Opinion Magazine
Number of visits: 9579850
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુરેશ જોષી હતા, વરેશ્યસ રીડર. મેધાવી ચિન્તક. કલ્પનનિષ્ઠ સર્જક. ઉત્તમ અધ્યાપક. પ્રખર વક્તા. સાત્ત્વિક વિદ્રોહના માણસ. અને, અતિ સંવેદનશીલ હ્યુમન બીઇન્ગ.

સુમન શાહ|Opinion - Literature|8 September 2018

સંવેદનાસમૃદ્ધ શબ્દસૃષ્ટિના સર્જક સુરેશ જોષીને આજેે એમની પુણ્યતિથિએ આપણા સૌની સ્મરણાંજલિ …

બે દિવસ પર સુરેશ જોષીની પુણ્યતિથિ ગઈ. અવસાન તારીખ ૬ સપ્ટેમ્બર ૧૯૮૬. હયાત હોત તો ૯૭ વર્ષના હોત. અસ્થમાથી પીડાતા હતા, પણ મનોસ્વાસ્થ્ય સારું હતું. તબિયત લથડેલી. વડોદરાની હૉસ્પિટલમાં દાખલ કરેલા. અમે લોકો મળવા જતા. ત્યારે, 'મારી પ્રાણઘાતક વેદનાનું શું થશે?' જેવો પ્રશ્ન પૂછતા… મને પૂછેલું : ડભોઇ હતો? ક્યારે આવ્યો, બોલ, શું થશે? એમને વિશેની ચિન્તાથી ગ્રસ્ત મને શું સૂઝે? મૂંગા મોઢે જોઇ રહેલો. પછી નડિયાદની હૉસ્પિટલમાં ખસેડાયેલા. ત્યાં એમનું અવસાન થયેલું.

સૉક્રેટિસનું મૃત્યુ ઍથેન્સવાસીઓએ ફરમાવેલા મૃત્યદણ્ડથી થયેલું. એમને હૅમલોક પીવું પડેલું. સૉક્રેટિસે 'ડેફિનેશન્સ'-માં, પ્લેટોએ 'ફૉર્મ્સ'-માં તેમ ઍરિસ્ટોટલે 'મૅટર ઍન્ડ ફૉર્મ'-માં જીવનભર પોતાની ચિત્તશક્તિઓ ખરચેલી. કામૂનું મૃત્યુ કાર-અકસ્માતથી થયેલું. ફુલ્લ સ્પીડમાં દોડતી કાર ઝાડ સાથે અથડાયેલી. જીવનની અસંગતતા – ઍબ્સર્ડિટી – વિશે એમણે લાક્ષણિક ચિન્તન કરેલું. ચાબૂકથી ફટકારાતા એક અશ્વની વેદના જોઇને નિત્શે એને બચાવવા દોડી ગયેલા. અશ્વને બાથમાં લઇ રડી પડેલા, પાગલ થઇ ગયેલા. હૉસ્પિટલમાં દાખલ કરવા પડેલા. નિત્શેએ 'ઈશ્વરના મૃત્યુ'-ની વાત કરેલી, એમ કે એ મનોભાવના હવે મરી પરવારી છે. અને એટલે, ઓવરમૅનની -કશા પરમ પુરુષની – શોધમાં જીવ્યા હતા.

જ્ઞાનમાત્ર અનુભવથી રચાય છે એ વાતને આગ્રહથી આગળ કરનારા ફિલસૂફ ડેવિડ હ્યુમને ઍબ્ડોમિનલ કૅન્સર થયેલું. મરણપથારીએ હતા. ડૉક્ટરને કહ્યું : મારા શત્રુઓ ઇચ્છે – જો હોય તો – જલ્દીમાં જલ્દી પતી જઉં; મારા મિત્રો ઇચ્છે તો સરળતાથી ચાલ્યો જઉં. ત્રણ દિવસ પછી હ્યુમનું અવસાન થાય છે. ડૉક્ટરે કહેલું કે હ્યુમના ચહેરા પર કશી ચિન્તા કે નિરાશા ન્હૉતી. બધાં જોડે હેતભરી નરમાશથી વાત કરતા'તા. અને, જેવા એકલા પડતા'તા, મનગમતાં પુસ્તકોમાં ખોવાઇ જતા'તા. વિશિષ્ટ વિશ્વસાહિત્યકાર હોર્હે લુઇસ બોર્હેસ છેલ્લે તો સમ્પૂર્ણ અન્ધ થઇ ગયેલા. લીવરના કૅન્સરને કારણે મૃત્યુ થયેલું. જીનીવામાં અન્ત્યેિષ્ઠ વખતે વડા પાદરીએ કહેલું : બોર્હેસે નિરન્તર સમુચિત પદની શોધ કરી છે. એવું પદ, જે વસ્તુજગતનો અન્તિમ સાર આપતું હોય. ઉપસંહારમાં કહેલું, એ પદને માણસ નથી શોધતો, પદ પોતે જ માણસને શોધી લે છે.

ગાંધીજીનાં બન્ને શસ્ત્ર, સત્ય-અહિંસા, જેનાથી ઉત્તમ એકેય શસ્ત્ર હોઇ શકે નહીં એવાં, અનુત્તમ હતાં. એમની કરુણતમ હત્યા થઇ હતી. કવિ હરિશ્ચન્દ્ર ભટ્ટે 'આત્માની આરઝૂ સદા ઝૂરવાની' કહીને ઝૂરણને 'જીવનનું અખૂટ પાથેય' ગણેલું. એમણે આત્મહત્યા કરેલી. ક્ષયગ્રસ્ત કવિ રાવજી પટેલે 'અલકાતાં રાજ'-ને અને 'મલકાતાં કાજ'-ને 'ડૂબતાં' જોયેલાં પણ એને વાગેલી તો 'સજીવી હળવાશ'. અકાળે અવસાન થયેલું.

આ સૌનાં શક્તિ-સામર્થ્યની તુલના તો શક્ય જ નથી, જરૂરી પણ નથી. છતાં સૌમાં મને સામ્ય એ દેખાયું છે કે સૌ મનોમન્થનને વરેલા હૃદયવાન મનુષ્યો હતા. મારે ખાસ તો એ કહેવું છે કે સૌની ચેતના 'અતિ' હતી. સુરેશ જોષીની વ્યક્તિમત્તાની મને સપ્તવિધ ઓળખ મળેલી છે : વરેશ્યસ રીડર. મેધાવી ચિન્તક. કલ્પનનિષ્ઠ સર્જક. ઉત્તમ અધ્યાપક. પ્રખર વક્તા. સાત્ત્વિક વિદ્રોહના માણસ. અને, અતિ સંવેદનશીલ હ્યુમન બીઇન્ગ. આમ, એમનામાં સંવેદન, ચિન્તન અને કર્મ ત્રણેય હતાં ને ખાસ એ કે એ સર્વની એમનામાં સંવાદિતા હતી, હાર્મનિ હતી. એમણે 'ભોંતળિયાનો આદમી' શીર્ષકથી દોસ્તોએવસ્કીની 'મૅન ફ્રૉમ ધ અન્ડરગ્રાઉન્ડ'-નો અનુવાદ કરેલો છે. એમાં નાયક પોતાની વેદનાનું કારણ દર્શાવે છે. કહે છે – સંવિત્તિની અતિમાત્રા એ જ મારો અપરાધ છે. સુરેશભાઇ પર એનો પ્રભાવ કેટલો, એની પંચાતમાં ન પડીએ. પણ એમની ખુદની સંવેદનશીલતા એવી જરૂર હતી. 'છિન્નપત્ર' કૃતિ એમણે મિત્રદમ્પતી જયન્ત પારેખ અને સુધાબહેનને અર્પણ કરી છે. લખ્યું છે કે 'ચેતનાની અતિમાત્રા એક આમરણ માંદગી જ છે'. સુરેશભાઇએ અસ્થમાભેગી એ માંદગીને પણ ભોગવેલી એમ કહેવામાં કશી ભૂલ નથી થતી. ઉમેર્યું છે કે 'એમાંથી છટકી નથી શકાતું, કારણ કે આપણે સંવેદનશીલ છીએ.' ચેતનાની એ અતિમાત્રાની ઝાંખી, ખાસ તો, સુરેશભાઇની સાહિત્યસૃષ્ટિમાં થાય છે.

જુઓ, મનુષ્યજીવનનાં બે મહાન પરિબળો છે : પ્રેમ અને મૃત્યુ. બન્ને એમની સૃષ્ટિમાં રસાયાં છે. મુસદ્દારૂપ નવલકથા 'છિન્નપત્ર' પ્રેમવિષયક છે અને 'મરણોત્તર' મૃત્યુિવષયક. કોઇ પણ વાચક / ભાવક બન્નેને વાંચે. મારી સાગ્રહ વિનન્તી છે. બન્નેમાંથી ક્યાંક કિંચિત્ છોડી દઇને એક એક અંશ રજૂ કરું છું :

'છિન્નપત્ર'-માં અજય માલાને કહે છે : 'ગઈ કાલની જ વાત; આપણને ખબર નહોતી ને છતાં આપણી જ પાછળ આપણા આગામી વિરહનો પડછાયો નહોતો ઊભો? જે અશરીરી છે તેના પર આપણું નિયન્ત્રણ નથી. આથી જ તો વિરહ ગમે તેટલે દૂરથી દોડીને આપણી વચ્ચે આવીને ઊભો રહી જાય છે; આંગળીઓમાં ગૂંથેલી આંગળીઓ વચ્ચે આવીને એ સહેજ સરખા ખાલી અવકાશના આશ્રયે વિસ્તરવા માંડે છે. હું વાંચતો હતો, પણ … ક્યારે મારા શબ્દો કેવળ આછા શા ઉદ્ગારની બાષ્પ બનીને વિખેરાઈ ગયા, ક્યારે તારી નિષ્પલક આંખોમાં ઘેરી ઉદાસી ઘેરાઈ આવી ને કશુંક બોલવા મથતા તારા હોઠને મેં ચૂમી લીધા … પછી બધું જ ભારે ભારે લાગવા માંડ્યું …કદાચ એ ભારને ઉપાડવો ન પડે એટલા ખાતર જ આપણે શૂન્યને ઝંખીએ છીએ … શૂન્યમાં આપણે તરી શકતા હોત પણ શૂન્યમાં તરવાનું શક્ય નથી, ડૂબવાનું જ શક્ય છે. આથી નાના સરખા કાર્યનો આધાર લઈને આપણે તરવા મથીએ છીએ; એકાદ કવિતાની પંક્તિ, થોડીક રેખાઓ. પણ એ મને તારાથી દૂર ને દૂર વહાવી નહીં લઈ જાય ને? આથી ઘણી વાર કલમ થંભી જાય છે, ધીમે ધીમે મૌન ઝમે છે, હું ડૂબું છું.' (ખણ્ડ : ૨૩).

'મરણોત્તર'માં નાયકને સાંભળો, કહે છે : 'હવે સમુદ્ર આંસુથી તરબોળ રૂમાલના જેવો પડ્યો છે. આદિ કાળના કોઈ વિરાટ સરિસૃપની જેમ પેટે ચાલતું ધુમ્મસ ધીમે ધીમે આગળ વધે છે … રમતા બાળકના હાથમાંથી લસરી પડીને લખોટી ક્યાંક જઈને અદૃશ્ય થઈ જાય તેમ ચન્દ્ર ક્યાંક દડી ગયો છે … ધુમ્મસના ચાલવાના અવાજ સિવાય ક્યાં ય કશું સંભળાતું નથી. તેથી જ મરણ જાણે હાંફતું બેઠું હોય એવી એના શ્વાસોચ્છ્વાસની અતિશયોક્તિ થઈ જાય છે … ઘરની બંધિયાર હવાને ધુમ્મસ એના બોદા ટકોરાથી જગાડે છે … મને આશા બંધાય છે : આ ધુમ્મસ જ કદાચ મારામાં વસતા મરણને ગૂંગળાવશે : હું મરણની પ્રવૃત્તિ જોયા કરું છું. એ એના ખભા હલાવે છે. ઘડીક એના પીળા દાંત દેખાડે છે. એની આંખો હવે તગતગતી નથી. પશુના જેવો એનો ઘૂરકાટ પણ આછો થઈ ગયો છે. એ પોતાના વજનને વીંટળાઈ વળ્યું છે … આછી ભીનાશની ઝીણી ચાદરમાં હું લપેટાઈ જાઉં છું … ચારે બાજુથી ઘેરાઈ જવાનો આ અનુભવ, વળીને, જંપી ગયેલી કોઈ વાસનાને જગાડે છે. ધુમ્મસ એની શતલક્ષ જિહ્વાથી ચાટીચાટીને એ વાસનાને માંજે છે. એ ઇચ્છા, માથું ઊંચકે છે ને પૂછે છે: 'ક્યાં છે મૃણાલ?' (ખણ્ડ : ૧૬).

ચેતનાની અતિમાત્રાએ સંવેદનાસમૃદ્ધ અને રસપ્રદ ગદ્યમાં આલેખાયેલી આ શબ્દસૃષ્ટિ ગુજરાતી સાહિત્યમાં વિરલ છે. એના સર્જક સુરેશ જોષીને આજેે એમની પુણ્યતિથિએ આપણા સૌની સ્મરણાંજલિ …

= = =

[શનિવાર, તારીખ ૮ / ૯ / ૨૦૧૮ના રોજ ‘નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત આ લેખ અહીં મૂક્યો છે]

https://www.facebook.com/suman.shah.94/posts/2104023639628538?__tn__=K-R  

Loading

શેક્સપિયરના નાટકનો પહેલો ગુજરાતી અનુવાદ

દીપક મહેતા|Opinion - Literature|8 September 2018

કાળચક્રની ફેરીએ

અગાઉ ટૂંકી કહાણીઓ પુસ્તક અંગેના લેખને અંતે લખ્યું હતું: “૧૯મી સદીના લેખકો અને તેમનાં પુસ્તકો વિશેની આપણી પાસેની માહિતી એટલી આછી અને ઓછી છે કે આ તો આમ જ છે કે આ તો આમ ન જ હોય એમ છાતી ઠોકીને કહેવું કોઈને માટે શક્ય નથી, યોગ્ય પણ નથી.” ત્યારે ખબર નહોતી કે આ વાતનો પરચો સાવ અણધારી રીતે થોડા દિવસમાં જ મળી જવાનો છે.

જે પુસ્તકાલયોનાં કેટલોગ ઓન લાઈન હોય તે નવરાશની પળોમાં વાંચવાની – હા, વાંચવાની ટેવ. એ રીતે કેટલોગ વાંચતાં એક પુસ્તકના નામ તરફ ધ્યાન ગયું: ‘કરુણારસ જુલિયસ સીઝર નાટક.’ પહેલાં તો નજર આગળ નીકળી જવા લાગી. એક વધુ અનુવાદ, બીજું શું? પણ પછી પુસ્તકની પ્રકાશન સાલ જોઇને ત્યાં જ ખોડાઈ ગઈ. સાલ હતી ૧૮૭૪.

અત્યાર સુધી એમ મનાતું આવ્યું છે કે ૧૮૯૮માં પ્રગટ થયેલા ઓથેલો અને જુલિયસ સિઝરના અનુવાદ તે આપણી ભાષામાં પ્રગટ થયેલા શેક્સપિયરના નાટકોના પહેલવહેલા અનુવાદ. અને તેના અનુવાદક નરભેશંકર પ્રાણજીવન દવે (૧૮૭૦-૧૯૫૨) તે શેક્સપિયરના પહેલા અનુવાદક. આ બે નાટકના અનુવાદ ઉપરાંત તેમણે મેઝર ફોર મેઝર, ધ મર્ચન્ટ ઓફ વેનિસ, અને હેમલેટ, એ ત્રણ નાટકોના અનુવાદ પણ કરેલા, જે ૧૯૦૫, ૧૯૧૧, અને ૧૯૧૭માં પ્રગટ થયેલા. પણ  આ તો તેમના પહેલા બે અનુવાદો કરતાં ૨૪ વર્ષ પહેલાં પ્રગટ થયેલો અનુવાદ.

પણ પુસ્તક જોયા વગર કશું કહેવું-લખવું ખૂબ જોખમી. એટલે પુસ્તક મેળવવાની કવાયત શરૂ કરી. મળ્યું. સૌથી પહેલાં પ્રકાશન સાલ જોઈ. ૧૮૭૪ની સાલ સાચી. તેમાં મીનમેખ નહિ. રાજકોટના કાઠિયાવાડ પ્રિન્ટીંગ પ્રેસમાં ૧૫૬ પાનાંનું આ પુસ્તક છપાયું છે. કિંમત સવા રૂપિયો. ટાઈટલ પેજ દેવનાગરી લિપિમાં, લાલ, લીલો અને કાળો એમ ત્રણ રંગમાં છાપ્યું છે. અનુવાદક છે ભાણજી ગોકુળ પારેખ. તથા પદ્યવિભાગ રચનાર છે બળવંતરાવ રામચંદ્ર જુન્નરકર. અનુવાદક ભાણજીભાઈની ઓળખ આ રીતે આપી છે: ‘વળા એંગ્લોવર્નાક્યુલર સ્કુલના હેડ માસ્તર.’ (અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે.) આ ‘વળા’ તે આજના ભાવનગર જિલ્લાનું એક નાનકડું ગામ. પુસ્તક પ્રગટ થયું ત્યારે એ હતું એક નાનકડું રજવાડું. અગાઉના આંકડા મળતા નથી પણ ૧૯૨૧માં વળાની વસ્તી હતી ૧૧,૩૮૬ની. ૪૭ વરસ પહેલાં, ૧૮૭૪માં વધુમાં વધુ ૭૦૦થી ૮૦૦ની હોય. ગામમાં એક કરતાં વધારે એંગ્લોવર્નાક્યુલર સ્કૂલ હોવાની શક્યતા નહિવત્. એકમાત્ર સ્કૂલમાં હોઈ હોઈને કેટલા વિદ્યાર્થી હોય!

એવી આ સ્કૂલના હેડ માસ્તર એક વખત વીસ દિવસની હક્કની રજા લઇ રાજકોટ ગયા. પણ માસ્તરનો જીવ. નવરાશનો કંટાળો આવવા લાગ્યો. આથી ‘ઉપદેશ સાથે ગમ્મત આપે એવી બાબત’ તરફ ધ્યાન આપ્યું. અને ‘દૈવયોગે’ જુલિયસ સીઝર નાટકનું ગુજરાતી ભાષાન્તર કરવાનું સૂઝ્યું. રાજકોટ હતા એ દરમ્યાન જ પુસ્તક લોકપ્રિય થાય તેવું છે કે નહિ તેનો અંદાજ મેળવવા એક જાહેર સભા બોલાવી અનુવાદનો પહેલો અંક વાંચી સંભળાવ્યો. ઘણાએ ફરિયાદ કરી કે અનુવાદમાં સંસ્કૃત શબ્દો પુષ્કળ વપરાયા છે. પણ તેનું નિવારણ કરવાને બદલે અનુવાદકે પ્રસ્તાવનામાં બચાવ કરતાં લખ્યું છે: “ગુજરાતી ભાષા સંસ્કૃતની પુત્રી છે. પોતાની માતુશ્રીનાં આભુષણ ધારણ કરાવવાથી જેવી તે સુંદર લાગશે તેવી યવન જ્ઞાતિ(ફારશી, અરેબીક)નાં ધારણ કરાવવાથી લાગનાર નથી.”   

ઓગણીસમી સદીનાં પુસ્તકોને માપવા કે પામવા માટે આજનાં ધોરણો બહુ કામ ન લાગે. ભાષાન્તર અને રૂપાંતર વચ્ચેની ભેદરેખા આજે છે તેટલી એ વખતે સ્પષ્ટ નહોતી, અનુવાદકોને મન મહત્ત્વની પણ નહોતી. અંગ્રેજી સાહિત્યની સમૃદ્ધિથી પોતાના જાતભાઈઓને પરિચિત કરવા એ એમનું મુખ્ય અને મહત્ત્વનું ધ્યેય હતું. એટલે એ જમાનાના બીજા કેટલાક અનુવાદકોની જેમ આ અનુવાદકે પણ કેટલીક જગ્યાએ રૂપાંતર કર્યું છે. લખે છે: “શેક્સપિયરનો મૂળ ભાવાર્થ ખૂબ સમજી મારા પોતાના શબ્દોથી અર્થ સમજાવવાની મને ફરજ પડી છે. જેમ બન્યું તેમ ગ્રીક અને રોમન લોકોએ દેવ દેવીને બદલે તેને મળતા આપણા સંસ્કૃત દેવ તથા દેવ પત્નિઓના નામ નાખેલા છે.”

ત્રણ પાનાંની પ્રસ્તાવના પછી અનુવાદકે જ સાડા ત્રણ પાનાંનો ઉપોદ્ઘાત લખ્યો છે. તેમાં જુલિયસ સીઝર નાટકની ભૂમિકા બાંધી છે. પુસ્તકના ટાઈટલ પેજ પર ‘પદ્ય વિભાગ રચનાર બળવંતરાવ રામચંદ્ર જુન્નરકર’ એમ છાપ્યું છે પણ પ્રસ્તાવના કે ઉપોદ્ઘાતમાં ક્યાં ય તેમને વિષે અનુવાદકે એક શબ્દ પણ લખ્યો નથી, કે નથી તેમનો આભાર સુધ્ધાં માન્યો! (બીજા કેટલાક મદદકર્તાઓનો આભાર માન્યો છે.) પણ નામ જોતાં જુન્નરકર મરાઠીભાષી હોવાનો પૂરો સંભવ છે. ગુજરાતીમાં પદ્ય રચના કરી શકે છે એટલે ગુજરાતવાસી (રાજકોટવાસી?) હોઈ શકે. તેમણે મોટે ભાગે સંસ્કૃત છંદોમાં રચેલાં પદ્યો પુસ્તકમાં દેવનાગરી લિપિમાં છાપ્યાં છે. એ વખતના રિવાજ પ્રમાણે પુસ્તકમાં બે ટાઈટલ પેજ અને બે અર્પણપૃષ્ઠ છે; પહેલું ગુજરાતીમાં, બીજું અંગ્રેજીમાં. પુસ્તક તે વખતના કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ ડબલ્યુ.ડબલ્યુ. એન્ડર્સનને અર્પણ થયું છે. પુસ્તકના આગોતરા ગ્રાહકોની યાદી પુસ્તકને અંતે આપી છે. તેમાં સૌથી વધુ (૩૫) નકલ ધ્રાંગધ્રાના રાજસાહેબ માનસિંહજીએ ખરીદી છે. યાદીમાં વળાના ઠાકોરસાહેબનું નામ દેખાતું નથી. પણ બળવંતરાવ રામચંદ્ર જુન્નરકરના ભાઈ કેશવરાવે પાંચ નકલ ખરીદી છે. આ ઉપરાંત બીજા નવ મરાઠીભાષીઓનાં નામ પણ યાદીમાં જોવા મળે છે. એક પણ પારસી નામ યાદીમાં નથી. યાદી પહેલાં ૧૨ પાનાંનો ‘દુર્બોધ શબ્દોનો કોષ’ આપ્યો છે.

અનુવાદનો અંદાજ મેળવવા નાટકના ત્રીજા અંકના બીજા પ્રવેશમાંના માર્ક એન્ટનીના પ્રખ્યાત ભાષણનો થોડો ભાગ જોઈએ:

“રોમનો, દેશી ભાઈઓ તથા મિત્રો, શ્રવણાર્થે તમારા કાન મારી તરફ ફેરવો. હું સીઝરની પ્રશંસા કરવા નહિ, પરંતુ તેને દફનાવવા આવ્યો છું. જે કુકર્મો માણસો કરે છે તેમની વાસના તેમની પાછળ પણ રહે છે; પરંતુ જે સદાચરણ કરે છે તેનો અંત વારંવાર તેમના મૃત્યુ સાથે જ આવે છે; તેમ જ સીઝરનું પણ થવા દ્યો. કુલીન બ્રૂટસે તમને કહ્યું કે સીઝર મહત્ત્વાકાંક્ષી હતો; જો બ્રૂટસના બોલ સત્ય હોય તો, સીઝરમાં અધમ અપરાધ કહેવાય. તથા સીઝરને દુખદાયક રીતે તેનો બદલો મળ્યો છે. અહીંઆં બ્રૂટસ તથા બીજાઓની પરવાનગીથી (કારણ બ્રૂટસ પ્રતિષ્ઠિત મનુષ્ય છે; તેમ જ બીજા સઘળા છે.) હું સીઝરની લાસ પર થોડું ભાષણ કરવા આવેલો છું. સીઝર મારો કૃતજ્ઞ તથા નીતિમાન મિત્ર હતો: પરંતુ બ્રૂટસ કહે છે કે તે મહત્ત્વાકાંક્ષી હતો; તથા બ્રૂટસ પ્રતિષ્ઠિત માણસ છે. સીઝર રોમની અંદર ઘણાં કેદીઓ લાવ્યો છે જેના પરિક્રયણ મૂલ્યથી લોકોનાં જામદાર ખાનાંઓ તાજાં થઇ ગયાં છે: શું આને લીધે સીઝર મહત્ત્વાકાંક્ષી હતો? જ્યારે જ્યારે રાંક લોકોએ બળાત્કારનો પોકાર માર્યો છે, ત્યારે ત્યારે સીઝર રુદન કરતો આવ્યો છે: મહત્ત્વાકાંક્ષીનું રક્તસ્થળ તો કઠોર જ હોય: તો પણ બ્રૂટસ કહે છે તેમ મહત્ત્વાકાંક્ષી હતો; ને બ્રૂટસ પ્રતિષ્ઠિત માણસ છે… બ્રૂટસ જે બોલ્યો છે તે ખંડન કરવા મારો હેતુ નથી, પરંતુ આ ઠેકાણે જે હું જાણું છું તે જ બોલવાનો છું. તમે સઘળા એક સમયે તેના પર પ્રિતિ રાખતા હતા, તે પણ કારણ સિવાય નહીં; ત્યારે આ વખત શા કારણથી તમે તેના શવ પર શોક કરતા અટકો છો?”

જોઈ શકાશે કે અનુવાદક એક બાજુથી શ્રવણાર્થે, પરિક્રયણ, રક્તસ્થળ જેવા સંસ્કૃત શબ્દો વાપરે છે તો બીજી બાજુ તદ્દન સામાન્ય બોલચાલના પ્રયોગો પણ વાપરે છે. પરિણામે આપણને સંકર ભાષા અહીં મળે છે. વાગ્મિતા એ માર્ક એન્ટનીના ભાષણનું એક મહત્ત્વનું પાસું છે. પણ અનુવાદમાં મૂળની વાગ્મિતા ભાગ્યે જ જોવા મળે છે. તો સાથોસાથ એ પણ નોંધવું જોઈએ કે મૂળને શક્ય તેટલા વફાદાર રહેવાનો અનુવાદકે પ્રયત્ન કર્યો છે. અનુવાદક વિષે માત્ર એટલું જાણવા મળે છે કે આ અનુવાદ ઉપરાંત ૧૮૭૮માં ‘સંસાર સાગરના તોફાની તરંગો અથવા દુર્ગાગૌરી દુઃખદર્શક નાટક’ નામની તેમની અન્ય કૃતિ પ્રગટ થઇ હતી. (એ જોવા મળી નથી.) નરભેશંકર પ્રાણજીવન દવે ચારેક વર્ષની ઉંમરના હતા ત્યારે ભાણજીભાઈનો આ અનુવાદ પ્રગટ થયો હતો. આથી એટલું તો ચોક્કસ કે ૧૮૭૪ પહેલાં પ્રગટ થયેલો શેક્સપિયરના કોઈ નાટકનો અનુવાદ ન મળે ત્યાં સુધી શેક્સપિયરના પહેલા ગુજરાતી અનુવાદકનું માન અને સ્થાન નરભેશંકર પ્રાણશંકર દવેને નહિ, પણ ભાણજી ગોકુળ પારેખને આપવું રહ્યું.

XXX XXX XXX

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

[પ્રગટ : “શબ્દ સૃષ્ટિ”, સપ્ટેમ્બર 2018]

Loading

ભારતીય દંડસંહિતાના સેક્શન ૩૭૭ હવે ઇતિહાસ બની ગયો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|7 September 2018

ભારતની આઝાદીના અમૃત મહોત્સવ પહેલાં દેશ જુનવાણી અને કલંકિત કાયદાઓથી મુક્ત થવો જોઈએ

છેવટે જે ચુકાદો દાયકાઓ પહેલાં આવવો જોઈતો હતો એ દાયકાઓ મોડો આવ્યો છે, પણ એ છતાં આપણે તેનું સ્વાગત કરવું જોઈએ. એ ચુકાદો સમલિંગી સંબંધો વિશેનો છે. ભારતીય દંડસંહિતાના સેક્શન ૩૭૭ મુજબ સ્ત્રી, પુરુષ અને પ્રાણીઓ સાથેનો અકુદરતી શારીરિક સંબંધને સજા થઈ શકે એવો ફોઝદારી ગુનો ગણવામાં આવે છે અને એ માટે ગુનેગારને દસ વરસથી લઈને આજીવન કારાવાસની સજા થઈ શકે છે. સર્વોચ્ચ અદાલતના ગુરુવારના ચુકાદા મુજબ હવે પછી અકુદરતી શારીરિક સંબંધ ગુનો નહીં ગણાય. અહીં એક ફરક સમજી લેવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે સેક્શન ૩૭૭ને માત્ર ગુનારહિત (ડીક્રિમિનલાઈઝ્ડ) જાહેર નથી કર્યો, તેને બંધારણવિસંગત ઠરાવ્યો છે, એટલે આપણે એમ કહી શકીએ કે સેક્શન ૩૭૭ હવે ઇતિહાસ બની જશે.

આ કાયદો દોઢસો વરસ જૂનો છે. ૧૮૬૦માં ભારતીય દંડસંહિતા ઘડવામાં આવી ત્યારે સેક્શન ૩૭૭નો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. કેટલાંક સામાજિક મૂલ્યો, નૈતિકતા તેમ જ મર્યાદા વિશેની વ્યાખ્યાઓ સમયસાપેક્ષ હોય છે. એક યુગમાં જેને પાપ, ગુનો કે મર્યાદાલોપ સમજવામાં આવતા હોય એને બીજા યુગમાં એ રીતે જોવામાં ન પણ આવતા હોય. આજે અફીણની ખેતી અને વેચાણ અનૈતિક માનવામાં આવે છે અને કાયદાકીય ગુનો પણ છે, પરંતુ ૧૯મી સદીમાં અંગ્રેજોની સહાયથી ભારતીય વેપારીઓ ચીનમાં અફીણની નિકાસ કરતા હતા અને એ જમાનામાં લાખો રૂપિયા કમાયા હતા. મૂડીવાદીઓની પહેલી ભારતીય પેઢી ચીનમાંના અફીણના વેપારે પેદા કરેલી પેઢી હતી.

ભારતીય દંડસંહિતામાં સેક્શન ૩૭૭નો સમાવેશ કરવામાં આવ્યો ત્યારે નૈતિકતાના અને મર્યાદાના બ્રિટિશ માપદંડો ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. મૂળમાં આ કાયદો ૧૬મી સદીના બ્રિટિશ લોનો હિસ્સો છે, જેને બગરી એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ બગરી એક્ટ ૧૫૩૩માં ઘડાયો હતો અને એ બ્રિટિશ સામ્રાજ્યના ભાગરૂપે ભારતમાં આવ્યો હતો. બાકી ભારતમાં વાત્સાયનના કામસૂત્રમાં ગુદામૈથુનની વાત કહેવાઈ છે અને ખજુરાહોના શિલ્પોમાં ગુદામૈથુનના શિલ્પો કંડારવામાં આવ્યા છે.

આ કોલમમાં મેં અનેકવાર લખ્યું છે કે ભારતનું બંધારણ ઘડનારાઓએ અદાલતોને એક ચાળણી આપી હતી. જે કોઈ કાયદા બંધારણવિસંગત હોય એને અદાલતો આપોઆપ ચાળણીમાંથી ચાળી નાખે. તેમને એમ લાગતું હતું કે ધીરે-ધીરે જેટલા ભારતના બંધારણવિસંગત જુનવાણી કાયદાઓ છે એ ચળાઈ જશે અને એ રીતે શરમાવું ન પડે એવું આધુનિક સભ્ય રાષ્ટ્ર અસ્તિત્વમાં આવશે. ભારતનું બંધારણ અમલમાં આવ્યે ૬૮ વરસ વીતી ગયાં છે, પણ એ છતાં અનેક કાયદાઓ હજુ ચળાયા વિના કાયદાપોથીમાં પડ્યા છે.

સેક્શન ૩૭૭ને રદ કરવામાં આવે એવી માંગણી પહેલીવાર ૧૯૯૧માં કરવામાં આવી હતી. ૨૦૦૧માં કેટલાક સમલિંગીઓએ દિલ્હીની વડી અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. ૨૦૦૪માં દિલ્હીની વડી અદાલતે આ આખો મામલો બૌદ્ધિક ચર્ચાનો (એકેડેમિક ઇશ્યુઝ) છે એમ કહીને  અરજી ફગાવી દીધી હતી. અરજદારો સર્વોચ્ચ અદાલતમાં ગયા ત્યારે સર્વોચ્ચ અદાલતે કેસ પાછો દિલ્હીની વડી અદાલતમાં મોકલ્યો હતો અને ખટલો સાંભળવાનો આદેશ આપ્યો હતો. છેવટે ૨૦૦૯માં દિલ્હીની વડી અદાલતે સેક્શન ૩૭૭ને બંધારણવિસંગત ગણાવતો ચુકાદો આપ્યો હતો. એ ચુકાદો આપનારા ન્યાયમૂર્તિ હતા અજીત પ્રકાશ શાહ અને ન્યાયમૂર્તિ એસ. મુરલીધર.

દિલ્હીની વડી અદાલતના ચુકાદાને સંસ્કૃિતરક્ષકોએ સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો અને આખી દુનિયાના આશ્ચર્ય વચ્ચે સર્વોચ્ચ અદાલતે ૨૦૧૩ની સાલમાં હાથ ખંખેરી નાખતો પછાત ચુકાદો આપ્યો હતો. અદાલતે કહ્યું હતું કે અરજદારો જો કાયદો રદ કરાવવા માંગતા હોય તો તેમણે સંસદસભ્યો પાસે જવું જોઈએ, બાકી અદાલતોનું કામ કાયદાપોથીમાં રહેલા કાયદાઓનું અર્થઘટન કરવાનું છે. સર્વોચ્ચ અદાલતનો એ ચુકાદો ખોટો હતો. સર્વોચ્ચ અદાલતનું કામ બંધારણનું અર્થઘટન કરવાનું છે, નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાનું છે અને બંધારણ વિસંગત કાયદાઓને કે સરકારી આદેશોને રદ કરવાનું છે.

હદ તો ત્યારે થઈ જ્યારે સર્વોચ્ચ અદાલતે ૨૦૧૪માં અરજદારોની રિવ્યુ પિટિશનને પણ ફગાવી દીધી હતી. એ પછી અરજદારોએ મળીને ક્યુરેટિવ પિટિશન કરી હતી જેનું પરિણામ ગુરુવારનો ચુકાદો છે. સર્વોચ્ચ અદાલતે સેક્શન ૩૭૭ને બંધારણવિસંગત જાહેર કર્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ કહ્યું હતું : ‘આય એમ વ્હોટ આય એમ, સો ટેક મી એઝ આય એમ’. બસ આમાં નાગરિકની આઝાદીની વાત આવે છે. પરસ્પર સંમતિ સાથે, બે પુખ્ત વયની વ્યક્તિ એકાંતમાં જાતીય સંબંધ બાંધે એમાં કોઈને શું કામ વાંધો હોવો જોઈએ? જાતીય સંબંધના સ્વરૂપ સાથે ત્રીજી વ્યક્તિને શું લેવા દેવા છે?

પ્રારંભમાં કહ્યું એમ જે ચુકાદો દાયકાઓ પહેલાં આવવો જોઈતો હતો એ દાયકાઓ મોડો આવ્યો છે. બીજું કાયદાપોથીઓમાં હજુ બીજા અનેક આવા કાયદાઓ છે જેને રદ કરનારા ચુકાદાઓ દાયકા પહેલાં આવવા જોઈતા હતા, પરંતુ હજુ ચુકાદા આવવાના બાકી છે. ખટલા જ ચાલવાના બાકી છે. કાયદા પંચે પર્સનલ લોઝના કાયદાઓને એક એક કરીને ચકાસવાની દરખાસ્ત રજૂ કરી છે એમ કાયદાપોથીઓમાંના તમામ કાયદાઓ ચકાસીને કાલબાહ્ય કાયદાઓને રદ કરવાની માંગણી કરતી એક સર્વગ્રાહી અરજી સર્વોચ્ચ અદાલતમાં કરવી જોઈએ. ભારતની આઝાદીના અમૃત મહોત્સવ પહેલાં દેશ કલંકિત કાયદાઓથી મુક્ત થવો જોઈએ.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 07 સપ્ટેમ્બર 2018

Loading

...102030...3,0043,0053,0063,007...3,0103,0203,030...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved