Opinion Magazine
Number of visits: 9685793
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૌલાના પાંડોર

દીપક બારડોલીકર|Profile|15 October 2018

હસું હસુંં થતો લંબગોળ ચહેરો, નજર નીચી, ચાલ મધ્યમ, ઓષ્ઠ ઉપર ‘હસબુનલ્લાહ’-નું રટણ અને મધ્યમ કદકાઠું એટલે બીજું કોઈ નહીં, બારડોલીના મૌલાના મહમૂદ સાલેહ પાંડોર.

એ બે ભાઈ, મહમદ અને મહમૂદ. મહમદ મોટા. તેમના હોઠે પણ કુરઆને કરીમનું આ વાક્ય − હસબુનલ્લાહુ વનિઅમલ વકીલ -નું રટણ રહેતું.  એમના પિતાને પણ મેં એ વાક્યનું રટણ કરતાં જોયેલા.

મૌલાના મહમૂદ, હાફિઝે કુરઆન હોવા સાથે કારી પણ હતા. કલામે પાકની તિલાવત કરતા ત્યારે તેમનો મિષ્ટ – દર્દીલો અવાજ અને પઠનશૈલી શેરીમાંથી આવતાજતા માણસોના પગોમાં ઝંજીર નાખી દેતા. લોકો ઊભા રહી જતા. તિલાવત સાંભળવામાં નિમગ્ન થઈ જતા !

અને તેમનો જુમ્આમો ખુત્બો એટલે ખુત્બો !બસ, સાંભળ્યા કરો ! તેમને કેટલા ય ખુત્બા કંઠસ્થ હતા. ખુત્બાના સમયે મિમ્બર પર તેમના હાથમાં, આભલે મઢેલ સોનેરી અસો હોય, મિષ્ટ દર્દીલો અવાજ, મનહર પઠનશૈલી અને સ્મિતઝરતો ચહેરો ! જમાતખાનામાં એક એવું અજબ વાતાવરણ છવાઈ જતું કે નમાઝીઓ ડોલ્યા કરે ! અલ્લાહની યાદમાં લીનતલ્લીન !

આવી જ તાસીર ધરાવતો, પણ કંઈક જુદી ઢબનો, એક બીજો ખુત્બો હતો મોટા મિયાં સાહેબનો, જેનું વર્ણન એક અલગ લેખમાં કરાયું છે. આ બે તાસીરમય ખુત્બાથી ઉત્તમ એવો ખુત્બો પઢનાર અન્ય ઈમામ, બારડોલીમાં પાક્યા નથી.

મૌલાના પાંડોરે તાલીમ ખાસ કરીને ડાભેલના જામીઆમાં લીધી હતી. ઉસ્તાદ તો ત્રણચાર હતા, પણ મુખ્ય, ઉપખંડના વિખ્યાત આલિમે દીન મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની. ઉસ્તાદની દુઆ હતી કે તેઓ દીની જ્ઞાનમાં સારુ નૈપુણ્ય મેળવી શક્યા હતા. તેઓ સારા પ્રવક્તા પણ હતા.  વઅઝ – પ્રવચન આત્મવિશ્વાસસહ એવી તર્કપટુતાથી કરતા કે શ્રોતાઓની શંકાઓનું, ગૂંચવણોનું નિવારણ થઈ જતું. તેમની પાસે પોતાના વિચારો હતા, વર્ણનની આવડત હતી, સમજૂતીની સૂઝ હતી; અને હતું ભાષાનું ભાથું તથા કુરઆને કરીમ અને અહાદીસે નબવી(સલ્અમ)નો અભ્યાસ.

તેમનું પ્રત્યેક પ્રવચન, નાનું હોય કે મોટું, વૈજ્ઞાનિક ઢબે થતું. માત્ર શ્રદ્ધા નહીં, જ્ઞાનનો ઉજાશ તથા બુદ્ધિચાતુરી તેમાં દૃશ્યમાન થતાં. આવા પ્રવક્તા ગુજરાતી આલિમોમાં કેટલા ? આવી સિદ્ધિ છતાં, તેમને મોટાઈનો મોહ ન હતો. સાદગી હતી, વિનમ્રતા હતી.

ખોલવડ તથા તડકેશ્વરના મદ્રસાઓમાં સેવા આપ્યા પછી, વરાછાવાળા જાદવત શેઠના પ્રેમાગ્રહથી, તેઓ બર્મા ગયા હતા, જ્યાં મૌલમીન શહેરની સુરતી મસ્જિદના ખતીભ તથા ઈમામ તરીકે નિયુક્ત થયા હતા. કહે છે કે અહીં મસ્જિદ – મદ્રસાની જવાબદારી તેમના શિરે હતી એ દરમિયાન, જમીઅતે ઉલેમાએ બર્માના મંત્રી અને પછી પ્રમુખ તરીકે તેમની વરણી થયેલી, અને કહે છે કે મૌલમીનમાં તેમણે એક યતીમખાના – મદ્રસાની સ્થાપના પણ કરેલી. − બાદમાં તેઓ મયમો શહેર ચાલ્યા ગયા હતા, જ્યાં દીની સેવા બજાવતાં, ઘણું કરીને 1961-62માં, તેમનો જીવનદીપ બુઝાઈ ગયો હતો.

તેઓ રાજકારણમાં સક્રિય હતા. તેમના ઉસ્તાદ શબ્બીર અહમદ ઉસ્માનીની જેમ તેઓ ય લીગી ખ્યાલ ધરાવતા હતા. બારડોલી તાલુકા મુસ્લિમ લીગનું પ્રમુખપદ તેમણે સંભાળ્યું હતું. એ સમયે હું લીગનો મંત્રી તથા નેશનલ ગાર્ડનો કેપ્ટન હતો.

મૌલાના મહમૂદ સાલેહ પાંડોરના દાંપત્યજીવન વિશે નોંધી શકાય છે કે તેમની બે જીવનસંગિની હતી. પહેલા લગ્ન મારાં મોટાં બહેન ખદીજા સાથે થયાં હતાં. મારાં બહેનનાં પાંચ સંતાનો. ત્રણ દીકરી : ફાતેમા, આયેશા, હફસા (છોટી) અને બે દીકરા : અહમદ, ઈસ્માઈલ.

બીજી પત્ની હતી ખોલવડની આયેશા ડંગોર. એમનો એક દીકરો : યુનૂસ, જે હાલ કેનેડામાં છે.

મૌલાનાની જમીનો હતી, પરંતુ એ ઈલ્મી આદમી, એની વાવણી − લણણીની ઝંઝટમાં પડ્યા ન હતા. એ બધું મારાં બહેન સંભળાતાં. ભેંસો ય પાળી હતી. અને છેવટ સુધી એ બધું સંભાળ્યું હતું.

એમની, જિન્નાત સાથેની મૈત્રીના કિસ્સા પણ છે, પણ એ મને બુદ્ધિગમ્ય લાગતા નથી. બર્મામાં કોઈક છોકરીને વળગેલા જિન્નને કાઢ્યાનો ઢંગધડા વિનાનો કિસ્સો ય છે. પણ સવાલ આ છે કે માનવદેહમાં કોઈ અન્ય મખ્લૂક પ્રવેશી વસવાટ કરી શકે ખરી ?

ગમે એમ, પણ મૌલાના પાંડોરનાં પ્રથમ પત્ની તે મારાં મોટાં બહેન ખદીજાએ એક વાર મને કહેલું, ‘તારા બનેવી રાત્રે કુરઆનની મિલાવત કરે છે ત્યારે જિન્નાત તેમની પાસે આવે છે. વાતચીત કરે છે !’

જો કે મૌલાના માત્ર મારા બનેવી નહીં, મિત્ર પણ હતા. અને તેમણે એવી કોઈ ચમત્કારિક વાત મારી, આગળ કરી નહોતી. અને સાચું પૂછો તો તેમની મોટાઈ તેમની વિદ્વતામાં, તિલાવતે કુરઆનમાં ને વ્યાખ્યાનોમાં હતી ! જિન્નાત સાથેની મૈત્રીના કે વળગેલા જિનને કાઢવાના કિસ્સામાં ન હતી. તેઓ એવા નબળા અને ચમત્કારિક કિસ્સાઓની કાંખઘોડીના આધારે ચાલનારા આલિમ હતા જ નહીં.

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]

Loading

સંસ્કૃિત જેમ કોમવાદને ઢાંકવાનું વસ્ત્ર છે એમ વિકાસ એ કુદરત સાથે ચેડાં કરીને લૂંટવાનું વસ્ત્ર છે અને આજે એ બન્ને વચ્ચે ભાગીદારી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|14 October 2018

ગંગામુક્તિ માટે ૧૧૧ દિવસ ઉપવાસ કરીને પ્રાણ સમર્પિત કરનારા પ્રા. જી.ડી. અગ્રવાલને અંગત રીતે ઓળખવાનું સદ્ભાગ્ય મને મળ્યું હતું. પર્યાવરણને લાગેવળગે છે ત્યાં સુધી પર્યાવરણ માટે સરોકાર ધરાવનાર આખું જગત તેમને જાણે છે. પર્યાવરણ વિશે ઊહાપોહ કરનારા અને પેપર રજૂ કરનારા વિદ્વાનો તો જગતમાં ઘણા છે; પરંતુ જી.ડી. અગ્રવાલ પર્યાવરણ સારું સતત ઝઝુમતા હતા, તે ત્યાં સુધી કે તેમણે સન્યાસ લીધો હતો. મેં એકવાર તેમને સન્યાસ લેવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘તેઓ રૂઢ અર્થમાં મોક્ષાર્થી નથી, ઈશ્વરપ્રાપ્તિ માટે બીજા જેમ સન્યાસ લે છે એવી કોઈ ભાવના નથી. મેં સન્યાસ લીધો એનું કારણ ગંગા છે. પ્રજા જો ભગવા કપડાંધારી સાધુની વાત સાંભળતી હોય અને ગંગાને બચાવતી હોય તો હું સંસાર છોડવા પણ તૈયાર છું.’ સન્યાસ લીધા પછી તેઓ સ્વામી જ્ઞાનસ્વરૂપાનંદ તરીકે ઓળખાતા હતા. જો કે જગત તો તેમને દંતકથારૂપ પ્રો. જી.ડી. અગ્રવાલ તરીકે જ ઓળખે છે અને ઓળખતું રહેશે. તેમનું યોગદાન અને ઊહાપોહ ભૂલાવાના નથી.

પ્રો. જી.ડી. અગ્રવાલે ગંગાને બચાવવા પહેલાં સંસાર છોડ્યો અને હવે દેહ છોડ્યો, પણ પ્રજાને કોઈ ફરક પડ્યો નથી. ભારતના બહુમતી હિન્દુઓ ગંગાને કે હિમાલયને પ્રેમ કરે છે અને સાધુની વાત સાંભળે છે એ તેમનો ભ્રમ હતો, જે તેમના પ્રાણાર્પણ દ્વારા સાચો ઠર્યો છે. ગંગાનો ખપ તો ભારતની હિન્દુ પ્રજાને પાપ ધોવા ડૂબકી મારવા પૂરતો છે કે જેથી નવેસરથી પાપ કરી શકાય. બીજો ખપ હિન્દુ હોવાના ગૌરવના દેખાડા માટેનો છે. આ વિકૃતિ હમણાં હમણાંની છે. હિન્દુ પ્રજા જ્યારે ખરેખર ઈશ્વરપરાયણ હતી ત્યારે નહોતી તે ગંગાને આજ જેટલી અશુદ્ધ કરતી કે નહોતી ગંગાનું રાજકારણ કરતી.

૧૯૩૬ની સાલમાં હિન્દી સાહિત્યકાર મુન્શી પ્રેમચંદે ‘સાંપ્રદાયકતા ઔર સંસ્કૃિત’ નામના તેમના નિબંધમાં કહ્યું હતું કે કોમવાદને પોતાનાં અસલી ચહેરા અને વસ્ત્ર સાથે જાહેરમાં બહાર નીકળતાં શરમ આવે છે એટલે તે સંસ્કૃિતનાં વસ્ત્રો ધારણ કરે છે. ગંગા, હિમાલય, વેદ, ઉપનિષદ, કાશી, મથુરા, મઠો, મંદિરો વગેરે હિન્દુ કોમવાદનાં સાંસ્કૃિતક પ્રતીકો માત્ર છે. કોમવાદે ઘરની બહાર નીકળવા માટે અને સારા દેખાવા માટે ધારણ કરેલા વસ્ત્રો માત્ર છે. પ્રો. જી.ડી. અગ્રવાલ ભ્રમમાં હતા કે તેમનું ગાંધીજીની બરાબરીનું, સો ટચનું સાધુત્વ જોઇને પ્રજા તેમની વાત સાંભળશે અને ગંગાને બચાવવા બહાર પડશે. જો તેમણે ત્રિશૂળ હાથમાં લઈને રામલીલા મેદાનમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃિતને બચાવવા વિધર્મીઓને લલકાર્યા હોત, તો જરૂર પ્રજાએ તેમની વાત સાંભળી હોત. તેઓ ફાઈવ સ્ટાર આશ્રમના માલિક હોત અને અબજો રૂપિયાની દવાઓ અને અગરબત્તીઓ વેચતા હોત.

પ્રજા બિચારી ભોળી હોય છે અને ભક્તો ગમાર હોય છે. કોમવાદી રાજકારણીઓના અને ગમાર ભક્તોના સાંસ્કૃિતક ગોકીરામાં સ્વામી જ્ઞાનસ્વરૂપાનંદની વાત લોકો સુધી પહોંચી જ નહીં. તામસ સામે સત્ત્વનો પરાજય થયો એમ જ કહેવું રહ્યું. પ્રજાને એ ખબર નહોતી કે પ્રો. જી.ડી. અગ્રવાલ કોણ હતા? તેમને એ વાતની પણ જાણ નહોતી કે જગતમાં તેમનું શું સ્થાન હતું. તેમને એ વાતની પણ જાણ નહોતી કે છેલ્લા ઉપવાસ કરીને પ્રાણ સમર્પિત કરનારા જી.ડી. અગ્રવાલે ગંગાને બચાવવા કેટલો સંઘર્ષ કર્યો હતો. પ્રજાને એ વાતની પણ જાણ નહોતી કે તેમનું દિલ જીતવા તેમણે સંસારત્યાગ કરીને ભગવાં ધારણ કરી લીધા હતાં. તેમને એ વાતની પણ જાણ નહોતી કે પ્રો. જી.ડી. અગ્રવાલ ત્રણ મહિનાથી ઉપવાસ પર બેઠા છે. તેમણે પ્રાણ ત્યાગ કર્યો એ પછી પ્રજાને જાણ થઈ કે આવો કોઈ સાધુ આપણી વચ્ચે હતો. તેમના નિધનથી ગ્લાનિ કેટલાને થઈ હશે એ વિશે આજના સાંસ્કૃિતક તામસ યુગમાં મને શંકા છે. કાશીમાં ગંગા નદીમાં ડૂબકી લઈને પાપ ધોનારા, તેમાં જ લઘુશંકા કરનારા, તેમાં જ ગંદાં કપડાં ધોનારા અને એ પછી સાંજે ગંગાઆરતી જોઇને મહાન હિન્દુ સાંસ્કૃિતક વારસાથી ગદગદિત થઈ જનારા હિન્દુઓને મેં અનેકવાર સગી આંખે જોયા છે.

ગંગાને સાફ કરવાની શી જરૂર છે જ્યારે ગંગાઆરતી ભોળા હિન્દુને ગદગદિત કરવા માટે પર્યાપ્ત છે. આજકાલ હિમાલયથી લઈને ગંગાસાગર સુધી ઠેકઠેકાણે ગંગાઆરતી થવા લાગી છે. મુન્શી પ્રેમચંદે કહ્યું હતું એમ કોમવાદનો એ સાંસ્કૃિતક ચહેરો છે. વસ્ત્ર છે અને પ્રજા મસ્ત છે. બીજી બાજુ કોર્પોરેટ કંપનીઓ, કોન્ટ્રાક્ટરો, પર્યટનનો ધંધો કરનારાઓ અને રાજકારણીઓ હિમાલય અને તેમાંથી નીકળતી નદીઓને ખેદાન-મેદાન કરી રહ્યા છે. ૨૦૧૩ની કેદારનાથની ઘટના પછી પણ કોઈ ફરક પડ્યો નથી. એ પૂરનાં દ્રશ્યો જ્યારે યુ ટ્યુબ પર જોયાં ત્યારે દૂર મુંબઈમાં બેસીને હાજા ગગડી ગયાં હતાં. કેવાં એ વિનાશક પૂર હતાં! પાંચ હજાર કરતાં વધુ લોકો માર્યા ગયા અને સાડા ચાર હજાર ગામડાંને તેની અસર થઈ હતી. હિમાલય અને હિમાલયમાંથી નીકળતી નદીઓ સાથે ચેડાં કરવામાં ન આવે એવી ભલામણ કરતા અનેક અહોવાલો કેદારનાથની ઘટના પહેલાં સરકાર પાસે હતા અને ઘટના પછી હજુ વધુ આગ્રહપૂર્વક ભલામણ કરનારા અહેવાલો આવ્યા છે.

આમ છતાં કોઈ ફરક નથી પડતો. હિમાલય અને નદીઓનું જે થવું હોય એ થાય ખેદાન-મેદાન કરવામાં અબજોની પાણ છે. બીજી બાજુ પર્યાવરણ-સંરક્ષણનો ધંધો પણ અબજો રૂપિયાનો છે. ગંગાશુદ્ધિકરણ યોજના, બીજી નદીઓના શુદ્ધિકરણની યોજનાઓ, હિમાલય સંરક્ષણ યોજના, પ્રજાના પર્યાવરણ-પ્રશિક્ષણ યોજના જેવી અનેક યોજનાઓ છે જે અબજો રૂપિયાની છે. અબજો રૂપિયાનો ઘંધો હિમાલય અને ગંગાને તમાચો મારવાનો અને બીજો અબજો રૂપિયાનો ધંધો ગાલ પંપાળવાનો. બન્ને હાથમાં લાડુ. મુન્શી પ્રેમચંદે જે કહ્યું છે એમાં હું ઉમેરો કરવા માગું છું. સંસ્કૃિત જેમ કોમવાદને ઢાંકવાનું વસ્ત્ર છે એમ વિકાસ એ કુદરત સાથે ચેડાં કરીને લૂંટવાનું વસ્ત્ર છે. એટલું જ નહીં, એ બન્ને પરસ્પરને પોષે છે. ગંગા સાથે ચેડાં કરવા માટે ગંગાઆરતી ક્લોરોફોમનું કામ કરે છે.

ગંગામાં પેશાબ કરી લીધા પછી ગંગાઆરતી જોઇને ગદગદિત થઈ જનારો હિન્દુ જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે છે અને સ્વામી જ્ઞાનસ્વરૂપાનંદની જગ્યાએ ત્રિશૂળધારી બાબાઓ હિન્દુ ધર્મના ઠેકેદારો બનીને વિહરે છે ત્યાં સુધી જ્ઞાનસ્વરૂપાનંદોએ બલિદાન આપવું પડશે. આ કિંમત છે જે સાચા માણસોએ ચૂકવવી પડતી હોય છે. ત્રિશૂળધારી બાબાઓ પણ હિમાલયમાં ફાઈવ સ્ટાર આશ્રમો ધરાવે છે અને હિમાલયને તેમ જ નદીઓને ખેદાન-મેદાન કરી રહ્યા છે.

અંતે એક જ વાત કહેવાની. કુદરતની લાત આકરી હોય છે. જો પ્રો. ડી.જી. અગ્રવાલની વાત કાને નહીં ધરો તો કુદરત પોતાનો રસ્તો કરી લેશે. દર વરસે પોતાનો કોપ પ્રગટ કરીને કુદરત સંકેત આપી જ રહી છે, બસ હવે ઘણું થયું.     

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 14 અૉક્ટોબર 2018

Loading

‘પ્રો-ચૉઇસ’ તરફ વધી રહેલું વલણ, કૉર્ટે કરેલી સમલૈંગિક સમ્બન્ધોની તેમ જ વ્યભિચારની પુષ્ટિ, એ ત્રણેય બાબતે વ્યક્તિને હવે મૉકળાશ જ મૉકળાશ છે

સુમન શાહ|Opinion - Opinion|13 October 2018

સ્ત્રી સંઘર્ષ કરે પણ બેફામ રોષને કાબૂમાં ન લઇ શકે, થાકી જાય. કેમ કે બળ તો, સત્તા છે

ગયા મહિને મેં લખેલું કે ગર્ભપાત અંગે ઘણા લોકો હવે 'પ્રો-ચૉઈસ' થઇ ગયા છે. એ અરસામાં આપણી સુપ્રીમ કૉર્ટે બે કલમો નાબૂદ કરી અને ક્રાન્તિકારી ચુકાદા આપ્યા. 377-સંદર્ભનો ચુકાદો કહે છે, સમલૈંગિક સમ્બન્ધો હવેથી અપરાધ નથી. 497-સંદર્ભનો ચુકાદો કહે છે, વ્યભિચાર હવેથી ગુનો નથી. મને થાય, 'પ્રો-ચૉઇસ' તરફ વધી રહેલું વલણ, કૉર્ટે કરેલી સમલૈંગિક સમ્બન્ધોની તેમ જ વ્યભિચારની પુષ્ટિ, એ ત્રણનો સરવાળો એમ દર્શાવે છે કે એ દરેક બાબતે વ્યક્તિને હવે મૉકળાશ જ મૉકળાશ છે. કેમ કે મોટી વસ્તુ વ્યક્તિસ્વાતન્ત્ર્ય છે. મને મૂંઝવણ થવા લાગેલી. હું વ્યક્તિસ્વાતન્ત્ર્યને તાકીને જોતો'તો ને એ મને ઘડીએ ઘડીએ દાંતિયાં કરતું'તું.

મને થતું, વ્યક્તિ ભારતીય હશે તો પણ આ નવતર કાયદા એને ગમી જવાના. સામાન્ય નાગરિક સરકારને શુંયે પૂછશે. પણ બૌદ્ધિકો પૂછી રહ્યા છે : આ સુદૃઢ કરાયેલું વ્યક્તિસ્વાતન્ત્ર્ય પરિવારમાં વિસંવાદ ઊભો કરનારું ને વિધ્વંસક નથી? દેશમાં રાજનૈતિકથી માંડીને પ્રકાર પ્રકારનાં ગુનાઇત કૃત્યો થાય છે તેનું શું? હું જે છાપું જોઉં છું એ ‘નવગુજરાત સમય'-ના ઍડિટર-ઇન-ચીફ અજય ઉમટે આ અને બીજા અનેક ચુકાદાઓ ટાંકીને એ સમસામયિક 'જ્યુડિશિયલ એક્ટિવિઝમ'-ને 'સલામ' તો ભરી, પરન્તુ સાથોસાથ, 'સુપ્રીમ' સવાલ એ કર્યો કે ભ્રષ્ટ અધિકારીઓ અને રાજકારણીઓ પર લગામ ક્યારે ખૅંચાશે -? વિદ્યુત જોશીએ 'સમુદ્રમંથન'-માં કહ્યું કે LGBTQ હવે કાનૂની અને કુદરતી છે, છતાં સમાજમાં તે હજુ એની ચર્ચા માગે છે. યાદ અપાવી કે સગીરો પશુઓ અને સમ્મતિ વિનાના વયસ્કો સાથેનો સમ્બન્ધ હજી પણ ભારતીય દણ્ડસંહિતા મુજબ ગેરકાનૂની જ છે. સંજય છેલે 'સુપ્રીમ કૉર્ટને 100 – 100 સલામ'-માં ચેતવણી ઉચ્ચારી કે માત્ર કાનૂન બદલવાથી સમાજ નહીં બદલાય. ઉમેર્યું કે એ લોકોને આપણે સ્વીકારીશું કે નહીં એ હવે આપણી અફલાતૂન કસોટી ગણાશે. લતા હિરાણીએ FB પેજ પર પૂછ્યું કે જેમનાં માબાપ વ્યભિચારી હશે એમનાં બાળકોની સ્થિતિ કેવી બનશે? જો કે, ચિન્તા ન કરીએ, કૉર્ટે આ કાયદાને સિવિલિયન નિયમોની અન્તર્ગત રાખ્યો છે. આત્મહત્યા કે છૂટાછેડા સરજાય તો વ્યભિચાર ગુનો બનશે.

બન્ને સરખાં હોય તો નભી જાય. પણ સ્ત્રી 'પ્રો-ચૉઇસ' હોય ને પુરુષ 'પ્રો-લાઈફ' -કે એથી ઊલટું- તો મુશ્કેલીઓ જરૂર સરજાય. પોતામાં વિકસી રહેલા જીવને સ્ત્રી બચાવી લેવા ચાહે પણ સંલગ્ન પુુરુષ માને નહીં ત્યારે સ્ત્રી મક્કમ રહે, રોષ કરે, તો જીતી જાય. પુરુષ 'પ્રો-લાઈફ' રહેવા માગે ત્યારે પણ રોષ તો સ્ત્રીએ જ દાખવવો પડે, ભલે હારી જાય. બન્ને વખતે લડાઇ તો ગર્ભવતીએ જ લડવાની હોય છે. અને, જીત કે હાર પાસે વાત પૂરી નથી થતી. પ્રેમભંગ કે લગ્નભંગ થાય છે, છૂટાછેડા લેવા પડે છે. વ્યભિચારના મામલામાં પણ એવું જ છે. પુરુષ વ્યભિચારે ચડે ત્યારે સ્ત્રી મક્કમતાથી રોષ કરે, તો જીતી જાય. પણ ત્યારે સ્ત્રી પાસે સ્વાતન્ત્ર્ય હોવું જોઇશે. વ્યભિચાર પોતે કરવા જાય ત્યારે પણ એની પાસે સ્વાતન્ત્ર્ય હોવું જોઇશે. સવાલ એ છે કે – સ્ત્રી પાસે સ્વાતન્ત્ર્ય હોય છે ખરું? – એની પાસે એવું આત્મબળ ખરું કે રોષ કરી શકે?

આમ, વ્યક્તિસ્વાતન્ત્ર્ય પ્રશ્નાર્થ નીચે બેસી પડ્યું. દાંતિયાં બંધ થઇ ગયાં. એટલે હું સ્ત્રીરોષની આશામાં જંપી ગયેલો. પણ બીજે દિવસે એને જ વિશેનો એક લેખ "ધ ન્યૂ રીપબ્લિક"-માં મારા વાંચવામાં આવ્યો – "ઑલ ધ રેજ". 'રેજ' એટલે 'રોષ'. એની અમેરિકન સ્ત્રી-લેખક રેબેકા સોલ્નીત (1961- ) કહે છે : નારીરોષ-ને વાચા આપતું સાહિત્ય આ મામલામાં ઘણી સહાય કરી શકે એમ છે : સાહિત્ય સહાય કરે છે સાંભળીને મને બહુ સારું લાગેલું.

સોલ્નીતે ચર્ચામાં ત્રણ સ્ત્રી-લેખકોનાં એક એક પુસ્તકનો હવાલો આપ્યો છે – રેબેકા ટ્રેઇસ્ટર, સોરાયા કેમાલિ, બ્રિટની કૂપર. વાસ્તવિક બનાવોની પાર્શ્વભૂમાં નારીરોષ વિશે લખાયેલાં ત્રણેય પુસ્તકો બિનસર્જનાત્મક છે. ગુજરાતીમાં એવાં ભાગ્યે જ છે એ વાતના ચચરાટ સાથે જણાવું કે આ વિષય પરત્વે ત્રણેય પુસ્તકો ઘણા ચિન્ત્ય વિચારો પૂરા પાડી શકે એમ છે.

પુસ્તકોમાં, મુખ્ય છે : નારીરોષનાં કારણોની પૃચ્છા-પરીક્ષા. પ્રસરીને નારીરોષ ફૅમિનિસ્ટ ઍક્શનમાં ને છેલ્લે #MeToo આંદોલનમાં શક્તિ-સ્વરૂપે આકારિત થયો એ વાત. સવિશેષે અમેરિકન લાઇફમાં, સ્ત્રીઓની ભાવનાઓને શી રીતે મૅનેજ કરાય જજ કરાય એનું મૂલ્ય કરાય એ વાત. અને, ઐક્ય સખ્ય વંશ કે જાતિ વગેરે ભેદોને કારણે નારીજીવનમાં થતી કાપાકાપીની વાત. એમાં, આવા આકર્ષક વિચારો છે : આજે ઘણી બધી સ્ત્રીઓ બદલાઇ ગઇ છે પણ અનેકાનેક પુરુષો નથી બદલાયા : નારીરોષને માન નહીં આપનારો સમાજ સ્ત્રીને વિચારક કર્મશીલ કે મનુષ્ય તરીકેનું માન નથી જ આપવાનો : સ્ત્રી હવે અંગત તેમ જ બિનંગત સંદર્ભોમાં ય રોષ વ્યક્ત કરી શકે છે.

પણ મુશ્કેલી આ છે : સ્ત્રી જ્યારે જેન્ડર વાયોલન્સ સામે રોષ કરે છે ત્યારે એનાથી 'સ્ત્રી' નથી રહેવાતું. લડાયક, ન-ગમતી અને ઉશ્કેરક દીસે છે. કેમ કે સમાજે તો એને હરેક પ્રકારનો આનન્દ આપનારી અને પરમ આજ્ઞાંકિત સમજી રાખી છે ! આમ, રોષ ન કરે તો વેઠે, કરે તો લડાયક દીસે.

તો શું રોષ અનિચ્છનીય છે? સોલ્નીતના વિચારો ક્રમે ક્રમે એ દિશામાં સંચરે છે. એને ઝેનકથાને યાદ આવે છે : સાધુને સમુરાઇ પૂછતો હોય છે : સ્વર્ગ અને નર્ક શું છે, મને સમજાવો : તારા જેવા મૂર્ખને મારે કંઇપણ શું કામ સમજાવવું જોઇએ? : સમુરાઇ સાધુને હણી નાખવાને તલવાર ઉગામી રહ્યો. ધાર અડવામાં હતી, ત્યારે સાધુએ કહ્યું – આ નર્ક છે. સમુરાઇ ખંચકાયો. એના મગજમાં સમજદારી અવતરતી'તી. ત્યારે સાધુએ કહ્યું – આ સ્વર્ગ છે. સોલ્નીત કહે છે : અહીં, પશ્ચિમમાં, અમે લોકો સમુરાઇ જેવાં છીએ. રાજકારણમાં, સામાજિક ચળવળોમાં, ઘરેલુ કે સામૂહિક હિંસાચારમાં, દુ:ખમાત્રના ઉપચાર રૂપે પુરુષ-ક્રોધને અમે અનિવાર્ય ગણી લીધો છે.

પણ ઝેનકથા અવળું સૂચવે છે કે ઉચિત વસ્તુ સમજદારી છે, ક્રોધ દયાપાત્ર છે. સોલ્નીતે બુદ્ધને યાદ કરી લખ્યું છે કે રોષ, વિષ છે. સ્ત્રી સંઘર્ષ કરે પણ બેફામ રોષને કાબૂમાં ન લઇ શકે, થાકી જાય. કેમ કે બળ તો, સત્તા છે. સ્ત્રીએ સાધુને જો એ જ પ્રશ્ન કર્યો હોત ને સાધુએ એને મૂર્ખ કહી હોત, તો એ પણ સમુરાઇની જેમ ક્રોધે ભરાઈ હોત. પણ એણે એમ ન કર્યું હોત કેમ કે એમ કરવા જતાં એને 'મૂર્ખ' ઉપરાન્તનાં બીજાં અપમાન સાંભળવાનો વારો આવ્યો હોત. અથવા એણે અવમાનના કરવાના સાધુના અધિકારને સ્વીકારી લીધો હોત, તો તો એને પોતાને જ થાત કે પોતે દયાપાત્ર છે.

ચર્ચામાં, રોષનું સ્થાન પ્રેમ લે છે. કૂપરનું પુસ્તક રોષવિષયક છે પણ પ્રેમવિષયક પણ છે – ન્યાય અને સમાનતાને માટેનો પ્રેમ -જૂઠને ઉઘાડું પાડવા માટેનો પ્રેમ. મારે પણ એ કહેવું છે વ્યભિચાર LGBTQ ચૉઇસ કે લાઈફ પરત્વે રોષમુક્ત રહેવું બહુ અઘરું છે, છતાં 'પ્રો-લવ' રહેવું. એ મુશ્કેલ નથી. સોલ્નીતે ઉપસંહારમાં એ જ કહ્યું છે : રોષ વૈકલ્પિક છે. જરૂરી છે, પ્રેમ.

= = =

https://www.facebook.com/suman.shah.94/posts/2156755024355399

તારીખ ૧૩/૧૦/૨૦૧૮ના ‘નવગુજરાત સમય'માં પ્રકાશિત આ લેખ સૌજન્યસહ અહીં મૂક્યો છે:

Loading

...102030...3,0103,0113,0123,013...3,0203,0303,040...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved