Opinion Magazine
Number of visits: 9578382
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એ વૃક્ષ અને હું

નવ્યાદર્શ|Poetry|25 October 2018

એક દિવસ
એ વૃક્ષની ડાળ પીળી પડી ગઈ હતી.
આજે નહીં તો કાલે એ પડવાની જ હતી
એટલે એક દિવસે પપ્પાએ કુહાડીથી એ ડાળને કાપી નાખી
કારણ એટલું જ,
કાલે અચાનક પડેને કોઈને લાગે તો!
નાનો ભાઈ ગુટ્ટુને મારી સાથે ઝાડ પર ચઢવાની ટેવ
અમે બંને ચડીને હીંચકા ખાઈએ,
કોયલને ચીડવીએ,
પક્ષીના કલરવને શાંત બની સાંભળીએ
તો ચંચળ બની એક ડાળી પરથી બીજી પર ભૂસકો મારીએ
અમારી આ વાનરલીલાથી બધાં વાકેફ હતાં
એટલે જ તો એક દિવસે પપ્પાએ એ પીળી પડેલી ડાળને કાપી નાખી
એક આકાશનો ટૂકડો આઝાદ થયો
એ ડાળ કપાયા પછીથી એ વૃક્ષ થોડું બોડું લાગતું હતું
અમને પણ એ બુઠ્ઠું જ લાગતું હતું
અમે ત્યાં રમવાનું છોડી દીધું અને શોધવાં લાગ્યાં નવું વૃક્ષ
પણ પેલી જે સહજતા હતી તે ન આવી.
પપ્પાએ એક દિવસ જમતાં કોળીઓ મોં પાસે લાવી અટકી ગયા
તેઓ મને ધ્યાનથી જોઈ રહ્યાં
હું અચાનક પીળી પડવા લાગી
પપ્પા થોડું મલકીને ફરી ખાવા લાગ્યા.
હું પેલા ઝાડ પાસે આવી તેને બાથ ભીડી
પેલી ખાલી પડેલી જગ્યા પરથી જોવા લાગી આકાશ
ગુટ્ટુએ મારો હાથ પકડી કહ્યું
‘જો અહીં તો જો’
વૃક્ષની ડાળીઓ પર નવી ઊગેલી કુમળી કૂમ્પળો
હું જોવા લાગી
મારા હૃદયની ઊર્મીઓ ફરી ઉછળવા લાગી.

Email : navyadarsh67@gmail.com

Loading

ફ્યુનરલ

નવીન બેન્કર|Opinion - Opinion|25 October 2018

‘આપણા  સિનિયર્સ એસોસિયેશનના મેમ્બર – પેલાં જીવીકાકી – ગુજરી ગયાં. તેમનું ફ્યુનરલ ગુરુવારે બપોરે ૧૧ થી ૧ વચ્ચે, ગાર્ડન ઓક ફ્યુનરલ હોમમાં રાખ્યું છે.’

સામાન્ય રીતે કોમ્યુિનટીમાં કોઇ ગુજરી જાય, ત્યારે ઇ-મેઇલ મારફતે મેસેજ મળતા હોય છે.  જીવીકાકી નામ તો જાણીતું હતું, પણ ચહેરો યાદ આવતો ન હતો. કદાચ વર્ષોથી કાકી બિમાર હોવાનાં કારણે મિટિંગમાં કે પિકનિકમાં દેખાતાં ન હતાં. આવો શોકસંદેશ મળતાં જ, હું મારા કોમ્પ્યુટર પર ગુજરાતી ફોન્ટ્સમાં શોકસંદેશ કે શ્રધ્ધાંજલિ લખી નાંખું અને બધાંને મોકલાવું. ફ્યુનરલમાં પણ જઉં અને સિનિયર્સના વડીલ તરીકે કોઇ મને માઈક પર બોલાવે તો બે શબ્દો કહું પણ ખરો. મને આ બધાંની સારી ફાવટ છે. છાપામાં ફોટા સહિત ‘ફૂલ ગયું ને ફોરમ રહી ગઈ’, જેવી શ્રદ્ધાંજલિઓ પણ લખી આપું.

એ દિવસે મારે, બે વખત નહાવું પડે. મારી પત્ની ચુસ્ત પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ છે. એટલે ફ્યુનરલમાંથી આવ્યા બાદ, મારે તરત જ, ક્યાં ય અડ્યા વગર, બાથરૂમમાં જઈને બધા જ કપડાં કાઢી નાંખીને, પલાળી દઈને સ્નાન કરવું પડે. ઘરમાં પગ મૂકતાં જ ચીસાચીસ કરવા લાગે કે -‘ જોજે ક્યાં ય અડતો નહીં. ખિસ્સામાંથી રૂમાલ કાઢવાનું ભૂલતો નહીં. બધો બોળાવાળો કરી મૂકીશ. મારા ઠાકોરજીને – ’  વગેરે વગેરે .. અને હું એના ઠાકોરજીને મણમણની ચોપડાવતો, નિર્વસ્ત્ર થઈને નહાવા બેસી જઉં. ગાળાગાળી કરું પણ પત્નીના ડરથી એનું કહ્યું તો માનું જ.

હાં ! તો આ કયાં જીવીકાકી ગયાં, એ જાણવા હું ફ્યુનરલમાં ગયો. ૧૬” બાય ૨૦”ની તસ્વીર જોઇને હું જીવીકાકીને ઓળખી ગયો. પહેલી હરોળમાં સફેદ વસ્ત્રો પહેરેલાં એમના આપ્તજનોને જોઇને મને થયું કે અરે! આ બધાંને તો હું ઓળખું છું. ચાર દીકરીઓ, બે દીકરા, પ્રપૌત્રો, ભાઈઓ બધાંને હું ઓળખું. પણ કોઇને, જીવીકાકીને કારમાં લઈને મિટિંગ સ્થળે મૂકવાં આવતાં જોયેલાં નહીં. જીવીકાકી હંમેશાં પાડોશણની રાઈડ લઈને જ આવતાં હતાં. અથવા મારા જેવા પરગજુ વોલન્ટિયરને વિનંતિ કરીને બોલાવી લેતાં. જીવીકાકીનાં નવ પરિવારજનોએ ગળગળાં થઈને, ગળે ડૂમો ભરાઇ જવાના અભિનય સાથે, શ્રદ્ધાંજલિઓ આપી. બેક ગ્રાઉન્ડમાં, કોફિનની પાછળથી, જીવીકાકીનાં બાળપણથી જુવાની અને ઘડપણ સુધીના ખૂબસૂરત ફોટાઓની સ્લાઈડો સ્ક્રીન પર દર્શાવાતી હતી. હું, પણ, કારમાં રાઈડ આપતી વખતે, જીવીકાકીએ કહેલી તેમનાં જીવનની ખાટીમીઠી વાતોને યાદ કરી રહ્યો હતો.

એક બીજા ફ્યુનરલમાં, એક ડોક્ટરના પિતાશ્રી ગુજરી ગયેલા. એમના ભાઇઓ પણ બધા જ ડોક્ટર્સ. સદ્દગત પિતાશ્રી પણ ડોક્ટર હતા, ડાઘુઓની સામે કોફિનમાં મૃતદેહ પડ્યો હતો અને એક પછી એક દીકરાઓ, સદ્દગત પિતાશ્રીને શ્રદ્ધાંજલિ આપતા હતા. એમના એક દીકરા ડોક્ટર આદિત્ય ઐયરે પિતાજીની અંત્યેિષ્ઠ ક્રિયામાં મદદરૂપ થવાં આવેલાં એક રૂપાળાં, પ્રૌઢ સન્નારીને જોઇને, કાંઇક આવી મતલબની શ્રદ્ધાંજલિ આપવા માંડી.

‘આજથી ત્રીસ વર્ષ પહેલાં, હું આ શહેરમાં આવેલો ત્યારે અમે એક નાટક કરેલું. એમાં આ બહેન (પેલા પ્રૌઢ ખૂબસૂરત સન્નારી) પણ એમાં કામ કરતાં હતાં.  એ મારા હિરોઇન હતાં. નાટક કરતાં, એના રિહર્સલ /પ્રેક્ટિસ  કરવામાં વધારે મજા આવતી. ખરું ને પ્રિયંકાબહેન ? (નામ બદલ્યું છે) …. અને પછી આદિત્ય ઐયર સાહેબ ભૂતકાળની સ્મૃિતઓમાં ખોવાઈ ગયેલા. અને ડાઘુઓ સ્તબ્ધ થઈને જોઇ રહ્યા હતા.

ફ્યુનરલ માં આવા યે નંગ ભટકાઇ જાય છે.

અમારા શહેરના એક ભાઈને જો શ્રદ્ધાંજલિ આપવા માટે માઈક હાથમાં આપીએ એટલે, પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરવા માટે, સંસ્કૃતમાં ફાડવા માંડે અને પછી ‘ઇતિ, મતિ, બુદ્ધિ’…થી શરૂ કરીને આખી ભીષ્મ-સ્તુિત શરૂ કરી દે. ત્યાંથી નહીં અટકતાં, મતિ અને બુદ્ધિનો તફાવત સમજાવવા માંડે અને મહાભારતના યુદ્ધમાં ભીષ્મપિતામહ, બાણશય્યા પર પડેલા અને શ્રીકૃષ્ણ ભગવાનને બોલાવી પોતાની બે માનસપુત્રીઓનું દાન કરેલું, એની કથા કહેવા માંડે. અમે તો આ બધું અગાઉ પણ એટલી બધી વાર સાંભળેલું કે જેવો એ વક્તા ઊભા થાય કે અમે તો બીડી પીવાં ફ્યુનરલ હોમની બહાર જતા રહીએ, અને પુષ્પાંજલિ સમયે હાજરી આપવા જ આવીએ.

એક બીજા વક્તા શ્રદ્ધાંજલિ આપવા ઊભા થાય કે તરત મૃતદેહના કોફિન સામે બે હાથ જોડીને, ગળગળા થઈ જવાના અભિનય સહિત શરૂ કરે – ‘દાદા…’ શ્રોતાઓમાંથી કોઇ સુધારે – ‘દાદા નથી, દાદી છે.’ એ સાંભળીને સુધારી લે કે – ‘દાદી … છેલ્લા દિવસોમાં તમે મને ફોન કરી કરીને કહેતા કે’ સુધાકર, પેલું ભજન સંભળાવ ને ! અને મને તમારી પાસે આવવાનો સમય જ ન મળ્યો.’ આવો, આપણે બધાં ‘બા’નું પ્રિય ભજન ગાઈને તેમને અંજલિ આપીએ’.

અને પછી એક લાં..બ્બુ ભજન, એમના ખોખરા સ્વરે, આપણા માથે ઠપકારે. પાછું આ જ નાટક બીજી કોઇ ડોશીનાં ફ્યુનરલમાં યે સાંભળવાની આપણે તૈયારી રાખવાની!

હવે તો, ફ્યુનરલ ૧૧ વાગ્યે હોય તો હું ૧૨ કે સવા બાર વાગ્યે જ જઉં, અને વિઝિટર્સ બુકમાં નામ લખીને, કોરિડોરમાં સોફા પર જ બેસું છું અને પુષ્પાંજલિ સમયે, લાઈનમાં ઊભો રહીને, મૃતદેહ સમક્ષ નતમસ્તકે ઊભો રહી, મૃતકનાં  અન્ય પરિવારજનો, મારી હાજરીની નોંધ લે એ રીતે, પુષ્પાંજલિ કરીને, દરવાજા પાસે લાઇનસર ઊભેલાં પરિવારજનોને ભેટીને કે જય શ્રીકૃષ્ણ કરીને વિદાય લઉં છું.

ફ્યુનરલની આગલી સાંજે મૃતકના નિવાસસ્થાને ભજન રાખ્યાં હોય, ત્યાં જવાનું હું ટાળી દઉં છું. એનાં બે કારણો –  એક તો, સૂતકીને ઘેર જવાથી યે સૂતક લાગે અને કપડાં બોળીને મારી પુષ્ટિમાર્ગિય ભક્તાણી પત્ની મને નવડાવે. અને બીજું, એમના નિવાસસ્થાન પાસે પાર્કીંગ ન મળે અને દૂરદૂર ગાડી પાર્ક કરીને ચાલવું પડે. સોફામાં બેસવાની જગ્યા ન મળે અને નીચે શેતરંજી પર બેસવું પડે તો ટાંટિયા વળતા નથી. વળી ભજન આઠ વાગ્યા પછી જ હોય એટલે રાત્રે ડ્રાઇવ કરવું પડે.

અમુક સમજુ સજ્જનો ફ્યુનરલમાં ચોક્સાઇપૂર્વક અમુક સમયમર્યાદામાં પ્રસંગને સમેટી લેતા હોય છે. બીનજરૂરી વક્તાઓને કે ચીટકુ વિદ્વાનોને માઈક આપવાનું ટાળે છે.

મેં તો મારા રજિસ્ટર્ડ વીલમાં લખી દીધું છે કે મારા અવસાન પછી, ‘દેહદાન’ જ કરી દેવું.

નો ફ્યુનરલ … નો શ્રદ્ધાંજલિઓ…. નો ભીષ્મસ્તુિતઓ … પણ મારી ભક્તાણી પત્ની એ નહીં માને. એ તો કહેશે કે પેલા વિરાટભાઇ કહે છે કે મરનારનો આત્મા તેર દિવસ સુધી ઘરમાં ભટકતો રહે છે. માટે એને પિંડદાન કરવું જોઇએ. અને તેર દિવસ ભજન કીર્તન કરવાં જોઇએ.

બાકી, મારી શ્રદ્ધાંજલિમાં મિત્રોએ આટલું જ કહેવું કે – "નવીન એક પંખીની જેમ આવ્યો, જીવ્યો અને ઊડી ગયો. સૌને રામ રામ, આવજો."

6606 DeMoss Dr. # 1003, Houston, Tx 77074 

e.mail : navinbanker@yahoo.com 

Loading

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|25 October 2018

હૈયાને દરબાર

પૂનમની રાત એ દિવ્ય રાત્રિ. કુદરતની કવિતાનું નિતાંત સૌંદર્ય. શરદ પૂનમ હજુ બે દિવસ પહેલાં જ ઉજવાઈ, એટલે ચંદ્ર-તારા મંડિત રાતનું વર્ણન કરતાં ગીતોની જ વાત કરાય ને!

ચંદ્રનું મને જબરજસ્ત આકર્ષણ છે. પૂનમની રાતે ચાંદને ટગર ટગર જોયા કરવાનું ખૂબ ગમે. એમાં ય કોઈ અદ્ભુત કુદરતી સ્થળે પૂનમનો ચાંદ સત્સંગ કરવા આવી જાય, એ તો સોને પે સુહાગા! એવું કેટલી ય વાર બન્યું છે કે ભારતનું લેહ-લદાખ હોય કે સ્વિટ્ઝર્લેન્ડનો આલ્પ્સ પર્વત, યોગાનુયોગે જે બેસ્ટ જગ્યાએ હું હોઉં ત્યાં ચાંદો ગુફ્તગૂ કરવા આવી જ ગયો હોય. યાદ આવે છે ભેડાઘાટની. મધ્ય પ્રદેશનું એ અપ્રતિમ સ્થળ છે. આરસની ચટ્ટાનો વચ્ચેથી વહેતી નર્મદા અને માથે પૂર્ણ ચંદ્રનું અજવાળું હોય એનાથી સર્વોત્તમ રાત્રિ કોઈ હોઈ શકે?

એવી જ એક સુંદર મજાની ચાંદની રાતે અમે નર્મદામાં નૌકા વિહાર કરી રહ્યાં હતાં અને એક સુંદર ગીત યાદ આવી ગયું. એ ગીત હતું રૂપલે મઢી છે સારી રાત રે સજન, એનું ઢુંકડૂં ન હોજો પરભાત. સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો, હજી આદરી અધૂરી મારી વાત રે …! પછી તો ચાંદ પરનાં ગીતોની મહેફિલ જામી. આધા હૈ ચંદ્રમા રાત આધી, રહ ન જાયે તેરી મેરી બાત આધી, તૂ ચંદા મૈં ચાંદની, દેખો વો ચાંદ છૂપ કે કરતા હૈ ક્યા ઈશારે જેવાં કેટલાં ય ચંદ્ર ગીતો ચાંદની રાતને ઓર રંગીન બનાવી ગયાં. ચાંદની રાત ખાસ કરીને સ્ત્રી હૃદયમાં અનોખા ભાવ સ્પંદનો જગાવે છે. પ્રિયજનનો સાથ હોય, તો પૂનમની રાત જાણે મધુરજની જ બની જાય!

પૂર્ણ ચંદ્રનું અજવાળું નર્મદાનાં નીરમાં પ્રકાશ પાથરી રહ્યું હતું અને એ રોમાંચક ઘડીઓમાં આ અત્યંત રોમેન્ટિક ગીતો મન પર સવાર હતાં, પરંતુ આપણે અહીં મુખ્ય વાત કરવાની છે એવાં જ પ્રણયભીનાં ગુજરાતી ગીતોની. ગુજરાતી સુગમ સંગીતનાં સર્વોત્તમ રોમેન્ટિક ગીતોમાં અગ્રક્રમે આવી શકે એવા રાગ મિશ્ર પહાડી પર આધારિત આ ગીત, રૂપલે મઢી છે સારી રાત…માં નારી સંવેદનાની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ છે.

લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં, લતા મંગેશકરે ગાયેલાં ફિલ્મી ગીતોની એલ.પી.માં, દિલીપ ધોળકિયાએ સ્વરબદ્ધ કરેલું એક માત્ર ગુજરાતી ગીત લેવાયું હતું એ ગીત તે રૂપલે મઢી છે સારી રાત. કવિ હરીન્દ્ર દવેના શબ્દો, દિલીપભાઈનું સંગીત અને લતાજીના અવાજે આ ગીતમાં કેવી કમાલ કરી હશે કે હિન્દી ગીતોની એલ.પી.માં આ ગુજરાતી ગીત લેવાયું! રૂપેરી રાતનું સૌંદર્ય કે સોળે કળાએ ખીલેલી ચાંદની રેલાવતી ધવલ નિશાની મોહિનીથી ઋજુ હૃદય કવિ મુક્ત રહી શકતા નથી. શરદઋતુની ચાંદની ખીલી હોય ત્યારે મન પર કાબૂ રાખવો કેટલો મુશ્કેલ હોય એ તો કોઈક કવિને અથવા પ્રેમીને જઈને જ પૂછવું પડે. નવરાત્રી પછીની શરદ પૂનમનું હિન્દુ શાસ્ત્રમાં ખૂબ મહત્ત્વ છે. ચાંદને સૌંદર્ય સાથે સરખાવાય છે. ચાંદની રાતે ચાંદ-ચકોરીનું મિલન એ પ્રેમની પરાકાષ્ઠા ગણાય છે. નિરભ્ર રાત્રિની શુભ્ર ચાંદની પ્રેમીઓના મિલનને તેજોમય બનાવે છે.

કાકાસાહેબ કાલેલકરે એક સ્થાને લખ્યું છે કે, "ચાંદની રાતે ગરીબ-તવંગરનો ભેદ કર્યા વિના કુદરત વૃક્ષોની નીચે એના ગાલીચા પાથરી દે છે. ઝાડનાં પાંદડાં હાલવા માંડે ત્યારે જમીન પર પથરાયેલા ગાલીચા જીવતાં થઈને વધારે જ શોભી ઊઠે છે. એક રસિક સંસ્કૃત કવિએ તો ચાંદરણાનું વર્ણન કરતા કમાલ કરી હતી. બિલાડીના ગાલ-મૂછ પર ચાંદની રાતનો પ્રકાશ પડતાં એ દૂધ જ છે એમ માની બિલાડીએ તેને ફરી ફરી ચાટવાનો સપાટો ચલાવ્યો હતો. પૂનમને દિવસે આકાશ ધોવાઈ-લૂછાઈને સાફ થયેલું હોય છે. ચંદ્ર વિશેષ પ્રસન્ન હોય છે અને પાગલ મનને વધુ ઘેલું બનાવે છે. ચાંદની રાત એટલે કાવ્યમય ગાંડપણનો ઉત્સવ. ડાહ્યા માણસોએ પસંદ કરેલું ગાંડપણ અને પાગલોર્મિનો મુશળધાર વરસાદ!”

ચાંદની વાત આવે ત્યારે ગુલઝાર સાહેબ યાદ આવ્યા વિના રહે નહીં. વાત ભલે અહીં ગુજરાતી ગીતોની જ કરીએ છીએ, પરંતુ સાહિત્યિક મૂલ્ય ધરાવતાં ગુલઝારનાં ચાંદ ગીતો અપવાદરૂપે આજે યાદ કરવાં જ પડે. ગુલઝારની કવિતામાં ચાંદ વગર કામ ના ચાલે. ચાંદ અને ચાંદની વિના એમની કવિતા અધૂરી. ગુલઝારે ચાંદને અનેક વાર યાદ કર્યો છે. જાણે એમની ઇચ્છાઓ અને આકાંક્ષાઓનું એ પ્રતિબિંબ છે. ગુલઝારનો ચાંદ બહુરૂપી છે. ચાંદ દ્વારા એમણે અગણિત સંભાવનાઓ અને બહુઆયામી વ્યક્તિત્વ ઉજાગર કર્યા છે. બેસબબ મુસ્કુરા રહા હે ચાંદ કોઈ સાઝિશ છૂપા રહા હૈ ચાંદ, જાને કિસ કી ગલી સે નિકલા હૈ, ઝેપા ઝેપા સા રહા હૈ ચાંદ ….! ઉપરાંત, કોસા કોસા લગતા હૈ, તેરા ભરોસા લગતા હૈ, રાતને અપની થાલી મેં, ચાંદ પરોસા લગતા હૈ … તો સર્વોત્તમ છે. ગુલઝારનાં ગીતો યાદ કરો, મુખડા-અંતરામાં ક્યાંક તો ચાંદ છુપાયો જ હોય છે. જેમ કે, એમનું સૌપ્રથમ ફિલ્મી ગીત મોરા ગોરા અંગ લઈ લે..ની પંક્તિ છે, બદરી હટા કે ચંદા, ચૂપકે સે ઝાંકે ચંદા …, તેરે બિના જિંદગી સે શિકવા તો નહીં ગીતમાં એક પંક્તિ આવે છે : તુમ જો કહ દો તો આજ કી રાત ચાંદ ડૂબેગા નહીં, રાત કો રોક દો …! બીતી ના બિતાઈ રૈના..ની એક પંક્તિ છે ચાંદ કી બિંદી વાલી, બિંદી વાલી રતિયા … તથા મેરા કુછ સામાન … ગીતની અકલ્પનીય તુલના તો જુઓ! એકસો સોલહ ચાંદ કી રાતેં ઓર તુમ્હારે કાંધે તિલ..! વાહ, કયા બાત હૈ! ગુલઝારે તેમના બે કાવ્યસંગ્રહનાં શીર્ષકોને પણ એક સુંદર પંક્તિમાં ખૂબસૂરત રીતે સમાવ્યા છે : એક સબબ મરને કા એક તલબ જીને કી, ચાંદ પુખરાજ કા, રાત પશ્મીને કી..!

ચાંદનાં ચાંદરણામાં વહી જવાય એવાં સુંદર કાવ્યો અને ગીતો આપણા સાહિત્યનું અભિન્ન અંગ છે. ચાંદની રાતે સ્ત્રી-પુરુષનું મન એકબીજાંને મળવા આતુર થઈ જાય છે. સ્ત્રી માટે પ્રેમસંબંધ ડાયરીના અંગત પાનાં જેવો છે. એને એ સાચવી, સંગોપી રાખે છે અને મન થાય ત્યારે પ્રેમનું પાનું ઉઘાડીને ચૂમી લઈ, વહાલ વરસાવી અને ક્યારેક આંસુનો છંટકાવ કરીને પાછું મનના કબાટમાં મૂકી દે છે. વિરહિણી માટે પૂનમનો ચાંદ હૃદયમાં વિરહ વેદના જગાવે છે. પ્રેમથી મોટું કોઈ બંધન નથી અને પ્રેમથી વધીને કોઈ આઝાદી નથી. પ્રેમી જે જુએ એટલું જ જોઈ શકાય.

રૂપલે મઢી છે ગીતમાં નાયિકા એટલે જ કહે છે કે રૂપાળી, ટપકિયાળી ભાત સમી રાત છે એટલે સવાર, તું જરા આઘી જ રહેજે. પ્રિયતમ સાથેના પ્રલંબ પ્રેમાલાપને મારે અધવચ્ચે નથી અટકાવી દેવો. શરદપૂનમની જ વાત નીકળી છે તો અન્ય એક સુંદર ગીતનો ઉલ્લેખ જરૂરી છે. લોકગીત અને ગરબાની કક્ષાએ પહોંચી ગયેલું અવિનાશ વ્યાસનું ગીત, આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો, કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો .. લાજવાબ ગીત છે. લતા મંગેશકરના મીઠા અવાજમાં આ ગીતનું માધુર્ય વધુ નિખરી ઊઠે છે. તારા રે નામનો છેડ્યો એકતારો, હું તારી મીરાં તું ગિરધર મારો .. પંક્તિઓ દ્વારા નારી હૃદયની સમર્પિતતા પૂર્ણપણે અહીં પ્રગટ થઈ છે. અન્ય સુંદર ગીત છે રૂપા મઢેલ રાતડી ને ટમ ટમ ટમ તારા ..! રાત અને ચાંદની જુગલબંદી રાતભર ચાલી શકે એમ છે.

સાહિર લુધિયાનવીનું એક એવું જ રોમેન્ટિક ગીત અભી ના જાઓ છોડ કર કે દિલ અભી ભરા નહીં ..ને પણ આ પ્રકારનાં ગીતોની સમકક્ષ મૂકી શકાય. સિતારે ઝિલમિલા ઊઠે, ચરાગ જગમગા ઊઠે, બસ અબ ના મુઝ કો ટોકના, ન બઢ કે રાહ રોકના, અગર મૈં રૂક ગઈ અભી, તો જા ન પાઉંગી કભી, જો ખત્મ હો કિસી જગહ યે ઐસા સિલસિલા નહીં …! અહીં પણ અધૂરી આસ અને અધૂરી પ્યાસ છોડીને ન જવાની પ્રિયજનની વિનંતી જ છે.

આવાં સુંદર ગીતોનો ફાયદો એ છે કે જે લાગણી પ્રિયજન સમક્ષ વ્યક્ત ન કરી શકાતી હોય એ આ ગીતોની અદ્ભુત પંક્તિઓ દ્વારા વ્યક્ત થઈ જાય છે. અને છેલ્લે, સુપ્રસિદ્ધ ગીતકાર-સંગીતકાર નિનુ મઝુમદારની શરદ ઋતુની રાતની અદ્ભુત કાવ્યમય અભિવ્યક્તિના ઉલ્લેખ વિના લેખ અધૂરો જ ગણાય. ગુજરાતી કાવ્ય સૃષ્ટિમાં શાશ્વત સ્થાન પામેલી આ રચના એમનાં દીકરી મીનળ પટેલના અવાજમાં સાંભળવી એ અદ્ભુત લ્હાવો. એ કાવ્યના અંશ સાથે લેખ પૂરો કરી શારદીય ગરબા-ગીત લેખમાળાનું સમાપન કરીએ:

ગરબા-ગીત લેખમાળાનું સમાપન કરીએ :

એક સુસ્ત શરદની રાતે

આળસ મરડી રહી’તી ક્ષિતિજે ને વ્યોમ બગાસું ખાતું હતું;
આંખો ચોળી નિદ્રાભારે પાંપણ પલકાવતી તારલીઓ,
ભમતી’તી આછી વાદળીઓ કંઈ ધ્યેય વિના અહીંયા ત્યહીંયાં;
ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી.

એક સુસ્ત શરદની રાતે
ત્યાં મંદ પવન લ્હેરાયો,
ડાળે પંખી બેચેન થયાં, જરી ઘેનભરી કચકચ કીધી
એક બચ્ચુ હરણનું બેઠું થયું હળવેથી ડોક ખણી લીધી,
મૃગલીએ પાસું બદલીને નિજ બાળનું શિર સૂંઘી લીધું,
ને ભીરુ સસલું ચમકીને બેચાર કદમ દૂર દોડી ગયું.

એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લ્હેરાયો,
ચંપાએ ઝૂકી કાંઈ કહ્યું મધુમાલતીના કાનોમાં;
મધુમાલતી બહુ શરમાઈ ગઈ
અને ઝૂમખે ઝૂમખે લાલ થઈ
ને ચંપો ખડખડ હસી પડ્યો.
ભ્રૂભંગ કરી રહી વૃક્ષઘટા,
કંઈ ફૂલ બકુલનાં કૂદી પડ્યાં મધુવનની ક્યારી ક્યારીએ,
માંડી કૂથલી ઉશ્કેરાઈ ને ચકિત થઈ ગભરુ કળીઓ
ગુલબાસ જૂઈ ગણગણી ઊઠ્યાં,
દર્ભે ડમરાને ગલી કરી,
ને વૃદ્ધ પીપળો ડોકું ધુણાવી ગયો સમય સંભારી રહ્યો.

એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લહેરાયો,
કાઢીને અંચલ મેઘ તણો દિગ્વધૂપ અંગો લૂછી રહી,
જોવા શશિરાજ ચઢ્યો ગગને, અણજાણને ઈચ્છા જાગી ગઈ;
ક્યહીંથી અણદીઠો સ્નેહ ઝર્યો પ્રસ્વેદ ફૂટ્યો પાને પાને,
સૂતેલી કલાન્ત પ્રગલ્ભ ધરાને રૂપેરી રોમાંચ થયો,
એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લહરાયો.

https://www.youtube.com/watch?v=JCFLgPuipKU

—————————

રૂપલે મઢી છે સારી રાત રે સજન

એનુ ઢૂંકડું ન હોજો પ્રભાત

સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો
હજી આદરી અધૂરી વાત
રૂપલે મઢી છે સારી રાત રે સજન

વેળા આવી તો જરા વેણ નાખો વાલમા
એક જરા મોંઘેરું કહેણ નાખો વાલમા
ફેણ રે ચઢાવી ડોલે અંધારા દૂર દૂર .. દૂર દૂર ..

એની મોરલીના સૂરે કરું વાત રે …
રૂપલે મઢી છે સારી રાત રે સજન

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં
કેવા રે મોહાબ્બતનાં તાણ જરા જોઈ લઉં
મારા કિનારા રહો દૂર નિત દૂર દૂર .. દૂર દૂર ..

રહો મજધારે મારી મુલાકાત રે …
રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનુ ઢૂંકડું ન હોજો પ્રભાત

• ગીત : હરીન્દ્ર દવે • સંગીત : દિલીપ ધોળકિયા  • સ્વર : લતા મંગેશકર

https://www.youtube.com/watch?v=MPAO8mgfFr4

—————————

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 25 અૉક્ટોબર 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=441555

Loading

...102030...2,9582,9592,9602,961...2,9702,9802,990...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved