Opinion Magazine
Number of visits: 9664533
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચિકિત્સક બાપુ

એચ.સી. દાસપ્પા|Gandhiana|8 May 2025

એચ.સી. દાસપ્પા

1936ના અંતમાં મહાદેવભાઈ પોલીસોના અત્યાચારની તપાસ કરવા માયસોર આવ્યા ત્યારે હું ત્યાંની કાઁગ્રેસ કમિટિનો પ્રમુખ હતો. મહાદેવભાઈએ તપાસનો રિપોર્ટ બાપુને આપ્યો તેમાં મારો ય સારો ઉલ્લેખ કરેલો.

1940ના  જાન્યુઆરીમાં હું સખત માંદો પડ્યો. વાતરોગના હુમલાથી હું જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતો હતો. બાપુને જ્યારે મારી માંદગીની ખબર પડી તો મહાદેવભાઈ પાસે પત્ર લખાવીને મને સેવાગ્રામ બોલાવી લીધો.

એક રીતે હું અજાણ્યો માણસ હતો, પણ બાપુના રસને કારણે મને એમના સાનિધ્યનો લાભ મળ્યો. મુસાફરી કરી શકવા જેટલી સ્વસ્થતા પ્રાપ્ત થતાં જ 1940 ઓક્ટોબરમાં સેવાગ્રામ પહોંચ્યો. મારી માંદગી મારું સૌભાગ્ય બની ગઈ.

સૌથી પ્રથમ તો મને ખૂબ જ ચાવીચાવીને ખાવાની બાપુએ ફરજ પાડી. ત્યાર પછી ભારે પદાર્થો છોડાવી સાવ સાદું ભોજન આપવા માંડ્યું. મારું વજન ઘટવા લાગ્યું. પંદર દિવસમાં 158 પરથી 143 (રતલ) ઊતરી ગયું. પણ છેલ્લે છેલ્લે વજન ઘટવાની ગતિ ઓછી થતી ગઈ. એ અરસામાં નિસર્ગોપચારની તાલીમ લઈને શ્રી એસ.સી. દાસ વિલાયતથી આવી ગયા. બાપુએ મને ચિકિત્સા માટે એમને હવાલે કર્યો. એમણે તો બાપુ આપતા હતા એ ભોજન પણ બંધ કરી દીધું ! એમણે તો આખા દિવસમા માત્ર છ સંતરાં અને પાણીની જ રજા આપી. દરરોજ અરધો રતલ વજન ઘટાડવાની ક્રિયા ત્રણ મહિના સુધી ચાલી. છેલ્લા અઠવાડિયામાં તો મને માત્ર પાણી પર જ રાખ્યો. મારું વજન સાડીબેંતાલીસ રતલ ઘટી ગયું. દાસની સલાહથી બાપુએ મારો ખોરાક ચાલુ કર્યો. મારો રોગ તો કોણ જાણે ક્યાં નાસી ગયો! મારી રૂંધાયેલી પ્રાણશક્તિ જાણે ફૂટી નીકળી! હું હરવાફરવા લાગ્યો. મને નવજીવન જ મળ્યું.

મને શંકા છે કે બાપુ ન હોત તો હું ભાગ્યે જ આ આકરા નિયમોનું પાલન કરી શકત ! પાછળથી બાપુએ મને કહ્યું કે, ‘મેં તમારો ઈલાજ પૂરા વિશ્વાસથી શરૂ કર્યો હતો. કેમ કે દક્ષિણ આફ્રિકામાં મેં પારસી રૂસ્તમજીનો ઇલાજ આ જ રીતે કર્યો હતો.’ અત્યંત આશ્ચર્યની વાત તો એ કે અત્યંત અટપટા રાજદ્વારી રોકાણોવાળા રોજિંદા જીવનમાંથી બાપુ ચિકિત્સા માટે સમય ક્યાંથી કાઢી શકતા હતા !!

આશ્રમજીવનની વાત, કસ્તૂરબાનો ઉલ્લેખ કર્યા વિના અધૂરી જ ગણાય. બાપુની દેખરેખ ઉપરાંત રોગીઓના ભોજનની દેખરેખ પણ બા રાખતા હતાં. એમનો માતૃસ્નેહ અને વત્સલતા તો બહુ જાણીતાં છે. કસ્તૂરબા ખરેખર સાચા અર્થમા ‘મા’ હતાં. દેશભરના  જાણીતા નેતાઓ આવતા એમના ભોજનનો પ્રબંધ પણ બા જ કરતાં. અને હું તો એમના માતૃસ્નેહને કોઈ દિવસ નહીં ભૂલું. તે દિવસે સંક્રાંતિ હતી. આશ્રમમાં ગોળની મીઠાઈ બની હતી, પરંતુ મને તે ખાવાની મનાઈ હતી. જ્યારે બધા જમી પરવાર્યાં ત્યારે બા ચૂપચાપ આવી મને થોડી મીઠાઈ આપી ગયાં ! આ એક નાનકડો પ્રસંગ છે પણ એ માતૃત્વથી ભીંજાયેલો છે. જ્યારે બધાં ખાતાં હોય ત્યારે એક દીકરાને મા કેમ ભૂખ્યો જોઈ શકે?

સંસ્કૃતના પ્રકાંડ ૫ંડિત શ્રી પરચૂરે શાસ્ત્રીનું નામ તો જાણીતું છે. એમને કોઢ (લેપ્રસી) થયો હતો અને આશ્રમમાં આવ્યા હતા. એક વાર તો શાસ્ત્રીજી દર્દથી એટલા તો બેચેન થઈ ગયા હતા કે એમણે બાપુને કહી દીધું કે હું આમરણ ઉપવાસ કરીશ. બાપુએ કંઈક વિચારીને એમને હા પાડી. ઉપવાસ દરમ્યાન બાપુ પોતે એમના ઘા ધોતા. ઉપવાસ એક અઠવાડિયું ચાલ્યા અને ચમત્કાર થયો. એમના ઘા રુઝાવા લાગ્યા અને ખુદ શાસ્ત્રીજીએ પોતે ઉપવાસ છોડવાનું કહ્યું ત્યારે બાપુએ હા પાડી. શાસ્ત્રીજીએ ઉપવાસ છોડ્યા તે દિવસે આશ્રમમાં નાનકડો ઉત્સવ ઉજવાયો.

પંડિત પરચૂરે શાસ્ત્રીની સુશ્રુષામાં મગ્ન બાપુ

‘હિંદ છોડો’ની ચળવળને કારણે લાંબા સમય પછી હું બાપુને પંચગનીમાં મળ્યો. ત્યારે રાજાજી હાજર હતા. જેવો હું એમની પાસે ગયો તેવું જ બાપુએએ રાજાજીને કહ્યું :  ‘અરે ભાઈ! જુઓ તો! મેં આમનો  ઈલાજ કર્યો અને સારા પણ કરી દીધા. પણ હજી સુધી મને ફી નથી આપી.’

હુ તો ઠરી જ ગયો! માત્ર એટલું જ બોલી શક્યો :  ‘બાપુ!  શું આપે મારી પાસે કંઈ માગ્યું હતું કે મેં નથી આપ્યું?’

‘તમને યાદ છે કે મેં તમને કહ્યું હતું કે તમારાં પત્ની અને બાળકોને સેવાગ્રામ લાવો; તે તમે લાવ્યા?’

બાપુની ચોટ સીધી હતી.

૫ત્ની અને બાળકોને સેવાગ્રામ લઈ જવા સિવાય મારે છૂટકો ન હતો. જીત બાપુની થઈ, પણ ફાયદો તો મને જ થયો!

એક વાર પૂનામાં જ્યારે બાપુજી દીનશા મહેતાના નિસર્ગ ઉપચાર કેન્દ્રમાં હતા ત્યારે હું એમને મળવા ગયો હતો. ત્યારે મેં જોયું  તો બાપુ હિંદની પ્રાંત ભાષાઓની જાતજાતની વર્ણમાળા લઈને બેઠા હતા! આપણામાંથી કેટલામાં આવો ઉત્સાહ હશે? ત્યારે બાપુજીએ મને કહ્યું હતું કે ‘મારે સવા સો વર્ષ જીવવું છે. પણ દેશને હું કોઈ કામ લાગી શકું તો જ એટલુ જીવ્યું લેખે લાગ્યું ગણાય.’

08 મે 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 306

Loading

સંક્રાંતિ કાળના ભારતની કથા ‘ગોરા’

દીપક મહેતા|Opinion - Literature|7 May 2025

ગ્રંથયાત્રા : 3

ગુરુદેવ ટાગોરની સિદ્ધિ અને પ્રસિદ્ધિ મુખ્યત્વે કવિ તરીકેની. પણ તેમણે છ જેટલી નવલકથા પણ લખી છે. તેમાંની ‘ગોરા’ની ગણના ભારતીય સાહિત્યની ઉત્તમ નવલકથાઓમાં થાય છે. તેમના જન્મ દિવસ નિમિત્તે આજે તેમની ‘ગોરા’ નવલકથાનો ટૂંકો પરિચય આપ્યો છે.

“આખા ભારતવર્ષનાં સુખ દુઃખ, શુભ અશુભ અને જ્ઞાન અજ્ઞાન મારા હૃદયમાં આવી વસ્યાં છે. આજે હું ખરી સેવાનો અધિકારી થયો છું. હું જે થવા માટે રાત દિવસ મથતો હતો પણ થઈ શકતો નહોતો તે આજે થઈ ગયો છું. આજે હું ભારતવર્ષ છું. ભારતવર્ષની બધી જાતિઓ મારી જાતિઓ છે, બધાનું અન્ન એ મારું અન્ન છે.” આ શબ્દો છે ગૌરમોહન ઉર્ફે ગોરાના. આ ગૌરમોહન તે રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘ગોરા’નો નાયક. ‘તમે ગુરુદેવની ગોરા વાંચી છે?’ એવો પ્રશ્ન કોઈએ શરદબાબુને પૂછ્યો ત્યારે તેમણે જવાબ આપેલો: ‘મેં ગોરા વાંચી છે? હા, એક વાર નહીં, બે વાર નહીં, ચોસઠ વાર વાંચી છે!’ એવું તે શું છે આ ‘ગોરા’ નવલકથામાં કે શરદબાબુ જેવા અત્યંત લોકપ્રિય નવલકથાકાર એ ચોસઠ વખત વાંચે? પહેલી વાત તો એ કે ગદ્યમાં અને નવલકથા રૂપે લખાયેલી ગુરુદેવની આ કૃતિ મહાકાવ્યને આંબવા મથતી એક અસાધારણ નવલકથા છે. ઓગણીસમી સદીના સંક્રાંતિ કાળનું, એ કાળનાં મંથનો, વિચારો, પ્રવૃત્તિઓ, વ્યક્તિઓ, સંસ્થાઓ અને ઘટનાઓનું પ્રતિબિંબ આ નવલકથામાં ઝીલાયું છે. કહેવાય છે કે કથાનાયક ગૌરમોહનનું પાત્ર ટાગોરે આયરિશ ભારતપ્રેમી સન્નારી સિસ્ટર નિવેદિતા અને સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વના કેટલાક ઘટકોના મિશ્રણમાંથી નીપજાવ્યું છે અને એ મિશ્રણમાં પોતાના વ્યક્તિત્વના કેટલાક અંશો પણ ભેળવ્યા છે. કહેવાય છે કે સિયાલદા ખાતેની ટાગોરની જાગીરમાં એક સાંજે સિસ્ટર નિવેદિતા અને ટાગોર હાઉસ બોટમાં બેઠાં હતાં ત્યારે સિસ્ટર નિવેદિતાએ કહ્યું કે મને કોઈ વાર્તા કહો. ત્યારે ટાગોરે ગોરાની કથા કહી. પછીથી તેમણે એ વાર્તા નવલકથા રૂપે લખી જે બંગાળી ભાષાના જાણીતાં માસિક ‘પ્રવાસી’માં ૧૯૦૬થી ૧૯૦૯ દરમ્યાન હપ્તાવાર પ્રગટ થઈ. ૧૯૧૦માં તે પહેલી વાર પુસ્તકરૂપે પ્રગટ થઈ. સુરેન્દ્રનાથ ટાગોરે કરેલો તેનો અંગ્રેજી અનુવાદ ૧૯૨૪માં પ્રગટ થયો. ત્યાર બાદ ૧૯૯૭માં સુજિત મુખોપાધ્યાયે કરેલો અનુવાદ પ્રગટ થયો. રાધા ચક્રવર્તીએ કરેલો ત્રીજો અંગ્રેજી અનુવાદ ૨૦૦૯માં પ્રગટ થયો. રમણલાલ સોનીએ કરેલો ગુજરાતી અનુવાદ બે ભાગમાં ૧૯૮૦માં પ્રગટ થયો હતો.

કથાને આરંભે બાબુ કૃષ્ણદયાલ અને આનંદમયીના પુત્ર તરીકે ઓળખાતો ગૌરમોહન આ દેશને અત્યંત ઉત્કટ રીતે ચાહે છે અને તેની ઉન્નતિ માટે ગમે તે ભોગ કે ત્યાગ માટે તે હંમેશાં તત્પર રહે છે. પણ તેને મન ભારત એટલે પરંપરાવાદી, રૂઢિચુસ્ત હિન્દુઓની ભૂમિ, હિન્દુસ્તાન. હિન્દુઓના પવિત્ર અને ઉજ્જવળ વારસાનું જતન અને સંવર્ધન થાય તો જ હિન્દુસ્તાન પોતાના ભૂતકાળના સુવર્ણયુગને ફરી પ્રાપ્ત કરી શકે તેમ ગોરા માને છે. આથી જ સુધારાવાદી બ્રહ્મોસમાજનો તે ઉગ્રપણે વિરોધ કરે છે. ગોરાનો નિકટનો મિત્ર વિનયભૂષણ એક વાર અકસ્માતને કારણે બ્રહમોસમાજી પરેશબાબુ અને તેમના મિત્રની પુત્રી સુચરિતાના પરિચયમાં આવે છે. થોડા અણગમા સાથે ગોરા પણ વિનયની સાથે એ બંનેને અવારનવાર મળતો થાય છે. પરેશબાબુ, તેમની પત્ની વરદાસુન્દરી અને પુત્રી લલિતા, ત્રણે વિનય પ્રત્યે આકર્ષાય છે.

ગળીના કારખાનાના અંગ્રેજ માલિકો અને દેશી મજૂરો વચ્ચેના ઝગડામાં દરમ્યાનગીરી કરવા જતાં ગોરા પોલીસને હાથે પકડાય છે અને તેને એક મહિનાની જેલની સજા થાય છે. ગરીબ મજૂરો અને ખેડૂતો પરના અંગ્રેજોના અત્યાચાર જોયા પછી અને જેલની સજા ભોગવ્યા પછી ગોરાને દેશની પરાધીનતા સવિશેષપણે ખૂંચવા લાગે છે. ન્યાતજાત અને છૂતાછૂત વિશેના તેના મનમાં રહેલા ખ્યાલો પણ સ્વાનુભવે થોડા હળવા થાય છે. પરિણામે જેલવાસ દરમિયાન ઘરેથી મોકલેલું ‘શુદ્ધ બ્રાહ્મણિયા’ ભોજન ખાવાને બદલે તે બીજા બધા કેદીઓને અપાતો ખોરાક જ ખાવાનો આગ્રહ રાખે છે. જેલમાંથી છૂટ્યા પછી ઘરમાં તેને પ્રાયશ્ચિત કરાવવા માટેની તૈયારીઓ શરૂ થાય છે. પણ ચુસ્ત રૂઢિવાદી હિંદુ બાબુ કૃષ્ણદયાલ માટે ગોરા હિંદુ ધર્મવિધિથી પ્રાયશ્ચિત કરે એ વાત જ અસહ્ય બની જાય છે. જરા નવાઈ લાગે એવી વાત છે, નહીં? માત્ર કથાના વાચકો જ નહીં, બીજાં પાત્રો પણ નથી જાણતા તે રહસ્ય માત્ર કૃષ્ણદયાલ અને તેમની પત્ની આનંદમયી જાણે છે. એ રહસ્ય એ છે કે હકીકતમાં ગોરા તેમનો પુત્ર નથી, પણ ૧૯૫૭ના ‘સિપોય મ્યુટીની’ વખતે ભાગી છૂટેલા એક આયરિશ દંપતીનો દીકરો છે. કૃષ્ણદયાલ અને આનંદમયી તો તેના માત્ર પાલક માતાપિતા છે. જન્મે ખ્રિસ્તી એવો ગોરા ચુસ્ત હિંદુ ધર્મવિધિ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરે એ ચુસ્ત હિંદુ કૃષ્ણદયાલ કઈ રીતે સહી શકે? તેઓ પ્રાયશ્ચિત્ત કરવાની મના ફરમાવે છે ત્યારે ગોરા તે માટેનું કારણ પૂછે છે. ત્યારે ગોરાના જન્મ અને જીવનનું રહસ્ય આનંદમયી તેને વ્યથાપૂર્વક જણાવે છે. એ સાંભળતા જ ગોરા ચિત્કાર કરે છે : ‘મા, તુ મારી મા નથી?’ મા કહે છે : ‘બાબા, ગોરા, હું પુત્રહીનનો તું જ પુત્ર. મારા પેટના સંતાન કરતાં તુ મને વધારે વહાલો છે.’ એક પળમાં ગોરાના આખા જીવનનો ભૂતકાળ  સરી પડે છે. તે બંધનમુક્તિ અનુભવે છે. હવે સુચરિતાના પ્રેમનો સ્વીકાર કરવા આડે કોઈ અંતરાય રહેતો નથી. ગોરાના લંબાયેલા હાથમાં સુચરિતા પોતાનો હાથ મૂકે છે અને બંને પરેશબાબુને પ્રણામ કરે છે.    

***

07 May 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

સૂર્યમુખી 

સુરેશ જાની|Opinion - Opinion|7 May 2025

હજુ થોડા દિવસ પહેલાં તો મારો જન્મ થયો હતો. એક પ્રગાઢ નિદ્રામાં હું પોઢેલી હતી. મારામાં કશું ય સળવળતું ન હતું. કોઈ સંચાર ન હતો. કોઈ વિચાર ન હતો. બસ એક અનંત નિદ્રામાં મારું સમગ્ર હોવાપણું પર્યાપ્ત હતું. એ પ્રગાઢ નિદ્રામાં, સુષુપ્ત હોવાપણાના અંતરતમ ખૂણે, કોઈ પ્રછ્છન્ન અભિપ્સા ટૂંટિયું વાળીને સૂતેલી હતી. તે અભિપ્સાને કોઈ દેહ ન હતો; પણ કશુંક બનીને મ્હાલવાની, વિસ્તરવાની, વિકસવાની એક કલ્પના માત્ર હતી. એ તો એક ખ્યાલ જ હતો. શું થવું છે, અને શું બનવું છે, તેની ક્યાં મને કશી ય જાણ જ હતી? એક લાંબા, સ્નિગ્ધ, ઊંડા બોગદાના તળિયે ધરબાઈને, લપાઈને મારું સૂક્ષ્માતિસૂક્ષ્મ હોવાપણું સોડ વાળીને સૂતેલું હતું. મારી બાજુમાં મારા જેવી ઘણી ય સખીઓ પણ મારી જેમ જ સૂતેલી હતી. અમારી નીચે મિષ્ટ જીવનરસનો ઝરો વિલસી રહ્યો હતો અને અમને પ્રેમથી તરબતર કરીને એકમેક સાથે તે ચીપકાવી રહેલો હતો. એ મિષ્ટ જળની સુંવાળી પથારીમાં અમે બધાં એકમેકની હૂંફમાં આમ પોઢેલાં હતાં.

અને ત્યાં તો એ બધા આવી પહોંચ્યા. અમારાથી ય અતિસૂક્ષ્મ એ બધા હતા. પણ તેમનો સ્વભાવ અમારાથી સાવ વિપરીત હતો. એ સૌ તરવરાટથી ભરપૂર હતા. સાવ નાનકડા હતા પણ અત્યંત ચંચળ હતા. એક ઘડી શાંત બેસી રહે એવા એ ન હતા. સૂવાનું કે આરામનું તો નામ જ નહીં. ચીકણા બોગદામાંથી સડસડાટ લપસીને, નીચે આવીને એ બધા અમને ઘેરીને ઘોંઘાટ કરવા લાગ્યા. એમના તરવરાટનું ગુંજન મારી અગાધ શાંતિના શાંત સરવરજળમાં વમળો પેદા કરવા લાગ્યું. મારી એ પ્રગાઢ નિદ્રામાં કોઈના સ્વાગતનો ઢોલ જાણે પીટાઈ રહ્યો હતો. એક વિપ્લવ સર્જાઈ ગયો. અને એ ઢોલના ધબૂકે મારા સુષુપ્ત હોવાપણામાં કોઈક અજાણી જાગ્રુતિ આવી ગઈ. આળસ મરડીને મારામાં કશુંક સળવળાટ કરવા લાગ્યું. એ બધા ઘોંઘાટિયાઓએ કોઈકને મળવાની, તેની સાથે એકાકાર બની જવાની, કશુંક બનવાની, વિસ્તરવાની, મહાલવાની, મારામાં સૂતેલી અભિપ્સાને જગાડી દીધી.

એમાંનો એક તો ભારે બળૂકો નીકળ્યો. મારી દીવાલને તેણે ભેદી નાંખી. આળસ મરડીને બેઠેલા મારા હોવાપણાના સૂક્ષ્માતિસૂક્ષ્મ કણના બધાયે અંશોમાં તે તો ફરી વળ્યો. એક પ્રભંજન જેમ પાંદડાને ઊડાડી મૂકે તેમ, મારો પ્રત્યેક કણ જાગી ઉઠ્યો. અને એ શુભ પળે એ તોફાની નાચણિયાની સાથે હું એકાકાર બની ગઈ. વિશ્વના અનંત રાસની એક સાવ નાનકડી પ્રતિકૃતિ મારી અંદર જાગી ગઈ. મારી સૂતેલી ઇચ્છા આળસ મરડીને પોતાની અંગભંગીઓને આ રાસના તાલે તાલે નર્તન કરાવી રહી. કશુંક બનવાનો એ ખયાલ હવે મૂર્ત સ્વરૂપ ધારણ કરી ચૂક્યો હતો.

કદી નહોતું બન્યું તેવું કાંઈક બનવા લાગ્યું. આ રાસના પ્રભાવે મારામાં નૂતન જીવનનો સંચાર થયો. ધીમે ધીમે મારા હોવાપણાએ વિસ્તરવાની શરૂઆત કરી દીધી. મારી એ પ્રછ્છન્ન અભિપ્સા હવે જાગી ચૂકી હતી. કોઈક નવા ભવિતવ્યની એક રૂપરેખા મારામાં ઘડાવા લાગી. કોઈક નવા જ સ્વરૂપવાળા જીવનો આકાર મારા કણકણમાં ઘડાવા લાગ્યો. બીજો કોઈ આવો તોફાની આ વિસ્તરણમાં ખલેલ ન પહોંચાડે, એ માટે મારી દીવાલ હવે સખત થવા માંડી. મારું કદ પણ સાથે સાથે વધવા લાગ્યું. મારા નિવાસસ્થાન એ બોગદાના તળિયેથી આવી રહેલા જીવનરસના ઝરાના જળને હું તરસ્યા હરણાંની જેમ ઘટક ઘટક પીવા લાગી. મારી એ તૃષાનો જાણે કે કોઈ અંત જ ન હતો. મેં જોયું કે, મારી બાજુની સખીઓના પણ આ જ હાલ હતા. અમે બધીઓ આ રાસમાં રમમાણ હતી. અને એ રાસની પ્રત્યેક હીંચે અમે વધુ ને વધુ પુષ્ટ થતાં જતાં હતાં.

બધાંની સતત વર્ધમાન એવી આ તરસ થકી પેલો ઝરો તો ધીમે ધીમે સૂકાવા લાગ્યો. કાળક્રમે અમે એટલાં બધાં વધી ગયાં અને અમારી તરસ પણ એટલી બધી વધી ગઈ કે, એ ઝરો અમારી તરસને સંતોષી શકે તેમ ન રહ્યું. તે સૂકાઈ ગયો. અમારી ન સંતોષાઈ શકે એવી પ્યાસ માટે એ ઝરાનું જળ હવે પર્યાપ્ત ન હતું. અને અમે બધાં સૂકાં અને ફરી પાછાં સુષુપ્ત બની ગયાં. એક નવી નિદ્રામાં અમે પાછાં સમેટાઈ ગયાં. અમારું નિવાસસ્થાન એ બોગદું પણ સૂકું ભઠ્ઠ બનીને ખરી પડ્યું. અને પવનના એક ઝપાટે અમે સૌ ફંગોળાઈ ગયાં. અથડાતાં, કૂટાતાં અમે ધરતીની ધૂળમાં ઢબોરાઈ ગયાં – વિખરાઈ ગયાં – બધી સખીઓ છૂટી પડી ગઈ. વાયરાએ અમને ક્યાંના ક્યાં ય ફંગોળી દીધાં. એ ગંદી, ગોબરી નવીન વસ્તી હવે મારું નવું નિવાસસ્થાન બની.    

પણ મને ક્યાં આની કશી ખબર જ હતી? એક નવી નિદ્રામાં મારું નવું હોવાપણું, નવી પ્રછ્છન્ન અભિપ્સાઓને લઈને ફરી ટૂંટિયું વાળીને પોઢી ગયું હતું. એક નવા હોવાપણાના, એક નવા જીવનના એક નવા અધ્યાય પહેલાંની આ એક નવીન રાત્રિ હતી. હવે મારી અંદર કોઈ અમૂર્ત ખયાલ ન હતો, હવે તો એક અતિ-મહાન હોવાપણાની બ્લ્યુ-પ્રિન્ટ મારી અંદર છપાઈને આકાર લઈ ચૂકી હતી.

 ધરતીની ગોદમાં, માટીની ચાદરમાં વિંટળાયેલું મારું અસ્તિત્વ ટૂંટિયું વાળીને સૂતું હતું. સ્વચ્છ આકાશમાં સૂર્યનો કાળઝાળ તાપ સોળે કળાએ વિલસી રહ્યો હતો. બધું યથાવત્ હતું. કોઈ ફેરફાર નહીં. કશું જ નવું નહીં. ત્યાં જ ધીમે ધીમે વાતાવરણમાં કાંઈક નૂતન આગમનના સંચાર થવા લાગ્યા. નૈઋત્યના પવન ઘટાટોપ, ઘનઘોર વાદળોને ખેંચી લાવ્યા. આકરો સૂરજ આ ઘટામાં ઘેરાઈ ગયો. મોરની ગહેંક મેઘરાજાને સત્કારતી ગાજવા લાગી. કાળાં ડિબાંગ નભમાં વાદળો પાણીના જળભંડાર ભરીને આવી પહોંચ્યા. વિજળીના ચમકારા કોઈ નૂતન ઘટનાના આગમનના અણસાર આપવા લાગ્યા.

અને બારે મેઘ ખાંગા બનીને ટૂટી પડ્યા. તપ્ત ધરતીનો પાલવ ભીંજાઈ ગયો. કાળઝાળ ગરમીથી તપેલી ધરતી શિતળતાનો આસ્વાદ કરી રહી. મેઘરાજા ફરી આવવાનું વચન દઈને વિદાય થઈ ગયા. સૂરજના કિરણ ફરી સળવળી ઊઠ્યા. ભીની ધરતીની સોડમ અને આ ઉષ્માએ મારી અનંત નિદ્રામાં ખલેલ પાડી. હું તો સફાળી આળસ મરડીને બેઠી થઈ ગઈ. મારા રોમે રોમમાં જીવન જાગી ઉઠ્યું. મારી અંદર સૂતેલાં બ્લ્યુ પ્રિન્ટના પાનાં ફરફરવાં લાગ્યાં. આ સળવળાટના પ્રથમ ચરણમાં એક નાનકડો અંકૂર મારા નાનાશા અસ્તિત્વના આવરણને ભેદીને ટપ્પાક દઈ બહાર કૂદી આવ્યો. મારી અનંત પ્યાસ ફરી  જાગ્રુત બની ગઈ.  ધરતીના પડમાંથી આ અંકુર ઘટ્ટાક ઘટ્ટાક પાણી પીવા માંડ્યો. એ જળ મારી અંદરના સૂકા પાર્શ્વભૂમાં ફરી વળ્યું, અને મારી અંદર ધરબાયેલા કણે કણ આ જળમાં ઓગળી ઓગળીને પેલા નવા આગંતુકને પોષણ દેવા માંડ્યા. એ મૂઓ તો આ બેય ધાવણ ધાવતો જાય અને વધતો જાય. દિવસે ન વધે એટલો રાત્રે વધે.

એની અંદરથી વળી બીજો અંકુર ફૂટ્યો અને એણે તો સીધી આકાશ ભણી દોટ મેલી. પેલા તોફાનીનો વારસદાર ખરો ને! એ તો ધરતીની કૂખને ફાડીને ખુશબૂદાર હવાની લહેરખીમાં ઝુલવા માંડ્યો. મારું ધાવણ અને હવાનો પ્રાણ બન્નેના પ્રતાપે એ લીલો છમ્મ બની ગયો. એના કણે કણ એ હવાને શ્વસવા લાગ્યા. સૂરજની ઉષ્મા મારું ધાવણ અને હવાના પ્રાણ આ ત્રિપૂટીના પ્રતાપે હવે એ તો માળો કમાતો થઈ ગયો! નવા કણોના ઢગલે ઢગલા મારા કુટુમ્બના ભંડારમાં ઉમેરાવા લાગ્યા. મારી અને આ બે અંકુરોની વચ્ચે જીવનરસ વહી જતી એક નાનકડી નદી વહેવા લાગી.

હવામાં ફેલાયેલા મારા લીલા અને કથ્થાઈ ફરજંદો અને ધરતીમાં કેલાયેલા મારા સફેદ સંતાનો આ નદીના કાંઠે વસવા લાગ્યા; વિલસવા લાગ્યા; વધવા લાગ્યા. આ પ્રક્રિયા દિનરાત, પ્રચંડ વેગે વર્ધમાન થતી રહી. નવાં લીલાં પર્ણો અને નવા સફેદ મૂળો નવી નદીઓને વહેવડાવતા કાંઠા સર્જતા ગયા. વિકાસની આ વણથંભી વણજાર ધરતીની અંદર અને ઉપર મુક્ત હવામાં વધતી જ રહી – વધતી જ રહી. પોઠોની પોઠો ભરીને નવા ફરજંદો સર્જાવા લાગ્યા. મારું કુટુમ્બ હજારો અને લાખો કણોમાં ફેલાતું ગયું.

પણ હવે હું ક્યાં? મારું શું અસ્તિત્વ? મારો કયો દેહ? અરે! હું કોણ? મારું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ હવે ક્યાં હતું? હું તો ફેલાઈ ગઈ. એ કણેકણમાં પથરાઈ ગઈ.

મારામાં લખાયેલી એ બ્લ્યુપ્રિન્ટ નું શિર્ષક હતું ‘ સૂર્યમુખી’

હવે મારો વડલો પાંગર્યો હતો. ધરતીમાં દબાયેલું અને બીજના કોચલાની બહાર વીસ્તરેલું મારું હોવાપણું આભને અડવા આંબતું હતું. સૂર્યના કિરણોમાંથી જમણ જમતાં જમતાં અને મૂળિયાંએ છેક ઉપર સુધી પહોંચાડેલો જીવનરસ પીતાં પીતાં, લીલાં પાંદડાં લહેરમાં મસ્ત બની વાયરાની હારે હીંચોળતાં હતાં. આ ભોજન અને પીણાંથી પુષ્ટ બનેલી ડાળીઓએ આખા કુટુમ્બને આધાર આપવાનું કામ ઉપાડી લીધું હતું. એ  તો જીવનરસનો હાઈવે બની ગયાં હતાં.

જીવનારાં મોજીલા જીવ હતા. મારા હૈયે ઊચાટ ઊભરતો હતો. ક્રૂર જલ્લાદ જેવા શિયાળાના ઓતરાદા વાયરા એક ‘દિ વાશે અને આ હર્યા ભર્યા ઘરને તહસ નહસ કરી નાંખશે. મારો વડલો ધરાશાયી બની જશે. મારું બધું કર્યું કારવ્યું ધૂળમાં મળી જશે. આ બધી સંપદા હતી ન હતી થઈ જશે. હવે પાર્શ્વભૂમાં રહ્યે પાલવશે નહીં. મારે કાંઈક કરવું પડશે – નેપથ્યમાં રહીને પણ.

મારી મનોકામનાને વાચા આપતા વાસંતી વાયરા વાયા. મારી મનોકામના મહોરી ઊઠી. ડાળીઓ પર નવી જ જાતના અંકૂર ફૂટવા લાગ્યા. આ બધા મારી આવતીકાલની પ્રજાના જનકો હતાં. તેમનું કલેવર જ કાંઈ ઓર હતું. ધીરે ધીરે આ અંકૂર વિસ્તરવા લાગ્યા. પાંદડાંની જેમ તે માત્ર એક સપાટી પર જ વિકસતા જીવ ન હતા, કે ડાળીઓની જેમ લાંબા લસ પણ ન હતા. એ તો પુષ્ટ અને ધીંગાં હતાં. તેમનામાં કુટુમ્બના વિસ્તરણની ક્ષમતા હતી. એક નવા ભવિષ્યની સંભાવનાને એ ઊજાગર કરવાના હતા. મારી નવી અભિપ્સાઓના, મારા નવા શમણાંઓના, નવી રંગભૂમિ પરના એ કસબીઓ હતા.

એ તો મોટાં ને મોટાં થવાં લાગ્યાં – ઠોસ સામગ્રીથી ભરપૂર. મારું બધું યે માતૃત્વ હવે એમની સેવા ચાકરીમાં, એમના સંવર્ધનમાં સમર્પિત બની ગયું. મારી નવી અભિપ્સાઓને આ બાળુડાંઓ કાર્યાન્વિત કરવાનાં હતાં ને? મારું હોવાપણું હવે એક નવી જ ક્ષિતિજમાં, નવા પરિમાણ અને નવા પરિવેશમાં એક નવા જ કાફલાને રવાના કરવા લાલાયિત બન્યું હતું. મારી બધી જ ઊર્મિઓ ઘનીભૂત બનીને આ અભિયાનમાં પરોવાઈ ગઈ.

અને એક ‘દિ સૂર્યના પહેલા કિરણની ઉષ્મા કોમળ સ્પર્શે, આ નવાંકુર આળસ મરડીને જાગી ગયું. તેનાં અંગ ઉપાંગ મહોરી ઉઠ્યા. તેની આછા રંગની પાંદડીઓ મરોડ ખાઈને ધીમે ધીમે ઊઘડવા માંડી. સોનેરી રંગની અનેક પાંદડીઓની વચ્ચે મખમલ જેવાં મુલાયમ નવજાત શીશુ જેવાં અને મિષ્ટ મધની પમરાટ વાળાં એ બાળુડાં આ જનમ કેદમાંથી બહાર આવીને નવા વિશ્વનું દર્શન કરી રહ્યાં.

‘સૂરજમુખી’ નામને સાર્થક કરી રહ્યાં.

અને આ શું? હું તો પાછી હતી ત્યાં ને ત્યાં મારી જાતને ભાળી રહી. એ જ જૂનું ને જાણીતું, સ્નિગ્ધ બોગદું. અને તેની નીચે મીઠા જીવનરસમાં ફરીથી સૂતેલી હું. ફરક માત્ર એટલો જ હતો કે હવે હું એક ન હતી. અનેક રૂપ ધારી હું મારી પોતાની દીકરીઓ બની ગઈ હતી. એ મખમલી માહોલની ટોચ ઉપર પેલા તોફાની દીકરાઓમાં પણ હું જ તો હતી!

એક નવું ભવિષ્ય આકાર લઈ ચૂક્યું હતું. જીવનના સાતત્યની સંભાવનાની આ નવી શક્યતાના આનંદના પરિપ્રેક્ષ્યમાં મારું નવું હોવાપણું ઝૂમી રહ્યું હતું. એ જ જૂના રાસમાં હું હિંચ લઈ રહી હતી. ફરી જન્મ, ફરી વિકાસ, ફરી મૃત્યુ. બીજમાંથી સૂરજમુખી અને સૂરજમુખીમાંથી બીજ. વરસો વરસ આ જ ક્રમ. જીવનનું સાતત્ય. મારા હોવાપણાનું સાતત્ય.

આ દરેક વર્તુળની સાથે મારું કર્તૃત્વ વિસ્તરતું જતું હતું. આ દરેક વૃત્તની સાથે જડતા, અંધકાર અને અકર્મણ્યતા સામેના મારા કલ્પોપૂરાણા સંઘર્ષમાં હું વિજેતા બનીને આગળ વધતી હતી.

E.mail :  surpad2017@gmail.com

Loading

...102030...293294295296...300310320...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved