Opinion Magazine
Number of visits: 9685170
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૂલ્યોનું હોકાયંત્ર કઈ દિશા ચીંધે છે?

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|31 May 2019

ચૂંટણીનાં પરિણામ આવી ગયા પછી તેને સમજાવવાનું કામ બહુ સહેલું હોય છે. કેટલાક તો પરિણામ સમજાવવાની પ્રક્રિયામાં પોતાની વૈચારિક-નૈતિક જમીન ખોઈ બેસીને, પરિણામોના પ્રવાહમાં તણાઈ જાય છે અથવા પોતાનાં મૂળભૂત નૈતિક મૂલ્યોને વિસ્તારીને, તેમાં વિજેતાઓને સમાવવાનો પણ પ્રયાસ કરે છે.

પરિણામોને લોકોના મત તરીકે આદરપૂર્વક સ્વીકારવાં જોઈએ, પરંતુ તેનો અર્થ એ નહીં કે બહુમતીના મતને વાજબી ઠેરવવાની કવાયતમાં પડી જવું અને ભલું હોય તો આપણે પણ ધીમે રહીને પાટો બદલી નાખવો. ખરેખર તો, આપણે જેને અનૈતિક કે ગેરવાજબી માનતા હોઈએ, એવી બાબતોને કે નેતાઓને આટલું લોકસમર્થન કેમ મળ્યું અને આપણે જેમાં વિશ્વાસ ધરાવીએ છીએ એવાં કેટલાંક પાયાનાં – શાશ્વત મૂલ્યો સાથે લોકોના મનના બારણે શી રીતે ટકોરા દઈ શકાય? તે વિશે પ્રામાણિકતાથી, ખુલ્લી આંખે વિચારવાનું થાય છે.

ઇ.વી.એમ. સાથે છેડછાડ જેવી કોઈ પણ કાવતરા-થિયરીથી દૂર રહીને, નરેન્દ્ર મોદીને મળેલી ભવ્ય જીતના કેટલાક સૂચિતાર્થ, સંકેત અને સંભાવનાઓ વિશે થોડો મુક્તવિચાર.

એકહથ્થુ સત્તા અને કેવળ એક વ્યક્તિની આસપાસ રાસ રમતું રાજકારણ ઇંદિરા ગાંધી વખતે જેટલું ખરાબ હતું, એટલું જ નરેન્દ્ર મોદી વખતે પણ ખરાબ છે. તે લોકશાહી રસ્તે આવ્યું હોય તો પણ, લોકશાહીના હાર્દ માટે ઝાઝી જગ્યા રહેવા દેતું નથી. કેમ કે, લોકશાહીમાં કેવળ બહુમતીથી ચૂંટણી જીતવાનો સમાવેશ થતો નથી અને બહુમતીથી મળેલી જીતમાં લોકશાહીની ઇતિશ્રી થઈ જતી નથી. બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતા અને વિરોધની મોકળાશ જેવાં ઘણાં પરિબળ તંદુરસ્ત લોકશાહી માટે જરૂરી છે.

હકીકત એ પણ છે કે વિપક્ષોમાં પણ ક્યાં ય આ લક્ષણો દેખાતાં નથી. સિદ્ધાંતના તફાવતમાં પ્રકારભેદને બદલે માત્રાનો જ ફરક છે. આમઆદમી પક્ષે થોડી આશા ઊભી કરી હતી, પરંતુ ભાખોડિયા ભરવાની અવસ્થામાં જ વિવિધ વિવાદોમાં સપડાઈને તે વિસ્તાર કે વિકાસની તકો રૂંધી બેઠો છે. આ સંજોગોમાં સિવિલ સોસાયટી કહેતાં નાગરિકસમાજ પાસે ચૂંટણી ટાણે હાથ મિલાવવા જેવો કોઈ વિપક્ષ રહ્યો નથી. અત્યાર લગી કૉંગ્રેસે કેવળ હોવાની રૂએ, બાય ડિફૉલ્ટ, એ સ્થાન ભોગવ્યું અને સુધરવાની અનેક તકો વેડફી મારી. આ ડિફૉલ્ટ પસંદગી કૉંગ્રેસ માટે અને (ગુજરાતમાં) નાગરિકસમાજ માટે, પેલી વાર્તામાં આવતા સરગવાના ઝાડ જેવી નીવડી.  પાર્ટી ઘસાઈ ગઈ, પણ ઝાડ પરની સીંગો વેચીવેચીને જૂની સ્થિતિનો દેખાડો ટકાવી રાખ્યો હતો. વાર્તામાં એક સમજુ અતિથિ પરિસ્થિતિ સમજીને, ગુપચુપ સરગવાનું ઝાડ કાપીને જતો રહે છે. પરિણામે, તરત તો તે ગાળો ખાય છે, પણ લાંબા ગાળે તે આશીર્વાદ મેળવે છે.

નરેન્દ્ર મોદી કોઈ રીતે સમજુ અતિથિની ભૂમિકામાં નથી પણ સરગવાનું ઝાડ કપાઈ ગયું છે તે હકીકત છે. હવે જેની સાથે લઘુતમ સામાન્ય મૂલ્યો પૂરતો મેળ બેસાડી શકાય, એવા રાજકીય વિકલ્પની જગ્યા સંપૂર્ણપણે ખાલી પડી છે. (આમ તો એ ૨૦૧૪માં જ ખાલી પડી હતી.) કૉંગ્રેસે એ ભૂમિકામાં ગોઠવાવું હશે, તો ડિફૉલ્ટ પસંદગીની માનસિકતામાંથી બહાર આવીને બદલાવું પડશે. (કેમ કે, એ માનસિકતામાં હવે તો અમેઠી પણ ગયું છે.)

કૉંગ્રેસ કે આપ કે બીજો કોઈ પક્ષ એવું રૂપાંતરણ ન દાખવે તો, નાગરિકસમાજની લાંબા ગાળાની વૈચારિક લડાઈની તૈયારી અને તેમાંથી કોઈ વિકલ્પ ઊભો થવાની શક્યતા અત્યારે બહુ દૂર લાગે છે, પરંતુ લોકશાહીની તંદુરસ્તી માટે તો પાયેથી જ કામ કરવાની અને નવેસરથી વ્યૂહરચના ઘડવાની જરૂર વિશે ભાગ્યે જ બેમત હોઈ શકે. એ કામ અંતર્ગત સરકારી નીતિની ટીકાઓનો છોછ કે બાધ ન જ હોય.  સ્વૈચ્છિક સંગઠનો, નાગરિકમંડળો અને મોદીભક્તિ કે કૉંગ્રેસભક્તિથી મુક્ત એવા સૌ કોઈ તેમાં હોઈ શકે. ખાસ કરીને, નવી પેઢીને તેમાં સાંકળવા માટે સભાન અને સક્રિય પ્રયાસ કરવો પડે. તેનું આરંભબિંદુ રાજકીય ચર્ચા કે લોકશાહીની ભારેખમ ભાષણબાજી નહીં, મૂળભૂત માનવીય મૂલ્યોની વાતો જ હોઈ શકે.

નવી પેઢી સાથે સંવાદનાં ઘણાં બિંદુઓ હોઈ શકે. સોશિયલ મીડિયા તેમાં જરૂરી હોવા છતાં, તે એકમાત્ર પરિબળ નથી. ઑફલાઇન, વાસ્તવિક જીવનમાં પરિચય-સંવાદનું પણ ઘણું મહત્ત્વ છે.  તેના વિના, કેવળ સોશિયલ મીડિયાથી લાંબા ગાળાનાં નિર્ણાયક પરિણામ મેળવી શકાય નહીં. સાથોસાથ, સોશિયલ મીડિયા પર વીડિયો સહિત બીજાં, નવી પેઢીને રુચે તેવાં સ્વરૂપોમાં, સાયબરસૅલ જેવી પ્યાદા માનસિકતાથી નહીં, છતાં આયોજનબદ્ધ રીતે સામગ્રી મૂકી શકાય. નરેન્દ્ર મોદીના રાજમાં ટ્રૉલિંગ ફક્ત રાષ્ટ્રીય જ નહીં, રાજ્યાશ્રય ધરાવતી પ્રવૃત્તિ બની રહી છે. એવા ટ્રૉલ અને તેમના આકાઓ સોશિયલ મીડિયા પર હવે એવું જ ચલાવશે કે ચૂંટણીમાં જીતથી નરેન્દ્ર મોદીની બધી વાજબી ટીકાઓ, તેમને પુછાયેલા અને જેના જવાબ મળવાના બાકી છે, એવા તમામ સવાલોનો અને તેમના વિશેની બધી ચર્ચાઓનો અંત આવી ગયો ગણાય. ચૂંટણીની સફળતાથી તે મોદીને નવા, લોકોએ ઊજળા કરીને મોકલેલા નેતા તરીકે ખપાવવાનો પ્રયાસ કરશે.

કેટલાક મોદીપ્રેમીઓ તેમને જ શોભે એવી માસુમિયતથી પૂછતા હોય છે, ‘જુઓને, લોકો મોદીસાહેબ વિશે કેવું કેવું બોલે છે? આવી ભાષા તે કંઈ વપરાતી હશે?’ પોતે જે ગધેડા પર બેઠા હોય, એ ગધેડું ગણે જ નહીં ને પછી આપણને ગણિત શીખવવા નીકળે, એવી તેમની હૅક થઈ ગયેલી મનોદશા હોય છે. તેમની સાથે દલીલમાં ઊલઝવાને બદલે, જેમની સાથે રાજકીય સિવાયની, જીવનલક્ષી મૂલ્યોની બાબતમાં સંવાદ શક્ય હોય, તેમની સાથે સંવાદમાં ઊતરવું અને નવા નવા પરિચયો કેળવવા જરૂરી બની જાય છે.  સવાલ ફક્ત નરેન્દ્ર મોદીનો નથી, પણ તેમની જીત સાથે મજબૂત બનીને આવેલી, ગાંધીહત્યારાને દેશભક્ત ગણાવવામાં ગૌરવ અનુભવતી બીમાર મનોદશાની પ્રાણપ્રતિષ્ઠાનો છે.

યેલ યુનિવર્સિટીમાં ઇતિહાસ ભણાવતા તિમોથી સ્નાઇડરે વીસમી સદીના વીસ બોધપાઠ વિશે ટૂંકું અને ચોટદાર, પુસ્તિકા જેવડું પુસ્તક લખ્યું છે. તેમણે તો વાત યુરોપ-અમેરિકા-રશિયાની કરી છે, પણ તેમાં રહેલાં ઘણાં તારણો ભારતની વર્તમાન પરિસ્થિતિને આબાદ લાગુ પડે છે. રાષ્ટ્રવાદી (નેશનાલિસ્ટ) અને દેશભક્ત (પેટ્રિયટ) વચ્ચેનો તફાવત આપતાં તેમણે નોંધ્યું છે : રાષ્ટ્રવાદી આપણામાં રહેલી ખરાબમાં ખરાબ વૃત્તિઓને બહાર આણે છે ને પછી આપણને ઠસાવે છે કે આપણે જ શ્રેષ્ઠ છીએ. દેશભક્ત આપણા દેશની ઉત્તમમાં ઉત્તમ પરંપરાઓ અને આદર્શો ચીંધે છે અને આપણામાં રહેલી સારપોને બહાર આણવા માગે છે. યાદ રહે, આ લખતી વખતે તેમની નજર સામે ભારતના કથિત રાષ્ટ્રવાદના ઠેકેદારો ન હતા, પરંતુ આ રાષ્ટ્રવાદની સામાન્ય પ્રકૃતિ (કે વિકૃતિ) છે. દેશભક્તિ તેનાથી જુદો મામલો છે. એવી દેશભક્તિને રાષ્ટ્રવાદીઓનાં પ્રમાણપત્રની જરૂર હોતી નથી, પણ રાષ્ટ્રવાદની સાર્થકતા જ બીજા સમક્ષ દંડૂકા પછાડવામાં હોય છે. ગોરક્ષાને નામે કે રાષ્ટ્રવાદના નામે, બીજા પર ધોંસ જમાવ્યા વિના આખી વાત બનતી જ નથી. સ્નાઇડરે લખ્યું છે કે જે સ્વાયત્તતાના બદલામાં સલામતી આપવાની વાત કરતો હોય, તે મોટે ભાગે તો બેમાંથી એકેય આપતો નથી.

લોકશાહીમાર્ગે આવતી આપખુદશાહીના મુકાબલા માટે સ્નાઇડરે સૂચવેલો એક ઉપાય છે : મેક ન્યૂ ફ્રૅન્ડ્ઝ ઍન્ડ માર્ચ વીથ ધૅમ. આપણે જૂના સાથીઓ સાથે વધારે મજબૂતીથી સંકળાવાનું છે અને નવા મિત્રો બનાવવાનું કામ કરવાનું છે. સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે ચર્ચાઓ કરવામાં જ આપણને સંતોષ થઈ જાય તેની સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે ચર્ચાઓ કરવામાં જ આપણને સંતોષ ન થઈ જાય.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2019; પૃ. 03-04

Loading

લોકશાહીનું હનન

મહેશ પંડ્યા|Opinion - Opinion|31 May 2019

પીપલ્સ રિપ્રેઝન્ટેશન ઍક્ટને આધારે ભારતનું ચૂંટણીપંચ ચૂંટણી-પ્રક્રિયા હાથ ધરે છે, તે ઉપરાંત પીપલ્સ રિપ્રેઝન્ટેશન ઍક્ટના અર્થઘટન માટે વારંવાર રાજકીય પ્રશ્નો અને નાગરિકો સર્વોચ્ચ અદાલત સુધી ગયા છે, એટલે, સર્વોચ્ચ અદાલતનું પણ વારંવાર દિશાચિહ્ન ચૂંટણીપંચને મળે છે. ચૂંટણીપંચ એક રીતે સ્વાયત્ત સંસ્થા છે. કમનસીબે ભારત જેવા કહેવાતા લોકશાહી દેશમાં હવે સ્વાયત્તસંસ્થાઓની સ્વાયત્તતા પર પ્રશ્નો ઊઠ્યા છે.

આ વખતની ચૂંટણીમાં સ્પષ્ટ રીતે લાગ્યું કે, જાણે PMO કાર્યાલયની સૂચના મુજબ જ ચૂંટણીપંચ કામ કરતું હોય. મીડિયાને પણ ખબર હતી કે, ચૂંટણીપંચ ક્યારે ચૂંટણીની જાહેરાત કરે છે. વડાપ્રધાનશ્રીના સત્તાવાર કાર્યક્રમો ૧૦મી માર્ચે પૂરા થતા હતા, તે ૧૦મી માર્ચની સાંજે જ ચૂંટણીપંચે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો, ત્યારથી જ ચૂંટણી આચારસંહિતા લાગુ પડી. સી.એસ.આઈ.એફ. પચાસમો ઉદયદિવસ ઊજવાયો ત્યાર બાદ જ ચૂંટણીપંચે ચૂંટણીઓ જાહેર કરી.

ચૂંટણીનો કાર્યક્રમ ખૂબ જ લાંબો અને સાત ચરણમાં મૂકવામાં આવ્યો. ઉનાળાની ગરમીમાં આટલો લાંબો સમયગાળો અને વધારે ચરણોની દેશના વહીવટીતંત્ર પર, કર્મચારીઓ પર ગંભીર અસરો જોવા મળી.

ચૂંટણીપંચે આ વખતે જે ચૂંટણી-આચારસંહિતા જાહેર કરેલી. તેમાં સ્પષ્ટ લખેલું કે, ધર્મ અને સેનાના નામે મત ના માગવા. છતાં ય માનનીય પ્રધાનમંત્રીએ વિવિધ સ્વરૂપે ચૂંટણીપંચ કી ઐસી કી તૈસી કરી. ચૂંટણી – આચારસંહિતાના ભંગ અંગેનાં પગલાં ના લેવાયાં. પ્રધાનમંત્રીશ્રીએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સેનાના નામનો ઉપયોગ કર્યો. પ્રધાનમંત્રી અને ભા.જ.પ. પ્રમુખે ધર્મ/સેનાનો મોટા ભાગની સભામાં ઉપયોગ કર્યો. ખાનગી ટી.વી. ચૅનલોને આપેલ ઇન્ટરવ્યૂમાં પણ સેનાને પોતે જ આદેશ અને માર્ગદર્શન પૂરું પાડ્યું. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા કેટલાંક રાજ્યો અને નીતિઆયોગમાં માહિતીઓ માગવામાં આવી, જેનાથી નરેન્દ્ર મોદી ચૂંટણી-સભાઓમાં ઉપયોગ કરી શકે.

પ્રધાનમંત્રી અને ભા.જ.પ. પ્રમુખ સામેની આચારસંહિતાભંગની ફરિયાદોનો નિકાલ ખૂબ જ મોડો કરવામાં આવ્યો અને ક્લીન ચિટ આપવામાં આવી. નામદાર સર્વોચ્ચ અદાલતે દખલ દેવાની ના પાડી.

મૂળ મુદ્દો શિક્ષણનો છે. આજની શિક્ષણપદ્ધતિમાં લોકશાહીની સમજણ આપવામાં શિક્ષણતંત્ર નિષ્ફળ ગયું છે. આજના યુવા મતદારોને ખબર જ નથી કે, ચૂંટાયેલા સાંસદો વડાપ્રધાનની નિયુક્તિ કરે. ઊલટાનું એવું સમજાયું કે, પહેલા વડાપ્રધાનપદનો ઉમેદવાર નક્કી કરવામાં આવે અને આ વ્યક્તિ અન્ય સભ્યોની જાણે નિયુક્તિ ન કરતો હોય! વડાપ્રધાનના ઉમેદવાર એમ કહે કે, મારી સામે જુઓ મારા ઉમેદવારો નહિ; અને લોકો વડાપ્રધાનથી જ તમામ કામો થવાનાં હોય તેમ વડાપ્રધાનને નામે મત આપે, તેવી ખોટી પરંપરા પ્રસ્થાપિત થઈ ગઈ છે.

E-mail : paryavaranmitra@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2019; પૃ. 04

Loading

પ્રિસાઇડિંગ-ઑફિસરની ડાયરી

અર્પિત પાટડિયા|Opinion - Opinion|31 May 2019

ચૂંટણી આમ તો રાષ્ટ્રીય તહેવાર તરીકે ઓળખાય છે. ભારતીય પરંપરામાં તહેવારમાં બધાને ખુશ રહેવાનો અને કરવાનો રિવાજ પણ છે. પરંતુ આ રાષ્ટ્રીય તહેવાર-ચૂંટણીમાં એક મોટો વર્ગ હોય છે, જે ચૂંટણી વખતે ભારોભાર ચિંતામાં અને નાખુશ હોય છે. આ વર્ગ એટલે ચૂંટણીમાં પોલિંગ બૂથ પર ફરજ બજાવતા કર્મચારીઓ. જેવો જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણી-ફરજ બજાવવાનો ‘ઑર્ડર’ મળે કે તરત બધાના માટે ચિંતાના વાદળો વર્તાવા લાગે. આમ તો એક પોલિંગબૂથ પર પાંચ વ્યક્તિઓનો સ્ટાફ આપવામાં આવે છે. આ પાંચ સ્ટાફના કામની વહેંચણી ચૂંટણીપંચની માર્ગદર્શિકામાં બખૂબી કરવામાં આવેલી હોય છે. જેમાં આ પાંચ મુખ્ય જવાબદારી હોય છે.

(૧) પ્રિસાઇડિંગ ઑફિસર

(૨) આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઑફિસર

(૩) પોલિંગ-૧

(૪) પોલિંગ-૨ અને

(૫) સેવકભાઈ

આ બધી પ્રક્રિયામાં સૌથી જવાબદાર વ્યક્તિ એટલે પ્રિસાઇડિંગ-ઑફિસર. આ લેખ લખવાનો મુખ્ય હેતુ પ્રિસાઇડિંગ ઑફિસરના અનુભવોને વર્ણવવાનો છે.

જ્યારે ચૂંટણીપંચના નામે જિલ્લા કલેક્ટરનો ઑર્ડર પ્રિસાઇડિંગ ઑફિસર તરીકે આવ્યો, એ જ ગાળામાં સમગ્ર ઑફિસમાં કોને-કોને ઑર્ડર મળ્યો છે, તે જાણીને સાંત્વના મળી, પરંતુ એકાદ મિત્રોને કોઈ પણ પ્રકારની ચૂંટણીલક્ષી કામગીરી મળી નથી, તે જાણી જરા અચરજ પણ થયું અને તેમને આ કામગીરી નથી આવી તેની ખુશી પણ મનાવી. ત્યાર બાદ કેટલાક મિત્રોએ સ્થાનિક કલેક્ટર-કચેરીમાં સંપર્કો વિશે તપાસ શરૂ કરી. જેથી કરી, પોતાની વગ દ્વારા પોતાની કામગીરી રદ્દ કરાવી શકે. તેઓએ એકાદને ફોન પણ જોડ્યો. પરંતુ સામેથી જવાબ મળ્યો કે “એક વખત ઑર્ડર નીકળી જાય પછી રદ્દ કરાવવો થોડો અઘરો છે, પરંતુ એક વાર પ્રથમ તાલીમમાં હાજરી આપી આવો પછી જોઈએ છીએ, કશું થઈ શકે કે કેમ?” આ જવાબ બાદ થોડી હિંમત ભેગી કરી બધા મિત્રો પ્રથમ તાલીમના દિવસે નિશ્ચિત સ્થળ અને સમયે હાજર થયા. ત્યાં અમારા જેવા પ્રથમ વખત ડ્યૂટી પર આવનારા અને ઘણા બધા અનુભવી એમ બે પ્રકારના પ્રિસાઇડિંગ-ઑફિસર્સ હતા.

પ્રથમ તાલીમ વખતે દરેક અધ્યાપક જે વિવિધ વિષયો ભણાવતા હોય, તેને એક નવો વિષય ત્રણ કલાકની તાલીમમાં શીખવો પડે છે. આ તાલીમમાં પ્રથમ વખત ચૂંટણીની કામગીરી કરનારા અધિકારીને તો ઘણી બધી ખબર જ હોતી નથી. તેમને બે મોટાં પુસ્તક વાંચવા માટે આપવામાં આવે છે, જેમાં સમગ્ર માહિતી વિસ્તારપૂર્વક આપેલી હોય છે, પરંતુ આ તો તરણક્રિયાનું પુસ્તક વાંચી તરણકુંડમાં ડુબકી લગાવવા જેવું! જેમ તરણપ્રક્રિયાનું પુસ્તક વાંચીને તરણક્રિયા કરતાં મુખ્ય જોખમ જીવ જવાનો રહે તેમ ચૂંટણી – પ્રક્રિયામાં નોકરી જવાનો રહે.

આ કામગીરી કેમ તમને સોંપાઈ રહી છે, તે વિશે વાત કરતાં એક અધિકારીએ જણાવ્યું કે તમો અમારા કરતાં વધારે પગાર લો છો અને જવાબદાર લોકો છો માટે આ કામગીરી તમોને સોંપાઈ છે. અને દરેક સરકારી નોકરી ધરાવતો કર્મચારી પોતાની નોકરી જવાની બીકે આ કામગીરી ખૂબ જ ભયથી પણ નિષ્ઠાથી બજાવે છે.

મતદાનના આગળના દિવસે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં સવારથી પ્રિસાઇડિંગ-અધિકારીઓની લાઇનો લાગે છે અને ત્યાં પ્રિસાઇડિંગ ઑફિસરને એક ઑર્ડર આપવામાં આવે છે, જેમાં તેમની ટીમનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે. અને તેમના મતદાનમથક વિશેની પણ માહિતી આપવામાં આવેલી હોય છે. ઑર્ડર મળ્યાના તુરંત બાદ પ્રિસાઇડિંગ – અધિકારી પોતાની ટીમના સભ્યોનો સંપર્ક કરી બધાને એક જગ્યાએ એકત્રિત કરે છે. ત્યાર બાદ ખરી મહેનત શરૂ થાય છે. નિશ્ચિત કરેલા રૂમમાંથી ઇ.વી.એમ. મશીન, કન્ટ્રોલ-યુનિટ, બૅલેટ-યુનિટ, વી.વી.પી.ઇ.ટ. અને એક કોથળો ભરીને સામગ્રી મેળવવાની થાય છે. આ સામગ્રી મેળવ્યા બાદ તે સામગ્રીને આપેલ યાદી સાથે મેળવી પોતાના મતદાનમથક તરફ રવાનગી થતી હોય છે.

પ્રિસાઇડિંગ-અધિકારી અને તેમની ટીમમાં થોડા અનુભવી અને થોડા નવા પણ અધિકારીઓ હોય છે. જો આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઑફિસર અનુભવી આવ્યો, તો ઘણી બધી બાબતો સરળ થઈ જાય છે, પરંતુ જો ટીમના સદસ્યો નવા હોય, તો આ પ્રક્રિયા એક પર્વતારોહણ જેવી કઠિન બની જાય છે. તાલીમ લેતી વખતે અને સામગ્રીની યાદી મેળવતી વખતે પણ ઘણા બધા અઘરા શબ્દો અને બાબતો સામે આવતી હોય છે, જેમાં મુખ્યત્વે મૉકપૉલ, વૈધાનિક કવરો અને બિન-વૈધાનિક કવરો જેવી બાબતો મુખ્ય હોય છે, જેના ઉપર વારંવાર ભાર મુકવામાં આવે છે. મતદાનના આગલા દિવસે મતદાનમથક પર પહોંચ્યા બાદ મતદાન-કુટીર તૈયાર કરવી, વિવિધ પ્રકારની નોટિસો લગાવવી, મતદાનમથક તૈયાર કરવું, જરૂરી ફર્નિચર છે કે નહીં તે બધી બાબતોની ચકાસણી પણ પ્રિસાઇડિંગ-અધિકારી કરતા હોય છે. પ્રિસાઇડિંગ ઑફિસરને નાની-નાની બાબતોમાં પડતી તકલીફોમાં ઝોનલ-અધિકારી (જો સપોર્ટિવ હોય તો) સારી રીતે મદદ કરે છે. બપોર સુધીની કામગીરી બજાવ્યા બાદ પોલિંગ-૧ અને પોલિંગ-૨ (જે સામાન્ય રીતે મહિલા હોય છે, તેઓ તરત ઘરે જવાની રજા માંગી લે છે અને આવતી કાલે સવારે સમયસર આવી જશે, તેવી ખાતરી આપી ઘરે રવાના થાય છે.) ત્યાર બાદ ફૉર્મ અને કવરો ઉપર માહિતી લખી તૈયાર કરવાની કામગીરી પ્રિસાઇડિંગ-ઑફિસર કરતા હોય છે. થોડાક કલાકોમાં તો આશરે ૪૦થી ૫૦ અલગ-અલગ પ્રકારનાં ફૉર્મ ભરી તૈયાર કરતા હોય છે. આ ફૉર્મ તૈયાર કરતી વખતે વિચાર પણ આવે કે શું આ બધાની પ્રસ્તુતતા છે? પરંતુ જેમજેમ તમે ચૂંટણી-પ્રક્રિયાને સમજો તેમ તમને ખ્યાલ આવે કે ચૂંટણી-પ્રક્રિયા દરમિયાન ઊભી થવાની દરેક સંભાવનાના ઉકેલ આ વિવિધ પ્રકારનાં ફૉર્મમાં હોય છે. સામાન્ય માણસોને આ વિશે તો ખૂબ જ ઓછો ખ્યાલ હોય છે. ઘણી વખત સામાન્ય માણસ પોતાના મતાધિકાર માટે તકરાર ઊભી કરે છે, ત્યારે પ્રિસાઇડિંગ-ઑફિસર અને સમગ્ર સ્ટાફ આ તકરારને નિવારવા વિવિધ પ્રકારનાં ફોર્મમાંથી લાગુ પડતું ફૉર્મ ભરાવી મતદાનની પ્રક્રિયા પૂરી કરે છે.

મતદાનના આગલા દિવસની રાત્રે પ્રિસાઇડિંગ-અધિકારી પોતાનું મતદાનમથક છોડીને જઈ શકે નહીં એટલે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો પણ અધિકારીને પોતાનું મતદાનમથક છોડવાનું થતું નથી. સરદાર પટેલ યુનિવર્સિટીના એક પ્રૌઢ પ્રાધ્યાપકને ખંભાતથી ૧૦ કિલોમીટર દૂર એક ગામડામાં પ્રિસાઇડિંગ-અધિકારી તરીકે ફરજ બજાવવાની હતી. મતદાનના આગલા દિવસે તેમને ઉપવાસ હતો. સમગ્ર દિવસ દરમિયાન ગરમી હોવાના કારણે તેઓ સતત પાણી ઉપર રહ્યા. મતદાનમથક પહોંચી બધી કામગીરી પતાવી રાતના ૮-૦૦ વાગ્યે ગરમીના કારણે તેમના શરીરમાંથી સોડિયમ ઓછું થઈ ગયુ હતું. ત્યાંથી તેઓને તાત્કાલિક ખંભાતની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ત્યાં માળખાકીય સુવિધાઓ ન હોવાના કારણે તેઓને રાત્રે ૨-૦૦ કલાકે ખંભાતથી આણંદની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.  આ દરમિયાન ફરજ પરના સ્ટાફે જણાવ્યું હતું કે તેઓની બચવાની સંભાવના ખૂબ ઓછી છે. પરંતુ સદ્નસીબે ૪૮ કલાક બેભાન રહ્યા બાદ તેઓ હાલ સ્વસ્થ છે. તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું કે આટલી ગરમીમાં છાપરાનાં પતરાં અને લોખંડની બારીઓવાળા મતદાનમથકમાં ફરજ બજાવતા ખૂબ તકલીફ પડી હતી. થોડીક માળખાકીય સુવિધાઓ સારી થાય, તો અધિકારીઓને તકલીફો ન પડે. આવા અનેક કિસ્સાઓ ફરજ પરના અધિકારીઓ સાથે બનતા હોય છે.

મતદાનમથકે આ વખતની ચૂંટણીમાં મતદાનનો સમય સવારે ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી કરવામાં આવ્યો હતો, એના અનુસંધાને મૉકપૉલ કરવાનો સમય સવારે ૬-૦૦ કલાકનો કરવામાં આવ્યો હતો. લગભગ બધી જગ્યાએ તાલીમ મેળવ્યા મુજબ અધિકારીઓએ કન્ટ્રોલ – યુનિટ, બેલેટ – યુનિટ, વી.વી.પી.ઇ.ટ.નું જોડાણ કર્યા બાદ મૉકપૉલ કરાવી મશીન સીલ કરી મતદાન-પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. પરંતુ તાલીમ લીધા બાદ પણ ઘણા બધા પ્રિસાઇડિંગ-અધિકારીઓ દ્વારા આ પ્રક્રિયા કરવામાં ખામી સર્જાઈ હતી, જેના પરિણામે ઇ.વી.એમ.ની બદલી કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી અને મતદાન-પ્રક્રિયામાં વિલંબ પણ થયો હતો.

જો મતદાનમથક કોઈ એક ચોક્કસ વિચારધારા અથવા પક્ષના મતદારોનું હોય, તો પ્રિસાઇડિંગ-અધિકારીને ચિંતા ખૂબ ઓછી થાય છે. પરંતુ જો તેમ ન હોય અને પક્ષો વચ્ચે ઘર્ષણ હોય, તો પ્રિસાઇડિંગ-અધિકારીને મુશ્કેલીઓ વધતી હોય છે. ઘણાં મતદાનમથકોને સેન્સિટિવ બૂથ તરીકે અગાઉથી જાહેર કર્યા બાદ ત્યાં સી.સી.ટી.વી. કૅમેરા અને પોલીસનો કાફલો વધારે મૂકવામાં આવે છે. મતદાન શરૂ થયાના દર બે કલાકે પ્રિસાઇડિંગ-અધિકારીને થયેલ મતદાનમાં સ્ત્રી અને પુરુષના આંકડા પોતાના ઝોનલ-અધિકારીને આપવાના હોય છે. સમગ્ર મતદાન-પ્રક્રિયા દરમિયાન પ્રિસાઇડિંગ ઑફિસર ઉપર ખૂબ દબાણ હોય છે. મુક્ત અને ન્યાયી મતદાન કરાવવાની સમગ્ર જવાબદારી પ્રિસાઇડિંગ-અધિકારીની હોય છે. એક દિવસ માટે પ્રિસાઇડિંગ- અધિકારીને ઍક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જેટલા પાવર આપવામાં આવે છે. સાંજે ૬-૦૦ વાગ્યે મતદાન પત્યા બાદ ઇ.વી.એમ. મશીન, બધાં જ કવરો, બધી જ સામગ્રી લઈ પોતાના ડિસ્પૅચિંગ સેન્ટર પર પાછા પહોંચી, બધી જ વસ્તુઓ જમા કરાવવી અને બધું જ સફળ રીતે જમા કરાવ્યા બાદ પ્રિસાઇડિંગ-ઑફિસર ફરજ પરથી મુક્ત ગણાય છે. મતદાન પૂર્ણ થયાના તુરંત જ મહિલા પોલિંગ-અધિકારી ઘરે જવા રજા લઈ રવાના થઈ જાય છે.

આ બધું સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ પણ પ્રિસાઇડિંગ-અધિકારીની જવાબદારી રહેતી હોય છે. જેમાં જો કોઈ જે-તે મતદાનમથક વિશે ફરિયાદ નોંધાવે અને જો એ ફરિયાદ સાચી ઠરે, તો જે-તે મતદાનમથક માટે ફરી મતદાન યોજાય છે અને અગાઉની ફરજ પરના પ્રિસાઇડિંગ-અધિકારીની સામે ગુનો પણ નોંધાય છે. આણંદમાં ધર્મજ ખાતે આ ચૂંટણી-પ્રક્રિયામાં ફેરમતદાનની ફરજ પડી હતી અને સમગ્ર સ્ટાફ સામે ફરિયાદ પણ નોંધાઈ હતી.

આમ, દેશમાં સરકાર કોની બનશે, તેનાથી પર કોઈ પણ વિચારધારા કે પક્ષની સાથે નહીં, પરંતુ પોતાની ફરજના ભાગ રૂપે આ અધિકારીઓ પોતાની ફરજ બજાવે છે. ઇલેક્શન-કમિશન દ્વારા તાજેતરમાં જાહેર કરેલા આંકડા મુજબ ઇલેક્શન-મશીનરીમાં ૧૨ મિલિયનથી વધુ ઑફિસર આ પ્રક્રિયાના ભાગ સમાન છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી-પ્રક્રિયા જટિલ, લાંબી અને ખૂબ જ મહેનત માંગી લે છે. દર પાંચ વર્ષે આ કામગીરી થતી હોય છે અને દર પાંચ વર્ષે કેટલા ય નવા પ્રિસાઇડિંગ-અધિકારીઓ પોતાની ડાયરીઓ ભરતા હોય છે. કેટલાકને સારા તો કેટલાકને કડવા અનુભવો થતા હોય છે.

E-mail : arpitzaveri13@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2019; પૃ. 05-06

Loading

...102030...2,8162,8172,8182,819...2,8302,8402,850...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved