શું કહેવું, સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ ગોગોઈને, સિવાય કે ઈટ્સ નૉટ ડન, મિ. લૉર્ડ!
એક મહિલા કર્મચારી જ્યારે કામના સ્થળ પર જાતીય સતામણીની ફરિયાદ વાસ્તે જહાંગીરના અદ્દલ ઇન્સાફી ઘંટ શી સર્વોચ્ચની ડેલીએ ધા નાખે ત્યારે બચાડી કીડી પર જાણે કે કટક આખું ઊતરી પડે એવું જે વરવું દૃશ્ય દેશે આ દિવસોમાં જોવાનું આવ્યું તે આપણા પ્રજાસત્તાકની એકંદર અનવસ્થા વિશે આયનાથી કમ નથી. (કુદરતી ન્યાયના સિદ્ધાંતની આવી ઘોર અવમાનના અને અવગણના વખતે સાંભરતો પેરેલલ કટોકટીમાં હેબિયર્સ કોર્પસનો હક્ક રહેતો નથી એવી સુપ્રીમ ભૂમિકાનો છે.)
સર્વોચ્ચ અદાલતે ખુદ ૨૦૧૩ના કાયદા મુજબ, કામના સ્થળે મહિલા કર્મચારીની જાતીય શોષણની ફરિયાદ અંગેની સમિતિ અને સંરચનાની જોગવાઈ કરવાપણું આ પૂર્વે જોયું નથી; અને ન્યાયતંત્રે પોતે કારોબારી સત્તાથી જ નહીં પણ કાયદાથી ય પર અને ઉપર હોય એવી તાસીર પ્રગટ કરી છે તે નિઃસંશય છે. પૂર્વે, પોલીસને ગણવેશમત્ત ગુનાખોર કહેવાનું કે પોતાને કાયદાપારના ટાપુ લેખતી રાજકારણી જમાતની ટીકા કરવાનું બન્યું છે, પણ ન્યાયતંત્રની સર્વોચ્ચ સપાટીએ સુધ્ધાં આ પ્રકારની ટિપ્પણી કરવાનું બને તે વસમા દિવસનાં એંધાણ છે.
મહિલા કર્મચારીએ ધા નાખી ત્યારે, ગમે તેમ પણ, બે વાને સમ્યક્ વિવેક વિનાવિલંબ અને વિનાવિવાદ અપેક્ષિત હતો : એક તો, કુદરતી ન્યાયને ધોરણે એને અવકાશ અપાવો જોઈતો હતો. બીજું, વડા ન્યાયમૂર્તિએ, કેમ કે પોતાની સીધી સંડોવણી હતી, પંડે તપાસથી તત્કાળ ખસી જવાની તાકીદ હતી. (વિશાખા માર્ગદર્શિકાની ટઈડપઈડ તો ખેર છોડો.)
વડા ન્યાયમૂર્તિએ એકદમ જ – ન દલીલ, ન વકીલ, ન અપીલ – આ મહિલાની ફરિયાદ પૂંઠે કાવતરું સૂંઘતી છલાંગ ભરી. ભલા સાહેબ, છેવટે એટર્ની જનરલ વેણુગોપાલનાં એ હિતવચનો તો કંઈ નહીં તો રહેમ રાહે કાળજે ધરવા’તાં કે તપાસ સમિતિ પર બહારનું કોઈક સભ્ય રાખો.
અને સરકાર, શું કહેવું એને! તરત એણે એટર્ની જનરલ વેણુગોપાલ પર દબાણ આણ્યું કે તમે વડા ન્યાયમૂર્તિને આપેલી આ લેખી સલાહ સરકાર તરફથી નહીં પણ વ્યક્તિગત રાહે (એટલે કે અનૌપચારિક અગર બિનસત્તાવાર) હતી એવી સ્પષ્ટતા કરો.
હાલના સૌ ન્યાયમૂર્તિઓને મુકાબલે આ ક્ષેત્રે સિનિયરમોસ્ટ તરીકે પણ સન્માન્ય (ઉંમર વર્ષ ૮૮) એટર્ની જનરલ વેણુગોપાલે હમણે હમણે એક-બે એવી ચૂક કરી હતી જે એમના સરખા અનુભવજ્યેષ્ઠ અને ઉચ્ચપદારૂઢની ગરિમાને બિનચૂક હાણ પહોંચાડે. રફાએલ પ્રકરણમાં એમણે ‘ચોરાયેલા દસ્તાવેજો’ અદાલતમાં લક્ષમાં ન લેવાય એવી ભૂમિકા લીધી હતી, અને પાછળથી ફેરવી તોળ્યું હતું કે આ કિસ્સો ચોરીનો નથી. જે છે તે ફોટો કૉપી છે. સાફ સમજાય છે કે ચૌર્યશૌર્યની એમની દલીલ સરકારી તાણ ને દબાણ હેઠળ હશે. (છેલ્લા કિસ્સામાં, એમણે તપાસમાં ‘બહારના સભ્ય’ની જરૂરતનો મુદ્દો આગળ કર્યો તે અંતરાત્માનો સહજોદ્ગાર હતો અને પાછો ખેંચ્યા જેવું કર્યું તે સરકારશ્રીનું વાજિંત્ર હતું, એમ જ માનવું રહ્યું.) મતદારોએ પાર્ટી ફંડના નાણાસ્રોત જાણવાની શી જરૂર, એવી જે અજબ જેવી માસૂમિયત આ અનુભવજ્યેષ્ઠે સત્તાવાર પ્રગટ કરી હતી તેમાં પણ સરકાર (વત્તા રાજકીય અગ્રવર્ગ લગભગ સમસ્ત)નું દબાણ જ કામ કરી ગયું જણાય છે. નહીં કે એટર્ની જનરલનો અંતરાત્મા આ સૌ મુદ્દે એમની સાથે હશે – બને કે નાક પર પાણી આવવામાં હોય, અને કદાચ એમનું રાજીનામું પણ.
વડા ન્યાયમૂર્તિને સાચવી લેવાનું સરકારી વલણ જે પણ કારણસર હોય, શીર્ષકથી જ વાતનો છેડો વાળવો રહે છે – ઈટ્સ નૉટ ડન, મિ. લૉર્ડ !
મે ૧૨, ૨૦૧૯
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2019; પૃ. 16
![]()


૧૯૮૫થી રાજ્યમાં દુષ્કાળના કર્મશીલના અનુભવને આધારે ‘દુકાળો-૨૦૧૯’ વિશે લખું છું, ત્યારે અનેક સ્મરણો ઘેરાય છે. રાજ્યમાં દુષ્કાળે લોકોમાં ઊંડાં દુઃખ-દર્દ પેદા કર્યાં છે તો ક્યારેક ‘પ્રદેશવાદ’નું ભૂત પણ ધુણ્યું હતું. રાજ્યમાં ’૭૦ અને ’૮૦ના દાયકામાં દુષ્કાળ નરી આંખે દેખી શકાય એટલે સંવેદનશીલતાથી અનુભવાઈ શકતો પણ હતો. બધા અખબારો પણ એ ગાળામાં, દુષ્કાળના અહેવાલોથી ખચોખચ રહેતાં હતાં, પરંતુ હવે નવી પેઢી માટે દુષ્કાળ બહારથી દેખાવાની વસ્તુ રહી નથી. એની ઉપર બહુ ચતુરાઈથી ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે. પરંતુ ભૂતકાળના દુષ્કાળ અને આજના દુષ્કાળમાં એક બાબતની સમાનતા જોવા મળી રહી છે. તે છે ગામડાંઓમાં, તાલુકા મથકોમાં અને જિલ્લા મથકોમાં પાણીના ટેન્કરોની હડિયાપટ્ટી, રાત-દિવસ દોડતા ટેન્કરો દુષ્કાળગ્રસ્ત વિસ્તારના જીવનમાં એક હિસ્સો બની ગયા છે. ફૂલછાબે હમણાં જ લખ્યું કે ‘રાજકોટ જિલ્લામાં હજુ ટેન્કર યુગ આથમ્યો નથી.’ એટલે કે પાણીનો વેપાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે. બહેનો બેડા લઈને ત્રણ થી ચાર કિલોમીટર પાણીની શોધમાં ગામોમાં રઝળપાટ કરી રહ્યા છે. મોટા ભાગના ગામોમાં અઠવાડિયે એક કે બે વાર પાણી મળી રહ્યું છે. લોકો પાણી માટે કતારોમાં ઊભા છે. આ બધું ગઈકાલની જેમ જ આજે પણ બની રહ્યું છે.
મોટા ભાગના વક્તાઓ પૂરતી તૈયારી કરીને આવ્યા હતા. ભારતીય કથાવિશ્વના વિષયમાં માધવી કોલ્હાટકર અને ઈ.વી. રામકૃષ્ણે પૂર્વઐતિહાસિક અને પ્રાચીન પરંપરાની લોકકથાઓ, મિથ્સ, મહાભારતની જુદી-જુદી વાચનાઓ, તેના ગર્ભિત અર્થો સમજવા પર ભાર મૂક્યો હતો. ઈ.વી. રામકૃષ્ણે પણ દક્ષિણની ભાષાઓમાં પાત્રો કેવી જુદી-જુદી પ્રતિભામાં નિરૂપાયાં છે, તેના દાખલા આપી વિષયને રસદાયક અને પ્રેરક બનાવ્યો હતો. માધવી કોલ્હાટકરની પ્રતિભા અને અસ્ખલિત વક્તવ્ય મુગ્ધ કરનારું હતું. વલ્લભવિદ્યાનગરથી આવેલા હેમંત દવે શિરીષભાઈના વિવેચનકાર્ય પર બોલ્યા. એમના ‘નિરીક્ષક’, ‘ફાર્બસ’ વગેરેમાં લેખો વાંચ્યાથી મારા પર એવી છાપ પડી હતી કે હેમંત દવે ભાષાશાસ્ત્રના માણસ હશે, પણ એ નીકળ્યા ઇતિહાસના પ્રાધ્યાપક. જો કે એમના વિવેચનનાં ઓજારો ખાસ્સાં તીક્ષ્ણ અને ધારદાર હતાં. તેમણે શિરીષભાઈની અંગ્રેજી પરની પકડના અને અનુવાદોની પ્રશંસા કરી, પણ વિદેશી માપદંડો પર મુગ્ધતા તેમને ખૂંચી. આપણી પરંપરાની ઉપેક્ષા ન કરવી જોઈએ. અને આપણે આપણાં સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને પ્રાચીન મહાકાવ્યોમાંથી શીખ લેવી જોઈએ એવી વાત એમણે કરી. રૂપરચનાવાદ સુંદરમ્માં પણ હતો, તેની શિરીષ પંચાલે બરાબર નોંધ લીધી છે. તેના પર ઓછું ધ્યાન ગયું છે, તેવી નુક્તેચીની હેમંતભાઈએ કરી. એમના મતે ભાષાવિજ્ઞાનની જરૂરત નથી, જેટલી શૈલીવિજ્ઞાનની જરૂર છે.