Opinion Magazine
Number of visits: 9578685
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદ્યાર્થિનીઓ પર અત્યાચાર કરનાર ફાસીવાદી સરકાર અને પુરુષવાદી સમાજ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|16 October 2018

તામિલનાડુના તુતિકોરિનમાં ‘ડાઉન વિથ ફાસિસ્ટ બી.જે.પી. ગવર્નમેન્ટ’ એમ માત્ર સૂત્રોચ્ચાર કરનાર એક વિદ્યાર્થિનીની ત્રીજી સપ્ટેમ્બરે કરવામાં આવેલી ધરપકડમાં શાસક ભારતીય જનતા પક્ષનો વિકરાળ ફાસીવાદી ચહેરો જોવા મળ્યો. એ વિદ્યાર્થિનીને પંદર દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.

બનાવ એવો છે કે કેનેડાથી ભારત આવેલી લુઇ સોફિયા નામની ૨૮ વર્ષની વિદ્યાર્થિની ચેન્નઈથી તુતિકોરિન ફ્લાઇટમાં હતી. એ મૉન્ટ્રિયલ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રમાં ડૉક્ટરેટ કરી રહી છે. એની સાથે વિમાનમાં તામિલનાડુના ભા.જ.પ.નાં અધ્યક્ષ તામિલીસાઈ સૌન્દરારાજન પણ હતાં. સોફિયાએ વિમાનમાંથી ઊતરતી વખતે તામિલીસાઈ સામે જોઈને સૂત્રોચ્ચાર કર્યા. તે અંગે તામિલીસાઈએ કરેલી ફરિયાદને પગલે વિમાનમથક પોલીસે જાહેરમાં તોફાન મચાવવા અને ઉપદ્રવ ઊભો કરવા અંગેની કલમો હેઠળ સોફિયાની ધરપકડ કરી. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારના પ્રતિનિધિ સાથે વાત કરતાં તામિલીસાઈએ કહ્યુંઃ “વિમાનમાં હું ત્રણ નંબરની સીટ પર હતી અને આઠ નંબરની સીટ પર દેખીતી રીતે નિર્દોષ લગતી એક યુવતી હતી. પણ હું વિમાનમાંથી ઊતરી રહી હતી ત્યારે એ છોકરીએ મને જોઈને એકાએક બૂમ પાડી ‘ડાઉન વિથ ફાસિસ્ટ બી.જે.પી. ગવર્નમેન્ટ!’. હું એની તરફ વળી ત્યારે તેણે ફરીથી એ જ બૂમો પાડી. મા-બાપ સાથે બેઠેલી છોકરીને જોઈને મને થયું કે હું એની તરફ ધ્યાન ન આપું. પણ તે  ફરીથી એ જ બોલતી રહી, એ કંઈક કોમેન્ટ પણ કરી રહી હતી. ‘ફાસિસ્ટ’ શબ્દનો ઉપયોગ કરતી વ્યક્તિ ‘નિર્દોષ’ ન હોઈ શકે. કોઈ નિર્દોષ છોકરી એ ન બોલે. એટલે મેં એને સવાલ કર્યો. જવાબમાં એણે કહ્યું કે એને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર છે. એણે ફરીથી એ સૂત્ર પોકાર્યું અને આ વખતે મુઠ્ઠી ઉગામી ને એવું બધું પણ કર્યું. એટલે મને થયું કે મારે એક આતંકવાદીને નજરઅંદાજ ન કરવી જોઈએ. એટલે મેં પોલીસ ફરિયાદ કરી.”

સોફિયાની  સાથે તેને લેવા ગયેલાં માતા માધુરી અને પિતા ડૉ. એ.એ. સામી પણ વિમાનમાં હતાં. પાંસઠ વર્ષના સામી નિવૃત્ત સરકારી તબીબ છે. તેમણે કહ્યું કે “વિમાન તુતિકોરિન ઊતર્યું ત્યારે સોફિયાએ ભા.જ.પ.ના નેતાને જોયાં અને તે બોલી ‘ફાસિસ્ટ બી.જે.પી. ગવર્નમેન્ટ ડાઉન ડાઉન’. એ ઉપરાંત બીજો એક પણ શબ્દ તેણે  ઉચ્ચાર્યો નથી. પણ જ્યારે અમે ટર્મિનલ પર પહોંચ્યા ત્યારે તામિલીસાઈ અને તેમને લેવા આવેલા તેમના દસ માણસોએ અમને ઘેરી લઈને મારી દીકરી સાથે અભદ્ર ભાષામાં ગુંડાગર્દી કરી, એને મારી નાખવાની ધમકી આપી. આખરે, એરપોર્ટ પોલીસ અમને સલામત ઓરડામાં લઈ ગઈ.” સામીએ એમ પણ કહ્યું, “તામિલીસાઈએ ફરિયાદ નોંધાવી છે એની અમને પછી ખબર પડી. પોલીસે અમને પોલીસ થાણામાં બોલાવ્યાં, પણ તે વખતે એમણે તત્કાળ જામીનની ખાતરી આપી હતી. પણ ઉપરથી આવેલા ફોન પછી એ લોકો હવે સોફિયાને જેલમાં ધકેલવાની કોશિશ કરી રહ્યા છે. પાંચમી તારીખે મોડી રાત સુધી ડૉ. સામી તામિલીસાઈ અને ભા.જ.પ.ના માણસો સામે ફરિયાદ નોંધાવવા માટે મથી રહ્યા હતા. પણ તે બીજા દિવસે જ શક્ય બન્યું. એ વખતે સોફિયાને જામીન પણ મળ્યા.”

સોફિયાને થયેલી ધાકધમકી અંગે તામિલીસાઈએ ‘એક્સપ્રેસ’ને કહ્યુંઃ “અમારી વચ્ચે દલીલો ચાલી એટલે મને લેવા આવેલા પક્ષના કાર્યકર્તાઓએ પણ યુવતીને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. મેં પણ તેમને સવાલો પૂછ્યા. મારી સરકારને એ જે રીતે દોષ દઈ રહી હતી તેનાથી હું નારાજ હતી. એક તબક્કે એણે એમ પણ કહ્યું કે એનો સૂત્રોચ્ચાર મારી વિરુદ્ધ નહીં પણ ભા.જ.પ. સરકાર વિરુદ્ધ હતો. પણ વિમાનમાં તો હું હતી, એટલે એનું નિશાન તો હું જ કહેવાઉં ને? પોલીસ પણ મને શાંત પાડવા ગઈ. પણ મેં એમને કહ્યું કે મારી સરકાર સામે આવી રીતે સવાલ ઊઠાવવામાં આવે તેને હું નજરઅંદાજ ન કરી શકું. સાંજે મને એવા ખબર મળ્યા કે એ પોલીસ સ્ટેશનમાં એ છોકરીના ટેકામાં જે બધા લોકો આવ્યા હતા તે તુતિકોરિનમાં સ્ટરલાઇટ કંપનીની સામે મે મહિનામાં થયેલા આંદોલનવાળા હતા. એ છોકરી કૅનેડાનાં કેટલાંક જૂથો સાથે પણ જોડાયેલી છે એવી પણ માહિતી મને મળી છે.” સોફિયાના પિતાએ કહ્યું કે, “આવી વાતોથી એમને કે સોફિયાને કોઈ ફેર પડતો નથી. પ્રદૂષણ ફેલાવતા જોખમકારક ઉદ્યોગનો વિરોધ તો લોકો કરશે જ. મારી દીકરી સ્ટરલાઇટ વિશે લખી ચૂકી છે. સોફિયાનું ટિ્‌વટર અકાઉન્ટ બતાવે છે કે દલિત અને નારી અધિકારની ચળવળો સાથે પણ તે જોડાયેલી છે. તાજેતરમાં પાંચ નક્સલવાદીઓની જે ધરપકડો થઈ તેને વખોડતાં ટિ્‌વટ પણ તેણે કર્યાં છે.

તામિલનાડુનાં ભા.જ.પ. પ્રમુખે વિદ્યાર્થિનીને સકંજામાં લેવા માટે પોતાની સત્તામાં જેટલું હતું તે બધું કર્યું. પણ એમ કરવામાં તેમણે વિદ્યાર્થિની જે કહી રહી હતી – ભા.જ.પ. સરકાર ફાસીવાદી છે – એ જ સાબિત કરી બતાવ્યું. તામિલીસાઈએ રાજ્યસત્તાને એક વિદ્યાર્થિની પર લાદી દીધી. વિરોધને ગુનો ગણવો એ લોકશાહીને જરા ય શોભતું નથી. પોલીસ અને રિમાન્ડ મંજૂર કરનાર કાનૂની અધિકારી પણ એમાં સામેલ ગણાય. સોફિયાને જામીન તો મળ્યા પણ તેની સામે કેસ ચાલશે. ભા.જ.પ.ના પ્રદેશ પ્રમુખની વાત છોકરીમાં નિર્દોષતા નહીં હોવાના મુદ્દાથી શરૂ થઈ અને બહુ સરળતાથી આતંકવાદના અરોપ તરફ સરકીને એ સંદેશો આપી ગઈ કે સરકાર સામે સવાલ ઊઠાવવાનું ચલાવી ન લેવાય.

તેમાં વળી તામિલીસાઈએ સ્ટરલાઇટ આંદોલનના ભૂતકાળમાં અને કૅનેડાનાં જૂથો સાથેની સાંઠગાંઠના અધ્ધરિયા ઉલ્લેખો ઉમેર્યાં. આમ જોઈએ તો સોફિયાની ધરપકડનો બનાવ રાજકીય ગુંડાગર્દીનો બનાવ લાગે. પણ સાંપ્રત સંદર્ભ એને વધુ ગંભીર બનાવે છે. તાજેતરમાં ‘અર્બન નક્સલ્સ’ની ધરપકડો થઈ છે, જેનો સોફિયા વિરોધ કરી ચૂકી છે. મહારાષ્ટ્ર પોલીસે તે કર્મશીલો પર મીડિયાની અદાલતમાં મુકદ્દમો પણ ચલાવી દીધો છે. માહોલ એવો બન્યો છે કે સત્તાધારી રાજકારણીઓ તેમ જ ન્યાયપ્રક્રિયા સાથે સંકળાયેલી એજન્સીઓ, સરકારનો વિરોધ કરનારાની ધરપકડ કરે અને તેને આતંકવાદી તરીકે જાહેર કરે એ રાબેતો બનતો જાય છે. ગંભીર કારણ વિના સોફિયાની ધરપકડ કરનારે પોલીસની અદાલતે ઝાટકણી કાઢવી જોઈતી હતી.  સોફિયા ફક્ત એક સૂત્ર વારંવાર બોલી હતી, તેના વર્તનમાં જોખમકારક કે હિંસક કશું ન હતું.

વળી, દરેક વાતે અદાલત ન હોય. અદાલત પહેલાં તો સરકાર આવે છે. તેણે એ વાતની તકેદારી રાખવાની છે કે વિરોધ કરનારની સામે રાજ્યની સત્તાનો બેફામ ઉપયોગ ન થવો જોઈએ. તામિલીસામીએ યુવતીના વિરોધને શાલીનતાથી લેવાની જરૂર હતી. વિરોધ કરનારી વિદ્યાર્થીની સાથે તે પરિપક્વ રાજકારણીની જેમ કામ પાડી શક્યાં હોત. પણ તેણે વિદ્યાર્થિનીને ચૂપ કરવા તેમ જ દબાવવા માટે રાજ્યની તાકાતનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. એમાં તો તેમણે વિદ્યાર્થિનીનાં સૂત્રને સાચું સાબિત કર્યું.

આવા ફાસીવાદી વલણની ઝલક ૨૯ જુલાઈએ અલ્લાહાબાદમાં પણ જોવા મળી હતી. ભારતીય જનતા પક્ષના પ્રમુખ અમિત શાહની સામે કાળા વાવટા ફરકાવનાર બે વિદ્યાર્થિનીઓને અને એક વિદ્યાર્થીને પોલીસે ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં લીધાં છે. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ ઉત્તર પ્રદેશમાં મહિલાઓની અને છાત્રોની અસલામતીના મુદ્દે સરકારના વિરોધમાં ઊતર્યા હતા. તેઓ સમાજવાદી પાર્ટીની વિદ્યાર્થી પાંખ એવી ‘સમાજવાદી છાત્ર સભા’ સાથે જોડાયેલા છે. અમિત શાહ હિંદુ સંતોને મળવા અને આગામી કુંભ મેળાની તૈયારી બાબતે અલ્લાહાબાદ ગયા હતા. વિદ્યાર્થીઓની ધરપકડના સમાચાર છપાયા તે પહેલાં તેને લગતો એક વીડિયો વાઇરલ થઈ ચૂક્યો હતો. તેમાં અમીત શાહના કાફલાના એક પોલીસ-વાહનની સામે એક યુવતી કાળો ઝંડો હલાવતી જોવા મળે છે, એક પોલીસવાળો તેને ખેંચીને બાજુમાં રાખવામાં આવેલા બીજા વાહન તરફ જાય છે, ત્યાં બીજો પોલીસવાળો તેના જમણા પગ પર લાઠી ફટકારતો દેખાય છે. વીડિયોમાં મહિલા પોલીસ ક્યાં ય દેખાતી નથી. સંગઠને પણ એ આરોપ મૂક્યો છે. તેણે પુરુષ પોલીસ વિદ્યાર્થિનીઓને વાળ પકડીને ઢસડી ગયા એમ પણ જણાવ્યું છે.

બીજી તરફ, કચ્છના માંડવી તાલુકાના મોટા લાયજા ગામની કેટલીક દલિત વિદ્યાર્થિનીઓ ફફડાટમાં જીવી રહી છે, કારણ કે તેમણે ૨૧ ઑગસ્ટે જે યુવકોની સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી તેમાંથી કેટલાકને જામીન મળી ગયા છે. માંડવીથી ૧૭ કિલોમિટર દૂર આવેલા ગામની વિદ્યાર્થિનીઓ જ્યારે બસમાં કૉલેજ જતી હતી, ત્યારે બાજુના પંચોટિયા ગામના કેટલાક યુવકો તેમની મશ્કરી કરતા હતા અને તેમની સામે અત્યંત અશ્લીલ શારીરિક ચેનચાળા કરતા હતા. તદુપરાંત તેમના માટે જાતિવાદી અપશબ્દો પણ વાપરતા. આ હરકતો લાંબા સમયથી ચાલતી હતી. એ અટકાવવાની કોશિશ કરનાર એક વ્યક્તિને પેલા માથાભારે યુવાનોએ  લાકડી, સળિયા અને તલવારથી માર પણ માર્યો હતો. તેના પિતાએ ફરિયાદ નોંધાવી. વિદ્યાર્થિનીઓ એ ડરથી ફરિયાદ કરવાનું ટાળતી હતી કે વાલીઓ તેમનું ભણવાનું છોડાવી દેશે. એક વિદ્યાર્થિનીની પહેલ પછી, પોલીસે બધી વિદ્યાર્થિનીઓનાં બયાનો તેમની માતાઓની હાજરીમાં નોંધીને છ નાલાયક યુવકોની ધરપકડ કરી હતી. તેમાંથી ત્રણને ૬ સપ્ટેમ્બરે જામીન મળ્યા હતા, જેને પગલે વિદ્યાર્થિનીઓના પરિવારોમાં ભયનો માહોલ છવાયો છે.

એ નોંધવું ઘટે કે ઉજળિયાત માથાભારે કોમો દ્વારા જુલમ સામે સંઘર્ષ કરનાર આ કૉલેજિયન યુવતીઓ મોટા લાયજા ગામમાં શિક્ષણ મેળવનાર દલિત મહિલાઓની પહેલી જ પેઢી  છે.

આધારઃ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ (૨૯ જુલાઈ, ૫ સપ્ટેમ્બર, ૨૦૧૮) અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ (૨૩ ઑગસ્ટ, ૭ સપ્ટેમ્બર, ૨૦૧૮)

સૌજન્ય :”અભિદૃષ્ટિ”, અંક – 131, વર્ષ – 12, અૉક્ટોબર 2018; પૃ. 09-11

Loading

સ્વાનુભૂત સંવેદનોના સર્જક – ભગવતીકુમાર શર્મા

અરવિંદ વાઘેલા|Opinion - Literature|16 October 2018


હું અક્ષર બ્રહ્મમાં ડૂબ્યો છું. પણ ઈશ્વરને જઈ કહેજોઃ
જો મારી જરૂરત હોય તો તે આભેથી અનાહત નાદ કરે !

(નર્મદર્પણ)

૫મી સપ્ટેમ્બર, શિક્ષકદિનની સવારે જ ઈશ્વરને જરૂરત ઊભી થઈ અને આભેથી અનાહત નાદ આવ્યો.

અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે !

– અઢી અક્ષર

આ અડધા અક્ષરની ખોટ પૂરવા સ્વાનુભૂત સંવેદનોના સર્જક ભગવતીકુમાર શર્મા આપણા માટે સ્મરણોનું રાજપાટ છોડી અનંતની યાત્રાએ નીકળી પડ્યા. જો કે તેઓને ખબર જ છે કે “હું નહિ હોઉં ને દુનિયા ચાલશે, જો કે મારી થોડી ચર્ચા ચર્ચા ચાલશે. આપણે પણ એ જ ઉપક્રમ રાખી આ ચર્ચા માંડી છે.”

ગુજરાતી સાહિત્યમાં તેઓ કવિ, ગઝલકાર, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, પ્રવાસ લેખક અને પત્રકાર તરીકે વિશેષ જાણીતા છે. ૩૧મી મે ૧૯૩૪ના રોજ સૂર્યપુત્રી તાપીને ખોળે, સુરતની દેસાઈની પોળમાં, પિતા હરગોવિંદ શર્મા અને માતા હીરાબાના સંસ્કારી બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા ‘બકુ’ ભગવતીકુમાર શર્મા વૈયક્તિક રસાયણને એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં ઘૂંટનારા સર્જક છે. ‘અસૂર્યલોક’નું બીજ લઈ જન્મેલા ભગવતીકુમારની આંખ ભલે નબળી હોય પણ એમની દૃષ્ટિમાં, એમનાં દર્શનમાં જન્મજાત પ્રતિભાનું જ તેજ ભોરાભાર છે. “હું શબ્દમાં જીવું છું” એમ કહેનારા ભગવતીકુમાર કોઈના પણ માર્ગદર્શન કે પ્રોત્સાહન વિના પોતાના એકાકીપણા અને મનના ખાલીપાને ટાળવા વાંચવા લખવાનું શરૂ કરે છે. સર્જનનો લય પામવાની સતત મથામણ કરતા અને લય કે રિધમ મળે પછી જ સર્જન કાર્યમાં પ્રવૃત થતા ભગવતીકુમાર આધુનિકતા અને પરંપરા વચ્ચે સમન્વય સાધનાર મધ્યમમાર્ગી સર્જક છે સર્જનમાં તેઓ શબ્દના સથવારે પોતાની, પોતાના મૂળની શોધ આદરે છે કેમ કે તેમને લાગે છે કે ‘હું જ્યાં છું, જ્યાંનો છું તે ‘હું’ ક્યાં મારી રચનાઓમાં સંકેતાયો છે? અને એટલે જ જાણે કે કવિતા-ગઝલ, નિબંધ અને નવલકથામાં સર્જકનું Personal Element ડોકાતું રહે છે.

‘આદિવચનો’ નામના પુસ્તકમાં ક.મા. મુનશી કહે છે કે, ‘પુસ્તકને સમજવા માટે પુસ્તકની સર્જન પ્રક્રિયા, એનું મૂળ ને એના વિકાસનો અભ્યાસ કરવો જોઈએ.’ ભગવતીકુમાર શર્માના સર્જનમાં પણ કલાપી અને રાવજીની જેમ અંગત જીવનની સર્જક ચેતના ધબકે છે. ‘ઊર્ધ્વમૂલ’ નવલકથાની કેફિયતમાં નિખાલસ એકરાર કરતાં તેઓ કહે છે કે, ‘હું અતિ નાજુક ભાવુક, સંવેદનસભર ચિત્તતંત્ર ધરાવતો માણસ છું. મારું બાળપણ અને તારુણ્ય નિતાંત એકલતામાં વીત્યાં છે. હજીયે, જીવનના પાછોતરા કાળે ય, એકલતાની મારી અનુભૂતિઓ ઉત્કટ અને સુદીર્ધ રહે છે. ઉદાસી, વિષાદ, શૂન્યતા, અજંપો એ બધા મારા લગભગ સ્થાયી ભાવો છે. મૃત્યુ વિશે મને એક પ્રકારનું રોમેન્ટિક આકર્ષણ છે … … ઝૂરતાં, હિજરાતાં, ગૂંગળાતાં, અવ્યક્ત કહેતાં, સહન કરતાં, લઘુતાગ્રંથિતી પીડાતાં જતું કરતાં, ગુમાવી દેતાં, ખસી જતાં, વૈયક્તિકતા ગુમાવી દેતાં પાત્રોના આલેખનમાં કદાચ હું મારાં સ્વનાં પ્રતિબિંબો અને રૂપાંતરો આલેખતો હોઉં છું. અંધકાર અને ઝાંખપનો હું આશિક છું. જો કે કુદરતે મને ઝાંખી દૃષ્ટિ આપી છે.’ (પૃ. ૨૪, ‘ઊર્ધ્વમૂલ’) એમની નવલકથાના નાયક નાયિકાઓમાં પણ એમના ‘સ્વ’નું જ પ્રતિબિંબ વિશેષ ઝીલાયું છે તેમના વિચારો કે ચિંતનમાં પણ એમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ પડતું હોય એમ લાગે છે. એમની જાણીતી નવલકથાઓ ‘વ્યક્તમધ્ય’, ‘ઉર્ધ્વમૂલ’, ‘સમયદ્વીપ’ ‘અસૂર્યલોક’ એની સાબિતી આપે છે.

ઊર્ધ્વમૂલ માનવ જીવનની મૂલવિહિનતા(Rootlessnes)ને આલેખતી સર્જકની ઓટોબાયોગ્રાફિકલ મેથડથી નાયિકાને મુખે કહેવાયેલી નવલકથા છે. એની કેફિયતમાં તેઓ કબૂલે છે કે ‘ઘણા પાત્રોમાં હું બોલું છું, વર્તું છું, એવું આળ સ્વીકારવાની તૈયારી રાખીને ય હું કહીશ કે આ પાત્રોની હયાતીમાં હાજર રહેવાનું મારાં પૂરતું તો અનિવાર્ય છે.’ ક્ષમા એક નારી પાત્ર હોવા છતાં તેનાં કેટલાંયે સંવેદનોમાં હું, એક પુરુષ વિસ્તર્યો છે. ક્ષમાનો કાવ્યપ્રેમ એ મારી કાવ્યપ્રીતિ છે. ક્ષમાની ઉદાસી, વિષાદ, અવ્યક્તતા, ભીરુતા, લઘુતાગ્રંથી એ બધાં વાનામાં આછેવત્તે અંશે હું પણ છું જ. ક્ષમાની Myopic (માયોપિક) જાડા કાચના ચશ્માથી ઢંકાયેલી તે તો મારી આંખે છે.

સ્વના સંવેદનોને શબ્દસ્થ કરતાં સર્જક ભગવતીકુમાર જીવનપર્યંત વેદના સાથે અતૂટ નાતો રહ્યો છે. એટલે તો ‘મળી છે’ કાવ્યમાં તેઓ કહે છે.

‘સૂર્ય ડૂબ્યોને કાજળની ઠકરાત મળી,
મને વેદના જાણે આંગળિયાત મળી.’

સર્જક સ્વની વેદના – સંવેદનાને પોતાની કૃતિઓમાં આલેખતા રહે છે. એમની નવલકથા ‘સમયદ્વીપ’ એક વ્યક્તિના આંતર સંઘર્ષની કથા નિમિત્તે કહેવાયેલી આપણાં પલટાઈ રહેલા સમાજ અને સંસ્કૃિતના સંઘર્ષની કથા છે, નાયક નીલકંઠનો અતિત એના મનોવિશ્વમાં ખળભળાટ મચાવે છે. પરંપરા અને આધુનિકતા, શ્રદ્ધા અને અશ્રદ્ધાનો બે અંતિમો વચ્ચે મનોમંથન અનુભવતો આ નવલકથાનો નાયક નીલકંઠ એકલો રહી જાય છે. ભારતીય સંસ્કૃિતના મૂલ્ય અને આધુનિકતા વચ્ચેનો સંઘર્ષ અનેક પ્રશ્નો ઊભા કરે છે. મહાનગરોની યાંત્રિકતા અને રોજગારી માટેની દોડધામને કારણે હવે કુટુંબ પહેલાં જેવું સંયુક્ત રહ્યું નથી, છતાં પેલો કુટુંબભાવ ટક્યો છે ખરો! પરંતુ સહિષ્ણુતા ટકી છે ખરી? ભગવતીકુમાર જેવા સંસ્કૃિતચિંતકના સંસ્કારોના સંસ્કારોને સંઘર્ષ ‘સમયદ્વીપ’માં સ્વયંભૂ પ્રગટે છે. તેઓ આ નવલકથાને સંદર્ભે કહે છે કે – ‘સમયદ્વીપ’એ મારા કૌટુંબિક પરિવેશની, મારા પૂર્વજો જે હવામાં ઉછર્યા હતા તેની, મારા કેટલાક પડોશીઓ હજી જે હવામાં શ્વાસ લઈ રહ્યા હતા તેની, એ સર્વમાંથી મને સાંપડેલા આછા પાતળા શબ્દની કથા છે. એનો નાયક નીલકંઠ ઘણે અંશે હું જ છું.’

સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર વિજેતા નવલકથા ‘અસૂર્યલોક’ની પ્રસ્તાવનામાં તેઓ કહે છે કે – ‘અસૂર્યલોકનું બીજ લઈને જ હું જન્મ્યો હતો.’ દસેક વર્ષની વયે આંખો પર ચશ્માં ચઢ્યાં ત્યારથી આંતર મનમાં જે બીજ રોપાયું હશે તે લગભગ સાડા ચાર દાયકે આ નવલકથારૂપે વૃક્ષત્વ પામ્યું. (પૃ. ૯ સવ્યસાચી.) ૬૦૦ પાનાંની ‘અસૂર્યલોક’માં ચાર પેઢીની નેત્રવિહીન પરિસ્થિતિને, મનોવેદનાને અને તેના પુરુષાર્થને પ્રભાવક રીતે ઉપસાવવાનો લેખકે સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. નવલકથામાં સ્થૂળ દૈહિક અંધાપા કરતાં માનવીની ચેતનાના, વૃત્તિ વલણોના સૂક્ષ્મ અંધાપાને વ્યંજિત કરી છે. એક નવલકથાકાર તરીકે ઝૂરતાં, હિબકતાં, રિબાતાં, તરફડતા પાત્રોનું એમને આકર્ષણ રહ્યું છે. એમની નવલકથાના પાત્રો આનંદ કે સુખ ભાગ્યે જ અનુભવે છે. તેઓ વિશેષ મૃત્યુ પર્યવસાયી હોય છે. ભગવતીકુમાર શર્માના પાત્રો પ્રતિકૂળ પરિસ્થિતિનો પ્રતિકાર તો કરે છે. પણ જીવનનો ઘોષ ભાગ્યે જ કરે છે. પરંતુ અસૂર્યલોક એ રીતે જુદી પડે છે. અહીં જીવનના જય ઘોષનું આલેખન છે. (तमसो मा ज्योतिर्गमय) ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા’ નો મંત્ર પડઘાય છે. સર્વાઈવલ આ કાવ્યની આ પંક્તિઓ જાણે એમની વાતને સમર્થન આપે છે.

ટકી રહેવાનું છે, કોઈ પણ હિસાબે
ટૂંટિયું વાળીને, ટાચકા ફોડીને બચી જવાનું છે.

સુરતના ગઝલ મુશાયરાઓના માહોલમાં શાયર તરીકે ઊછરીને સંસ્કારાયેલા ભગવતીકુમારે કવિ તરીકે ‘સંભવ’, ‘છંદો છે પાંદડાં જેનાં’, ‘ઝળાહળ’ અને ‘નખ દર્પણ’, ‘અઢી’ અક્ષરનું ચોમાસું, એક કાગળ હરિવરને, ‘ગઝલયાન’ અને ‘આત્મસાત’ જેવા કાવ્ય સંગ્રહો આપ્યા છે. આ સંગ્રહોમાં કવિનું આત્મકથન અભિવ્યક્તિ પામતું રહે છે. આ સંગ્રહનાં ગીત ગઝલ અને સોનેટ, આધુનિક માનવીની વેદના, વિષાદ, અજંપો, ખેદ, મૂંઝવણ અને એકલતાને વાચા આપે છે. મૃત્યુ વિશે એમને ગજબનું રોમેન્ટિક આકર્ષણ છે. એટલે ‘નવલકથાની જેમ કાવ્યોમાં પણ મૃત્યુ વિષય બને છે. સંભવ-ની એક રચનામાં તેઓ કહે છે કે:

‘એના હરેક કણમાં અનાગતની ઝંખના, તૂટી રહેલા આખરી વેળાનો શ્વાસ છું;’

ધુમ્મસની જેમ પળમાં વિખેરાઈ જઈશ હું? આમેય ક્યાં જીવંત છું? હોવાનો ભાસ છું. (સંભવ) જીવન પ્રત્યેની નિર્લેપતાને કારણે જ તેઓ મોતને પણ પડકારી શકે છે – જુઓ.

‘મોત જો મોડું કરે તો શું કરું?
મારી તો હંમેશ તૈયાર હતી.’

પોતાની સર્જનમાં જાતને મળવાની મથામણ કરતા ભગવતીકુમાર એક ચિંતકની અદાથી જીવનને એની મર્યાદા બતાવી દે છે.

‘તોફાની અશ્વ જેવું છે જીવન મનુષ્યનું,
કાબૂમાં રહે છે એ મરણની લગામથી.’

નિખાલસ મનના માનવી ભગવતીકુમાર જીવનની જ નહીં પોતાની મર્યાદાઓ પણ જાણે છે. નિયતિએ આપેલા અસૂર્યલોકને કારણે જીવનસંધ્યાને સમયે પોતાના ક્ષીણ થતા ઉજાશને તેઓ આ રીતે ઓળખાવે છે.

‘ક્યાં સુધી તું ચંદ્રના ઝાંખા પ્રકાશે આ ગઝલ,
લખતો રહેશે લોહીમાં બોળી કલમ?
ભગવતી તું પણ હવે અહીંયા અટક
લાઈટ્‌સ ઓફ' 

(સંભવ)

શબ્દને સથવારે સ્વની શોધ આધરતા સર્જક સ્વયં કહે છે કે ‘- હું મારી સ્વાનુભૂતિઓ અને સ્વ સ્પંદનોને ઝીલતી લેખિનીનો જ આહલાદ માણું છું.’ આપણે માટે સ્મરણોના રાજપાટ છોડી ગયેલા સર્જક સ્વર્ગસ્થ નહિ શબ્દસ્થ થાય છે. શબ્દસ્થ થયેલા સર્જકને એમના શબ્દોમાં જ શ્રદ્ધાંજલિ …

‘હું મને છોડીને ચાલ્યો જાઉં પણ,
ક્યાં જશે સ્મરણોના મારા રાજપાટ '

(છંદો છે …)

સી.યુ. શાહ આટ્‌ર્સ કૉલેજ, અમદાવાદ

સૌજન્ય :”અભિદૃષ્ટિ”, અંક – 131, વર્ષ – 12, અૉક્ટોબર 2018; પૃ. 17-19

Loading

વ્યાકરણાચાર્ય અને અલંકારશાસ્ત્રી ડૉ. ભવગતીપ્રસાદ દેવશંકર પંડ્યા

મુકેશ ર. પંડ્યા|Opinion - Opinion|16 October 2018

ગુજરાત પ્રદેશના સંસ્કૃત સાહિત્યના ‘ભીષ્મપિતામહ’ તરીકે જેમની ગણના થાય, તેવા સંસ્કૃતના પ્રખર વિદ્વાન, પ્રકાંડ પંડિત, કાવ્યતીર્થ, પુરાણતીર્થ કર્મકાંડના જ્ઞાતા, વેદના અધ્યેતા, શ્રેષ્ઠ વક્તા, એક ઉમદા કથાકાર, સંસ્કૃતના મૂર્ધન્ય વ્યાકરણાચાર્ય, મધુરભાષી, શીઘ્રકવિ ડૉ. ભગવતીપ્રસાદ પંડ્યા, ૯૨, જૈફ વયે તા. ૧૧ ઑગસ્ટના રોજ દિવંગત થયા.

ગુજરાતના કાશી ગણાતા સાબરકાંઠાનાં નાનકડા રાયગઢ ગામમાં તા. ૯-૧૧-૧૯૨૬ના રોજ તેમનો જન્મ થયો હતો. રાયગઢના બ્રાહ્મણો શિક્ષણનાં તેમ જ કર્મકાંડના વ્યવસાયમાં અગ્રેસર હતા. ભટ્ટ મેવાડા કુળમાં જન્મેલા ડૉ. ભગવતીપ્રસાદ પંડ્યા નાનપણથી જ સંસ્કૃતમાં વિશેષ રુચિ હોવાથી વધુ અભ્યાસાર્થે કાશી જઈ ૧૨ વર્ષનો અભ્યાસ પરિપૂર્ણ કરી ભારતભરના વ્યાકરણાચાર્યોમાં એક આગવું સ્થાન મેળવી કીર્તિ પ્રાપ્ત કરી ગુજરાતમાં પરત ફર્યા. ત્યાર બાદ તેમણે અલંકારશાસ્ત્રમાં અપ્પયદીક્ષિત ‘કવિ અને આલંકારિક’ પીએચ.ડી.ની પદવી મેળવી.

તેમણે ઈ.સ. ૧૯૫૭થી ઈ.સ. ૧૯૭૭ એમ એકવીસ વર્ષ સુધી સ્વામિનારાયણ આટ્‌ર્સ કૉલેજમાં સંસ્કૃત વિભાગાધ્યક્ષ તરીકે અધ્યાપનકાર્ય કર્યું. અધ્યયન – અધ્યાપનની સાથે સાથે સરસ્વતી પ્રકાશન અને પાર્શ્વ પ્રકાશનમાંથી આલંકારિક ગ્રંથો તથા અભ્યાસકીય પુસ્તકો સંપાદિત કરી પ્રકાશિત કર્યાં છે. અભ્યાસ વધુ જ્ઞાનોમય બને માટે ઈ.સ. ૧૯૭૭થી ઈ.સ. ૧૯૮૭ અગિયાર વર્ષ સુધી તેઓ ગુજરાત યુનિવર્સિટી ભાષાભવન સંસ્કૃત વિભાગમાં પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા તથા રીડર તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયા. અમારું અહોભાગ્ય એ હતું કે એમ.એ. પૂર્ણ કર્યું અને ગુરુજીનું નિવૃત્ત થવું એ સ્મરણ આજે પણ યાદ આપે છે.

ભાષાભવનમાં આવ્યા પછી અધ્યયન-અધ્યાપનમાં મગ્ન થઈ જવું, સાંજ ક્યારે ઢળી જતી તેનો અંદાજ પણ ન રહેતો. અમે એમના શિષ્ય તરીકે આ બધું જોયું છે અને તેના સાક્ષી છીએ. અરે! એમના લેક્ચરનો સમય ૧થી ૨નો હોય, બે વાગ્યે રિસેસ પડે, ઘંટારવ સંભળાય પરંતુ અમારા આ ગુરુજી અમને ભણાવવામાં એટલા તલ્લીન હોય રિસેસ પણ ક્યારેક પૂરી થઈ જાય અને ૨.૩૦થી ૩.૩૦નું લેકચર પણ ચાલુ થાય, બીજા સાહેબ આવે. ત્યારે અમને મુક્ત કરતાં પણ એમના લેક્ચરમાં અમને બ્રહ્માનંદની પ્રાપ્તિ થતી, અનહદ આનંદની અનુભૂતિ થતી હતી. એમની ચા પણ ઠરી જાય છતાં અભ્યાસના આવા ઉમદા ઓજસ પાથરી અમને મંત્રમુગ્ધ કરી દેતા.

નિવૃત્ત થઈ ગયા પછી હોલૅન્ડમાં ‘મહર્ષિ યુરોપિયન રિસર્ચ યુનિવર્સિટી’માં એમની જરૂર જણાતાં અધ્યાપનકાર્ય માટે ગુજરાતમાંથી એક માત્ર એમને નિમંત્રણ મળ્યું. ત્યાં તેઓ ઈ.સ. ૧૯૯૧થી ઈ.સ. ૧૯૯૪ સુધી અધ્યયન-અધ્યાપનમાં વ્યસ્ત રહ્યા. અસ્ખલિત વાક્‌પ્રવાહ સંસ્કૃતમાં વહેતો હોય, તેઓ સંસ્કૃતના શીઘ્રકવિ હતા. સંસ્કૃત ગરબાના રચયિતા, ગદ્યને પદ્યમાં આસાનીથી ફેરવી લેવાની કળામાં તેઓ નિપુણ હતા. ભિલોડાની હાઈસ્કૂલના આચાર્ય  લાભુભાઈ પંડ્યાના વિદાય-સમારંભમાં અધ્યક્ષ તરીકે આવેલા અને ત્યાં સંસ્કૃતમાં શ્લોકોની ઝડી વરસાવી એમની વાણીથી ભિલોડા હાઈસ્કૂલને પાવન કરી હતી. વિદ્યાર્થીવત્સલ, વર્ગને સ્વર્ગમાં ફેરવી દેવામાં બેતાજ બાદશાહ, વર્ગમાં સાહજિકતાથી અભિનય રજૂ કરતાં નાટ્યો અને કાવ્યો લગભગ એમને કંઠસ્થ હતાં. આથી તેઓ વર્ગમાં ભરતમુનિ જ બની જતા અને અંગ, ભંગિમાં તેમ જ મુદ્દાઓથી હાવ-ભાવ દ્વારા ભાવવાહી અને બુલંદ ધ્વનિએ પઠનપાઠન કરતાં અને અમને રસતરબોળ કરી નાખતા. આ એમનો નિત્યક્રમ હતો.

સ્વ. ભગવતીપ્રસાદ પંડ્યાએ બૃહદ્દ ગુજરાત સંસ્કૃત પરિષદમાં પણ અનેક વર્ષો સુધી સેવાઓ આપી હતી. ત્યાં નાટકો પણ સંસ્કૃતમાં તેઓ ભાગ લઈ ભજવતા. તથા ઑલ ઇન્ડિયા રેડિયો પર પણ સંસ્કૃત પાઠશાળાના વર્ગોનું સુચારું સંચાલન કરી તેને વધુ ને વધુ લોકભોગ્ય બનાવવાની દિશામાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું હતું. આકાશવાણી તથા દૂરદર્શન પર જન્માષ્ટમીના દિવસે કૃષ્ણના જન્મના પ્રસંગો વર્ણવતા કે પછી આસ્ટોડિયા દરવાજાનું શુભમ્‌ લગ્નસ્થળ હોય, સર્વ જગ્યાએ પંડ્યાસાહેબ કાર્યરત રહ્યા હતા.

અમારા આ ગુરુજીને ‘સંસ્કૃત ચૂડામણિ’, ‘મહામહિમોપાધ્યાય’, ‘વિદ્યાવારિધિ’ તેમ જ ‘વાચસ્પતિ’ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા.

એમના ઘરના સમીપમાં રહેતા હોવાથી અવારનવાર ગુરુજીને મળવાનું થતું. શિષ્યની સાથે સ્મરણો પણ પ્રેમથી વાગોળતાં હતા. મારી કૉલેજમાં એમની ઉંમર ૭૬ વર્ષની હોવા છતાં એક કલાક વક્તવ્ય માટે આવેલ, પરંતુ એટલા બધા ભાવ-વિભોર થઈ જઈ કલાકનું વક્તવ્ય આપી સંસ્કૃતમાં શ્લોકોની અનરાધાર હેલી વરસાવી હતી. આવા પ્રેમાળ સ્વભાવના ગુરુજી આજે એટલા જ યાદ આવે છે. આવા અમારા આદર્શ તથા ઋષિતુલ્ય ગુરુજીને અમારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ તથા શોકાંજલિ અર્પતા દુઃખની લાગણી અમે અનુભવીએ છીએ.                 

‘ઉપાચાર્ય’, સંસ્કૃત વિભાગાધ્યક્ષ, આટ્‌ર્સ કૉલેજ, પિલવાઈ

સૌજન્ય :”અભિદૃષ્ટિ”, અંક – 131, વર્ષ – 12, અૉક્ટોબર 2018; પૃ. 19-20

Loading

...102030...2,9682,9692,9702,971...2,9802,9903,000...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved