Opinion Magazine
Number of visits: 9684996
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હું ગરીબ છું પછાત વર્ગમાંથી આવું છું એવાં રોદણાં શું કામ રડવા ?

રમેશ ઓઝા|Opinion - Opinion|16 May 2019

દેશમાં આત્યાર સુધીમાં ૧૪ વડા પ્રધાન અને વિવિધ રાજ્યોમાં અઢીસો કરતાં વધુ મુખ્ય પ્રધાનો આવ્યા અને ગયા, પરંતુ એમાંથી એક માત્ર નરેન્દ્ર મોદીને છોડીને કોઈએ કહ્યું નથી કે ‘હું ગરીબ છું, પછાત વર્ગમાંથી આવું છું, મેં ભીખ માગી છે, ચા વેચી છે માટે તમારી સહાનુભુતિને પાત્ર છું અર્થાંતરે વડા પ્રધાનના પદને માટે લાયક છું.’ કોઈ કહેતા કોઈએ નહીં. કર્પૂરી ઠાકુર તો ખુદ્દારીની મિસાલ જેવા હતા. તેઓ બિહારના બબ્બે વખત મુખ્ય પ્રધાન બન્યા પછી પણ પહેલા જેટલા જ ગરીબ હતા અને તેમની ગરીબી લોકોની નજર સામે હતી. તેઓ હજામ હતા અને બિહારના મોટા ગજાના નેતા બન્યા પછી પણ હજામત કરતા હતા. તેમણે ક્યારે ય કહ્યું નહોતું કે તેમણે કેવી કેવી યાતના ભોગવી છે અને માટે દયાને પાત્ર છે. કર્પૂરી ઠાકુરને છોડો દલિત અને આદિવાસી નેતાઓએ પણ કહ્યું નથી કે તેઓ શું શું સહન કરીને આવ્યા છે. બાબુ જગજીવન રામ, બાબા સાહેબ આંબેડકર, માયાવતી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન્‌ વગેરેએ એવી ગરીબી અને પછાતપણું જોયું છે અને તેમણે જીવનમાં જે હાલાકી ભોગવી છે અને અન્યાય સહન કર્યો છે તેની સામે નરેન્દ્ર મોદીની ગરીબાઈ તો કોઈ વિસાતમાં નથી. આદિવાસી સમાજમાંથી આવતા નેતાઓ માટે ક્યાં કોઈએ લાલ જાજમ બિછાવી હતી. તેમણે દરેકે ગરીબી અને પછાતપણાને કારણે કરવામાં આવતી અવહેલના ભોગવી હતી અને પોતાનો રસ્તો કંડાર્યો હતો.

ભારતીય રાજકારણમાં પહેલી પેઢીના નેતાઓમાંથી બહુ ઓછા નેતાઓને જાહેરજીવનમાં રાજમાર્ગ મળ્યો હતો, પછી તેઓ સવર્ણ પરિવારમાંથી આવતા હોય કે અવર્ણ અથવા આદિવાસી. લાલ બહાદુર શાસ્ત્રીનો દાખલો જાણીતો છે. તેઓ બ્રાહ્મણ હતા અને છતાં ગરીબીનો સામનો કરીને પોતા માટે જગ્યા બનાવી હતી. રામનગરથી બનારસ ભણવા જતા કેટલીક વાર ગંગા તરીને જવું પડતું. તેમણે ગરીબાઈનાં રોદણાં ક્યારે ય રડ્યાં નહોતાં. વલ્લભભાઈ પટેલ તેમની આગળની સો પેઢીમાં કોઈ ભણ્યું નહોતું એવા ગ્રામીણ ખેડૂત પરિવારમાંથી આવતા હતા. કામરાજ નાદર ગરીબ અને પછાત પરિવારમાંથી આવતા હતા અને સાવ અશિક્ષિત હતા, પણ તેમણે પાટુ મારીને પોતાના માટે જગ્યા બનાવી હતી. તેઓ કૉન્ગ્રેસના પ્રમુખ હતા અને તામિલનાડુના મુખ્ય પ્રધાન હતા. આપણે એ.પી.જે. અબ્દુલ કલામ માટે શા માટે ગર્વ લઈએ છીએ? સાવ ગરીબ અને સામાજિક રીતે પછાત પરિવારમાંથી આવતા કલામે સંઘર્ષ કરીને સ્વબળે પોતાની જગ્યા બનાવી હતી અને છેક ભારતના રાષ્ટ્રપતિપદે પહોંચ્યા હતા. અહીં જે નામ ગણાવ્યાં છે એ તો માત્ર નમૂનારૂપ છે, બાકી ભારતમાં સેંકડો નેતાઓ ગરીબ અને પછાત પરિવારમાંથી આવ્યા છે અને તેમણે પોતાની જગ્યા બનાવી છે. એમાંના કોઈએ ગરીબી અને પછાતપણાનાં રોદણાં રડ્યાં હોય એવું યાદ નથી. મને તો એવો એક પણ દાખલો નજરે ચડતો નથી. તમે યાદ કરી જુઓ, તમને કોઈ યાદ આવે છે? 

એમાં વળી સ્ત્રીઓને તો પુરુષો કરતાં ઘણો વધુ સંઘર્ષ કરવો પડ્યો છે અને હજુ આજે પણ કરે છે, પછી ભલે તે સવર્ણ પરિવારમાંથી આવતી હોય. ૧૯મી સદીમાં જે સ્ત્રીઓએ સતી, વિધવાવિહાહ અને બીજા કુરિવાજો સામે સંઘર્ષ કર્યો છે એ બધી સવર્ણ પરિવારોની સ્ત્રીઓ હતી. ડૉ. આનંદીબાઈ જોશી, ડો. રખમાબાઈ, હરકોરબે’ન વગેરે સવર્ણ હોવા છતાં પણ સંઘર્ષ કરીને આગળ આવી હતી અથવા બીજી સ્ત્રીઓ માટે દીવાદાંડીરૂપ બની હતી. ભણવાના અધિકાર માટે પણ તેમણે લડત આપવી પડી હતી. કોઈએ તેમના માર્ગમાં લાલ જાજમ નહોતી બિછાવી. તેમના પિતા, ભાઈઓ કે પતિએ પણ નહીં, બલકે તેમના માર્ગમાં અવરોધ પેદા કરવામાં આવ્યા હતા.

આ સિવાય બીજી અનેક મૂંગી પણ વીરતાભરી દાસ્તાનો છે જેના વિષે આપણે કાંઈ જાણતા પણ નથી. સાવિત્રીબાઈ ફૂલેના નામથી તમે પરિચિત હશો, પણ શાંતાબાઈ દાણીનું તમે નામ પણ નહીં સાંભળ્યું હોય. શાંતાબાઈ દાણીએ નાસિકમાં કાલારામ મંદિરમાં દલિતોના પ્રવેશ માટે જે સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો તેનું નેતૃત્વ કર્યું હતું. આવી બીજી અનેક દલિત અને આદિવાસી સ્ત્રીઓ છે જેના સંઘર્ષથી આપણે પરિચિત પણ નથી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જે સત્યાગ્રહ કર્યો હતો એમાં ગરીબ અને અભણ ગિરમીટિયા સ્ત્રીઓ મોખરે હતી. ટૂંકમાં પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓએ સંઘર્ષ કરીને પોતાની જગ્યા બનાવવી પડી છે, પછી સમાજ સવર્ણ હોય કે અવર્ણ.

અહીં એક યાદ અપાવવી જરૂરી છે. ભારતના કેટલાક ઇતિહાસકારોના ધ્યાનમાં આવ્યું હતું કે દેશમાં અન્યાય સામેની તેમ જ દરેક પ્રકારની મુક્તિ માટેની લડતનો ઇતિહાસ જે રીતે લખવામાં આવી રહ્યો છે એમાં જે પ્રજા હાંશિયામાં છે તેની લડતની વાત જ આવતી નથી.  કેટલાક લોકોનાં નાનકડાં યોગદાનો અને પ્રમાણમાં મામૂલી સંઘર્ષોની દાસ્તાનો રોચક રીતે કહેવામાં આવી છે. જેમણે આઝાદીની લડતમાં કોઈ ભાગ લીધો નહોતો અને માફી માગીને જેલમાંથી છૂટ્યા હતા એ સ્વાતંત્ર્યવીર તરીખે ઓળખાય છે અને જેમણે મોટા સંઘર્ષ કર્યા અને વિદ્રોહ કર્યા એના વિષે કોઈ બોલતું જ નથી. તેમની સરેઆમ ઉપેક્ષા કરવામાં આવે છે. તેમણે દલિત, આદિવાસી, ભટકતી કોમો, ગુનેગાર જાહેર કરાઈ છે એવી કોમો, દેવાદાસીઓ અને તેમના જેવી બીજી સ્ત્રીઓ વગેરેનાં સંઘર્ષની ઘટનાઓ એકઠી કરી હતી. એવી કેટલી ઘટનાઓ હશે, કલ્પના કરી જુઓ તો? એક બે નહીં, વીસ ખંડમાં નાના લોકોના સંઘર્ષની દાસ્તાનો સંગ્રહાયેલી છે. એ વીસ ખંડ તપાસી જુઓ, એમાં કોઈએ ગરીબી અને પછાતપણાનાં રોદણાં રડ્યાં હોય એવું જોવા નહીં મળે.

તો વાતનો સાર એટલો જ કે ભારતમાં પહેલી પેઢીના નેતાઓમાં મુઠ્ઠીભર નેતાઓ એવા હશે જે મોમાં ચાંદીની ચમચી લઈને જન્મ્યા હતા અને આગળ વધવા માટે રાજમાર્ગ મળ્યો હતો; બાકીના દરેકે સંઘર્ષ કર્યો છે અને પોતાની જગ્યા બનાવી છે. ખાતરી કરવી હોય તો જુદા જુદા વર્ગના નેતાઓએ લખેલી આત્મકથાઓ કે સંસ્મરણો જોઈ જાઓ. તમને પ્રમાણ મળી રહેશે. જે સ્થિતિ રાજકારણની છે એવી જ અન્ય ક્ષેત્રોની છે. અનેક લોકોએ સંઘર્ષ કરીને સાહિત્યમાં, વિજ્ઞાનમાં, કળાજગતમાં અને અન્ય ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન બનાવ્યું છે. તેમના માટે પણ કોઈ રાજમાર્ગ નહોતો, બલકે આર્થિક મુશ્કેલીઓ અને સામાજિક પૂર્વગ્રહોના અવરોધો હતા. 

એનો અર્થ એવો નથી કે આંસુ સારનારાઓ અને કાખલી કૂટનારા લોકો જે તે સમાજમાં ત્યારે પેદા નહોતા થયા કે આજે નથી થતા. એવા લોકોને તેમના જ સમાજના લોકોએ હસી કાઢ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હું ગરીબ છું, પછાત વર્ગમાંથી આવું છું, મેં ભીખ માગી છે, ચા વેચી છે’ વગેરે રોદણાં રડવાની જગ્યાએ દલિતો, આદિવાસીઓ, સ્ત્રીઓ અને એમાં પણ પછાત વર્ગની સ્ત્રીઓના સંઘર્ષ તરફ એક નજર કરવી જોઈએ અને તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ. તેઓ કરે કે ન કરે, આપણે વંચિત લડવૈયાઓને પ્રણામ કરવા જોઈએ.

15 મે 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 16 મે 2019

Loading

લૂ, જરી તું ધીરે ધીરે વા, કે મારો મોગરો વિલાય!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|16 May 2019

હૈયાને દરબાર

ગાંધીયુગના સર્જક, લેખક, વિવેચક, કવિ, નવલકથાકાર તથા સાહિત્યના સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ એવૉર્ડથી સન્માનિત ઉમાશંકર જોશીનું વિપુલ સાહિત્યસર્જન આપણને અચંબિત કરી દે એટલું અગાધ છે.

નાનપણથી જેમની કવિતાઓ સાથે અમારો ઉછેર થયો એ કવિ ઉમાશંકર જોશીનું એક હ્રદયસ્પર્શી ગીત લૂ, જરી તું ધીમે-ધીમે વા … સાંભળીને તરત જ એ વિશે લખવાની ઈચ્છા થઈ ગઈ. ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા અને ગીત અમે ગોત્યું … જેટલું એ પ્રચલિત નથી, પરંતુ ચૂકાય એવું પણ નથી. એમાં ય આ ઋતુકાળમાં તો બરાબર બંધ બેસે છે.

તાજેતરમાં જ અમદાવાદના ધોમધખતા તાપનો આકરો મિજાજ જોઈ લીધો. લૂ કોને કહેવાય એ પરચો ય મેળવી લીધો. ગુજરાતમાં નાનપણમાં થોડાંક વર્ષો વિતાવ્યા હતાં, પરંતુ આવી ભયંકર ગરમીનો અહેસાસ ક્યારે ય થયો ન હતો. ૪૫ ડિગ્રી તાપમાનમાં ભૂલેચૂકે બપોરે બહાર નીકળ્યાં તો ખલાસ! ચામડી તતડી જાય અને ગાત્રો શિથિલ થઇ જાય. દેશભરમાં આ હિટવેવ પ્રસર્યો હોય ત્યારે વિરહની આગ અને આભમાંથી વરસતી આગને પ્રતિબિંબિત કરતું આ મધુર ગીત સાંભળીને ચંદનના લેપની અનુભૂતિ થયા વિના રહે નહીં. ગગનમાંથી અગનવર્ષા વરસતી હોય ત્યારે ય કવિની કલમ અટકતી નથી. કવિ ફક્ત ચાંદની રાતની રોમેન્ટિક કવિતા જ સર્જે એવું નથી. કવિહ્રદય કીડીથી માંડીને કમ્પ્યુટર સુધી કલ્પનાનો ચેતોવિસ્તાર કરી શકે છે.

આજનું ગીત કવિ શિરોમણી ઉમાશંકર જોશીએ બહુ સંવેદનાસભર લખ્યું છે. વાત ભલે એમાં આકરા ઉનાળાની છે, પણ એની નજાકત તો જુઓ! લૂ જરી તું ધીમે-ધીમે વા કે મારો મોગરો વિલાય …! મોગરાનું સુગંધિત વ્યક્તિત્વ અને નજાકત નારીહ્રદયનો સંકેત આપે છે. આ ગીતના શબ્દો અને સ્વરાંકન એવાં સચોટ છે કે સાંભળતાં જ ઉનાળાનો તાપ વિસરાઇ જાય. આભમાંથી ધગધગતા અંગારા વરસતા હોય ત્યારે નાજુક-નમણી નારના કેશ પર ઝૂલતા મોગરાની શું વલે થાય એ તો બહુ સ્વાભાવિક કલ્પના છે, પરંતુ વાત છે અહીં વિરહાગ્નિની, પ્રતીક્ષાની, પ્રેમની અને પ્રિયતમની.

લાભશંકર ઠાકરે ઉ.જો.ની જન્મ શતાબ્દી નિમિત્તે ‘પરબ’માં એક લેખ લખ્યો હતો તેમાં આ ગીતની વાત માંડીને કરી હતી. તેમણે લખ્યું હતું કે, "લૂ પછી ગીતસર્જકે અલ્પવિરામ લીધો છે, તેથી ગાયકે અલ્પવિરામ લેવો અનિવાર્ય. આ અલ્પવિરામ નાટ્યાત્મકતાનો અનુભવ કરાવે છે. નાયિકા લૂ પર અટકે અને વિરામ એટલે કે સાયલન્સ સર્જાય. નાયિકાના અંત:કરણમાં મોગરો પણ ભાવસંકેત દર્શાવે છે. આ ગીતરચના રંગમંચને પ્રત્યક્ષ કરે છે. ડ્રામેટિક રૂપ સાથે પ્રત્યક્ષ થતા ગીતના આરંભ પછી ગીતની લયાત્મક, સ્ટ્રકચરલ બ્યૂટીમાં કેવું રૂપાંતર આવે છે તે ગીતના આ અંતરામાં દર્શાવ્યું છે:

પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી,
સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં છે જંપી.
એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી …

નાયિકા પોતે આભપંખીને અનુભવે છે. પાંખો છે પણ થંભાવી દીધી છે. ઉનાળાની નિ:સ્તબ્ધ, શાંત બપોરે આખી સૃષ્ટિ ઘેનમાં જંપી ગઈ છે ત્યારે નાયિકાના દિલની ધડકનનો લયબદ્ધ રવ એકમાત્ર પ્રિયતમ જ સાંભળી શકે ને! અપલક નેત્રે એ પ્રિયતમની પ્રતીક્ષામાં છે. અહીં વિરહિણીની એકલતા અને ઉત્કટ એવી પ્રિયતમની ઝંખનાની ક્ષણો પ્રત્યક્ષ થાય છે. તાપ કરતાં વિરહની આગથી એ તપી ગઈ છે. એટલે જ પ્રિયતમની છાયા ઓઢીને જાતને શીતળતાનો અહેસાસ કરાવે છે. ઉત્કટ આશા અને અભિલાષા સાથે એ રાહ જુએ છે, વ્હાલમની.

આ ભાવવાહી ગીતના સંદર્ભમાં ઉમાશંકર જોશીનાં દીકરી સ્વાતિ જોશી કહે છે, "બાપુજીએ એટલું વિપુલ સર્જન કર્યું છે કે અત્યારે હું વિચારું તો મને એમ થાય કે આટલો સમય એમને ક્યાંથી મળતો હશે? પરંતુ બાપુજીના મનમાં કવિતા સતત રમતી હોવાનું અમે અનુભવ્યું છે એટલે એ કોઈપણ સ્થળે, સમયે લખી શકતા. ખાસ તો રાત્રે અમે ઊંઘવાની તૈયારી કરતા હોઇએ ત્યારે એ ટેબલ પર બેસી લખવા માટે સજ્જ થઇ રહ્યા હોય. વિવિધ હોદ્દાઓ પર હોવાને લીધે એમને ટ્રેનમાં પ્રવાસ ખૂબ કરવો પડતો હતો તેથી એમની કેટલીય રચનાઓ ટ્રેનમાં લખાઈ છે. ‘મહાપ્રસ્થાન’ નામનું દીર્ઘકાવ્ય તો મને બરાબર યાદ છે કે અમે મારાં બાના અસ્થિ પધરાવવા ગંગોત્રી ગયાં હતાં ત્યારે ઘરે પરત આવ્યા પછી એમણે તરત તે વિશે લખ્યું હતું. એમનો પરિવાર એટલે અમે ચાર જ નહીં પણ એમના અસંખ્ય વિદ્યાર્થીઓ, મિત્રો અને શુભેચ્છકો બધાં જ. આ બધાં અમારે ત્યાં અવારનવાર આવીને રહે. શિક્ષકના ઘરે જઈને વિદ્યાર્થી રહે એ વાતની તો આજના જમાનામાં કલ્પના ય ન થઈ શકે. મૂળ મુદ્દે એમને જીવનમાં જ ખૂબ રસ હતો તેથી જ એ સાહિત્યમાં આટલું બધું ખેડાણ કરી શક્યા એવું મને લાગે છે.

વ્યવસાયે એડ્વોકેટ, પરંતુ સંગીતમાં ખૂંપી ગયેલા આ ગીતના સ્વરકાર અમર ભટ્ટ કહે છે, "ઉમાશંકર જોશીના જન્મશતાબ્દી વર્ષ ૨૦૧૧માં ‘પરબ’નો આખો અંક એમનાં કાવ્યોના આસ્વાદનો હતો. કવિ લાભશંકર ઠાકરે એમાં આ ગીતને ઉમાશંકર જોશીનું એક પ્રભાવક ગીત કહ્યું હતું. ત્યારથી આ ગીત સ્વરબદ્ધ કરવાની અદમ્ય ઈચ્છા હતી. કવિની શબ્દ પસંદગી ગમી ગઈ. પ્રથમ પંક્તિમાં ‘ધીરે ધીરે’ લૂની ગતિ માટે અને બીજીમાં ધીમે ધીમે કોયલના અવાજ માટે – ‘ધીરે ધીરે’ અને ‘ધીમે ધીમે’માં આમ ફેર નથી, છતાં શું ફેર છે એનું આ ઉદાહરણ છે. આમ તો ભર ગરમીના બપોરે પ્રિયતમની રાહ જોતી સ્ત્રીની ઉક્તિ છે એમાં. કવિએ ચિત્ર આપ્યું છે –

‘ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા’.

પ્રથમ પંક્તિ અનાયાસ સ્વરબદ્ધ થઇ. સ્થાયીમાં રાગ ચારુકેશીના સ્વરો છે. કોમળ નિષાદથી ગીત શરૂ થાય છે એમાં ‘લૂ’ને સંબોધન છે એ અનુભવી શકાશે. બીજી પંક્તિમાં એ જ સ્વરમાં કોકિલા’ને સંબોધન છે એ કહેવાની જરૂર નથી.

‘ધીરે ધીરે’ પંચમથી અને ‘ધીમે ધીમે’ તાર સપ્તકના ષડ્જથી સ્વરસંગતિ કરે છે. ‘વા અને ગા’ પણ કેટલી જુદી જુદી રીતે ગાઈ શકાય છે તે ગીત સાંભળો તો જ જાણી શકો. ઉમાશંકર જોશીનાં કાવ્યગાનના અમારા આલબમ ‘ગીતગંગોત્રી’માં આ ગીત હિમાલી વ્યાસ-નાયકે ભાવવાહી રીતે ગાયું છે. હવે તો એ ખાસ્સું લોકપ્રિય થયું છે.

હિમાલીનું પણ આ પ્રિય ગીત છે. "ઉમાશંકર જોશીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે જ આ ગીત કમ્પોઝ થયું હતું. આ સર્વાધિક સુંદર ગીત ગાવાની તક મને મળી એ મારું અહોભાગ્ય છે. અમદાવાદમાં તો એટલું બધું લોકપ્રિય થયું છે કે ત્યાંના દરેક કાર્યક્રમમાં એની ફરમાઇશ આવે જ અને વન્સ મોર થાય. અમરભાઇની કમ્પોઝ કરવાની શૈલી પણ એવી છે કે દરેક શબ્દ ઉઘાડીને ગાવાનો. તેથી ગાવાની ખૂબ મઝા આવે છે. આવાં ઉત્તમ ગીતો ગુજરાતી પ્રજા સુધી વધુ ને વધુ પહોંચવા જોઈએ.

વાત તદ્દન સાચી છે. ગુજરાતી ભાષામાં ખૂબ ઉત્કૃષ્ટ કવિતાઓ લખાય છે અને સ્વરબદ્ધ થાય છે. આપણે ગુજરાતીઓએ એ સાંભળવા માટે ફક્ત કાન કેળવવાની જરૂર છે. આ ગીત મળે તો જરૂર સાંભળજો. કદાચ આંખમાંથી આંસુ ટપકે, ચારુકેશીના વિરહી સ્વરો છે, પરંતુ ગરમીના આકરા મિજાજમાં એ મોરપીંછની હળવાશ અને સુંવાળપ આપશે એની ગેરંટી. ઉ

———————

લૂ, જરી તું ધીરે ધીરે વા,
         કે મારો મોગરો વિલાય!
કોકિલા, તું ધીમે ધીમે ગા,
         કે મારો જીયરો દુભાય!
પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી,
સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં છે જંપી.
એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી …
                                    લૂ, જરી તું ……
ધખતો શો ધોમ, ધીકે ધરણીની કાયા:
ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા;
પરિમલ ઊડે, ન ફૂલ હૈયે સમાયાં …
                                    લૂ, જરી તું ……
કોકિલા, તું ધીમે ધીમે ગા,
         કે મારો જીયરો દુભાય;
લૂ, જરી તું ધીરે ધીરે વા,
         કે મારો મોગરો વિલાય.

• કવિ : ઉમાશંકર જોશી  • સંગીતકાર : અમર ભટ્ટ  • ગાયિકા : હિમાલી વ્યાસ-નાયક

https://www.youtube.com/watch?v=0npAWbFMHkM

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 16 મે 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=507129   

Loading

દુકાળો – ૨૦૧૯ : ગઈકાલ અને આજ

દ્વારિકાનાથ રથ|Samantar Gujarat - Samantar|15 May 2019

૧૯૮૫થી રાજ્યમાં દુષ્કાળના કર્મશીલના અનુભવને આધારે ‘દુકાળો-૨૦૧૯’ વિશે લખું છું, ત્યારે અનેક સ્મરણો ઘેરાય છે. રાજ્યમાં દુષ્કાળે લોકોમાં ઊંડાં દુઃખ-દર્દ પેદા કર્યાં છે તો ક્યારેક ‘પ્રદેશવાદ’નું ભૂત પણ ધુણ્યું હતું. રાજ્યમાં ’૭૦ અને ’૮૦ના દાયકામાં દુષ્કાળ નરી આંખે દેખી શકાય એટલે સંવેદનશીલતાથી અનુભવાઈ શકતો પણ હતો. બધા અખબારો પણ એ ગાળામાં, દુષ્કાળના અહેવાલોથી ખચોખચ રહેતાં હતાં, પરંતુ હવે નવી પેઢી માટે દુષ્કાળ બહારથી દેખાવાની વસ્તુ રહી નથી. એની ઉપર બહુ ચતુરાઈથી ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે. પરંતુ ભૂતકાળના દુષ્કાળ અને આજના દુષ્કાળમાં એક બાબતની સમાનતા જોવા મળી રહી છે. તે છે ગામડાંઓમાં, તાલુકા મથકોમાં અને જિલ્લા મથકોમાં પાણીના ટેન્કરોની હડિયાપટ્ટી, રાત-દિવસ દોડતા ટેન્કરો દુષ્કાળગ્રસ્ત વિસ્તારના જીવનમાં એક હિસ્સો બની ગયા છે. ફૂલછાબે હમણાં જ લખ્યું કે ‘રાજકોટ જિલ્લામાં હજુ ટેન્કર યુગ આથમ્યો નથી.’  એટલે કે પાણીનો વેપાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે. બહેનો બેડા લઈને ત્રણ થી ચાર કિલોમીટર પાણીની શોધમાં ગામોમાં રઝળપાટ કરી રહ્યા છે. મોટા ભાગના ગામોમાં અઠવાડિયે એક કે બે વાર પાણી મળી રહ્યું છે. લોકો પાણી માટે કતારોમાં ઊભા છે. આ બધું ગઈકાલની જેમ જ આજે પણ બની રહ્યું છે.

ચૂંટણી અને દુષ્કાળ :

તાજેતરની લોકસભા ચૂંટણીમાં, પીવાના પાણીના કાયમી ઉકેલ અને ટેન્કર મુક્ત ગુજરાતના દાવા હતા. પરંતુ ચૂંટણીની આદર્શ આચારસંહિતાનાં નામે તે દિશામાં ખરેખર કોઈ કામ થયું નહીં. હવે ચૂંટણીઓ પૂરી થઈ છે છતાં ગુજરાત સરકારે એ દિશામાં કોઈ આગળનું કદમ ઉઠાવ્યું નથી. શું ગુજરાત સરકાર ચૂંટણી પંચ સમક્ષ, ચૂંટણી દરમિયાન પીવાનાં પાણીના ઉકેલ માટે તાત્કાલિક મંજૂરી માગી શકી ન હોત? દુષ્કાળના ટકોરા રાજ્યને બારણે નવેમ્બરથી વાગી ચૂક્યા હતા. અને છતાં સરકારે કોઈ નક્કર પગલાં લેવાનું કેમ ટાળ્યું હશે? સાધારણ રીતે ઉનાળાની શરૂઆતમાં એકાદ માવઠું થાય અને સરકાર પોતાની દુષ્કાળ રાહત કામગીરીનો વીંટો વાળી દે એવી તો કોઈ યોજના આ સરકારની નહોતીને?

લોકોનો રોષ-વિરોધ :

દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં સાધારણ લોકોનો અને ખેડૂતોનો વિરોધ છુટોછવાયો અને સ્વયંભૂ હતો. ખેડૂતો પોતાના પાકને બચાવવા તો સાધારણ લોકો પીવાનાં પાણીની માંગ કરી રહ્યા હતા. છતાં સરકારે તો આ વિરોધને વિપક્ષની ચાલ ગણાવીને તેને કચડી નાખવાની કોશિશ કરી. એમ કરીને લોકોમાં એક ભયનું વાતાવરણ પણ ઊભું કર્યું.

સરકારની ખાતરીઓ – ખાલી ચણો વાગે ઘણો :

પીવાના પાણીની કટોકટી નથી અને જુલાઈ સુધી નર્મદા પાણીથી બધુ સુખરૂપ રીતે પાર ઊતરી જવાશે એવી સરકારની ખાતરીઓની કોઈ કમી નહોતી. નર્મદાનાં પાણી બતાવીને સરકાર વારેવારે એ કહેતી રહી પણ લોકો માટે તો એ મૃગજળ જ સાબિત થયા. અત્યંત આઘાતની વાત તો એ છે કે નર્મદાનાં પાણીનાં વપરાશ પર ઉદ્યોગોનો કોઈ કાપ મૂકાયો નહીં, એનું રેશનિંગ કરાયું સિંચાઈ અને પીવાનાં પાણીમાં. હકીકતમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે નર્મદામાં વધુ પાણી છે પણ તેના વિતરણના આયોજનમાં આ સરકાર ‘પાણી વિનાની પુરવાર થઈ’ રહી છે.

પાણીનું છડેચોક ખાનગીકરણ :

રાજ્યમાં મોટા ભાગના ડેમો ખાલીખમ છે અને છતાં પાણીનો વેપાર ધમધમે છે. ૧૯૮૫માં આપણા જાણીતા કટાર લેખક વાસુદેવ મહેતાએ પોતાની કોલમમાં, ‘પાણી માટે ડાયલ કરો’ એવી જાહેરાતનો ઉલ્લેખ કરીને રાજકોટમાં પાણીનો વેપાર થાય છે એ વાતને ઊંડા દુઃખ અને આઘાત સાથે આલેખી હતી. પાણીની પરબોવાળી સભ્યતા આજે કઈ તરફ ગતિ કરી રહી છે તેનો અસલી ચિતાર એમણે આપ્યો હતો. પાણીની આટલી તીવ્ર કટોકટી વચ્ચે કોઈપણ સરકાર પાણીના વેપારને કેવી રીતે ચાલવા દઈ શકે? શા માટે પાણીના સ્ત્રોતનો કબજો સરકાર પોતાને હસ્તક કરતી નથી? આ પ્રશ્ન ’૮૦ના દાયકામાં ઊઠ્યો હતો અને એની પ્રસ્તુતતા આજે પણ એટલી જ છે. સાથે-સાથે ભૂગર્ભજળના વપરાશને લઈને પણ રાજ્યમાં કોઈ ચોક્કસ નીતિ ઘડવામાં આવી નથી. આ બાબતને લઈને રાષ્ટ્રીય ભૂગર્ભ જળ બૉર્ડે રાજ્ય સરકારની આકરી ટીકા પણ કરી છે. આ સરકાર ના તો ઘાસચારાની વાત કરે છે કે ના તો રાહતકામો વિશે આયોજન કરે છે. ’૭૦ અને ’૮૦ના દાયકાઓ પછી અને ૨૦૦૦નો ગંભીર દુષ્કાળ વેઠ્યા પછી પણ ગુજરાતમાં હજુ ના તો દુષ્કાળ ધારો છે કે ના તો કોઈ ચોક્કસ જળનીતિ છે. ના કોઈ લાંબા ગાળાના પગલાંની ચર્ચા છે કે ના તો કોઈ ટૂંકા ગાળાના નક્કર ઉપાયો છે. ઉપરથી કચ્છથી અમદાવાદ જિલ્લામાં આવેલા માલધારીઓ એને બોજારૂપ લાગે છે.

નર્મદાનું પાણી મૃગજળ જ નહીં, વોટર મિસમેનેજમેન્ટનું પ્રતીક :

નર્મદા યોજનાની શરૂઆતથી જ તેના ડેમની ઊંચાઈ – પૂરી ઊંચાઈ પછી તેનાં પાણીના વિતરણ વિશે બહુ સ્પષ્ટ વાત હતી કે રાજયના ૧૮,૦૦૦ ઉપરાંત ગામડાંઓની તરસ નર્મદાનું પાણી છીપાવી શકે નહીં બાકી રહેલાં ગામડાંઓ માટે યોગ્ય આયોજન જરૂરી છે. ડેમની પૂરી ઊંચાઈ થયા પછી પણ કૅનાલો, સબકૅનાલોની બાકી રહેલી કામગીરીએ તો ભૂતકાળમાં ઘણા સવાલો ઊભા કર્યા હતા અને હજુ પણ એ સવાલો ઊભા જ છે. તો આ વખતે સરકારે નર્મદાનાં પાણીના વિતરણમાં જે મિસમેનેજમેન્ટ કર્યું તેને શું કહેવું? મુખ્યમંત્રી કચ્છને ૨૦૨૨માં નર્મદાનું પાણી મળશે તેવું કહી રહ્યા છે, જે કચ્છ અત્યારે ૩૦ વર્ષનો સૌથી કપરો દુષ્કાળ વેઠી રહ્યું છે.

નર્મદામાં જે પાણીની આવક થઈ અને એની જે જાવક થઈ એમાં લાખો ગેલન પાણી ગાયબ છે. તો, આ લાખો ગેલન પાણી કોણ પી ગયું તેનો જવાબ સરકાર કેમ નથી આપતી?

આજે જ્યારે રાજ્યનો ૨/૩ હિસ્સો દુષ્કાળગ્રસ્ત છે, દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી પીવાનાં પાણીની બૂમો પડી રહી છે ત્યારે સરકાર નર્મદાનાં પાણીનાં ગાણાંથી લોકોની તરસ છીપાવી શકે તેમ નથી એ દીવા જેવી ચોખ્ખી વાત સાબિત થઈ છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની શોભા સાબરમતીનું પાણી નહીં પણ નર્મદાનું પાણી વધારતું હોય, એમાં સી પ્લેન ઊતારવા, નર્મદાનું પાણી વેડફાતું હોય અને અમદાવાદના સામાન્ય લોકો એ હકીકતથી અજાણ હોય ત્યારે નર્મદાનાં પાણીના મિસમેનેજમેન્ટની વાત ઊઠી ના ઊઠી અને ઢંકાઈ ગઈ.

ફતેહવાડી કૅનાલમાંથી સિંચાઈ માટે પાણી આપોની માંગ લઈને ધોળકાના ખેડૂતોએ લાંબો સમય અવાજ ઊઠાવ્યો. તે માંગ ત્યારે ન સંતોષી અને હવે વાસણા બેરેજના દરવાજાના રિપેરિંગ માટે પાણી વહેવડાવામાં આવી રહ્યું છે. તેને આયોજનનો અણઘડ નમૂનો જ કહીશું ને?

અસંવેદનશીલ સરકારોથી બની લોકભાગીદારી-નાગરિક સમાજની પહેલ અપ્રસ્તુતઃ

મને બરોબર યાદ છે કે ૧૯૮૫માં મેઘાણીની ‘વૈશાખી દાવાનળ આવો દિલદાર! …’  કવિતાએ નાગરિક સમાજને ઢંઢોળ્યો હતો. મોટાપાયે લેખકો, કવિઓ, કટારલેખકો, કલાકારો દુષ્કાળપીડિતોની વ્હારે ધાયા હતા. તો, ઢોરવાડા-પીવાના પાણી અને ઘાસચારાને લઈને મોટાપાયે ગુજરાતની ગરવી પરંપરાને અનુરૂપ સ્વૈચ્છિક સંસ્થાઓએ રાહતકામો માટે પહેલ કરી હતી. વરસાદી જળસંચય અને ભૂગર્ભજળને પુનર્જીવિત કરવાનાં હજારો કામો હાથ ધરાયાં હતાં.

પરંતુ આજે? આ અસંવેદનશીલ સરકારે, લોગભાગીદારી – નાગરિક સમાજની પહેલને અપ્રસ્તુત કરી દીધી છે.

મને તો આજે પણ લાગે છે કે જો અમદાવાદવાસીઓને રિવરફ્રન્ટમાં વહેતું પાણી નર્મદાનું છે અને તેની ઉપર પહેલો હક્ક તરસ્યા કચ્છ-સૌરાષ્ટ્રનો છે તે વાત સમજાઈ જાય તો તેઓ જ કહેશે, ‘ભલે રહે રિવરફ્રન્ટ ખાલીખમ, કચ્છ-સૌરાષ્ટ્રને યુદ્ધના ધોરણે આપો નર્મદાનું પાણી’.

ટૂંકમાં, રાજ્યમાં દુષ્કાળની વિકટ પરિસ્થિતિ માટે કુદરત કરતાં, સરકારના આયોજનનો અને રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ તેમ જ મતબેંકની ટૂંકી ગણતરીએ સાધારણ લોકોનું જીવન ૨૧મી સદીમાં બેહાલ કર્યું છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2019; પૃ. 10-11

Loading

...102030...2,8282,8292,8302,831...2,8402,8502,860...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved