજબ એ.ટી.એમ.માં ગાળા બદલવા) પાછળ થયેલો ખર્ચ જે તે બેન્કોએ કર્યો હોય, એટલે તેનો હિસાબ રિઝર્વ બેંક પાસે નથી. દેશમાં લાખો એ.ટી.એમ. મશિન હશે જેન રીકેલિબ્રેટ કરવા પાછળ હજારો કરોડ ખર્ચાયા હશે. ટૂંકમાં દસ હજાર કરોડ કમાવા માટે ૧૫ હજાર કરોડ રૂપિયાનું આંધણ કર્યું. આને કહેવાય હિંદુ અર્થશાસ્ત્ર.

આ દેશમાં માનવજીવની કિંમત નથી એટલે એને તો ગણતરીમાં જ લેવામાં નથી આવતી. એટલે તો લિન્ચિંગ થાય છે. નોટબંધી વખતે ૧૪૪ જણા લાઈનમાં કલાકો સુધી ભૂખ્યા તરસ્યા ઊભા રહેવાને કારણે મૃત્યુ પામ્યા. ૧૪૪. કોઈ નાનો આંકડો નથી. અમેરિકામાં કેટરિના જેવા વાવાઝોડામાં આટલા માણસો નથી મરતા અને જો મરે છે તો પ્રમુખ કેમેરા સામે આવીને ખેદ વ્યક્ત કરે છે, અને જો માનવીય ભૂલથી હોનારત થઈ હોય તો માફી માંગે છે. અહીં સરકાર પક્ષે કોઈએ દિલગીરી પણ વ્યક્ત નથી કરી. ૧૪૪ જણા એક તઘલખી સાહસનો ભોગ બની જાય અને કોઈ હરફ સુધ્ધાં ન ઉચ્ચારે? આ સિવાય દેશના અર્થતંત્રને જે નુકસાન પહોંચ્યું છે અને નાના વેપારીએ જે રીતે બરબાદ થઈ ગયા છે એની ગણતરી માંડો.

નોટબંધી એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સો ટકા પોતાનો મૌલિક નિર્ણય હતો. કમસેકમ એક મૌલિક નિર્ણયની ક્રેડિટ આપણા વડા પ્રધાનને આપવી જ જોઈએ. રિઝર્વ બેન્ક અનુકૂળ નહોતી એટલે રિઝર્વ બેન્કના એ સમયના ગવર્નર રઘુરામ રાજનની પાછળ શ્વાન છોડીને તેમને તગેડી મુકવામાં આવ્યા હતા. સરકારને એમ લાગતું હતું કે નોટબંધીના કારણે કમસેકમ ત્રણથી ચાર લાખ કરોડ રૂપિયા પાછા ફરવાના નથી જે રિઝર્વ બેંક સરકારી તિજોરીમાં મજરે જમા કરાવશે અને એક ધડાકે ખાધ ધોઈ નખાશે. હાથમાં ચિક્કાર રૂપિયા હશે એટલે એટલી બધી રાહતો આપી શકાશે કે ઓછામાં ઓછી ત્રણ મુદત માટે બી.જે.પી.ની સરકારને કોઈ હલાવી નહીં શકે. આ ઉપરાંત કૃતનિશ્ચય અને બહાદુરી માટે જે વાહવાહ થશે એ જુદી. આમ નોટબંધી એ સો ટકા મૌલિક સાહસ નરેન્દ્ર મોદીનો પોતાનું હતું.

આઠમી નવેમ્બર ૨૦૧૬ના રોજ જ્યારે નોટબંધી જાહેર કરવામાં આવી ત્યારે ત્રણ મુખ્ય કારણો આપવામાં આવ્યાં હતાં. એક કારણ કાળાં નાણાંને અર્થતંત્રમાંથી બહાર કાઢવાનું હતું. રોકડા રૂપિયાની થપ્પીઓ કાગળ થઈ જશે, પછી એને જમા ક્યાં કરાવશે? બેન્કોમાં રોકડ જમા કરાવવા માટે એ રકમ એકાઉન્ટ બુકમાં બતાવેલી હોવી જોઈએ. બીજું કારણ એવું આપવામાં આવ્યું હતું કે દેશમાં જે નકલી નોટ છે, એ બધી કચરો થઈને બહાર નીકળી જશે. નકલી નોટોનું પ્રમાણ પણ મોટું હોવું જોઈએ, અન્યથા વડા પ્રધાન નોટબંધી પાછળનાં ત્રણ મુખ્ય કારણોમાં એક કારણ તરીકે એને રજૂ ન જ કરે. ત્રીજું કારણ એવું આપવામાં આવ્યું હતું કે નોટબંધીના કારણે નકસલવાદીઓ અને ત્રાસવાદીઓ નાણાવિનાના થઈ જશે. ત્રાસવાદીઓ પાસે જે પૈસા છે એ બ્લેકના પૈસા છે.

હવે જ્યારે ૯૯.૭ ટકા પૈસા બેન્કોમાં પાછા ફર્યા છે ત્યારે એનો અર્થ એટલો જ થાય કે કાં તો દેશમાં કાળું નાણું હતું જ નહીં, અને હતું તો એ બધું વ્હાઈટ થઈ ગયું. સરકારને અને ભક્તોને આ બે વિકલ્પમાંથી જે વિકલ્પ પસંદ હોય એ અપનાવી લેવો જોઈએ. હતું જ નહીં એવું તો કોઈ માનશે નહીં, તો કુબેરપતિઓના પૈસા બ્લેકના વ્હાઈટ કઈ રીતે થઈ ગયા? કોણે મદદ કરી? શું નોટબંધી ક્રોની કેપિટાલિસ્ટોને મદદ કરવા માટે કરવામાં આવી હતી? મુઠ્ઠીભર લોકોને મદદ કરવા માટે ૧૪૪ નિર્દોષના પ્રાણ લેવામાં આવ્યા હતા? ગુજરાતની સહકારી બેંકમાં ચાર દિવસમાં અબજો રૂપિયા જમા કરવામાં આવ્યા હતા એ શું હતું? કોણ એની પાછળ હતું? અમિત શાહના પુત્રના ધંધામાં ૧૬ હજાર ગણો ગ્રોથ નોટબંધી પછી કેવી રીતે થયો? ગુજરાતના એક ડાયમંડ મર્ચન્ટે હજારો કરોડ રૂપિયા નકદ પોતાના નામે બતાવ્યા હતા એ ભાઈ જેલમાં છે કે જેલની બહાર છે? કોઈ એફ.આઈ.આર .દાખલ કરવામાં આવી છે ખરી?

મોટરોની ડીકીઓમાં કરોડો રૂપિયાની કેશ મળતી હતી એવા સમાચાર આવતા હતા અને દેશપ્રેમી (પૈસાપ્રેમી વાંચો) મીડિયા ઊછળી ઊછળીને ક્રાંતિનાં ગાન ગાતાં હતાં એ રૂપિયાનું અને રૂપિયાની હેરાફેરી કરનારાઓનું શું થયું? નદીઓમાં પૈસા તરતા હોય એવી તસ્વીરો પણ દેશપ્રેમી મીડિયા બતાવતા હતા. વડા પ્રધાને નોટબંધી જાહેર કરી એ પછીનું તેમની પહેલી જાહેરસભામાંનું ભાષણ યુ ટ્યુબ પર જોવા જેવું છે. ક્રાંતિનું શું તેજ હતું તેમના ચહેરા પર. તેમણે એવો ઈશારો આપ્યો હતો કે હવે કાળાબજારિયાઓ મરવાના છે. સામાન્ય લોકો તો ઉદ્યોગપતિ આજ આત્મહત્યા કરે છે, કાલ કરે છે એની રાહ જોતા હેરાનગતિ ખમતા રહ્યા અને એમાં ૧૪૪ સામાન્યજનો માર્યા ગયા. તાળીઓ પાડનારાઓ ઊઠી ગયા અને જેમની પાસે કાળાં નાણા હતાં એ બધું જ નાણું બેન્કોમાં પહોંચી ગયું.  

રિઝર્વ બેન્ક જ્યારે કહે છે કે ૯૯.૭ ટકા રૂપિયા બેન્કોમાં જમા થઈ ગયા છે, એનો અર્થ એ થાય કે દેશમાં જેટલું નકલી નાણું હતું એ પણ અસલી બની ગયું. કાળાં નાણાં તો વ્હાઈટ થઈ ગયા, નકલી નોટ પણ અસલી થઈ ગઈ. અને ત્રાસવાદીઓ? વડા પ્રધાન તો કહેતા હતા કે ત્રાસવાદીઓ ખાખી થઈ જવાના છે એટલે આપોઆપ ત્રાસવાદનો અંત આવશે. હવે સરકાર પોતે કહે છે કે નક્સલવાદી શહેરી ત્રાસવાદીઓ વડા પ્રધાનની હત્યા કરવાનું કાવતરું કરતા હતા.

અને છેલ્લે કેશલેસ ઈકોનોમીની વાત. રિઝર્વ બેંક કહે છે કે ૨૦૧૬ના નવેમ્બર મહિનામાં દેશમાં જેટલી રોકડ ફરતી હતી તેમાં આજ ૩૮ (આય રિપીટ ૩૮) ટકાનો વધારો થયો છે. પહેલા એમ લાગતું હતું કે નોટબંધી એ તઘલખી છબરડો છે, પણ હવે એમ લાગે છે કે એ એક કૌભાંડ હતું. ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે તો ત્યારે જ નોટબંધીને ઓર્ગેનાઇઝ્ડ લૂટ એન્ડ લિગલાઈઝ્ડ પ્લન્ડર તરીકે ઓળખાવી હતી.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 02 સપ્ટેમ્બર 2018

Loading

આછરતે અટલ અહોધ્વનિએ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 September 2018

અંજલિઓ અને સંસ્મરણોનો સહજ દોર આછરી રહ્યો છે, અને કળશયાત્રાઓના પ્રચારમાહોલ પછી કંઈક પોરો ખાવાની શક્યતા વરતાઈ રહી છે, ત્યારે અટલ ઘટનાને પૂરા આદર અને પૂરી અદબ સાથે ૨૦૧૮માં ઊભીને ૨૦૧૯ના સંદર્ભમાં તળેઉપર તપાસી શકીએ તો, બને કે, અંજલિઓનો આવકાર્ય પણ અહોધ્વનિ કંઈક લેખે લાગે.

ભારતીય જનસંઘના સ્થાપક પ્રમુખ શ્યામાપ્રસાદ મુખર્જીના નિધન વખતે સોપાને અંજલિનોંધમાં એક મુદ્દો એ કીધો હતો કે સદ્‌ગત નેતાની પ્રતિમા રાષ્ટ્રવાદીઓ વચ્ચે કોમવાદી જેવી તો કોમવાદીઓ વચ્ચે રાષ્ટ્રવાદી જેવી વરતાતી હતી. અહીં આપણે મુખર્જીની ચર્ચા અલબત્ત નથી કરતા, પણ ભારતીય જનતા પક્ષના પૂર્વાવતાર જનસંઘના પ્રમુખ એવા મુખર્જી વિશે જેમ સામસામા વિરોધ અને આંતરવિરોધની રીતે ટીકાટિપ્પણને અવકાશ હતો તેમ ભાવિ અનુગામી અટલબિહારી વાજપેયી વિશે પણ ‘રાઈટ મેન ઇન અ રૉંગ પાર્ટી’ (‘ખોટા પક્ષમાં સાચો માણસ’) એવા અવલોકનને સારુ સતત અવકાશ રહેતો આવ્યો છે, એ મુદ્દો વ્યાપક તપાસના આરંભે કરવાનો ખયાલ ચોક્કસ જ છે.

પાકિસ્તાનના સર્જનની કૃષ્ણછાયામાં અને ગાંધીહત્યા પછીના રાજકીય માહોલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એકલો પડી ગયાની વાસ્તવિકતામાંથી જનસંઘ અસ્તિત્વમાં આવ્યો. ગાંધીનેહરુપટેલ એકંદરમતીને અભિમત ભારત અને સંઘના દર્શન વચ્ચે (પટેલને પોતાના કરવાના અને એમ અલગ તારવવાના પ્રયાસ છતાં) છત્રીસનો સંબંધ રહ્યો છે તે સુવિદિત છે. છતે ભાગલે બિનસાંપ્રદાયિક અભિગમની દૂરંદેશી જે ત્યારના રાષ્ટ્રીય નેતૃત્વે દાખવી એનાથી હિંદુત્વ બળોનું વલણ સ્વાભાવિક જ સામા છેડાનું હતું. બલકે, દેશભરમાં કૉંગ્રેસ સહિતની રાજકીય છાવણીઓમાં પણ ભાગલાના જખમને કારણે બિનસાંપ્રદાયિક રાષ્ટ્રવાદના ખયાલ અંગે જે અસુખ હોઈ શકે તે સંઘ અને હિંદુ મહાસભા આદિ માટે અસુખનો અસ્થાયી અનુભવ નહીં પણ હાડોહાડ વિચારધારાનો સ્થાયી મામલો હતો. સામ્યવાદી પક્ષ સાથે સંલગ્ન સ્ટુડન્ટ્‌સ ફેડરેશન ઑફ ઇન્ડિયા અને ૧૯૪૨ના આંદોલન સાથે કિંચિત્‌ સંપર્ક અને સંસ્પર્શ પછી કિશોર અટલબિહારી સંઘ શાખામાં ઠર્યા હશે તે આ ગાળો હતો. આ ગાળામાં હરિવંશરાય બચ્ચનની ઘાટીએ ‘રગ રગ હિંદુ મેરા પરિચય’ જેવી રચના એક પૌગંડ (એડોલેસન્ટ) કવિને સારુ સહજ હતી. અલબત્ત, એમાં ‘કોઈ બતાયે કાબુલ જા મૈંને કિતની મસ્જિદે તોડી?’ જેવા કેવિયટનુમા અંદાજનીયે સગવડ હતી. ૧૯૯૨ના ડિસેમ્બરની છઠ્ઠીએ જે બન્યું તે પછી હિંદુત્વ રાજનીતિના આ ઉદ્રેક અને ઉત્પાતની ટીકા કરતાં મહીપસિંહે દૂરદર્શન પર વાજપેયીની આ પંક્તિ સચોટ ટાંકી હતી. આમે ય, વાજપેયીનું વલણ અયોધ્યા આંદોલનથી સલામત અંતરનું હતું તે સુવિદિત છે. કારસેવકો અયોધ્યા જાય છે કે લંકા એવી હળવીગંભીર નુકતેચીની પણ એમને નામે જમે બોલે છે.

… પણ રાઈટ મેન – રૉંગ પાર્ટીનું ઉખાણું છોડાવતે છોડાવતે વચલો ટપ્પો કુદાવીને આપણે એકદમ ૧૯૯૨ પર પહોંચી ગયા! વસ્તુતઃ ૧૯૭૪-૧૯૭૯નો જેપી જનતા તબક્કો નોંધ્યા વગર વાજપેયીની વિશેષતા(અને મર્યાદા)નો ખરો ને પૂરો તાગ શક્ય નથી. આ ગાળો જેપી આંદોલનને કારણે સ્વાતંત્ર્યસંગ્રામ સાથેના સંધાનપૂર્વક વ્યાપક વૈકલ્પિક પ્રવાહમાં જનસંઘની સ્વીકૃતિનો અને ખુદ જનસંઘ માટે શોધનની શક્યતાનો હતો. સંઘ-જનસંઘના સરેરાશ કાર્યકર (સ્વયંસેવક)ની મર્યાદા, વાજપેયીએ ત્યારે આ મતલબના શબ્દોમાં મૂકી આપી હતીઃ અમારા/ આપણા કાર્યકરો મોટેભાગે મધ્યમવર્ગમાંથી આવે છે, પણ આ રીતે જ્યારે આમ જનતામાં આંદોલનમાં જોડાઈએ છીએ ત્યારે વાસ્તવિક સુખદુઃખના સઘન સામાજિક સંસ્પર્શ અને સંસ્કારથી જાહેર જીવનના સંદર્ભમાં અમારું / આપણું ચારિત્ર્ય બદલાય છે. ૧૯૭૫ના માર્ચમાં નવી દિલ્હીના જનસંઘ અધિવેશનમાં, ‘સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ’ એ બિહાર આંદેલનમાં ગાજેલી દિનકરપંક્તિની પિછવાઈએ શોભતા મંચ પરથી બોલતાં વાજપેયીનું, સંઘી કવાયતી ઉછેરને લગીરે ઓછો આંક્યા વગર પણ એની મર્યાદાની પૂરી સભાનતા સાથેનું આ જેપી આકલન હતું.

આર.એસ.એસ. અને જનતા પાર્ટી એમ બેવડા સભ્યપદને અને બેવડી વફાદારીના મુદ્દે જ્યારે જનતા પક્ષમાં ભંગાણની સ્થિતિ સર્જાઈ ત્યારે મધુ લિમયેએ એક વાત માર્કાની કહી હતી કે સેક્યુલિરિઝમ અને લોકશાહી સમાજવાદ માટે આખા જનસંઘ ધાડિયામાંથી એકમાત્ર અટલબિહારી વાજપેયીની જ નિષ્ઠા સાફ હતી. તમે જુઓ, જનસંઘે જનતાઅવતાર પછી છૂટા પડવાનો પ્રસંગ આવ્યો, ૧૯૭૯માં, ત્યારે વાજપેયીએ, પાછો જનસંઘ જગાડવાને બદલે ભાજપ રૂપે નવા પક્ષની દિશામાં નાળચું વાળ્યું. સંઘી મર્યાદાઓને લાંધીને જનતા પ્રયોગની વિશેષતાઓ જાળવી લેવાની મંછા એની પૂંઠે હતી તે હતી. સંઘ શ્રેષ્ઠીઓ એમાં એક હદ સુધી સાથે હશે, પણ હિંદુત્વના નિંભાડા અને અખાડા સામે ખુલ્લી દુનિયામાં એમને કદાચ સોરવાતું નહીં હોય કે ગમે તેમ પણ ૧૯૭૭માં મળ્યું હતું એવું મતદાનીય ડિવિડંડ ૧૯૮૪-૮૫માં નહીં મળતાં વાજપેયીને ઇષ્ટ જનતા લબ્ધિને બદલે અડવાણીના હિંદુત્વ અભિગમને અગ્રતા અપાઈ. રથયાત્રાથી બાબરીધ્વસં લગીના ઘટનાક્રમે હિંદુત્વ રાજનીતિને જેપી આંદોલન કરતાં જુદી રીતે પણ મધ્યપ્રવાહ જેવી સ્થિતિમાં મૂકી આપી, અને અડવાણીને એના કેન્દ્રમાં.

આ પ્રક્રિયામાં (ખરું જોતાં વિક્રિયામાં) એ પ્રશ્નો અનુત્તર રહી ગયા જે વાજપેયીએ ઑગસ્ટ ૧૯૭૯માં જનતા ભંગાણ સંદર્ભે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં એક સાઈન્ડ આર્ટિકલમાં ઉપસ્થિત કર્યા હતાઃ

“આર.એસ.એસ. એક દેશભક્ત અને શિસ્તબદ્ધ તરુણોનું રાષ્ટ્રવ્યાપી સંગઠન હોઈ ઘણાની અદેખાઈને પાત્ર બન્યું છે. પણ આર.એસ.એસ.ની એકંદર તાસીર જોતાં અને સમાજના જે સ્તરમાંથી તે આવે છે એ જોતાં તે સત્તા કબજે કરી શકે તેમ નથી. ભારત જેવા બહુધર્મી, બહુભાષી, ભાતીગળ દેશમાં એ મોટા પાયા પર લોકોને સંચારિત પણ ન કરી શકે.

“સત્તાસાઠમારીમાં ચોક્કસ લાઈન લેતા અખબારી જૂથને પોષવાથી માંડીને જનતા પક્ષના યુવા ને મજદૂર સંગઠનોમાં જે વલણ આર.એસ.એસ. દાખવી રહ્યું છે એ બરાબર નથી. દિલ્હીમાં તાજેતરમાં પ્રજાને પાણીપુરવઠા બાબત પડેલી મુશ્કેલી પણ આ વલણમાંથી જ આવેલી હતી. આવા બનાવો કોઈ સંગઠનના બિનરાજકીયપણાને જેબ આપે તેવા તો નથી જ.

“આર.એસ.એસ.ના વડા દેવરસે તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું છે કે સંઘમાં જોડાવા માટે બિનહિંદુઓને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આર.એસ.એસ. તરફથી પોતે સાંપ્રદાયિક રાજ્યમાં માને છે એ વિધાનનો ચોખ્ખો ઈનકાર પણ તાજેતરમાં કરાયો છે. આ બધાનું ચોખ્ખું તર્કસંગત પરિણામ એ જ હોય કે આર.એસ.એસ. હિંદુરાષ્ટ્ર એટલે જેમાં બિનહિંદુઓનો પણ સમાન અધિકારપૂર્વક સમાવેશ થાય છે તેવું ભારતરાષ્ટ્ર એવું સ્પષ્ટ પ્રતિપાદન કરે છે. અથવા તો, બીજો વિકલ્પ એ છે કે આર.એસ.એસ. પોતાને નિર્ભેળપણે એક હિંદુ સામાજિક સાંસ્કૃિતક સંગઠન જાહેર કરે અને આર્ય સમાજની જેમ હિંદુ સમાજનાં દૂષણો સામે લડવાનાં ને રાહતનાં કામો કરે.

“એટલું ચોક્કસ છે કે લોકશાહી, બિનસાંપ્રદાયિકતા, સર્વ જાતિઓ અને સર્વ ધર્મોનું સરખું સ્થાન ને હિસ્સેદારી, હરિજનો-આદિવાસીઓને અકિંચનોની ઉન્નતિ વગેરે ચોક્કસ આદર્શોમાં રોપાયા વિના ભારતીય રાજનીતિ ટકી શકે તેમ નથી …”

આ વર્ષો એવાં હતાં જેમાં સાધ્વી ઋતંભરા જેવાં વાજપેયીને ‘આધા કૉંગ્રેસી’ કહીને ઉતારી પાડતાં હશે અને સંઘ શ્રેષ્ઠીઓ વાસ્તે પણ વાજપેયીનું સ્થાન હવે હાંસિયામાં જ અટલ હોવાની સમજ હશે. ૧૯૭૪થી ૧૯૯૫-૯૬ આવતે આવતે વાજપેયી એક પા જો હાંસિયામાં જણાતા હતા તો બીજી પા સામસામા પક્ષોથી ઉફરાટે એમની નાની પણ નિર્ણાયક સ્વીકૃતિ ઉભરતી આવતી હતી. કોઈ કોઈ વર્તુળો એમનો ઉલ્લેખ પંડિત અટલબિહારી નેહરુ તરીકે પણ કરતાં હશે. અડવાણીને જેમ કઈ રાજનીતિ ચાલશે એનો ખયાલ ૧૯૮૫માં આવ્યો હતો તેમ નવી રાજનીતિમાં કઈ વ્યક્તિ ચાલશે એનો જે ખયાલ ૧૯૯૫-૯૬માં આવ્યો હશે એને કારણે એમણે વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે અટલબિહારી વાજપેયીને આગળ કરવાપણું જોયું.

દેખીતી રીતે જ, આ જાહેરાત સંઘ શ્રેષ્ઠીઓની કિલ્લેબંધ દુનિયાને ઠેકી જઈને કરાયેલી હતી. પણ ફોર્મ્યુલા મજબૂત હતી એ વાજપેયીના વડાપ્રધાનપદે પહોંચવા સાથે અંકે થઈને રહ્યું. રાજકારણમાં ભા.જ.પ.ની જગ્યા કોમી ધ્રુવીકૃત રાજનીતિએ બનાવી, પણ એની સત્તા-સ્વીકૃતિ વ્યાપક વલણસરની એકંદરમતીએ બનાવી. અલબત્ત, ભા.જ.પ.નું માળખું અને એના પાયાના કાર્યકરો જે નિંભાડા અને અખાડાની સરજત હતા એના કરતાં આ વાત ગુણાત્મકપણે જુદી પડતી હતી એટલે ‘પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ’ એ ન્યાયે એવાં એવાં ભળતાં ઇંગિતો મળતાં રહ્યાં જ્યારે વાજપેયીને પક્ષે તંગ દોર પરની નટચાલનો કુલીન તકાજો અનિવાર્ય બની રહેતો. રાષ્ટ્રીય સુરક્ષાની રીતે જાગૃતિપૂર્વક પણ પાકિસ્તાન સાથે સુલેહસમજૂતીની વાજપેયીની કોશિશ, એ આવી એક રાજપુરુષોચિત નટચાલનું ઉદાહરણ છે. રેંજીપેંજી રાજકારણીના વશની વાત એ નથી. કમાલ તો વાજપેયીએ જ્યાં પાકિસ્તાનનો ઠરાવ થયો એ કીર્તિસ્થંભ (મિનારે પાકિસ્તાન)ની સત્તાવાર મુલાકાત લઈને કરી હતી. અડવાણીને એમનું ઝીણાયન ભારે પડ્યું પણ વાજપેયી સંઘમાન્ય પાપપુણ્યની બારીમાંથી પસાર થઈ ગયા એ નોંધપાત્ર છે.

જમ્મુ-કાશ્મીરમાં એમણે જમ્હુરિયત, કશ્મીરિયત, ઇન્સાનિયતની જે હિમાયત કરી હતી તે રાષ્ટ્રવાદના પરંપરાગત સંઘી ખયાલને વટી જઈને કરાયેલી હતી. નમો-ટ્રમ્પ મંડળી જે ‘નેશન ફર્સ્ટ’ આલાપે છે એના કરતાં તે તત્ત્વતઃ ન્યારીનિરાળી હતી. માત્ર સાંકડો કોમી ખયાલ જ નહીં નકરું રાષ્ટ્ર રાષ્ટ્ર પણ ઓછું ને પાછું પડે છે એ સમજવા જેવું છે.

ગુજરાત ૨૦૦૨માં રાજપુરુષોચિત સમજ અને સંવેદનાએ એમની કને રાજધર્મનું પ્રબોધન તો કરાવ્યું, પણ રાજધર્મચૂક બાબતે ફોલોઅપ ઍકશન (મુખ્યમંત્રી નમોનું રાજીનામું) એમના હસ્તે લેવાતાં લેવાતાં રહી ગયું. પરિણામે, મુકામ પર પહોંચવાને બદલે એમની કૂચ વચમાં માંચીએ જ ક્યાંક મોચવાઈ ગઈ. ૨૦૧૪નું વિશ્લેષણ અત્યારે નહીં કરતાં ૨૦૦૪ સબબ એટલું જ કહીશું કે પેલું જે મોચવાયું તેને કારણે દિલ્હી હાથમાંથી ગયું.

ગુજરાત ઘટનાઓ વાજપેયી તરફી એકંદરમતીને જફા પહોંચાડી અને લોકસભાનાં ૨૦૦૪નાં ચૂંટણી પરિણામમાં એ સાફ જણાઈ આવ્યું તે પછી દસે વરસે, ૨૦૧૪માં, ભા.જ.પ. પાછો દિલ્હી તખતે ઝળક્યો. પણ આ જીતના હોર્મોન્સ ને જિન્સમાં ૨૦૦૨ પડેલું હતું. અલબત્ત, વિકાસનું વાજું વીસ-પચીસ ટકા હાર્ડકોરમાં વધારા વાસ્તે ખપમાં લઈને એકત્રીસ ટકે પહોંચી શકાયું હતું. તે પછીની દાસ્તાં કૉંગ્રેસ વત્તા ગાય શૈલીએ કોમી ઉંબાડિયાં – અને તે પણ મૉબ લિન્ચિંગની નવ્ય હદે – ચાલુ રખાયાંની છે. ૨૦૧૯નો ચૂંટણી વ્યૂહ વખત વખતનાં વાજાં સમેત અને છતાં હાડમાં અંતરિયાળ કોમવાદને લાંઘવાનો નહીં પણ લણવાનો હશે એવાં સઘળાં ચિહ્‌ન છે. હમણે હમણેનાં અટલ અહોધ્વનિના લાભાર્થીઓના પક્ષે એ નરી વિડંબના હશે. અટલ નામની ઘટના દેખીતી સફળતાનિષ્ફળતા છતાં એક કરુણભવ્ય ઊંચાઈને જરૂર આંબી શકી હોત પણ તે કેવળ કારુણિકામાં કેમ સમેટાઈ ગઈ એ અંગે આત્મનિરીક્ષણની ઇન્દ્રિય સત્તાર્થીઓ તો મ્યાન રાખી શકે, પણ નાગરિક એના ઉજાસમાં ધોરણસર દરમ્યાન થવા કેમ ન ઇચ્છે? ૨૦૧૮ના અંતભાગમાં રાજ્યોની ચૂંટણી અને ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવો અવસર કહો તો અવસર અને પડકાર કહો તો પડકાર લઈને આવે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2018; પૃ. 03-04

Loading

...102030...3,0103,0113,0123,013...3,0203,0303,040...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved