Opinion Magazine
Number of visits: 9578829
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સબરીમાલા ચુકાદાનો વિરોધ : પુરુષપ્રધાન માનસ અને હિન્દુત્વનાં રાજકારણ દ્વારા સ્ત્રીનું અપમાન

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|26 October 2018

સબરીમાલાના ચુકાદા-વિરોધી માનસ ધર્મ અને પરંપરાની દુહાઈ દઈને સતી કે કન્યાભ્રૂણહત્યાને વાજબી ઠરાવવાની હદે જઈ શકે એવી સંભાવના નકારી ન શકાય.

કેરળનાં સબરીમાલા મંદિરમાં દસથી પચાસ વર્ષની રજસ્વલા સ્ત્રીઓ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ ગેરકાયદેસર ઠરાવીને સર્વોચ્ચ અદાલતે ફરી એક વાર આધુનિક દુનિયામાં હોવું જ જોઈએ તેવું પ્રગતિશીલ પગલું ભર્યું છે. પણ તેનો રસ્તા પર વિરોધ કરીને સ્ત્રી-પુરુષોનો એક વર્ગ તેમ જ  દેશ પર  શાસન કરનાર ભારતીય જનતા પક્ષ (ભા.જ.પ.) ધર્મ અને પરંપરાનાં નામે પછાત સ્ત્રીવિરોધી પુરુષસત્તાક માનસનું પ્રદર્શન કરી રહ્યાં છે. આ લોકો એ જ ધર્મ અને પરંપરાની દુહાઈ દઈને સતી કે કન્યાભ્રૂણહત્યાને વાજબી ઠરાવવાની હદે જઈ શકે એવી સંભાવના નકારી ન શકાય. ભા.જ.પ. દ્વારા કરવામાં આવેલા વિરોધને ટેકો આપીને કૉન્ગ્રેસ ફરીથી તથાકથિત સૉફ્ટ હિન્દુત્વ અપનાવી રહી છે. ધર્મસત્તાની શેહ સ્વીકારીને તે શાહબાનોના કિસ્સામાં દેશનાં સેક્યુલરિઝમને  કાયમી નુકસાન કરી ચૂકી છે. કેરળની ડાબેરી રાજ્ય સરકાર સક્રિય બનવામાં અક્ષમ્ય વિલંબ કરીને નિષ્ફળ સાબિત થઈ રહી છે. આમ આદમી પાર્ટી, દલિત પક્ષો અને શક્તિશાળી પ્રાદેશિક પક્ષોએ ભાગ્યે જ પ્રતિભાવ આપ્યો છે. રાજકીય પક્ષો સામાજિક સુધારાની પડખે ન રહે તે ચિંતાજનક બાબત છે. નાગરિક સમાજ કહેતાં નારીવાદી કે માનવાઅધિકાર સંગઠનો સબરીમાલાના કિસ્સામાં લગભગ ચૂપ છે. તાજેતરમાં ‘અર્બન નક્સલ’ ગણાતાં કર્મશીલોની ધરપકડ, કથૂઆ કે નિર્ભયા અત્યાચાર, શનિશિંગણાપુર મંદિર કે હાજી અલી દરગાહમાં પ્રવેશ પ્રતિબંધનાં વિરોધમાં દેખાવ કરનારની જાગૃતિ સબરીમાલામાં ગેરહાજર જણાય છે.

આ બધાંની વચ્ચે કેરળની સ્ત્રીઓ સીધી રીતે, અને પરોક્ષ રૂપે એકંદર ભારતીય સ્ત્રી ગૌરવહનન વેઠી રહી છે. સબરીમાલાના ઝાડીવાળા ટેકરિયાળા વિસ્તારમાં વરુઓ સસલાં પર કે સુરક્ષાદળો ખૂંખાર આતંકવાદીઓ પર નજર રાખે તેમ, નરોનાં ટોળાં સ્ત્રીઓ પર જાપ્તો રાખી રહ્યાં છે. મલયાલમ અભિનેતા કોલ્લમ તુલસીએ તો ભા.જ.પે. કોલ્લમ ખાતે યોજેલી એક જાહેર સભામાં એમ કહ્યું કે સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરતી સ્ત્રીઓના બે ટુકડા કરીને એક ટુકડો કેરળના મુખ્યમંત્રીની કચેરીમાં અને બીજો દિલ્હી મોકલવોજોઈએ. ચૂકાદા-વિરોધીઓનો બદઇરાદો મંદિરમાં જવા ધારતી સ્ત્રીઓને અટકાવવાનો છે. આ નારીવિરોધી નરો, દેશની સર્વોચ્ચ અદાલતે મહિલાઓને આપેલો અધિકાર પ્રત્યક્ષમાં બનાવવાનું વિચારી રહેલી સ્ત્રીઓને પરંપરા અને અવૈજ્ઞાનિકતાના હથિયારોથી અટકાવી રહ્યા છે. વિજ્ઞાને અસાધારણ પ્રગતિ કરી હોય તેવા જમાનામાં પણ, માસિક ધર્મ નામની પ્રજનન સાથે સંકળાયેલી હોવાથી ઉમદા, શારિરીક રીતે પીડાકારક અને માનસિક રીતે બહુ જ સંકુલ એવી કુદરતી દૈહિક પ્રક્રિયાને અપવિત્રતા તેમ જ આભડછેટનો મામલો બનાવીને તેની પર બેહૂદો જાહેર વિવાદ કરવો એ કોઈપણ સભ્ય સમાજ માટે બહુ જ શરમજનક બાબત ગણાય.

ચુકાદાનો વિરોધ કરનાર સંગઠનો કેરળની ડાબેરી સરકારને ગાંઠી રહ્યાં નથી. એક મહિલા પત્રકાર અને એક કર્મશીલને છેક મંદિરના દરવાજે પોલીસ રક્ષણ હેઠળ લઈ જઈને દર્શન વિના પાછી લાવવી પડી છે. ચુકાદા પર રિવ્યૂ પીટિશન નહીં કરવામાં સરકાર મક્કમ રહી છે. પણ મંદિરનો વહીવટ કરનાર  ત્રાવણકોર દેવસ્વમ બોર્ડમાં સરકારે જ ઑર્ડિનન્સથી નિમેલા માર્ક્સિસ્ટ પ્રમુખ એ. પદ્મકુમાર તો એક તબક્કે  રિવ્યૂ  પીટિશન માટે તૈયાર પણ થયા હતા. આ પહેલાં પણ એક વાર સી.પી.આઇ.(એમ.)એ સબરીમાલા પ્રતિબંધ અંગે ઢીલું વલણ અપનાવ્યું હતું, અને વિરોધને પગલે વળી પાછી કડક ભૂમિકા લીધી હતી.

સરકારને ચુકાદાની તારીખ અને મંદિરપ્રવેશના સમયગાળાની ઠીક આગોતરી જાણ હતી,  છતાં કાયદો અને વ્યવસ્થા અંગે ઢીલી રહી છે. સરકાર ધારે તો સખત વિરોધ સામે કડક હાથે પગલાં લઈને કાયદાનું કે બંધારણનું પાલન કરાવી શકે છે. લાલુ પ્રસાદે ઑક્ટોબર 1990માં રામરથયાત્રા કાઢવા માટે અડવાણીની બિહારમાં અને મુલાયમ સિંગ યાદવે ઉત્તર પ્રદેશમાં ભા.જ.પ.ના હજારો કાર્યકર્તાઓની ધરપકડો કરી હતી. ઉત્તર પ્રદેશની સરકારે ઑગસ્ટ 2013 માં સૂચિત ‘ચોર્યાસી કોશી પરકમ્મા યાત્રા’  પહેલાં અયોધ્યામાંથી ધરપકડ કરી હતી. મહુવા આંદોલનના ભાગ રૂપે ડૉ. કનુભાઈ કલસરિયાએ ફેબ્રુઆરી 2013માં અમદાવાદથી ગાંધીનગર તરફ યોજેલી વિરોધ-રેલીને સરકારે સાબરમતી આશ્રમ આગળ જ આગેવાનોને અટકાયતમાં  લઈને રોકી લીધી હતી. આનંદીબહેન પટેલે અનામતને અનુમતિ આપી ન હતી, તાજેતરમાં હાર્દિક પટેલને સરકારે જાહેર જગ્યાએ ઉપવાસ કરવા દીધા ન હતા. ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થવા ન દેવું એ તો સરકારની વરસોથી તાસીર રહી છે. લોકોની માગણી સાચી હોય અને ખુદ ખોટી હોય ત્યારે પણ સરકાર તંત્રને કામે લગાડીને વિરોધને ડામી શકતી હોય છે. કેરળમાં તો સરકારે સર્વોચ્ચ અદાલતના મૂળભૂત રીતે માનવતાવાદી ચુકાદાનું પાલન કરાવવાનું છે. આ કામ અત્યાચાર-હિંસાચાર વિના થાય એ રીતે કરવાની કોશિશ એની કસોટી છે. જો આ ધ્યેયની નજીક પણ એ ન પહોંચે તો સ્ટેટ કહેતાં રાજ્યસત્તા શા કામની એવો સવાલ ઊભો થાય છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે સબરીમાલા મંદિરમાં રજસ્વલા મહિલાઓ પરનો પ્રતિબંધ ખરેખર પ્રાચીન છે કે કેમ એ અંગે પણ અભ્યાસીઓમાં અલગ અલગ મંતવ્યો પ્રવર્તે છે. વળી, કેરાલાની સ્ત્રીઓ માટે આ પહેલવહેલી લડત નથી. પછાત ગણાતા વર્ગની સ્ત્રીઓ શરીરના ઉપરના હિસ્સામાં વસ્ત્ર પહેરવાની મનાઈના વિરોધમાં 1813થી પચાસેક વર્ષ સંઘર્ષ ચાલ્યો  હતો !

સબરીમાલા ચુકાદાની સામે પડવામાં ભા.જ.પ. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સ્ત્રીવિરોધી પ્રતિગામી શીલ ફરીથી એક વાર ખુલ્લી પડી ગયું છે. ટ્રિપલ તલાકના મુદ્દે આ બંનેએ મુસ્લિમ મહિલાઓના તારણહાર તરીકે પોતાની છાપ ઉપસાવી હતી. તેણે  ટ્રિપલ તલાક વખતે મુસ્લિમ સ્ત્રીઓને બંધારણે બક્ષેલો મૂળભૂત અધિકાર મુસ્લિમ ધર્મની પરંપરાઓ કરતાં સર્વોપરી ગણાવ્યો હતો. એ જ રીતે તેણે સબરીમાલામાં પણ હિંદુ સ્ત્રીઓના મંદિરપ્રવેશના મૂળભૂત અધિકારને ધાર્મિક રૂઢિઓ કરતાં સર્વોપરી ગણવો જોઈએ. જો ભા.જ.પ. આ ન સ્વીકારતો  હોય તો એમ ફલિત થાય છે કે તે જેન્ડરની બાબતમાં મુસ્લિમ અને હિન્દુ સ્ત્રીઓ માટે એક સરખો કાયદો હોવાનું સ્વીકારતો નથી.

આ મુદ્દો કરીને જાણીતા વિશ્લેષક સ્વામિનાથન ઐયર સંઘના વડા મોહન ભાગવતને કહે છે કે આ સંજોગોમાં જાતિય સતામણીમાં કાયદા માત્ર એમ.જે. અકબરને જ લાગુ પડવા જોઈએ અને આર.કે. પચૌરીને નહીં, એ અંગે તેમણે સ્પષ્ટતા કરવી ઘટે. તાજેતરમાં ઉન્નાઓ અને કથૂઆ અત્યાચારના કિસ્સામાં સત્તાધારી ભા.જ.પ. હવસખોરોનો અને તેમના બચાવકારોનો ટેકેદાર રહ્યો છે. ગુજરાતમાં નાલિયાકાંડમાં પણ ભા.જ.પ.ના સભ્યો વિવાદાસ્પદ થઈ ચૂક્યા છે.

અસોસિએશન ઑફ ડેમૉક્રેટિક રિફૉર્મ્સ (એ.ડી.આર.) અને ઇલેક્શન વૉચ અભ્યાસજૂથોએ એપ્રિલમાં બહાર પાડેલાં જાણીતાં સર્વેક્ષણ મુજબ સ્ત્રીઓ સંબંધિત ગુનાઓના આરોપીઓમાં સહુથી વધુ સંખ્યા ભા.જ.પ.ના ધારાસભ્યો અને સાંસદોની છે, તેના પછી અન્ય પક્ષો પણ છે. એમ.જે. અકબરના કેસમાં પક્ષે કોઈ ઠોસ ભૂમિકા લીધી નથી. હવે આ પક્ષ સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ આપવાના સર્વોચ્ચ અદાલતના ચુકાદાની સામે પડ્યો છે. એને એ પરંપરા અને ધર્મરક્ષાનાં વાઘાં પહેરાવી રહ્યો છે. તામિલનાડુના જલ્લિકુટ્ટુના વિવાદમાં લોકોની જીત થઈ હતી, પણ એમાં વેઠવાનું પ્રાણીઓને હતું.

સબરીમાલાના કિસ્સામાં લોકમત સર્વોચ્ચ અદાલતના ચુકાદા કરતાં વધુ પ્રબળ બને તો આ દેશમાં પુરુષોનો એક વર્ગ મહિલાઓ ફરજિયાત ખૂણો પાળે એવી ફરીથી અપેક્ષા રાખતો થાય તેવા દિવસો દૂર નથી.

******

25 ઑક્ટોબર 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 26 ઑક્ટોબર 2018

Loading

અમને ચોમેરથી સુવિચારો ને સદ્દભાવ પ્રાપ્ત થાઓ

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|26 October 2018

અમને ચોમેરથી સુવિચારો ને સદ્દભાવ  પ્રાપ્ત થાઓ.
અમારાં બધાં દ્વાર અને વાતાયન એને માટે ખુલ્લા રહો!
આ ઉપનિષદી સત્ય તો આપણું શાશ્વત્‌ સત્ય …..
હવે કેમ કોઈ ખૂબસૂરત હવાનો વાયરો વાતો નથી?
આનંદ અને ઉમંગનો માહોલ આવો તે કેવો બની રહ્યો છે?
અનેકતામાં એકતા હવે અરાજકતામાં કેમ પલટાઈ રહી છે?
હળીમળીને રહેનારાં ટોળું કેમ બની રહ્યાં છે?
ટોળામાંનો માણસ માણસાઈ કેમ ભૂલી રહ્યો છે?
એ કયાં ગુમ થઈ રહ્યો છો?
ગુમનામ થવાથી એ બેખબર કેમ છે?
આ ટોળાં પર શાનો ઉન્માદ સવાર થઈ રહ્યો છે?
ને ટોળું આટલું બિહામણું કેમ લાગી રહ્યું છે?
ટોળાંમાં આટલો ઘોંઘાટ કેમ છે?
ડાહ્યાંડમરાં ક્યાં ગયાં? તેઓ કેમ મૂકબધિર બની ગયાં?
એમનો ‘અવાજ ‘ ઘોંઘાટમાં સંભળાતો નથી?
કે એમની ‘વાચા’ હણાઈ ગઈ છે?
કે ‘અસ્તિત્વ’ જ રહ્યું નથી?
હવાપાણી કેમ બંધિયાર ભાસે છે?
શું કહ્યું?
સઘળાં  દ્વાર ને વાતાયન બંધ છે?
પણ આ બારણે તાળાં કોણે મરાવ્યાં?
ને આ બારીઓ આમ જડબેસલાક બંધ કોણે કરાવી દીધી?
………………..
હેં?
કેમ?
…………..
કેટકેટલા પ્રશ્નો? કોઈ તો જવાબ આપો!
ચોતરફ આવી નીરવ શાંતિ કેમ છે?
કોઈ તો જવાબ આપો?
‘કોઈ તો બોલો?’
ટોળાંમાં આટલો ઘોંઘાટ કેમ છે?
બોલના મના હૈ!

Loading

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|25 October 2018

હૈયાને દરબાર

પૂનમની રાત એ દિવ્ય રાત્રિ. કુદરતની કવિતાનું નિતાંત સૌંદર્ય. શરદ પૂનમ હજુ બે દિવસ પહેલાં જ ઉજવાઈ, એટલે ચંદ્ર-તારા મંડિત રાતનું વર્ણન કરતાં ગીતોની જ વાત કરાય ને!

ચંદ્રનું મને જબરજસ્ત આકર્ષણ છે. પૂનમની રાતે ચાંદને ટગર ટગર જોયા કરવાનું ખૂબ ગમે. એમાં ય કોઈ અદ્ભુત કુદરતી સ્થળે પૂનમનો ચાંદ સત્સંગ કરવા આવી જાય, એ તો સોને પે સુહાગા! એવું કેટલી ય વાર બન્યું છે કે ભારતનું લેહ-લદાખ હોય કે સ્વિટ્ઝર્લેન્ડનો આલ્પ્સ પર્વત, યોગાનુયોગે જે બેસ્ટ જગ્યાએ હું હોઉં ત્યાં ચાંદો ગુફ્તગૂ કરવા આવી જ ગયો હોય. યાદ આવે છે ભેડાઘાટની. મધ્ય પ્રદેશનું એ અપ્રતિમ સ્થળ છે. આરસની ચટ્ટાનો વચ્ચેથી વહેતી નર્મદા અને માથે પૂર્ણ ચંદ્રનું અજવાળું હોય એનાથી સર્વોત્તમ રાત્રિ કોઈ હોઈ શકે?

એવી જ એક સુંદર મજાની ચાંદની રાતે અમે નર્મદામાં નૌકા વિહાર કરી રહ્યાં હતાં અને એક સુંદર ગીત યાદ આવી ગયું. એ ગીત હતું રૂપલે મઢી છે સારી રાત રે સજન, એનું ઢુંકડૂં ન હોજો પરભાત. સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો, હજી આદરી અધૂરી મારી વાત રે …! પછી તો ચાંદ પરનાં ગીતોની મહેફિલ જામી. આધા હૈ ચંદ્રમા રાત આધી, રહ ન જાયે તેરી મેરી બાત આધી, તૂ ચંદા મૈં ચાંદની, દેખો વો ચાંદ છૂપ કે કરતા હૈ ક્યા ઈશારે જેવાં કેટલાં ય ચંદ્ર ગીતો ચાંદની રાતને ઓર રંગીન બનાવી ગયાં. ચાંદની રાત ખાસ કરીને સ્ત્રી હૃદયમાં અનોખા ભાવ સ્પંદનો જગાવે છે. પ્રિયજનનો સાથ હોય, તો પૂનમની રાત જાણે મધુરજની જ બની જાય!

પૂર્ણ ચંદ્રનું અજવાળું નર્મદાનાં નીરમાં પ્રકાશ પાથરી રહ્યું હતું અને એ રોમાંચક ઘડીઓમાં આ અત્યંત રોમેન્ટિક ગીતો મન પર સવાર હતાં, પરંતુ આપણે અહીં મુખ્ય વાત કરવાની છે એવાં જ પ્રણયભીનાં ગુજરાતી ગીતોની. ગુજરાતી સુગમ સંગીતનાં સર્વોત્તમ રોમેન્ટિક ગીતોમાં અગ્રક્રમે આવી શકે એવા રાગ મિશ્ર પહાડી પર આધારિત આ ગીત, રૂપલે મઢી છે સારી રાત…માં નારી સંવેદનાની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ છે.

લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં, લતા મંગેશકરે ગાયેલાં ફિલ્મી ગીતોની એલ.પી.માં, દિલીપ ધોળકિયાએ સ્વરબદ્ધ કરેલું એક માત્ર ગુજરાતી ગીત લેવાયું હતું એ ગીત તે રૂપલે મઢી છે સારી રાત. કવિ હરીન્દ્ર દવેના શબ્દો, દિલીપભાઈનું સંગીત અને લતાજીના અવાજે આ ગીતમાં કેવી કમાલ કરી હશે કે હિન્દી ગીતોની એલ.પી.માં આ ગુજરાતી ગીત લેવાયું! રૂપેરી રાતનું સૌંદર્ય કે સોળે કળાએ ખીલેલી ચાંદની રેલાવતી ધવલ નિશાની મોહિનીથી ઋજુ હૃદય કવિ મુક્ત રહી શકતા નથી. શરદઋતુની ચાંદની ખીલી હોય ત્યારે મન પર કાબૂ રાખવો કેટલો મુશ્કેલ હોય એ તો કોઈક કવિને અથવા પ્રેમીને જઈને જ પૂછવું પડે. નવરાત્રી પછીની શરદ પૂનમનું હિન્દુ શાસ્ત્રમાં ખૂબ મહત્ત્વ છે. ચાંદને સૌંદર્ય સાથે સરખાવાય છે. ચાંદની રાતે ચાંદ-ચકોરીનું મિલન એ પ્રેમની પરાકાષ્ઠા ગણાય છે. નિરભ્ર રાત્રિની શુભ્ર ચાંદની પ્રેમીઓના મિલનને તેજોમય બનાવે છે.

કાકાસાહેબ કાલેલકરે એક સ્થાને લખ્યું છે કે, "ચાંદની રાતે ગરીબ-તવંગરનો ભેદ કર્યા વિના કુદરત વૃક્ષોની નીચે એના ગાલીચા પાથરી દે છે. ઝાડનાં પાંદડાં હાલવા માંડે ત્યારે જમીન પર પથરાયેલા ગાલીચા જીવતાં થઈને વધારે જ શોભી ઊઠે છે. એક રસિક સંસ્કૃત કવિએ તો ચાંદરણાનું વર્ણન કરતા કમાલ કરી હતી. બિલાડીના ગાલ-મૂછ પર ચાંદની રાતનો પ્રકાશ પડતાં એ દૂધ જ છે એમ માની બિલાડીએ તેને ફરી ફરી ચાટવાનો સપાટો ચલાવ્યો હતો. પૂનમને દિવસે આકાશ ધોવાઈ-લૂછાઈને સાફ થયેલું હોય છે. ચંદ્ર વિશેષ પ્રસન્ન હોય છે અને પાગલ મનને વધુ ઘેલું બનાવે છે. ચાંદની રાત એટલે કાવ્યમય ગાંડપણનો ઉત્સવ. ડાહ્યા માણસોએ પસંદ કરેલું ગાંડપણ અને પાગલોર્મિનો મુશળધાર વરસાદ!”

ચાંદની વાત આવે ત્યારે ગુલઝાર સાહેબ યાદ આવ્યા વિના રહે નહીં. વાત ભલે અહીં ગુજરાતી ગીતોની જ કરીએ છીએ, પરંતુ સાહિત્યિક મૂલ્ય ધરાવતાં ગુલઝારનાં ચાંદ ગીતો અપવાદરૂપે આજે યાદ કરવાં જ પડે. ગુલઝારની કવિતામાં ચાંદ વગર કામ ના ચાલે. ચાંદ અને ચાંદની વિના એમની કવિતા અધૂરી. ગુલઝારે ચાંદને અનેક વાર યાદ કર્યો છે. જાણે એમની ઇચ્છાઓ અને આકાંક્ષાઓનું એ પ્રતિબિંબ છે. ગુલઝારનો ચાંદ બહુરૂપી છે. ચાંદ દ્વારા એમણે અગણિત સંભાવનાઓ અને બહુઆયામી વ્યક્તિત્વ ઉજાગર કર્યા છે. બેસબબ મુસ્કુરા રહા હે ચાંદ કોઈ સાઝિશ છૂપા રહા હૈ ચાંદ, જાને કિસ કી ગલી સે નિકલા હૈ, ઝેપા ઝેપા સા રહા હૈ ચાંદ ….! ઉપરાંત, કોસા કોસા લગતા હૈ, તેરા ભરોસા લગતા હૈ, રાતને અપની થાલી મેં, ચાંદ પરોસા લગતા હૈ … તો સર્વોત્તમ છે. ગુલઝારનાં ગીતો યાદ કરો, મુખડા-અંતરામાં ક્યાંક તો ચાંદ છુપાયો જ હોય છે. જેમ કે, એમનું સૌપ્રથમ ફિલ્મી ગીત મોરા ગોરા અંગ લઈ લે..ની પંક્તિ છે, બદરી હટા કે ચંદા, ચૂપકે સે ઝાંકે ચંદા …, તેરે બિના જિંદગી સે શિકવા તો નહીં ગીતમાં એક પંક્તિ આવે છે : તુમ જો કહ દો તો આજ કી રાત ચાંદ ડૂબેગા નહીં, રાત કો રોક દો …! બીતી ના બિતાઈ રૈના..ની એક પંક્તિ છે ચાંદ કી બિંદી વાલી, બિંદી વાલી રતિયા … તથા મેરા કુછ સામાન … ગીતની અકલ્પનીય તુલના તો જુઓ! એકસો સોલહ ચાંદ કી રાતેં ઓર તુમ્હારે કાંધે તિલ..! વાહ, કયા બાત હૈ! ગુલઝારે તેમના બે કાવ્યસંગ્રહનાં શીર્ષકોને પણ એક સુંદર પંક્તિમાં ખૂબસૂરત રીતે સમાવ્યા છે : એક સબબ મરને કા એક તલબ જીને કી, ચાંદ પુખરાજ કા, રાત પશ્મીને કી..!

ચાંદનાં ચાંદરણામાં વહી જવાય એવાં સુંદર કાવ્યો અને ગીતો આપણા સાહિત્યનું અભિન્ન અંગ છે. ચાંદની રાતે સ્ત્રી-પુરુષનું મન એકબીજાંને મળવા આતુર થઈ જાય છે. સ્ત્રી માટે પ્રેમસંબંધ ડાયરીના અંગત પાનાં જેવો છે. એને એ સાચવી, સંગોપી રાખે છે અને મન થાય ત્યારે પ્રેમનું પાનું ઉઘાડીને ચૂમી લઈ, વહાલ વરસાવી અને ક્યારેક આંસુનો છંટકાવ કરીને પાછું મનના કબાટમાં મૂકી દે છે. વિરહિણી માટે પૂનમનો ચાંદ હૃદયમાં વિરહ વેદના જગાવે છે. પ્રેમથી મોટું કોઈ બંધન નથી અને પ્રેમથી વધીને કોઈ આઝાદી નથી. પ્રેમી જે જુએ એટલું જ જોઈ શકાય.

રૂપલે મઢી છે ગીતમાં નાયિકા એટલે જ કહે છે કે રૂપાળી, ટપકિયાળી ભાત સમી રાત છે એટલે સવાર, તું જરા આઘી જ રહેજે. પ્રિયતમ સાથેના પ્રલંબ પ્રેમાલાપને મારે અધવચ્ચે નથી અટકાવી દેવો. શરદપૂનમની જ વાત નીકળી છે તો અન્ય એક સુંદર ગીતનો ઉલ્લેખ જરૂરી છે. લોકગીત અને ગરબાની કક્ષાએ પહોંચી ગયેલું અવિનાશ વ્યાસનું ગીત, આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો, કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો .. લાજવાબ ગીત છે. લતા મંગેશકરના મીઠા અવાજમાં આ ગીતનું માધુર્ય વધુ નિખરી ઊઠે છે. તારા રે નામનો છેડ્યો એકતારો, હું તારી મીરાં તું ગિરધર મારો .. પંક્તિઓ દ્વારા નારી હૃદયની સમર્પિતતા પૂર્ણપણે અહીં પ્રગટ થઈ છે. અન્ય સુંદર ગીત છે રૂપા મઢેલ રાતડી ને ટમ ટમ ટમ તારા ..! રાત અને ચાંદની જુગલબંદી રાતભર ચાલી શકે એમ છે.

સાહિર લુધિયાનવીનું એક એવું જ રોમેન્ટિક ગીત અભી ના જાઓ છોડ કર કે દિલ અભી ભરા નહીં ..ને પણ આ પ્રકારનાં ગીતોની સમકક્ષ મૂકી શકાય. સિતારે ઝિલમિલા ઊઠે, ચરાગ જગમગા ઊઠે, બસ અબ ના મુઝ કો ટોકના, ન બઢ કે રાહ રોકના, અગર મૈં રૂક ગઈ અભી, તો જા ન પાઉંગી કભી, જો ખત્મ હો કિસી જગહ યે ઐસા સિલસિલા નહીં …! અહીં પણ અધૂરી આસ અને અધૂરી પ્યાસ છોડીને ન જવાની પ્રિયજનની વિનંતી જ છે.

આવાં સુંદર ગીતોનો ફાયદો એ છે કે જે લાગણી પ્રિયજન સમક્ષ વ્યક્ત ન કરી શકાતી હોય એ આ ગીતોની અદ્ભુત પંક્તિઓ દ્વારા વ્યક્ત થઈ જાય છે. અને છેલ્લે, સુપ્રસિદ્ધ ગીતકાર-સંગીતકાર નિનુ મઝુમદારની શરદ ઋતુની રાતની અદ્ભુત કાવ્યમય અભિવ્યક્તિના ઉલ્લેખ વિના લેખ અધૂરો જ ગણાય. ગુજરાતી કાવ્ય સૃષ્ટિમાં શાશ્વત સ્થાન પામેલી આ રચના એમનાં દીકરી મીનળ પટેલના અવાજમાં સાંભળવી એ અદ્ભુત લ્હાવો. એ કાવ્યના અંશ સાથે લેખ પૂરો કરી શારદીય ગરબા-ગીત લેખમાળાનું સમાપન કરીએ:

ગરબા-ગીત લેખમાળાનું સમાપન કરીએ :

એક સુસ્ત શરદની રાતે

આળસ મરડી રહી’તી ક્ષિતિજે ને વ્યોમ બગાસું ખાતું હતું;
આંખો ચોળી નિદ્રાભારે પાંપણ પલકાવતી તારલીઓ,
ભમતી’તી આછી વાદળીઓ કંઈ ધ્યેય વિના અહીંયા ત્યહીંયાં;
ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી.

એક સુસ્ત શરદની રાતે
ત્યાં મંદ પવન લ્હેરાયો,
ડાળે પંખી બેચેન થયાં, જરી ઘેનભરી કચકચ કીધી
એક બચ્ચુ હરણનું બેઠું થયું હળવેથી ડોક ખણી લીધી,
મૃગલીએ પાસું બદલીને નિજ બાળનું શિર સૂંઘી લીધું,
ને ભીરુ સસલું ચમકીને બેચાર કદમ દૂર દોડી ગયું.

એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લ્હેરાયો,
ચંપાએ ઝૂકી કાંઈ કહ્યું મધુમાલતીના કાનોમાં;
મધુમાલતી બહુ શરમાઈ ગઈ
અને ઝૂમખે ઝૂમખે લાલ થઈ
ને ચંપો ખડખડ હસી પડ્યો.
ભ્રૂભંગ કરી રહી વૃક્ષઘટા,
કંઈ ફૂલ બકુલનાં કૂદી પડ્યાં મધુવનની ક્યારી ક્યારીએ,
માંડી કૂથલી ઉશ્કેરાઈ ને ચકિત થઈ ગભરુ કળીઓ
ગુલબાસ જૂઈ ગણગણી ઊઠ્યાં,
દર્ભે ડમરાને ગલી કરી,
ને વૃદ્ધ પીપળો ડોકું ધુણાવી ગયો સમય સંભારી રહ્યો.

એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લહેરાયો,
કાઢીને અંચલ મેઘ તણો દિગ્વધૂપ અંગો લૂછી રહી,
જોવા શશિરાજ ચઢ્યો ગગને, અણજાણને ઈચ્છા જાગી ગઈ;
ક્યહીંથી અણદીઠો સ્નેહ ઝર્યો પ્રસ્વેદ ફૂટ્યો પાને પાને,
સૂતેલી કલાન્ત પ્રગલ્ભ ધરાને રૂપેરી રોમાંચ થયો,
એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લહરાયો.

https://www.youtube.com/watch?v=JCFLgPuipKU

—————————

રૂપલે મઢી છે સારી રાત રે સજન

એનુ ઢૂંકડું ન હોજો પ્રભાત

સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો
હજી આદરી અધૂરી વાત
રૂપલે મઢી છે સારી રાત રે સજન

વેળા આવી તો જરા વેણ નાખો વાલમા
એક જરા મોંઘેરું કહેણ નાખો વાલમા
ફેણ રે ચઢાવી ડોલે અંધારા દૂર દૂર .. દૂર દૂર ..

એની મોરલીના સૂરે કરું વાત રે …
રૂપલે મઢી છે સારી રાત રે સજન

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં
કેવા રે મોહાબ્બતનાં તાણ જરા જોઈ લઉં
મારા કિનારા રહો દૂર નિત દૂર દૂર .. દૂર દૂર ..

રહો મજધારે મારી મુલાકાત રે …
રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનુ ઢૂંકડું ન હોજો પ્રભાત

• ગીત : હરીન્દ્ર દવે • સંગીત : દિલીપ ધોળકિયા  • સ્વર : લતા મંગેશકર

https://www.youtube.com/watch?v=MPAO8mgfFr4

—————————

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 25 અૉક્ટોબર 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=441555

Loading

...102030...2,9572,9582,9592,960...2,9702,9802,990...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved