Opinion Magazine
Number of visits: 9578326
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડોનલ્ડ ટ્રમ્પ-ઇમરાન ખાનનું ટ્વિટર યુદ્ધ

રમેશ ઓઝા|Opinion - Opinion|22 November 2018

શાસકો પોતપોતાના પ્રતિનિધિગૃહોમાં અને જાહેરમાં જે બોલતા હોય છે એ હંમેશાં પૂર્ણ સત્ય હોતું નથી. તેઓ જેટલું બોલે છે એનાં કરતાં વધુ છુપાવે છે, અને કેટલીક વાર દેશહિતમાં છુપાવવું પડતું હોય છે. વિદેશ વ્યવહારના મુત્સદીઓ એમ કહે છે કે ઘર આંગણેની આંતરિક બાબતોમાં હજુ પણ શાસકો સાધનશુદ્ધિ જાળવી શકે, પરંતુ વિદેશ વ્યવહારમાં સાધનશુદ્ધિ શક્ય નથી. એમાં એક કરતાં અનેક પક્ષકાર હોય છે અને દરેકની મૂલ્યો માટેની સમજ અને પ્રમાણિકતા અલગ અલગ હોય છે.

બીજું કેટલાક દેશોમાં અને દેશો વચ્ચે શરમાવા જેવી અને છુપાવવા જેવી અનેક બાબતો બનતી હોય છે. સોવિયેત રશિયામાં અને ચીનમાં જે બન્યું છે, એની કેટલીક જાણકારી આમ તો આખા જગતને છે, પરંતુ સોવિયેત રશિયા તૂટી પડ્યું એને ત્રણ દાયકા થવા છતાં એ ઓર્વેલિયન યુગની પૂરી જાણકારી હજુ બહાર આવી નથી. આવું જ ચીનનું છે. બીજા વિશ્વયુદ્ધના રહસ્યો હજુ હમણાં સુધી બહાર આવતા હતા.

પણ શાસકો જો તામસી માનસ ધરાવનારા હોય અને ગમ ખાવા તૈયાર ન હોય ત્યારે કવેળાએ પણ રહસ્યો બહાર આવી જતાં હોય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે પોતાને જે સંભળાવવું હોય એને રહસ્ય તરીકે કહેવામાં આવે છે. ગયા રવિવારથી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટ્વિટર યુદ્ધ શરૂ થયું છે. મૂળમાં ઝઘડો બરાક ઓબામાના સમયમાં અમેરિકન લશ્કરના એડમિરલ રહેલા વિલિયમ મેકરાવેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયો હતો. એડમિરલ વિલિયમ મેકરાવેનના નેતૃત્વ હેઠળ અમેરિકન સૈન્યે પાકિસ્તાનની અંદર અબોટાબાદની લશ્કરી છાવણીની અંદર ઘૂસીને ઓસામા બિન લાદેનને પકડ્યો હતો, અને મારી નાખ્યો હતો. આ મેકરાવેને મીડિયાનું ગળું દબાવવાના ટ્રમ્પના વલણની ટીકા કરી હતી જેને કારણે ટ્રમ્પ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે મેકરાવેનને ઓબામાના પીઠ્ઠુ અને હિલેરી ક્લિન્ટનના સમર્થક તરીકે ઓળખાવીને કહ્યું હતું કે ઓસામાને પકડીને અમેરિકાએ કયું મોટું તીર માર્યું હતું! એ પાકિસ્તાનમાં હતો એ આખી દુનિયા જાણતી હતી, પણ ત્યારે તો અમેરિકાએ કોઈ બહાદુરી બતાવી નહોતી અને ઉપરથી અમેરિકા પાકિસ્તાનને આર્થિક મદદ કરતું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પ ભૂલી ગયા હતા કે તેઓ અમેરિકાના પ્રમુખ થઈને અમેરિકાને નીચું ચીતરી રહ્યા છે અને એનાથી પણ મહત્ત્વની વાત એ છે કે ૯/૧૧ની ઘટના બની ત્યારે રિપબ્લિકન પાર્ટીના જ્યોર્જ બુશ અમેરિક્ન પ્રમુખ હતા અને તેમણે પાકિસ્તાનના શાસકોને નરેન્દ્ર મોદીની ભાષામાં બિરયાની ખવડાવી હતી. ઓસામાને ખતમ કરવાનું કામ ડેમોક્રેટિક પાર્ટીના તેમના અનુગામી બરાક ઓબામાએ કર્યું હતું. આમ ટ્રમ્પે એક દેશ તરીકે અમેરિકાને અને પોતાના જ પક્ષની પુરોગામી સરકારને કમજોર ગણાવી હતી. આ તો ટ્રમ્પ છે. ટ્રમ્પ પહેલાં બોલે છે અને પછી વિચારે છે.

અમેરિકામાં નિવૃત્ત એડમિરલ અને પ્રમુખ વચ્ચે જે તડાફડી થઈ એમાં ઇમરાન ખાને કૂદી પડવાની જરૂર નહોતી. પાકિસ્તાનને આપવામાં આવતી સહાય પાણીમાં જાય છે અને પાકિસ્તાન ત્રાસવાદ સામેની દલાઈને નામે અમેરિકા પાસેથી પૈસા પડાવી રહ્યું છે એમ આ પહેલાં પણ ટ્રમ્પ બોલી ચુક્યા છે, એટલું જ નહીં પાકિસ્તાનને અમેરિકા દ્વારા મળતી સહાયમાં ટ્રમ્પે ઘટાડો પણ કર્યો છે. એ સમયે પાકિસ્તાને પ્રતિવાદ કર્યો હતો અને ખુલાસાઓ પણ કર્યા હતા. હજુ જોઈએ તો પાકિસ્તાન ત્રાસવાદ અને અમેરિકન સહાય વિષે ખુલાસા કરી શક્યું હોત, પરંતુ ઇમરાન ખાને ટ્રમ્પને ટ્રમ્પની ભાષામાં જ જવાબ આપ્યો હતો.

જેમ ટ્રમ્પને અમેરિકાના નજીકનાં વર્ષોના ઇતિહાસનું અને પોતાના જ પક્ષના પૂર્વશાસકોના કુકર્મોનું ભાન નહોતું રહ્યું, એમ ઇમરાન ખાનને પણ પાકિસ્તાનના નજીકના ઇતિહાસનું અને પાકિસ્તાનના શાસકોના કુકર્મોનું ભાન નહોતું રહ્યું. બન્નેને એટલી સમજ નહોતી કે જાહેરમાં ગંદા લૂગડાં ધોવાનાં ન હોય. એ શેતાની ધરીની આખા જગતને જાણ છે. ૧૯૭૮માં સોવિયેત રશિયાએ પોતાનાં સૈનીકો મોકલીને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો એ પછી અમેરિકા અને પાકિસ્તાને મળીને રશિયા સામે ધર્મયુદ્ધ શરૂ કર્યું હતું. એ ધર્મયુદ્ધ એટલે ત્રાસવાદ. અમેરિકા અને પાકિસ્તાને મળીને ત્રાસવાદીઓ પેદા કર્યા હતા. આખા જગતના મુસ્લિમ દેશોમાંથી યુવકોની ભરતી કરવામાં આવતી હતી, તેમની અંદર ધર્મઝનૂન પેદા કરવામાં આવતું હતું અને પાકિસ્તાનમાં તેમને લશ્કરી તાલીમ આપવામાં આવતી હતી. હવે આખું જગત એ પણ જાણે છે કે ઓસામા બિન લાદેન અને બીજા ધર્મયોદ્ધાઓને એ સમયના અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગને (અગેન, રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ) વ્હાઈટ હાઉસમાં બોલાવ્યા હતા અને શાબાશી આપી હતી. તેમણે લાદેનની તો પીઠ થાબડી હતી.

૧૯૯૧માં સોવિયેત રશિયાનું પતન થયું અને એ પહેલાં રશિયાએ અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછુ ખેંચ્યું એટલે અમેરિકાનો સ્વાર્થ પૂરો થયો. હવે ત્રાસવાદીઓની અને ત્રાસવાદી સંગઠનોની અમેરિકાને જરૂર નહોતી. પાકિસ્તાનને અને અફઘાનિસ્તાનને રેઢાં મુકીને અમેરિકા ખસી ગયું. આ બાજુ નવરા પડેલા ત્રાસવાદીઓએ શિયાઓને, ઉદારતવાદી મુસલમાનોને અને પાડોશમાં ભારતને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું. બીજી બાજુ તેમણે ખ્રિસ્તી સભ્યતાને, આધુનિક રાજ્યને અને વિશ્વાસઘાત કરનારાં અમેરિકાને ટાર્ગેટ બનાવ્યાં. ધર્મનો દુરુપયોગ શું કહેવાય એની અમેરિકાને અને દુનિયાને સાંપ્રત કાળમાં પહેલીવાર જાણ થઈ. ૯/૧૧નો ન્યૂયોર્કમાં ટ્વિન ટાવર પર થયેલો હુમલો તેની ચરમસીમા હતી.

એ પછી ત્રાસવાદ સામેનું યુદ્ધ શરૂ થયું હતું જેમાં પાકિસ્તાન અમેરિકાનું પહેલી હરોળનું સાથી રાષ્ટ્ર હતું. વાસ્તવમાં પાકિસ્તાન સોવિયેટ રશિયા સામેના યુદ્ધમાં પોતાની ભૂમિ વાપરવા દીધી, ત્રાસવાદીઓ પેદા કરી આપ્યા અને એમાં સરવાળે પાકિસ્તાને જે કિંમત ચૂકવી તેનું વળતર માગતું હતું. ત્રાસવાદ સામેની લડાઈના નામે પાકિસ્તાનના ૭૫ હજાર નાગરિકોની મૂલ્યવાન જિંદગી હોમાઈ ગઈ છે અને તમે પૈસા આપીને કોઈ ઉપકાર નથી કર્યો એમ ઇમરાન ખાને ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે પાકિસ્તાનને અમેરિકા પાસેથી જેટલા રૂપિયા મળ્યા છે, એના કરતાં દસ ગણા વધુ રૂપિયાનું નુકસાન તો પાકિસ્તાને અરાજકતાની કિંમત તરીકે કર્યું છે. અમેરિકા પણ જાણતું હતું કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં છુપાયેલા ત્રાસવાદીઓને ઝેર કરવા હોય તો પાકિસ્તાનની મદદ વિના થઈ શકે એમ નથી.

હવે તેઓ આપસમાં લડી રહ્યા છે જે હાસ્યાસ્પદ છે. કોઈએ એમ નથી કહ્યું કે પાકિસ્તાને અને અમેરિકાએ મળીને ધર્મનો દુરુપયોગ કર્યો એ ખોટું હતું. ત્રાસવાદને વિદેશનીતિ બનાવવાની ન હોય એવો બોધપાઠ અમને મળ્યો છે એમ પણ નથી કહ્યું. ઠીક છે, યુગનો તકાદો છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 22 નવેમ્બર 2018

Loading

તમે રે તિલક રાજા રામના

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|22 November 2018

હૈયાને દરબાર

સાલ ૧૯૭૯. ગુજરાતી સાહિત્ય-સંગીતની એક અદ્દભુત કેસેટ બહાર પડે છે. (હા, એ જમાનો હતો કેસેટનો. સી.ડી. ત્યાર પછી આવી. કેસેટ તો હવે નામશેષ થઇ ગઈ છે.) નામ એનું ‘આંખે કંકુના સૂરજ આથમ્યા’. સામાન્ય રીતે સાહિત્ય અને પુસ્તકોમાં જ રચ્યાપચ્યા રહેતા મારા પપ્પા સંગીતની આ કેસેટ્સ લઈને ઘરે આવે છે. રેકોર્ડ પ્લેયરમાં ઉત્સુકતાથી અમે એને ગોઠવીએ છીએ. કેસેટના આરંભમાં એક ગેબી અવાજ સંભળાય છે, એ અવાજ છે અવાજના જાદુગર હરીશ ભીમાણીનો. અમે એમના અવાજના જાદુમાં ખેંચાતા જઈએ છીએ અને સંગીત એમાં પ્રાણ પૂરી રહ્યું છે. એ વખતે ચડેલો આ કેસેટનાં ગીતોનો નશો આજે ય બરકરાર છે. શું ગીતો હતાં એ! કાવ્યત્વ, સંગીતત્વ અને સાહિત્યને સમાન સ્તરે અને પ્રથમ ક્રમાંકે જ મુકવા પડે એવી આ અદ્દભુત કેસેટ ગુજરાતી સંગીત પ્રેમીઓના ઘરનું મોંઘેરું ઘરેણું બની ચૂકી હતી.

ગુજરાતી થઈને આ કેસેટ વિશે તમે કંઈ જાણતા ન હો તો અમારે કશું કહેવું જ નથી તમારી સાહિત્યિક કે સાંગીતિક સજ્જતા વિશે. આ લેખ વાંચી લો એટલું બસ. ચાર ઉત્તમ કવિઓ જગદીશ જોશી, મણિલાલ દેસાઈ, પ્રિયકાંત મણિયાર તથા રાવજી પટેલ જેઓ તેમની કારકિર્દીનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો, ત્યારે નાની વયે જ ગુજરી ગયા એમની કવિતાઓનું આ આલબમ છે. આ કવિઓની સુંદર કવિતાઓને સંગીતકાર સ્વ. અજિત શેઠે શ્રેષ્ઠ ગાયકો પાસે ગવડાવી ખૂબ લોકપ્રિય બનાવી હતી.

સાહિત્ય અને સંગીતને સહજ રીતે એક સાથે મૂકનારી જૂજ વ્યક્તિઓમાં નિરૂપમા શેઠ અને અજિત શેઠનો સમાવેશ થાય છે. અજિત શેઠના કાર્યક્રમો એટલે પુસ્તક સિવાય સાહિત્યને પામવાનો એક મધુર વિકલ્પ. આ યુગલની કેટલીક મહત્ત્વની સિદ્ધિઓમાં એક સિદ્ધિ તેમના દ્રશ્ય-શ્રાવ્ય કાર્યક્રમોનું આયોજન. સાહિત્યને લોકભોગ્ય બનાવવા દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમનો કલાત્મક વિનિયોગ કરવાની તેમની આગવી સૂઝને કારણે આ કાર્યક્રમોને ખૂબ સરસ પ્રતિસાદ મળતો હતો. આ દંપતીની સાંસ્કૃિતક પ્રવૃત્તિઓની પાછળ એક ચોક્કસ દ્રષ્ટિ રહેલી હતી. કેવળ મનોરંજન દ્વારા પૈસા કમાવાની વૃત્તિ તેમનામાં નહોતી. શિષ્ટ સાહિત્ય અને સુમધુર સંગીત લોકો સુધી પહોંચાડવાની નેમ ધરાવતા આ યુગલે એટલે જ ક્યારે ય ધંધાદારી કાર્યક્રમો કર્યા નહોતા.

‘આંખે કંકુના સૂરજ આથમ્યા’ કેસેટમાં બિનગુજરાતીઓએ ગુજરાતી ગીતો ગાયાં છે. અજિત ભાઈ સાથે થોડાંક વર્ષો પહેલાં થયેલી પ્રત્યક્ષ વાતચીતમાં એકવાર મેં પૂછયું હતું કે, "તમે ગુજરાતીઓ પાસે કેમ નથી ગવડાવ્યું? એ પ્રશ્નના ઉત્તરમાં અજિતભાઈએ જણાવ્યું હતું કે, "ગીતો ભલે બિનગુજરાતીઓએ ગાયાં છે પણ એનું પરિણામ તમે જોયું ને? કેટલું સુંદર ગાયું છે! ગુજરાતીઓને સંગીતના ઊંડાણમાં જવાની, મહેનત કરવાની આદત નથી. હરિહરન, કવિતા કૃષ્ણમૂર્તિ વગેરે સામેથી ફોન કરીને મારી પાસે પ્રેક્ટિસ માટે આવે. એમને કોઈ હેન્ગ અપ્સ નહીં. કોઈ નહીં ગીત બરાબર ન ગવાતું હોય તો નમ્રતાથી એ કહે કે અમને ગીતની બારીક મૂરકીઓ બતાવો. આવી નિષ્ઠા આપણા ગુજરાતી કલાકારોમાં ઓછી જોવા મળે છે.”

અજિતભાઈનાં દીકરી ફાલ્ગુની શેઠ આ ગીતના સંદર્ભમાં કહે છે કે, "મને બરાબર યાદ છે કે પપ્પા આ બિનગુજરાતી કલાકારોને સખત મહેનત કરાવતા હતા. હરિહરનજી પાસે પહેલાં તો શબ્દોના ઉચ્ચાર યોગ્ય – સ્પષ્ટ આવે એ માટે સો વખત તો કાવ્ય પઠન કરાવ્યું હશે. એ વખતે હું બહુ નાની હતી પણ સ્કૂલેથી આવું ત્યારે ઘરમાં હરિહરનજી, ભૂપીજીનાં મ્યુિઝક લેસન ચાલતાં હોય. શબ્દો સમજીને પછી જ ગાવાનું એવો પપ્પાનો આગ્રહ. એટલે ગીત ઉત્તમ બને જ ને! પદ પરંપરા સાથે અનુસંધાન ધરાવતી આ વિશિષ્ટ રચનામાં ગ્રામબાનીની મીઠાશ અને અભિવ્યક્તિનું નવું પરિમાણ છે. આખા ય ગીતમાં તળપદી ભાષાનો ટહુકો અને રવરવતો લય ગુર્જરગીત સૃષ્ટિમાં લહેરાય છે.

અજિત શેઠે સાહિત્યિક મૂલ્ય ધરાવતાં કેટલાંક સરસ આલબમ્સ સંગીતપ્રેમીઓને આપ્યાં. જેમાંથી ‘આંખે કંકુના સૂરજ આથમ્યા’ની લોકપ્રિયતા સર્વોચ્ચ સ્થાને રહી. આ આલબમનાં એકે એક ગીતો આ કોલમમાં સ્થાન પામી શકે એવાં છે. આજે ૧૯મી નવેમ્બરે આ લેખ લખાઈ રહ્યો છે એ મારા સાહિત્યકાર પિતા જયંત પંડ્યાનો જન્મદિવસ છે. એમને ખૂબ ગમતી આ રચના વિશે એટલે વાત કરવી છે કારણ કે યોગાનુયોગે ૧૫મી નવેમ્બરે આ ગીત તમે રે તિલક…ના રચયિતા રાવજી પટેલનો પણ જન્મદિન ગયો. હજુ ગયા અઠવાડિયે જ રાવજીની ૮૦મી જન્મજયંતી ઉજવાઈ તેથી એ રીતે પણ રાવજીને યાદ કરવા એટલા જ જરૂરી.

જે સંજોગો કવિતાને જન્મ આપે છે તે જાણીએ તો તે રચનાને વધુ સારી રીતે માણી શકીએ. એવી જ રીતે રચના કરનાર કવિની પાર્શ્ર્વભૂમિકા હોય તો તેને યથાર્થ રૂપે સમજવામાં મદદ મળે છે. માત્ર અઠ્ઠાવીસ વરસની યુવાન વયમાં સ્વર્ગસ્થ થનાર કવિ રાવજી પટેલ વિશે વાંચીએ તો એમના દર્દનો અહેસાસ થયા વિના રહે નહીં. બે પાત્રો વચ્ચેના વૈષમ્યની ધાર કાઢતી તળપદી ભાષામાં રચાયેલી અને ગ્રામીણ પરિવેશમાં ગૂંથાયેલી તમે રે તિલક રાજા રામના … રચના વારંવાર સાંભળવી ગમે એવી છે.

કવિ રાવજી પટેલ ખેડૂત પુત્ર હતા. અભાવોમાં જન્મ્યા. ઘર-ગામ સાવ ગરીબડું. ડાકોર પાસેનું વલ્લવપુરા ગામ એ ચરોતરનો છેવાડાનો ભાગ. રાવજીનો જન્મ અને ઉછેર અહીં જ થયો હતો. ત્યાર બાદ કોલેજ ભણવા માટે તેઓ અમદાવાદ ગયા. ત્યાં ભણે ને સાથે નોકરી કરે, પરંતુ ૨૮ વર્ષની સાવ નાની વયે ટી.બી.નો રોગ થયો જેમાંથી એ ઊભા ન થઈ શક્યા. ક્ષય રોગમાં સાવ યુવાન વયે અવસાન પામ્યા. રાવજીનાં કાવ્યોમાં કૃષિ જીવન અને નગર જીવન બન્ને ધબકે છે. ગામડું, ખેતર, સીમ, શેઢો, વગડો ઇત્યાદિનાં તાજગીભર્યાં કલ્પનો દ્વારા કવિતામાં એ ગ્રામ્ય જીવનનો અહેસાસ કરાવે છે. એમનાં કાવ્યોમાં ગામડું છૂટ્યાની વેદના અને નગરમાં ગોઠવાઈ ન શક્યાની પીડા વ્યક્ત થઈ છે. નગરની વેદના અને ગામડાંનો ઝુરાપો એમનાં ઘણાં કાવ્યોમાં વ્યક્ત થયો છે.

ગુજરાતી કવિતામાં તમે અને અમે ના સંદર્ભ ઘણાં છે. આ ગીતમાં નાયિકાની પોતાના પ્રિયપાત્ર પ્રત્યેની અગાધ પ્રીતિ અને આદર વ્યક્ત થયાં છે. પ્રિયજનને નાયિકા અહીં ઉચ્ચ સ્થાને બેસાડે છે. એ કહે છે કે તમે રે તિલક રાજા રામના, અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે, તમારી મશે ના અમે સોહિયાં, કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યાં …! પ્રિયપાત્ર પ્રત્યે ખૂબ માન ધરાવતી નાયિકા કહે છે કે તમે રાજા રામના ચંદનના તિલક સમાન છો. તમારું મહત્ત્વ કેટલું વધારે જ્યારે અમે તો ચંદનનું ફક્ત લાકડું જ છીએ. તમે ભાલના તિલક પર બિરાજીને સુગંધ પ્રસરાવી શકો છો જ્યારે અમે તો પાછલી રવેશ જેવાં. રવેશ એટલે પાછલી પરસાળ અથવા તો ભંડકિયું જેમાં આપણે તૂટેલી સાયકલ કે તૂટેલાં રમકડાં કે ભંગારનો સામાન જ મૂકતા હોઈએ એવું સ્થાન. છતાં સ્ત્રીને એનો રંજ નથી.

સ્ત્રી ગમે તેટલી ભણેલી-ગણેલી કે હોશિયાર હોય, એના પ્રિયજનને તો એ પોતાના કરતાં ઊંચા પદ પર જ જોવા ઇચ્છતી હોય છે. એટલે જ કવિની નાયિકા અહીં પ્રિયજનને સંબોધીને કહે છે કે તમે તો ઊંચેરા ઘરના ટોડલા સમાન એટલે તમારા પર તો દીવા મુકાય અને તોરણ બંધાય. જ્યારે અમારું તો જીવવું જ વ્યર્થ છે. તમારું જીવવું ધન્ય છે. લગ્નના તથા લોકગીતના ઢાળમાં આ ગીત ગવાયું છે. કાવ્યમાં પ્રાસ-અનુપ્રાસ ખૂબ સહજ છે. તળપદા શબ્દોને લીધે ગ્રામજીવનની મીઠી સોડમ ગીતમાં અનુભવી શકાય છે અને ગીત હૃદય સોંસરવું ઊતરી જાય છે. નાયિકા કહે છે કે તમારી મશે (તમારી જેમ) અમે ન શોભ્યા પણ તમે ય ઓછાં દુ:ખ નથી વેઠ્યા. સાજણને એ કહે છે કે આ ઉચ્ચ સ્થાને પહોંચવા તમે ય ચંદનના લાકડાની જેમ ઓરસિયા પર ઘસાયા હશો, ટિપાઈને ઘડાયા હશો. તમે પણ કેટલાં ય દુ:ખ ભોગવ્યાં હશે અને સંઘર્ષ કર્યો હશે ત્યારે આ શિખરે પહોંચ્યા છો. કવિ કદાચ અહીં એ જ કહેવા માંગે છે કે વેઠવું કે ઘસાવું એમાં જ જીવનની ધન્યતા છે. સંઘર્ષ પછી જ સફળતા મળે છે, પછી એ પ્રેમ હોય કે પદ. આગળ કવિની નાયિકા કહે છે કે તમે રે અક્ષર થઈને ઊકલ્યા, અમે પડતલ મૂંઝારા ઝીણી છીપના. તમે તો અક્ષર થઈને ઉકેલાય એવા સ્પષ્ટ છો પણ અમે તો છીપમાં બંધ પડી રહેલા મૂંઝારા સમાન છીએ. આ છીપ બહુ ઝીણી છે, બંધ છે, જેમાંથી મોતી નથી નીકળવાનું, એટલે એ બંધ છીપમાં પડી રહેલો મૂંઝારો કેટલો અકળાવનારો હોઈ શકે એ અકલ્પનીય છે. છતાં મારે માટે તો તમે સર્વોચ્ચ સ્થાને છો અને હું એમાં જ ધન્યતા અનુભવું છું.

વલ્લભ વિદ્યાનગરમાં ગુજરાતી ભાષાના અનુસ્નાતક વિભાગના અધ્યાપક, સાહિત્યકાર મણિલાલ હ. પટેલે ગયા વર્ષે મે મહિનામાં રાવજી પટેલનું જીવન ચરિત્ર ‘મોલ ભરેલું ખેતર’ લખ્યું જેને અમદાવાદના વિશ્વકોશ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું. મણિલાલ પટેલ આ વિશે કહે છે કે કુમારપાળ દેસાઈ અને ધીરુભાઈ ઠાકરે મારી પાસે આ કામ કરાવ્યું જેનો મને ખૂબ આનંદ છે. પુસ્તકની લગભગ બધી જ નકલો વેચાઈ ગઈ અને હમણાં ૧૫મી નવેમ્બરે રાવજીના જન્મદિવસે અમે આ પુસ્તક ગુજરાતની શાળાઓમાં વહેંચ્યું પણ ખરું.

હવે ઝડપથી બીજી આવૃત્તિ કરવી પડશે એવું લાગે છે. તેઓ કહે છે, "રાવજીનો પ્રત્યક્ષ પરિચય તો મને થયો નથી પણ એમનો વિલક્ષણ પરિચય હું એફ.વાય. બી.એ માં ભણતો હતો ત્યારે થયો હતો. ૧૯૬૮માં મારા કોલેજકાળ દરમિયાન ૧૦મી ઑગસ્ટે હું લાઈબ્રેરીમાંથી રાવજીનું પુસ્તક ‘અશ્રુઘર’ વાંચવા લઈ આવ્યો હતો. ૧૧મી ઑગસ્ટે લાઈબ્રેરીમાં એ પરત કરવા ગયો ત્યારે ત્યાં સ્ટેન્ડ પર મુકેલા એક છાપામાં રાવજીના અવસાનના સમાચાર સાંભળી હું સ્તબ્ધ થઇ ગયો હતો. એ પછી તો મેં એમનાં બધાં જ પુસ્તકો વાંચી લીધાં. એમના જન્મસ્થળ ડાકોરમાં અમે સાહિત્ય વર્તુળ અને રાવજી ટ્રસ્ટ શરૂ કર્યું. બે વર્ષ પહેલાં જ અમે ડાકોર-વલ્લવપુરાના ત્રિભેટે રાવજીની અર્ધ પ્રતિમા પણ મૂકી છે. ગુજરાતમાં રાવજી આજે પણ લોકપ્રિય છે.

શાળા-કોલેજ કક્ષાએ એમની કવિતાઓ ભણાવાય છે. આ ૧૫ નવેમ્બરે રાવજીની ૮૦મી જન્મજયંતી અમે ડાકોરમાં નવા કવિઓને નિમંત્રીને ઉજવી હતી જેમાં અનિલ ચાવડા તથા ચંદ્રેશ મકવાણાએ રાવજીનાં કાવ્ય વાંચી એમને ઉચિત તર્પણ આપ્યું હતું. વિદેશોમાં સાહિત્યકારોનાં સ્મારકો જોવા લોકો ઊમટતા હોય છે. જોવાલાયક સ્થળોમાં એની ગણના થાય છે. રાવજીની પ્રતિમાને પણ લોકપ્રિય બનાવી ત્યાં કવિ સંમેલનો યોજાય તો એ રાવજીને આપેલી સાચી અંજલિ ગણાશે.

રાવજી જેવા ઉત્તમ કવિ, અજિત શેઠ જેવા પ્રતિબદ્ધ સંગીતકાર અને હરિહરન જેવા ગાયકનો ઘૂંટાયેલો કંઠ હોય પછી ગીત પણ લોકપ્રિયતાની ચરમસીમાએ પહોંચે એમાં નવાઈ શી? નારી સંવેદનાને અભિવ્યક્ત કરતું આ ગીત સાંભળવાનું ચુકતા નહીં.

—————————–

તમે રે તિલક રાજા રામના,
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે;
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં !
‘કહો ને સાજણ દ:ખ કેવાં સહ્યાં!’
તમે રે ઊંચેરા ઘરના ટોડલા!
અમે લજવાતી પાછલી રવેશ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં?
‘કહો ને સાજણ દ:ખ કેવાં સહ્યાં?’
તમે રે અખશર થઈને ઊકલ્યા!
અમે પડતલ મૂંઝારા ઝીણી છીપનાં,
તમારી મશે ના અમે સોહિયાં –
કહો ને સાજણ દ:ખ કેવાં પડ્યાં?

• કવિ : રાવજી પટેલ • સંગીત : અજિત શેઠ • સ્વર : હરિહરન

https://www.youtube.com/watch?v=qRvVLQhuz5w

———————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 22 નવેમ્બર 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=443519

Loading

બા મારું શુભતર અર્ધાંગ હતી : ગાંધીજી

સોનલ પરીખ|Gandhiana|22 November 2018

2018 મહાત્મા ગાંધીનું જ નહીં, એમની અર્ધાંગિની કસ્તૂરબાનંુ પણ સાર્ધ શતાબ્દી વર્ષ છે. કસ્તૂર કાપડિયાનો — બાનો જન્મ પણ 1869 માં, મોહનદાસ ગાંધીના જન્મ પહેલાં છ મહિને થયો હતો; એટલે બાનું સાર્ધ શતાબ્દી વર્ષ તો એપ્રિલ 2018થી શરૂ થઈ ગયંુ છે. આ વર્ષને ‘ગાંધી દોઢસો’ કહીએ છીએ, તેમાં ભાવાર્થની રીતે બા અને બાપુ બંને આવી જાય છે ખરાં, પણ ‘ગાંધી દોઢસો’ કહેનારાં કેટલાંની સ્મૃિતમાં બાપુ સાથે બા પણ આવતાં હશે તે કહેવંુ મુશ્કેલ છે.

કેવું હતું બા-બાપુનું સહજીવન? બાસઠ વર્ષના સહજીવનમાં ખટરાગ તો થયા જ હોય. પણ એકંદરે જોતાં એમ લાગ્યા વિના રહે નહીં કે જેટલાં બા બાપુને સમર્પિ ત હતાં, તેટલા જ બાપુ પણ બાને સમર્પિત હતા. તેમણે કહ્યું પણ છે, ‘બા ખરા અર્થમાં મારું શુભતર અર્ધાંગ (બેટર હાફ) હતી.’ થોડી ઝાંખી કરીએ …

1876માં બા અને બાપુ બંને સાત વર્ષનાં હતાં, ત્યારે એમની સગાઈ થઈ. સગાઈ પછી છ વર્ષે લગ્ન થયાં એ એક સૂચક ઘટના છે. એ જમાનામાં આઠેક વર્ષે તો છોકરીનાં લગ્ન થઈ જ જાય. પણ દીકરી જરા સમજણી થાય તે પછી જ પરણાવવી એવો પિતા ગોકળદાસ અને માતા વ્રજકુંવરબાનો નિર્ધાર હતો. આ નિર્ધાર પરથી તેમને ત્યારના કાઠિયાવાડના પ્રમાણમાં સુધારક વિચારના કલ્પી શકાય.

કસ્તૂરબા માબાપની ત્રણ દીકરીઓમાંથી બચેલી એકની એક દીકરી, બે ભાઈઓની એક માત્ર બહેન — એટલે તેમનો ઉછરે પ્રેમ, લાડ, કાળજી અને સુરક્ષાના વાતાવરણમાં થયો. એથી તેમનું વ્યક્તિત્વ ખીલ્યું. તેર વર્ષની ઉંમરે મોહનદાસ સાથે લગ્ન થયાં ત્યારે કન્યા કસ્તૂર સુંદર, નિર્ભય, સ્પષ્ટ વક્તા અને બુદ્ધિ માન હતી. મોહન પણ હિ ંમતવાન, પ્રામાણિક અને ન્યાયપરાયણ દીવાન કરમચંદનું લોહી હતો. અગ્નિની સાક્ષીએ તેર વર્ષનાં કસ્તૂર અને મોહન પતિ પત્ની બન્યાં.

સત્યના પ્રયોગોમાં મહાત્મા ગાંધીએ તેમના નવા સંસાર વિશે આપેલી રસપ્રદ વિગતો પરથી કહી શકાય કે મોહનને તરુણ પત્ની પ્રત્યે ખૂબ આકર્ષણ અને પ્રેમ હતાં; માલિકીભાવ પણ ઓછો નહીં. જ્યારે કસ્તૂર પતિપરાયણ અને આજ્ઞાંકિત હોવા સાથે ગૌરવશાળી અને સ્વતંત્ર મિજાજની પણ ખરી. પતિની પણ જોહુકમી સાંખે નહીં. પોતાને અયોગ્ય લાગે તે કરે નહીં. દૃઢ મનોબળ, સમજદારી અને વ્યવહારકુશળતા એ તેમનાં ગુણો. પતિના વ્યક્તિત્વ અને ત્યાગનું મહત્ત્વ કસ્તૂરબા બરાબર સમજે છતાં પતિની ધૂનની સામે પણ થાય અને કેટલીક વખત પતિનું જિદ્દી વલણ છોડાવી દેવામાં સફળ પણ થાય. સત્યાગ્રહનું રહસ્ય પોતે કસ્તૂરબા પાસેથી શીખ્યા હતા તેમ ગાંધીજી કહે છે.

બાસઠ વર્ષના દાંપત્ય દરમિયાન મોહનદાસ મહાત્મા બન્યા, અંગત અને જાહેર જીવનનાં શિખરો સર કરતા ગયા, સત્યાગ્રહની અત્યંત મૌલિક પદ્ધતિ શોધી દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં વિરાટ કાર્યો કર્યાં, દેશને બ્રિટિશ શાસનથી મુક્ત કર્યો ને સમગ્ર વિશ્વની વંચિત અને શોષિત પ્રજાને પાંખમાં લેવા ધાર્યું. આવા નિત્ય પરિવર્તનશીલ અને સત્યશોધક આદર્શો અને સિદ્ધાંતો માટે ભોગ આપવા અને અપાવવા કટિબદ્ધ મહાત્માનાં અર્ધાંગિની બનવું એ બહુ કપરું, ગજુ ં માગી લે તેવંુ કામ છે.

1908ની વાત. એ દિવસોમાં કસ્તૂરબાને માસિકની સમસ્યા હતી. છેલ્લા બે પુત્રોના જન્મ પછી એ વધારે ઉગ્ર બનતી ગઈ. એક તરફ દર મહિ ને વધુ પડતું લોહી જવાથી નબળું પડતું શરીર, બીજી બાજુ લડતમાં જોડાયેલા પતિ પુત્રની સલામતીની સતત ચિંતા. પણ ફરિયાદ કરવાનો સ્વભાવ નહીં ને સહનશક્તિ સારી એટલે દિવસભરનાં કામ શાંતિથી પતાવ્યા કરે. બાપુ ત્યારે સત્યાગ્રહ પર એકાગ્ર હતા. કસ્તૂરબાની ઘસાતી કાયાની નોંધ તો લે, પણ એ બાબતમાં ખાસ કંઈ કરી શકે તે સ્થિતિમાં નહીં. એક વાર તેમણે કહ્યું પણ હતું, ‘સત્યાગ્રહીએ દોરડા પર ચાલનારા કરતાં પણ વધારે એકાગ્રતા કેળવવી જોઈએ.’

જો કે એ સત્યાગ્રહનું કોઈ ખાસ ફળ ન આવ્યું. પરવાના બાળવાની ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું ખરું, પણ તેનાથી પરિસ્થિતિ બદલાઈ નહીં. ઑક્ટોબરની શરૂઆતમાં ફિનિક્સમાં બે વ્યસ્ત સપ્તાહ વીતાવ્યા પછી બાપુ જોહાનિસબર્ગ ગયા. લડતનું પરિણામ કંઈ આવ્યું નહીં તેથી તેમણે નિશ્ચય કર્યો હતો કે નવા ઇમિગ્રેશન કાયદાની વિરુદ્ધ સત્યાગ્રહ કરવો ને જરૂર પડ ે તો જેલમાં જવંુ. સાથીઓને સંદેશ આપ્યો, ‘અંત સુધી દૃઢ રહેવું. સહન કરવું એ જ સૌથી મોટું શસ્ત્ર છે. વિજય નિશ્ચિત છે. ’

10 ઑક્ટોબર, 1908ના દિવસે સરકારે તેમને પકડ્યા અને વૉક્સરસ્ટ જેલમાં પૂર્યા. નિયમ પ્રમાણે તેમણે એક આદર્શ કેદીની જેમ જેલના નિયમોનંુ પાલન કરવા માંડ્યું . થોડા દિવસો ગયા અને ફિનિક્સથી આલ્બર્ટ વૅસ્ટનો પત્ર આવ્યો. કસ્તૂરબાને ખૂબ લોહી પડતું હતું. આલ્બર્ટ વૅસ્ટને લાગતું હતું કે કસ્તૂરબાને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવાં જોઈએ. તે માટે બાપુની પરવાનગી તેમણે માગી હતી અને બાપુએ દંડ ભરી જેલ છોડી ફિનિક્સ આવી જવું તેવી તાકીદ કરી હતી.

ત્યારનો બાપુનો કસ્તૂરબા પરનો પત્ર તેમની કઠોર અને કોમળ બંને બાજુઓને એકસાથે વ્યક્ત કરે છે. એક તરફ તેમનો પત્ની પ્રત્યેનો પ્રેમ છે, બીજી તરફ મુશ્કેલ નિર્ણયો લેતી વખતે પોતાની પ્રિય વ્યક્તિઓને સહન કરવંુ પડશે તેથી થતી પીડા છે :

વહાલી કસ્તૂર,

શ્રીમાન વૅસ્ટે તારી તબિયતના સમાચાર આપ્યા. તારી મને ખૂબ ચિંતા રહે છે. છતાં હંુ તારી સારવાર કરવા આવી શકું એ સ્થિતિમાં નથી. સત્યાગ્રહની લડત માટે જીવનનું બધું દાવ પર લગાડી દેવાના મારા નિર્ણયને તું સમજશે તેવી મને આશા છે. જો હંુ દંડ ભરીને તારી પાસે આવંુ તો તે મેં કાયદો તોડ્યો છે તેની કબૂલાત જેવું થાય. તેવંુ ન કરી શકાય તે તંુ જાણે છે. તેનાથી તો લડતની વિશુદ્ધિ જોખમાય. પણ તું જો હિંમત રાખે ને બરાબર ખાય તો તને સારું લાગશે. તેમ છતાં તને કંઈક થઈ પણ જાય, તો હંુ ધારું છું કે તંુ મારા કરતાં વહેલી જ જાય તે વધુ સારું છે. તને ખબર છે કે તંુ મને કેટલી પ્રિય છે અને તે પ્રેમ તંુ જીવતી નહીં હોય ત્યારે પણ તેવો જ રહેવાનો છે. મારા માટે તંુ હંમેશાં જીવંત જ રહેવાની છે. તારો આત્મા અવિનાશી છે.

તેમ છતાં મારા તરફથી હંુ તને એટલી ખાતરી આપંુ છું કે હંુ કદી બીજાં લગ્ન નહીં કરું. મેં તને પહેલાં પણ આ કહ્યું છે. મૃત્યુ આવે તો પણ ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને તારા આત્માને મુક્તિના માર્ગે જવા દેજે. સત્યાગ્રહ માટે તેનાથી વધારે ભવ્ય બલિદાન બીજું કયંુ હોઈ શકે?મારો સંઘર્ષ ફક્ત સત્તાધારીઓ સામે નથી. મારો સંઘર્ષ જાત સાથેનો, પ્રકૃતિ સાથેનો પણ છે. આશા રાખંુ છું કે તંુ આ બધંુ સમજશે અને ગુસ્સો નહીં કરે. વધુ શું લખું?

તારો, મોહનદાસ.

આ પછી કસ્તૂરબાની સ્થિતિ કંઈક સુધરી, પણ સુધારો લાંબો ટક્યો નહીં. જેલમાંથી છૂટી બાપુ તરત જ ફિનિક્સ આવ્યા ત્યારે કસ્તૂરબા ખૂબ અશક્ત અને થાકેલાં જણાતાં હતાં. જાણે પ્રાણહીન ખોળિયું. બાપુને આઘાત લાગ્યો. તેમણે બાને ખૂબ સમજાવ્યાં અને મેડિકલ તપાસ માટે તૈયાર કર્યાં. જાન્યુઆરીની શરૂઆતમાં બાપુ બાને ડરબન લઈ ગયા અને ત્યાં પારસી ડૉક્ટર નાનજીની સારવાર નીચે મૂક્યાં. તેમણે બાને માંસનો સેરવો આપવાની જરૂર જોઈ, બાએ તેનો સાફ ઇનકાર કર્યો, ડૉક્ટરના વિરોધ છતાં બાપુ બાને ગોદમાં સુવાડી રિક્ષામાં સ્ટેશન સુધી લઈ ગયા, બાને ઊંચકીને લાંબુ પ્લૅટફૉર્મ ઓળંગી ટ્રેનમાં સુવાડ્યાં અને ફિનિક્સ લઈ ગયા. માટીના ઉપચાર અને બાપુની પરિચર્યાથી બાની તબિયત સુધરવા માંડી. એક દિવસ એક સ્વામીજી ફિનિક્સ આવી ચડ્યા. કસ્તૂરબા પ્રત્યેની સહાનુભૂતિથી પ્રેરાઈને તેમણે બાપુ, મણિલાલ અને રામદાસની હાજરીમાં દલીલો કરવા માંડી અને ધર્મશાસ્ત્રનાં પ્રમાણો ટાંકીને આપત્તિના સમયે માંસ ખાવામાં વાંધો નહીં, તેવું જોરશોરથી જાહેર કર્યું. બાપુ પણ પાછા પડે તેવા નહોતા. તેમણે શાકાહારના સમર્થનમાં દલીલો કરવા માંડી. ચર્ચા એવી જામી કે તેનો કોઈ અંત દેખાતો ન હતો.

છેવટે બા ઊઠ્યાં, ‘સ્વામીજી, તમે જે કહો તે ખરું. પણ મારે માંસ ખાઈને સાજા થવું નથી. તમારે મારા પતિ અને પુત્રો સાથે જે દલીલો કરવી હોય તે કરો, પણ મારું માથું ન દુખાડો તો તમારો પાડ.’

બા-બાપુના સહજીવનની આ એક નાની શી ઝલક પુલકિત કરે તેવી નથી?

Email : sonalparikh1000@gmail.com

સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, વર્ષ – 6; અંક – 10-11; અૉક્ટોબર – નવેમ્બર 2018; પૃષ્ઠ – 368 – 370   

Loading

...102030...2,9322,9332,9342,935...2,9402,9502,960...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved