Opinion Magazine
Number of visits: 9579032
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘અ ગુરુ નેવર ડાઈઝ’

દીપક મહેતા|Opinion - Literature|30 October 2018

પત્રને મથાળે તારીખ લખી છે: ૨૩:૧૦:૭૮. આજથી બરાબર ચાલીસ વર્ષ પહેલાંનો પત્ર. એ જમાનામાં પત્રો લખાતા, ટપાલમાં આવે તેની રાહ જોવાતી, આવે એટલે વંચાતા, ઘણી વાર તો એક કરતાં વધારે વાર વંચાતા. વાંચ્યા પછી જવાબ લખાતો. અને જો કોઈ મોંઘેરો, મહત્ત્વનો, મનમાં વસી જાય એવો પત્ર હોય તો જતનથી જળવાતો, વર્ષો સુધી. પણ હવે તો છેલ્લો પત્ર ક્યારે મળેલો કે લખેલો એ સવાલનો જવાબ આપવાનું સહેલું નથી રહ્યું. હવે તો ઈન્સ્ટન્ટ કોમ્યુિનકેશન(તાત્કાલિક પ્રત્યાયન)નો જમાનો છે. ઈમેલ, એસ.એમ.એસ., અને વોટ્સએપ આંગળીવગાં હોય પછી પત્ર લખવાની કે વાંચવાની ફુરસદ કોને છે? અને જરૂર પણ કોને લાગે છે?

પણ પત્રોનો જમાનો હતો ત્યારે પણ લખેલા કે આવેલા પત્રો સાચવવાની આ લખનારને ટેવ નહોતી. અપવાદ રૂપે ત્રણ પત્રો આજ સુધી સાચવી રાખ્યા છે. તેમાંનો એક તે આ ચાલીસ વર્ષ પહેલાં લખાયેલો પત્ર. લખનાર, મનસુખલાલ ઝવેરી, આપણી ભાષાના એક અગ્રણી કવિ, વિવેચક, અનુવાદક, પ્રભાવક વક્તા, ઉત્તમ અધ્યાપક. પણ મારે મન સૌથી મોટી વાત તો એ કે મનસુખભાઈ મારા ગુરુ. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એમની પાસે ભણવાનો લાભ મળ્યો. અને પછી મુંબઈની સોમૈયા કોલેજમાં હું ૧૯૬૩માં લેકચરર તરીકે જોડાયો ત્યારે એક વર્ષ માટે મનસુખભાઈ મારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. અગાઉ અધ્યયન માટે તેમણે મારી આંગળી પકડીને મને દોરેલો, પછી અધ્યાપન માટે. ૧૯૯૫માં કેનેડિયન સાઈડ પરથી નાયગરાનો ધોધ જોયો ત્યારે મનસુખભાઈ યાદ આવેલા. ધોધને સંસ્કૃતમાં પ્રપાત કહે છે. મનસુખભાઈ એટલે પ્રપાત – પ્રેમનો, ક્રોધનો, વાણીનો, વિરોધનો, અક્ષરનો, આકરી અપેક્ષાનો. આશુતોષ નહિ જ, પણ જો રીઝે તો તમને તરબોળ કરી દે. આશુરોષ ખરા. રોષે ભરાય ત્યારે જ્વાલામુખી જોઈ લો. પણ મોટે ભાગે રોષ લાંબો વખત ન ટકે.

આવા મારા ગુરુનો આ પત્ર. ૧૯૭૬થી ૧૯૮૬નાં દસ વર્ષ હું દિલ્હી હતો ત્યારે તેમણે મુંબઈથી લખેલો. નિમિત્ત? ૧૯૭૮માં મારું બીજું પુસ્તક પ્રગટ થયું, કથાવલોકન. તેનું અર્પણ આ પ્રમાણે હતું: “મનોભૂમિમાં વવાયેલાં સાહિત્યપ્રીતિનાં બીજનું જેમણે પોષણ-સંવર્ધન કર્યું તે મુ. પ્રા. મનસુખલાલ ઝવેરીને તથા એક અવલોકનરૂપી બીજમાંથી વિસ્તરીને જેમની સાથેનો સંબંધ સદાબહાર વૃક્ષમાં પરિણમ્યો છે તે મુ. શ્રી ગુલાબદાસ બ્રોકરને.” પુસ્તકની પહેલી નકલ મનસુખભાઈને મોકલેલી તેની સાથે પત્ર લખેલો. તેની નકલ તો ક્યાંથી સાચવી હોય, પણ તેમાં તેમના પ્રત્યેનો મારો આદરભાવ અને આભારભાવ પ્રગટ કરેલો. તે વખતે હજી કુરિયર સેવાની સગવડ પ્રસરી નહોતી, એટલે પુસ્તક અને પત્ર પોસ્ટમાં મોકલેલાં. બોલવા-લખવામાં મનસુખભાઈ ચોકસાઈના ભારે આગ્રહી. એટલે પત્રમાં લખ્યું છે: ‘બપોર પછીની ટપાલમાં … તમારો પત્ર જોયો ત્યારે’. હા, જી. એ વખતે મુંબઈમાં દરરોજ ત્રણ વખત ટપાલી ઘરે આવે – સવારે, બપોરે, અને ‘બપોર પછી.’ એ છેલ્લી ટપાલ ત્રણ-ચાર વાગે આવતી, એટલે એને સાંજની ટપાલ તો ન કહેવાય, એટલે ‘બપોર પછીની.’ ઔચિત્યવિચાર મનસુખભાઈની શાહીમાં જ નહિ, તેમના લોહીમાં હતો.

સાધારણ રીતે વિદ્યાર્થીના જીવન અને મનમાં અધ્યાપકનું વિશિષ્ટ સ્થાન હોય, પણ આ પત્રમાં તો એક અધ્યાપક પોતાના જીવનમાં વિદ્યાર્થીઓનું શું સ્થાન છે તે નિખાલસપણે જણાવે છે: “વિદ્યાર્થીઓનો પ્રેમ મારા જીવનનું મોટામાં મોટું બળ બન્યો છે. ને તેણે જ મને પ્રતિકૂળમાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકાવ્યો છે. એ પ્રેમનો આવિર્ભાવ જ્યારે જ્યારે મને જોવા મળ્યો છે ત્યારે ત્યારે મેં ધન્યતા જ અનુભવી છે. અને એવી ધન્યતા અનુભવવાના પ્રસંગો, ઈશ્વરકૃપાથી, જિંદગીમાં ઓછા નથી આવ્યા.”

મનસુખભાઈનું લખાણ – પછી એ વિવેચન લેખ હોય કે પત્ર હોય – અત્યંત વ્યવસ્થિત અને લોજિકલ હોય. પહેલા પેરેગ્રાફમાં ‘વિદ્યાર્થીઓનો પ્રેમ’ વિષે સર્વસામાન્ય વાત કર્યા પછી બીજા પેરેગ્રાફમાં ચોક્કસ વાત પર – મારા પત્ર પર – આવે છે. મનસુખભાઈ જાહેરમાં લાગણીવશ ભાગ્યે જ થાય. આંખના ખૂણા હંમેશાં રતુંબડા રહે. જાહેરમાં ભીના ન થાય, પણ અંગત રીતે અત્યંત માયાળુ. એટલે જ તેમણે મારા પત્રને ‘હૃદયના ઊંડામાં ઊંડા મર્મોને સ્પર્શીને પાંપણને પલાળી દે તેવો આવિર્ભાવ’ જન્માવતો કહ્યો છે. સાથોસાથ વર્ષો પહેલાંનો આવો બીજો એક પ્રસંગ પણ યાદ કર્યો છે: ૧૯૪૫ના જૂનમાં (આ પત્ર લખાયો તેના ૩૩ વર્ષ પહેલાં) તેઓ રાજકોટ છોડી મુંબઈ આવવા નીકળ્યા ત્યારે એસ્તેર સોલોમન તેમને વિષે જે બોલ્યાં હતા તે યાદ કર્યું છે. મનસુખભાઈમાં સાચકલાઈ ભરપૂર. પત્રમાં મને જે લખે તે એસ્તેર સોલોમનને તો કદિ જણાવાનું નહોતું, છતાં પત્રમાં પહેલાં તેમને યાદ કર્યાં છે. મનસુખભાઈ જે કાંઈ બોલે-લખે તે પૂરેપૂરી નિખાલસતાથી. એટલે આગળ લખે છે: “બહેન એસ્તેર અને તમે, બંને મિતભાષી અને પ્રદર્શનવૃત્તિથી દૂર રહેનારાં. એટલે અકળ પણ ખરાં.” પત્ર મળ્યો તે વખતે આ વાક્ય વાંચીને પત્ની વંદનાએ કહેલું: ‘એટલે એકંદરે તો તમે મીંઢા છો એમ જ ને?’ મેં જવાબ આપેલો: ‘ના. એ શબ્દ વાપરવો હોત તો મનસુખભાઈએ તે જ વાપર્યો હોત.’ શબ્દછળ મનસુખભાઈના સ્વભાવમાં જ નહિ.

આગળ જતાં મનસુખભાઈ લખે છે: “તમારા જેવાના હૃદયમાં અત્યારે પણ મારું આ સ્થાન છે તે જોઉં છું ત્યારે મારો વિષાદ ઊડી જાય છે, ને જીવન વ્યર્થ નથી ગયું એવું આશ્વાસન સાંપડે છે.” નાયગરાનો ધોધ જોયો ત્યારે મનસુખભાઈ યાદ આવેલા એમ અગાઉ કહેલું. પણ નાયગરાનો ધોધ પણ શિયાળામાં થીજી જતો હોય છે. પોતાના જીવનમાં કેટલાંક વર્ષ મનસુખભાઈ જેવા મનસુખભાઈએ પણ હતાશા અનુભવેલી. પછી તો તેમાંથી બહાર આવી ગયેલા. છતાં ક્યારેક ક્યારેક વિષાદની વાત મનની સપાટી પર આવી જતી. ૧૯૭૮માં પણ તેઓ ‘વિષાદ ઊડી જાય છે’ એમ લખે છે તે વાંચીને તે વખતે ગળે ડૂમો બાઝેલો, આજે ય બાઝે છે. શબ્દો વેડફે તે મનસુખભાઈ નહિ. એટલે “મારે મન એ પત્રનું મૂલ્ય ઘણું ઘણું ઘણું છે.” એ વાક્યમાં ‘ઘણું’ શબ્દ ત્રણ વખત વાંચીને ત્યારે આંખ ભીની થયેલી, આજે ય થાય છે. અને છેવટે જેનામાં તેમને અખૂટ શ્રદ્ધા હતી તેને યાદ કરતાં લખે છે: “પરમાત્મા તમારું કલ્યાણ કરો!”

આ પત્ર દિલ્હીમાં મળ્યો ૧૯૭૮માં. ત્રણ વર્ષ પછીની, ૧૯૮૧ના ઓગસ્ટ મહિનાની એક સવાર. દિલ્હીમાં નોકરીના ભાગ રૂપે રોજ સવારે ઓફિસમાં પહેલું કામ ગુજરાતી-મરાઠીનાં વીસેક છાપાં પર નજર ફેરવી જવાનું. તે દિવસે મુંબઈનું એક ગુજરાતી છાપું ખોલ્યું તો પહેલે જ પાને છપાયેલા એક સમાચાર વાંચી થોડી વાર સૂનમૂન થઇ બેસી રહ્યો. મનસુખભાઈના અવસાનના સમાચાર. છાપામાંના મનસુખભાઈના ફોટા સામે તાકીને બેસી રહેલો. ઓફિસના અમેરિકન ડિરેક્ટર જીન સ્મિથ કશાક કામસર હું બેઠો હતો ત્યાં આવ્યા. મને જોઇને કહે: “દીપક, આર યુ ઓકે? મેં કહ્યું:“ નો. મનસુખલાલ ઝવેરી પાસ્ડ અવે.” જીન સ્મિથ ભારતીય સાહિત્યની વિગતોથી પૂરેપૂરા જાણકાર, એટલે કહે: “હી વોઝ અ લીડિંગ પોએટ એન્ડ અ ક્રિટિક, ઇઝન્ટ ઈટ? મેં કહ્યું: “યસ સર્ટનલી, બટ મોર ધેન ધેટ, હી વોઝ માય ગુરુ.” તેમણે હળવેકથી કહ્યું: “દીપક, અ ગુરુ નેવર ડાઈઝ. હિ કન્ટિન્યુઝ ટુ લિવ ઇન ધ હાર્ટસ ઓફ હિઝ સ્ટુડન્ટસ.” અને પછી ત્યાંથી ખસી ગયા. આજે મનસુખભાઈનો પત્ર વર્ષો પછી ફરી એક વાર વાંચ્યા પછી મનમાં પેલા શબ્દો પડઘાયા કરે છે: “અ ગુરુ નેવર ડાઈઝ.”

Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E) Mumbai 400 051

e.mail : deepakbmehta@gmail.com

Loading

કોમી એકતાની જાળવણી પ્રાર્થના અને સંગીતના માધ્યમથી

આશા બૂચ|Gandhiana|29 October 2018

ગાંધી – એક વિશ્વ માનવ શ્રેણી : મણકો – 2

ગાંધીજીના જીવન કાળ દરમ્યાનનું ભારત ધર્મ અને જ્ઞાતિના વાડાઓમાં ઠેકઠેકાણે ખંડિત થયેલું હતું. પ્રજામાં સર્વધર્મ સમભાવની ભાવના જન્મે તો કોમી એખલાસ પેદા થાય અને સ્વતંત્ર ભારતના તમામ નાગરિકોની સુખાકારી અને સલામતી માટે એ અત્યંત આવશ્યક પણ છે એ હકીકતની જાણ ગાંધીજીને હતી. તે માટેના તેમનાં અનેક પગલાંઓમાંનું એક, તે આશ્રમની સવાર-સાંજની સર્વધર્મ પ્રાર્થના. તેમાં બોલાતા શ્લોક, ગવાતાં ભજનો અને ધૂનનો સંગ્રહ તે ‘આશ્રમ ભજનાવલી’. આ ‘ભજનાવલી’નો વિકાસ કેવી રીતે થયો એ વાત સ્વ. કાકાસાહેબ કાલેલકરે લખી છે તે જાણવાલાયક છે.

ગાંધીજીના સમૂહ જીવનના પ્રયોગો દક્ષિણ આફ્રિકામાં શરૂ થયા, અને ત્યારથી તેમણે સાયં પ્રાર્થના દાખલ કરી. એ વખતે ગવાતાં ભજનોનો સંગ્રહ ‘નીતિનાં કાવ્યો’ નામે પ્રકાશિત થયેલ. ગાંધીજી અને તેમના આશ્રમવાસીઓ દક્ષિણ આફ્રિકાથી કાયમ માટે ભારત આવ્યા, ત્યારે આશ્રમ પરિવારનાં સભ્યો ‘શાંતિ નિકેતન’માં રહ્યાં અને તે સમયે તેમની પ્રાર્થનાઓમાં બંગાળી ભજનો ઉમેરાયાં. કાકાસાહેબ કાલેલકરે સવારની પ્રાર્થનાનો ચાલ શરૂ કર્યો અને થોડા શ્લોકો ઉમેર્યા. કોચરબ આશ્રમમાં સંગીતાચાર્ય શ્રી નારાયણ ખરે, મામા સાહેબ ફાળકે, શ્રી વિનોબાજી અને બાલકોબાના આગમનથી હિન્દુસ્તાની સંગીત અને મહારાષ્ટ્રના સંત કવિઓની વાણી તેમાં ઉમેરાઈ. આમ હિન્દુ ધર્મના વિવિધ ભાષાઓનાં ભજનોએ પ્રાંત અને ભાષાભેદ હળવો કર્યો.

આફ્રિકાના રહેવાસ દરમ્યાનથી જ ગાંધીજીનો આગ્રહ રહેતો કે જેમ ભોજનમાં દરેકને પોતાની રુચિ પ્રમાણે ખોરાક મળવો જોઈએ, તેમ પ્રાર્થનામાં હરેકને પોતાની રુચિ અને શ્રદ્ધાનો ખોરાક મળવો જોઈએ. આથી બે તામિલ ભાષી બાળકો  જોડાયાં, તો તમિલ ભજન પ્રાર્થનામાં ઉમેર્યું. તે ઉપરાંત રામાયણ, ઉપનિષદ અને ગીતાના પાઠ પણ થતા. આમ છેવટ પ્રાર્થનામાં  ઉપનિષદ, રામાયણ, મહાભારત, કુરાન અને સંત સાહિત્યની પસંદગી કરવામાં આવી. આમ અનેક પ્રાંતીય ભાષાઓ પણ આપોઆપ પ્રવેશ પામી. સમય જતાં ઈશાવાસ્યમ ઈદમ સર્વમ શ્લોકથી શરૂ થતી પ્રાર્થનામાં ઇસ્લામ, જરથોસ્તી અને બૌદ્ધ ધર્મની પ્રાર્થનાઓમાંથી એકેક બબ્બે પંક્તિઓ ઉમેરાઈ. તમામ આશ્રમવાસીઓ અને મુલાકાતીઓમાં સર્વધર્મ સમભાવની ભાવના આ રીતે આપોઆપ દ્રઢ થઇ. પછી તો અનેક આશ્રમો અને આશ્રમશાળાઓ ખૂલી જ્યાં આ પ્રાર્થના ગવાતી થઇ. કેટલાંક કુટુંબોએ પોતાના ઘરમાં પણ પારંપરિક દેવ દેવીઓનાં સ્તવનને સ્થાને આ પ્રાર્થનાને રોજિંદા જીવનમાં અપનાવી જેનાથી બાળકોને અલગ અલગ સમુદાયના લોકોને જોવા-સમજવાની અનોખી દ્રષ્ટિ સાંપડી જેની હું સાક્ષી છું.

કોઈ પણ બે કે તેથી વધુ કોમ વચ્ચે પરસ્પર માટેનો વિશ્વાસ જતો રહે, તેમની વચ્ચે વૈમનસ્ય પેદા થાય અને છેવટ એ સંઘર્ષમાં પરિણમે ત્યારે દેશને એકત્રિત રાખવા ઘણું મોડું થઇ ગયું હોય છે. ઉત્તમ રીત તો એ છે કે એક ગામમાં અલગ અલગ કોમના લોકો એક જ લત્તામાં રહે, એક નિશાળમાં બાળકો ભણે, એક બીજાના તહેવારોની ઉજવણીમાં ભાગ લે અને સાથે મળીને પ્રાર્થના કરે જેથી વિનોબાજીએ કહેલું નામ લઈએ ત્યારે બૉમ્બ પડ્યો હોય તેમ લોકો વિરુદ્ધ દિશામાં ભાગવા ન માંડે. દુઃખની વાત એ છે કે ગાંધીજીને ભારતની મોટા ભાગની પ્રજાએ સ્વતંત્રતા અપાવનાર એક રાજકારણી તરીકે જોયા. આઝાદી પછી એમની હત્યા થઇ ત્યારે એક ‘મહાત્મા’ના મૃત્યુ પાછળ આંસુ સાર્યાં, પણ તેમણે ચિંધેલ સામાજ ઉત્થાન માટેના માર્ગોને સગવડતા ખાતર અભેરાઈ પર ચડાવી દીધા. આપણે મનને એમ કહીને મનાવી દીધું કે “આઝાદી મેળવવા કોમી એકતા હોવી જરૂરી હતી. હિન્દુ-મુસ્લિમ વચ્ચે ઝઘડાઓ થતા ત્યારે સર્વધર્મ પ્રાર્થના જેવાં પગલાં લેવાં ઠીક હતું, હવે તો બે દેશ જુદા થયા, હવે રોજ રોજ એવી પ્રાર્થનાઓ ગાવાની શી જરૂર?” કોમી વૈમનસ્ય માપવાની પારાશીશી ઉપલબ્ધ હોત તો વીસમી સદીના પહેલા પાંચ દાયકા કરતાં એકવીસમી સદીના પહેલા દસકાનો આંક જરૂર ઊંચો આવત.

પ્રાર્થના દ્વારા કોમી ઐક્ય સ્થાપવાના બીજા એક પ્રયાસની વાત અહીં કરવી છે. ગાંધીજીના જીવનકાળ દરમ્યાન આફ્રિકા અને ભારતમાં સર્વધર્મ પ્રાર્થના કરવાનો ચાલ શરૂ થયાને લગભગ અર્ધીથી વધુ સદી વીતી ચૂકી હતી અને ભારતથી યોજનો દૂર એક નાના શહેરમાં એવી જ એક ચિનગારી પ્રગટી.

વાચકોને કદાચ બોસ્નિયા હરઝગોવિનિયામાં 1992ની આસપાસ થયેલ સામૂહિક માનવ હત્યા વિષે જાણ હશે. ત્યાર બાદ તે દેશના પાટનગર સારાયેવોને ફરી બેઠું કરવું એક મહા મુશ્કેલ કામ હતું. ત્રણેક વર્ષો સુધી સશસ્ત્ર આક્રમણથી આહત થયેલ શહેર ભાંગી પડેલું. તૂટેલી ઇમારતો હત્યાકાંડમાં બચી જવા પામેલ પ્રજાને થયેલ માનસિક આઘાતનો પડઘો પાડી રહી હતી. જોવાનું એ છે કે સદીઓથી એ મુલ્કમાં જુદા જુદા ધર્મના લોકો આપસ આપસમાં શાંતિથી રહેતા હતા; જેમ ભારતમાં અનેક ધર્મ અને પંથના લોકો વચ્ચે સુમેળ હતો. હવે સવાલ એ હતો કે આવી ક્રૂર લડાઈ બાદ સારાયેવોના રહેવાસીઓ થાકી અને હારી ગયેલા હતા તેમને કોણ એકજૂટ કરી શકે?

બોસ્નિયામાં ક્રોએટ્સ કે જેઓ કેથલિક ધર્મ પાળે, સર્બિયન પ્રજા કે જે ઓર્થોડોક્સ ક્રિશ્ચિયન ધર્મને અનુસરે અને બોસ્નિયાક કે જેઓ ઇસ્લામ મઝહબને પાળે એ બધા સદીઓથી સાથે રહેતા, કામ કરતા અને એકબીજા સાથે લગ્ન કરીને જીવન ગુજારતા રહ્યા. પરંતુ ગ્રેટર સર્બિયાની મહાત્ત્વાકાંક્ષા સેવનારા રાજકારણીઓએ ધર્મને નામે મુસ્લિમો વિરુદ્ધ ઝેર ફેલાવ્યું અને બાર વર્ષથી ઉપરના મોટા ભાગના મુસ્લિમ છોકરાઓ અને પુરુષોની નિર્દય કત્લેઆમ કરી.

1996માં એ માનવ સંહારનો અંત આવ્યો, જાહેર કરાયો. પરંતુ બોસ્નિયાની આમ પ્રજાએ ભયાનક જાનહાનિનો અનુભવ કરેલો. એક કેથલિક ફ્રાંસિસકન સાધુ Father Ivo Markovic એ જ શહેરમાં રહે, એટલે વિનાશનાં દ્રશ્યો અને લોકોની પીડા જોઈ તેમનું હૃદય દ્રવી ગયું.  ઇસ્ટરનો તહેવાર નજીક આવતો હતો, તેમની પાસે ચર્ચ હતું, પણ ઈસ્ટર સમયે ગાવા માટે કોઈ નહોતું આવતું.  Ivo Markovicને આંતર ધર્મી ક્વાયર રચવાની સ્ફુરણા થઇ. પોતાના એક સાથી જોસેફને કહ્યું, ‘જાઓ જઈને લોકોને સંગીત ગાવાં બોલાવી લાવો.” એ સાથીદારે આવીને કહ્યું, “આ શહેરમાં કોઈ કેથલિક નથી.” ફાધરે કહ્યું, “કેથલિક ન હોય તેવા લોકોને, ઓર્થોડોક્સ ક્રિશ્ચિયનને, નાસ્તિકને, અરે, મુસ્લિમ લોકોને બોલાવી લાવો.” છેવટ એમ જ થયું.

એકત્રિત થયેલ લોકોએ પહેલાં જૂનાં જુઇશ ગીતો ગાવાં શરૂ કર્યાં, જે થોડાં આસાન હતાં. સર્બિયન અને ઇસ્લામિક ગીતો શીખવવાં ઘણા કઠિન પુરવાર થયાં કેમ કે એ બે જૂથો વચ્ચે લડાઈ થયેલી. પોતાની દુશ્મન જમાતનાં ગીતો ગાવાં ઘણાં કબૂલ ન થયાં કેમ કે તેમ કરતાં એકમેક પ્રત્યે ઘૃણાની લાગણી અનુભવતાં હતાં. પરંતુ બે-ત્રણ મહિના બાદ એ જ લોકોએ કહ્યું, એ ગીતો ખૂબ સુંદર છે! અને આમ એ ક્વાયર દ્વારા અલગ અલગ કોમ વચ્ચે બંધાયેલ વિભાજનની દીવાલમાં છિદ્ર પડ્યાં અને સુમેળની શરૂઆત થઇ.

તો સંગીતમાં આ શક્તિ ભરી પડી છે. એ લોકોના મનને વિશુદ્ધ કરે છે. સારાયેવોના કેથલિક ચર્ચમાં પ્રથમ વખત ‘અલ્લાહ હો અકબર’ ગવાયું ત્યારે ભારે મુશ્કેલી સર્જાઈ, કેટલાક લોકો એ બિલકુલ સ્વીકારી ન શક્યા. ઇસ્લામ ધર્મની કેટલીક માન્યતાઓ સમજવી અઘરી છે, પણ Ilahiyasના શબ્દો અને સંગીત ખૂબ કોમળ ભાવો રજૂ કરનાર અને સમજી શકાય તેવા હોય છે. સારાયેવોના આ ક્વાયરમાં એકઠાં થયેલ ગાયકોમાંના જુઇશ લોકો એમ માને કે તેઓ ભગવાનના ખાસ પસંદ કરેલ લોકો છે, એટલે તેમનાં ગીતો ખૂબ આનંદ ભરપૂર હોય અને તેઓ ભગવાન સામે નર્તન પણ કરે. તો ઓર્થોડોક્સ ક્રિશ્ચિયન્સ એમ માને છે કે જીસસ પુનર્જીવન મેળવીને ઊંચે સ્વર્ગમાં વાસ કરે છે અને તેમના ધર્મનાં ગીતો ગાનારા એન્જલ્સ છે. જ્યારે કેથલિક પંથના લોકોની માન્યતા એવી છે કે સ્વર્ગ આ પૃથ્વી પર છે, કુદરતમાં અને ફૂલોમાં અને ખાસ કરીને માનવોમાં સ્વર્ગ વસે છે. હવે આવી વિવિધ માન્યતાઓ ધરાવનાર ક્વાયરનું નામાભિધાન મુશ્કેલ હોય જ. આથી Ponta એટલે કે પૂલ અને anima એટલે આત્મા; એ બે શબ્દો મળીને Pontanima નામ રાખ્યું જેનો મતલબ થાય, આત્માઓ વચ્ચેનો પૂલ.

કહે છે ને કે કોઈ વૃક્ષ કે ફૂલોના છોડનું બીજ હવાની લહેરોથી ક્યારેક દૂર સુ દૂર ઊડીને પડે અને ખાસ્સા સમય પછી તેમાં અંકુર ફૂટે. સત્ય અને અહિંસાની જ્યોત આફ્રિકા અને ભારતમાં પ્રગટી, જેનાથી Father Ivo Markovic અને બોસ્નિયાની પ્રજા કદાચ સાવ અનભિજ્ઞ હોઈ શકે, પરંતુ એ વિચારની કૂંપળ છેવટ ફૂટી અને એક ક્ષત વિક્ષત થયેલ પ્રજાને એકસૂત્રે બાંધવામાં મદદરૂપ થઇ એ જાણીને ધન્ય થઇ જવાય.

વધુ જાણકારી માટે નીચેની લિંક ઉપયોગી થશે :

https://www.bbc.co.uk/news/av/stories-43472897/sarajevo-s-choir-that-bridged-the-ethnic-divide

e.mail : 71abuch@gmail.com

Loading

કેવા હતા સરદાર-ગાંધી-નહેરુના સંબંધ?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 October 2018

સરદારને જરી વધુ તીવ્રતાથી, કહો કે કંઈક કચકચાવીને સંભારવાનો તાવ એ હમણેનાં વરસોની એક લાક્ષણિકતા રહી છે.

આમે ય, ગુજરાતી તરીકે એ રાષ્ટ્રીય સ્તરે (વડા પ્રધાનપદ માટે) અવગણાયી લાગણી તો ખેંચાતી આવેલી જ છે.

સરદાર પહેલા વડા પ્રધાન થયા હોત તો વધુ સારું થયું હોત એવું પુનર્વિચારનું વલણ પણ પાછળનાં વરસોમાં જોવા મળ્યું છે.

ચક્રવર્તી રાજગોપાલચારીએ લખ્યું કે સરદાર વડા પ્રધાન હોત અને નહેરુ, વિદેશ પ્રધાન, એવું પહેલું પ્રધાન મંડળ રચાયું હોત તો કેવું સારું થયું હતું હોત, એમ મને થાય છે.

અહીં સરદાર વિ. જવાહર એવી વડા પ્રધાનપદની તુલનામાં ઇતિહાસના 'જો' અને 'તો'ની રીતે જવાનો ખયાલ નથી.

માત્ર, સરદારને કેટલીક વાર જે કલ્પિત (ખરું જોતાં કપોળકલ્પિત) યશ આપવમાં આવે છે એનો એક દાખલો જરૂર આપવા ઇચ્છું છું.

સરદાર હોત તો કાશ્મીરનો કોયડો ઊકલી ગયો હોત, એ આવું જ એક સૌને ગમતું વિધાન વરસોવરસ, વખતોવખત, વાંસોવાસ, ઉચ્ચારાતું રહેલું એક વિધાન છે.

સરદારના આ મુગ્ધ ચાહકોને કોણ સમજાવે કે જેમ પંજાબના અને બંગાળના ભાગલા સ્વીકાર્યા તેમ કાશ્મીરના પણ સ્વીકારવા જોઈતા હતા, એવો એક વાસ્તવિક ઉકેલ સરકારને વિશેષ પસંદ પડ્યો હોત.

પાકિસ્તાને આક્રમક કારવાઈ કરી તે પૂર્વે સરદાર કાશ્મીર ખીણ બાબતે આ દિશામાં વિચારતા નહોતા એવું નથી, બલકે, ઇતિહાસવસ્તુ તરીકે એ એક વિગત નોંધીને ચાલવું જોઈએ કે ભાગલાની અનિવાર્યતા સ્વીકારવામાં સરદાર અને નહેરુ એક સાથે હતા, અને એ રીતે ગાંધીથી જુદા પડતા હતા.

ભારતવર્ષ, તેમ છતાં, બડભાગી એ વાતે છે કે 1947માં નહેરુ અને પટેલ સત્તામાં તેમ જ ગાંધી લોકમોઝાર, એ વાસ્તવિકતા વચાળે છતાં સ્વરાજની લડતના લાંબા દાયકાઓમાં તથા સ્વરાજ પછી તરતના નાજુક નિર્ણાયક ગાળામાં ગાંધી-નહેરુ-પટેલ એ સ્વરાજત્રિપુટીએ યથાસંભવ સાથે રહીને દેશના પ્રશ્નો અને ઉકેલોમાં નિર્માણકારી હાથ બટાવ્યો છે.

જવાહરલાલ નહેરુને લાંબો સત્તાકાળ મળ્યો. ગાંધી વહેલા ગયા, સ્વરાજ પછી એક વરસ પણ પૂરું થાય તે પહેલાં ગયા, 1948ના જાન્યુઆરીમાં અને સરદાર ગયા 1950ના ડિસેમ્બરમાં. પણ એ ત્રણે સાથે મળીને જવાહરલાલના મોટા ભાગના શાસનકાળમાં જ જાણે વિચારતા ન હોય!

“બાપુએ મને જ્યાં ગોઠવ્યો છે ત્યાં હું છું”

1950ના ઑક્ટોબરની બીજીએ નિધનના માંડ અઢી મહિના પૂર્વે, સરદારે 'કસ્તૂરબા ગ્રામ'નો શિલાન્યાસ કરતાં કહ્યું હતું એ સંભારીએ:

“બાપુએ એક મરેલા દેશને સજીવન કરેલો. બાએ એમાં સાથ આપેલો. એ બંનેની સ્મૃિતનાં ચિત્રો સતત આપણી નજર સક્ષમ રહેવાં જોઈએ. આપણે તો ભૂલો પણ કરીએ, પણ એ બંને આપણો જવાબ સાંભળવા હાજરાહજૂર રહેશે.”

“અમે સૌ એમના લશ્કરના સૈનિકો હતા. મારો ઉલેખ ભારતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે થતો રહ્યો છે, પણ હું મારી જાતને ક્યારે ય આ રીતે ઓળખતો નથી.”

“જવાહરલાલ નહેરુ આપણા નેતા છે. બાપુએ એમને પોતાના ઉત્તરાધિકારી નીમેલા અને એ મતલબની જાહેરાત પણ કરી હતી.”

“બાપુના હુકમનો અમલ કરવાની બાપુના સૈનિકોની ફરજ છે. જે કોઈ વ્યક્તિ પૂરા દિલથી બાપુના આદેશના મર્મને અનુસરશે નહીં તે ઇશ્વરનો ગુનેગાર બનશે.”

“હું બિનવફાદાર સૈનિક નથી. હું જે સ્થાન પર છું તેનો હું લગીરે વિચાર કરતો નથી. હું તો એટલું જ જાણું છું ને મને એ વાતનો સંતોષ છે કે બાપુએ મને જ્યાં ગોઠવ્યો છે ત્યાં હું છું.”

લડવૈયા અને ઘડવૈયા

તમે જુઓ કે 1947 સુધી પહોંચતે જે ગાંધી-નહેરુ-પટેલ એકંદરમતી બનેલી હતી તે જવાહરલાલના વડા પ્રધાનકાળમાં બહુધા બરકાર રહી છે:

બિનસાંપ્રદાયિકતા, આર્થિક સામાજિક ન્યાય, બિનજોડાણવાદ ત્રણેનાં વિધાનવલણોમાં ઝોકફેર હતો, જરૂર હતો, પણ એકંદરમતી તો આ જ હતી:

ભારતનું બંધારણ અને રાષ્ટ્રધ્વજ સ્વીકારવાની શરતે (અને પોતાનું લેખી બંધારણ પણ હોય એ શરતે) આર.એસ.એસ. (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ) પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો એની પૂંઠે હતી તો આ બિનસાંપ્રદાયિક એકંદરમતી જ.

લડવૈયા હોવું અને ઘડવૈયા હોવું, એવું ઉભયપદી અને સવ્યસાચી વ્યક્તિ ને નેતૃત્વ એ સરદારનો મળતાં મળે એવો વિશેષ હતો.

આઇ.સી.એસ. સ્ટીલ ફ્રેમ પાસેથી એમણે જે કામ લીધું તેનાથી માંડીને તે રિયાસતોના વિલીનીકરણ સહિતના મામલાઓમાં એમની આ 'ઘડવૈયા' કુળની વિશેષતા સોળે કળાએ પ્રગટી ઊઠે છે.

પણ સરદારની પ્રતિભાને રિયાસતોના મામલામાં ઊંચકી અને એમાં જ જકડી રાખવામાં એમને કંઈક અન્યાય થાય છે, કેમ કે એકતાની એમની વ્યાખ્યા આટલી સરળ ને સપાટ નહોતી.

ગાંધીએ એમને સરદાર કીધા તે 1928માં બારડોલીની ફતેહ વખતથી … એમનું સરદારપણું, આમ, તમે જોશો કે કિસાનને પૂરા કદના નાગરિકમાં સ્થાપતી લડતમાંથી આવેલું હતું.

બલકે, એમની 'સરદારિયત'નો ઉન્મેષ તો એનાયે છ વરસ પહેલાં, સન 1922માં ચમકી ઊઠ્યો હતો, જ્યારે એમણે અંત્યજ પરિષદમાં છેવાડે બેઠેલા અંત્યજોની વચ્ચે જઈ પહોંચી ત્યાં બેઠક જમાવી પરિષદનું કેન્દ્ર ક્યાં રહેલું છે એ સ્પષ્ટ કર્યું હતું તો, જે આઘામાં આઘા અને પાછામાં પાછા છે એની સાથે એકરૂપ થવું એમાં એમના સરદાર હોવાની ચાવી રહેલી છે.

'સરદારનો વહીવટ'

આર્થિક વિચારોમાં એ પ્રતિગામી હતા એવી એક લાગણી અને ફરિયાદ લાંબો સમય રહી છે.

1975માં બારડોલીની મુલાકાત વખતે જયપ્રકાશ નારાયણે તરુણ સમાજવાદી તરીકે પોતાનું સરદારનું મૂલ્યાંકન આવું હતું એમ કહી એમાં પુનર્વિચાર કર્યાની જિકર પણ મન મૂકીને કરેલી.

અહીં કોઈ લાંબી અર્થશાસ્ત્રીય ચર્ચામાં નહીં જતાં બે સાદી વાતો જ નોંધીશું: એક તો, દેશના મુખ્ય પક્ષોની અર્થનીતિ આજે જે રીતે દેખીતી મૂડવાદતરફી જણાય છે એ જોતાં સરદારની ટીકા કાલબાહ્ય છે.

ખરું જોતાં, આ નિરીક્ષણમાં એક અતિવ્યાપ્તિ છે, પણ અહીં એની ગલીકૂંચીમાં નહીં જતાં, પ્રત્યક્ષ વ્યવહારને ધોરણે બીજો દાખલો આપીએ તો આખી વાત એકદમ સ્ફુટ જ સ્ફુટ થઈ જશે.

બારડોલીમાં ડેરાતંબુ તાણ્યા તે પૂર્વે સરદારે (ખરું જોતાં, તે 'સરદાર' કહેવાયા એ પૂર્વે) અમદાવાદ સુધરાઈના પ્રમુખપદેથી આગ્રહપૂર્વક ઉદ્યોગવપરાશના પાણી પર ઘર વપરાશના પાણી કરતાં પાંચ ગણા વેરાનો આગ્રહ રાખેલો અને પળાવેલો.

આ હતા ઉદ્યોગપતિઓના મિત્ર!

હાલના નેતૃત્વ અને સત્તા-પ્રતિષ્ઠાનની તાસીર સામે આ સાદો દાખલો મૂકીએ પછી કદાચ કશું જ કહેવાનું રહેતું નથી.

કોર્પોરેટ પરિબળો વાસ્તે રેડ કાર્પેટ એ સરદારનો વહીવટવિશેષ નહોતો.

દર બદલાતા શાસન સંવત્સરે તમને દિલ્હી દરબારમાં સરદારનો વહેમ માલૂમ પડે છે.

ભાઈ વાગ્મિતા તે કંઈ વહીવટ નથી. સરદારના નેતૃત્વનો વિશેષ, સમાજવાદી રુઝાનવાળા અને એથી કંઈક ટીકાકાર એવા ઉભરતા યુવા કવિ એ (ઉમાશંકર જોશી) એ બીનામાં જોયો હતો કે આ વ્યક્તિના શબ્દો ખુદ જાણે કે કાર્ય બની રહે છે.

ઊલટ પક્ષે, શબ્દો લટકા કરે શબ્દ સામે તે સ્થિતિ પ્રત્યક્ષ કાર્યનો અવેજ નથી તે નથી. આજનો રાજરોગ ઠાલા શબ્દે સંધું રોડવવાનો છે, અને એ વિરપરિણામી ને નિષ્પરિણામી સંજોગો અરજી રહેલ છે.

સરદારને કટ્ટરતાથી નહીં પણ કૃતજ્ઞતાપૂર્વક ઇતિહાસવિવેક સાથે સંભારી શકીએ એવી પુખ્તતા પ્રાપ્ત થાઓ!

[બી.બી.સી., ગુજરાતી; 29 અૉક્ટોબર 2018]

સૌજન્ય : https://www.bbc.com/gujarati/india-46009377#

Loading

...102030...2,9542,9552,9562,957...2,9602,9702,980...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved