Opinion Magazine
Number of visits: 9578159
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગૃહોદ્યોગ, સ્વાસ્થ્ય અને પારિવારિક સંબંધોનું વર્તુળ તૂટી રહ્યું છે

આશા બૂચ|Opinion - Opinion|7 December 2018

આજકાલ વ્યક્તિગત અને સામૂહિક સ્વાસ્થ્ય વિષે વિવિધ પ્રકારનાં સંશોધનો થાય છે, તેના વિષે પુષ્કળ માહિતીનું વિતરણ થાય છે, એ મુદ્દે પ્રસારણ માધ્યમોમાં ચર્ચાઓ થાય છે અને ખાદ્ય પદાર્થો બનાવનારાં તેમ જ દવાઓ બનાવનારી કંપનીઓ જાણે પોતાને કમાણી કરવાનો અમૂલ્ય અવસર મળ્યો તે જવા ન દેવા કમર કસીને જાત જાતની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણમાં મશગૂલ થયેલાં જણાય છે.

મેડિકલ ક્ષેત્રમાં સંશોધન કરનારાં સંગઠનો સરકારના આરોગ્ય ખાતાને તૈયાર ખાદ્ય પદાર્થો બનાવનાર અને વેંચનાર કંપનીઓને ખાંડ અને નમક ઓછું નાખવા ફરજ પાડવા આગ્રહ રાખી રહ્યા છે, કેમ કે ઘણાં રોગ અને માંદગીઓ માત્ર વૃદ્ધોને જ નહીં, યુવાનો અને નાનાં બાળકોને પણ ગ્રસી રહેલી છે. તો સામેથી આરોગ્ય ખાતું અને સુપર માર્કેટના અધિકારીઓ માતાપિતાને પોતાનાં બાળકો માટે વિવેકપૂર્વક ખોરાકની પસંદગી કરવા માટે જવાબદારી લેવા કહી રહ્યાં છે. વધુ પડતા મેદસ્વી હોવાનો પ્રશ્ન હોય કે ડાયાબિટીસ, હૃદયરોગની સંભાવના હોય કે કેન્સરની શક્યતાઓની વાત હોય, વ્યક્તિની જીવન પદ્ધતિની પસંદગીથી માંડીને ઉદ્યોગોની પ્રામાણિકતા, વેપારીઓની નૈતિકતા અને સરકારના ઉત્તરદાયિત્વ વિષે આંગળી ચીંધવાની પ્રણાલી જોર પકડતી જાય છે.

બીજી બાજુ કુટુંબ વ્યવસ્થા છિન્ન ભિન્ન થતી જાય છે, પડોશ સાથેના સંબંધો નહીંવત્‌ રહ્યા છે અને પરિણામે લોકોનાં માનસિક સ્વાસ્થ્ય અને સમાજની સલામતી વગેરે પર વિપરીત અસરો જણાવા લાગી છે તેની ય ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

બીજી બધી સમસ્યાઓની માફક ઉપર ઉલ્લેખ કર્યો એ તમામ પરિબળો સરખે નહીં તો વધતે ઓછે અંશે આપણાં શરીર અને મનનાં સ્વાસ્થ્ય માટે જવાબદાર છે, એવું અનુભવે કહી શકું. ચાર વર્ષના બાળકને રમતાં રમતાં ભૂખ લાગે તો જાતે વોકર્સની ક્રિસ્પસનું પેકેટ ઉપાડીને લઇ લેતાં જોઉં ત્યારે, મહિલાઓને મસાલાના પેકેટ ખરીદતાં જોઉં ત્યારે, દુકાનોમાં જાતજાતનાં અથાણાંઓની નાની-મોટી બરણીઓ હારબંધ ઊભેલી અને પછી ખરીદનારની ઝોળીમાં પડતી અને ડાઇનિંગ ટેબલ પર ગોઠવાતી જોઉં ત્યારે અને ફળોને ટીનના ડબ્બાઓમાં પેક થઈને બહાર નીકળવાની રાહ જોતાં જોઉં ત્યારે મને મારું બાળપણ યાદ આવે.

અમે રહ્યા મધ્યમ વર્ગના. વધુમાં માતા-પિતાએ હસ્તોદ્યોગ અને ગ્રામોદ્યોગથી પેદા થતી વસ્તુઓ વાપરવાનું વ્રત લીધેલું, એટલે ‘અપના હાથ જગન્નાથ’ એ મંત્રના જાપ જપીને મોટાં થયાં. કાતરી કરવા યોગ્ય બટેટા મળવા લાગે તેની જાણ અમારો શાકવાળો કરે. મારી મા શિક્ષિકા. શનિવારે અર્ધા દિવસની શાળા. બપોરે બટેટા લાવી કાતરી કરવા માટેનાં તમામ સાધનો એકઠાં કરી રાખીએ. બીજે દિવસે વહેલી સવારે બટેટા છોલી, કાતરી પાડીને મીઠાવાળાં ઉકળતાં પાણીમાં ઝબોળી તરત જૂની થયેલી સાડી પર તડકામાં સુકવી નાખવાની. બપોર થયે એક તરફ સુકાઈ ગયેલ કાતરીને ફેરવી લેવાની. સાવ કોરી થઇ જાય ત્યારે મોટા ડબ્બાઓમાં ભરી લેવાની. એ બધાં કામ સતત ધ્યાન માંગી લેતાં. ઘેર બનાવેલ કાતરીમાં મીઠું તો નામનું નાખીએ અને તે સિવાય બીજાં કોઈ સ્વાદ-રંગનાં મેળવણની જરૂર નહીં. તળીએ ત્યારે તેલ બહુ ઓછી માત્રામાં વપરાય તે મોટા થતાં સમજાયું. એટલું જ નહીં, ડબ્બો ભરીને કાતરી તળી હોય તો જેને જેટલી જોઈએ તેટલી જ લે, દરેક વ્યક્તિ 100 ગ્રામ કાતરી ખાય એ જરૂરી નહોતું/ તેની સરખામણીમાં આજે crispsના તૈયાર પડીકામાં અનેક સ્વાદ અને રંગના છંટકાવ કરેલા હોય છે. ઉંમર હોય પાંચ, પંચાવન કે પંચાશી, દરેક એ પેકેટમાંની બધી ક્રીસપ્સ ખાય તે તેમના શરીરને અનુકૂળ નથી હોતું.

કાતરી બનાવીને હાથ નવરા થાય ત્યાં મસાલા બનાવવાની ઋતુ આવી પહોંચે. મોટાં ભાગનાં લોકો મસાલા ઘેર બનાવતાં. હળદરના ગાંગડા ધોઈને સુકવી દેવાના. ત્યાર બાદ તેને ખાંડી અને દળવાની. એ જ રીતે સૂકા ધાણા શેકી, જીરા સાથે ભેળવીને ધાણા-જીરું તૈયાર કરવામાં આવતું. મારી આગલી પેઢીએ તો હાથ ઘંટી પર મસાલા દળેલાં, કોઈ ઘરમાં વીજળી સંચાલિત ઘંટી પર દળે તો બીજા નજીકની મિલમાં દળાવે, પણ સરવાળે એ તમામ મસાલા જાતે તૈયાર થતા. તેમાં જાત મહેનત અને શ્રમ ઉમેરાતા.

નવું અનાજ દાણાપીઠમાં આવે. બજારમાં ઘઉં આવે ત્યારે અમારા ઘરમાં પાંચ મણના બે કે ત્રણ કોથળા આવતા અને ઘરની દસ વર્ષની કુમારિકાથી માંડીને નેવું વર્ષની વડદાદી ઘઉં ચાળવા, વીણવા અને દિવેલ દઈને ભરવાના કામમાં જોડાઇ જતાં. ક્યારેક પાડોશીઓ પણ મદદમાં આવી જાય. ઘરના દરેક સભ્ય અને પાડોશીઓ આમ એકબીજાંની સાથે હસતાં વાતો કરતાં કામ કરતાં. પહેલાં હાથ ઘંટી અને ત્યાર બાદ વીજળીથી ચાલતી ઘંટી પર તાજા દળેલ લોટની રોટલી અને રોટલાની મીઠાશ ચાખી હોય તેવા લોકો આજે દુર્લભ હોવાના. આજે દુકાનમાંથી તૈયાર લોટ લઈને રોટલી કરતી ગૃહિણીઓ પણ ઓછી થતી જાય છે કેમ કે સુપર માર્કેટ તૈયાર રોટલી પણ વેંચે. આજે હવે પાડોશીઓ તો શું, ઘરના સભ્યોને પણ આવાં કામ સાથે મળીને કરવાની આવશ્યકતા નથી, આપણે  કેવા  નસીબદાર?

ઘરના બનાવેલ મસાલાને કેરી-ગુંદા આવે તેની રાહ રહેતી. દરેક પરિવારની જરૂરિયાત મુજબ કાચી કેરી અને ગુંદા લાવી. તેના બે-ચાર પ્રકારનાં અથાણાં બનાવવાં એ દરેક ગૃહિણીનો મન પસંદ ઉદ્યમ હતો. આથી જ દરેકને ઘેર જુદા જુદા સ્વાદનાં અથાણાં ચાખવાની લહેજત આવતી. કુટુંબ કે પાડોશમાંથી કોઈને એક પ્રકારનાં અથાણાં બનાવવાની ફાવટ હોય તો કોઈને બીજામાં. એક બીજાને બોલાવી તેમની પાસે શીખવા-શીખવવાની રસમ રહેતી.

આ રીતે મોટા ભાગની વસ્તુઓ ઘેર બનાવવાનો ચાલ હતો એથી કેટકેટલા ફાયદા થતા. એક તો તેનાથી કરકસર થતી. બીજું, ગૃહિણીઓની કાર્યકુશળતા વિકસતી અને જળવાઈ રહેતી અને પેઢી દર પેઢી વારસામાં મળતી રહેતી. આજે તો ગૃહિણીની આવડતનું મૂલ્યાંકન તેને ઘેર પાઠકનાં અથાણાં છે કે અહમદનાં તેના ઉપર આધાર રાખે. બીજો ફાયદો એ થતો કે દરેક વસ્તુઓમાં મીઠું, ખાંડ, તેલ, અન્ય મસાલાઓ પ્રમાણસર નાખવાનો નિયમ અનુસરે તેઓને સ્વાસ્થ્ય જાળવવાનો પણ ફાયદો થતો. એક વર્ષથી વધુ સમય પોતાનો માલ ટકાવવો હોય અને દૂર સુદૂરના દેશોમાં મોકલવો હોય, તેથી કંપનીઓએ બનાવેલ ખાદ્ય પદાર્થોમાં અનેક જાતના રંગ અને રસાયણોનાં મિશ્રણ આપણાં સ્વાસ્થ્યને હાનિકર્તા સાબિત થતાં જણાયાં છે. ત્રીજો અને કદાચ સીધી રીતે આવી બાબતોને સ્પર્શતો ન લાગે તેવો ફાયદો પારિવારિક અને સામાજિક સંબંધોની જાળવણીનો હતો. અગાઉ કહ્યું તેમ ઘરના નાના મોટા બધા સભ્યો પોતાનાથી શક્ય તે તમામ કામ કરે. સહકાર વધે. વડીલોના અનુભવ અને યુવાનોની શક્તિનો એકબીજાને લાભ મળે. પાડોશીઓ અને કુટુંબીઓ એકબીજાને મદદ કરવા હાજર થાય એટલે પરસ્પરનો પરિચય વધે અને મેલ-જોલ જળવાઈ રહે. આજે બૃહદ્દ સમાજ તો શું, એક જ શેરીમાં કે સોસાયટીમાં રહેતાં લોકો એકબીજાંને ભાગ્યે જ ઓળખતાં જોવાં મળે છે; એટલું જ નહીં, એક જ પરિવારના સભ્યોને પણ એકબીજાંની કુશળતા કે આવડતનું ભાન નથી હોતું. સાથે મળીને કામ કરવાથી વાતો કરતાં હસતાં હસાવતાં જે આનંદ થાય, તેનાથી આપણાં માનસિક સ્વાસ્થ્ય પર સારી અસર થાય એ પુરવાર કરવાની જરૂર ઊભી થઇ છે. શેરી કે ગામમાં રહેતાં લોકો પરિચિત ન હોય તો તેમને હાનિ પહોંચાડવામાં હતાશ થયેલો કે ક્રોધે ભરાયેલ આદમી ખચકાય નહીં તેમાં નવાઈ શી?

સંભવ છે કે વધતી જતી શારીરિક અને માનસિક બીમારી અને સામાજિક સમસ્યાઓના કારણો શોધવા જતાં સાવ સામાન્ય લાગે તેવા જૂની ગણાતી જીવન પદ્ધતિના ખ્યાલોને ફરી મંચ પર લાવીને વિચાર કરવાની ફરજ પડે.

e.mail : 71abuch@gmail.com

Loading

Cartoonspace

Keshav|Opinion - Cartoon|7 December 2018

courtesy : "The Hindu", 06 December 2018

Loading

સાહ્યબો મારો ગુલાબનો છોડ,વેલી હું તો લવંગની

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|6 December 2018

હૈયાને દરબાર

જૂની રંગભૂમિનાં નાટકો જેમણે જોયાં છે એમને ખબર છે કે દેશી નાટકનો નશો કેવો હોય!

એ જમાનો હતો જ્યારે નાટકના કલાકારે અભિનય તો કરવાનો પણ સાથે ગાવું ય પડે જ. નાટકનો પ્રયોગ જ્યાં ભજવાવાનો હોય ત્યાં જીવંત સંગીત રેલાતું હોય. એમાં વાજાપેટી, તબલાં અને શરણાઈ લઈ સંગીતકારો સ્ટેજની બરાબર સામે બેસે. (હમણાં એ પ્રકારનું મરાઠી નાટક ‘દેવબાભળી’ જોયું, જેમાં સાજિન્દાઓ સ્ટેજની સામે બેસીને વાદ્યો વગાડતા હતા અને કલાકારો પોતે જ ગાતાં હતાં. આશ્વર્યજનક અને પ્રસન્નકર અનુભવ હતો) પછી કલાકારના સૂરની સાથે સૂર મેળવીને હાર્મોનિયમ શરૂ કરે ને નાટકનો આરંભ થાય. મુંબઈમાં ભાંગવાડીની બાલ્કનીના પગથિયે બેસીને ‘વડીલોના વાંકે’, ‘માલવપતિ મુંજ’, ‘સંતુ રંગીલી’, ‘પાનેતર’ અને ‘સંતાનોના વાંકે’ જેવાં નાટકો એ જમાનાના લોકોએ મન ભરીને માણ્યાં છે. દર્શકો કલાકારને બહુ માનથી જોતાં. ચાલુ નાટકે કોઈ અવરજવર ના કરે. અમદાવાદ, વડોદરા, સુરત ને મુંબઈમાં મોરબીના મહારાજા અને ગોંડલના દરબાર નાટક જોવા આવે. સામાન્ય લોકો પણ ટિકિટ ખર્ચીને નાટકો જુએ, સોશિયલ ગ્રુપ્સની પેકેજ ડીલના ભાગરૂપે નહીં. એમાં ય જૂની રંગભૂમિનાં ગીતો તો નાટકનું સૌથી મહત્ત્વનું અંગ કહેવાય. મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, ધનવાન જીવન માણે છે, હૃદયના શુદ્ધ પ્રેમીને, નાગરવેલીઓ રોપાવ, ઝટ જાઓ ચંદનહાર લાવો, એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી જેવાં ગીતો એ વખતે લોકજીભે રમતાં થઇ ગયાં હતાં. મોતીબાઈ, કમળાબાઈ કર્ણાટકી, રાજકુમારી, માસ્ટર અશરફ ખાન, માસ્ટર કાસમ ઉત્તમ કલાકારો – ગાયકો ગણાતાં. શાસ્ત્રીય સંગીત અને ગઝલ ગાનાર કલાકારો પણ જૂની રંગભૂમિમાં હોંશે હોંશે ગાતાં. ગુજરાતીપણાંની સુગંધ ધરાવતાં ગીતો અદાકારોની સાથે દર્શકો પણ મોટે મોટેથી લલકારતા એવો એમને એ ગીતોનો કેફ ચડતો.

આવાં કેટલાંક લાજવાબ ગીતોમાં ઉચ્ચ શિખરે બેઠેલું ગીત એટલે સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની. ‘હંસાકુમારી’ નાટકના આ ગીતના રચયિતા હતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ. મોહન જુનિયરના સંગીત નિર્દેશનમાં મીનાક્ષી અને ભોગીલાલ નામનાં કલાકારોએ પહેલી વાર આ ગીત ગાયું ત્યારે ગીતને અગિયાર વાર વન્સમોર મળ્યા હતા. તમે માનશો? નાટકમાં આ ગીત ચાલીસ-પચાસ મિનિટ સુધી ગવાતું. આ ગીત કયા સંજોગોમાં બન્યું એ વિશે વિનયકાન્ત દ્વિવેદી સંપાદિત ‘મીઠા ઉજાગરા’ પુસ્તકમાં સરસ આલેખન કરવામાં આવ્યું છે. ‘હંસાકુમારી’ નાટકના મેનેજર રસકવિને ત્યાં પહોંચ્યા અને કહ્યું કે કંપનીની સ્થિતિ ડામાડોળ છે. નાટક ભજવવું છે પણ સફળતાનો મદાર તમારાં ગીતો પર છે. રસકવિ એ વખતે બીમાર હતા. ૧૦૩ ડિગ્રી તાવ હતો તો ય કલમ હાથમાં લીધી અને પ્રણયના ફાગ ખેલતાં યુગલ માટે હૈયાનો નેહ નિતારતી ઊર્મિઓને વાચા આપી, અને એક સર્વાધિક લોકપ્રિય ગીતનો જન્મ થયો; સાહ્યબો મારો ગુલાબનો છોડ! મોહન જુનિયરે આ ગીતને સુંદર સુરાવલિમાં ઢાળ્યું અને પ્રથમ પ્રયોગમાં જ આ ગીતને એકધારા અગિયાર વન્સમોર મળ્યા હતા.

૧૯૩૨માં રસકવિએ ‘તારણહાર’ નાટક માટે એક જ રાતમાં ૨૫ ગીતો લખીને રંગભૂમિના ઇતિહાસમાં વિક્રમ સર્જ્યો હતો. તેઓ રસિક કવિ ઉપરાંત સફળ નાટ્યકાર પણ હતા. રસની લ્હાણ સાથે શબ્દોની ઉચિત ગોઠવણી દ્વારા નાટ્યરસિકોને તેમણે મનમોહક ગીતો આપ્યાં હતાં. તેમણે કેટલાંક હિન્દી ગીતો પણ લખ્યાં હતાં. તેમણે લખેલું કે. આસિફની ફિલ્મ મુગલ-એ-આઝમનું પ્રખ્યાત ગીત, મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે … વિવાદાસ્પદ બન્યું હતું કારણ કે ‘છત્રવિજય’ નાટક માટે રસકવિએ આ ગીતની રચના કરી હતી. પરંતુ, શકીલ બદાયુનીએ એ ગીત પોતાના નામે ચઢાવી ‘મુગલ-એ-આઝમ’માં રજૂ કર્યું. રસકવિએ જ્યારે આ જાણ્યું ત્યારે તે સામે વિરોધ નોંધાવી કોર્ટમાં કેસ કર્યો. છેવટે વિશાળ હૃદય રાખી રઘુનાથ બ્રહ્મભટ્ટે લોકમનોરંજનાર્થે સમાધાન કરી લીધું હતું. પરંતુ, એ બદલ એમને રકમ ચૂકવવામાં આવી હતી. આમ રંગભૂમિના મહર્ષિ તરીકે તેમણે રંગભૂમિને સુંદર ગીતોથી સજાવી હતી.

રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર અને જાણીતા સેક્સોલોજિસ્ટ ડૉ. રાજ બ્રહ્મભટ્ટે જૂની યાદો વાગોળતાં જણાવ્યું કે, "૧૯૩૯માં આર્ય નૈતિક સમાજ તરફથી ‘હંસાકુમારી’ નાટક ભજવાવાનું હતું. આ નાટક કંપનીની આર્થિક સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી. બે મહિનાથી કોઈને પગાર ચૂકવાયો નહોતો. મણિલાલ ‘પાગલ’નું એક નાટક એમને કરવું હતું. એ વખતે જૂની રંગભૂમિ પર રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, પ્રભુલાલ દ્વિવેદી અને મણિલાલનું એકહથ્થુ શાસન હતું. મારા દાદા રસકવિ રઘુનાથ એ સાક્ષરનગરી નડિયાદમાં રહેતા હતા. અમદાવાદથી એમને લેવા ગાડી આવી. શરીર તાવથી ધગધગતું હોવા છતાં તેમણે તાત્કાલિક ગીતો રચી દીધાં અને જુવાનોને શરમાવે એવું આ શૃંગારિક ગીત લખીને આપ્યું. જૂની રંગભૂમિનાં ગીતોનો કોઈ પણ પ્રોગ્રામ સાહ્યબો મારો ગુલાબનો છોડ ગીત વિના આજે અધૂરો જ ગણાય છે. ‘હંસાકુમારી’ નાટકની વાત કરું તો એ જમાનામાં પુરુષો જ સ્ત્રીની ભૂમિકા ભજવતા હતા. નકુભાઈ શેઠ આ નાટક વખતે ડઝન જેટલી નાની છોકરીઓને રોલ કરવા લઈ આવ્યા હતા પરંતુ, સ્ત્રીપાત્ર ભજવતા માસ્ટર ગોરધનની તોલે આવે એવી એકેય નહોતી. છેવટે મીનાક્ષી નામની એક જાટ કન્યા પસંદ કરવામાં આવી. એને ગુજરાતી તો બિલકુલ આવડે નહીં છતાં, ખૂબ પ્રેક્ટિસ કરાવીને ગીત શિખવાડ્યું. નાટકમાં મીનાક્ષી અને ભોગીલાલે જ્યારે આ ગીત ગાયું ત્યારે છવાઈ ગયું હતું. આ મીનાક્ષીનાં ઓરમાન માતા એ સુશીલાજી, જેમને દાદાજીએ દુલારી નામ આપ્યું હતું અને તેઓ ફિલ્મોમાં પણ દુલારી તરીકે ઓળખાયાં. વિનયકાન્ત દ્વિવેદીએ દૂરદર્શનના ‘બોરસલ્લી’ કાર્યક્રમમાં આ ગીતને ફરી જીવંત કર્યું હતું જે દીપક ઘીવાલા તથા રાગિણીએ ગાયું હતું. ત્યારબાદ પ્રવીણ જોશીએ અદી મર્ઝબાન પાસેથી રાઇટ્સ મેળવીને આઈ.એન.ટી.ના એક નાટકને ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ’ નામ આપ્યું અને એ નાટકમાં સરિતા-પ્રવીણની જોડીએ આ ગીત લોકપ્રિય બનાવ્યું હતું. રઘુનાથજી શીઘ્ર કવિ હતા. લખવાનું શરૂ કરે પછી એમની પેન અટકે જ નહીં. ૯૧ વર્ષ સુધી સ્વસ્થ અને આનંદી જીવન જીવ્યા હતા. રંગભૂમિના સવાસો વર્ષના ઇતિહાસમાં ૭૫ વર્ષ એમનું જીવંત પ્રદાન ગણી શકાય. દાદાજીના ૧૨૫ ગીતોનું સંકલન મારા પિતા જયદેવ બ્રહ્મભટ્ટે કર્યું હતું જેનું વિમોચન આવતા સોમવારે રસકવિની સવા શતાબ્દી નિમિત્તે યોજાનાર એક ભવ્ય કાર્યક્રમમાં થવાનું છે. " સ્વાભાવિકપણે આ એક ઐતિહાસિક ઘટના બની રહેશે. ૧૯૩૯માં રજૂ થયેલા નાટક ‘હંસાકુમારી’માં રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે લખેલું આ ગીત આજ દિન સુધી ગુલાબની જેમ મહેકતું રહ્યું છે એ જેવી તેવી સિદ્ધિ નથી!

ઊડશું જીવનમાં જોડાજોડ, પાંખો જેવી પતંગની
સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની

આ રચના અતિ લોકપ્રિય છે. પતંગ અને કિન્નાની જોડાજોડ જીવન પણ જોડાયેલું રહેવું જોઈએ. ઉત્સવની આત્મીયતા સાથે રહીને, જોડાજોડ જીવીને જિંદગીને માણવાની છે. રસકવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ રચિત શૃંગાર રસની રચનાઓમાં આ શ્રેષ્ઠ રચના છે. આગળ કવિ નજાકતથી કહે છે,

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી,
કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી …!

બાદલ-બિજલીના અભિન્ન સંબંધ સાથે સરખાવીને નાયક મસ્તીભર થઈને ગાય છે કે કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી …! આપણો સંબંધ કેસરને ક્યારે કસ્તૂરી ભળે ને જે સુગંધ પ્રસરે એવો છે. આપણું જીવન પણ એમ જ સુગંધિત થવાનું છે. પ્રણયરંગમાં જાતને ભીંજવીને એકબીજાંને મદમસ્ત બની ભીંજાવાના બેઉને કોડ જાગ્યા છે, જેવી અનેક સુંદર અભિવ્યક્તિઓ આ ગીતમાં છે. પ્રેમ એ જગતને જીતવાની સૌથી મોટી તાકાત છે. આ ગીતમાં યૌવનની તાજગી જેવો તરોતાજા પ્રેમ આબેહૂબ વ્યક્ત થયો છે.

રસકવિના બીજા પૌત્ર રાજેન બ્રહ્મભટ્ટ, જેઓ જાણીતા કવિ, લેખક, સંચાલક અને આર્કિટેક્ટ છે તેઓ રઘુનાથ બ્રહ્મભટ્ટ વિશે ગર્વપૂર્વક કહે છે, "દાદાજીને એમના બધાં જ ગીતો મોઢે રહેતાં. તેઓ અલગારી, ફક્કડ જીવ હતા. પૈસાની ખેવના ક્યારે ય નહીં. કોઈ કશું પણ માંગે તો તરત આપી દે. નેપાળના રાજાએ એમને રાજકવિ તરીકે નિમંત્રિત કર્યા હતા પરંતુ, તેમણે નમ્રતાપૂર્વક ના પાડી હતી. તેઓ આવા કોઈ બંધનના મોહતાજ નહોતા. એમનું સૌથી પહેલું નાટક ‘ભગવાન બુદ્ધ’ હતું જેમાં વૈરાગ્યની વાત હતી. આ નાટકે એમને નાટ્યકાર અને કવિ તરીકે પ્રસ્થાપિત કર્યા પરંતુ, વૈરાગ્યના નાટકથી કારકિર્દી શરૂ કરનાર આ કવિએ આજીવન શૃંગાર ગીતો જ લખ્યાં, એટલે જ લોકોએ એમને ‘રસકવિ’નું ઉપનામ આપ્યું હતું. સંગીતની જાણકારી તથા રાગદારીનું ખૂબ જ્ઞાન ધરાવતા હતા. એમનાં ગીતો કે.સી. ડે, મન્નાડે, આશાજી, ગીતા દત્ત અને ગૌહર જાન જેવાં પહેલાંનાં તથા પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત-હેમા, સોલી-નિશા, અનુરાધા પૌડવાલ સહિત આજના અનેક કલાકારોએ ગાયાં છે. કવિ ન્હાનાલાલની જેમ દાદાજી પણ ડોલન શૈલીમાં લખતા હતા. ખૂબ આનંદી જીવ. ક્યારે ય ગુસ્સે ન થાય. અજાતશત્રુ અને આશાવાદી હતા. એટલે જ ૯૧ વર્ષનું સ્વસ્થ જીવન જીવી ગયા.

આ કવિ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત એ પણ છે કે આજના આપણા સુગમસંગીત સમ્રાટ પુરુષોત્તમ ઉપાધ્યાયની કારકિર્દીનું સૌપ્રથમ ગીત રસકવિનું હતું!. પુરુષોત્તમભાઈની ઉંમર તે વખતે દસ-બાર વર્ષની હશે. એમનાં માતા રઘુનાથ બ્રહ્મભટ્ટ પાસે નાનકડા પુરુષોત્તમને લઈને ગયાં અને કહ્યું કે દીકરો સારું ગાય છે, એને ક્યાંક તક આપજો. એ વખતે પુરુષોત્તમભાઈ નડિયાદ પાસેના ઉત્તરસંડા ગામમાં રહેતા હતા. નડિયાદમાં મુંબઈની કોઈક નાટક કંપની આવી હતી, એના માટે દાદાજીએ બીના મધુર મધુર કછુ બોલ .. ગીતને આધારે સાધુ ચરણ કમલ ચિતચોર .. લખીને આપ્યું હતું એ પુરુષોત્તમભાઈ પાસે ગવડાવ્યું. અને પહેલી વખત નાનકડા પુરુષોત્તમે એ ગીત ગાઈને નાની વયે જ જાતને સર્વોત્તમ સાબિત કરી દીધી હતી.

‘સાહ્યબો મારો ગુલાબનો છોડ’ ગીત એવું લોકપ્રિય થયું હતું કે આ જ પ્રથમ પંક્તિ તરીકે વાપરીને બીજાં પણ કેટલાંક ગીતો લખાયાં જેમાં કવિ કૈલાસ પંડિત રચિત, ક્યારે પૂરા થશે મનના કોડ કે સાહ્યબો મારો ગુલાબનો છોડ સૌથી વધુ પ્રસિદ્ધ છે. કવયિત્રી પન્ના નાયકે પણ આ શીર્ષકનો ઉપયોગ પોતાની એક કવિતામાં કર્યો છે.

રસકવિનું અન્ય પ્રણયગીત અહીં યાદ આવે છે, સાંભરે પ્રથમ મિલનની રાત! પ્રથમ મિલનની રાત્રીના મનભાવક ભાવો વ્યકત કરતી નાયિકા કહે છે,

ના ના કરતાં
રસથી નીતરતાં
હૈયાં ધીમે દબાતાં
લજ્જાની પાળો તૂટી ત્યાં
રસ સાગર છલકાતાં
શીખવે સજન
નવીન કોઈ વાત
સાંભરે પ્રથમ મિલનની રાત ..!

https://www.youtube.com/watch?v=YYzrgF5jexs

પૌરવી દેસાઈએ ગાયેલું આ પ્રણયગીત વારંવાર સાંભળવું ગમે તેવું છે. રઘુનાથ બ્રહ્મભટ્ટની અન્ય શૃંગાર રચનાઓ પણ એટલી જ અદ્ભુત છે. તેથી જ મહાકવિ ન્હાનાલાલે રસકવિ વિશે એક સ્થાને લખ્યું છે કે :

એક રઘુનાથ આવ્યા ને એમણે ગાયું : ‘નાગરવેલીઓ રોપાવ તારા રાજ મહેલોમાં’ ને હજારો ગુર્જરનારીઓએ એને ઝીલી લીધું. હરીન્દ્ર દવે કહે છે, "રસકવિ રઘુનાથનું અર્પણ ગુજરાતી રંગભૂમિનું કાયમનું સંભારણું છે. કવિ ! તમે રંગભૂમિને અનહદ પ્રેમ કર્યો છે. તમારો આ પ્રેમ અમારી પેઢીને વારસામાં મળ્યો છે. તો ચંદ્રવદન ચી. મહેતાએ લખ્યું છે, "કવિ રઘુનાથને ‘રસકવિ’નું બિરૂદ મળ્યું છે. આ નાટ્યલેખકે એકે નાટક ના લખ્યું હોત અને ફક્ત ગીતો લખ્યાં હોત તો એમાંથી એવડો કાવ્યસંગ્રહ જરૂર થાત કે જેથી એ પોતાનું સ્થાન આપમેળે કોઇપણ પ્રતિષ્ઠિત કવિસંમેલનમાં પ્રાપ્ત કરી શકત.

આવા લોકલાડીલા રઘુનાથ બ્રહ્મભટ્ટનો જન્મદિન ૧૩મી ડિસેમ્બરે છે. એમની સવાસોમી જન્મજયંતી નિમિત્તે રસકવિને શ્રદ્ધાંજલિ સાથે શત શત વંદન.

———————————

સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની,
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી,
કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી.

રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ :
ઓઢણી ઓઢી ઉમંગની.

• કવિ : રઘુનાથ બ્રહ્મભટ્ટ • સંગીત : મોહન જુનિયર.

https://www.youtube.com/watch?v=uyFXgDwD6So

માવજીભાઈની વેબસાઇટે આ કાવ્યરચના આમ સાંપડે છે :

http://www.mavjibhai.com/MadhurGeeto/085_saybomaro.htm

સાહ્યબો મારો ગુલાબનો છોડ

સાહ્યબો મારો ગુલાબનો છોડ  વેલી હું તો લવંગની
સાહ્યબો મારો ગુલાબનો છોડ  વેલી હું તો લવંગની

ઊડશું  જીવનમાં જોડાજોડ  પાંખો  જેવી  પતંગની
ઊડશું  જીવનમાં જોડાજોડ  પાંખો  જેવી  પતંગની

સાહ્યબો મારો ગુલાબનો છોડ  વેલી હું તો લવંગની

આભલાનો મેઘ હું  તું મારી વીજળી
કેસરને  ક્યારડે  કસ્તૂરી  આ ભળી

આભલાનો મેઘ હું  તું મારી વીજળી
કેસરને  ક્યારડે  કસ્તૂરી  આ ભળી

રંગમાં ભીંજી ભીંજાવાના કોડ મંજરી જેવી વસંતની
રંગમાં ભીંજી ભીંજાવાના કોડ મંજરી જેવી વસંતની

સાહ્યબો મારો ગુલાબનો છોડ  વેલી હું તો લવંગની

સાહ્યબો સોહે કસુંબીનો રંગ ઓઢણી ઓઢી ઉમંગની
સાહ્યબો સોહે કસુંબીનો રંગ ઓઢણી ઓઢી ઉમંગની

સાહ્યબો મારો ગુલાબનો છોડ  વેલી હું તો લવંગની

પાંખો   જેવી  પતંગની  મંજરી  જેવી  વસંતની
ઓઢણી ઓઢી ઉમંગની  વેલી  હું  તો  લવંગની

————————————

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 06 ડિસેમ્બર 2018

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=454535

Loading

...102030...2,9182,9192,9202,921...2,9302,9402,950...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved