Opinion Magazine
Number of visits: 9684997
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પી.જી. કે પુ.ગો.? કે.પી. કે કુ.પો.?

રામજીભાઈ પટેલ|Opinion - Opinion|14 May 2019

માર્ચ ૨૦૧૯ના ‘અભિદૃષ્ટિ’માં આચાર્ય એમ.કે. પટેલનો માહિતીપ્રદ લેખ ‘ડૉ. પી.જી. પટેલ’ વાંચ્યો. આમાંથી ફલિત થતા એક મુદ્દા વિશે લેખકને મેં પત્ર લખ્યો છે. મુદ્દો સમગ્ર શિક્ષણ જગતને તથા ગુજરાતી ભાષાના ગૌરવને સ્પર્શતો હોઈ જાહેરમાં મૂકવો આવશ્યક બને છે.

ગુજરાતી લખાણમાં અંગ્રેજી આદ્યાક્ષરો ટાળી ગુજરાતી આદ્યાક્ષરો વાપરવા એ ‘અભિદૃષ્ટિ’ની નીતિ છે. વળી, નામપૂર્વે ‘ડૉ.’, ‘પ્રા.’ જેવી પદવી / પદસૂચક શબ્દો પણ ટાળવાની નીતિ રહી છે. આ સંદર્ભે સંપાદક રોહિત શુક્લ દ્વારા વખતોવખત સૂચનાઓ પણ અપાઈ છે, ત્યારે આ લેખનું શીર્ષક તથા લેખકનામ વિપરીત કેમ હશે? આપણે આ વિચિત્રતાથી ટેવાઈ ગયા છીએ ને લેખમાં આ અંગે સુધારા કરવા હોય, તો સંપાદકે સમય આપવો પડે એ કારણે અપવાદ તરીકે આમ ચલાવાતું હશે?

પુરુષોત્તમભાઈ ગોકળદાસ પટેલનું ગુજરાતી ટૂંકું રૂપ પુ.ગો. પટેલ થાય; પી.જી. પટેલ કેવી રીતે થાય? હા, પીતાંબરભાઈ જીવરામદાસનું પી.જી. જરૂર થાય. અન્યથા એ ગુજરાતી લિિપમાં અંગ્રેજી જ ગણાય. આ મુદ્દે મેં પુ.ગો. જોડે દાયકા અગાઉ રૂબરૂ વાત પણ કરેલી. એટલું જ નહીં, એમને મેં સૂચવેલું કે એક લેખ ‘હવેથી હું પી.જી. નહીં, પુ.ગો. છું,’ એવા શીર્ષકે પણ આપો. જવાબમાં એમણે કહેલું કે ગૂજરાત વિદ્યાપીઠમાં હતો, ત્યાં સુધી પુ.ગો. હતો, પછી પાલનપુર પ્રાધ્યાપક – આચાર્ય તરીકે ગયો, ત્યારથી પી.જી. બન્યો! પુ.ગો. માતૃભાષા અભિયાન સાથે પણ સંકળાયેલ હતા, તેથી એમણે મારી વાત સ્વીકારવા જેવી હતી. વિદ્યાપીઠની મ.જો., મ.દે. મ.પ્ર.દે. જેવી માતૃભાષાનું ગૌરવ જાળવતી ટૂંકાક્ષરી પાલનપુરમાં છોડી દેવાઈ તે બરાબર નહોતું. ખેર! આવું કેમ બન્યું? આની પાછળ એક જ કારણ હોઈ શકેઃ અંગ્રેજીથી મળતી સાચીખોટી પ્રતિષ્ઠા છોડવી નથી. માતૃભાષાના ખરા પ્રેમીને, ‘પ્રગતિશીલ શિક્ષણ’ના તંત્રીને એ શોભે?

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કુલીનચંદ્ર પોપટલાલ યાજ્ઞિક કે.પી. યાજ્ઞિક ને કુ.પો. યાજ્ઞિક બંને રીતે જાણીતા છે, પરંતુ આ બંને નામ કંઈ વિકલ્પ નથી, કુ.પો. જ ગુજરાતી ગણાય, કે.પી. તો ગુજરાતી લિપિમાં અંગ્રેજી જ ગણાય (નહિતર કોઈ કેશવલાલ પીતાંબરદાસ પણ સમજી બેસે!) સાહિત્ય પરિષદના એક કાર્યક્રમમાં, દશ-બાર વર્ષ અગાઉ, રૂબરૂ મળવાનું થતાં તેમણે મને જણાવેલું કે તેઓ મારી વાત જોડે સંમત છે. કુ.પો. જ ગુજરાતી ગણાય. મેં એમને વિનંતી કરેલી કે આ વાત જાહેરમાં પણ મૂકો. પછી પત્ર દ્વારા પણ યાદ કરાયેલું પરંતુ કોઈ કારણે મારી વિનંતી હજી સુધી સ્વીકારાઈ નથી! આની પાછળનું કારણ પણ અંગ્રેજીથી મળતી પ્રતિષ્ઠા છોડવાની તૈયારી ઓછી હશે. એ જ હશે ને?

યાજ્ઞિકસાહેબ કુલપતિ હતા, ત્યારે ૨૨-૦૧-૧૯૯૧ના રોજ આ મુદ્દે મેં એમને, ઉ.ગુ. યુનિવર્સિટીના પરીક્ષા-નિયામકને તથા વડનગર કૉલેજના આચાર્યને સંયુક્ત પત્ર પાઠવેલો. ત્રણ મહાનુભાવો પૈકી કોઈનોયે ઉત્તર મળ્યો નહોતો. ૧૯૯૫માં પ્રગટ થયેલ મારા પુસ્તક ‘અબકડ કબ તક?’માં પરિશિષ્ટ-૨ તરીકે એ છપાયો છે.

હ.કા. કૉલેજના ગુજરાતીમાં એચ.કે. કૉલેજ કેમ કહી શકાય? કેમ લખી શકાય? આમ કરવું એ માતૃભાષાદ્રોહ ન ગણાય?

‘નવનીત-સમર્પણ’માં ઑગસ્ટ-૨૦૧૭ સુધી ભારતીય વિદ્યાભવન(મુંબઈ)ના પ્રમુખનું નામ સુરેન્દ્રલાલ જી. મહેતા આવતું હતું, તે સપ્ટેમ્બર ૨૦૧૭થી સુરેન્દ્રલાલ ગિ. મહેતા આવવા લાગ્યું છે.  આમ અંગ્રેજી આદ્યાક્ષર જી. પડતો મૂકી ગજરાતી આદ્યાકાર ગિ. અપનાવ્યો છે. આ ભાષાસુધાર અનુકરણીય નથી?

ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળના માસિક ‘પુસ્તકાલય’માં થોડા મહિના અગાઉ સંપાદકોનાં નામ અંગ્રેજી આદ્યાક્ષરમાં આપતાં હતાં. ધ્યાન ખેંચવાથી હવે તે ગુજરાતી આદ્યાક્ષરોવાળાં આવે છે. (જયેન્દ્ર એસ. ભાવસાર નહીં, જયેન્દ્ર શાં. ભાવસાર અવિનાશ બી. મણિયાર નહીં, અવિનાશ ભો. મણિયાર વગેરે) સંસ્થાપ્રમુખનું નામ પણ જશવંતભાઈ એમ. પટેલને બદલે જશવંતભાઈ મ. પટેલ આપે છે. આ સુધારવૃત્તિ અનુકરણીય છે.

પુ.ગો.એ ધ્યાન ખેંચવા છતાં પી.જી. છોડ્યું નહીં. હવે તો તેઓ દિવંગત થયા, તો આપણે પણ પી.જી. લખતા રહેવું? મારો નમ્ર મત છે કે ના, પી.જી. શૈલી આપણે છોડી દેવી ને પુ.ગો. શૈલી જ અપનાવવી. મ.ક. પટેલ(એમ. કે. પટેલ)ના પ્રસ્તુત લેખમાં તેઓ આવી નોંધ કરી શક્યા હોત. પી.જી. તરીકે જાણીતા બનેલા પુ.ગો. વિશે હું લખું છું …. આવું બની શકે? હા, જરૂર બની શકે! ‘નવચેતન’કાર મુકુન્દ પી. શાહના કિસ્સામાં એમના દીકરાઓ વિજયભાઈ અને હેમન્તભાઈએ ‘નવચેતન’ના ડિસેમ્બર, ૨૦૧૪ના અંકથી સંવર્ધકનામ મુકુન્દ પી. શાહને બદલે મુકુન્દ પ્રા. શાહ આપવું શરૂ કર્યું છે. (કેમ કે પ્રાણજીવનદાસનું ટૂંકું રૂપ પ્રા. જ થાય.) સાહિત્ય-સામયિકજગતે આ પરિવર્તનીય નોંધ ભલે ન લીધી હોય અને તેને અનુસરનારા પણ ખાસ મળ્યા ન હોય છતાં એ મહત્ત્વની ઘટના છે. આજે નહીં તો આવતી કાલે ‘કુમાર’, ‘પરબ’, ‘શબ્દસૃષ્ટિ’ સહિત અન્ય પત્રો પણ પુ.ગો. શૈલી અપનાવશે. એવી આશા રાખવામાં વાંધો નથી.

પી.જી.નું પુ.ગો. કરવામાં થોડી તકલીફ પડે તો તે, માતૃભાષાપ્રેમ ખાતર, સહર્ષ સપ્રેમ સ્વીકારી લેવી રહી. ગાંધીજીએ એમ.કે. ગાંધી યા મોહનદાસ કે. ગાંધી ક્યારે ય લખ્યું નથી, એ વાત ગાંધીજીની ૧૫૦મી જયંતી પ્રસંગે જો આપણે યાદ કરીએ, તો મો.ક. ગાંધી શૈલીનું પ્રચલન વધવા લાગે. ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાત સરકાર સહિત સત્તાધીશ સંસ્થાઓએ આ મુદ્દે ગંભીર વિચારણા કરવી ઘટે.

ગુજરાતી લખાણમાં આદ્યાક્ષરો પણ ગુજરાતી જ જોઈએ, એ મુદ્દો ટૂંકમાં પણ સ્પષ્ટ રીતે કિશોરલાલ મશરૂવાળાએ ૩૧-૧૦-૧૯૪૮ના ‘હરિજનબંધુ’માં સમજાવ્યો છે. ઉપરાંત ગુજરાત સરકારે આ વાતના સમર્થનમાં સ.ઠ. (સરકારી ઠરાવ – G.R.) પણ ૨૦મી એપ્રિલ, ૧૯૬૭ના રોજ કરેલો છે. આ બંને લખાણો ‘અભિદૃષ્ટિ’ના એપ્રિલ ૨૦૦૮ના અંકમાં પ્રગટ થયેલ છે ને મારા પુસ્તક ‘જોડણીશુદ્ધિ’, ‘જોડણીસુધાર’માં ગ્રંથસ્થ પણ થયેલ છે. મારા પુસ્તક ‘અબકડ કબ તક?’માં પણ આ સંદર્ભે વિસ્તૃત સ્પષ્ટતા કરવામાં આવી છે.

બાલેશ્વર વિહાર, બોપલ, અમદાવાદ.

સૌજન્ય : “અભિદૃષ્ટિ”,  [વર્ષ 13 • અંક : 138-139] મે – જૂન 2019; પૃ. 11-12 

Loading

નાંગેલીઃ વંચિતધારાના ઇતિહાસનું બળોકું અને સ્ત્રી-સન્માનનું અપ્રતિમ પ્રતીક

હરપાલ રાણા|Opinion - Opinion|14 May 2019

નાંગેલી લોકસાહિત્યમાં જીવંત છે પણ સરકારી દફતરોમાં તેની નોંધ નથી. લોકજીભે જીવંત ઇતિહાસ શું ઇતિહાસ ન હોઈ શકે? હમણા મદ્રાસ હાઇકોર્ટના આદેશથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSC)એ ધોરણ-નવના સામાજિક વિજ્ઞાનના પાઠયક્રમમાંથી ‘Caste, Conflict and Dress Change’ નામનો પાઠ હટાવી દીધો છે. પાઠમાં ઈ.સ. ૧૮૦૦ના વર્ષોની આસપાસ નિમ્ન ગણાતા ‘નાદર’ સમાજની સ્ત્રીઓને સવર્ણ સમાજના ‘નાયર જાતિની સમિતિ’ના ફરમાન દ્વારા ઉપવસ્ત્ર ધારણ કરવાનો અધિકાર નહતો અપાયો અને તેઓને પોતાનું ઉપલું શરીર ખુલ્લું રાખવાની ફરજ પાડવામાં આવતી. રદ્દ કરાયેલા પાઠના અંશોઃ

૧. વસ્ત્રો પહેરવા એ સવર્ણ જાતિઓ માટે માન-સન્માનની બાબત છે અને વિશિષ્ટ અધિકાર પણ છે. પણ જો નિમ્ન જાતિઓની સ્ત્રીઓએ પોતાનું ઉપલું શરીર ઢાંકવું હોય તો ‘મુલક્કરમ’ અથવા ‘સ્તન કર’ (breast tax) આપવાની ફરજ પાડવામાં આવતી. ૧૮૨૨માં ‘નાદર’ અને ‘એઝવા’ સમાજની સ્ત્રીઓએ આ પ્રકારની અન્યાયી પ્રથા સામે બળવો કર્યો હતો અને કહ્યું કે સવર્ણ જાતિની મહિલાઓ પહેરે છે તેવા વસ્ત્ર તે પણ પહેરી શકે.

મદ્રાસ હાઇકોર્ટના આદેશથી સામાજિક વિજ્ઞાનમાંથી આ ચેપ્ટર ઉડાવી દેવામાં આવ્યું. તેની પ્રતિક્રિયામાં IIT મદ્રાસના આસિસ્ટન્ટ પ્રોફેસર કહે છે કે “આ પ્રકારનો વિવાદ કોઈ નવો નથી. જે તે સરકાર સત્તા પર આવે છે ત્યારે સંગઠિત જાતિઓ અને ધાર્મિક જૂથોના દબાણને લઈને પાઠ્યક્રમ ઘડતરમાં પરિવર્તન કરે છે. દરેક જૂથ વર્ગખંડમાં ઇતિહાસના સંવેદનશીલ મુદ્દાઓને ભણાવાય તેના પર ભાર મૂકે છે. આ પ્રકારના ઇતિહાસલેખનમાં સમુદાયોના ભવ્ય ભૂતકાળને દર્શાવવા ફેરફારો કરવામાં આવે છે. ઇતિહાસના ક્રમિક વિકાસમાં લિંગ અને જાતિ સંબંધો (gender and caste relations) સમજવા જરૂરી છે તેને ઇતિહાસમાંથી દૂર કરવા સરવાળે ઇતિહાસને જ નુકસાન છે. વર્ગમાં વિધાર્થીઓને વસ્તુલક્ષી ઇતિહાસ ભણાવવાથી વંચિત રાખવા એ સરકાર તરફથી કરવામાં આવતો મોટામાં મોટો અન્યાય છે.”

But in this process, very important historical events and insights that are highly relevant to understand historical evolution of gender and caste relations in India are erased. Denying the opportunity to learn objective history in classrooms is one of the greatest injustices that the government can do to students.” (India Today Web Desk, December 27, 2016.)

ઇતિહાસના પુનર્લેખનમાં વસ્તુલક્ષિતા અને પ્રમાણિક્તા જાળવવી જરૂરી છે. ઇતિહાસ માત્ર રંજન કરવા માટે નથી પણ કાળક્રમે માનવ સમાજે જે કાંઈ પણ સારું-નરસું કર્યું હોય તેને યથાતથ મૂલ્યાંકન કરવા પોતાની શ્રેષ્ઠતા કે ભદ્રતા દર્શાવવા ઇતિહાસને ભૂંસવો કે રદ્દ કરવો એ યોગ્ય નથી. આજે ઇતિહાસ સાથે સૌથી મોટા ચેડાં થઈ રહ્યા છે.

નાંગેલી વંચિત સમાજની મજૂરી કરી જીવન ગુજરાતી એક સામાન્ય સ્ત્રી હતી. પણ તેણે જે કાર્ય માટે બલિદાન આપ્યું જેમાં માનવીય અધિકાર અને મનુષ્ય સમાજના મૂળભૂત હકની વાત છે. તેના બલિદાનમાં સમતા, સ્વતંત્રતાની વાત છે તો બીજી તરફ સ્વમાન, સ્વાભિમાન અને સામાજિક ન્યાય માટેની મુહિમ જોવા મળે છે. અલાઉદ્દીનને શરણે ન જનાર પદ્માવતી સ્ત્રીઓનાં સન્માન અને ગૌરવનું પ્રતીક બને છે જ્યારે બહુજનસમાજની નાંગેલી, ફુલનદેવીના અપ્રતિમ કાર્યની નોંધ સુદ્ધાં લેવાતી નથી. આપણા દંભી અને પાખંડથી ભરપૂર હિન્દુ સમાજમાં સામાજિક પરિવર્તન અને સામાજિક બદલાવ માટે લડત ચલાવવી એટલે પત્થર સાથે માથું અથડાવવા જેવી બાબત છે કારણ કે હિન્દુ સમાજનો પાયો વર્ણવ્યવસ્થા છે અને તેનું સમર્થન શાસ્ત્રો દ્વારા કરવામાં આવેલું છે. વર્ણવ્યવસ્થાનું ઉલ્લંઘન એટલે ધર્મદ્રોહ અને ધર્મનું અપમાન. આ વ્યવસ્થાના લીધે સમાજ પર ચોક્કસ સમુદાયો અને જાતિઓનું વર્ચસ્વ સ્થપાયું અને બહુજન સમાજ પર તેમનું આધિપત્ય પણ સ્થપાયું. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓ, શુદ્રો, અતિ-શુદ્રો પિસાવા લાગ્યા અને અનેક અમાનવીય બંધનો ખૂબ પ્રાચીન સમયથી તેમના પર લાગુ પાડવામાં આવ્યા. સામંતવાદ, પિતૃસત્તાત્મક ભારતીય સમાજમાં સ્ત્રીઓ, શુદ્રો, અતિ-શુદ્રોની સૌથી ખરાબ અને ભૂંડી હાલત થઈ છે. તેમાં પણ સ્ત્રીઓ અને તેમાં પણ દલિત-મૂલનિવાસી સ્ત્રીઓનું જીવન નર્કાગારથી કાંઇ ઓછું ન હતું.

આજના કેરળ પણ પહેલાનું ત્રાવણકોર રાજ્યના ચેરથાલા ગામમાં નાંગેલી અને તેનો પતિ ચિરુકંદન રહેતાં હતાં. તેના જન્મ વિષે માહિતી મળતી નથી પણ ૧૮૦૩માં તે મૃત્યુ પામી હતી. નાંગેલી એઝવા (Ezava) સમાજની હતી. એઝવા નિમ્ન જાતિ ગણવામાં આવતી.

નાંગેલી અને તેનો પતિ ચિરુકંદન એઝવા જાતિના હતાં અને તાડી ઉતારવાનું કાર્ય કરતાં. ખૂબ મહેનત કરી જીવન ગુજરાન ચલાવતા. તેમને કોઈ સંતાન ન હતું. ત્રાવણકોર રાજ્યમાં રાજા દ્વારા કેટલાક એવા વેરાઓ ઉઘરાવવામાં આવતા જે માનવીય ગરિમા અને સન્માનને ઠેસ પહોંચાડતા હતા. આજે સૌથી વધુ સાક્ષરતા દર કેરળમાં છે અને કેરળ ‘ભગવાનની પોતાની ભૂમિ’ (God’s own country) તરીકે ઓળખાય છે પણ આ એ જ કેરળ છે જ્યાં સ્ત્રીઓને ‘સ્તન કર’ (breast tax) ચૂકવવો પડતો.

આ સ્તન કર નિમ્ન જાતિની સ્ત્રીઓ પાસેથી લેવામાં આવતો. ‘એઝવા’ની સાથે અન્ય નિમ્ન ‘થિઆ’ (Thia), ‘નાદર’ (Nadar) જેવી જાતિઓએ પણ આ અન્યાયી વેરો આપવો પડતો. કહેતા કે લખતા પણ કલમ શરમાય એ પ્રકારની પ્રણાલી આ દેશમાં હતી. સ્તનના આકાર, ઘેરાવા પ્રમાણે વેરો લેવામાં આવતો. આ પ્રકારની પ્રણાલી માત્ર નિમ્ન જાતિની સ્ત્રીઓ માટે હતી. સ્ત્રી અપમાનની આ દાસ્તાનનો વિશ્વ ઇતિહાસમાં જોટો જડે તેમ નથી. સ્ત્રીઓનાં અપમાનનું આનાથી બીજું કયું ઉદાહરણ હોઈ શકે?  નિમ્ન જાતિની સ્ત્રીઓ સવર્ણ સમાજ, સામંતી સમાજ માટે ઉપભોગ અને વાસનાસંતૃપ્તિનું સાધનમાત્ર બની રહી છે. અસ્પૃશ્યતા વંચિતોના માથે લખાયેલ એક કાયમી દુર્ગુણ છે તો અસ્પૃશ્ય મહિલાઓનું જાતિય શોષણ ભદ્રવર્ગ માટે લખાયેલ કાયમી ગુણ છે. અસ્પૃશ્યના સ્પર્શમાત્રથી અભડાઇ જતા આ ભદ્ર સમાજને અસ્પૃશ્ય મહિલાઓનું શોષણ કરવામાં અસ્પૃશ્યતા નથી નડતી બલકે તેમાં તેમની જાતિય શ્રેષ્ઠતા દેખાય છે. નિમ્નવર્ગીય સ્ત્રીઓનું જાતિય શોષણ એ એમને માટે ધર્મ છે, પ્રતિષ્ઠા સંસ્કાર છે.

ત્રાવણકોર રાજ્યમાં એવા તો અમાનુષી વેરાઓ હતા જેના વિષે જાણવું ખૂબ જરૂરી છે. રાજ્યમાં જમીન વેરાનો દર સામાન્ય હતો પણ અન્ય વેરાઓ દ્વારા રાજા પોતાની તિજોરી ભરતો. જમીનવિહોણા માછીમાર પાસેથી માછલીની નેટ પર વેરો લેવામાં આવતો, મૂછ રાખવી હોય એટલે કે પોતાના ચહેરા પર વાળ ઉગાડવા હોય તો પણ રાજ્યને વેરો આપવો પડતો, જો તમે ગુલામો ધરાવતા હોવ તો પણ તમારે ગુલામદીઠ વેરો આપવાનો, માથા પર પાઘડી પહેરવી હોય તો પણ વેરો આપવાનો.

નાંગેલી અને તેના સમાજની સ્ત્રીઓને બ્રેસ્ટ ટેક્સ આપવો પાડતો. સ્તન ઢાંકવા પર વેરો સ્ત્રી સન્માન અને તેના ગૌરવને ચૂરચૂર કરતો અન્યાયી વેરો હતો. વેરો પણ માત્ર નિમ્નવર્ણીય સ્ત્રીઓ પાસેથી જ લેવામાં આવતો. આ દર્શાવે છે કે નિમ્નવર્ણીય સ્ત્રીઓ જાણે કે મનુષ્ય જ નથી. જ્યાં ખાવાના સાંસા હોય ત્યાં શરીર પર કપડું લપેટવા વેરો ક્યાંથી આપી શકાય. સ્ત્રીઓ ઉપવસ્ત્ર ધારણ ન કરી શકતી અને કરવું હોય તો વેરો આપવાનો. આવા અમાનુષી વેરા સામે નાંગેલીએ અવાજ ઉઠાવ્યો. રાજ્યના માણસો ટેક્સ લેવા આવ્યા ત્યારે નાંગેલીએ કહ્યું કે હું વેરો નહીં આપું. અન્યાયી વેરાનો તેણે પ્રતિકાર કર્યો. તેના પ્રતિકારમાં વંચિત સ્ત્રીઓના બળવાની ગુંજ હતી. તેના પ્રતિકારમાં આત્મ-સન્માનની હાકલ હતી. તેના પ્રતિકારમાં સ્ત્રી સન્માન, સ્ત્રી ગૌરવની હાકલ હતી. તેના પ્રતિકારમાં વિશ્વની તમામ મહિલાઓનું સન્માન હતું, ગૌરવ હતું. તેના પ્રતિકારમાં જુલમી અને અમાનુષી પ્રથા સામે માનવ તરીકેની હયાતી તેમ જ સમાન અને પ્રકૃતિદત્ત અધિકારની ઝુંબેશ હતી.

નાંગેલીએ અન્યાયી અને અપમાનજનક રાજ્યવ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા સામે બંડ પોકાર્યું. તેણે કહ્યું કે હું આ પ્રકારના અન્યાયી અને અમાનવીય વેરાનો વિરોધ કરું છું. આ બ્રેસ્ટ ટેક્સ ‘મુલક્કરમ’ તરીકે ઓળખાતો. નિમ્નવર્ગની સ્ત્રીઓ તરુણાવસ્થામાં પ્રવેશે તેનો રાજ્ય દ્વારા સર્વે કરવામાં આવતો અને ટેક્સ વસૂલવામાં આવતો. કેટલું દોજખભર્યું જીવન દલિત-શોષિત સ્ત્રીઓને ભોગવવું પડતું? કેવી અમાનુષી વ્યવસ્થા જેમાં સ્ત્રીઓને પોતાનું શરીર ખુલ્લું રાખીને જીવવું પડતું? પુરુષવર્ગની હસીમજાક અને કામુક નજર સામે આ મહિલાઓની દશા  કેટલી દયનીય અને સોચનીય હશે? એક એક પલ એક એક ક્ષણ આ મહિલાઓ મરતી હશે. પણ નાંગેલીને આ વ્યવસ્થા મંજૂર નહોતી. પલ પલ મરવા કરતાં સ્વમાન અને સન્માન માટે લડી લેવું તેને વધુ શ્રેયકર લાગ્યું. રાજ્યના અધિકારીઓ ઘરે ઘરે જઇ ટેક્સ વસૂલતા. નાંગેલીના ઘરે આવ્યા તો તેણે કહ્યું કે હું અન્યાયી વેરો નહીં આપું. સ્ત્રીઓના જીવન અને સન્માનને ચૂર ચૂર કરતા આ વેરા સામે મારો સ્પષ્ટ વિરોધ છે. અધિકારીઓએ કહ્યું આ તો રાજ્યનો આદેશ છે અને તું તેનો અનાદર ન કરી શકે. નાંગેલીએ પોતાનો વિરોધ યથાવત રાખ્યો અને અન્યાયી વેરાની વિરુદ્ધમાં તેણે પોતાના સ્તન કાપી નાંખીને અધિકારીઓને આપ્યા. અધિકારીઓ પણ સ્તબ્ધ રહી ગયા. લોહી વહેવાથી નાંગેલી જમીન પર ફસડાઇ પડી અને થોડીવારમાં મૃત્યુ પામી.

નાંગેલીની આ લડત અન્યાયી વ્યવસ્થા સામે હતી. તેની આ લડત સન્માન, સ્વમાન અને સ્વાભિમાન માટેની હતી. વેરો એક પ્રતિક છે પણ તેની લડત સ્ત્રી સન્માન માટે અપાયેલ ઉમદા બલિદાન છે. સ્ત્રીઓનાં સન્માન અને ગૌરવ માટે તેણે બલિદાન આપી દીધું. તેના મૃત્યુ બાદ તેનો પતિ પણ પણ મૃત્યુ પામ્યો. નાંગેલીના બલિદાનથી ત્રાવણકોર રાજ્યને આ સ્ત્રી સન્માનને હણતા વેરાને રદ્દ કરવો પડ્યો હતો. નાંગેલીની આ લડત અન્યાય અને અત્યાચાર સામેની હતી. નાંગેલી એક એવી સ્ત્રી હતી જેણે પોતાનાં સન્માન, આત્મ-ગૌરવ સાથે સમાધાન કર્યું ન હતું. વેરો આપીને અપમાનિત થઈને જીવિત રહેવા કરતાં સન્માન, ગૌરવને સાચવવા મોતને વહાલું કરનાર નાંગેલી વંચિતધારાના ઇતિહાસનું ક્રાંતિકારી પાત્ર છે.

એસોસિયેટ પ્રોફેસર, ઇતિહાસ વિભાગ, સમાજવિદ્યા ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”,  [વર્ષ 13 • અંક : 138-139] મે – જૂન 2019; પૃ. 08-10 

Loading

તમે બીજા માણસની સ્વતંત્રતાની કેટલી કદર કરો છો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|12 May 2019

હું એવું દ્રઢપણે એમ માનું છું કે દરેક સમાજને સમાજની અંદર આંતરિક સુધારાઓ કરવા દેવાની તક આપવી જોઈએ. ૧૮૫૭માં વિદ્રોહ થયો એનું એક કારણ અંગ્રેજોએ હિંદુ સમાજમાં સુધારાવાદી હિંદુઓની પહેલથી સુધારાઓ કરવા દેવાની જોઈતી તક આપ્યા વિના પોતાની મેળે જ સુધારાઓ કરવા માંડ્યા અને ઉપરથી લાદવા માંડ્યા એ હતું. કાયદાકીય સુધારાઓ કાયદાપોથીમાં જ રહેતા હોય છે અને પ્રબોધન અને સમજાવટ પછી કરવામાં આવતા સુધારાઓ લોકો અપનાવતા હોય છે. એ પછી એવો સમય આવી શકે છે જ્યારે કાયદો કરવાની પણ કોઈ જરૂર રહેતી નથી. જેમ કે માણસે માણસનું ભક્ષણ ન કરવું જોઈએ એવો કોઈ કાયદો જગતમાં કોઈ જગ્યાએ છે?

ભારતનું બંધારણ ઘડાતું હતું ત્યારે એક સરખા નાગરિક કાયદા અને એવી કેટલીક બાબતો આપણા વડીલોએ ભાવિ પેઢી પર છોડી હતી. તેમને કહેવામાં પણ આવ્યું હતું કે તેમણે પોતાના સમાજની અંદર અને વ્યાપક અર્થમાં દેશની અંદર લોકપ્રબોધન દ્વારા સર્વસંમતિ બનાવવાની છે. સમાજ તૈયાર થઈ જશે એ પછી જે ચીજ છૂટી ગઈ છે તેને બંધારણનું અને કાયદાનું અંગ બનાવવામાં આવે. સમાજ એક શક્તિશાળી વગદાર અંગ છે એ હકીકતનું ભાન માર ખાધા પછી અંગ્રેજોને થયું હતું અને આપણું બંધારણ ઘડનારાઓએ એની જાણ હતી. 

સમાજ એક શક્તિશાળી વગદાર એકમ છે અને તેની પોતાની પરિવર્તનની ગતિ હોય છે એ વાત સાચી, પરંતુ જો કોઈ સમાજમાં જોઈએ એવો કોઈ પ્રયત્ન જ ન થતો હોય અને દરેક વખતે સુધારાની વાત આવે એટલે બંધારણે આપેલા ધર્મસ્વાતંત્ર્યના અધિકારનો અને ભારતના લોકતાંત્રિક સેક્યુલર ઢાંચાની યાદ અપાવીને તેનો આશ્રય લેવામાં આવે એ ક્યાં સુધી વ્યાજબી છે? રાષ્ટ્રમાં જેમ સમાજ એક શક્તિશાળી, વગદાર, ધબકતું, ગતિમાન અને જીવંત એકમ છે તો વ્યક્તિ પણ એક ધબકતી, ગતિમાન અને જીવંત એકમ છે. વ્યક્તિ એકલ વ્યક્તિ હોવાને કારણે તેમાં શક્તિ અને વગનો અભાવ હોય છે. જો કે એમાં પણ ગાંધીજીએ કહ્યું છે એમ આત્મબળ અને આપભોગની શક્તિ હોય તો સો હાથીની તાકાત પણ તેને હલાવી શકતી નથી.

સવાલ એ છે કે સમાજની વાત સાંભળવી જોઈએ તો વ્યક્તિની શા માટે નહીં? રાષ્ટ્રનો, રાજ્યનો અને બૃહદ સમાજનો એ ધર્મ છે. માનવીએ સમાજ રચ્યો છે, સમાજે માનવીનું સર્જન નથી કર્યું. ધર્મ, જ્ઞાતિ કે બીજી કોઈ ઓળખના નામે સમાજો રચાતા હોય છે. રચાયેલા સમાજના રીતિરીવાજો દરેક યુગમાં અને દરેક પ્રદેશમાં કાયમ માટે પ્રાસંગિક હોય એ જરૂરી નથી. જ્યારે જે તે સમાજના લોકોને એમ લાગે કે ચોક્કસ રીતિરિવાજ તેમને અન્યાય કરનારા છે અથવા બદલાતા સમય સાથે વિસંગત છે અને તેઓ તેમાં પરિવર્તન કરવાની માગણી કરે ત્યારે સમાજના ડાહ્યા લોકોએ તેમના વિચારો કાને ધરવા જોઈએ. જગત આખામાં દરેક સમાજમાં સુધારાઓ એકલ દોકલ વ્યક્તિ દ્વારા અને તેમના રચાતા સમૂહો દ્વારા નીચેથી થયા છે ઉપરથી નથી થયા. જે ઉપર હોય તેને પરિવર્તનનો ખપ હોતો નથી, ઊલટું પરિવર્તન ન થાય અને યથાવત સ્થિતિ જળવાઈ રહે તેમાં તેમના સ્થાપિત હિત હોય છે.

બને છે એવું કે દબાયેલા અને ગુંગળામણ અનુભવનારા લોકો જ્યારે કેટલાક રિવાજો સામે પ્રશ્ન કરે છે ત્યારે તેમને આપણો સમાજ કેટલો પ્રાચીન છે અને કેટલો મહાન છે એની યાદ અપાવવામાં આવે છે. અરે ભાઈ જે પરિવર્તન ઈચ્છે છે એનું શું? એ પરિવર્તન એટલા માટે ઈચ્છે છે કે તેમને પ્રસ્થાપિત વ્યવસ્થાની કિમત ચૂકવવી પડે છે. કેટલાક વળી મોટા સમાજ સુધારાને વરેલા નથી, પણ તેમને કોઈક ચીજ પસંદ નથી. તેમને પરિવર્તનનો અથવા આઝાદીપૂર્વક પોતાની રીતે જીવવાનો અધિકાર ખરો કે નહીં?

ધારો કે કોઈ પુરુષ સમલિંગી હોય અને સમલિંગી સાથે સંબંધ રાખવા માગે છે, અથવા કોઈ મુસ્લિમ યુવતીને બુરખો નથી પહેરવો કે પછી કોઈ હિંદુ સ્ત્રી ઘૂંઘટ દ્વારા મોઢું ઢાંકવા નથી ઈચ્છતી અથવા બ્રાહ્મણ યુવતી કોઈ દલિતને પરણવા માગે છે, અથવા કોઈ બહોરા યુવતી ખટના કરાવવા નથી માગતી અથવા કોઈ હિંદુ ઈચ્છે કે તેને દફનાવવામાં આવે કે કોઈ મુસલમાન ઈચ્છા વ્યક્ત કરે કે તેને અગ્નિદાહ આપવામાં આવે. રોજ મંદિરે દર્શન કરવા જતી સ્ત્રી માસિકપાળીમાં પણ મંદિરમાં જવા માગે છે કારણ કે માસિક ધર્મ એ અપીવિત્ર નથી. તો આ લોકોને તેમની રીતે જીવવાનો અને મરવાનો અધિકાર ખરો કે નહીં? આ તો ભારતના સંદર્ભમાં આપેલા થોડા દાખલાઓ છે, બાકી જગતમાં વ્યક્તિ કે નાનકડા સમૂહના ઘણા આવા પ્રશ્નો છે જેના વિષે સમાજના શક્તિશાળી લોકો અસંવેદનશીલ વલણ ધરાવે છે. કારણ કે સમાજ શક્તિશાળી અને વગદાર છે એટલે રાજ્ય વચ્ચે પડીને બહુ છંછેડવાની હિંમત નથી કરતું. જે વગદાર અને શક્તિશાળી છે એ સમાજ નામના પીરામીડ પર ઉપર બેઠેલા લોકો છે, સમાજ નથી. આમ રાજ્ય સમાજના કબજામાં છે અને સમાજ વગદાર લોકોના કબજામાં છે. ગૂંગળાય એ છે જે ઉપર કહ્યા એવા લોકો છે. તેઓ પોતાની રીતે પોતાનું જીવન જીવવા માગે છે અને મરવા માગે છે.

રાજ્યના અને સમાજના વગદાર લોકોની વાત જવા દો, આપણું વલણ કેવું છે? આપણે નામના સમૂહને પણ જવા દો, વ્યક્તિગત રીતે તમારું પોતાનું વલણ કેવું છે? ઉપર કહ્યા એવા એક એક પ્રશ્ન તપાસતા જાવ અને તમારા વલણને ચકાસતા જાવ. તમે જો સમલિંગી નહીં હો અને રોમેરોમમાં નખશીખ ઉદારમતવાદી પણ નહીં હો તો તમને સમલિંગીઓની માગણી અનુચિત લાગશે, પણ તમે જો સમલિંગી હશો તો તમને આવી માગણી વાજબી લાગશે. બીજી બાજુ એવું પણ બને કે બ્રાહ્મણ યુવતી દલિત યુવક સાથે લગ્ન કરવા માગે તો તેનો વિરોધ પણ કરો.  તમે જો નખશીખ ઉદારમતવાદના સંસ્કાર નહીં પામેલા હિંદુ હશો તો તમને બુરખો નહીં પહેરવાની મુસ્લિમ યુવતીની માગણી બહુ ઉચિત લાગશે; પરંતુ હિંદુ સ્ત્રીએ કેટલીક મર્યાદા જાળવવી જોઈએ અને સ્ત્રી પરિવારની પોષક હોવાથી પરિવારોને તૂટતા બચાવવા જોઈએ એમ કહેશો. તમે જો દલિત હશો તો બ્રાહ્મણ યુવતીની દલિતને પરણવાની ઈચ્છા તેનો અધિકાર લાગશે, પણ જો બ્રાહ્મણ હશો તો તેમાં સંસ્કારોના પ્રશ્નો કરશો. આવી રીતે એક એક કરીને ઉપરના પ્રશ્નો તપાસો અને તમે કેટલા ઉદાર છો એ તપાસી જુઓ.

પ્રામાણિકતાથી એક એક પ્રશ્ન લઈને તમે તમારા વલણને ચકાસો. આના દ્વારા તમને ખ્યાલ આવશે કે તમે કેટલા માણસ છો. બીજા માણસની સ્વતંત્રતાની જે કદર કરે એ માણસ.

10 મે 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 મે 2019

Loading

...102030...2,8332,8342,8352,836...2,8402,8502,860...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved